Saturday, September 26, 2015

મલ્ટિપ્લેક્સ : ગુજ્જુભાઈ કી નિકલી સવારી...

Sandesh - Sanskar Purti - 27 Sept 2015

મલ્ટિપ્લેક્સ 

સાૈથી પહેલાં તો, સિદ્ધાર્થ રાંદેરિયા એવું બિલકુલ નહોતા ઈચ્છતા કે પોતાનો દીકરો ઈશાન ફિલ્મલાઈનમાં આગળ વધે. પણ ઈશાન આ જ લાઈન પકડી. પછી, પપ્પાજી એ વાત જરાય કન્વિન્સ્ડ નહોતા કે પુત્ર કોઈ ગુજરાતી ફિલ્મ બનાવે. પણ ઈશાને પૂરા જોશ સાથે 'ગુજ્જુભાઈ ધ ગ્રેટ' બનાવી. આજે સ્થિતિ એવી છે કે આ ફિલ્મ થિયેટરોમાં એવી ધમાલ મચાવી રહી છે કે સિદ્ધાર્થ રાંદેરિયાના ચહેરા પરથી સ્માઈલ સૂકાતું નથી! 




સુપર્બ. જોરદાર. ઓલમોસ્ટ પરફેક્ટ.

'ગુજ્જુભાઈ ધ ગ્રેટ' જોતી વખતે અને જોયા પછી તમારા ખુશખુશાલ થઈ ગયેલા મનમાં જે શબ્દો ઉછળકૂદ કરે છે તે લગભગ આવા જ કંઈક હોવાના. 'ગુજ્જુભાઈ...' બે સ્તરે અસર કરે છે. એક તો, નિર્ભેળ મનોરંજનના સ્તરે. આ ફિલ્મ ભલે સિનેમેટિક માસ્ટરપીસ ન હોય,પણ તે શરૂઆતથી અંત સુધી સતત હસતા રાખીને તમને હળવા ફૂલ કરી દે છે અને એક સ-ર-સ ફિલ્મ જોઈ એનો સંતોષ આપે છે એ કંઈ નાનીસૂની વાત છે? છેલ્લે કઈ ફિલ્મમાં આપણે આટલું બધું હસ્યા હતા? બીજી અસર, ભાષાના ગૌરવના સ્તરે. આ આપણી ભાષાની ફિલ્મ છે જેણે ન્યૂ વેવ ગુજરાતી સિનેમાને સોલિડ વેગ આપ્યો છે અને તેને ચાર ડગલાં આગળ લઈ ગઈ છે.     
'ગુજ્જુભાઈ ધ ગ્રેટ' અડધી બાજી તો સિદ્ધાર્થ રાંદેરિયાના નામે જ જીતી લે છે. સિદ્ધાર્થ રાંદેરિયા ગુજરાતી કમર્શિયલ રંગભૂમિના સર્વસ્વીકૃત સુપરસ્ટાર છે અને સંભવતઃ સૌથી મજબૂત બ્રાન્ડ છે. આ ફિલ્મના મૂળમાં તેમનું 'ગુજ્જુભાઈએ ગામ ગજાવ્યું' નાટક છે એ વાત સાચી, પણ નાટક અને સિનેમા બન્ને તદ્દન અલગ માધ્યમો છે, જુદી વિદ્યાઓ છે. ગુજ્જુભાઈ સિનેમાના લેવલ પર પણ અસરદાર સાબિત થાય છે તેનો યશ ફિલ્મના ફર્સ્ટ-ટાઇમ ડિરેક્ટર ઈશાન રાંદેરિયાને મળવો જોઈએ. ઈશાન એટલે સિદ્ધાર્થ રાંદેરિયાનો મોટો પુત્ર. ઓફિશિયલી, ન્યૂ વેવ ગુજરાતી સિનેમાનો પહેલો સ્ટાર-સન! ઈશાને સિનેમાની દુનિયામાં ભરેલું પગલું આશ્ચર્ય થાય એટલી હદે કોન્ફિડન્ટ છે. આ એકત્રીસ વર્ષીય બમ્બૈયા યુવાનને મળવા જેવું છે.
"સમજણો થયો ત્યારથી જ મારે ફિલ્મ ડિરેક્ટર બનવું હતું," ઈશાન શરૂઆત કરે છે, "પણ પપ્પા બિલકુલ નહોતા ઇચ્છતા કે હું ફિલ્મલાઇનમાં જાઉં. તેમનું કહેવું હતું કે ભાઈ, આ બહુ જ જોખમી ફિલ્ડ છે, આ લાઇનમાં નિષ્ફળતા એવી કારમી હોય છે કે લોકો પાસે ખાવાના સાંસાં થઈ જાય છે. એક પ્લાન એવો હતો કે બીકોમ અને એમકોમ કર્યા પછી મારે એમબીએ કરવા અબ્રોડ જવું. મેં ઇન ફેક્ટ, એક શેર બ્રોકિંગ એજન્સીમાં બે વર્ષ કામ પણ કરી જોયું, પણ મારું મન એમાં ન લાગ્યું તે ન જ લાગ્યું. આખરે એક દિવસ મેં પપ્પાને કહી દીધું કે મારે ફિલ્મલાઇનમાં જ જવું છે. પપ્પા બહુ નિરાશ થઈ ગયા હતા તે વખતે. એમણે મારા પર કોઈ જાતનું દબાણ ન કર્યું, પણ એક પિતા તરીકે એમના મનમાં બહુ જ ડર હતો."
શેર બ્રોકિંગ એજન્સીવાળા ગાળામાં ઈશાને છએક મહિના એક એડ એજન્સીમાં પણ કામ કર્યું હતું. વિચાર એવો હતો કે બન્ને પ્રકારના કામનો અનુભવ લઈ જોવો. આખરે ફિલ્મ ડિરેક્શનના ક્ષેત્રમાં જ આગળ વધવું છે તે નક્કી થયું એટલે દિશા સ્પષ્ટ થઈ ગઈ.

"પૂનાની એફટીઆઈઆઈ (ફિલ્મ એન્ડ ટેલિવિઝન ઇન્સ્ટિટયૂટ ઓફ ઇન્ડિયા)માં જવાની ઇચ્છા નહોતી, કેમ કે ત્યાં ત્રણ વર્ષનો કોર્સ પાંચ-સાત વર્ષ સુધી ખેંચાઈ જતો હોય છે. ફોરેનની ફિલ્મ સ્કૂલ આર્થિક રીતે પરવડે એવી નહોતી. સુભાષ ઘઈની વ્હિસલિંગ વૂડ્સ ઇન્ટરનેશનલ ફિલ્મ સ્કૂલમાંથી હજુ એક પણ બેચ બહાર પડી નહોતી, પણ મને અહીંનો માહોલ ગમ્યો. આખરે હું મુંબઈમાં જન્મેલો ને ઉછરેલો છોકરો છું ને મારે બોલિવૂડમાં જ કામ કરવું હતું એટલે મેં અહીં એડમિશન લઈ લીધું."
ઈશાને જાન્યુઆરી ૨૦૦૮માં એડમિશન લીધું ને જૂનમાં વ્હિસલિંગ વૂડ્સની અભિષેક જૈનવાળી પહેલી બેચ બહાર પડી. ફિલ્મસ્કૂલના વિદ્યાર્થી તરીકે ઈશાનનું પર્ફોર્મન્સ સરસ રહ્યું. એટલેસ્તો સેકન્ડ યરમાં એને સ્કોલરશિપ મળી અને બ્રિસ્બેન (ઓસ્ટ્રેલિયા)સ્થિત ગ્રિફિથ ફિલ્મ સ્કૂલમાં છ મહિના માટે મોકલવામાં આવ્યો. અહીં એને સિનેમેટોગ્રાફી, સાઉન્ડ ડિઝાઇન, પ્રોડક્શન ડિઝાઇન વગેરે વિદ્યાઓનું સરસ એક્સપોઝર મળ્યું.
"વ્હિસલિંગ વૂડ્સમાં બે વર્ષનો ડિરેક્શનનો કોર્સ કર્યા બાદ મેં બોલિવૂડમાં કામ શોધવાનો પ્રયત્ન કર્યો," ઈશાન કહે છે, "હું રાહુલ ધોળકિયાની ટીમમાં સેકન્ડ આસિસ્ટન્ટ એડિટર તરીકે જોડાયો. એ વખતે તેઓ 'સોસાયટી' નામની ફિલ્મ બનાવી રહ્યા હતા, જેમાં ઓમ પુરી, પરેશ રાવલ, સીમા બિશ્વાસ જેવાં કલાકારો હતાં. એ છ મહિનાનો અનુભવ મજાનો રહ્યો, પણ કોણ જાણે કેમ આ ફિલ્મ ક્યારેય રિલીઝ જ ન થઈ."
આ સ્ટ્રગલનો દૌર હતો. વિશાલ ભારદ્વાજ, ફરહાન અખ્તરના ચીફ આસિસ્ટન્ટ ડિરેક્ટર વગેરે જેવા કેટલાય લોકોને મળાયું, પણ કોઈક ને કોઈક કારણસર કોઈની ટીમમાં સામેલ ન થઈ શકાયું. ઈશાન કહે છે, "રોજ સવારે ઊઠીને નક્કી કરતો કે આજે ફલાણા-ફલાણાને ફોન કરવા છે, અપોઇન્ટમેન્ટ લઈને મળવા જવું છે. ઘણાં લોકોને આ રીતે હેરાન કર્યા! સ્વભાવે હું એક્સ્ટ્રોવર્ટ નથી એટલે આ રીતે લોકોને મળવાનું ને કામ માગવાનું મને બહુ ફાવે એવું નથી, પણ હું આ બધું કરતો રહ્યો. મેં એડવર્ટાઇઝિંગ ફિલ્ડ તરફ પણ નજર દોડાવી, કેમ કે અહીં કામ પણ મળી રહે છે અને પૈસા પણ સારા હોય છે. એક-દોઢ વર્ષ મેં જુદી જુદી પ્રોડક્શન ટીમમાં આસિસ્ટ કર્યું. લગભગ પચીસથી ત્રીસ જેટલી એડ્સ પર કામ કર્યું. હું હંમેશાં કહેતો કે ભલે તમે મને પૈસા શૂટ માટે જ આપજો, પણ હું પોસ્ટ-પ્રોડક્શનમાં પણ ભાગ લઈશ. એડિટિંગ, કલર કરેક્શન, સ્પેશિયલ ઇફેક્ટ્સ વગેરે જેવી તમામ પોસ્ટ પ્રોડક્શન પ્રોસેસમાં હું ઇન્વોલ્વ્ડ રહેતો. આ બધું જ મને 'ગુજ્જુભાઈ ધ ગ્રેટ' બનાવતી વખતે બહુ કામમાં આવ્યું."

દોઢેક વર્ષમાં આ ગાળામાં ફ્રસ્ટ્રેશનની ક્ષણો પણ ઘણી આવી હતી. ઈશાન કહે છે, "મારું કંઈ થશે કે નહીં, અહીં તો મારા કરતાંય મોટી ઉંમરના ટેલેન્ટેડ લોકો સ્ટ્રગલ કરી રહ્યા છે તો મારું શું ઊપજવાનું એવા બધા વિચારો ખૂબ આવતા, પણ મને મારું કામ ગમતું હતું. મેં જે લાઇન પકડી હતી તે ગમતી હતી એટલે ખુદને મોટિવેટ કર્યા કરતો."
એવું નહોતું કે એડ્સમાં રચ્યાપચ્યા રહેવાથી ફિલ્મ ડિરેક્ટ કરવાનું મુખ્ય સપનું ભુલાઈ ગયંુ હતું. ૨૦૧૩નું વર્ષ ઈશાન માટે વળાંકરૂપ સાબિત થયું. ૨૦૧૨માં અભિષેક જૈનની 'કેવી રીતે જઈશ' હિટ નીવડી હતી, જેના લીધે ગુજરાતી સિનેમામાં એક નવો માહોલ સર્જાયો હતો. ઈશાનને નવી દિશા, નવી આશા દેખાઈ. એણે ગુજરાતી ફિલ્મ બનાવવા માટે વિચારવા માંડયું. "પપ્પા સાથે હું ફિલ્મ માટે ગુજ્જુભાઈ સહિત ઘણાં આઇડિયાઝ ડિસ્કસ કરતો. એમના કરતાં બહેતર સાઉન્ડિંગ બોર્ડ મને બીજે ક્યાં મળવાનું,પણ પપ્પા જરાય કન્વિન્સ્ડ નહોતા. એમનું કહેવું હતું કે ગુજરાતી ફિલ્મો કંઈ ઝાઝી ચાલે-બાલે નહીં. તેઓ એવુંય કહેતાં કે તું મારો દીકરો છે એટલે જરૂરી નથી કે મારે તારી ફિલ્મમાં એક્ટિંગ કરવી જ પડે. હું કોઈની મદદ વગર જાતે મારા પગ પર ઊભો રહું એવી પપ્પાની ઇચ્છા હતી."
સિદ્ધાર્થ રાંદેરિયાના ગળે વાત ઉતારવી સહેલી નથી જ. સગા દીકરા માટે પણ નહીં! પણ ભલું થજો ઈશાને સ્વતંત્રપણે ડિરેક્ટ કરેલી કોર્પોરેટ ફિલ્મો અને કેટલીક ટીવી એડ્સનું (પાર્ક એવન્યુ, વિરાટ કોહલીવાળી એક એડ્ જે ક્યારેય રિલીઝ ન થઈ, શાહરુખ ખાનની નેરોલેક પેઇન્ટની એડ જે ખૂબ ચાલી) કે જે જોઈને સિદ્ધાર્થ રાંદેરિયા કૂણા પડયા. એમને દીકરાની કાબેલિયત પર ભરોસો બેઠો. એમને થયું કે જો દીકરો મોટી સેલિબ્રિટીઓને લઈને એડ્સ બનાવી શકતો હોય તો એ ગુજરાતી ફિલ્મ જરૂર હેન્ડલ કરી શકશે.
અને પછી શરૂ થયું 'ગુજ્જુભાઈ ધ ગ્રેટ'ની સ્ક્રિપ્ટને આકાર આપવાનું કામ. મૂળ નાટકની વાર્તામાં ઘણાં ફેરફાર કરવામાં આવ્યા. ફિલ્મમાં ગુજ્જુભાઈને સમાંતર બીજો યુવાન હીરો હોવો જ જોઈએ તે વિશે ઈશાનના મનમાં કોઈ અવઢવ નહોતી. સ્ક્રિપ્ટના સાતથી આઠ ડ્રાફ્ટ લખાયા. અમદાવાદનું કલ્ચર અને ભાષા બારીકાઈથી સમજવા માટે ઈશાન વચ્ચે બે મહિના માટે અમદાવાદ રહી આવ્યા. સંવાદલેખન માટે કેટલાક લેખકોનો અપ્રોચ કરી જોયો, પણ વાત જામી નહીં. એક દિવસ પરેશ રાવલે જિમમાં એક્સરસાઇઝ કરતાં કરતાં ઈશાનને કહ્યું: સારામાં સારો ડાયલોગ રાઇટર તારા ઘરમાં જ બેઠો છે, તું એને શું કામ કન્વિન્સ કરતો નથી? પણ સિદ્ધાર્થ રાંદેરિયા પોતાનાં નાટકના શોઝમાં ખૂબ બિઝી હતા. આથી ઈશાન બે મહિના સતત એમની સાથે રહ્યા, એમની સાથે બહારગામની ટૂરો કરી. સિદ્ધાર્થ રાંદેરિયા રાત્રે શો કરે અને દિવસે ફિલ્મ પર કામ કરે. ફિલ્મના એક્ટર, રાઇટર અને કો-પ્રોડયુસર આ ત્રણેય તરીકે એટલે જ સિદ્ધાર્થ રાંદેરિયાનું નામ બોલે છે.

"યુવાન હીરો માટે મારા મનમાં જિમિત ત્રિવેદી પહેલેથી ફિટ થઈ ગયો હતો," ઈશાન કહે છે, "ખાસ કરીને એણે 'ભૂલભુલૈયા'ફિલ્મમાં જે રીતે એક્ટિંગ કરી હતી તે જોઈને મને બકુલ બૂચના પાત્ર માટે એ એકદમ પરફેક્ટ લાગતો હતો. જોકે, ત્રણેક એક્ટરો સાથે મારી વાત ચાલતી હતી. મેં કમલેશ ઓઝાનો અપ્રોચ કરેલો, પણ એ પોતાના નાટકમાં બિઝી હતા. દિવ્યાંગ ઠક્કર ('કેવી રીતે જઈશ' અને 'બે યાર' ફેમ) પણ વિકલ્પ હતો (અમે બન્ને વ્હિસલિંગ વૂડ્સમાં સાથે ભણ્યા છીએ), પણ આખરે જિમિત ફાયનલાઇઝ થયો. તમે માનશો, જિમિતનું કાસ્ટિંગ સૌથી છેલ્લું થયું હતું. હું બિલકુલ ક્લિયર હતો કે આ રોલ માટે કરેક્ટ એક્ટર મળશે તો અને ત્યારે જ હું ફિલ્મ બનાવીશ."
બ્રિલિયન્ટ કાસ્ટિંગ છે જિમિતનું. 'ગુજ્જુભાઈ ધ ગ્રેટ'માં એમણે સિદ્ધાર્થ રાંદેરિયાને જોરદાર ટક્કર આપી છે. ઇન ફેક્ટ, કેટલાંય દૃશ્યોમાં એ રીતસર છવાઈ જાય છે. હી ઇઝ ધ સીન-સ્ટિલર ઓફ ધ ફિલ્મ! ફિલ્મનું શૂટિંગ જોકે બહુ જ સ્ટ્રેસફુલ પુરવાર થયું હતું. એક્ટરોની તારીખ મળે તે પ્રમાણે આખી ફિલ્મ એડજસ્ટ કરી-કરીને, ટુકડે ટુકડે, આડાઅવળા ક્રમમાં શૂટ થઈ છે. અધવચ્ચે આસિસ્ટન્ટો બદલાયા, પ્રોડક્શનના માણસો, કોસ્ચ્યુમ ડિઝાઇનર વગેરે બદલાયા. કદાચ આ એક ગુજરાતી ફિલ્મ હતી એટલે ટીમના ઘણાં લોકો એને ગંભીરતાથી લેતા નહોતા. આમ જોવા જાઓ તો અડચણો કંઈ ફિલ્મના મેકિંગમાં ઊભી થતી નથી? પણ કહે છેને કે ઓલ ઇઝ વેલ ધેટ એન્ડ્સ વેલ. મજાની વાત એ છે કે શૂટિંગ દરમિયાન જે કંઈ તકલીફો પડી હશે તે આપણને 'ગુજ્જુભાઈ...' જોતી વખતે સ્ક્રીન પર દેખાતી નથી. ઓડિયન્સને તો એક મસ્તમજાની પ્રોડક્ટ જ જોવા મળે છે. એ જ તો મહત્ત્વનું છે.
'ગુજ્જુભાઈ...' જે શાનદાર રીતે રિલીઝ થઈ છે એ ગુજરાતી સિનેમા માટે અભૂતપૂર્વ છે. ગુજરાત અને મુંબઈ મળીને એકસાથે ૧૧૩ થિયેટરોમાં તે રજૂ થઈ. રોજના ૨૧૨ શોઝ. લોકોને ફિલ્મ એટલી બધી પસંદ પડી ગઈ છે કે થિયેટર અને શોઝ બન્નેના આંકડા ક્રમશઃ વધતા જાય છે. 'ગુજ્જુભાઈ...'ને મોટા સ્તરે રિલીઝ કરવાનું શક્ય બની શક્યું એનું એક બહુ મોટું કારણ અભિષેક જૈનની ફિલ્મોનાે સુપરહિટ ટ્રેક રેકોર્ડ છે એવું ઈશાન દિલપૂર્વક સ્વીકારે છે. 'કટ્ટી બટ્ટી' જેવી બિગ બજેટ મેઇનસ્ટ્રીમ હિન્દી ફિલ્મને પછાડીને આપણી ભાષાની ફિલ્મ થિયેટરોમાં અત્યારે આગળ વધી રહી છે તે જોઈને દિલને ભારે ટાઢક વળે છે!   
"બધા મને કહ્યા કરે છે કે ભાઈ, હવે તો હળવો થા, હવે તો સ્માઇલ કર, બટ આઈ ડોન્ટ નો, મને હજુય થયા કરે છે કે ફિલ્મ ઘણી બહેતર બની શકી હોત. કદાચ આવું મને એકલાને નહીં, દરેક ફિલ્મમેકરને પોતાની ફિલ્મ રિલીઝ થયા પછી ફીલ થતું હશે!" ઈશાન કહે છે, "પપ્પા ખૂબ જ ખુશ છે. હી ઇઝ વેરી પ્રાઉડ ઓફ મી. આનાથી વધારે શું જોઈએ?"
હવે પછી શું? 'ગુજ્જુભાઈ...'ની સિક્વલ? "આઈ ડોન્ટ નો!" ઈશાન સમાપન કરે છે, "લેટ્સ સી!"
 જો 'ગુજ્જુભાઈ...' પાર્ટ ટુ બનશે તો સંભવતઃ ગુજરાતી સિનેમાની તે સર્વપ્રથમ સિક્વલ હશે!
                                           0 0 0 

Wednesday, September 23, 2015

ટેક ઓફ : બેડરૂમની બહાર પતિ-પત્નીએ એકબીજા સાથે કેવું વર્તન કરવું જોઈએ?

Sandesh - Ardh Saptahik Purti - 23 Sept 2015

ટેક ઓફ 

સીધા માણસે વાંકા પછડાયાની ચિંતા કરવાની ન હોય. સારા દોસ્તો પાડોશી બને ત્યારે સૌથી પહેલાં તો બન્નેનાં ઘર વચ્ચે ઊંચી દીવાલ ચણી લેવી. દેશમાં કશી સમસ્યા જ નહીં હોય તો સાધ્વી પણ શાસન કરી શકશે. વેલલદાખી- તિબેટિયન-નેપાળી-ચીની કહેવતોની દુનિયામાં તમારું સ્વાગત છે!

હેવતોમાં પેઢીઓનું ડહાપણ, જ્ઞાાન અને અનુભવોનો અર્ક ઓગળેલાં હોય છે. કહેવતોમાંથી જે તે પ્રદેશની જીવનશૈલી અને સંસ્કૃતિની ઝલક પણ મળતી હોય છે. આ રહી કેટલીક ધારદાર તિબેટિયન, લદાખી, નેપાળી અને ચીની કહેવતો. પ્રત્યેક કહેવત સ્વયં સ્પષ્ટ છે એટલે એમના વિશે ઝાઝી પિષ્ટપેષણ કરવાની કશી જરૂર નથી. તો પ્રસ્તુત છે...
  •  સદ્નસીબ બહુ લાંબા સમય સુધી ટકે તો સતર્ક થઈ જવું.
  •  અકસીર ઇલાજ કરતી દવા અને સાચી સલાહ મીઠી ન પણ હોય.
  •  વડીલોની સો સલાહ કરતાં દુશ્મનનો એક મુક્કો ઘણું વધારે શીખવી દે છે.
  •  નસીબ ખરાબ હોય તો બોખો કૂતરો પણ કરડી જશે.
  •  ચોર ક્યારેય ઘંટડીની ચોરી નહીં કરે.
  •  માણસને કઈ વાત પર હસવું આવે છે એના પરથી એના ચારિત્ર્યનું માપ નીકળે છે.
  •  મદદ કે ઉધાર ન માગો ત્યાં સુધી સામેની વ્યક્તિનો સ્વભાવ સારો જ હોય છે.
  •  માણસ પૈસાદાર થઈ જવાથી બદલાઈ જતો નથી, માત્ર એના ચહેરા પરથી મહોરું ઊતરી જતાં એની અસલિયત છતી થઈ જાય છે.
  •  માણસ પોતે સીધો હોય તો એણે વાંકા પછડાયાની ચિંતા કરવાની ન હોય.
  •  બગીચાનાં ફૂલોની ખુશબૂ માત્ર પાડોશમાં પ્રસરે છે, જ્યારે માણસના ચારિત્ર્યની મહેક છેક પહાડોની ટોચ સુધી ફેલાય છે.
  •  પૂરને આવતું અટકાવી શકાય છે, પણ લોકોને પીઠ પાછળ વાતો કરતા અટકાવી શકાતા નથી.
  •  પુરુષ જે ફર્યો નથી અને સ્ત્રી જેણે સંતાન જણ્યું નથી તેને જિંદગીની અસલિયતની ખબર જ નથી.
  •  લશ્કરની છાવણી બનાવવા માટે સો સૈનિકોની જરૂર પડે છે, પણ ઘર બનાવવા માટે એક સ્ત્રી પર્યાપ્ત છે.
  •  સમાજમાં અરાજકતા ફેલાય ત્યારે હોશિયાર નેતાની જરૂર પડે છે, પરિવારમાં અરાજકતા ફેલાય ત્યારે ગુણવાન પત્નીની જરૂર પડે છે.
  •  સારી પત્નીઓના નસીબમાં ખરાબ પતિ અને સારા પતિઓેના નસીબમાં ખરાબ પત્ની લખાયેલી હોય છે.
  •  શયનખંડની બહાર પતિ-પત્નીએ એકબીજા સાથે મહેમાન જેવું વર્તન કરવું જોઈએ.
  •  ધનવાનની રખાતના મોંઘાદાટ પોષાક કરતાં ગરીબની પત્નીનાં થીગડાંવાળાં કપડાં વધારે મૂલ્યવાન છે.
  •  જે પુત્રને બાપની જરૂર નથી અને જે પત્નીને પતિની જરૂર નથી એની હાલત આખરે ગલીનાં કૂતરાં કરતાંય બદતર થાય છે.
  •  દસ અલગ અલગ પુરુષો સાથે સંબંધ બનાવી ચૂકેલી સ્ત્રી મરણપથારીએ પડી હશે ત્યારે એની આસપાસ કોઈ નહીં ફરકે.
  •  પતિ-પત્નીના ઝઘડામાં વચ્ચે પડનારો માણસ મૂરખ જ હોઈ શકે.
  •  નાનપણમાં બાપ ગુમાવી દેવો અને મધ્યવયે પત્ની ખોઈ દેવી - આના કરતાં મોટું કોઈ દુર્ભાગ્ય નથી.
  •  જ્યારે વિનાશે ઘરમાં પ્રવેશ કરવો હોય ત્યારે સ્ત્રીની જીભ ક્યારેક સીડીનું કામ કરતી હોય છે.
  •  ડાકણને રહેવાનું કાયમી ઠેકાણંુ મળી જશે, પણ એક કરતાં વધારે દીકરા ધરાવતી સ્ત્રીએ ઘડપણમાં આમથી તેમ ભટકવું પડે છે.
  •  મા કરતાં પત્નીને વધારે માન આપતો દીકરો નઠારો છે. દીકરાને પત્ની વિરુદ્ધ ચડામણી કરતી મા નઠારી છે.
  •  દુનિયામાં એક બાળક સૌથી સુંદર છે અને તે દરેક મા પાસે હોય છે.
  •  સ્ત્રીને ઓળખવી હોય તો એની માતાને જાણો, પરખો.

  •  દીકરીને પિયરની શેરીનાં કૂતરાં પણ વહાલાં લાગે છે.
  •  જુવાન દીકરીને ઘરમાં રાખવી એ વાઘણને ઘરમાં પૂરી રાખવા બરાબર છે.
  •  મા-બાપ દસ સંતાનોને સારી રીતે મોટાં કરી શકશે, પણ દસ સંતાનો એક મા-બાપની સારસંભાળ નહીં લઈ શકે.
  •  ભીની માટી અને નાના બાળકને કોઈ પણ ઘાટમાં ઢાળી શકાય છે.
  •  પત્નીના મૃત્યુ પછી સાસરાનું ઘર નાટક પૂરું થઈ ગયા પછીના મંચ જેવું બની જાય છે.
  •  સાસુ સાથે સારો વર્તાવ કરશો તો એ દિવસમાં ત્રણ વાર ઘરે આવશે.
  •  સાસુ મરી વર્ષો પહેલાં, પણ રડવું આવ્યું આજે.
  •  સ્ત્રી સવારે વહેલી ઊઠી જાય તો પતિ ચિડાય છે, મોડી ઊઠે તો સાસુ.
  •  સ્ત્રીએ પતિને કેવું લાગશે એ વિચારવાનું હોય, સાસરિયાઓને કેવું લાગશે તે નહીં.
  •  બનાવટી મિત્ર કરતાં કઠોર દુશ્મન સારો.
  •  ખરાબ દોસ્ત શોધવો સહેલો છે, સારો દોસ્ત ગુમાવવો અઘરો.
  •  દર્પણ વગર શૃંગારની શી રીતે ખબર પડે? મિત્રો વગર પોતાની નબળાઈઓ વિશે શી ખબર પડે?
  •  તમારા ખરા મિત્રો કોણ છે એ વાત ક્યારેય જાહેર ન કરવી.
  •  દીકરાનાં લક્ષણ કેવાં છે તે જાણવા માટે એના દોસ્તારોને મળો.
  •  સારા દોસ્તો પાડોશી બને ત્યારે સૌથી પહેલાં તો બન્નેના ઘર વચ્ચે ઊંચી દીવાલ ચણી લેવી.
  •  વૃદ્ધ માણસ અને પોચા ભાત નુકસાન કરતા નથી.
  •  જો જુવાન માણસ પાસે ડહાપણ અને વૃદ્ધ પાસે તાકાત હશે તો બધાં કામ સરસ રીતે પાર પડશે.
  •  ડોસાનાં બધાં સિક્રેટ્સ ડોસી જાણતી હોય છે.
  •  ઘડપણમાં સંતાનો સાથે આજ્ઞાાંકિત બનીને રહેવું.
  •  ગૌતમ બુદ્ધ જેવા ગૌતમ બુદ્ધ પણ ક્યારેક તો સાધારણ માણસ જ હતા. 


  •  ધનિક માણસની યાદદાસ્ત ટૂંકી હોવાની.
  •  ઉચ્ચ કક્ષાનો માણસ નઠારા માણસોની નબળાઈઓને યાદ કરતો નથી.
  •  નસીબદાર માણસને સમૃદ્ધ પુત્રો હોય છે, કમનસીબ માણસને સમૃદ્ધ ભાઈઓ.
  • ગરીબ માણસ કંઈક આપવા આવ્યો હશે તોપણ પહેલી નજરે તો કશુંક માગવા આવ્યો હશે એવું જ લાગશે.
  •  એક અંધ બીજા અંધને દોરીને જશે તો આખરે બન્નેએ કૂવામાં ખાબકવું પડશે.
  •  અંધ માણસ આંખો ખોલે કે બંધ રાખે, શો ફર્ક પડે છે?
  •  દુર્જનથી તો સ્વયં ભગવાન પણ ડરે છે.
  •  નઠારો માણસ જંગલમાં જશે તો કચરો જ ભેગો કરશે.
  •  વિકૃત માણસનો કોઈ ઇલાજ નથી.
  •  એક ડાહ્યો માણસ હજાર મૂરખના પેટ ભરી શકશે, પણ એક મૂરખ પોતાના એકલાનું પેટ પણ નહીં ભરી શકે.
  •  મૂર્ખના હાથમાં પૈસા ઝાઝા ટકતા નથી.
  •  મૌખિક પુરાવા કરતાં લિખિત પુરાવા સો ગણા સારા.
  •  માણસને હંમેશાં એ જ મળે છે જેની એણે ઝંખના કરી હોય છે.
  •  તમારું પાકીટ સાચવીને રાખો, બીજાઓને દોષ ન દો.
  •  દુશ્મન શોધવા માટે બહુ દૂર જવાની જરૂર નથી. પ્રિયજન સાથેનો અતિ પરિચય આપોઆપ નફરત પેદા કરશે.
  •  ભણતર વગરનું બાળક પાંખ વગરના પક્ષી જેવું છે.
  •  સો પુરુષ અને સો સ્ત્રીના ગુણ ભેગા કરો ત્યારે એક સર્વગુણસંપન્ન માણસ પેદા થાય.
  •  સ્વર્ગનો દરવાજો ધીરજના પાત્રના તળિયે છુપાયેલો છે.
  •  સો વાર સાંભળવા કરતાં એક વાર જોવું સારું.
  •  જુવાન માણસના જ્ઞાાન કરતાં વૃદ્ધ માણસનો અનુભવ ચડિયાતો છે.
  •  તમને ખબર હોય કે આવતી કાલે તમારું મૃત્યુ થવાનું છે તોય આજે કશુંક નવું તો શીખવાનુું જ.
  •  જે અહીં છે તે બધે જ છે, જે અહીં નથી તે ક્યાંય નથી.
  •  દેશમાં કશી સમસ્યા જ નહીં હોય તો સાધ્વી પણ શાસન કરી શકશે.
  •  સાત દીકરીઓ વચ્ચે કાનના બૂટિયાંની એક જ જોડ હશે તો દરેક તહેવાર વખતે ઝઘડા થવાના જ.
  •  તમને ખબર જ ન હોય કે તમે ક્યાં ઊભા છો, તો તમારા માટે બધા રસ્તા એકસમાન જ છે.
  •  ઘેટાની જેમ સો દિવસ જીવવા કરતાં સિંહની જેમ એક દિવસ જીવવું સારું.
  •  પગમાં ચામડાંનાં જૂતાં પહેરાય, આખી ધરતીને ચામડાંથી ઢાંકવા ન જવાય.
  •  શબ્દો પરપોટા જેવા છે, કાર્ય સોનાની લગડી સમાન છે.                             0 0 0 

ટેક ઓફ : જીવન ચલને કા નામ...

Sandesh - Ardh Saptahik Purti - 9 Sept 2015

ટેક-ઓફ 

એવી કેટલીક વાતો હોઈ શકે છે જે નિકટનાં સ્વજનો કે મિત્રોને પણ કહી શકાતી નથી. અમુક લોકો સાઇકિયાટ્રિસ્ટને પણ બધેબધું કહી શકતાં નથી. માનસિક પીડા હદ બહાર વધી જાય અને આત્મહત્યાના વિચારો આવવા લાગે એવી સ્થિતિમાં શું કરવું?



જેનું જીવની જેમ જતન કરીને મોટો કર્યો હોય એવો સત્તર વર્ષનો દીકરો એકાએક આત્મહત્યા કરીને જીવન ટૂંકાવી નાખે તો મા-બાપની શી હાલત થાય? એ ફાટી પડે, એવો ભયાનક ઝટકો લાગે કે મરતાં સુધી કળ ન વળે પણ મુંબઈમાં વસતા એન્થની ફર્ટાડો નામના સજ્જન જુદી માટીમાંથી બન્યા છે. સગા દીકરાનાં કમોતની પ્રતિક્રિયા એમણે સાવ જુદી રીતે આપી. આવતી કાલે દુનિયાભરના દેશોમાં સુસાઇડ પ્રિવેન્શન ડે(આપઘાત નિવારણ દિવસ) નિમિત્તે કંઈકને કંઈક પ્રવૃત્તિઓ થવાની છે ત્યારે એન્થની વિશે વિગતવાર જાણવા જેવું છે.
એન્થનીનો દીકરો મિખાઈલ ભણવામાં બહુ કાચો હતો. પહેલા ધોરણથી જ બધા વિષયોમાં નાપાસ થયા કરે. પ્રકૃતિ અતિ ચંચળ,હાઈપર-એક્ટિવ. કલાકો સુધી ફૂટબોલ અને હોકી રમે તો પણ થાકવાનું નામ ન લે, આથી એની એનર્જીને સાચા રસ્તે વાળવા પિતાએ એને એથ્લેટિક્સમાં આગળ વધવા માટે પ્રોત્સાહન આપ્યું. લોન્ગ-ડિસ્ટન્સ રનર તરીકે એણે સારુંં પર્ફોર્મ કર્યું, ઈનામો પણ જીત્યાં પણ મોટો થતો ગયો તેમ તેમ એ વધુ હિંસક બનતો ગયો. ભયાનક ગુસ્સો કરે. રિમોટના ઘા કરીને તોડી નાખે, મા અને બહેન પર હાથ ઉપાડે. પિતા એને માનસ-ચિકિત્સક પાસે લઈ ગયા. ડોક્ટરે કહ્યું કે છોકરો ડિપ્રેશનથી પીડાય છે. એને આર્મીમાં જવાની ઇચ્છા હતી. લશ્કરી જવાનોની કઠિન લાઇફસ્ટાઇલ વિશે ખબર પડે તે માટે એન્થની એને પુનાની મિલિટરી કન્ટોન્મેન્ટ લઈ ગયા, પછી નક્કી થયું કે આના કરતાં મર્ચન્ટ નેવી જોઈન્ટ કરવું સારું. થોડા મહિના પછી છોકરાના દોસ્તારોએ એને કન્વિન્સ કરી નાખ્યો કે તું હોટેલ મેનેજમેન્ટમાં જા અને કોઈ મસ્ત ફાઇવસ્ટાર હોટેલ જોઈન કરી લે. છોકરાનું ચંચળ મન વારે વારે બદલાયા કરતું હતું.
છોકરો માંડ માંડ દસમા ધોરણ સુધી પહોંચ્યો. ઘરમાં ભણતર માટે એના પર સહેજ પણ દબાણ કરવામાં આવતું નહોતું. ઊલટાનું,એન્થની એને શાકભાજી વેચનાર કાછિયાનું ઉદાહરણ આપીને કહેતા કે જો, આ માણસ ખાલી ચાર ચોપડી ભણ્યો છે પણ તોય મહિને બાર હજાર રૂપિયા કમાઈ લે છે, એટલે તારે ભણવાનું બિલકુલ ટેન્શન લેવાનું નથી. છોકરો તાડની જેમ વધીને છ-ફૂટિયો થયો હતો, તોય બાપના ખોળામાં માથું મૂકીને સૂતો. છોકરાને ઇલેક્ટ્રિશિયનના કોર્સમાં દાખલ કરવામાં આવ્યો. એમાં એ પહેલી વાર બધા વિષયોમાં પાસ થઈ ગયો. ૭૧ ટકા માર્ક્સ લઈ આવ્યો. છોકરો રાજીનો રેડ થઈ ગયો. એણે બારમા ધોરણની પરીક્ષા આપવાનું નક્કી કરી લીધું.
બધું સરસ થઈ રહ્યું હતું, સાઇકિયાટ્રિસ્ટની દવા નિયમિત લેવાને લીધે છોકરાનું ડિપ્રેશન કંટ્રોલમાં આવી ગયું હતું ત્યાં ફરી પાછી ફાચર પડી. એકવાર કોઈએ એને સાઇકિયાટ્રિસ્ટનાં ક્લિનિકમાંથી બહાર નીકળતા જોઈ લીધો. દોસ્તો ચીડવવા લાગ્યા : અલ્યા,તારા ઘરવાળા તને ગાંડાના ડોક્ટર પાસે શું કામ લઈ જાય છે? તું ગાંડો છે? પત્યું. છોકરાએ ગોળીઓ ગળવાનું બંધ કરી દીધું. ડિપ્રેશનની દવા બંધ થતાં જ દિમાગનું કેમિકલ સંતુલન પાછું ખોરવાવા માંડયું. ગાડી પાછી પાટા પરથી ઊતરવા માંડી. બારમા ધોરણનું એક પેપર આપીને છોકરાએ ઘરે ધમાલ મચાવી મૂકી : મારુંં પેપર ખરાબ ગયું છે, હું ફેલ થઈશ. એ જ દિવસે એણે પોતાનાં ઘરમાં ગળાફાંસો ખાઈને આપઘાત કરી નાખ્યો.
 એન્થની ફર્ટાડોએ નક્કી કર્યું : હું મારા દીકરાનું મોત એળે નહીં જવા દઉં. બીજાઓનાં સંતાનોને આપઘાત કરતાં અટકે તે માટે હું મારાથી બનતા તમામ પ્રયત્ન કરીશ. છેલ્લાં સત્તર વર્ષથી તેઓ ફોન પર હેલ્પલાઈન શરૂ કરી દેશભરમાં ફરીને માનસિક સ્વાસ્થ્ય અંગે જાગ્રતિ ફેલાવવા સ્કૂલો, કોલેજો, સોસાયટીઓ, ઝૂંપડપટ્ટીઓમાં સેમિનાર યોજે છે. છેલ્લાં ત્રણ વર્ષમાં જ એમણે ૨૭૪ કરતાં વધારે સેમિનાર ગોઠવ્યા. એન્થનીનું સૂત્ર છે : કોલ બિફોર યુ ક્વિટ. આપઘાતનું આત્યંતિક પગલું ભરતાં પહેલાં બસ એક ફોન કરો. તમારા મનમાં જે કંઈ જે તે બહાર ઠાલવી દો. ભયંકર રીતે પીડાઈ રહેલા કોલરને એન્થની પ્રેમથી સાંભળે છે, સમજાવવાની કોશિશ કરે, વાતોમાંને વાતોમાં સામેના માણસની આપઘાત કરવાની ઝંખના મંદ પડી જાય છે, કટોકટીભરી નિર્ણાયક ક્ષણ પસાર થઈ જાય છે. મોટાભાગના કેસમાં આવું બને છે. એન્થનીએ આ રીતે રેલવે ટ્રેક પાસે પહોંચી ગયેલા અને ઊંચી બિલ્ડિંગની અગાસી પર ચડી ગયેલાં લોકોને પાછાં વાળ્યાં છે.


મુંબઈના મહેશ પોદ્દારની કહાણી એન્થની જેવી જ છે. એમની એકની એક દીકરીને દસમા ધોરણમાં ૮૨ ટકા આવ્યા. મનગમતી જુનિયર કોલેજમાં એડમિશન મળે એમ નહોતું. સોળ વર્ષની છોકરીએ આપઘાત કરી નાખ્યો, જ્યારે જ્યારે એ કોલેજની વાત કાઢતી ત્યારે મહેશ પોદ્દાર અને તેમની પત્ની કહ્યાં કરતાં : તેઓ એટલું જ કહેતાં : બેટા, શું ફરક પડે છે ધાર્યા માર્ક્સ ન આવ્યા તો? એસએસસીને હવે ભૂલી જા, આગળ વધ. પતિ-પત્નીએ કયારેય એની સાથે લંબાણપૂર્વક ચર્ચા કરી જ નહીં. છેલ્લે છેલ્લે દીકરીનું ખાવાનું સાવ ઓછું થઈ ગયું, કાયમ અડધે ભાણે ઊઠી જતી. ઊંઘ ઘટી ગઈ હતી. રાત્રે ત્રણ-ચાર વાગ્યા સુધી એના રૂમની લાઈટ બળતી રહેતી. ટીવી જોવામાંય એને રસ નહોતો પડતો. એક વાર પપ્પાને પોતાની હથેળી બતાવીને કહેલું પણ ખરુંં : પપ્પા, જુઓ તો, મારી આયુષ્યની રેખા કેટલી ટૂંકી છે. પપ્પાને પોતાની હથેળી ધરીને કહ્યુંં : એમાં શું? મારી લાઇફલાઇન તો તારી લાઇફલાઇન કરતાંય નાની છે, જો.
દીકરીનો આ સઘળો વર્તાવ ચોક્કસ સંકેત કરતો હતો પણ મા-બાપ તે ઉકેલી ન શકયાં. એમનો કદાચ વાંક પણ નહોતો. આપઘાતની વૃત્તિનું તાવ જેવું તો છે નહીં કે મોંમાં થર્મોમીટર મૂકયું ને ખબર પડી જાય. દીકરીના આપઘાત પછી મહેશ પોદ્દાર છેલ્લે ચૌદ વર્ષથી દેશભરની શાળા-કોલેજોમાં જાય છે,
 વાલીઓને મળે છે અને તરુણો-યુવાનોને આપઘાત કરતાં શી રીતે બચાવી શકાય તે વિશે પ્રવચન આપે છે. અત્યાર સુધીમાં લગભગ સવાસો લેક્ચર લીધાં છે. એન્થનીની માફક તેઓ પણ દર વખતે ખુદની દીકરીનાં મોતની અત્યંત વેદનાભરી સ્મૃતિ લોકો સાથે શેર કરીને કહે છે : મારી સાથે જે થયું તે તમારી સાથે ન થવું જોઈએ.
મહેશ પોદ્દાર એક વાત હંમેશાં કહે છે કે હું અને મારી વાઇફ અમારી દીકરીને વધારે પડતાં સાચવ-સાચવ કરતાં હતાં. ઓવર-પ્રોટેક્ટિવ બનીને અમે મોટી ભૂલ કરી નાખી. સંતાનોને છુટ્ટાં મૂકી દેવાં જોઈએ. અસલી દુનિયાનો સામનો કરાવતાં શીખવવું જોઈએ. ભલે એ પડે-આખડે, ભૂલો કરે, એેને ખબર પડવી જોઈએ કે દર વખતે આપણે ઇચ્છીએ છીએ તેવું ન પણ થાય. સંતાન ભણેશરી હોય અને આખો દહાડો ભણ-ભણ જ કરતું હોય તો ઘણાં મા-બાપ ગર્વ લેતાં હોય છે : જુઓને, અમારી ગુડ્ડી(કે મુન્નો) કાયમ વાંચતી જ હોય, એને બહાર જઈને રમવું પસંદ જ નથી. આ ખોટું છે. બાળકોેએ એની ઉંમરનાં બીજાં છોકરાછોકરીઓ સાથે રમતગમત કરવી જોઈએ. વાલીઓએ સંતાનોને સ્પોર્ટ્સમાં થોડાઘણાં એક્ટિવ રાખવાં જોઈએ. સ્પોર્ટ્સ માણસને હારતાં શીખવે છે. સ્વસ્થતાપૂર્વક પરાજયને પચાવતાં શીખવે છે. હાર્યા પછી હથિયાર હેઠાં મૂકી દેવાને બદલે જીતવા માટે નવેસરથી પ્રયત્ન કરતાં શીખવે છે.
ભારતમાં આત્મહત્યાનંુ પ્રમાણ વધ્યું છે તે સાચી વાત છે. ૨૦૦૩માં આત્મહત્યાના ૧,૧૦,૮૫૧ કેસ નોંધાયા હતા. દસ વર્ષમાં આ આંકડો ૧,૩૪,૭૯૯ પર પહોંચી ગયો. ચેન્નઈમાં આપઘાતના કિસ્સા સૌથી વધારે નોંધાય છે ત્યાર બાદ બેંગ્લુરુ, દિલ્હી અને મુંબઈનો ક્રમ આવે છે. યંગસ્ટર્સમાં ડિપ્રેશન અને આત્મહત્યાનું પ્રમાણ સતત વધી રહ્યુંં છે તે ચિંતાનું કારણ છે. અલબત્ત, વાત કેવળ જુવાનિયાઓની નથી. તરુણોથી લઈને ગૃહિણીઓ, મધ્યવયસ્ક પુરુષો અને એકલતા અનુભવતા વૃદ્ધો સુધીના તમામ વયજૂથનાં લોકો આત્મહત્યાની ધાર સુધી ફેંકાઈ શકે છે. આવી સ્થિતિમાં અમુક સંસ્થાઓ ટેલિફોનિક હેલ્પલાઈન ચલાવીને માનસિક રીતે પીડાઈ રહેલાં લોકોનું દુઃખ હળવું કરવાનું ઉત્તમ કાર્ય કરી રહી છે. આજે મીડિયા બે બદામનાં ફાલતુ લોકોને ચગાવી મારશે, અર્થહીન ઘટનાઓનું દિવસ-રાત રિપોર્ટિંગ કર્યા કરશે પણ નિષ્ઠાપૂર્વક ચૂપચાપ કામ કરી રહેલી જેન્યુઈન સેવાભાવી માણસો કે સંસ્થાઓની સામે પણ નહીં જુએ.
આવી એક સંસ્થાનું નામ છે, ધ સમારિટન્સ. મુંબઈમાં છેલ્લાં બાવીસ વર્ષથી આ સંસ્થા સુસાઇડ પ્રિવેન્શન હેલ્પલાઈન ચલાવે છે. બેન્ક એકિઝકયુટિવ તરીકે નિવૃત્ત થયા બાદ છેલ્લાં પંદર વર્ષથી સંસ્થા સાથે સંકળાયેલા સંસ્થાના ૭૮ વર્ષીય ડિરેક્ટર મનોહર રાંગણેકર કહે છે, 'દુખિયારાં લોકોની આસપાસ ઘણીવાર એવું કોઈ હોતું નથી, જેની પાસે એ વિના સંકોચે પોતાનું હૈયું ઠાલવી શકે. એવી કેટલીક વાતો હોઈ શકે છે જે સાવ નિકટનાં સ્વજનો કે મિત્રોને પણ કહી શકાતી નથી. અમુક લોકો ઈવન સાઇકિયાટ્રિસ્ટને પણ બધેબધું કહી શકતાં નથી, આવાં લોકો માટે અમારી હેલ્પલાઈન ઉપલબ્ધ છે. લોકો અમને નિઃસંકોચ ફોન કરીને પોતાનું દુઃખ શેર કરે છે. અમે નથી એમનું નામ પૂછતા કે નથી એમની ઓળખ માગતા. અમારા વોલિન્ટિયર્સ તેમના માટે બિલકુલ અજાણ્યા હોય છે. વોલિન્ટિયર સંપૂર્ણ અનુકંપાથી, સામેનો માણસ સાચો છે કે ખોટો એવો કોઈ ચુકાદો તોળ્યા વગર સાંભળે છે અનેે કોલર ખુદ પોતાની સમસ્યાનો ઉકેલ શોધી શકે તે માટે મદદ કરે છે. કયારેક આપણને કોઈકની સમસ્યા સાવ ક્ષુલ્લક લાગતી હોય પણ એના માટે તે જીવન-મરણનો પ્રશ્ન હોઈ શકે. લોકોને કેવી રીતે સાંભળવાં તે વિશે અમારા વોલિન્ટિયર્સને સઘન તાલીમ આપવામાં આવે છે. કયારેક પાંચ-દસ મિનિટમાં વાત પૂરી થઈ જાય તો કયારેક દોઢ-દોઢ કલાક સુધી કોલર વાત કરતો રહે એવુંય બને. અમે કયારેય સામેથી ફોન ડિસકનેક્ટ ન કરીએ. સામેના માણસને જ્યાં સુધી અને જેટલી વાત કરવી હોય તે કરવા દઈએ.'


અહીં ફક્ત ભારતભરમાંથી નહીં, લંડન અને અફઘાનિસ્તાનથી પણ ફોન આવે છે. ધ સમારિટન્સ જેવી બીજી સંસ્થા છે, ધ વાંદરેવાલા ફાઉન્ડેશન અને આસરા. આ તમામ સંસ્થાઓ માનસિક સ્વાસ્થ્યનાં ક્ષેત્રમાં ઉત્તમ કામગીરી બજાવે છે. આ સૌના કોન્ટેકટ નંબર નોંધી રાખવા જેવા છે અને જરૂરતમંદ દોસ્ત કે પરિચિત સાથે શેર કરવા જેવા છે. આ બિલકુલ મફત સેવા છે. કોઈએ આ સંસ્થાઓને એક રૂપિયો પણ ચૂકવવાનો હોતો નથી. આત્મહત્યાના વિચારો આવતા હોય ત્યારે જ નહીં પણ ડિપ્રેશન હોય કે કોઈ વાત માનસિક પીડા આપી રહી હોય તો આ નંબરો પર સંપર્ક કરીને માર્ગદર્શન મેળવી શકાય છે :
ધ સમારિટન્સ : ૦૨૨-૩૨૪૭૩૨૬૭(સમય : બપોરે ૧૨થી રાતના ૯). ધ વાંદરેવાલા ફાઉન્ડેશન : ૦૨૨-૨૫૭૦૬૦૦૦(ચોવીસે કલાક). આસરા : ૦૨૨-૨૭૫૪૬૬૬૯(ચોવીસે કલાક). મિસ્ટર એન્થની ફર્ટાડો : ૦૯૮૨૦૬-૨૦૩૭૭(ચોવીસે કલાક).