Showing posts with label Asit Modi. Show all posts
Showing posts with label Asit Modi. Show all posts

Monday, October 31, 2011

આસિત મોદી એટલે કે...

દિવ્ય ભાસ્કર - Diwali issue - ઉત્સવ



૭૦૦ એપિસોડ્સ પછીય હોટ-એન્ડ-હેપનિંગ ગણાતી ‘તારક મહેતા કા ઉલટા ચશ્મા’ના નિર્માતા આસિત મોદી મળવા જેવા માણસ છે. આ સિરિયલની જન્મકથા તેનાં પ્રોડ્યુસર અને પાત્રો જેટલી જ રસપ્રદ છે.



(ટૂંક સમયમાં પ્રકાશિત થનારા શિશિર રામાવતના ‘ઊંધાં ચશ્માંથી ઉલટા ચશ્મા’ પુસ્તકમાંથી)
 
રાબર એક દાયકા પહેલાં, ૨૦૦૧ની એક સાંજે, દુનિયાભરમાં ફેલાયેલા ગુજરાતીઓના આ પ્રિય હાસ્યકાર તારક મહેતાના ઘરે ટેલિફોનની ઘંટડી વાગે છે. શ્રીમતીજી ઈન્દુબહેન રિસીવર ઊંચકે છે.



‘હલો?’



ફોન મુંબઈથી છે. પોતાનું નામ આપીને સામેની વ્યક્તિ કહે છે, ‘મારે તારક મહેતાનું કામ હતું.’



‘મહેતા તો અત્યારે સુતા છે. બોલો, શું કામ હતું?’



‘હું ટીવી પ્રોડ્યુસર છું. સિરિયલો બનાવું છું. મને ‘દુનિયાના ઊંધા ચશ્માં’માં રસ છે. તેના વિશે જ વાત કરવી હતી.’



‘પણ મહેતા અત્યારે વાત કરી શકે તેમ નથી. એક કામ કરો. તમે એક ફોન નંબર લખી લો અને સિરિયલ વિશે જે કંઈ વાત કરવી હોય તે એ ભાઈ સાથે કરો.’



‘સારું. પણ તમે જેનો નંબર આપી રહ્યા છો તે કોણ છે તે કહી શકશો?’



‘મહેશ વકીલ. ઘરનો જ માણસ છે. તમે નંબર લખો.’



ઈન્દુબહેન મહેશ વકીલનો કોન્ટેક્ટ નંબર લખાવે છે. તારક મહેતાના અઠંગ ચાહકમાંથી પારિવારિક મિત્ર બની ગયેલા સુરતવાસી બિલ્ડર મહેશ વકીલ. મહેશ વકીલે ખુદ ‘દુનિયાનાં ઊંધા ચશ્માં’ પરથી ટીવી સિરિયલ બનાવવાનું સપનું જોયું હતું અને તે પૂરું કરવાની કોશિશ પણ કરી હતી. વાત પૂરી કરીને પેલી વ્યક્તિ આભાર માને છે. એ ફોન મૂકે તે પહેલાં અચાનક ઈન્દુબહેન પૂછે છે, ‘એક મિનિટ. તમારું નામ શું કહ્યું ભાઈ? સોરી, જરા ફરીથી કહેશો?’



સામેની વ્યક્તિ પાછી પોતાની ઓળખ આપે છે. ઈન્દુબહેન રિસીવર ક્રેડલ પર મૂકે છે અને બાજુમાં પડેલી ડાયરી ઊંચકે છે. પછી પેનનું ઢાંકણું ખોલી ફોન કરનાર માણસનનું નામ અને વિગતો નોંધી લે છેઃ



આસિત મોદી. નીલા ટેલિફિલ્મ્સ. મુંબઈ.



ઈન્દુબહેનને ખબર નથી કે મહેશ વકીલનું સપનું ભાગ્યવિધાતાએ આસિત મોદી નામના આ માણસની કુંડળીમાં સાકાર કરવાનું નિધાર્યું છે...



ઈન્દુબહેનને એવી કલ્પના પણ ક્યાંથી હોય કે આ એ માણસ છે, જે તારક મહેતાને અને તેમની પાત્રસૃષ્ટિને આખી દુનિયામાં મશહૂર કરી દેવાનો છે!





કહાની આસિત મોદી કી...





કોમડી સિરિયલો બનાવીને આખા દેશને હસાવનાર આસિત હસમુખલાલ મોદીને રુદન સામે કદાચ જન્મજાત વાંઘો છે. લીટરલી! એટલે જ ૧૯૬૬ની ૨૪ ડિસેમ્બરે પુનાની એક હોસ્પિટલમાં તેઓ જ્ન્મ્યા ત્યારે સહેજ પણ રડ્યા નહોતાને! આસિત મોદીના બાળપણનાં શરૂઆતના વર્ષો દક્ષિણ મુંબઈના ભુલેશ્વર વિસ્તારમાં આવેલી ચાલીમાં દસ બાય દસની નાનકડી રૂમમાં વીત્યું.



‘મારા પિતાજી શાંત, સરળ અને બેફિકરા માણસ,’ આસિત મોદી કહે છે, ‘ એ ઈન્ડિયન ઓઈલ કોર્પોરેશનમાં નોકરી કરતા. કવિતા લખવામાં અને લોકો સાથે સંબંધો બાંધવામાં ને જાળવવામાં એમને ખૂબ રસ પડે. પગાર તો ચોવીસપચ્ચીસ તારીખે ખલાસ થઈ જાય. પછી મમ્મી પોતાની રીતે ગાડું ગબડાવે. આમ, અમારું સંઘર્ષમય મિડલક્લાસ જીવન હતું એમ કહી શકાય. મમ્મીપપ્પાએ જોકે અમને કોઈ વાતે ઓછું આવવા દીધું નથી. અમે ઝાઝું માગ્યું પણ નથી. ચાલીમાં હું નાટકો કરતો, એમાં એક્ટિંગ કરતો, જુદા જુદા કાર્યક્રમોનું આયોજન કરવામાં આગળ પડતા ભાગ લેતો. એટલે જ તારક મહેતાના ટપુડા સાથે હું મારી જાતને આઈડેન્ટિફાય કરી શકું છું, એનેે સારી રીતે ઓળખી શકું છું...’



અગિયારમું-બારમું ધોરણ તેમણે અંધેરીમાં આવેલી શ્રી ચિનાઈ કોલેજ ઓફ કોમર્સ એન્ડ ઈકોનોમિક્સમાંથી કર્યું. કોલેજમનાં વર્ષોર્માં જ એમને નાટકોની લત લાગી ગઈ હતી. આજના પ્રોડ્યુસર આસિત મોદીએ શરૂઆત એકિંટગથી કરેલી. થર્ડ યરમાં હતા ત્યારે મિલમજૂરોની વ્યથા વ્યક્ત કરતા ‘બંધુઆ’ નામનું હિન્દી નાટક ભજવીને ઈન્ટરકોલેજ કોમ્પિટીશનમાં બેસ્ટ એક્ટર ઘોષિત થયા હતા. કોલેજ પછીનાં વર્ષોમાં થિયેટર જોકે છૂટી ગયું હતું. બેત્રણ જગ્યાઓ રૂટીન નોકરીઓ કર્યા પછી ૧૯૯૧માં આસિત મોદી ટીવી નિર્માત્રી સુશીલા ભાટિયા સાથે જોડાયા. તે પછી જયેશ ચોક્સીનું અકિક ચિત્ર નામનાં પ્રોડકશન હાઉસ જોઈન કર્યું અને બે સિરિયલનું માર્કેટિંગ સંભાવ્યું. તે વખતે અકિક ચિત્ર એકમાત્ર એવું પ્રોડકશન હાઉસ હતું, જેની એક સાથે બબ્બે સિરિયલો ઓનએર હોય!



અનુભવની સારી એવી સમૃદ્ધિ જમા થઈ ગઈ પછી સમય આવ્યો મુક્ત ઉડ્ડયન કરવાનો. ‘હમ સબ એક હૈ’ આસિત મોદીએ સ્વતંત્ર નિર્માતા તરીકે પ્રોડ્યુસ કરેલી પહેલી સિરિયલ. એક સંયુક્ત પરિવારમાં અલગ અલગ ત્રણ ભાષા બોલતી વહુઓની વાત હતી. ફેમિલીના વડા તરીકે જતિન કાણકિયાને કાસ્ટ કરવામાં આવ્યા હતા. તેમના ત્રણ દીકરાઓના રોલમાં રાકેશ બેદી, દિલીપ જોશી અને દેવેન ભોજાણીને લેવામાં આવ્યા હતા. પંજાબી, બંગાળી અને ગુજરાતી પુત્રવધૂની ભુમિકા કરી અનુક્રમે ડોલી બિન્દ્રા, મોહિની અને ડિમ્પલ શાહે. કોલેજકાળના પોતાના સિનિયર રહી ચૂકેલા દિલીપ જોશી સાથે આસિત મોદીનો એકટર-પ્રોડ્યુસરનો સંબંધ બંધાયો.



૧૯૯૪માં લોન્ચ થયેલી અને લાગલગાટ ત્રણ વર્ષ ચાલેલી ‘હમ સબ એક હૈં’ સિરિયલ ખૂબ જોવાઈ અને ખાસ્સી વખણાઈ. એક જ પરિવેશમાં જુદીજુદી ભાષા, રીતરિવાજ અને રહેણીકરણી ધરાવતા લોકોનું સહઅસ્તિત્ત્વ, તેમની વચ્ચે રચાતો પ્રેમનો સેતુ, તેમની વચ્ચે થતી નોંકઝોંક અને તેમાંથી નિષ્પન્ન થતું રમૂજ. સહેજ પણ દંશ વગરની આ સરળ હ્યુમરમાં એટલી નિર્દોષતા અને અપીલ રહેતી કે પરિવારના જુદાંજદાં વયજૂથના તમામ સભ્યો તેને સાથે બેસીને માણી શકતા હતા.



સફળતાની આ એ રેસિપી આવનારાં વર્ષોમાં આસિત મોદીની સિગ્નેચર ફોર્મ્યુલા બની જવાની હતી!



આ રીતે રોપાયું સિરિયલનું બીજ!



‘હમ સબ એક હૈં’ માટે જતિન કાણકિયાનો અપ્રોચ કરવામાં આવેલા ત્યારે તેમણે આસિત મોદીને જણાવેલુંઃ આસિત, મને સુરતના એક પ્રોડ્યુસર તરફથી ઓફર આવી હતી. મહેશ વકીલ એમનું નામ. મજાના માણસ છે. તારક મહેતાના ટપુડા પરથી ‘લો કર લો બાત!’ નામની સિરિયલ બનાવવા માગે છે. મને જેઠાલાલનો રોલ ઓફર થયો, જે મેં સ્વીકારી લીધો છે. હજુ તો જોકે પાઈલટ સહિતના ત્રણ એપિસોડ માંડ શૂટ થયા છે. સિરિયલ હજુ અપ્રુવ થઈ નથી. એ લોકો અત્યારે ચેનલો સાથે માથાકૂટમાં જ પડ્યા છે.

‘હમ સબ એક હૈં’નું શૂટિંગ શરૂ થયું. જતિન કાણકિયા સાથે દોસ્તી એટલે ‘લો કર લો બાત!’ના સ્ટેટસ વિશ આસિત મોદીને અપડેટ મળતા રહે. સોની ચેનલ સાથે વાત આગળ વધી રહી છે એવી માહિતી મળી અને ત્યાર બાદ વાત પાછી અટકી પડી છે તેવા સમાચાર પણ મળ્યા. એક દિવસ જતિન કાણકિયાએ એક દિવસ આસિત મોદીને કહ્યુંઃ મહેશભાઈ બહુ સારા માણસ છે, પણ કોણ જાણે કેમ ચેનલ સાથે ક્મ્યુનિકેશન પ્રોબ્લેમ થઈ રહ્યા છે. એ સુરત-બેઝડ છે એટલે કદાચ આમ થતું હશે. આસિત, ‘લો કર લો બાત!’ એકચ્યુઅલી તારે ટેકઓવર કરી લેવી જોઈએ. તું મુંબઈમાં છો, અનુભવી છો, તું આખા મામલાને સારી રીતે હેન્ડલ કરી શકીશ...

૧૯૯૯માં જતિન કાણકિયાનું અણધાર્યુર્ અવસાન થઈ ગયું, પણ ત્યાં સુધીમાં આસિત મોદીના દિમાગમાં તારક મહેતાની હાસ્યલેખમાળા ‘દુનિયાને ઊંધાં ચશ્માં’ પરથી સિરિયલ બનાવી શકાય એવા આઈડિયાનું બીજ અભાનપણે રોપાઈ ગયું હતું!



૨૦૦૦ની સાલમાં સોની ચેનલે આસિત મોદીને નવી સિરિયલ બનાવવાની ઓફર મૂકી અને આ રીતે ‘યે દુનિયા હૈ રંગીન’ સિરિયલ બની. આ સિરિયલમાં એક રેસિડેન્શિયલ કોલોની છે, જેમાં જુદી જુદી ભાષા બોલતા અને રીતિરિવાજ પાળતા અનેક પરિવારો વસે છે. દિલીપ જોશી લુંગીધારી સાઉથ ઈન્ડિયન ક્લાસિકલ ડાન્સટીચર લંબુદ્રી બનેલા. અહીં પણ જુદાં જુદાં કિરદારો વચ્ચે દોસ્તી થાય છે, ઝઘડા થાય છે અને તેમાંથી રમૂજ ફૂટતી રહે છે. ‘તારક મહેતા કા ઊલટા ચશ્મા’ની જેમ જ. સ્વરૂપ અને કન્ટેન્ટની દષ્ટિએ ‘તારક મહેતા કા ઊલટા ચશ્માં’ને જો નવલકથા કહીએ તો ‘ યે દુનિયા હૈ રંગીન તેની પ્રસ્તાવના સમાન હતી. ‘દુનિયા હૈ રંગીન’ને ‘તારક મહેતા કા ઊલટા ચશ્મા’ માટેની નેટ પ્રેક્ટિસ કહો તો એ અતિશયોક્તિવાળું સત્ય ગણાય.



‘ફ્રેન્કલી, ‘યે દુનિયા હૈ રંગીન’ની પ્રેરણા મને ‘દુનિયાને ઊંધાં ચશ્માં’માથી મળી હતી,’ આસિત મોદી સ્વીકારે છે, ‘એમાં જોકે ટપુ ન હતો. સિરિયલ ઘણી જુદી હતી, પણ તેના પર ‘દુનિયાને ઊંધાં ચશ્માં’ની અસર જરૂર હતી.’



‘યે દુનિયા હૈ રંગીન’ સિરિયલ એક વર્ષ ચાલી, પણ તે પછી બાલાજી ટેલીફિલ્મ્સની ‘કયૂંકિ સાસ ભી કભી બહૂ થી’ની ગજબનાક સફળતાએ સાસબહૂ સિરિયલ્સનો જબરદસ્ત ટ્રેન્ડ જન્માવી દીધો અને કોમેડી સિરિયલોનો લગભગ એકડો નીકળી ગયો!



...અને આ તબક્કે આસિત મોદી તારક મહેતાની ‘દુનિયાને ઊંધાં ચશ્માં’ સફળ હાસ્યશ્રેણી પરથી સિરિયલ બનાવવાનો સૌથી પહેલી વાર ગંભીરતાપૂર્વક વિચાર કરે છેઃ ‘દુનિયાને ઊંધાં ચશ્માં’ જેવું જબરદસ્ત દમદાર સર્જન હજુ સુધી વણખેડાયેલું અને ટેલીવિઝનના માધ્યમથી જોજનો દૂર રહ્યું છે. તેના પરથી સિરિયલ બનાવવાની એકવાર કોશિશ થઈ હતી, પણ તે સફળ ન થઈ... પણ હવે હું આના પરથી સિરિયલ બનાવવાની કોશિશ કેમ ન કરી શકું?



સિરિયલનું સગપણ અને ચેનલોનું ચલકચલાણું



‘ફ્રેેન્કલી, હું તારક મહેતાને પહેલી વાર મળવા અમદાવાદ જવા રવાના થયો ત્યારે અંદરથી બિલકુલ પોઝિટિવ નહોતો...’ આસિત મોદી કહે છે, ‘પણ અંદરખાને હું જેટલો અસ્થિર હતો તેટલાં જ તારકભાઈ, મહેશભાઈ અને ઈન્દુબહેન સ્વસ્થ હતાં.’



પણ ધીમે ધીમે આસિત મોદીની આશંકા અને ડર ઓગળવા માંડ્યા. તારક મહેતાનું વ્યક્તિત્ત્વ જ એટલું હુંફાળું અને હળવુંફુલ છે કે સામેની વ્યક્તિને તેનો ચેપ લાગ્યા વગર રહે જ નહીં. આસિત મોદી ધીરે ધીરે ખૂલવા લાગ્યા. ઘણી વાતો થઈ. મિટીંગ સરસ રીતે આગળ વધી રહી હતી. તારક મહેતા, ઈન્દુબહેન અને મહેશ વકીલ ત્રણેયને એક વાતની પ્રતીતિ એક સાથે થઈ રહી હતીઃ આ માણસ છે તો જેન્યુઈન અને ડાઈનટુઅર્થ. ગ્લેમરની દુનિયામાં આટલાં વર્ષોથી છે પણ એનામાં છીછરાપણું પ્રવેશ્યું લાગતું નથી. એની સાથે સંધાન થઈ શકે છે. સૌથી મહત્ત્વનું તો એ કે, ‘દુનિયાને ઊંધાં ચશ્માં’નાં પાત્રોનો એ પ્રેમી છે. આ પાત્રસૃષ્ટિનું મૂલ્ય તે સમજે છે.



થોડા સમય પછી બીજી મિટીંગમા ટર્મ્સ અને કંડીશન્સ નક્કી થયાં. આસિત મોદીએ એ જ વખતે તારક મહેતાને ટોકન સુપરત કરીને કહ્યુંઃ આ સિરિયલ ક્યારે ઓનએર થશે તેના વિશે આ ઘડીએ મને કશી ખબર નથી, પણ વર્ષદોઢ વર્ષ રાહ જોવી પડશે...

મહેતાસાહેબ પરિવારના વરિષ્ઠ સદસ્યની માફક સ્થિર હતા. મહેશ વકીલની માનસિક અવસ્થા સગાઈ થયેલી કન્યાના જવાબદાર મોટા ભાઈ જેવી હતી. ઠેકાણું તો સારું મળ્યું છે, પણ બધું બરાબર તો થશે ને? ઈન્દુબહેન વિચારી રહ્યાં હતાં, એ તો નીવડ્યે વખાણ! ...અને આસિત મોદી આનંદ અને ઉચાટ બણે એકસાથે અનુભવી રહ્યા હતા.



આ તો માત્ર સગાઈ થઈ હતી. સગાઈ અને લગન્ વચ્ચેનું લાંબુ અંતર કાપવાનું હજુ બાકી હતું!



‘દુનિયાને ઊંધાં ચશ્માં’ લેખમાળાના સ્વરૂપાંતરણ વિશેની માનસિક પ્રક્રિયા ચાલી રહી હતી તે દરમિયાન આસિત મોદીને સોની ટેલિવિઝન તરફથી ફરી સિરિયલ બનાવવાની ઓફર મળી. આ સિરિયલ એટલે ‘મેરી બીવી વંડરફુલ’. આમ, નીલા ટેલિફિલ્મ્સની લાગલગાટ ત્રીજી વીક્લી સિરિયલ સોની પર ટેલિકાસ્ટ થઈ, જે ૨૦૦૩માં પૂરી થઈ. બસ, હવે ‘દુનિયાને ઊંધાં ચશ્માં’ને ટીવી પર અવતારવાનો વારો આવી ગયો હતો, પણ તે પહેલાં નીલા ટેલિફિલ્મ્સની ઓર એક સિરિયલે ઓવરટેક કર્યુર્. સ્ટાર પ્લસ પર સપ્ટેમ્બર ૨૦૦૪માં આફ્ટરનૂન સ્લોટમાં ‘સારથિ’નું ટેલિકાસ્ટ શરૂ થયું. અલબત્ત, ‘દુનિયાને ઊંધાં ચશ્માં’ માટે ચેનલોના સાહેબનો સામે પ્રેઝન્ટેશન આપવાની કવાયત તો ક્યારથી પૂરજોશમાં ચાલી રહી હતી. સોની, સબ, ડિઝની ચેનલ, નાઈન એક્સ, સહારા, સ્ટાર વન... વાત ક્યાંય જામતી નહોતી. ૨૦૦૧ના ઉત્તરાર્ધમાં તારક મહેતા સાથે પહેલી વાર મુલાકાત થઈ હતી અને ‘દુનિયાને ઊંધાં ચશ્માં’ના અધિકારો મેળવ્યા પછી સાતેક જેટલી ચેનલો વચ્ચે નોનસ્ટોપ ચલકચલાણું રમાયું, કેટેકેટલાં પ્રેઝન્ટેશન્સ થઈ, ગણી ગણાય નહીં એટલી મિટીંગ્સ યોજાઈ... હાસ્ય લેખમાળાના અધિકારોથી શરૂ થઈને ચેનલના અપ્રુવલ સુધીની સફર સાતસાત વર્ષ સુધી લંબાઈ જશે એવી તો કલ્પનાય ક્યાંથી હોય? આખરે ૨૦૦૮માં સબ ટીવીએ ગ્રાીન સિગ્નલ દેખાડ્યું.



ફિલ્મસિટીમાં ગોકુલધામ સોસાયટીનો ભવ્ય સેટ ઊભો થાય છે. ઈન્ટિરીયરનાં દશ્યો માટે કાંદિવલીની એક સ્કૂલના આખા ફ્લોર પર સેટ તૈયાર કરવામાં આવે છે. શૂટિંગ પૂરજોશમાં શરૂ થાય છે. છ એપિસોડ્સ એડિટ થઈને રેડી થાય છે ત્યાં સુધીમાં તો સિરિયલ ટેલિકાસ્ટ થવાનો દિવસ આવી જાય છે ૨૮ જુલાઈ ૨૦૦૮, સોમવાર.



‘ઊધાં ચશ્માં’ પર કલંક?



‘તારક મહેતા કા ઊલટા ચશ્મા’નો પહેલા જ એપિસોડમાં એક ડ્રીમ સિકવન્સથી છે. જેઠાલાલ કઠેડામાં ખડા છે અને વિરુદ્ધ છાવણીમાં આખી સોસાયટી છે.



‘ચિત્રલેખા’માં છપાતી હાસ્યલેખમાળાથી પરિચિત મોટા ભાગના ગુજરાતી ઓડિયન્સને આંચકો લાગે છે. આ ‘દુનિયાને ઊંધા ચશ્માં’ છે? પાઉડર ગલીના માળાને બદલે આ બધા કોર્ટમાં શું કરે છે? તારક મહતા તોફાની ટપુડા વિશે કેટલું બધું લખે છે, પણ સિરિયલમાં બાળકો તો દેખાતાં જ નથી. ગુજરાતી વર્ગ પહેલા એપિસોડ સાથે સંધાન કરી શકતો નથી. નોનગુજરાતી દર્શકો પાસે સરખામણી કરવા માટે લેખમાળાનો સંદર્ભ નથી તે ખરેખર તો સારું છે. તેમના માટે આ તમામ પાત્રો તદ્દન નવાં છે, પણ સમગ્રાપણે પહેલો એપિસોડ નિષ્પ્રાણ પૂરવાર થાય છે...



પહેલા અઠવાડિયાના ચાર એપિસોડ પછી કહેવાતા મિત્રો અને હિતશત્રુઓ મૂછમાં મલકીને ચુકાદો આપી દે છેઃ સિરિયલમાં દમ નથી. જોઈએ, કેટલી ચાલે છે!



ઓડિયન્સ તરફથી મિશ્ર પ્રતિભાવ મળી રહ્યા છે. આ મિશ્રણમાં જોકે સારા પ્રતિભાવ કરતાં ખરાબ પ્રતિભાવનું પ્રમાણ વધારે છે. આસિત મોદી નેગેટિવ ફીડબેક પછી પણ શાંત છે. તેમણે આવી જ અપેક્ષા રાખી હતી. ‘તારક મહેતા...’ની ક્રિયેટિવ ટીમ વચ્ચે સતત ચર્ચા થયા કરે છે. જેઠાલાલનું કિરદાર નિભાવી રહેલા દિલીપ જોષી એક્ટર હોવા ઉપરાંત હાર્ડકોર વ્યુઅર પણ છે. તેઓ સ્પષ્ટપણે કહે છે, ‘‘ચિત્રલેખા’માં તારક મહેતાને વાંચતી વખતે મજાની જે ફીલિંગ આવે છે તે એપિસોડ્સ જોઈને નથી જ આવતી.’



જો દિલીપ જોષીને ખુદને આવી લાગણી થતી હોય તો વર્ષોથી ‘દુનિયાને ઊંધાં ચશ્માં’ વાંચતા અને તેના પાત્રોને ભરપૂર પ્રેમ કરનારાઓની મનઃસ્થિતિ કેવી હશે?



ત્રીજો એપિસોડ ટેલિકાસ્ટ થતાં જ ‘ચિત્રલેખા’ની ઓફિસ પર સિરિયલને ગાળો આપતા ફોનકોલ્સ, ઈમેલ્સ અને પત્રોનો વરસાદ વરસવાની શરૂઆત થઈ જાય છે. આમાંના મોટા ભાગના વાચકોએ એવું જ માની લીધું છે કે સિરિયલ ચિત્રલેખા ગ્રુપે પ્રોડ્યુસ કરી છે! વાંચકોનો સૂર એક જ છેઃ આ તમે શું કરવા બેઠા છો ટીવી પર? આટલી સફળ હાસ્યલેખમાળાની આવી હાલત કરી નાખી? અમે આટલાં વર્ષોથી ટપુડાને વાંચીએ છીએ, અમારા મનમાં ચોક્કસ ચિત્ર હતું આ તમામ પાત્રોનું, પણ સિરિયલે ધડ્ દઈને ઈમેજ તોડી નાખી. સિરિયલ જોયા પછી અમને ‘ચિત્રલેખા’માં હાસ્યલેખ વાંચવાની ય મજા નહીં આવે. મહેરબાની કરીને બંધ કરો આ સિરિયલ!



‘ચિત્રલેખા’ પર આવતા પત્રો અને ઈમેલ્સના પ્રવાહને તંત્રી ભરત ઘેલાણી નીલા ટેલિફિલ્મ્સ અને અમદાવાદ તારક મહેતાના ઘરે એમ બણે દિશામાં ડાયવર્ટ કરે છે. આસિત મોદી અને તારક મહેતા બણે તમામ પત્રો તેમજ ઈમેઈલ ધ્યાનપૂર્વક વાંચે છે. જે વાચકવર્ગને પોતે દાયકાઓથી પોષ્યો છે અને જેમનો અપાર પ્રેમ સતત મળતો રહ્યો છે તેમની નારાજગી તારક મહેતાને અસ્વસ્થ કરી મૂકે છે.



રોષે ભરાયેલો એક વાંચક હદ કરી નાખે છે. તે કાગળમાં લખે છેઃ સબ ટીવીએ શરૂ કરેલી આ સિરિયલ તો ‘દુનિયાને ઊંધા ચશ્માં’ પર કલંક સમાન છે...



કોઈ પણ સર્જકને આત્યંતિક ભાષામાં વ્યક્ત થયેલી આવી પ્રતિક્રિયા અસહ્ય લાગે. તારક મહેતા વ્યથિત થઈને ‘ચિત્રલેખા’ની ઓફિસે ફોન જોડે છે. ‘ભરત...’ તેઓ વ્યગ્ર સ્વરે કહે છે, ‘જાતી જિંદગીએ ટપુડો મને બદનામ ન કરી નાખે તો સારું...’



ટર્નંિગ પોઈન્ટ


Entire TMKOC team at Tarak Mehta's home


કોઈ પણ પ્રોડ્યુસરને વિચલિત કરી દે તેવી આકરી આ ટિપ્પણી છે. આસિત મોદીને ‘ચિત્રલેખા’ના વાચકોની ગાળો અને આ ભાષા વસમી જરૂર લાગે છે, પણ તેઓ અસ્થિર થતા નથી.તેમણે નિર્માતા તરીકે પોતાનો પોઝિટિવ એટિટ્યુડ અને આત્મવિશ્વાસ અકબંધ રાખ્યા છે. દસેય દિશાઓમાંથી મળી રહેલા એકેએક પ્રતિક્રિયામાંથી એ અને તેમની ટીમ કંઈકને કંઈક શીખી રહ્યા છે.

લોકોને કેમ આવું લાગે છે? એવી કઈ ભુલો છે જે આપણા ધ્યાન બહાર રહી ગઈ હતી?



આસિત મોદી અનુભવે સમજ્યા છે કે કોઈ પણ સિરિયલ લોન્ચ થતાંની સાથે રાતોરાત હિટ થઈ જતી નથી, તેને સ્વીકૃતિના સ્તર સુધી પહોંચવામાં થોડો સમય તો લાગે છે. તેમને લાગે છે કે તારકભાઈની મૂળ વસ્તુમાં ભરપૂર હ્યુમર છે, તેથી સિરિયલમાં હ્યુમર આવવું તો જોઈએ જ. સિરિયલમાં માહોલને મોડર્નાઈઝ કરીએ કે ગમે તે કરીએ, ઓડિયન્સને હસવું આવે તે અગત્યનું છે. એક વાર હાસ્યનું આવરણ ‘ક્રેક’ થઈ જાય એટલે ગંગા નાહ્યા, પછી બીજું બધું તો મેનેજેબલ છે...



... અને હાસ્યનું કપરું આવરણ ‘ક્રેક’ થાય છે ચંપકલાલની એન્ટ્રીથી.



ચંપકલાલના મુંબઈગમનનો વાર્તાપ્રવાહ સરસ રીતે ડિફાઈન થયેલો છે. આ સિકવન્સમાં બે મહત્ત્વનાં એલીમેન્ટ્સ પણ ઈન્ટ્રોડ્યુસ થયાં છે જે બહુ નજીકના ભવિષ્યમાં હિટ આઈટમ બની જવાનાં છે દયાનું ‘હે મા... માતાજી!’ અને તેની ગરબા કરવાની અજબ શૈલી. ટૂંકમાં, ચંપકલાલની એન્ટ્રીવાળા એપિસોડ્સમાં હ્યુમરનો નિશ્ચિત સૂર પકડાયો છે.



યેસ્સ... ધીસ ઈઝ ઈટ! તો આપણે આ રીતે વાર્તા કહેવાની છે! આસિત મોદી અને તેમની ક્રિયેટિવ ટીમની આંખ સામેના અસ્પષ્ટતાના વાદળ હટવાની શરૂઆત થઈ ચૂકી છે.

૨૩ ઓગસ્ટ ૨૦૦૮. આ તારીખે જન્માષ્ટમી છે. જનમાષ્ટમીવાળો એપિસોડ ટીવી પર ટેલિકાસ્ટ થયા પછી આસિત મોદી તારકભાઈનો અભિપ્રાય માગે છે.



‘એપિસોડ ખરેખર સારો હતો આસિત,’ તારક મહેતા કહે છે, ‘લેડીઝ લોકો મટકી ફોડે છે અને એ બધું જોવાની મજા આવે એવું હતું, પણ બધો મસાલો એકમાં જ કેમ વાપરી નાખ્યો?’



‘એટલે? હું સમજ્યો નહીં તારકભાઈ...’



‘એટલે એમ કે તારી પાસે સારો વિષય હતો, સારું મટિરિયલ હતું તો તે બધું એક જ એપિસોડમાં કેમ વણી લીધું? પ્રસંગોને વધારે બહેલાવીને એકને બદલે બે એપિસોડ કર્યા હોત તો વધારે મજા આવત...’



તારકભાઈએ સાવ સીધાસાદા શબ્દોમાં સો ટચના સોના જેવી વાત કહી દીધી છે. વાર્તા ઉતાવળે કહી દેવાની ન હોય, તેને બહેલાવવાની હોય, વધારે એક્સાઈટિંગ બનાવવાની હોય. રમૂજનો ખજાનો એકસામટો ખુલ્લો નહીં મૂકી દેવાનો, બલકે તેને હળવે હળવે ખર્ચવાનો. વાર્તા ભલે ખેંચાય, પણ સ્ક્રીનપ્લે પણ વધારે મહેનત કરવાની, તેને વધારે એક્સાઈટિંગ બનાવવાનો! ચંપકલાલની એન્ટ્રીવાળી સિકવન્સથી વાર્તાને રમૂજી રીતે શી રીતે કહેવી તેની રીત સમજાઈ હતી. આજે તારકભાઈની વાત સાંભળીને વાર્તાને કેવી રીતે બહેલાવવી તે સમજાયું!



એ જ વખતે સોની ટેલિઝિનના વડા એન.પી. સિંહનો એસએમએસ આવે છેઃ સુપર્બ જન્માષ્ટમી એપિસોડ... વેલડન!



સિંહસાહેબ જેન્યુઈન માણસ છે, તેઓ ક્યારેય કશુંય અમસ્તા કે કહેવા ખાતર નહીં કહે. પહેલાં તારકભાઈના સ્વીકૃતિભર્યા શબ્દો અને હવે એન.પી. સિંહનો આવો ઉત્સાહજનક મેસેજ.. જાણે પોતે પરીક્ષામાં પાસ થઈ ગયા હોય તેવી નક્કર લાગણી આસિત મોદીના મસ્તિષ્કમાં જાગે છે. જી હાં, પપ્પુ શાયદ પાસ હો ગયા... સિરિયલ લોન્ચ થઈ તેના એક મહિના પછી, ફાયનલી!



શાનદાર શતક ઃ સ્ટાર્સ આર બોર્ન!


Celebration Time...


૫ ફેબ્રુઆરી ૨૦૦૯. સ્થળ ક્લબ મિલેનિયમ, જુહુ. અવસર છે, ‘તારક મહેતા કા ઊલટા ચશ્મા’ના ૧૦૦ એપિસોડ્સનું ગ્રેન્ડ સેલિબ્રેશન.



સિરિયલનો સૌથી પહેલો એપિસોડ ટેલીકાસ્ટ થયો હતો ત્યારે આ જ રીતે સેલિબ્રેશન થયું હતું અને સૌએ સાથે મળીને અવસર ઉજવ્યો હતો. તે વખતે, ખેર, ઉમંગની સાથે ઉચાટ પણ હતો પણ આજની ભાવસ્થિતિ જુદી છે. આજે ઉચાટનું સ્થાન આત્મવિશ્વાસે લઈ લીધું છે. આંખોની ચમક વધી છે. સ્મિત વધારે પહોળા થયા છે. ટેલીવિઝન ઈન્ડસ્ટ્રીના કેટલાય જાણીતા ચહેરા આમતેમ ઘુમી રહ્યા છે, હસીને વાતો કરી રહ્યા છે, ઘ્રુજારીદાર સંગીતના તાલે ઝુમી રહ્યા છે. મિડીયા તેના રસાલા સાથે ઉપસ્થિત છે. ચારે બાજુ ફ્લેશ લાઈટ્સની છોકમછોળ છે. ‘તારક મહેતા....’ના આર્ટિસ્ટોને આજે જુદી રીતે કેમેરાનો સામનો કરી રહ્યા છે. સામે માઈક લઈને ઊભેલા ટીવી રિપોર્ટરો સાથે વાત કરવામાં તેમને મોજ પડી રહી છે.



તારક મહેતા પોતાના વરિષ્ઠ પત્રકાર મિત્ર કાન્તિ ભટ્ટ સાથે સોફા પર બિરાજીને સંતુષ્ટ નજરે માહોલને નિહાળી રહ્યા છે. મહેમાનો સાથે હળતીભળતી વખતે અને મિડીયા સાથે વાતો કરતી વખતે પણ આસિત મોદીનું ધ્યાન તારક મહેતા પરથી હટતું નથી. તેઓ જુએ છે કે તારક મહેતા ખુશ છે. આ જ તો સૌથી મોટી સફળતા છે...



એક ઉજવણી તો રંગેચંગે પાર પડી. હજુ બીજી ઉજવણી બાકી છે. આસિત મોદીને ઈન્દુબહેનનો ફોન આવે છે, ‘મહેતાનો ૮૦મો જન્મદિવસ આવી રહ્યો છે. નવભારતવાળા આ નિમિત્તે મહેતાના ૮૦ પુસ્તકો એકસાથે બહાર પાડવાના છે. અમેરિકાથી ઈશાની અને ચંદ્ર (દીકરીજમાઈ) પણ આવી રહ્યાં છે. વિમોચન નરેન્દ્ર મોદીના હાથે થશે, જો એમનું શેડ્યુલ બરાબર ગોઠવાશે તો. આસિત, મને લાગે છે કે આ પ્રસંગ આપણે યાદગાર બનાવવો જોઈએ. તમે સિરિયલની ટીમ લઈને અમદાવાદ આવો તો કેવું?’



ઉત્તમ!



અમદાવાદ પહોંચીને ‘તારક મહેતા કા ઉલટા ચશ્મા’ ટીમ પ્રેસ કોન્ફરન્સને સંબોધે છે અને બીજે દિવસે એટલે કે ૧ માર્ચ ૨૦૦૯ના રોજ ટાઉન હોલમાં પુસ્તક વિમોચનનો કાર્યક્રમ છે. આ જ કાર્યક્રમમાં પ્રવચનો ઉપરાંત નાટક પણ પર્ફોર્મ થવાનું છે. રવિવારની સવારે સિરિયલની ટીમ ટાઉન હોલ પહોંચે છે ત્યારે માનવમેદની જોઈને છક્ક થઈ જાય છે. ચીફ મિનિસ્ટર આવવાના છે એટલે સિક્યોરિટીનો જડબેસલાક બંદોબસ્ત કરવામાં આવ્યો છે. લગભગ બારસો સીટ્સની ક્ષમતા ધરાવતું ઓડિટોરિયમ પેક થઈ ગયું છે, લોકો ચાલવાની જ્ગ્યા પર, પગથિયે કે જ્યાં જગ્યા મળે ત્યાં ખીચોખીચ ઊભા રહી ગયા છે છતાં બીજા કેટલાય માણસ અંદર આવવા પડાપડી કરી રહ્યા છે. ટીમના સભ્યો તો પાછલા દરવાજેથી ગ્રીન રૂમમાં પહોંચી ગયા, પણ તારક મહેતા મુખ્ય એન્ટ્રેન્સ પાસે ભીડમાં અટવાઈ ગયા છે. પપ્પાનો હાથ પકડીને ઊભેલાં ઈશાની શાહે મોટે અવાજે બોલવું પડે છે, ‘અરે આ તારક મહેતા પોતે છે, આ ફંકશન જેમના માટે યોજાયું છે એ લેખક... અમને તો અંદર જવા દો!’



હકડેઠઠ જમા થયેલી જનતાનો પ્રતિસાદ ગજબનાક છે. અમદાવાદની જનતા પોતાનાં પ્રિય પ્રાત્રોને જીવતાજાગતાં, પોતાની આંખોની સામ નિહાળીને ઉન્માદ અનુભવી રહ્યા છે. કાર્યક્રમના ઉત્તરાર્ધમાં નાટક રજૂ થાય છે, જેમાં સિરિયલના બધા જ કલાકારોએ ભાગ લીધો છે.



નરેન્દ્ર મોદી થોડી વહેલી વિદાય લઈ લે છે. તે સાથે સલામતી વ્યવસ્થા માટે રચાયેલા અભેદ્ય કોઠા ગાયબ થઈ જાય છે અને લોકોએ અત્યાર સુધી જાળવી રાખેલો સંયમ તૂટે છે. કાર્યક્રમ પૂરો ઘોષિત થતાં જ જાણે ગાડુંતૂર પૂર આવ્યું હોય તેમ લોકોનાં ટોળાં અદાકારોને ઘરી વળે છે. કોઈને હાથ મિલાવવા છે, કોઈને ઓટોગ્રાફ લેવો છે, કોઈને તેમની સાથે ફોટો પડાવવા છે તો કોઈને માત્ર તેમને નજીકથી જોવા છે, સ્પર્શવા છે. આ બિલકુલ અણધાર્યું છે. આ ઉન્માદ અકલ્પ્ય છે. આવા પ્રતિસાદની અપેક્ષા કોઈએ નહોતી રાખી.



એક વાત આજે સૌને સમજાઈ ગઈ છે ઃ સલામતીના પાક્કા બંદોબસ્ત વગર હવે ‘તારક મહેતા કા ઉલટા ચશ્મા’ના આર્ટિસ્ટો માટે જાહેરમાં આવવું મુશ્કેલ છે. એક હકીકત આજે સ્ફોટ સાથે ઊછળીને સપાટી પર આવી ગઈ છે ઃ માત્ર સાત જ મહિનામાં આ સિરિયલના કલાકારો સ્ટાર બની ગયા છે. સિનિયર એક્ટરોથી માંડીને બાળકલાકારો સુધીના બધા જ!



...અને એક પ્રતીતિ આ સમગ્ર ઘટનાક્રમના હિસ્સેદાર બનેલા તારક મહેતા નક્કરપણે થઈ રહી છે આસિતને મારી લેખમાળા પરથી સિરિયલ બનાવવાના રાઈટ્સ આપીને મેં કોઈ ભુલ કરી નથી!



અને હવે...



સુપર સક્સેસફુલ ‘તારક મહેતા કા ઉલટા ચશ્મા’ સિરિયલ હવે તો ૭૦૦ એપિસોડ્સનો આંકડો વટાવી ચૂકી છે અને હજુય પહેલાં જેટલી જ હોટએન્ડહેપનિંગ છે. સફળતા તો ઘણી સિરિયલોને મળે છે, પણ ‘તારક મહેતા કા ઉલટા ચશ્મા’ને મળ્યો છે એવો જનતાનો ચિક્કાર પ્રેમ બહુ ઓછી સિરિયલના નસીબમાં લખાયેલો હોય છે....

0 0 0











Sunday, October 31, 2010

દિશા વાકાણીઃ દમદાર દયાભાભી

અહા! જિંદગી’ નવેમ્બર ૨૦૧૦માં પ્રકાશિત





કોલમઃ ફલક





એની લાઉડ કોમેડી તો તમે જોઈ, પણ આ અભિનય પાછળ છૂપાયેલી સુક્ષ્મ અને દીર્ઘ સાધના વિશે તમે કેટલું જાણો છો?



(શિશિર રામાવતના  ટૂંક સમયમાં પ્રકાશિત થનારા પુસ્તકમાંથી  )


ટીવી સ્ક્રીન પર દયાભાભીને જોઈને તમે ખૂબ હસો છો. શક્ય છે કે તમે દિશા વાકાણીને અસલી જીવનમાં મળો અને જો એ પૂરેપૂરાં મૂડમાં હોય તો તમે અનેકગણું વધારે હસો. દિશાની સેન્સઓફહ્યુમર માત્ર કેમેરા સામે કે મંચ પર અભિનય કરવા પૂરતી સીમિત નથી, રિયલ લાઈફમાં પણ તે હસાવીહસાવીને લોકોનાં પેટ અને જડબાં બણે દુખાડી શકે છે!

પડદા પરની દયાભાભી અને તેને સાકાર કરતી દિશા વાકાણીમાં એક આકર્ષક સામ્ય છે. બણેનાં વ્યક્તિત્વમાં કમાલની સરળતા છે. દયા લગભગ ભોટ કહી શકાય એટલી હદે ભોળી છે, તો દિશાના આંટીઘૂંટી વગરના વ્યક્તિત્વમાં તમને ક્યાંય આંટીઘૂંટી જોવા ન મળે. ‘તારક મહેતા કા ઊલટા ચશ્માં’ની સુપર કામિયાબીએ દિશાને સેલિબ્રિટી સ્ટેટસ આપ્યું છે, અપાર લોકપ્રિયતા આપી છે, એને ઘરેઘરમાં જાણીતી કરી દીધી છે, પણ આ હકીકતની ગરમી દિશાની સૌમ્ય પર્સનાલિટીને સ્પર્શી શકી નથી.



મોરનાં ઇંડાં


Disha Vakani (photograph by Moneesh Kumar)
 દિલીપ જોષીના સ્તરના એક્ટર સાથે સોલિડ જોડી બનાવીને કોમિક પર્ફોર્મન્સમાં તેમને મજબૂત ટક્કર આપવી આસાન નથી જ! ખેર, અભિનય તો દિશા વાકાણીના લોહીમાં વહે છે. તેના પિતા ભીમ વાકાણી વર્ષોથી અભિનેતા તરીકે સક્રિય છે અને રંગભૂમિ, ટેલિવિઝન તેમ જ સિનેમા આ ત્રણેય માધ્યમોમાં ખેડાણ કરી ચૂક્યા છે. અમદાવાદમાં વાકાણી થિયેટર્સના બેનર હેઠળ તેઓ નાટકો પ્રોડ્યુસ કરે, ડિરેક્ટ કરે અને તેમાં અભિનય પણ કરે. પપ્પાનાં દિગ્દર્શન હેઠળ ‘મંગળફેરા’, ‘પહેલો સગો’ જેવાં નાટકોમાં દિશાએ બાળકલાકાર તરીકે નાનીનાની ભૂમિકાઓ ભજવી હતી.

‘મને યાદ છે, રિહર્સલ્સ અને શોઝ દરમિયાન સિનિયર અભિનેત્રીઓ મારા ગાલ ખેંચીને પપ્પાને કહેતી કે ભીમભાઈ, તમારી ઈનહાઉસ હીરોઈન તૈયાર થઈ રહી છે, હોં! મને ત્યારે ‘હીરોઈન’ શબ્દનો અર્થ શો થાય છે એની ખબર ન પડતી પણ મને લાગે છે કે મોટાં થઈને મારે એકટ્રેસ બનવું છે તેવી ઈચ્છાનાં બીજ સિનિયર અભિનેત્રીઓની આ કમેન્ટ સાંભળી સાંભળીને જ રોપાયાં હશે!’ દિશા કહે છે.

નાનકડી દિશા નાટકોની સાથે ગુજરાતી સિરિયલોમાં પણ કામ કરે. ઈસરો પર તે વખતે ‘ખજાનો’ નામની સિરિયલ આવતી. અફઝલ સુબેદાર તેના ડિરેક્ટર. ભરત દવેનાં નિર્દેશનમાં બનેલી ‘માબાપ થવું આકરું’માં દિશાએ મજાની ભૂમિકા ભજવી હતી. દિશા કરતાં ત્રણ વર્ષ મોટો ભાઈ મયૂર જે ‘તારક મહેતા કા ઊલટા ચશ્માં’ સિરિયલમાં એના અમદાવાદી ભાઈ સુંદરનું કિરદાર નિભાવે છે તે પણ આ નાટકો અને સિરિયલોમાં હોય.

દિશા કહે છે, ‘પપ્પા સાથે છકડામાં ગુજરાતના ગામેગામ ફરીને ‘દારૂ છોડો’ અને ‘બેટી બચાઓ’ જેવા જનજાગૃતિ ફેલાવતા પ્રચારાત્મક શોઝ ઘણા કર્યા છે. સ્વ. શોભન વૈદ્યે લખેલા ‘દુશ્મન’ નામના નાટકના પણ ઘણા શોઝ કર્યા છે. લોકો નીચે જમીન પર બેઠા હોય, કોઈ ઘરના છાપરે ચડીને જોતું હોય. નાટક એ નાટક છે, પછી એ ઓડિટોરિયમમાં ભજવાય કે ખુલ્લામાં ભજવાય. ગામડાંનું આ એક્સપોઝર મને એકટ્રેસ તરીકે ખૂબ કામ આવ્યું.’

નાનપણમાં દિશા સ્વભાવે શરમાળ (ઈન ફેક્ટ, હજુય તેને નવી વ્યક્તિઓ સાથે હળતાભળતા સમય તો લાગે જ છે!), પણ નાટકો અને ગુજરાતી સિરિયલોમાં કામ કરવાને લીધે એનામાં એક પ્રકારનો આત્મવિશ્વાસ ઘડાતો ગયો. અમદાવાદના સેટેલાઈટ વિસ્તારમાં રહેતી દિશા સિદ્ધાર્થ હાઈસ્કૂલમાં ભણે. આ સ્કૂલનો પ્લસ પોઈન્ટ એ હતો કે કલાકાર હોવાથી રજાઓ જોઈએ એટલી મળી રહેતી! દિશા સ્ટુડન્ટ તરીકે ભણેશરી તો નહીં, પણ પરીક્ષામાં પાસ જરૂર થઈ જાય. કાગળ પર પેઈન્ટિંગ કરવાનું હોય કે કૂંજા પર ડ્રોઇંગ કરવાનું હોય ચિત્રકામમાં દિશાને વિશેષ રસ પડે. દિશાને ચિત્રકામમાં વિશેષ રસ પડવાનું કારણ એ હતું કે પપ્પા અમદાવાદની ઉણતિ વિદ્યાલયમાં ડ્રોઇંગ ટીચર હતા. વાકાણી ફેમિલીના સાતેક સભ્યો ફાઈન આર્ટ્સનું ભણ્યા છે. સ્કૂલમાં ફેન્સી ડ્રેસ કોમ્પિટિશન યોજાય ત્યારે દિશા શકુંતલા અને જોકર જેવાં પાત્રોનાં વેશ કાઢે. કોમ્પિટિશનમાં નંબર આવે એટલે સ્ટીલની નાનકડી પ્લેટ કે એવું કંઈક ઈનામમાં મળે. આ જ વર્ષોમાં એક વાર પપ્પાના કહેવાથી નામદેવ લહુટેની એક્ટિંગ વર્કશોપ પણ અટેન્ડ કરેલી. નામદેવ લહુટે એટલે એ જ અભિનયગુરુ જેમની પાસે દિલીપ જોષીએ નાનપણમાં ત્રણ વર્ષ ટ્રેનિંગ લીઘી હતી!

‘અમારા માટે વેકેશન એટલે પપ્પા સાથે નાટકો કરવાનાં!’ દિશા કહે છે, ‘એમાં અમને મજા પણ આવતી. નાટકોમાં વ્યસ્ત રહેવાને કારણે બહેનપણીઓ સાથે મિત્રતા ખાસ મેન્ટેઈન ન થતી. પપ્પાની હું ખૂબ લાડકી. મને યાદ છે, એક વાર સ્કૂલમાં હોમ વર્ક નહોતું કર્યું એટલે ટીચર મને વઢેલા. મેં પપ્પાને ફરિયાદ કરી અને ચિઠ્ઠી લખી આપી. એમાં એવું કંઈક લખ્યું કે પછી એ ટીચરે મારી પાસેથી ક્યારેય હોમ વર્ક જ ન માગ્યું! મમ્મીનો સ્વભાવ સંતુલિત. એ બહુ ગુસ્સો ન કરી શકે.’



પ્રેક્ટિકલ પહેલાં, થિયરી પછી

બારમા ધોરણની પરીક્ષા આપ્યા પછી દિશાએ આઈએનટી (ઈન્ડિયન નેશનલ થિયેટર)નું ‘આઘાત’ નામનું નાટક કર્યું, જેનો શો અમદાવાદની એચ.કે. કોલેજ અને ઠાકોરભાઈ હોલ ઉપરાંત અન્ય સ્થળોએ પણ થયા હતા. તેમાં દિશાને શ્રેષ્ઠ અભિનય બદલ અવોર્ડ મળ્યો. દિશા કહે છે, ‘મારે એક્ટિંગની લાઈનમાં જ આગળ વધવું છે તેવી પ્રબળ ઈચ્છા આ ઘટના પછી જાગી. મેં અમદાવાદની ગુજરાત કોલેજના નાટ્યવિદ્યા વિભાગમાં ડિપ્લોમા કોર્સ માટે એડમિશન લીધું. નાનપણથી પપ્પા સાથે નાટકો કરતી હતી પણ નાટ્યશાસ્ત્રનું થિયેરિટિકલ નોલેજ મને ડ્રામા કોલેજમાંથી મળ્યું. ગ્રીક અને અન્ય નાટકો વિશે જાણ્યું, મંચનો કઈ રીતે સારામાં સારો ઉપયોગ કરવો તે વિશે જાણ્યું, મ્યુઝિક ઓપરેટ કરતાં શીખી. શ્રીકાંત સર, સાગર સર, કોઠારી સર વગેરે અમને ભણાવતા. અભિનયની આ પ્રકારની શાસ્ત્રીય તાલીમ ઘણી કામમાં આવે. એનાથી કોન્ફિડન્સ પણ વધે.’



Disha Vakani (photograp by Moneesh Kumar)
હું બહુ વિચારીવિચારીને અભિનય કરનારી નહીં, પણ સ્પોન્ટેનિયસ એક્ટ્રેસ છું. મંચ પર કે કેમેરા સામે અભિનય કરતી હોઉં ત્યારે અચાનક કશુંક આવી જાય કોઈક મુદ્રા, કોઈક જેશ્ચર, કોઈક એક્સપ્રેશન... એવું કશુંક જે મેં રિહર્સલ દરમિયાન ન કર્યું હોય અને તે આ રીતે આવશે તેની મને પણ કલ્પના ન હોય!’
  દિશા ડ્રામા કોલેજમાં ભણવાની સાથે કૌમુદિની લાખિયા પાસેથી કથક પણ શીખી. શાસ્ત્રીય નૃત્યની આ તાલીમ દોઢ વર્ષ ચાલી. અમદાવાદની સિરિયલોમાં નાનુંનાનું કામ પણ સમાંતરે થયા કરે. મુંબઈનાં નાટકો અમદાવાદમાં શોઝ કરવા આવે ત્યારે ઘણી વાર રિપ્લેસમેન્ટમાં સ્થાનિક કલાકારોની જરૂર પડે. આવી ભૂમિકાઓ ભજવવાના મોકા દિશાને મળતા રહે. ‘જેમ કે, સંજય ગોરડિયાના પ્રોડકશન અને હરિન ઠાકરના દિગ્દર્શનમાં બનેલા ‘દેરાણી જેઠાણી’ નાટકમાં મેં નર્સનો નાનો રોલ કરેલો,’ દિશા કહે છે. ‘આ નાટક પછી અમેરિકાની ટૂર પર ગયું ત્યારે મને એમાં દેરાણીનો રોલ આપવામાં આવેલો. મને થયેલું કે વાઉ... આપણને તો પ્રમોશન મળ્યંુ! ‘બા રિટાયર થાય છે’ નાટક અમદાવાદમાં રૂપા દિવેટિયા સાથે રિઓપન થયું ત્યારે હું એમની દીકરી બનેલી. કોલેજમાં મોહન રાકેશનું ‘અષાઢ કા એક દિન’ કરેલું, જેનું ડિરેકશન મયૂરભાઈએ કરેલં. મૌલિન મહેતાની ‘સંગાથ’ નામની સિરિયલ કરેલી, પ્રફૂલ ભાવસાર સાથે ‘ગંગુ’ નામની ડોક્યુમેન્ટરી કરેલી.ં ઉપરાંત, કોલેજમાં મેં ‘નેજવાની છાંય તળે’ નામનું નાટક ડિરેક્ટ પણ કરેલું.’

અમદાવાદની નાટ્યપ્રવૃત્તિની તુલનામાં મુંબઈની કમર્શિયલ રંગભૂમિ વધારે વિસ્તરેલી રહી છે. મુંબઈનાં નાટકો અમદાવાદની ટૂર પર આવે એટલે અખબારોમાં તેની જાહેરાતો છપાય, જેેમાં હીરોહીરોઈનની તસવીરો આકર્ષક રીતે મુકાયેલી હોય. દિશાની બસ આ એક જ દિલી તમન્નાઃ મારો ફોટો પણ આ રીતે નાટકની જાહેરાતોમાં છપાય તો કેવું સારું!



ચલો મુંબઈ!

ડ્રામા કોલેજના છેલ્લા વર્ષની પરીક્ષા શરૂ થાય તે પહેલાં જ દિશાએ ઘોષણા કરી દીધીઃ પપ્પા, મારે જવું છે, મુંબઈ....!

પપ્પાએ કહ્યુંઃ તું પહેલાં એક્ઝામ્સ આપ, પછી શાંતિથી વિચાર કે તારે આગળ શું કરવું છે...

દિશાએ ક્યાં ઝાઝું વિચારવાનું હતું? તેણે કહ્યુંઃ મેં વિચારી લીધું છે. મારે મુંબઈ જવું છે... ને તમેય ચાલો મારી સાથે!

‘તે વખતે હું વિચારી નહોતી શકતી કે પપ્પા માટે અમદાવાદ છોડીને મુંબઈ આવવાનો નિર્ણય કેટલો મોટો ગણાય!’ દિશા કહે છે, ‘મારે તો મારાં સપનાંને આગળ ધપાવવાં હતાં....અને પપ્પાને પણ નાટકો પ્રત્યેનો મારો આ લગાવ ગમતો હતો. મારા માટે પપ્પાએ સ્કૂલમાંથી ત્રણ વર્ષ વહેલું રિટાયરર્મેન્ટ લઈ લીધું. પપ્પાનો સપોર્ટ હતો તેથી મારા ઈરાદા વધારે મજબૂત બનતા હતા, મને બળ મળતું હતું...’

મમ્મી (તેઓ પણ સ્કૂલ ટીચર હતાં), એચકે કોલેજ અને ફાઈન આર્ટ્સ કોલેજ બણેમાં એકસાથે ભણી રહેલો ભાઈ મયૂર અને નાની બહેન ખુશાલી અમદાવાદ જ રહે અને દિશા પપ્પા સાથે માયાનગરીની અભિનયની દુનિયામાં નસીબ અજમાવે તેવો નિર્ણય લેવામાં આવ્યો.

... અને આમ દિશા વાકાણીએ આંખોમાં ખૂબ બધાં સપનાં આંજીને અમદાવાદને અલવિદા કહી મુંબઈપ્રવેશ કર્યો!



સ્ટ્રગલ ટાઈમ

‘હું મુંબઈમાં સેટલ થઈ રહી હતી ત્યારે ગોપી દેસાઈએ પણ મને ઘણી મદદ કરેલી. તેઓ ‘બાલદૂત’ નામની સિરિયલ ડિરેક્ટ કરી રહ્યાં હતાં. તેમાં મને રોલ આપેલો. તેમના કહેવાથી બાલાજી ટેલિફિલ્મ્સની ‘ઈતિહાસ’ નામની સિરિયલમાં પણ કામ મળ્યું હતું.

તમે મુંબઈ જેવા શહેરમાં સેટલ થવા માગતાં હો ત્યારે આ રીતે કામ મળતાં રહે અને તમારા બાયોડેટામાં આવાં કામ ઉમેરાતાં રહે તો તે ખૂબ ઉપયોગી પુરવાર થાય છે.’

ગોરેગાંવ વિસ્તારમાં ફ્લેટ ભાડે લઈને બાપદીકરીનું મુંબઈજીવન શરૂ કર્યુંં. સ્ટ્રગલની શરૂઆત અલબત્ત, નાટકોથી જ થઈ, પણ એમ ગુજરાતી રંગભૂમિ પર ‘હીરોઈન’ તરીકે આસાનીથી એન્ટ્રી થોડી મળે? ટીવી સિરિયલો માટે ઓડિશન્સ આપવાના પણ શરૂ કર્યાં.

દિશા કહે છે, ‘પપ્પાએ ખાસ મારા માટે ‘લગન્ કરવાં લાઈનમાં આવો’ નામનું નાટક પ્રોડ્યુસ કર્યું. આ કામ જોમખી હતું, પણ મારી કરીઅર બને તે માટે પપ્પાએ ખૂબ બધી તકલીફો વેઠીને પણ નાટક કર્યું.

‘લગ્ન કરવા લાઈનમાં આવો’ નાટકે એક મહત્ત્વનું કામ કર્યું દિશાની ગુજરાતી નાટકની હીરોઈન બનવાની અને અખબારોમાં છપાતી જાહેરાતોમાં પોતાનો ફોટોગ્રાફ જોવાની તમણા પૂરી કરવાનું! જોકે આ હોમ પ્રોડકશન હતું એટલે સપનું સાકાર થવાથી જે ‘કિક’ લાગવી જોઈએ તે હજુ નહોતી લાગી...

‘ધીમે ધીમે મને નાટકો મળવાં લાગ્યાં. જે. અબ્બાસે પ્રોડ્યુસ કરેલું અને ઈમ્તિયાઝ પટેેલે ડિરેક્ટ કરેલું ‘ખરાં છો તમે!’ કર્યું. સૌમ્ય જોશીએ લખેલું આઈએનટીનું ‘અલગ છતાં લગોલગ’ કર્યું, જેના ડિરેક્ટરપ્રોડ્યુસર સુરેશ રાજડા હતા. (સુરેશ રાજડાના પુત્ર માલવ ‘તારક મહેતા કા ઊલટા ચશ્માં’ના અસોસિયેટ ડિરેક્ટર છે.) મુુનિ ઝા અને સુજાતા મહેતાની ‘અલગ છતાં લગોલગ’માં મુખ્ય ભૂમિકાઓ હતી. આ નાટક દરમિયાન સુજાતાબહેન સાથે ઓળખાણ કેળવાઈ. તેમણે મને ઘણું શીખવ્યું. નાટ્યક્ષેત્રમાં એટલે જ મને લોકો ‘ગુરુમાની શિષ્યા’ તરીકે પણ ઓળખે છે! મેહુલકુમારના પ્રોડકશન અને દીપક બાવસ્કરે ડિરેક્ટ કરેલા ‘સો દહાડા સાસુના’ પછી સંજય ગોરડિયાનું ‘ચાલ ચંદુ પરણી જઈએ’ આવ્યું. તેમાં ચાર કપલ્સની વાત હતી. એમાંનું એક કપલ મારું અને મનીષ મહેતાનું હતું. સંજયસરે મને હંમેશાં સારા રોલ જ ઓફર કર્યા છે.’

દિશાની કોમેડીની સુપર્બ સેન્સનો પહેલો ચમકારો ‘ચાલ ચંદુ પરણી જઈએ’માં દેખાયો!

‘અગાઉ તો જે રોલ ઓફર થતો તે સ્વીકારી લેતી, પણ ‘ચંદુ...’ પછી હું થોડી સિલેક્ટિવ બની,’ દિશા ઉમેેરે છે.

વચ્ચે અમદાવાદ જઈને દિશાએ સિતાંશુ યશશ્ચંદ્રે લખેલા ‘અશ્વત્થામા હજુ જીવે છે’ નાટકના થોડા શોઝ કર્યા. નિમેશ દેસાઈએ તે ડિરેક્ટ કરેલું. ‘અલગ છતાં લગોલગ’ નાટક ચાલી રહ્યું હતું તે દરમિયાન ઈટીવી ગુજરાતી ચેનલ માટે ‘ગીત ગુંજન’ નામના ડેઈલી શોનું એન્કરિંગ કરવાનું કામ સ્વીકાર્યું. દિશા કહે છે, ‘આ કાર્યક્રમના મેં એક હજાર એપિસોડસ કર્યા. હૈદરાબાદ અને અમદાવાદ જઈને શૂટિંગ કરવાનું રહેતું. મહિનામાં સાત દિવસ આ શોને આપવા પડતા. ગુજરાતી દૂરદર્શન માટે ‘સહિયર’ અને ‘સખી’ કર્યું. આ બધા શોઝને લીધે મને ફાયનાન્શિયલ સપોર્ટ મળતો.’

પણ આ કાર્યક્રમોને લીધે હૈદરાબાદઅમદાવાદની ટૂર વારેવારે થતી એટલે મુંબઈનાં કામ બહુ ડિસ્ટર્બ થવાં માંડ્યાં. આખરે પપ્પાએ દિશાને કહેવું પડ્યુંઃ તું બોમ્બે શાના માટે આવી હતી? તું પેસાની ચિંતા ન કર. અમારો તને પૂરેપૂરો સપોર્ટ છે જ.

‘પછી મેં થોડો સમય વિરામ લીધો. તે પછી આવ્યું ‘લાલી-લીલા’.... અને આ નાટક મારી કરીઅરનું ટર્નંિગ પોઈન્ટ સાબિત થયું!’



‘લાલી-લીલા’ - હવે બની અસલી હીરોઈન!


Disha Vakani (right) in Lali-Lila
 દેવેન્દ્ર પેમ લિખિત, વિપુલ મહેતા દિગ્દિર્શિત અને સંજય ગોરડિયા નિર્મિત આ નાટકમાં કન્જોઈન્ડ ટિ્વન્સ એટલે કે પેટથી જોડાયેલી બે બહેનોની હૃદયસ્પર્શી વાત હતી. દિશાની પસંદગી લાલીની ભૂમિકા માટે થઈ હતી. સ્વાભાવિક રીતે જ લીલા બનતી અભિનેત્રી એવી હોવી જોઈએ જેની હાઈટ દિશા સાથે મેચ થતી હોય. આ માપદંડને લીઘે લીલાના કાસ્ટિંગમાં બહુ સમય લાગ્યો. આખરે મૌસમ નામની સુંદર એકટ્રેસ મળી અને તેને લીલાનું કિરદાર આપવામાં આવ્યું. આ નાટક ભજવવું કઠિન હતું. રિહર્સલ્સ દરમિયાન અને પછી શો વખતે દિશા અને મૌસમને પેટથી રીતસર પાટામાં લપેટી લેવામાં આવતી.

‘હું સહેજ પણ અતિશયોક્તિ વગર કહી શકું છું કે આ નાટક માટે મેં ‘પેટે પાટા બાંધીને’ મહેનત કરી હતી...’ દિશા ખડખડાટ હસતાં કહે છે.

એકદમ જ નવો વિષય ધરાવતું ‘લાલીલીલા’ નાટક સુપરહિટ પુરવાર થયું. દેશવિદેશમાં તેના ૩૬૫ શોઝ થયા. જયા બચ્ચન શ્રીદેવી, બોની કપૂર જેવાં બિનગુજરાતી સેલિબ્રિટીઝે પણ તે માણ્યું. લીલા તરીકે મૌસમ પછી આરતી અને દીપાલી નામની બીજી બે યુવતીઓ બદલાઈ ગઈ, પણ લાલીના પાત્રમાં દિશા છેક સુધી અણનમ રહી.

‘લાલી-લીલા’એ દિશા વાકાણીને ગુજરાતી નાટકોની ‘પ્રોપર હીરોઈન’ બનાવી દીધી! ‘લાલીલીલા’ ત્યાર બાદ જુદી કાસ્ટ સાથે પણ આ જ નામે હિન્દીમાં પણ અવતર્યું.

આ નાટક દરમિયાન દિશાએ હેટ્સ ઓફ્ફ પ્રોડકશનની ‘ખિચડી’ નામની સિરિયલમાં નાનો રોલ કર્યો. તે પછી આ જ પ્રોડકશન હાઉસની ‘રેશમડંખ’ નામની સિરિયલ કરી, જે મહેશ યાજ્ઞિક અને આતિશ કાપડિયાએ સંયુક્તપણે ‘ચિત્રલેખા’માં લખેલી ધારાવાહિક નવલકથા પર આધારિત હતી. આ રોલ ખાસ્સો મહત્ત્વનો હતો. હેટ્સ ઓફ્ફ પ્રોડકશનમાં પણ નાનો રોલ કર્યા પછી મોટી ભૂમિકા મળવાથી દિશાને ખૂબ આનંદ થયો. શોભના દેસાઈ પ્રોડકશન્સની ‘થોડી ખુશી થોડે ગમ’માં પણ દિશાએ થોડા સમય માટે એક ભૂમિકા ભજવી.



...જ્યારે હૃતિક રોશને દિશાની આંખોમાં આંખો પરોવી!

દિશાના પિતાજી ભીમ વાકાણીએ આમિર ખાને પ્રોડ્યુસ કરેલી અને આશુતોષ ગોવારીકરે ડિરેક્ટ કરેલી ઓસ્કર-નોમિનેટેડ ‘લગાન’માં કાજીસાહેબની નાનકડી પણ મજાની ભૂમિકા ભજવી હતી.

‘મેં પણ ‘લગાન’ માટે ઓડિશન આપેલું,’ દિશા કહે છે, ‘પણ મારો ચાન્સ નહોતો લાગ્યો.’

Disha with Aishwarya Rai in Jodha-Akbar
જો કે દિશાને આમિર ખાન સાથે એક સીનમાં તો એક સીનમાં કામ કરવાનો મોકો જરૂર મળ્યો કેતન મહેતાના ડિરેકશનમાં બનેલી ‘મંગલ પાંડે’ ફિલ્મમાં. તેમાં દિશા એક દશ્યમાં રાની મુખર્જી સાથે રૂપજીવિનીના સ્વાંગમાં દેખાઈ. એણે આશુતોષ ગોવારીકરની ‘સ્વદેસ’ માટે ય ઓડિશન આપેલું. આખરે ‘જોધા-અકબર’માં આશુતોષ ગોવારીકરે એને ઐશ્વર્યા રાયની સખી માધવીનો રોલ આપ્યો.

‘જોધા-અકબર’ના સેટ પર બનેલો એક પ્રસંગ દિશા કદાચ આખી જિંદગી ભૂલી નહીં શકે.

બન્યું એવું કે રિસામણે ચાલી ગયેલી જોધા (એટલે કે ઐશ્વર્યા)ને મનાવવા માટે અકબર (એટલે કે હૃતિક) એના પિયર આમેર આવ્યો છે તે સીનનું શૂટિંગ ચાલી રહ્યું હતું. દશ્ય એવું છે કે હૃતિકનું સ્વાગત કરવા આખો ચહેરો ઢંકાઈ જાય એટલો ઘૂંઘટ તાણીને કેટલીય સ્ત્રીઓ સામે ઊભી છે. હૃતિકે શોધી કાઢવાનું છે કે આમાંથી પોતાની જોધા કઈ છે.

‘હૃતિક અને આશુસર ડિસ્કસ કરી રહ્યા હતા કે ઘૂંઘટ એક્ઝેકટ્લી કેટલો ઉઠાવવો. આશુસર કહે, ચાલો આપણે એકવાર રિહર્સલ કરી લઈએ. તેમણે આસપાસ નજર ફેરવી. હું નજીકમાં જ બીજી છોકરીઓ સાથે ઊભી હતી. આશુસરે એકદમ કહ્યું, દિશા, જરા અહીં આવ તો! પછી મને હૃતિક સામે ઊભી કરી દીધી. હૃતિકે બે હાથે મારો ઘૂંઘટ પકડ્યો, ધીમેથી ઊંચો કર્યો અને બોલ્યો, સર, ઈતના ઠીક હૈ?... અને પછી જાણે જોધાની આંખોમાં જોઈ રહ્યો હોય તેમ એણે મારી સામે જોયું. અમારી નજરો મળી... અને મારા દિલના ધબકારા વધી ગયા! ઈમેજિન, હૃતિક રોશન મારો ઘૂંઘટ ઉઠાવી રહ્યો હતો! પછી તો મારો આખો દિવસ કેવો ગયો તે હું જ જાણું છું!’

આ કિસ્સો યાદ કરીને દિશા ખડખડાટ હસી પડે છે. પર્સનલ લાઈફમાં, ખેર, દિશાને હજુ મિસ્ટર રાઈટ મળવાનો બાકી છે!



... અને આખરે દયા જેઠાલાલ ગડા

‘જોધા-અકબર’ પછી દિશાનું એક ઓર હિટ નાટક આવ્યું ઉમેશ શુક્લે ડિરેક્ટ કરેલું ‘કમાલ પટેલ ધમાલ પટેલ’. પ્રોડ્યુસર ભરત ઠક્કર અને કિરણ ભટ્ટ. તે અરસામાં નીલા ટેલીફિલ્મ્સની ‘તારક મહેતા કા ઊલટા ચશ્માં’ની કાસ્ટિંગ પ્રોસેસ શરૂ થઈ ચૂકી હતી. ક્રિયેટિવ પ્રોડ્યુસર આસિત મોદી જેઠાલાલ યા તો ચંપકલાલના પાત્રમાં દિલીપ જોષી સિવાય બીજા કોઈ એક્ટરને જોઈ શકતા નહોતા, તેમ દયાના કિરદારમાં તેઓ માત્ર અને માત્ર ડિમ્પલ શાહને જ વિઝયુલાઈઝ કરી શકતા હતા! આસિત મોદીની સૌથી પહેલી સિરિયલ ‘હમ સબ એક હૈં’માં તેણે ગુજરાતી પટેલ યુવતીનું પાત્ર અફલાતૂન રીતે ઉપસાવ્યું હતું. જોકે ‘તારક મહેતા કા ઊલટા ચશ્માં’માં કામ કરવું તેના માટે શક્ય બને તેમ નહોતું, કારણ કે તેની દીકરી તે વખતે ખૂબ નાની હતી અને તેની સંભાળ લેવાની જવાબદારી સૌથી અગત્યની હતી. જોકે ડિમ્પલે ખુદ દયાના પાત્રમાં બંધ બેસી શકે તેવી બેત્રણ અભિનેત્રીઓનાં નામ આપ્યાં.

... અને તેમાંનું એક નામ હતું દિશા વાકાણી!

દયા માટે લાયક અભિનેત્રીઓ વિશે પછી દિલીપ જોષી સાથે વાત થઈ ત્યારે તેમણે પણ દિશા વાકાણીનું નામ સજેસ્ટ કર્યું.

‘હમ સબ એક હૈં’ સિરિયલ ચાલતી હતી ત્યારે દિશા વાકાણી એક વાર આસિત મોદીને મળવા સેટ પર આવી હતી. કોણ જાણે કેમ તે વખતે તેમના મનમાં એવી ઈમ્પ્રેશન પડી હતી કે આ છોકરી ગંભીર અને રડકુ રોલ કરી શકે, કોમેડીમાં તે ન ચાલે! દિશામાં એક્ટિંગ અને એનર્જીનો મહાસાગર ઊછળતો હશે એવી તો કલ્પના સુધ્ધાં નહીં.


Dilip Joshi
 દિલીપ જોષીએ દિશાના નામનું સૂચન કર્યું ત્યારે સૌથી પહેલાં તો આસિત મોદીને તેને ગંભીરતાથી ન લીધું, પણ પછી તેને મળવાનું નક્કી કર્યું. યોગાનુયોગે ‘કમાલ પટેલ ધમાલ પટેલ’ની સહકલાકાર અને સખી અંબિકા રંજનકરે (કે જે ‘તારક મહેતા કા ઊલટા ચશ્માં’ સિરિયલમાં મિસિસ હાથી બને છે) દિશાને આ સિરિયલ વિશે ઓડિશન આપવા જવાનું દિશાસૂચન કરેલું. દિશા આસિત મોદીને મળી. સિરિયલ વિશે ટૂંકમાં માહિતી આપીને આસિત મોદીએ સાશંક સ્વરે એને સીધું જ પૂછી લીધુંઃ પણ તારાથી કોમેડી થઈ શકશે?

- ચોક્કસ થઈ શકશે, સર! તમને એક કોમેડી આઈટમ કરીને બતાવું? દિશાએ ઉત્સાહપૂર્વક જવાબ આપ્યો.

...અને નવશીખિયાઓની બનેલી કોઈ નાટકમંડળીના અધૂરા ઘડા જેવા અમદાવાદી ડિરેક્ટરની સરસ મિમિક્રી દિશાએ કરી દેખાડી. તેનું પર્ફોર્મન્સ એટલું કમાલનું હતું આસિત મોદી હસીહસીને બેવડ વળી ગયા! એમને થયું કે ક્યા બાત હૈ..! તેમણે દિશા સાથે વધારે વાતો કરી અને તે ધીમે ધીમે ઊઘડતી ગઈ. ‘તારક મહેતા કા ઊલટા ચશ્માં’ માટે દિશા યોગ્ય છે તે વાતે તેઓ કન્વિન્સ થતા ગયા. મુખ્ય કાસ્ટિંગની બાબતમાં આસિત મોદી સારી એવી ચીકાશ કરે. એમના મનમાં પાત્રનંું સ્પષ્ટ ચિત્ર રમતું હોય. દિશામાં તેમને દયાનું ચિત્ર મળી ગયું. આસિત મોદીએ દિશાને દયા તરીકે લોક કરી નાખી.

કોણ કહે છે કે ફર્સ્ટ ઈમ્પ્રેશન ઈઝ ધ લાસ્ટ ઈમ્પ્રેશન? કમસે કમ દિશા વાકાણીના કિસ્સામાં તો આ કહેવત સાચી નથી જ!



ગુંગી ગુડિયા

દિશાએ તારક મહેતાને વાંચેલા. એક વખત ભાઈદાસ ઓડિટોરિયમમાં કોઈક કાર્યક્રમની ઉજવણીમાં દિશાને તારક મહેતાએ તેમનું ‘તારકનો ટપુડો’ આપેલું. દિશાએ તેના પર લેખકનો ઓટોગ્રાફ પણ લીધેલો.

‘મને જેઠાલાલની પત્ની દયાનો રોલ મળ્યો એટલે હું તો વિચારમાં પડી ગયેલી, કારણ કે ‘દુુુનિયાને ઊંધાં ચશ્માં’ લેખમાળામાં દયા તો કશું કરતી જ નથી! ઓડિશન પછી ઘરે જઈને મેં કબાટમાંથી પાછાં તારક મહેતાનું પુસ્તક કાઢ્યું અને ફરી એક વાર બધું જોઈ ગઈ કે ખૂણેખાંચરે ક્યાંય દયા કશુંય બોલતી કે કંઈ કરતી દેખાય છે ખરી!’

આમ કહેતાં કહેતાં દિશા ફરી મોટેથી હસી પડે છે.

દિશાને ટેન્શન થઈ જવું સ્વાભાવિક હતું, કારણ કે તારક મહેતાની હાસ્ય લેખમાળામાં તો દયાનું પાત્ર લગભગ મૌન અને હાંસિયામાં ધકેલાયેલું છે! દિશા કહે છે, ‘હાસ્ય લેખમાળામાં દયા ભલે કશું નથી કરતી, પણ સિરિયલમાં આ કેરેક્ટર ડેવલપ થવાનું છે એવું કશું મને કહેવામાં નહોતું આવ્યું. મારી પાસે આ સિરિયલ કરવાનાં ચાર કારણો હતાં. એક તો, એક વાચક તરીકે તારક મહેતાનાં લખાણોમાં મને હંમેશાં મજા આવી છે. બીજું, આસિતભાઈનું અને નીલા ટેલિફિલ્મ્સનું ટીવી ઈન્ડસ્ટ્રીમાં સારું નામ અને કામ છે. ત્રીજું, મને દિલીપસર સાથે કામ કરવાનો, એમની પત્નીનો રોલ કરવાનો મોકો મળતો હતો અને ચોથું ધર્મેશસર (ડિરેક્ટર ધર્મેશ મહેતા) સાથે મેં અગાઉ ‘સંસાર’ નામની સિરિયલમાં એક્ટિંગ કરી હતી પણ હવે તેમના ડિરેકશનમાં અભિનય કરવો હતો.’

દયાના રોલમાં દિશા વાકાણી ફાઈનલ થઈ ગયા પછી ય દિશાના મનમાં અવઢવ તો રહી જ.

તારક મહેતાનાં લખાણોમાં તો દયા ગૂંગી ગુડિયા છે અને ભાગ્યે જ એની હાજરી વર્તાય છે. છતાંય જે કામ મળ્યું છે તે શિરોમાન્ય ગણીને દિશા કામે લાગી ગઈ.

... પણ એકલી દિશાને જ નહીં, પણ ટીમના તમામ સભ્યોમાંથી કોઈને એ વાતનો અંદેશો સુધ્ધાં નહોતો કે આ જ દયા સિરિયલનો હાઈપોઈન્ટ બની જવાની છે અને સોલિડ ધમાલ મચાવી મૂકવાની છે!





==૦==૦==



બોક્સઃ ૧ અજબ અવાજ ગજબ પ્રભાવ



કોર્ટનાં દશ્યો શૂટ થઈ ગયાં પછી આજે અંધેરી (ઈસ્ટ)માં આવેલા કમાલિસ્તાન સ્ટુડિયોમાં શૂટિંગ છે. ડ્રીમ સિકવન્સના ભાગરૂપે અહીં જેલનો સેટ ઊભો કરવામાં આવ્યો છે. કેદીના પોષાકમાં સજ્જ થયેલા જેઠાલાલ તેમ જ દયા પર અમુક દશ્યો ઝડપવાનાં છે. દિલીપ જોષી અને દિશા વાકાણીને ડિરેક્ટર ધર્મેશ મહેતા રિહર્સલ કરાવી રહ્યા છે. દિલીપ જોષીએ જેઠાલાલનું કેરેક્ટર સ્ક્રેચ (એટલે કે રફ, ટ્રાયલ) એપિસોડમાં જ પકડી લીધું હતું. તારક મહેતાની લેખમાળામાં દયા ચૂપચાપ રહે છે, પણ મહિલાપાત્રોનાં વર્ચસ્વવાળી ટીવી સિરિયલોની દુનિયામાં નાયિકા મૌન રહે તે પરવડે નહીં. તેથી આસિત મોદી અને તેમની ક્રિયેટિવ ટીમે દયાનું મજાનું વાચાળ વર્ઝન તૈયાર કર્યું છે, એનાં વર્તનવર્તણૂક સરસ રીતે ડિફાઈન કરી નાખ્યાં છે, પણ કોણ જાણે કેમ દયાના પાત્રાલેખનમાં હજુય કશુંક ખૂટતું લાગે છે. કશુંક એવું એલીમેન્ટ જે દયાના કેરેક્ટરમાં ઝમક લાવી દે. દયાના પાત્રાલેખનને ઈન્ટરેસ્ટિંગ બનાવવા બીજું શું થઈ શકે? શું નવું લાવી શકાય એમ છે? દિલીપ જોષીને અચાનક કશુંક યાદ આવે છે.

‘દિશા, તને યાદ છે, તે દિવસે બેકસ્ટેજ પર તું કોઈની મિમિક્રી કરીને સૌને હસાવી રહી હતી?’

‘કઈ મિમિક્રી?’

‘કેમ? ‘કમાલ પટેલ ધમાલ પટેલ’ નાટકના શો પછી હું બેકસ્ટેજમાં બધાને મળવા આવેલો ત્યારે તું કંઈક વિચિત્ર અવાજ કાઢીને કોઈની નકલ નહોતી કરતી?’

‘અરે હા.. હા. યાદ આવ્યું!’ દિશા મલકાય છે.

‘ધર્મેશભાઈ, દિશાનો એ અવાજ સાંભળવા જેવો છે,’ દિલીપ જોષી કહે છે.

‘અચ્છા?’ ધર્મેશ મહેતાને રસ પડે છે. ‘એ તારા જુદા અવાજમાં એકાદ ડાયલોગ ટ્રાય કર તો, દિશા!’

દિશા પોતાના ઓરિજિનલ મધુર અવાજને તોડીમરોડીને, તેને વધારે ઘેઘૂર કરીને, તે જાણે ગળાના તળિયેથી ઘસાઈને બહાર આવી રહ્યો હોય તેવો કઢંગો બનાવીને દયાનો એક સંવાદ બોલે છે. સાંભળવામાં તે એટલું રમૂજી લાગે છે કે ધર્મેશ મહેતા અને દિલીપ જોષી હસ્યા વગર રહી શકતા નથી.

‘આ ખરેખર સારું છે!’ ડિરેક્ટર કહે છે, ‘દિશા, કોનો અવાજ છે આ?’

‘સર, અમદાવાદમાં સ્મિતાબેન કરીને એક સિનિયર એકટ્રેસ છે. પપ્પાનાં પરિચિત છે. ઘણી જૂની ગુજરાતી ફિલ્મોમાં કામ કર્યું છે. અમે આજુબાજુનાં ગામડાંમાં પ્રચાર શો કરવા જતાં ત્યારે એક વાર સાથે આવેલાં,’ દિશા જણાવે છે.

દિલીપ જોષીની અનુભવી દષ્ટિ જોઈ શકે છે કે દયાની આ પ્રકારની ડાયલોગ ડિલિવરીમાં ‘આઈટમ’ બની શકવાની તાકાત છે.

‘બહોત અચ્છે દિશા,’ દિલીપ જોષી કહે છે, ‘બસ, હવે દયાના બધા ડાયલોગ્ઝ આ જ અવાજમાં બોલજે.’

પ્રોડ્યુસર આસિત મોદી સેટ પર સહેજ મોડા પહોંચે છે. આમેય ફિલ્મસિટી અને કાંદિવલીના સેટ સમયસર તૈયાર કરી દેવાનું કામ તેમના અગ્રતાક્રમમાં ટોચ પર છે. તેમને દિશાના બદલાયેલા અવાજ વિશે વાત કરવામાં આવે છે. દિશા એક નમૂનો પેશ કરે છે. દિશાનો ડાયલોગ સાંભળીને પ્રોડ્યુસરના ચહેરા પર સ્મિત તો આવી ગયું, પણ તેઓ અપેક્ષા કરતાં જુદી જ વાત કરે છે.

‘ના દિશા, તું તારા ઓરિજિનલ અવાજમાં જ ડાયલોગ બોલજે,’ આસિત મોદી કહે છે.

‘કેમ આસિત? ન જામ્યું?’ દિલીપ જોષી પૂછે છે.

‘ના ના, ન જામવાની વાત જ નથી.’

‘તો પછી?’ દિલીપ જોષી આગ્રહપૂર્વક કહે છે, ‘આસિત, મને પોતાને દિશાને સાંભળીને હસવું આવે છે તો વિચારો કે ઓડિયન્સને કેટલું હસવું આવશેે! મારી વાત માનો, આ હિટ આઈટમ છે.’

‘જુઓ, તમે લોકો દિશાનો અવાજ બદલો એની સામે મને કોઈ વાંધો નથી, પણ મારી ચિંતા જુદી છે,’ આસિત મોદી કહે છે, ‘શું છે, નકલી અવાજમાં બોલવાથી દિશાના ગળાને ખૂબ તકલીફ પડશે. આપણી ડેઈલી કોમેડી સિરિયલ છે, રોજેરોજ શૂટિંગ કરવાનું છે. મને ડર છે કે દિશા આ અવાજ મેન્ટેઈન નહીં કરી શકે... અને અધવચ્ચેથી અવાજ બદલવો પડશે તો ઊલટાનું ખરાબ લાગશે. એના કરતાં દિશા ઓરિજિનલ વોઈસમાં બોલે એ જ બરાબર છે.’

આસિત મોદીની વાત તો તર્કશુદ્ધ છે. દિલીપ જોષી બે ઘડી વિચારમાં પડી જાય છે. પછી દિશા સામે જુએ છે, ‘દિશા, તારું શું કહેવું છે?’

‘મને લાગે છે કે હું આ નકલી અવાજ જાળવી શકીશ,’ દિશા કહે છે, ‘વાંધો નહીં આવે.’

પ્રોડ્યુસર, ડિરેક્ટર અને બણે કલાકારો વચ્ચે લાંબી ચર્ચા ચાલે છે. દિશા પાક્કો ભરોસો આપે છે. આખરે આસિત મોદી આખરે તેને અવાજ બદલવાનું જોખમ ઉઠાવવા માટે હા તો પાડે છે, પણ મનોમન તેમણે વિચારી લીધું છે કે ધારો કે દિશા ભરોસાનું પાલન ન કરી શકી અને મૂળ અવાજ પર આવવું પડ્યું તો કોઈ એપિસોડની વાર્તામાં એવું બતાવી દઈશું કે દયાએ કશીક દવા ખાધી અને તેનો અવાજ નોર્મલ થઈ ગયો ગયો!

શૂટિંગ પાછું આગળ વધે છે. નકલી અવાજે ડાયલોગબાજી કરી રહેલી દયા અને બીજા સૌને ગુડ લક કહીને આસિત મોદી વિદાય લે છે. તેમને, કરે ફોર ધેટ મેટર, બીજા કોઈને ક્યાં કલ્પના છે કે સિરિયલની લોકપ્રિયતાને ક્યાંની ક્યાં પહોંચાડવામાં દિશાના આ જ ફાટેલા અવાજનો સિંહફાળો હશે?



==૦==



બોક્સઃ ૨ સેલિબ્રિટી સ્ટેટસ? એ વળી ર્શું?



‘સેલિબ્રિટી? અરે, હજુ હમણાં સુધી હું બસ, ઓટોરિક્ષા અને લોકલ ટ્રેનમાં ફરતી હતી...,’ દિશા કહે છે, ‘મને યાદ છે એકવાર હું અને મૂનમૂન (બબિતા) રિક્ષામાં કશેક જઈ રહ્યાં હતાં. રિક્ષાના ડ્રાઈવરે અચાનક અમારા ચહેરા દેખાય તે રીતે અરીસો એડજસ્ટ કર્યો. ‘અમુક લોકોને લેડીઝને ઘૂરીઘૂરીને જોવામાં જરાય શરમ નડતી નથી’ અને એવું બધું બોલીને અમે એને ટોન્ટ મારવાની કોશિશ કરી. એણે તોય અમારા સામે ટગર ટગર જોવાનું ચાલુ રાખ્યું, એટલે અમે એને બરાબરનો ઝાડી નાખ્યો. આખરે એ મોઢું બગાડીને બોલ્યો કે મેડમ, મુઝે ઐસાવૈસા મત સમજો. યે તો આપ લોગ ટીવી મેં આતે હો ઈસ લિયે દેખ રહા થા... તે આવું બોલ્યો ત્યારે એકદમ ભાન થયું કે આઈલા, આપણે હવે ટીવીસ્ટાર બની ગયાં છીએ એ તો ભુલાઈ જ ગયું!’

દિશા પોતાના સેલિબ્રિટી સ્ટેટસ વિશે સભાનતા ધરાવે છે, પણ તેને એ ધરાર ગંભીરતાથી લેતી નથી.

‘અરે શાનું સેલિબ્રિટી સ્ટેટસ? મારી પાસે કાર નહોતી આવી ત્યારે ક્યારેક એવું બનતું કે ટ્રાફિક સિગ્નલ પાસે વાહનો અટકે ત્યારે મોંઘીદાટ લક્ઝરી કારમાં બેઠેલા માણસો મોબાઈલથી મારા ફોટા પાડતા હોય ને આ સેલિબ્રિટી રિક્ષામાં બેઠી હોય!’

દિશા જેવી નિખાલસતા કેળવવી સહેલી નથી!

‘ક્યારેક સફળતાની હવા ભરાઈ રહી છે એવું લાગે કે હું તરત કોન્શિયસ થઈ જાઉં અને...’ બણે હથેળીને આમતેમ વીંઝીને દિશા ઉમેરે છે, ‘...આમ કરીને કરીને હવાને તરત વિખેરી નાખું!’

દિશા આટલી હદે સરળ અને ડાઉનટુઅર્થ રહી શકી છે તે બાબતે આશ્ચર્ય પામવા જેવું ખરું?



==૦==