Showing posts with label Raghuvir Chaudhary. Show all posts
Showing posts with label Raghuvir Chaudhary. Show all posts

Friday, March 18, 2016

‘આખું જીવન પ્રેમમય હોય એવું તો ક્યાંથી બને?’


ચિત્રલેખા -  માર્ચ ૨૦૧૬

 કોલમ: વાંચવા જેવું 

 લેખિકા ધીરુબહેન પટેલે  જાણે ભૂત વળગ્યું હોય તેમ  ‘વાંસનો અંકુર’ લઘુનવલ એક અઠવાડિયામાં અને ‘વિનાશના પંથે’ ત્રણ જ દિવસમાં લખી નાખી હતી! ઘણા નવલકથાકારો ફરિયાદ કરતા હોય છે કે પાત્રો કહ્યામાં રહેતા નથી. ધીરુબહેનના કિસ્સામાં ક્યારેય એવું બન્યું નથી. દિમાગની ભીતર કોઈ બળવા એ ચલાવી ન લે. નવલકથાનો આખો નક્શો મનમાં તૈયાર થાય પછી જ લખવા બેસે. પાત્રો પુરેપુરાં સમજાય જાય એ પહેલાં લખવાની ઉતાવળ ન કરે.



 ર્જક પાસેથી એની સર્જનકળા વિશેની વાત સાંભળવા જેવો આનંદ બીજો એકેય નથી. ગેબી સર્જનપ્રક્રિયાના એકેએક તાર છૂટા પાડવા શક્ય ન પણ બને, છતાંય કલાકાર પોતાના અંતરમનની વાત કરવા તૈયાર થાય અને એમની પાસેથી વાત કઢાવનારી વ્યક્તિ સુસજ્જ હોય ત્યારે જલસો પડી જાય છે. આજે જેની વાત કરવી છે એ  શરીફા વીજળીવાળા લિખિત ‘સમ્મુખ’ પુસ્તકમાંથી પસાર થતી વખતે આવી જ અનુભૂતિ થાય છે.

 સર્વોેદય કાર્યકર સ્વ. નારાયણ દેસાઈએ ‘મારું જીવન એ જ મારી વાણી’ના ચાર દળદાર ખંડમાં સમગ્ર ગાંધીજીવનચરિત્ર આલેખવાનું અદભુત કાર્ય કર્યું છે. કઈ રીતે એ આટલું પડકારજનક કામ પાર પાડી શક્યા? ઉત્તરમાં એમણે કહ્યું છે:

 ‘જે પ્રકરણની વાત આવે તે એના માટેની નોટમાં નોંધતો જાઉં, પ્રકરણ માંડતાં પહેલાં એ નોટ વાંચી જાઉં. પ્રકરણદીઠ ૧૦૦ થી ૧૨૫ મુદ્દાઓ નોંધાય પણ પછી લખતી વેળા હું કંઈ ન જોઉં. લખાઈ જાય પછી જ જોઉં. કશુંક બદલાય પણ ખરું, પણ (પિતાજી) મહાદેવભાઈના લખવા અંગેના સંસ્કાર મારા મન પર પાક્કા પડેલા એટલે છેકછાક વગર લખવાની ટેવ. એક જ ડ્રાફ્ટમાં કામ પતે. ઘણી વાર પરકાયાપ્રવેશનો અનુભવ થાય. કવચિત એવો પણ અનુભવ થાય કે જાણે સમાધિ હોય!’

 ક્યાંક સમાધિ તો ક્યાંક વળગાડ. લેખિકા ધીરુબહેન પટેલે, એમના જ શબ્દોમાં કહીએ તો, જાણે ભૂત વળગ્યું હોય તેમ  ‘વાંસનો અંકુર’ લઘુનવલ એક અઠવાડિયામાં અને ‘વિનાશના પંથે’ ત્રણ જ દિવસમાં લખી નાખી હતી! ઘણા નવલકથાકારો ફરિયાદ કરતા હોય છે કે પાત્રો કહ્યામાં રહેતા નથી. ધીરુબહેનના કિસ્સામાં ક્યારેય એવું બન્યું નથી. દિમાગની ભીતર કોઈ બળવા એ ચલાવી ન લે. નવલકથાનો આખો નક્શો મનમાં તૈયાર થાય પછી જ લખવા બેસે. પાત્રો પુરેપુરાં સમજાય જાય એ પહેલાં લખવાની ઉતાવળ ન કરે. ધીરુબહેને તો નાટક ઉપરાંત ‘ભવની ભવાઈ’ જેવી અવોર્ડવિનિંગ ફિલ્મ પણ લખી છે. કહે છે:

 ‘એ ક્ષેત્રમાં (સિનેમામાં) ઘણો રોમાંચ. પણ તમારી એકહથ્થુ સત્તાનો ત્યાં અંત આવી જાય. દિગ્દર્શક ૭૫ ટકા અને નિર્માતા-અભિનેતા વગેરે ૨૫ ટકા તમારી કૃતિના સહસર્જકો બની જાય. દિગ્દર્શક સમજદાર હોય અને તમારે સારો મનમેળ હોય તો લખવાની મજા આવે. પણ આમાં સમય ઘણો બગડે. એ પરવડતું હોય તો તેણે ઝુકાવવા જેવું ખરું.’

 અશ્ર્વિની ભટ્ટની ‘ઓથાર’ નવલકથા પરથી સરસ ફિલ્મ બની શકે એવું રઘુવીર ચૌધરી સુધ્ધાંનું માનવું છે. સાહિત્યજગતમાં ઊંચું સ્થાન ધરાવતા રઘુવીર ચૌધરીને મોટા ભાગના ખેતીકામ આવડે છે ને એ થોડુંઘણું કડિયાકામ પણ કરી જાણે છે! ‘સમ્મુખ’ વાંચતાં આ પ્રકારની રસપ્રદ વિગતો પણ જાણવા મળે છે કેમ કે પુસ્તકમાં સંગ્રહાયેલી વિવિધ મુલાકાત કેવળ સાહિત્યસર્જન પૂરતી સીમિત રહેતી નથી. લેખિકાને તો સર્જકના સમગ્ર આંતરિક વ્યક્તિત્ત્વમાં રસ છે. આથી જ એ રઘુવીર ચૌધરીને હળવેકથી એમની પ્રેમની અનુભૂતિ વિશે પૂછી લે છે કે જેથી ‘તમારા વિશેની દંતકથાઓ ઓછી થાય અને લોકોને સાચી વાત જાણવા મળે!’ રધુવીર ચૌધરી ઠાવકાઈથી જવાબ આપે છે:

 ‘હું પ્રેમને સર્વોેચ્ચ મૂલ્ય માનું છું અને પ્રેમની તીવ્રતા અનુભવી ય છે વિહરમાં... આખું જીવન પ્રેમમય હોય એવું તો ક્યાંથી બને? પણ પ્રેમની એકાદ ક્ષણ મૂડીરુપ બને... સૌંદર્ય પ્રત્યે આકર્ષણ જાગે પછી લોભ કરવાને બદલે કદર કરી શકાય તો એ સૌંદર્ય અનન્ય રહે. જે સુક્ધયાઓ અને સન્નારીઓને મળવાનું બન્યું છે એમના પ્રત્યેનો ભાવ લોભનો નહીં, કદરનો રહ્યો છે.’

 પછી તરત પોતાનાં જીવનના જ નહીં, બલકે આખા પરિવારનાં કેન્દ્ર રુપ એવાં પત્ની પારુનો ઉલ્લેખ કરી ઉમેરે છે:

 ‘કોઈ જિજ્ઞાસુ ક્ધયા કે વિદુષી યુવતીના મારા પ્રત્યેના સ્નેહાદરથી એને (પત્નીને) સવિશેષ આનંદ થયો છે. મને મળતો પુરસ્કાર એનો હોય એ રીતે.’

 નેશનલ બુક ટ્રસ્ટનાં ભૂતપૂર્વ ડિરેક્ટર તેમજ લેખિકા વર્ષા દાસ પોતાના અંતરંગ જીવનની વાતો સ્વસ્થતાથી શર કરે છે. વિખ્યાત ચિત્રકાર જતીન દાસ સાથેના દીર્ધાયુ ન પામેલાં લગ્નજીવન વિશે એ કહે છે:
   
 ‘આજે એવું લાગે કે હું જતીન પ્રત્યે આકર્ષાઈ એના કરતાં વધારે એની રંગ, રેખાની કમાલ લાગે એવી પ્રક્રિયા તરફ વધુ આકર્ષાઈ હતી.... (જતીનથી) છૂટી કેમ પડી? કદાચ હું ખાસ્સી ઈમ્મેચ્યોર હતી... છૂટા પડવા માટે હું જતીનને કોઈ રીતે દોષ નથી દેતી. હું માનું છું કે મેં લાગણીની અવસ્થામાં, કદાચ આવેશમાં એવું પગલું લીધું હતું. આજે કોઈ પણ એવું પગલું ભરવા જઈ રહ્યું હોય તો હું ના પાડું છું.’

 સંબંધ વિચ્છેદ પોતાની સાથે કટુતા, આક્રોશ, નકારાત્મકતા અને કડવાશ લાવતો હોય છે. વર્ષા દાસ બૌદ્ધ સાધનાના પ્રતાપે આ હાનિકારક માનસિક માહોલમાંથી સફળતાપૂર્વક બહાર આવી શક્યાં અને જતીન દાસ સાથે મૈત્રીનાં સ્તરે જોડાઈ શક્યાં.

 ઊંચી સાહત્યિક ગુણવત્તા ધરાવતા ‘ફાર્બસ’ ત્રૈમાસિકનાં ભૂતપૂર્વ વિદૂષી સંપાદિકા મંજુ ઝવેરીએ નિખાલસતાપૂર્વક કબૂલ કર્યું છે કે ક્યારેક નબળો લેખ છપાય એ ખૂંચે છે જ. એવું બન્યું છે કે લેખકને એ માટે ચેતવણી પણ આપી હોય, ના પણ પાડી હોય, છતાં એ લેખકની દલીલમાં આવી જઈને લેખ સ્વીકારવો પડ્યો હોય... પણ હવે ભવિષ્યમાં મક્કમ રહેવું છે!

 પુસ્તકમાં ગુજરાતી સાહિત્યજગત સાથે ગાઢ રીતે સંકળાયેલી નવ વ્યક્તિ ઉપરાંત લવકુમાર ખાચર જેવા જાણીતા પ્રકૃતિવિદ છે અને નોબલ પ્રાઈઝવિનર યિદ્દીશ લેખક ઈઝાક બોશેવિસ સિંગર તેમજ ઈંતિઝાર હુસૈન જેવા પાકિસ્તાની સાહિત્યકારની અનુદિત મુલાકાત પણ છે. સાહિત્યના શોખીનોએ પુસ્તક ખાસ વાંચવા જેવું છે. ઈંતિઝાર હુસૈનવાળા લેખમાં અતિ વિચિત્ર અને અતિ  ગંભીર પ્રિન્ટિંગ મિસ્ટેક્સ રહી ગઈ છે, તો પણ.    

 ----------------------------------------------------------------------
સમ્મુખ                             
લેખિકા: શરીફા વીજળીવાળા
પ્રકાશક: ગૂર્જર સાહિત્ય ભવન, અમદાવાદ-૧
 ફોન: (૦૭૯) ૨૨૧૪૪૬૬૩
 કિંમત:  ‚. ૨૪૦ /
  પૃષ્ઠ: ૨૪૪

 ૦  ૦ ૦ 

Thursday, January 15, 2015

રઘુવીરોત્સવ

ચિત્રલેખા - અંક તા. 26 જાન્યુઆરી 2015

કોલમ: વાંચવા જેવું

‘આ લખવું એ જીવવાનો પ્રયત્ન નથી તો બીજું શું છે?... કવિતા રચનાની એ ક્ષણોમાં એકાગ્રતાથી જીવવાનું બન્યું છે. અહીં વેદના છે તેથી સંબંધ છે તેથી સૌંદર્ય છે.’




જુ ગયા શનિવારે, દસમી જાન્યુઆરીએ, અમદાવાદ સ્થિત ગુજરાતી સાહિત્ય પરિષદના સભાગૃહમાં એક મસ્તમજાનો કાર્યક્રમ યોજાઈ ગયો. આપણી ભાષાના ઊંચા ગજાના સાહિત્યકાર રઘુવીર ચૌધરીના જીવન અને કર્મને કેન્દ્રમાં રાખીને લેખકમિત્રો અને સ્નેહીઓએ હૂંફાળો ઉત્સવ મનાવ્યો. આજે આપણે પણ ‘અમૃતાથી ધરાધાર’ પુસ્તક વિશે વાત કરતાં કરતાં એ જ કરવાના છીએ- રઘુવીર ચૌધરીનાં સર્જકત્વનું સેલિબ્રેશન.

 આ પુસ્તક વાસ્તવમાં રધુવીર ચૌધરી અધ્યયનગ્રંથ શ્રેણીની બીજી દળદાર કડી છે. એમાં રઘુવીર ચૌધરી કૃત નાટક, કવિતા, નિબંધ, ચરિત્ર, વિવેચન, સંપાદન અને સંશોધન વિશે અન્ય જુદા જુદા સર્જક દ્વારા લખાયેલા લગભગ ૮૬ જેટલા રસપ્રચુર લેખોનો અફલાતૂન સંગ્રહ થયો છે. વિખ્યાત કલમોનો અહીં રીતસર મેળો જામ્યો છે. કેન્દ્રમાં છે, રઘુવીર ચૌધરી અને એમની લેખનયાત્રા.

 ‘ભૃગુલાંછન’ નિબંધસંગ્રહ વિશે વાત કરતી વખતે અશ્ર્વિન દેસાઈ સૌથી પહેલાં તો એક સવાલ કરે છે કે, ‘ગુજરાતી ભાષામાં લખતા ભારતીય પણ વૈશ્ર્વિક કક્ષાના સર્જકચિંતકો છે ખરા?’ અને પછી એનો સ્પષ્ટપણે જવાબ પણ આપી દે છે કે હા, છે. ગુજરાતી ભાષામાં સાંપ્રતકાળમાં જે ગણ્યાગાંઠ્યા સર્જકચિંતક છે, તેમાંના એક રઘુવીર ચૌધરી. એમની પોતીકી મુદ્રા અને નિજી સત્ત્વશીલતાના કારણે સાહિત્યના અનેકાનેક સ્વરુપોમાં થયેલું એમનું લેખન ગુજરાતી ભાષામાં હોવા છતાં તત્ત્વત: ભારતીય અને વૈશ્ર્વિક કક્ષાનું બની રહે છે.

 વિનોદ ભટ્ટની નજરે એક વાર રઘુવીર ચૌધરીની એક સરસ ચેષ્ટા ચડી ગઈ હતી. બન્ને ગુજરાતી સાહિત્ય પરિષદના મેદાનમાં ઊભા હતા. વરસાદ પડી ગયા પછીની માટી રઘુવીરના બૂટ પર ચોંટી હતી. નીચા વળીને એક સાંઠીકડા વડે બૂટ પરની એ ભીની માટી ઉખાડીને રઘુવીર બોલ્યા: ‘પરિષદની માટી પણ ઘરે ન લઈ જવાય.’ આટલું નોંધીને વિનોદ ભટ્ટ ઉમેરે છે કે, ‘દર વર્ષે પરિષદ પાછળ એમને બારથી પંદર હજાર રુપિયા ઘરના વેઠતા મેં જોયા છે.’

 રઘુવીર ચૌધરીએ દોરેલાં સુંદર કેટલાક સાહિત્યકારો વિશેનાં વ્યક્તિચિત્રો ‘સહરાની ભવ્યતા’માં સંગ્રહ પામ્યાં છે. આ પુસ્તક વિશેના લેખમાં પન્ના નાયક નોંધે છે:

 ‘રઘુવીરના સ્વભાવમાં રહેલું મશ્કરાપણું અથવા તો ગંભીર વાતને ક્ષણમાં હળવા કરી દેવાની ખૂબી વીજળીના ચમકારાની જેમ ચમકી જાય છે. જેમ કે, સાહિત્ય પરિષદના પ્રમુખ તરીકે જ્યારે રઘુવીર ચૌધરી બે વરસની કામગીરી વિશે સ્નેહરશ્મિને પ્રશ્ર્ન પૂછે છે ત્યારે લાલચોળ થઈ ગયેલા સ્નેહરશ્મિ રઘુવીરભાઈને ‘તમે મધ્યસ્થના સભ્ય છો, તમે શું કર્યું?’ જેવા પશ્ર્નસ્વરુપે વળતો ઘા કરે છે. એ સમયે ખડખડાટ હસી પડતા રઘુવીર કેટલો માર્મિક જવાબ આપે છે- ‘કેમ, તમને સવાલ પૂછીએ છીએ એ ઓછું છે?

અકાદમી વિજેતા અને રણજિતરામ સુવર્ણચંદ્રક પ્રાપ્ત કરનારા રધુવીર ચૌધરીએ ‘માનસથી લોકમાનસ’માં આલેખેલું મોરારિબાપુની જીવનચરિત્ર પણ ખાસ્સું વખણાયું છે. સૌરભ શાહે આખી રાત જાગીને આ પુસ્તક પુરું કર્યું હતું. પછી અંગત પ્રસન્નતા વ્યક્ત કરવા રઘુવીર ચૌધરીને પત્રમાં લખ્યું કે તમારા કલમે બાપુ જેવી વ્યક્તિનું જીવનચરિત્ર લખાય એટલે તમે ઘન્ય અને બાપુની વ્યાસપીઠને તમારા જેવા બાયોગ્રાફર મળે એટલે વ્યાસપીઠ ધન્ય!

 રઘુવીર ચૌધરી અને ભોળાભાઈ પટેલના કિસ્સામાં પણ એવું જ બન્યું છેને. ભોળાભાઈ પટેલ માણસાની હાઈસ્કૂલમાં શિક્ષક બન્યા ત્યારે રધુવીર એ જ સ્કૂલમાં આઠમા ધોરણમાં ભણતા હતા એ જાણીતી વાત છે. રઘુવીરને ભોળાભાઈ જેવા ટીચર મળ્યા અને ભોળાભાઈને રઘુવીર જેવો સ્ટુડન્ટ મળ્યો. બન્ને ધન્ય!

 ફક્ત ૨૭ વર્ષની ઉંમરે ‘અમૃતા’ જેવી વિચારપ્રધાન નવલકથા આપનાર રઘુવીર સૌધરીએ સાહિત્યસર્જનની શરુઆત કવિતાથી કરેલી. એમણે કવિતા પ્રમાણમાં ઓછી પણ નોંધપાત્ર કવિતા લખી છે.



 હર્ષદ ત્રિવેદી અને રમેશ ર. દવેના સંગાથમાં અમદાવાદમાં ગયા શનિવારે પેલો કાર્યક્રમ યોજનાર કિરીદ દૂધાતે યોગ્ય જ લખ્યું છે કે ગાંધીયુગમાં આપણે ત્યાં સામાજિક ચેતનાની કવિતા રચવાનું અને પ્રમાણવાનું  સહજ હતું, પણ પછી આધુનિકતાવાદની અસરમાં ચિત્ર પલટાયું. એ પણ એટલી હદે કે સમાજની વર્તમાન સમસ્યા વિશે કવિતા કરનારા ઊલટાના ઉપહાસને પાત્ર બનવા લાગ્યા. અલબત્ત, રઘુવીર ચૌધરીએ ગોઘરાકાંડ પછીના રમખાણોને કેન્દ્રમાં રાખીને ‘એક ગોળી મને પણ વાગી’ શીર્ષક હેઠળ ધારદાર કાવ્ય લખ્યું જ. આ કવિતાનું રસદર્શન કરાવતા કિરીત દૂધાત લખે છે કે, ‘કવિ રઘુવીરની આ અને આવી લોક-કવિતાઓ કાવ્યસૌંદર્યની કોઈ પણ શરતો તોડ્યા વગર સમાજચેતના-લોકચેતનાને સિદ્ધ કરતી રહે છે.’

 આ સંદર્ભમાં કનુ ખડદિયાએ એક વાર પોતાનાં વકત્વ્યમાં ક્વોટ કરેલો રઘુવીર ચૌધરીની કેફિયતનો અંશ સાંભળાવા જેવો છે:

 ‘આ લખવું એ જીવવાનો પ્રયત્ન નથી તો બીજું શું છે?... કવિતા રચનાની એ ક્ષણોમાં એકાગ્રતાથી જીવવાનું બન્યું છે. અહીં વેદના છે તેથી સંબંધ છે તેથી સૌંદર્ય છે.’

 રઘુવીર ચૌધરીનાં પ્રવાસ વિષયક ચાર પુસ્તકોમાં એક ગુજરાત વિશે છે અને અન્ય ત્રણ બ્રિટન, અમેરિકા તેમજ ચીનના પ્રવાસ વિશે. ‘બારીમાંથી બ્રિટન’માં એક જગ્યાએ ત્યાંના શિયાળાનું વર્ણન કરતાં સુંદર વાક્ય લખ્યું છે કે, ‘શિયાળો વકર્યો હોય ત્યારે તો બધું સફેદ થઈ જાય. અલબત્ત, મૃત્યુ જેવું નહીં, પણ ચાંદની જેવું!’ રઘુવીર ચૌધરી કક્ષાનો સર્જક પ્રવાસવર્ણન લખે ત્યારે ભાવકને વિશેષ અનુભવ થતો હોય છે.

 ‘અમૃતાથી ધરાધામ’માંં કેટલાં બધાં પ્રિય લેખકોએ રઘુવીર ચૌધરીનાં સર્જન વિશે લખ્યું છે. કોનું અવતરણ લેવું ને કોનું નહીં! મજાની વાત એ છે કે પુસ્તક કેવળ સાહિત્ય સ્વરુપો પર અટકી ગયું નથી, અહીં રઘુવીર ચૌધરીનાં વ્યક્તિત્ત્વની કેટલીય છટા સહજપણે ઝીલાઈ છે. પુસ્તકમાં ભરપૂર વિદ્વત્તા છે અને હૂંફ અને આત્મીયતાનાં સ્પંદન પણ છે. એને લીધે પુસ્તક વધારે આકર્ષક બન્યું છે. રઘુવીર ચૌધરીનાં પુત્રી અને પુત્રવધૂએ આ સંપાદન પાછળ કરેલી જહેમત સ્પષ્ટ દેખાય છે. રઘુવીર ચૌધરી અધ્યયનગ્રંથના પ્રથમ ભાગની ટૂંકી ઝલક પણ આવરી લેવાઈ હોત તો ઓર મજા પડત. દરેક સાહિત્યપ્રેમીની અંગત લાઈબ્રેરીમાં ફરજિયાતપણે હોવું પડે એવું સુંદર પુસ્તક.                                                                                       0 0


અમૃતાથી ધરાધામ 
          
સંપાદન: દષ્ટિ પટેલ, સુનીતા ચૌધરી
પ્રકાશક: રંગદ્વાર પ્રકાશન, નવરંગપુરા, અમદાવાદ-૯
 ફોન: (૦૭૯) ૨૭૯૧ ૩૩૪૪
 કિંમત:  Rs. ૩૬૦ /
 પૃષ્ઠ: ૪૯૨

 0 0 0

Monday, July 22, 2013

વાંચવા જેવું : આંખ ખોવા કરતાં દષ્ટિ ખોવી વધારે નુક્સાનકર્તા છે...


ચિત્રલેખા - અંક તા. જુલાઈ ૨૦૧૩ માટે 

કોલમ: વાંચવા જેવું 


                                                                                   

શૉન પેને ડિરેક્ટ કરેલી એક અદભુત અમેરિકન ફિલ્મ છે - ‘ઈનટુ ધ વાઈલ્ડ’. પોતાની મરજીનો માલિક બનીને જીવતો એનો યુવા નાયક એક જગ્યાએ કહે છે કે, ‘કરીઅર તો વીસમી સદીમાં શોધાયેલી ચીજ છે અને મને એની બિલકુલ જરુર નથી!’

ફિલ્મનો હીરો આમ કહી શકે, પણ સામાન્ય માણસ કારકિર્દીનો અસ્વીકાર કરીને હવામાં દિશાહીન ઉડ્યા કરતાં પીંછા જેવું જીવન જીવી શકતો નથી. જીવનને ડિફાઈન શી રીતે કરી શકાય? સંબંધો વડે, સ્વજનો વડે, કારકિર્દી વડે. આપણે કર્મ કરવામાં માનનારા લોકો છીએ.  આજનાં પુસ્તક ‘મારી કારકિર્દીનો સૂર્ય’માં જુદાં જુદાં ક્ષેત્રના કર્મનિષ્ઠ અને સફળ લોકોના આત્મકથનાત્મક લેખોનો સંગ્રહ થયો છે.

મોરારીબાપુ કહે છે કે, ‘મને કારકિર્દીના સૂર્ય કરતાં કારકિર્દીના ચંદ્રમામાં વધારે પ્રસન્નતા દેખાય છે. ક્ષીણતા અને વૃદ્ધિ પામવા છતાં, કલંકગ્રસિત ઘટનાઓ થતી રહે છતાં ચંદ્ર પોતાનાં શીતળ સત્ય, પ્રેમ અને કરુણાના પ્રકાશને છોડતો નથી. પૂર્ણ ચંદ્રની સ્થિતિ નિરંતર રહેતી નથી. તેથી માનવીએ સતત વિચારતા રહેવાનું છે કે હું મારી કારકિર્દીમાં પૂર્ણ નથી થઈ ગયો, મારે નિરંતર વૃદ્ધિ કરતાં રહેવાની છે.’

અર્થોપાર્જન માટે થતી પ્રવૃત્તિ અને પેશનને અનુસરીને થતી પ્રવૃત્તિ - આ બન્ને વચ્ચે ભેદ હોય, ન પણ હોય. ઉત્પલ ભાયાણી ચાર્ટર્ડ અકાઉન્ટન્ટ અને વાર્તાકાર. ઉપરાંત સુરેશ દલાલ સાથે પુસ્તક પ્રકાશન તેમજ સાહિત્યિક-સાંસ્કૃતિક કાર્યક્રમોનાં ક્ષેત્રમાં સીમાચિહ્ન કહી શકાય એવી એકાધિક પ્રવૃત્તિઓ કરી. આમ છતાંય નાટકો જોવાની, માણવાની અને તેના વિશે સંપૂર્ણ નિષ્ઠા તેમજ તટસ્થતાથી લખવાની સાડાત્રણ દાયકાની સાતત્યપૂર્ણ પ્રલંબ કારકિર્દી એમને સૌથી વધુ અસામાન્ય લાગે છે. અહીં ‘સાતત્ય’ શબ્દ મહત્ત્વનો છે, જેનો સીધો સંબંધ શિસ્ત સાથે છે.

કરીઅર સમયની સાથે અલગ અલગ રંગછટા ધારણ કરતી જતી હોય છે.  જેમ કે અવિનાશ પારેખને ‘બિલ્ડિંગ લાઈનનો બાદશાહ એટલે બિલ્ડર, આર્કિટેક્ટ નહીં’ એ સૂત્ર મળ્યું અને તેમના મનને જાણે ચાબૂક લાગી ગઈ. પ્લાનિંગ અને સ્ટ્રક્ચરલ ડિઝાઈનિંગ તરફથી તેઓ ક્ધસ્ટ્રક્શન તરફ વળ્યા. સફળતા અને પ્રતિષ્ઠા બન્ને મળ્યાં. અનુભવે એક વાત શીખ્યા કે ઈર્ષાજનક સફળતા મેળવ્યા પછી આત્મવિશ્વાસ કરેલી ભૂલનું મૂલ્ય ક્યારેય ઓછું હોતું નથી. દષ્ટિ ખોવી એ આંખ ખોવા કરતાં વધારે નુક્સાનકર્તા છે! એમણે ‘અભિયાન’ સાપ્તાહિકની સ્થાપના કરી. આ સામયિકે કંઈકેટલાય ‘હાઈ’ અને ‘લૉ’ જોયા, કેટલાય આરોહ-અવરોહમાંથી પસાર થયું. ‘અભિયાન’ સરવાળે સફળતા પામ્યું? અવિનાશ પારેખનો ઉત્તર છે: ‘હા અને ના!’

આ ‘હા’ અને ‘ના’નું સહઅસ્તિત્ત્વ ‘અભિયાન’નું સત્ય છે. કવિ અને ડોક્ટર રઈશ મનીઆર પોતાનાં જીવનનાં કેટલાંક સત્ય આપણી સાથે શેર કરે છે. એ કહે છે કે કારકિર્દી કે કર્મનો એજન્ડા જેટલો અંગત એટલી પીડા વધુ. જીવનમાં આપણે તલ્લીન થઈને કરેલી પ્રવૃત્તિ ધન કે યશ અપાવે જ, પણ એ તો આડપેદાશ છે. જીવનનો ખરો આનંદ તો પેલી તલ્લીનતા જ છે. સતત સક્રિય રહેવું જરુરી નથી. આપણા કાર્યક્ષેત્ર સિવાયની રોજબરોજ જિવાતા જીવનની નાની નાની બાબતોમાં પણ વ્યસ્ત અને મસ્ત રહેતાં આવડવું જોઈએ. નવરાશનેય અજંપા વગર માણતાં આવડવું જોઈએ...



‘ઈનટુ ધ વાઈલ્ડ’ ફિલ્મના નાયકની માફક કાંતિ ભટ્ટને પણ ‘કારકિદી’ કે ‘કરીઅર’ શબ્દ બિલકુલ પસંદ નથી. આ શબ્દોમાંથી એમને ગુલામીની ગંધ આવે છે! ‘કરીઅર’ મૂળ ગ્રીક શબ્દ ‘કેરરિયા’માંથી ઉતરી આવ્યો છે. કેરરિયા એટલે પૈડાંવાળું વાહન. એ કહે છે કે આજનો યુવાન કે યુવતી ડિગ્રી મેળવીને સીઈઓ કે બિઝનેસ મેનેજર કે એવા કોઈ ફેન્સી નામવાળી પોસ્ટ પર ઊંચા પગારવાળી નોકરી કરે છે, પણ આખરે રહે છે તો ગ્લેમરસ નોકર જને? પછી વર્ષો સુધી એ પૈડાંવાળાં વાહનની જેમ કારકિર્દીનો અને જિંદગીનો બોજ ઘસડ્યા કરે છે. અલબત્ત, કાંતિ ભટ્ટ હર દિન લખવા પડતા લેખને પોતાના જીવનનું પ્રેરકબળ અને રોજે રોજના સૂર્ય સાથે સરખાવે છે.

કારકિર્દી અને નસીબ વચ્ચે શો સંબંધ છે? કાઠિયાવાડના સાવરકુંડલામાં જન્મેલા અને ઉછરેલા નટવર ગાંધી કાળક્રમે અમેરિકાની રાજધાનીના ચીફ ફાઈનાન્શિયલ ઓફિસર જેવી પાવરફુલ પોઝિશન પર દોઢ દાયકા કરતાંય વધારે સમય માટે કાર્યરત રહ્યા. વોશિંગ્ટોનિઅન ઓફ ધ યર, (વન ઓફ) ધ મોસ્ટ પાવરફુલ મેન ઓફ વોશિંગ્ટન જેવા કેટલાય ખિતાબ મેળવ્યા. આ સિદ્ધિ નાનીસૂની નથી. નટવર ગાંધી કહે છે કે, ‘તમે ગમે તેટલા હોશિયાર હો, પણ જો નસીબની લોટરી ન લાગે તો એ હોશિયારી કામે લાગતી નથી. સફળતાના શિખરે બેઠેલા મૂછો મરડતા તિસમારખાંઓએ ક્યારેય ન ભૂલવું જોઈએ કે એમની ઉન્નતિમાં કો’ક જાણ્યા-અજાણ્યાનો હાથ છે...’ અમદાવાદનાં ‘રજવાડું’ અને ‘માધુર્ય’ જેવી અવોર્ડવિનિંગ રેસ્ટોરાંના માલિક મનીષ પટેલ લગભગ આ જ સૂરમાં કહે છે: ‘હું નસીબમાં માનું છું અને મેં જોયું છે કે જેમ જેમ હું વધુ કામ કરું છું, તેમ તેમ વધુ નસીબદાર બનતો જાઉં છું.’

પુસ્તકમાં કેટલીય સરસ રસપ્રદ વિગતો જાણવા મળે છે. જેમ કે, સાહિત્યકાર ભોળાભાઈ પટેલ શિક્ષક બન્યા ત્યારે રઘુવીર ચૌધરી આઠમા ધોરણમાં ભણતા અને ખાદીનાં કપડાં ને સફદ ટોપી પહેરીને પહેલી બેન્ચ પર બેસતા! ભોળાભાઈ કહે છે કે ચૌધરી અત્યારે ‘મુખી’ જેવા છે એવા ત્યારે પણ હતા! આ પુસ્તકમાં તારક મહેતા, વિનોદ ભટ્ટ, ઉત્કર્ષ મઝુમદાર, ઉદયન ઠક્કર, દીપક દોશી, રતિલાલ ‘અનિલ’, ધનજીભાઈ શાહ, સ્વામી માધવપ્રિયદાસથી લઈને વિવાદાસ્પદ પોલીસ ઓફિસર વસંત ઢોબળે સુધીની પંચાવન વ્યક્તિઓએ પોતપોતાની કારકિર્દી વિશે સુંદર રીતે લખ્યું છે. કાજલ ઓઝા વૈદ્યનું લખાણ હંમેશ મુજબ શ્ર્વાસ અધ્ધર કરીને વાંચી જવું પડે એવું રસાળ છે. અલબત્ત, પુસ્તકમાં લેખકોની સૂચિને વધારે ચુસ્ત અને વૈવિધ્યપૂર્ણ બનાવી શકાઈ હોત.

ઈમેજ પબ્લિકેશનનું પુસ્તક હોય એટલે પ્રોડક્શન વેલ્યુ ઉત્કૃષ્ટ હોવાની જ. ‘મારી કારકિર્દીનો સૂર્ય’ વાંચવું અને વંચાવવું ગમે એવું પુસ્તક છે. આમેય પ્રેરણાનો સીધો મારો ચલાવતાં બીબાંઢાળ પુસ્તકોને બદલે નિશ્ચિત ગરિમા સાથે પ્રેરક વાતોને વણી લેતાં પુસ્તકો હંમેશા વધારે આવકાર્ય હોવાનાં.


મારી કારકિર્દીનો સૂર્ય  

સંપાદક: સુરેશ દલાલ
પ્રકાશક: ઈમેજ પબ્લિકેશન, મુંબઈ-૨, અમદાવાદ-૬
ફોન:  (૦૨૨) ૨૨૦૦ ૧૩૫૮, (૦૭૯) ૨૬૪૪ ૨૮૩૬
કિંમત:  ૫૦૦ /
પૃષ્ઠ: ૨૫૬

 ૦ ૦ ૦
‘’