Showing posts with label Rabindranath Tagore. Show all posts
Showing posts with label Rabindranath Tagore. Show all posts

Saturday, January 19, 2019

મેઘાણી જ્યારે ‘દેવદાસ’ ફિલ્મનો રિવ્યુ કરે છે...


દિવ્ય ભાસ્કર – કળશ પૂર્તિ – 16 જાન્યુઆરી 2019 
ટેક ઓફ 
હું લેખક છું. મારી કૃતિઓની તમે બધાં ફાવે તે ખોદણી કર્યા કરો પણ મારા સ્વભાવ અને મારી આદતોમાંથી પણ તમને શો સ્વાદ મળવાનો? હું કમભાગ્યે લેખક થયો એટલે શું તમારી સહુની પાસે મારા જીવનને પ્રગટ કરવાની ય મારા પર ફરજ છે?’
Zaverchand Meghani

ક ઉત્તમ સાહિત્યકાર જ્યારે બીજા ઉત્તમ સાહિત્યકાર વિશે લખે ત્યારે આપણને વાંચકોને મસ્તમજાની સામગ્રી સાંપડતી હોય છે. ઝવેરચંદ મેઘાણી ગુજરાતી ભાષા-સાહિત્યના કોહિનૂર હીરા સમાન છે, તો શરદબાબુ અથવા શરદચંદ્ર અથવા સરતચંદ્ર ચટ્ટોપાધ્યાય બંગાળી સાહિત્યજગતનું અમર નામ છે. શરદબાબુ કરતાં મેઘાણી એકવીસ વર્ષ નાના. શરદબાબુને આખું ભારત ખાસ કરીને એમની આ બે નવલકથા માટે જાણે છે - દેવદાસ (કે જેના પરથી જુદી જુદી ભાષાઓમાં ફિલ્મો સતત બન્યા જ કરે છે) અને શ્રીકાંત (જેના પરથી ઉત્તમ હિંદી ટીવી સિરીયલ બની ચુકી છે). બાય ધ વે, આજે શરદબાબુની પુણ્યતિથિ છે. 16 જાન્યુઆરી 1938ના રોજ 61 વર્ષની ઉંમરે એમનું નિધન થયું હતું.
વિષય ભલે ગમે તે હોય, બંગાળી સાહિત્યની વાત રવીન્દ્રનાથ ટાગોર વગર શરૂ કે પૂરી થઈ શકતી નથી. ટાગોર અને શરદબાબુને સાંકળી લેતો એક સુંદર પ્રસંગ મેઘાણીએ એક જગ્યાએ ટાંક્યો છે. 1907માં બનેલો આ કિસ્સો કંઈક એવો છે કે એક દિવસ રવીન્દ્રનાથ પાસે એક વાર બંગ-દર્શન નામના માસિકના તંત્રી આવી ચડ્યા. આવતાંની સાથે રીતસર ધોખો કર્યો.
-     આવું હોય કે?
-     શું થયું, શૈલેશબાબુ?
-     આવી ઉત્તમ વાર્તા તમે મારા માસિકને આપવાને બદલે ભારતી મેગેઝિનમાં છપાવી? મારા પ્રત્યે આવી નારાજગી? મારાથી એવી તે શી ભુલ થઈ ગઈ?
ટાગોરને નવાઈ લાગી. પૂછે છેઃ
-     મારી કઈ વાર્તાની વાત તમે કરો છો? મેં તો ભારતીમાં કોઈ વાર્તા મોકલી નથી. તમારી ભુલ થતી લાગે છે.
તંત્રીસાહેબે પોતાના થેલામાંથી પેલી વાર્તાનું કટિંગ કાઢ્યું. ટાગોરની સામે તે ધરીને કહેઃ
-     હવે મહેરબાની કરીને એમ ન કહેતા કે આ વાર્તા તમે લખી નથી. લેખક તરીકે ભલે તમે બીજું નામ લખ્યું હોય, પણ એનાથી કંઈ તમારી શૈલી થોડી છૂપી રહી શકે?
ટાગોરે લખાણ હાથમાં લીધું. લેખકના નામની જગ્યાએ બડીદીદી (એટલે કે મોટી બહેન) એવું છદ્મનામ લખાયેલું હતું. કુતૂહલવશ એક-બે પાનાં ઊથલાવ્યાં. એમની ઉત્સુકતા વધતી ગઈ. એમણે એ જ વખતે, તંત્રીની હાજરીમાં આખી વાર્તા વાંચી નાખી. પછી કહેઃ
-     અદભુત લખાણ છે, પણ આ મારું નથી.
તંત્રી નવાઈ પામી ગયા. એમને હજુ માન્યામાં આવતું નહોતું કે આવું સુંદર લખાણ ટાગોરનું નથી. તંત્રીથી રહેવાયું નહીં એટલે એમણે ભારતીના સંપાદકનો સંપર્ક કર્યોઃ
-     બડીદીદી કોણ છે? ઉત્તમ વાર્તા લખી છે એણે. મહેરબાની કરીને એની ખરી ઓળખ જાહેર કરો.
ભારતીના પછીના અંકમાં વાચકોએ એક સાવ નવું નામ જોયું. સામાન્ય વાચકથી માંડીને છેક ટાગોર જેવા સાહિત્યસ્વામીને મુગ્ધ કરી દેનાર બડીદીદીનું ખરું નામ હતુઃ શરદચંદ્ર ચટ્ટોપાધ્યાય! બંગાળી સાહિત્યવિશ્વમાં શરદબાબુનુ આ પહેલું પગલું. કહો કે આ એમની મુંહ-દિખાઈ વિધિ હતી.  
શરદબાબુ ક્રમશઃ મશહૂર થતા ગયા. કેટલાંક વર્ષ પછી યમુના નામના સામયિકમાં એમની ચરિત્રહીન નામની ધારાવાહિક નવલકથા શરૂ થઈ. સમાજમાં પ્રચલિત કેટલાક રીતિ-રિવાજો પર એમણે આ નવલકથામાં આકરા પ્રહાર કર્યા. વાર્તા એટલી બધી બોલ્ડ હતી કે વાચકો કાંપી ઉઠ્યા. ચોખલિયાઓ નગ્ન સત્ય પચાવી ન શક્યા. અત્યારે તો કોઈ પુસ્તક પર વિવાદ થાય તો એનું વેચાણ ધડાધડ વધી જાય છે, કોઈ ફિલ્મ રિલીઝ થતાં પહેલાં કન્ટ્રોવર્સી પેદા થાય તો એના હિટ થવાના ચાન્સ અનેકગણા વધી જાય છે, પણ જૂના જમાનામાં એવું નહોતું. ચરિત્રહીનથી ખળભળી ગયેલા અસંખ્ય વાચકોએ યમુના સામયિક વાંચવાનું જ છોડી દીધું. કેટલાયે લવાજમ પાછાં મગાવી લીધાં. પરિસ્થિતિ એટલી હદે વણસી ગઈ કે યમુના સામયિક બંધ કરવું પડ્યું. અધૂરી રહેલી ગયેલી ચરિત્રહીન નવલકથા પછી ઘણા સમય બાદ પુસ્તક સ્વરૂપે આખેઆખી પ્રગટ થઈ.

Sarat Chandra Chattopadhyay

એક વાર શરદબાબુને કોઈ ફંકશનમાં વિશેષ અતિથિ તરીકે આમંત્રણ આપવા માટે એક માણસ આવ્યો. એણે શરદબાબુને કહ્યું કે, મારા તમારા જીવનની સફર વિશે જાણવું છે. શરદબાબુ રોષે ભરાઈ ગયા. કહેઃ
મારા જીવનની વાતો સાંભળવાથી તમને શો લાભ છે? હું લેખક છું. મારી કૃતિઓની તમે બધાં ફાવે તે ખોદણી કર્યા કરો પણ મારા સ્વભાવ અને મારી આદતોમાંથી પણ તમને શો સ્વાદ મળવાનો? માણસના જીવનમાં તો ઘણી વાતો બનતી હોય છે. પણ હું કમભાગ્યે લેખક થયો એટલે શું તમારી સહુની પાસે મારા જીવનને પ્રગટ કરવાની ય મારા પર ફરજ છે?’
પેલો નિમંત્રણ આપવા આવેલો ભાઈ ડઘાઈ ગયો. કહેઃ
મને ક્ષમા કરજો, પણ જેની કૃતિઓના તસુએ તસુની અંદરથી મહાન સત્યોનો ગુંજારવ ઊઠે છે, એવા પુરુષના પોતાના જીવનના પડછાયા એમાં પડ્યા વગર કેમ રહી શકે? હું દઢપણે માનું છું કે આવી કૃતિ માત્ર કલ્પનામાંથી નથી સજાવી શકાતી. આપના પ્રત્યેક લખાણમાં માર્દવ ભર્યું છે. આપનું દેવદાસ વાંચ્યા પછી બે-ત્રણ દિવસ સુધી મને એનો વળગાડ રહ્યો હતો.
ચરિત્રહીન તો ફિક્શન હતું, બાકી શરદબાબુએ સેક્સ પર મોટો ગ્રંથ લખ્યો હતો. કમનસીબે એમના ઘરને આગ લાગતાં ગ્રંથની હસ્તપ્રત બળીને ખાખ થઈ ગઈ. શરદબાબુના મનોવિજ્ઞાની પિતાજીની કેટલીય અધૂરી હસ્તપ્રતો પણ આગમાં ભસ્મીભૂત થઈ ગઈ. જો આ દુર્ધટના ન બની હોત અને શરદબાબુનું સેક્સ વિષયક પુસ્તક બહાર પડ્યું હોત તો કોણ જાણે કેવો હોબાળો મચી ગયો હોત.  
આ બધી વાતો ઝવેરચંદ મેઘાણીએ પોતાના લખાણમાં નોંધી છે. પેલા નિમંત્રકને શરદબાબુની જે નવલકથા વાચ્યા પછી બે-ત્રણ દિવસ સુધી અસરમુક્ત થઈ શક્યા નહોતા એ દેવદાસનો ગુજરાતી યા હિન્દી અનુવાદ આપણે વાંચ્યો હોય કે ન વાંચ્યો હોય, પણ આ કૃતિ પરથી બનેલી સાયગલવાળી, દિલીપકુમારવાળી અથવા શાહરૂખ ખાનવાળી કે બીજી કોઈ પણ ફિલ્મ આપણે જરૂર જોઈ હશે. દેવદાસનું આવું એકાદ વર્ઝન જોઈને ઝવેરચંદ મેઘાણીએ એનો ફિલ્મ રિવ્યુ લખ્યો હતો. મેઘાણી દેશી-વિદેશી ફિલ્મોના જબરા શોખીન અને જાણકાર હતા એ જાણીતી વાત છે. દેવદાસના કથાવસ્તુએ આખા દેશના ફિલ્મમેકરોની કેટલીય પેઢીઓને સતત આકર્ષ્યા છે, પણ મેઘાણીને દેવદાસનું લૂઝર પાત્ર જરાય નહોતું ગમ્યું. એમનો રિવ્યુ એમના જ શબ્દોમાં વાંચવા જેવો છે. લેખનું શીર્ષક છે - દેવદાસનું ચિત્રપટઃ ખોટી ભાવના. ઓવર ટુ ઝવેરચંદ મેઘાણીઃ  
આજે સાહિત્યના સહોદર સમા વિષય ચિત્રપટને નીરખીએ. બહોશ ફોટોગ્રાફી, સ્વરવાહન અને મર્મગ્રાહી સંયોજન – એ ચિત્રપટની ખૂબીની વાતો છે. એ વાતો સાહિત્યના ક્ષેત્રની નથી. એની  ઓથે ઊભા રહેતા સાહિત્યભાવોને તપાસી જોઈએ, કેમ કે આપણી જવાબદારીનો પ્રદેશ છે.
ભાવના સાચી કઈ? ખોટી કઈ? દેવદાસ નામના ચોટદાર ચિત્રપટની ભાવના જૂઠીઃ મોડર્ન ટાઇમ્સ નામના ચાર્લી ચેપ્લિનના તમાશાની ભાવના સાચી.
દેવદાસના કારીગરોને તો હું વંદન કરું છું. કાબેલ કારીગરી કરી છે. પણ એ વંદન તેની વાર્તાના સર્જકને નથી આપી શકતો. દેવદાસ નામ એ વાર્તાનું નહોતું હોવું જોઈતું. એ વાર્તાનું વીરપાત્ર તો પેલી કન્યા છે (એટલે કે પારો), અમીરજાદો દેવદાસ નહીં.
દેવદાસ ગીતો ગાય છે. દર્દભર્યા શબ્દો બોલે છે, પ્રેમનું પાગલપણું બતાવે છે, પણ તેથી આ પાત્રની નિર્વિર્યતા ઓછી થતી નથી. એ જમીનદારનો જુવાન પુત્ર છે, ગામની એક અકુલિન કન્યા જોડે પ્રેમમાં પડ્યો છે. અભ્યાસ કરવા કરતાં પોતાની ઇચ્છા વિરુદ્ધ કલકત્તે ધકેલાય છે ને ત્યાં વિરહની વેદનાને ઓલવવા, બસ, ઝપાટાભેર કુમિત્રો, સુરાપાન તથા વેશ્યાગમનનું શરણ લે છે. (બેશક, દુરાચાર નથી સેવતો.)
પેલી કન્યા બહાદૂર છે! ઘોર રાત આવે છેઃ દેવદાસ! કાલે મારો વિવાહ થઈ જવાનો. ચાલ, હું તારી જોડે ભાગી જવા તૈયાર છું. ચાલ, સાચા પ્રેમને ખાતર હું જીવનમાંથી ઊખડી જવા તત્પર છું – ને હવે વાર નથી.
કાયર દેવદાસ એ પ્રેયસીનો બત્રીસો ચડી જવા દે છે. પછી બસ, શરાબીમાં ડૂબે છે. હિંદભરની જાત્રાઓ કરવા રેલગાડીમાં કાળી દોડાદોડ મચાવે છે, તાવમાં સળગે છે, મરે છે, વગરે વગેરે...
કારણ કે દેવદાસની ગાંઠે નિર્વિર્ય પ્રણયવેદનાનો વૈભવ માણવાનાં નાણાં હતાં, ગીતો ગાવાની સગવડ હતી, એનો પંથ લીસો અને લપટ હતો, અને એને જવાબદારીનું ભાન નહોતું.
પાંચ કુંટુંબીઓનાં પેટ ફરવાની ફરજ અદા કરતો છૂપી ઉરવ્યથાઓને પોતાના અંતરને ઊંડાણે સંઘરનાર કોઈ દેવદાસ આપણાં ચિત્રપટો પર જે દિવસે સર્જાશે તે દિવસ દૂર છે. એવું સફળ સર્જન પેલી કન્યાના પાત્રમાં થઈ શક્યું છે. દ્વિધા-જીવન જીવી જાણનારી એ યુવતીનો કરૂણ અંજામ જગતની કૈંક આંખોમાં ચિરગુંજન કરશે.
રિવ્યુ સમાપ્ત. મેઘાણીના આ દષ્ટિકોણ સાથે અસહમત થવાનો પ્રશ્ન જ ઉઠતો નથી, ખરું?
0 0 0 


Tuesday, August 30, 2016

‘કવિ' શબ્દ હવેથી અમે જાળવીને વાપરીશું...

સંદૃેશ - અર્ધસાપ્તાહિક પૂર્તિ - બુધવાર  - 3૧ ઓગસ્ટ  ૨૦૧૬ 

ટેક ઓફ

રવીન્દ્રનાથ ટાગોર અને ઝવેરચંદ મેઘાણી ભલે સમકાલીન ગણાય, પણ ઉંમરમાં મેઘાણી કરતાં ટાગોર ૩૫ વર્ષ મોટા. મેઘાણી પર કવિવરનો કેવો પ્રભાવ હતો? આ બન્ને શબ્દસ્વામીઓ વચ્ચે સંબંધ કેવી  રીતે સ્થપાયો અને વિસ્તર્યો હતો? 


ઝવેરચંદ મેઘાણી

ભારતના બે ઉત્તમોત્તમ સાહિત્યપુરુષોનાં જન્મ-મૃત્યુદિન ઓગસ્ટ મહિનામાં પડે છે. રવીન્દ્રનાથ ટાગોરનો મૃત્યુદિન ૭ ઓગસ્ટ હતો, જ્યારે ઝવેરચંદ મેઘાણીનો જન્મદિન હજુ ત્રણ દિૃવસ પહેલાં જ ગયો - ૨૮ ઓગસ્ટ. ટાગોરે ૮૦ વર્ષની ભરપૂર ઉંમરે દૃેહ છોડ્યો હતો.  એમના અવસાન બાદ છ વર્ષે, ૧૯૪૭માં, મેઘાણીનુ નિધન થયું.

(નોંધઃ આજના 'સંદેશ' અખબારમાં છપાયેલા આ લેખમાં હકીકતદોષ રહી ગયો છે. 28 ઓગસ્ટનો ઉલ્લેખ મેઘાણીના જન્મદિનને બદલે મૃત્યુદિન તરીકે થયો છે. સ્લિપ-ઓફ-પેન  (અથવા કી-બોર્ડ) આને જ કહેતા હશે. ક્ષમસ્વ.)  

આ બન્ને શબ્દૃસ્વામીઓ ભલે સમકાલીન ગણાય, પણ ઉંમરમાં મેઘાણી કરતાં ટાગોર ૩૫ વર્ષ મોટા. મેઘાણી પર કવિવરનો કેવો પ્રભાવ હતો? તેમની વચ્ચે કેવી રીતે પ્રત્યક્ષ સંબંધ સ્થપાયેલો અને વિકસેલો? આ સવાલોના જવાબમાં ઝવેરચંદૃના પૌત્ર પિનાકી મેઘાણીએ તારવેલી વિગતો ખરેખર માણવા જેવી છે.
ઝવેરચંદૃ મેઘાણીના મોટા ભાઈ કલકત્તામાં સ્થાયી થયા હતા. તેઓ બીમાર પડતા બાવીસ વર્ષના જુવાનજોધ મેઘાણીએ ૧૯૧૮માં ઓિંચતા કલકત્તા જવું પડેલું. રોકાણ લંબાતા જીવણલાલ એન્ડ કંપની નામની એલ્યુમિનિયમનાં વાસણો બનાવતા કારખાનામાં કામ કરવા લાગ્યા. રસ્તાઓ પર ફરતા હોય ત્યારે એમની આંખો દૃુકાનોના સાઈનબોર્ડ્સ પર સરકતી રહે. બંગાળી અક્ષરો સાથે પરિચય કેળવાતો ગયો. સભાનતાપૂર્વક બંગાળી ભાષા શીખવાનું શરુ કર્યુ. ક્રમશ: બંગાળી સાહિત્યના સીધા સંપર્કમાં આવવાનું થયું. કવિવર રવીન્દ્રનાથ ટાગોર અને તેમના સાહિત્ય પ્રત્યે આદૃરભાવ કેળવાવો સ્વાભાવિક હતો.

મેઘાણીની સર્વપ્રથમ પ્રકાશિત પુસ્તક ‘કુરબાનીની કથાઓ'ના મૂળમાં ટાગોર જ છેને. ૧૯૦૦મા ટાગોરનું ‘કથા ઉ કાહિની' નામનું પુસ્તક પ્રગટ થયેલું. તેમાં એમણે શીખ, રાજપૂત, બૌદ્ધ, મરાઠા નરબંકાઓના સ્વાર્પણ તેમજ ત્યાગને ઉજાગર કરતા કથાગીતો લખ્યાં હતાં. મેઘાણીએ એમાંથી અઢાર ચોટદૃાર ઘટનાઓ પસંદૃ કરી, તેને ગદ્ય સ્વરુપમાં આપી, ‘કુરબાની કથાઓ'માં સંગ્રહિત કરી. ટાગોરનું ઋણ સ્વીકારતાં મેઘાણીએ લખ્યું છે: ‘આ મારું પહેલું પુસ્તક છે એટલું જ કહેવું બસ નથી. આ પુસ્તકે મારા માટે વાચકજગતમાં અજવાળું કરી આપ્યું એ ગુણ હું કેમ ભુલી શકું?'

Meghani with Nandlal Bose


ટાગોર અને મેઘાણીનો સૌથી પહેલો વ્યવસ્થિત મેળાપ કલકત્તામાં નહીં, પણ મુંબઈમાં થયો હતો, ૧૯૩૩માં. કવિવરના અંતરંગ સાથી અને વિખ્યાત ચિત્રકાર નંદૃલાલ બોઝે ખાસ ભલામણ કરેલી: ઝવેરચંદૃ મેઘાણીને મળીને ગુજરાતના લોકસાહિત્યનો આસ્વાદૃ ખાસ માણવા જેવો છેે! ટાગોરના ગુજરાતી શિષ્યો બચુભાઈ શુકલ અને પિનાકીન ત્રિવેદૃીએ મુલાકાત ગોઠવી. નિર્ધારિત દિૃવસે સવારના સાડાસાત વાગે ફોર્ટ સ્થિત સર દૃોરાબજી ટાટા પેલેસમાં ઉતરેલા ટાગોરને મળવા મેઘાણી પહોંચી ગયા. મુલાકાત માટે માંડ અડધો કલાક ફાળવવામાં આવેલો, પણ આટલા ઓછા સમયમાંં મેઘાણીની ધોધમાર પ્રતિભા કેવી રીતે ઝીલાય? ગુજરાતના લોકસાહિત્ય, લોકજીવન અને લોકસંસ્કૃતિની શૌર્ય-શૃંગારથી ભરપૂર વાતો તેમજ લોકગીતોની મેઘાણીએ એવી તો રમઝટ બોલાવી કે ટાગોર પ્રસન્ન થઈ ગયા. મેઘાણીએ ગુજરાત અને બંગાળનાં લોકગીતોની તુલનાત્મક વાતો પણ કરી. ટાગોર ઝુમી ઉઠ્યા. સપાટામાં દૃોઢ કલાક વીતી ગયો.

બે સાચા સાહિત્યસંગીઓનો સંવાદૃ સોળે કળાએ ખીહ્લયો હતો બરાબર તે જ વખતે તેજલિસોટા જેવી એક માનુની  પ્રગટ થઈ. એ હતાં સરોજિની નાયડુ. કવિવરે એમને નવ વાગ્યાનો સમય આપેલો. મુલાકાત-ખંડમાં જે પ્રકારનો માહોલ છવાયેલો હતો તેના પરથી સરોજિની નાયડુ તરત પરિસ્થિતિ કળી ગયાં. એમણે કહ્યું, ‘આવી રસભરી ગોઠડીમાં ભંગ પાડતા મારો જીવ ચાલતો નથી. મારો સમય હું મેઘાણીને ફાળવું છું!' જતાં જતાં તેઓ ભલામણ સુધ્ધાં કરતાં ગયાં કે મેઘાણીને તો ખુદૃ ગાંધીજીએ ‘રાષ્ટ્રીય શાયરનું બિરુદૃ આપ્યું છે એટલે ગુરુદૃેવ, મેઘાણી પાસેથી એમણે રચેલાં દૃેશપ્રેમનાં ગીતો ખાસ સાંભળજો!

બોલપુર રેલવે સ્ટેશન પર ઝવેરચંદ મેઘાણીનું ભાવભીનું સ્વાગત 

વાતવાતમાં ટાગોરે કહ્યું કે હું કાઠિયાવાડ બે વાર આવી ગયો છું. વિરમગામ વટાવતાંની સાથે જ જે રીતે છોગાળી પાઘડીઓ અને હવામાં ઉડ-ઉડ કરતી ઓઢણીઓ દૃેખાવા લાગી હતી ને જોતાં લાગતું હતું કે જાણે હું કોઈક રંગપ્રેમી પ્રદૃેશમાં આવી ગયો છું!  મેઘાણીએ કહેલું: ‘ગુરુદૃેવ, બેય વખતે તમે કાઠિયાવાડી રાજવીઓના મહેમાન બનીને આવ્યા હતા એટલે તળપદૃું લોકજીવન તમારાથી દૃૂર રહી ગયું. હવે ત્રીજી વાર આવો ત્યારે એવી રીતે આવજો કે જેથી આ ભૂમિના લોકસંસ્કાર અને લોકવાણીથી નિકટ રહી શકાય. કાઠિયાવાડ તમને નિતનવાં ગીતો, કાવ્યો અને કથાઓની અખૂટ સામગ્રી આપશે...'

ટાગોરે જવાબ આપ્યો, ‘કાઠિયાવાડ આવવાનું મન તો બહુ છે, પણ હવે તો કોણ જાણે... પણ એમ કર, તું જ શાંતિનિકેતન આવ. આપણે બેઉ ગુજરાતી અને બંગાળી લોકગીતોની મેળવણી કરીશું ને ચૂંટીને અંગ્રેજી અનુવાદૃ સાથે પ્રગટ કરીશું. જરુર આવ તું... પણ હા, શિયાળામાં આવજે. ઉનાળો અમારે ત્યાં બહુ આકરો.'

આ ઠાલી ઔપચારિકતા નહોતી. કલકત્તા પરત ગયા બાદૃ ગુરુદૃેવે નંદૃલાલ બોઝ મારફતે મેઘાણીને શાંતિનિકેતન આવવાનું વિધિસર નિમંત્રણ મોકલ્યું હતું. જોકે ટાગોર-મેઘાણીની પહેલી અને બીજી મુલાકાત વચ્ચે આઠ વર્ષનાં વહાણાં વાઈ ગયાં. ૧૯૪૧માં શાંતિનિકેતનના વિદ્યાર્થી સંગઠન તરફથી ગુજરાતનાં લોકસાહિત્ય અને લોકગીતો પર ચાર વ્યાખ્યાન આપવા માટે મેઘાણીને ફરી આમંત્રણ મળ્યું. મેઘાણી મૂંઝવણમાં મૂકાયા. એક બાજુ તેઓ ગુજરાતના લોકસાહિત્યને આંતરપ્રાંતીય દૃુનિયામાં લઈ જવા માગતા હતા. એમને ખાતરી હતી કે અન્ય પ્રાંતોના લોકસાહિત્યની સરખામણીમાં આપણું સાહિત્ય જરાય ઊતરતું પૂરવાર નહીં થાય. બીજી તરફ તેમના મનમાં સંકોચ મિશ્રિત ડર હતો કે એક વિશ્ર્વકવિના ગાને રસાયેલી ને પોષાયેલી શાંતિનિકેતન જેવી મહાન સંસ્થા સામે હું ખડો રહી શકીશ? છેવટે તેમણે નક્કી કર્યું: ‘હું ટાગોરનો કરજદૃાર છું. આઠ વર્ષનું વ્યાજ ચડ્યું છે. મારા ઈષ્ટ વિષયનું શ્રેય, તેમ મારી પ્રગતિશીલતાની કસોટી પણ ત્યાં જઈ સુવર્ણતુલાએ ચડી તોળાવામાં જ છે.'

મેઘાણી.. રતન-કુટિર પાસે
આખરે નિમંત્રણને નમ્ર સ્વીકાર કરીને મેઘાણીએ ૧૨ માર્ચ ૧૯૪૧ના રોજ ટાગોરની કર્મભૂમિ શાંતિનિકેતનમાં પગ મૂક્યો. બોલપુર એમનું ભાવભીનુ સ્વાગત કરવામાં આવ્યુંં. એકદૃમ ખાસ ગણાતા યુરોપિયન ગેસ્ટહાઉસ ‘રતન-કુટિર'માં એમને માનભેર ઉતારો અપાયો. શાંતિનિકેતનના નવ દિૃવસના રોકાણ દૃરમિયાન  મેઘાણીએ અંગ્રેજીમાં ચાર પ્રવચનો આપ્યાં: ફોક સોંગ્સ ઓફ ગુજરાત, ટેલ્સ ટોલ્ડ ઈન વર્સ (ગરબા-ગીતોમાં નિરુપાયેલી જીવનકથાઓ), ધ બાર્ડિક લોર (ચારણી વાણી) અને ફોકલોર: અ લિિંવગ ફોર્સ (લોકસાહિત્ય: એક જીવંત શકિત).


શાંતિનિકેતનનનાં વિદ્યાર્થીઓ-વિદ્યાર્થિનીઓ  સાથે ઝવેરચંદ મેઘાણી


ઓડિયન્સમાં યુપી અને આંધ્રનાં, હિમાલય અને િંસહલદ્વિપનાં, રાજપુતાના અને પંજાબ-િંસધ-બિહારનાં યુવાન વિદ્યાર્થી-વિદ્યાર્થિનીઓ હતાં. ચીન, જાવા અને સુમાત્રાના સ્ટુડન્ટ્સ પણ હતા. વ્યાખ્યાનોની પૂર્વભૂમિકા બાંધતા મેઘાણીએ કહ્યું, 'મારા ગુજરાતના નવઘડતરમાં જે થોડાં બળો કામ કરી રહેલ છે તે પૈકીનું એક આ લોકસાહિત્ય. મારી જન્મદૃાત્રી ગુજરાતના ભૂતકાળનો પરિચય દૃેનાર આ લોકસાહિત્યે ઈતિહાસને દૃફતરે ન સચવાઈ શકેલી એવી કેટલીક વાતો જનેતાની અદૃાથી ચીંથરીઓમાં સાચવી રાખી છે, પણ ગુજરાતની કોઈ ગર્વિષ્ઠ વિશિષ્ટતા દૃેખાડવા, ગુજરાતના ન્યારાપણાના બણગાં ફૂંકવા હું નથી આવ્યો. લોકવાણીનો ઝોક સહિયારાપણા પર હોય છે. એમાં હુંકાર નથી. હું તો આવું છું ગુરુદૃેવે દૃીધેલ નોતરાના જવાબમાં, લોકવાણીની સમાનતા પકડવા, ટુ કમ્પેર નોટ્સ.'

મેઘાણીના ગાનમિશ્રિત વ્યાખ્યાનોએ ઉપસ્થિત રહેલા દૃેશવિદૃેશના આ સેંકડો વિદ્યાર્થીઓ ઉપરાંત અધ્યાપકોેને પણ મુગ્ધ કર્યા. મેઘાણી પછી એક જગ્યાએ નોંધ્યું છે:

‘...શાંતિથી સહુ સાંભળતા હતા. મારી અને શ્રોતાઓની વચ્ચે એક ભૂમિકા ઊભી થઈ ગઈ ને એ ઝાંખા પ્રકાશમાં મેં નિહાળ્યા અનેક ઉત્કંઠિત, પુલકિત, પારદૃર્શક, પ્રેમલ યુવાન ચહેરાઓ. આસ્થા અને આદૃર તેમના પર પથરાયાં હતાં. એક અજાણ્યા ગુજરાતીની આવડી મોટી ઘૃષ્ટતા પ્રત્યે રંજ માત્ર તુચ્છકાર કે સંકુચિતતા મેં તે ચહેરાઓ પર દૃીઠી નહીં. મારો ડર ગયો.'



શાંતિનિકેતનનનાં વિદ્યાર્થીઓ-વિદ્યાર્થિનીઓ  સાથે ઝવેરચંદ મેઘાણી


મેઘાણી શાંતિનિકેતન હતા એ અરસામાં ગુરુદૃેવ બહુ જ અશકત અને પથારીવશ હતા. ઝાઝું જોઈ કે સાંભળી શકતા નહીં. નંદૃલાલ બોઝે મેઘાણીને કહ્યું, ‘ચાલો, કવિવરને મળવા. અશકિતને કારણે થોડાંને જ મળે છે, પણ તમને મળીને રાજી થશે. મેઘાણીએ કહ્યું, 'મારે એમની શકિત નથી બગાડવી. કોઈક વધારે મહત્ત્વના કાર્યમાં એ ખપ લાગશે. નંદૃલાલ બોઝ સાથે ગુરુદૃયાલ મલ્લિકે પણ અતિ આગ્રહ કર્યો એટલે મેઘાણી ગુરુદૃેવના તે વખતના નિવાસસ્થાન ‘શ્યામલી'ના પગથિયાં સુધી જઈ, ત્યાંથી જ ચરણરજ લઈને પાછા ફર્યા. જતાં જતાં સંદૃેશો છોડતા ગયા: ‘ગુરુદૃેવને કહેજો, મેઘાણી આવેલ ને આપને આપેલ વચન નિભાવીને ગયેલ છે...'

૧૯૪૧ના માર્ચમાં મેઘાણીએ શાંતિનિકેતનની મુલાકાત લીધી ને એના ફકત સાડાચાર મહિના પછી, ૭ ઓગસ્ટ ૧૯૪૧ના રોજ રવીન્દ્રનાથ ટાગોરનું મૃત્યુ થયું. મેઘાણી ખૂબ આઘાત પામ્યા. કવિવરને ભાવપૂર્વ અંજલિ આપતા એમણે લખ્યું હતું: ‘તમે કવિ હતા. ‘કવિ' શબ્દૃ હવેથી અમે જાળવીને વાપરશું.'

૧૯૨૦માં કલકત્તામાં ટાગોરના મુખેથી એમનું લોકપ્રિય કાવ્ય ‘નવવર્ષા સાંભળ્યું હતું. એ કાવ્ય સતત મેઘાણીના મન-હૃદૃયમાં રમતું રહ્યું હતું. આખરે ટાગોરના મૃત્યુનાં ત્રણ વર્ષ બાદૃ, ૧૯૪૪માં, મેઘાણીએ તે કાવ્યનો ગુજરાતીમાં અનુવાદૃ નહીં, પણ અનુસર્જન કર્યું. આ એ જ ગીત છે જે સાંભળીને આપણે આજની તારીખે પણ થનગની ઉઠીએ છીએ: 'મન મોર બની થનગાટ કરે...'  આ ગીત વાસ્તવમાં ટાગોરની ત્રીજી પુુણ્યતિથિએ પ્રગટ કરેલાં ‘રવીન્દ્ર વીણા' પુસ્તકનો અંશ છે. મેઘાણીએ આ પુસ્તકમાં ૬૪ જેટલાં રવીન્દ્ર-કાવ્યોને ગુજરાતીમાં અવતાર્યાં, જેમાં 'મન મોર બની થનગાટ કરે' ઉપરાંત ‘ગાજે ગગને મેહુલિયો રે', ‘આવજો આવજો વાલી બા', ‘કોઈ દૃી સાંભરે નૈ', ‘ગામના લોકો મૂરખા રે એને કાળવી કે'તા રે' જેવી અન્ય જાણીતી રચનાઓ પણ છે.

મેઘાણી પચાસ વર્ષ જીવ્યા હતા. ફકત પચાસ વર્ષ! જે માણસ આટલા ટૂંકા જીવનમાં આટલું વિરાટ કામ કરી શક્યો એ જો ટાગોરની માફક  દૃીર્ઘાયુષ પામ્યો હોત તો આજે ગુજરાતી સાહિત્ય કેટલું વધારે સમૃદ્ધ હોત તે મીઠી કલ્પનાનો વિષય છે.

0 0 0

Wednesday, January 13, 2016

ટેક ઓફ : વેદના... આવ તું, પેટાવ તું, ઝળહળ બનાવી દે મને

Sandesh - Ardh Saptahik Purti - 6 January 2016
ટેક ઓફ

વેદના વરસવાનું એક બહુ મોટું કારણ શું એ નથી હોતું કે આપણા ખુદનાં સાચુકલા સ્વરૂપથી, આપણી ઓથેન્ટિક સેલ્ફથી આપણે દૂર થઈ ગયા હોઈએ છીએ ? જીવનની એક મહત્ત્વની ગતિ,મહત્ત્વનું કર્તવ્ય જ આ છે - ખુદની ઓથેન્ટિક સેલ્ફ સાથે એકરૂપ થઈને રહેવાનું. ધારો કે પૂરેપૂરા એકરૂપ ન થઈ શકાય તો તેનાથી બને તેટલા નિકટ રહેવાની કોશિશ કરવી જોઈએ. વેદનાની ભીષણ ક્ષણો વચ્ચે એક જ શબ્દ દીવાદાંડી જેવો બની રહે છે - ખુદવફાઈ. 


વા વર્ષની શુભ શરૂઆત કરવા માટે આપણી ભાષાના શ્રેષ્ઠોત્તમ કવિ સિતાંશુ યશશ્ચંદ્રની કવિતા કરતાં બહેતર બીજું શું હોઈ શકે. સામાન્યપણે સિતાંશુ યશશ્ચંદ્ર 'અઘરા' કવિ ગણાય છે પણ આજે જે કૃતિ વિશે વાત કરવી છે તે જરાય કઠિન નથી. એમના લેટેસ્ટ કાવ્યસંગ્રહ 'વખાર'માં સ્થાન પામેલી આ કવિતા એક રીતે પ્રાર્થનાની ગરજ સારે એવી છે. કવિતા ઈશ્વરને નહીં પણ વેદનાને ઉદ્દેશી લખાયેલી છે. એ વેદના જે આપણા માંહ્યલામાં ટીપે ટીપે જમા થઈ છે અથવા એક જ કારમાં સંઘાત સાથે પેદા થઈ ગઈ છે.
કવિ કહે છે :
વેદના, તું અંધ ના કર. વેદના, તું નેત્ર દે.
કોડિયાં ધારી લીધાં બત્રીસ કોઠે, લે હવે,
આવ તું, પેટાવ તું, ઝળહળ બનાવી દે મને.
તેજમાં સુખચેનની ચીજો જ દીઠી ચારેગમ,
તું બતાવે તો મને દેખાય અજવાળાં સ્વયમ્.
ભીંત ગાયબ થાય ચિત્રે, એવું ભીતીચિત્ર દે.
દુઃખ માણસને દિશાહીન બનાવવાની ચેષ્ટા કરે છે. દુઃખના ભારથી બેવડા વળી ગયેલા માણસને શું કરવું ને શું ન કરવું તે સમજાશે નહીં. કયાં જવું, કોની મદદ લેવી તે સૂઝશે નહીં. આવી સ્થિતિમાં કાં તો મૂઢ થઈ જવાય, નિષ્ક્રિય બની જવાય અથવા શકય છે કે ખોટું પગલું ભરાઈ જાય. કવિ કહે છે કે વેદના, તું ભલે આવ, તારુંં સ્વાગત છે, પણ મહેરબાની કરીને મારી આંખો પર બાંધવાની પટ્ટી સાથે ન લાવતી. તું મારી આંખો બંધ કરવાનું નહીં, ખોલવાનું કામ કરજે.
વેદનાનાં આગમન પાછળ કશુંક પ્રયોજન જરૂર હોવાનું. એ જરૂર વિશેષ સંકેતો લઈને આવ્યું હશે. આ પ્રયોજન અને સંકેતો તો જ દેખાશે જો દુઃખ પોતાની સાથે પ્રકાશ પણ લેતું આવે. નવાં સત્યોનો પ્રકાશ. કવિ તો વેદનાને ત્યાં સુધી કહે છે કે તારી જ્યોતથી મને આખોને આખો દીવાની જેમ ઝળહળ પેટાવ. અત્યાર સુધી સુખના ઉજાસમાં ઘણું જોયું, હવે તારા પ્રકાશમાં મારે નવાં સત્યો જોવાં છે.
રવીન્દ્રનાથ ટાગોરે એક જગ્યાએ લખ્યું છે, 'ઈશ્વર જો તને વેદના આપે તો પોતાના દોષથી તે વેદનાને વ્યર્થ બનાવીશ નહીં - તેને સફળ કરવા માટે હ્ય્દય-મનને પૂરેપૂરાં તૈયાર કરીને જાગ્રત થજે. મનમાં કહેજે : હું દુર્બળ નથી, કહેજે કે હું હાર નહીં સ્વીકારુંં. કહેજે કે મારાં ક્ષણિક જીવનની પાછળ અનંત જીવનની પૂંજી રહેલી છે. આ જીવનની બધીય જાળજંજાળ એકેએક છેદાઈ જવાની છે, પરંતુ પેલી પૂંજી કદી ખૂટી જવાની નથી. તે સૂર્યના પ્રકાશની પેઠે અક્ષય છે. ઈશ્વરે તારી અંદર જે મહિમાનું સ્થાન કરેલું છે, તેને સંપૂણપણે જો. પોતાની જાતને દીન-દુર્બળ કહીને, ક્ષૂદ્ર કહીને અપમાન કરીશ નહીં, કારણ, એ વાત સાચી છે જ નહીં. તારા અંતરાત્મામાં વિજયલક્ષ્મી બિરાજેલાં છે.'


કુન્દનિકા કાપડિયાએ એક નવલકથા લખી છે - 'પરોઢ થતાં પહેલાં'. બહુ જ સુંદર પણ ખાસ્સી અંડર-રેટેડ કૃતિ છે આ. તેમાં એક જગ્યાએ કુન્દનિકાજીએ લખ્યું છે :
'દુઃખનું પ્રયોજન શું છે ? દુઃખ કદાચ માણસને તેના સાચા સ્વરૂપની પિછાણ આપવા આવે છે પણ દુઃખથી ભય પામીને માણસ ઝટ તેનાથી છૂટવાનો પ્રયત્ન કરે છે અને તેથી દુઃખનું આવવું સાર્થક થતું નથી, તેથી જ તે ફરી ફરીને આવ્યા કરે છે. દુઃખમાંથી નાસી છૂટવાને બદલે એના ઘોર એકાંતની વચ્ચે બેસીને માણસ પોતાની ગાઢ અતલ એકલતામાં પોતાના સ્વરૂપનો સાચો પરિચય મેળવી લે તો પછી દુઃખની કામગીરી પૂરી થાય, તો તે ફરી ફરી દ્વારે આવીને ઊભું ન રહે... કદાચ.'
આ જ નવલકથામાં બીજી એક જગ્યાએ કહેવાયું છે :
'જીવન કોઈ બિંદુએ, કોઈ આઘાતે અટકી પડવું ન જોઈએ. તેનું ઝરણ નિરંતર વહેતું રહેવું જોઈએ. ગમે તેવું દઃુખ હોય, તેની ગાંઠમાં હ્ય્દયને કુંઠિત બનવા દીધા સિવાય જીવન જીવી શકાય છે તો દુઃખ પણ જીવનનું એક સૌંદર્ય બની રહે.'
આઘાત પામીને કુંઠિત થઈ જવું એટલે દુઃખના કારાવાસમાં કેદ થઈ જવું. આ સ્થિતિ ટાળવાની હોય. દઃુખમાં ઊભા રહી જવાને બદલે આગળ વધી જવાનું હોય, તેથી જ સિતાંશુ યશશ્ચંદ્ર વેદનાને
કહે છે :
તું ન કારાવાસ થા, થા એક અણધાર્યો પ્રવાસ,
કયાં જવું, કયાં થઈ જવું, કે કઈ રીતે - નક્કી ન ખાસ.
એટલું નિશ્ચિત કે જ્યાં છું ત્યાં નથી રહેવું હવે,
થીજવ ના, પીગળાવ તું, મારે સભર વહેવું હવે,
કોઈ સાવ અજાણ જણ પર એક ભલામણપત્ર દે.
કોણ હોઈ શકે આ અજાણ જણ ? ઈશ્વર કદાચ ? આપણી ઓથેન્ટિક સેલ્ફ ? વેદના વરસવાનું એક બહુ મોટું કારણ શું એ નથી હોતું કે આપણા ખુદનાં સાચુકલા સ્વરૂપથી, આપણી ઓથેન્ટિક સેલ્ફથી આપણે દૂર થઈ ગયા હોઈએ છીએ ? જીવનની એક મહત્ત્વની ગતિ,મહત્ત્વનું કર્તવ્ય જ આ છે - ખુદની ઓથેન્ટિક સેલ્ફ સાથે એકરૂપ થઈને રહેવાનું. ધારો કે પૂરેપૂરા એકરૂપ ન થઈ શકાય તો તેનાથી બને તેટલા નિકટ રહેવાની કોશિશ કરવી જોઈએ. વેદનાની ભીષણ ક્ષણો વચ્ચે એક જ શબ્દ દીવાદાંડી જેવો બની રહે છે - ખુદવફાઈ. પોતાની જાત પ્રત્યે વફાદાર રહેવું તે આપણી સૌથી પહેલી ફરજ છે, જો ખુદવફાઈ એની જગ્યા પર સ્થિર હશે તો જીવનનાં બાકીનાં બધાં સમીકરણો વહેલાં-મોડાં સચવાઈ જશે.
સિતાંશુ યશશ્ચંદ્ર અંતે લખે છે :
તો પછી પહોંચાડ, પીડા, ભાનના એવા સીમાડે,
તે પછી કોઈ સીમાડો કયાંય તે આવે ન આડે.
ને વતન થઈ જાય મારુંં સૃષ્ટિનું સહુ પરગણું,
દઈ શકે તો દે મને એક જ્ઞાાનીનું પાગલપણું.
અગન પંપાળી શકે એવો પ્રસન્ન કરાગ્ર દે.
કવિ જે સીમાડાની વાત કરે છે તે શું આ જ છે - ખુદવફાઈનો ઈલાકો ? કદાચ. એકવાર ખુદવફાઈનાં વર્તુળમાં પહોંચી ગયા પછી બીજા કોઈ સીમાડા આડા આવતા નથી. વેદના જાણે કોઈ સામર્થ્યવાન દેવીનું સ્વરૂપ હોય તે રીતે કવિ તેની પાસેથી જ્ઞાાની માણસનું ધૂનીપણું માગે છે, ભરપૂર પ્રસન્નતા સાથે આગ-ખેલ કરી શકાય એવી ક્ષમતા પણ માગી લે છે.
તો આ નવા વર્ષે સંકલ્પ કરીએ કે વેદનાથી ભાગીશું નહીં. બે હાથ પહોળા કરીને એને આવકારીશું. આનું આવવાનું પ્રયોજન શું છે તે જાણવાની કોશિશ કરીશું. વેદના જે સંદેશો લાવી છે તે કાન માંડીને સાંભળીશું, તેનો મર્મ સમજીશું અને પછી તે અનુસાર આપણાં વર્તન-વ્યવહારમાં - આંતરિક અને બાહ્ય એમ બંને સ્તરે - જ્યાં જરૂર લાગે ત્યાં પરિવર્તન લાવીશું.
0 0 0  

Tuesday, May 7, 2013

ટેક ઓફ: ટાગોર અને વિક્ટોરિયા.... પ્રેમ, મૈત્રી, ઈગો, સર્જન!


Sandesh - Ardh Sapatahik Purti - 8 May 2013

કોલમ: ટેક ઓફ 

વયસ્ક પુરુષ અને ઉંમરમાં ખૂબ નાની સ્ત્રી વચ્ચેના સંબંધમાં કયાં ઈમોશનલ,ઈન્ટેલેક્ચુઅલ, ક્રિએટિવ, ફાયનાન્સિયલ અને સેક્સ્યુઅલ સમીકરણો કામ કરતાં હોય છે?

Rabindranath Tagore and Victoria Ocampo
જિંદગીમાં લવઅફેર મોડામાં મોડું કઈ ઉંમરે થઈ જવું જોઈએ? અને કઈ ઉંમરની સ્ત્રી સાથે? જો તમે મહાન પેઇન્ટર પાબ્લો પિકાસો હો તો ૭૩ વર્ષની ઉંમરે ૪૫ વર્ષ નાની મોડલ સાથે પ્રેમમાં પડી શકો છો. જો તમે નોબેલપ્રાઈઝ વિજેતા મહાન નેતા નેલ્સન મંડેલા હો તો ૨૭ વર્ષ નાની સ્ત્રીના પ્રેમમાં પડી ૮૦મા બર્થડે પર ત્રીજાં લગ્ન કરી શકો છો. મીડિયા મોગલ રૂપર્ટ મર્ડોકે ૩૨ વર્ષનાં લગ્નજીવન પછી ડિવોર્સ લઈને સત્તર જ દિવસમાં પોતાની આસિસ્ટન્ટ સાથે લગ્ન કરી લીધાં હતાં. બન્ને વચ્ચે વયમાં ૩૮ વર્ષનો ફર્ક હતો. ક્યાં ઈમોશનલ, ઈન્ટેલેક્ચુઅલ, ક્રિએટિવ, ફાયનાન્સિયલ અને સેક્સ્યુઅલ સમીકરણો કામ કરતાં હોય છે આ પ્રકારના સંબંધોમાં? અલબત્ત, જરૂરી નથી કે માત્ર કલાકારો કે સેલિબ્રિટીઓ જ પોતાના કરતાં વયમાં ઘણી નાની સ્ત્રીના પ્રેમમાં પડતા હોય છે ને પરણતા હોય છે. સ્ત્રીનું પોતાના પિતાના હમઉમ્ર પુરુષ પ્રત્યેના આકર્ષણનું મોટું કારણ સામાન્યપણે પાવર, પોઝિશન અને પરિપક્વતા હોવાનું. સામે પક્ષે પ્રેમથી છલકતી નાની સ્ત્રી આદમીમાં ચેતના ભરી દે છે, જાણે ચાબૂક વીંઝાઈ હોય તેમ એની બૌદ્ધિક અને ક્રિએટિવ ક્ષમતા સતર્ક થઈ જાય છે.   
રવીન્દ્રનાથ ટાગોર જીવતા હોત તો ગઈ કાલે, સાતમી મેએ, આપણે એમનો ૧૫૨મો બર્થ ડે ઊજવ્યો હોત. ૬૩ વર્ષની ઉંમરે તેમના જીવનમાં એક આર્જેન્ટિનિયન સ્ત્રી આવી હતી, વિક્ટોરિયા ઓકામ્પો, જે ૩૪ વર્ષની હતી. ટાગોરની પ્રચંડ પ્રતિભાથી પ્રભાવિત આ માનુની આર્જેન્ટિનામાં એમની યજમાન બની હતી. મૂળ આયોજન પ્રમાણે નદીકિનારે આવેલા એક આવાસમાં ટાગોર બે અઠવાડિયાં મહેમાન બનીને રહેવાના હતા, પણ રોકાણ બે મહિના સુધી ખેંચાયું - નવેમ્બર અને ડિસેમ્બર, ૧૯૨૪.

વિક્ટોરિયા સાથેની બે મહિનાની પ્રત્યક્ષ મૈત્રી પછી ટાગોર બીજાં સત્તર વર્ષ જીવ્યા. આ સમયગાળા પર વિક્ટોરિયાની દોસ્તીની મહેક વીંટળાયેલી રહી ઓક્સિજનના આવરણની જેમ. વિક્ટોરિયા ભારત કદી ન આવી પણ બન્ને વચ્ચે પત્રવ્યવહાર ચાલતો રહ્યો. ટાગોરના જીવનના અંતિમ તબક્કામાં વિક્ટોરિયા એક મહત્ત્વનું પ્રેરકબળ બની રહી. ટાગોરે પોતાની નવલકથા 'પૂરબી' વિક્ટોરિયાને અર્પણ કરી છે. કેતકી કુશારી ડાયસન નામનાં બ્રિટનમાં સ્થાયી થયેલાં બંગાળી લેખિકા-રિસર્ચરે પુષ્કળ મહેનત કરીને,આર્જેન્ટિનાના જે ઘરમાં ટાગોર - વિક્ટોરિયાની મૈત્રી જન્મી હતી એની મુલાકાત લઈને, બન્નેની રિલેશિનશિપ તેમજ પત્રવ્યવહાર પર 'ઇન યોર બ્લોસોમિંગ ફ્લાવર-ગાર્ડન' નામનું પુસ્તક લખ્યું છે. આ સિવાય એક બંગાળી પુસ્તક તેમજ 'ઓન ધ ટ્રાયલ ઓફ રવીન્દ્રનાથ ટાગોર એન્ડ વિક્ટોરિયા ઓકામ્પો' નામનો વિસ્તૃત લેખ લખ્યો પણ છે. ટાગોર-વિક્ટોરિયાના પત્રવ્યવહારના ચૂંટેલા અંશોનો ગુજરાતીમાં મહેશ દવેએ સરસ અનુવાદ કર્યો છે.
ટાગોર પ્રત્યેની વિક્ટોરિયાની ઉત્કટતા એટલી તીવ્ર હતી કે પોતાના મોંઘેરા મહેમાન બનેલા ગુરુદેવ સાથે દિવસનો મોટો ભાગ પસાર કરવા છતાં રાતે કે વહેલી સવારે એમને કાગળો લખતી. આવા એક પત્રમાં એ લખે છેઃ "તમારા આગમનના ઉલ્લાસે એવી તો ઉત્તેજના વ્યાપી છે કે રાતે હું જાગતી રહું છું અને દિવસે સપનાં જોયાં કરું છું. હરખની વર્ષાથી હૃદય ભરાઈ ગયું છે ને આશંકાથી ફફડી રહ્યું છે. મારો પ્રેમ એવો ગહન અને પાગલ છે, એવો સમજદાર ને નમ્ર છે કે તમારા માટે હું સાવ નકામી તો નહીં જ નીવડું. તમારા માટે કંઈક ને કંઈક કરતા રહેવું મને ગમે. તમે આવ્યા તે પહેલાં હું તમને ચાહતી હતી. તમે જશો પછી પણ તમને પ્રેમ કરતી રહીશ. એથી વિશેષ હું કરી પણ શું શકવાની?"

ટાગોર અને વિક્ટોરિયા વચ્ચેનો સંબંધ ફક્ત પ્લેટોનિક નહોતો. એક સીમારેખાની અંદર રહીને તેમાં શારીરિક અભિવ્યક્તિનું તત્ત્વ પણ સામેલ હતું. વિક્ટોરિયા સાથે ભેટો થયો તેનાં વીસ વર્ષ પહેલાં ગુરુદેવનાં પત્ની ગુજરી ચૂક્યાં હતાં. વિક્ટોરિયાનું લગ્નજીવન તૂટી ચૂક્યું હતું. ડિવોર્સ લેવામાં ધર્મ વચ્ચે આવી જતો હતો એટલે એ પતિથી અલગ ઘરમાં રહેતી હતી. ટાગોરની માફક વિક્ટોરિયા પણ ઉમરાવ પરિવારમાં જન્મી હતી. એ કેવળ ટાગોરની મુગ્ધ ચાહક ન હતી, એ વિદુષી હતી, લેખિકા હતી, ઉચ્છભ્રૂ સાહિત્યિક સામયિકની પ્રકાશક હતી. ક્રમશઃ તે પોતાના સમયની સૌથી નોંધપાત્ર લેટિન અમેરિકન મહિલા તરીકે ઉભરી.
એક કાગળમાં વિક્ટોરિયા કહે છેઃ "કોઈક માટેના અત્યંત તીવ્ર પ્રેમથી આપણે છલકાતા હોઈએ ત્યારે એ પ્રિયપાત્ર આપણા તરફ સ્નેહ વહાવતો હોય તોપણ તેના પ્રત્યે આપણે અંધ અને બધિર બની જઈએ તેમ બને. આપણા પોતાના સ્નેહભાવથી હૃદય એટલું બધું ભરાઈ ચૂક્યું હોય છે કે બીજાની લાગણી માટે જગ્યા રહેતી નથી. અન્યના પ્રેમની ઝંખનાનો અર્થ એટલો જ કે પ્રેમથી આપણે પૂરેપૂરા ભર્યાભર્યા નથી અને બાકી બચેલા ખાલીપાને ભરવા આપણે કોશિશ કરી રહ્યા છીએ. આપણી ખુદની પ્રીતિ પૂર્ણ હોય ત્યારે કશાયની જરૂર રહેતી નથી."
ટાગોર વિક્ટોરિયાને 'વિજયા' કહીને બોલાવતા. એક કાગળમાં ગુરુદેવે વિજયાને લખ્યું છેઃ "સંપૂર્ણ નમ્રતાથી જણાવું છું કે ઈશ્વરે મને જીવનના અનંત ચક્રમાં રઝળવા નથી મોકલ્યો, પણ એણે મને કોઈ ખાસ યોજના મુજબ મોકલ્યો છે, તેથી જ માનું છું કે તારો પ્રેમ કોઈક રીતે ઈશ્વરની યોજના પૂર્ણ કરવામાં મદદરૂપ થશે. તારી મૈત્રી અણધારી જ આવી. મારા સાચા તત્ત્વને તું પામીશ અને મારા જીવનનો ગૂઢાર્થ તું સમજીશ ત્યારે એ મૈત્રી પૂર્ણરૂપે પામીશ. નવી મૈત્રી થાય ત્યારે મને દહેશત થાય છે, પણ હું નિયતિનો સ્વીકાર કરું છું. તારામાં પણ તે નિયતિ પૂર્ણપણે સ્વીકારવાની હામ હોય તો આપણે જીવનભર મિત્રો બની રહીશું." 
એવું જ થયું. ૮ જૂન, ૧૯૪૦ના પત્રમાં વિક્ટોરિયા ઓકામ્પો લખે છેઃ "વહાલા ગુરુદેવ, આખો દિવસ તમને અને આપણે સાથે ગાળેલા સુખી દિવસોને યાદ કરું છું." આના જવાબમાં એક મહિના પછી ટાગોર લખે છેઃ "આટલા લાંબા સમય પછી પણ તું મને યાદ કરે છે એ મારા તરફની તારી મીઠી લાગણી છે. નિકટતા બંધાઈ હોય એવા મિત્રો માટે હૃદય તલસે છે. સમય જેમ જેમ વીતતો જાય છે તેમ તેમ સ્મરણોનું મૂલ્ય વધતું જાય છે."

૭૯ વર્ષે જો પુરુષનું હૃદય તલસાટ અનુભવી શકતું હોય તો એ જરૂર ભાગ્યશાળી છે. સ્ત્રીનો, એમાંય ઉંમરમાં ઘણી નાની સ્ત્રીનો પ્રેમ પુરુષના ઈગો માટે ગજબનાક ટોનિકનું કામ કરે છે. આહ્લાદક તૃપ્તિથી તર-બતર રહેતો પૌરુષિક અહમ આદમીને વધારે જિવાડી નાખે એમાં કશું આશ્ચર્ય ખરું?               0 0 0