Sunday, February 26, 2017

અતીત, આગમન અને ઓસ્કર

Sandesh - Ardh Saptahik Purti - 26 Feb 2017
Multiplex
આ વખતે ઓસ્કરમાં નોમિનેટ થયેલી 'અરાઈવલ'માં પૃથ્વી પર આકાર લેનારા ભાવિ ખતરાની કહાણી છે, તો 'માન્ચેસ્ટર બાય ધ સી'માં અતીતની પીડા વાત છે. બન્ને ફિલ્મો ઢગલાબંધ નોમિનેશન્સ લઈને બેઠી છે.


રાક ફ્લેશબેકમાં જાઓ. ૨૦૧૩માં ‘ગ્રેવિટી’ નામની અદભુત સાયન્સ ફ્કિશન ફ્લ્મિ જોઈને આપણે ચકિત થઈ ગયા હતા. આ ફ્લ્મિને દસ ઓસ્કર નોમિનેશન મળ્યાં હતાં, જેમાંથી સાત એવોર્ડ જીતી લીધા હતા. ૨૦૧૪માં ક્રિસ્ટોફર નોલનની આ જ જોનર એટલે કે પ્રકારની ‘ઇન્ટરસ્ટેલર’ આવી હતી. ઘસાયેલું વિશેષણ વાપરીએ તો ‘માઈન્ડબ્લોઇંગ’ ફ્લ્મિ હતી એ. આપણને હતું કે આ ફ્લ્મિ ઓસ્કરમાં સપાટો બોલાવી દેશે, પણ એને જે પાંચ નોમિનેશન મળેલાં એમાંથી એક જ કેટેગરીમાં તે બેસ્ટ સાબિત થઈ, વિઝ્યુઅલ ઈફેકટ્સમાં. ૨૦૧૫. ઓર એક સાયન્સ ફ્કિશન, મેટ ડેમનવાળી ‘ધ માર્શિઅન’. સાત ઓસ્કર નોમિનેશન. જીત એકેયમાં નહીં. આ વખતે ફરી પાછી એક સાયન્સ ફ્કિશન ઓસ્કરની રેસમાં ઉતરી છે. નામ છે એનું ‘અરાઈવલ’. એને ‘લા લા લેન્ડ’ (૧૪ નોમિનેશન) પછી સેકન્ડ હાયેસ્ટ એટલે કે આઠ નોમિનેશન મળ્યા છે. (ગયા રવિવારે જેની વાત કરી હતી તે ‘મૂનલાઈટ’ પણ આઠ કેટેગરીમાં નોમિનેટ થઈ છે.) જોવાનું એ છે કે આ વખતની સાયન્સ ફ્કિશન ઓસ્કર નાઈટમાં ‘ગ્રેવિટી’ જેવું જોર દેખાડી શકે છે કે પછી ‘ધ માર્શિઅન’ની જેમ માત્ર નોમિનેશન્સ મેળવીને સંતોષ માને છે.
આજે ‘અરાઈવલ’નો પ્રિવ્યૂ કરીશું. રિવ્યૂ નહીં પણ પ્રિવ્યૂ. સાથે સાથે ‘માન્ચેસ્ટર બાય ધ સી’નો પણ પ્રિવ્યૂ કરીશું. આ ફ્લ્મિ ઓસ્કરની છ કેટેગરીમાં નોમિનેટ થઈ છે. તેના પણ ખૂબ વખાણ સંભળાય છે.
‘અરાઈવલ’ ફ્લ્મિ ‘સ્ટોરી ઓફ યોર લાઈફ્’ નામની એવોર્ડવિનિંગ ટૂંકી વાર્તા પર આધારિત છે. એરિક હીસેરર નામના એક સ્ક્રીનરાઈટર બાપડા કેટલાય વર્ષોથી આ વાર્તા પરથી ફ્લ્મિ બનાવવા માટે હોલિવૂડના મોટા માથાંઓને સાથે મિટીંગો કરતા હતા, પણ કયાંય મેળ નહોતો પડતો. આખરે હારીથાકીને તેઓ આ આઈડિયા પડતો મૂકવાની તૈયારીમાં હતા ત્યાં એક પ્રોડયૂસરે રસ દેખાડયો. પ્રોડયૂસરે ડેનિસ વિલનવ નામના ડિરેકટરને વાત કરી. ડેનિસ લાંબા સમયથી સાયન્સ ફ્કિશન બનાવવા માગતા હતા, પણ જલસો પડે એવી કોઈ સ્ટોરી એમના હાથમાં આવતી નહોતી. ‘સ્ટોરી ઓફ યોર લાઈફ’ વાંચતા જ એમના દિમાગમાં ઘંટડી વાગી ગઈ. કહૃાું: ચલો, કરતે હૈ. કામકાજ શરૂ થયું. નવેસરથી સ્ક્રિપ્ટ લખવામાં આવી. ટાઈટલ બદલીને ‘અરાઈવલ’ કરવામાં આવ્યું. એમી આદમ્સ અને જેરેમી રેનરને મેઈન હીરો-હીરોઈન તરીકે કાસ્ટ કરવામાં આવ્યાં. જે અંતિમ પરિણામ મળ્યું તે ખાસ્સું સંતોષકારક પુરવાર થયું, ફ્લ્મિ બનાવનારાઓ, પ્રેક્ષકો અને  સમીક્ષકો, ત્રણેય માટે.
શું છે ‘અરાઈવલ’માં? અરાઈવલ એટલે આગમન. એક દિવસ પૃથ્વીના જુદા જુદા હિસ્સામાં લોકો અચાનક એક ડઝન જેટલા યુએફઓ (અનઆઈડેન્ટિફઈટ ફ્લાઇંગ ઓબ્જેકટ) એટલે કે બીજા ગ્રહમાંથી આવી પડેલી ભેદી વસ્તુને આકાશમાં ઝળુંબતી જુએ છે. વચ્ચેથી ચીરાયેલા વિરાટ કદના બલૂન જેવો તેનો દેખાવ છે. કોણ છે તેની અંદર? જો એમાં પરગ્રહવાસીઓ હોય તો તેઓ શું કામ વણનોતર્યા મહેમાન બનીને પધાર્યા છે? તેઓ દોસ્ત છે કે દુશ્મન? તેમને શું જોઈએ છે? તેમના આગમનને કારણે પૃથ્વી પર ભયંકર ખતરો તો પેદા નથી થયોને? દુનિયાભરની સરકારો આ સવાલોના જવાબ મેળવવાની કોશિશ કરી રહી છે.
એમી આદમ્સ (ફ્લ્મિમાં એનું નામ લુઈસ છે) મેદાનમાં ઉતારવામાં આવે છે. લુઈસ ઉચ્ચ દરજ્જાની ભાષાશાસ્ત્રી છે. લુઈસની સાથે ઈઆન (જેરેમી રેનર) નામના વિજ્ઞાાનીને પેલા ડઝનમાંની એક અજીબોગરીબ વસ્તુની અંદર મોકલવામાં આવે છે. પરગ્રહવાસીઓ મનુષ્યો કરતાં વધારે એડવાન્સ્ડ છે. તેમનો દેખાવ હાથવાળા ઓકટોપસ જેવો અને અવાજ વ્હેલ માછલી જેવો છે. તેમની આગવી લિખિત ભાષા પણ છે. આ ભાષાના અક્ષરો યા તો શબ્દો ગોળ ગોળ ચકરડા જેવાં દેખાય છે. લુઈસનું કામ આ ભાષાને ઉકેલવાનું છે.
જેમ જેમ લુઈસ ભાષા સમજતી જાય છે તેમ તેમ એને પોતાની દીકરી સપનાંમાં દેખાવા લાગે છે. દીકરી નાનપણમાં જ મૃત્યુ પામી હતી. પરગ્રહવાસીઓ સાથે કમ્યુનિકેટ કરતી વખતે ગેરસમજ પણ ઘણી થાય છે. જેમ કે, તેઓ કહે છે કે તેઓ પૃથ્વી પર ‘વેપન્સ (શસ્ત્રો) ઓફર’ કરવા આવ્યા છે. દુનિયાભરમાં ગભરાટ ફેલાઈ જાય છે કે આ લોકો કયાંક યુદ્ધની વાત તો નથી કરતાંને? લુઈસ સૌને સમજાવે છે કે ડરવાની જરૂર નથી. પરગ્રહવાસીઓની ડિકશનરીમાં ‘વેપન’ શબ્દનો અર્થ ‘સાધન’ કે ‘ટેકનોલોજી’ પણ હોઈ શકે.
આગળ જતાં ખબર પડે છે કે લુઈસને જે સપનાં આવતાં હતાં તે ખરેખર ભૂતકાળના નહીં, પણ ભવિષ્યકાળનાં હતાં. ભવિષ્યમાં લુઈસ એક દીકરીની મા બનશે, જે નાનપણમાં જ ગુજરી જશે એવો પૂર્વાભાસ એને કરાવવામાં આવી રહૃાો હતો. પેલા પરગ્રહવાસીઓ વાસ્તવમાં પૃથ્વીવાસીઓને પોતાની ભાષા ‘આપવા’ માટે આવ્યા હતા, કેમ કે તેઓ જાણતા હતા કે ત્રણ હજાર વર્ષ પછી તેમના પર કશીક મોટી મુશ્કેલી આવી પડવાની છે. તે વખતે તેમને માનવજાતની મદદની જરૂર પડવાની છે. માનવજાત તો જ એમની મદદ કરી શકે જો તેઓ પરગ્રહવાસીઓની ભાષા જાણતા હોય. એક હેપી મોમેન્ટ પર ફ્લ્મિ પૂરી થાય છે.

‘અરાઈવલ’માં ભવિષ્યના સંભવિત ખતરાનો મુદ્દો છે તો ‘માન્ચેસ્ટર બાય ધ સી’માં માણસને પીડા આપતા અતીતની વાત છે. ઈંગ્લેન્ડની જેમ અમેરિકામાં પણ માન્ચેસ્ટર નામનું શહેર છે. મૂળ પ્લાનિંગ પ્રમાણે ‘માન્ચેસ્ટર બાય ધ સી’નું ડિરેક્શન સુપરસ્ટાર મેટ ડેમન કરવાનો હતો, પણ પછી એણે કો-પ્રોડયૂસર બનીને સંતોષ માન્યો અને લેખન-નિર્દેશનની જવાબદારી કેનેથ લેનર્ગન નામના મહાશયને સોંપી દીધી.
ફ્લ્મિના મુખ્ય કિરદારનું નામ છે, લી ચેન્ડલર (આ રોલ નિભાવનાર કેસી એફ્લેકને બેસ્ટ એકટરનું ઓસ્કરનું નોમિનેશન મળ્યું છે). એ સફાઈ કર્મચારી છે. દુભાયેલો છે, અસામાજિક પ્રાણી છે, એકલવાયું જીવન જીવે છે. એ ગાંડાની જેમ દારૂ પીએ અને પીધા પછી લોકો સાથે મારામારી કરે છે. એ જાણે કે સતત કોઈક બોજ લઈને જીવ્યા કરે છે. એક દિવસ એક ફોન આવતાં એ પોતાના વતન માન્ચેસ્ટર ભાગે છે. એના મોટા ભાઈનું અકાળે નિધન થઈ ગયું છે. મરતા પહેલાં એ લખતો ગયો હતો કે મારા ટીનેજર દીકરા પેટ્રિકની જવાબદારી મારા નાના ભાઈ લીને સોંપવામાં આવે. મૃતકની પત્ની તો વર્ષો પહેલાં પતિ અને સંતાનને છોડીને જતી રહી હતી. આથી લીને પોતાની ભાભી પ્રત્યે પહેલેથી જ બહુ રોષ હતો. હવે લી પર એકાએક ભડભાદર થઈ ગયેલા ભત્રીજાને સાચવવાની જવાબદારી આવી પડે છે.
એક વિકલ્પ એ હતો કે લી કાયમ માટે માન્ચેસ્ટરમાં સેટલ થઈ જાય, પણ માન્ચેસ્ટરમાં રહેવાની કલ્પના માત્રથી લી ખળભળી ઉઠે છે. માન્ચેસ્ટરમાં રહેતા ઓળખીતા-પાળખીતા લોકો લીને વિચિત્ર નજરે જોયા કરે છે. તેમને થાય છે કે ભત્રીજાની જવાબદારી લી ઉપાડશે? આ માણસ, જેણે ભૂતકાળમાં…
માન્ચેસ્ટરમાં ખૂબ બરફ્ પડયો છે એટલે ચોકકસ ક્બ્રસ્તાનમાં ભાઈને દફ્નાવવા માટે થોડા દિવસ રાહ જોવી પડે તેમ છે. ડેડબોડીને મોર્ગમાં રાખવામાં આવે છે. અંતિમ વિધિ આટોપી ન લેવાય ત્યાં સુધી કોમ્પ્લિકેટેડ કાકો અને અળવીતરો ભત્રીજો એક ઘરમાં સાથે રહે છે. પછી ઘણું બધું બને છે આ દિવસોમાં.
આ સ્ટોરીમાં મેલોડ્રામેટિક અને રડકુ બની જવાય એવો પૂરો મસાલો છે, પણ રિવ્યુઅરોને મજા એ વાતની આવી ગઈ છે કે ડિરેકટરે ફ્લ્મિને હલકીફૂલકી રાખી છે. ફ્લ્મિનો મેસેજ એવો છે કે ભલે તમારી લાઈફ્માં ગમે તે થયું હોય, ભલે તમારાથી ગમે તેવો અક્ષમ્ય અપરાધ થઈ ગયો હોય, પણ મહેરબાની કરીને જીવવાનું ન છોડો, પોતાનાં સુખ અને ખુશાલીના માર્ગમાં આડા ન આવો. બીજાઓને જ નહીં, પણ પોતાની જાતને પણ માફ કરતા શીખો.
તો આ વખતે ઓસ્કરમાં કઈ ફ્લ્મિ બાજી મારશે? કયા કલાકાર-કસબીઓ ઓસ્કર ટ્રોફી શાનથી ઘરે લઈ જશે? આ સવાલના જવાબ માટે હવે બહુ રાહ જોવાની જરૂર નથી. આવતી કાલે (યેસ, આવતી કલે, ગયો તે સોમવારે નહીં) સવારના પહોરમાં છ વાગ્યામાં ટીવી સામે ઓસ્કર ફંકશનનું લાઈવ કવરેજ જોવા બેસી જજો. આ બધા સવાલોના જવાબ એક પછી એક મળતા જશે.
                                                 0 0 0 

Tuesday, February 21, 2017

પ્રેમના ઊભરા શમી જાય પછી…

Sandesh - Ardh Saptahik purti - 15 & 22 April 2017
ટેક ઓફ
એવી કઈ બાબતો છે જેને લીધે તમારું લગ્નજીવન સુખી રહી શકયું છે? ધારો કે ભૂતકાળમાં તમે ડિવોર્સ લીધા હોય તો એવી કઈ બાબતો હતી જેને લીધે તમારું આગલું લગ્નજીવન ભાંગી પડયું હતું?


માર્ક મેન્સન નામનો એક અમેરિકન બ્લોગર અને લેખક છે. તાજેતરમાં, વેલેન્ટાઈન ડેના થોડા દિવસો પહેલાં જ એમણે લગ્ન કર્યાં. લગ્નના એક વીક પહેલાં એમણે પોતાની વેબસાઈટ પર ઘોષણા કરીઃ અટેન્શન! જેમનાં લગ્નને કમસે કમ દસ વર્ષ થઈ ગયાં હોય અને જે હજુય પોતાની મેરીડ લાઈફ્થી ખુશ હોય એવાં સ્ત્રી-પુરુષો ધ્યાન આપે. ધારો કે તમને લગ્નજીવન સફ્ળ શી રીતે બનાવવું તે વિશે યુવાનોને સલાહ આપવાનું કહેવામાં આવે તો તમે શું સલાહ આપો? એવી કઈ બાબતો છે જેને લીધે તમારું લગ્નજીવન સુખી રહી શકયું છે? ધારો કે ભૂતકાળમાં તમે ડિવોર્સ લીધા હોય તો એવી કઈ બાબતો હતી જેને લીધે તમારું આગલું લગ્નજીવન ભાંગી પડયું હતું?
દુનિયાભરના ૧૫૦૦ જેટલા હેપીલી મેરીડ લોકોએ ઉમળકાભેર આ પ્રશ્નોના વિગતવાર ઉત્તર આપ્યા. માર્કે ધ્યાનપૂર્વક બધું વાંચીને કોમન મુદ્દા અલગ તારવ્યા અને પછી પોતાના આ સર્વેના પરિણામોનો રિપોર્ટ આપ્યો. મજા પડે એવો આ રિપોર્ટ છે. ભારતનું કલ્ચર અને સામાજિક તાણાવાણા ભલે અમેરિકા-યુરોપ કરતાં જુદાં હોય, પણ લગ્નસંબંધ કે પ્રેમસંબંધના મૂળભૂત સત્યો તો બધે એકસરખા જ હોવાના. તો આ રહૃાાં એ સૌથી મહત્ત્વના મુદ્દા.
સાથે રહેવાનાં કારણોઃ સાચા કે સગવડિયાં?
લગ્ન ટકાવી રાખવાનું સાચામાં સાચું કારણ સાવ સાદું છેઃ પતિને પત્નીને કારણે અને પત્નીને પતિને કારણે જીવવાની મજા આવવી જોઈએ. બસ. એકમેકની હાજરીમાં પોઝિટિવ એનર્જીનો અનુભવ થતો હોય તો સમજી લેવું કે લગ્નગાડું સાચી દિશામાં જઈ રહૃાું છે. લગ્ન કરવાના અથવા લગ્ન નભાવ્યે રાખવાના ખોટા કારણો ઘણાં હોઈ શકે. જેમ કે પરિવાર, સગાંસંબંધીઓ કે દોસ્તોનું દબાણ હોવું, ગ્રૂપમાં બીજા બધા પરણી ચૂકયાં હોય એને પોતે જ એક બાકી રહી ગયા હોય, ડિવોર્સ લેવાથી ઓળખીતા-પાળખીતાઓમાં પોતે હાસ્યાસ્પદ બનશે એવો ડર હોય, પરણેલા હોવાને લીધે જે સામાજિક સ્વીકૃતિ મળી છે તેના વગર ચાલે એમ ન હોય, એકબીજા સાથે ઊભું બનતું ન હોય છતાંય હેપીલી મેરીડ હોવાની ‘ઈમેજ’ ટકાવી રાખવી હોય, ઓન-પેપર પરિણીત દેખાવું સરસ દેખાતું હોય, અંદરથી બરાબર જાણતા હોય કે આ લગ્નસંંબંધ ખેંચ્યા કરવાનો કશો જ મતલબ નથી છતાંય આખરે સૌ સારા વાના થઈ જશે એવો આશાવાદ હોય – આ બધા લગ્નસંબંધમાં હોવાના નબળાં કારણો થયાં. આપણા સમાજમાં માત્ર સંતાનોના હિત ખાતર પડયું પાનું નિભાવી લેનારા દંપતીઓનો તોટો નથી.
કયારેક માણસ બેજવાબદારીપણું, બેકારી, વ્યસનો, અસ્થિરતા જેવી સમસ્યાઓથી ગ્રસ્ત હોય છે, પણ એના પરિવારજનો અથવા એ પોતે માની લેતા હોય છે કે એકવાર લગ્ન થઈ જશે, એકાદ-બે બચ્ચાં પેદા થઈ જશે એટલે આપોઆપ બધું લાઈન પર આવી જશે. આ એટિટયુડ જોખમી છે. માણસ લગ્ન પછી ખરેખર ‘વ્યવસ્થિત’ થઈ જાય તો સારું જ છે, બાકી લગ્નસંબંધ પર શરૂઆતથી જ માણસને સુધારવાનો બોજ નાખી દેવાથી નવી સમસ્યાઓ પેદા થઈ શક્ે છે. આવા કેસમાં લગ્ન પછી પરિસ્થિતિ ઊલટાની વધારે વકરે એવુંય બને.

પ્રેમની લાગણી પાસેથી વધારે પડતી અપેક્ષા ન રાખવી
હોલિવૂડના એકટર રોબિન વિલિયમ્સનું એક સરસ કવોટ છેઃ ‘ગોડ ગેવ મેન અ બ્રેઈન એન્ડ અ પેનિસ એન્ડ ઓન્લી ઇનફ્ બ્લડ ટુ ઓપરેટ વન એટ અ ટાઈમ.’ આનો અનુવાદ તમે જાતે કરી લો! વાસ્તવમાં જુવાન પુરુષ અને સ્ત્રી પ્રેમમાં પડે છે ત્યારે બંનેનાં શરીરમાં હોર્મોન્સ ઉછાળા મારતા હોય છે અને બંનેની ડાગળી ચસકી જતી હોય છે. લવમેરેજ કરનારા અથવા અરેન્જ્ડ સગાઈ બાદ રાતના ત્રણ-ત્રણ વાગ્યા સુધી ફેન પર મીઠી મધુરી વાતો કરનારા યુગલોએ સમજી લેવાનું છે કે ‘હેપીલી એવર આફ્ટર’ જેવું કશું હતું નથી. ભલે લગ્નના પ્રારંભિક તબક્કે એકબીજા માટે તીવ્ર લાગણી હોય, ભલે એકમેક માટે નિતાંત પ્રેમનો એકધારો અનુભવ થતો હોય, પણ એક વાત સ્વીકારી લેવાની છે કે આ લાગણી પરમેનન્ટ રહેવાની નથી. આગળ જતાં દિવસો, અઠવાડિયા, મહિના અને કયારેક ઇવન આખેઆખા વર્ષો જેવા આવી શકે છે જ્યારે તમને લાગે કે આ હું કયાં ફ્સાઈ ગયો (કે ફ્સાઈ ગઈ)? પણ ચિંતા ન કરો. આવી લાગણી જાગવી અત્યંત નોર્મલ છે! મહત્ત્વની વસ્તુ આ છેઃ ધીરજ રાખો, ઉતાવળે કોઈ આકરું પગલું ન ભરો, કેમ કે લગ્નમાં ફ્સાઈ જવાની આ લાગણી પણ થોડા દિવસો, અઠવાડિયા, મહિનાઓ કે એનાથી વધારે સમયમાં પસાર થઈ જતી હોય છે અને ઓરિજિનલ પ્રેમ વધારે મેચ્યોર બનીને સપાટી પર આવતો હોય છે.
પ્રેમ જડ વસ્તુ નથી. એનું સ્વરૂપ સમયની સાથે બદલાતું રહે છે. આ વાત જેટલી જલદી ભેજામાં ઉતરે એટલું સારું. ‘તારે લીધે મને સ્વર્ગીય સુખની અનુભૂતિ થાય છે’ – આ પ્રકારના પ્રેમના ઊભરા લગ્નનાં થોડા વર્ષોમાં શમી જાય તે પછી જ જીવનસાથીને દિલથી આદર કરવાનું અને એની કંપનીને એન્જોય કરવાનું મહત્ત્વ સમજાય છે. ઊભરો શમી ગયા પછીનો પ્રેમ નિભાવવો અઘરો છે, પણ તે વધારે સંતોષકારક અને અર્થપૂર્ણ પુરવાર થાય છે.
કમ્યુનિકેશન કરતાંય વધારે મહત્ત્વનું છે, રિસ્પેકટ
માર્કના સર્વેમાં એક વાત સ્પષ્ટપણે ઉભરી કે પતિ-પત્ની વચ્ચે કમ્યુનિકેશન, દેખાવ, શારીરિક આકર્ષણ, જીવનનાં લક્ષ્યો અને ઇવન પ્રેમ કરતાંય એકબીજા પ્રત્યે આદર હોવો વધારે મહત્ત્વનું છે. લગ્નમાં સંવાદ હોવો જ જોઈએ, પણ ગમે તેટલું સારું કમ્યુનિકેશન હશે તો પણ ઝઘડા કે મતભેદ  તો થવાના જ.
લગ્નજીવનમાં એવી કેટલીય ક્ષણો જ નહીં, દિવસો આવશે જ્યારે પોતાના પતિ કે પત્ની પ્રત્યે રીતસર અણગમો જાગશે. પ્રેમ વરાળ થઈ ગયો હોય એવું લાગશે. આવું બધાને થતું હોય છે. સો ડોન્ટ વરી! પણ હા, ગમે તેવા અણગમા વચ્ચેય જીવનસાથી પ્રત્યેનો રિસ્પેકટ અકબંધ રહેવો જોઈએ. પ્રેમની લાગણીમાં વધઘટ થયા કરશે, પણ જો આદરભાવ ખતમ થઈ ગયો, જીવનસાથીની નજરમાંથી ઉતરી જવાયું તોે સંબંધને હર્યોભર્યો બનાવવો અત્યંત અઘરો થઈ પડશે. તકરાર થાય, પ્રેમ ઓછો થઈ જાય કે મોટા તોફાન આવે, આવી સ્થિતિમાં લગ્નસંબંધને બચાવી શકે એવી ચીજ એક જ હોય છે – પતિ-પત્નીનો એકબીજા પ્રત્યેનો મૂળભૂત આદરભાવ, જે કોઈપણ વર્તમાન પરિસ્થિતિથી પર હોય છે.



તકલીફ થાય એવી બાબતોની ચર્ચા ખાસ કરવી
તંદુરસ્ત સંબંધ માટે સૌથા પહેલા નંબરનું સૌથી મહત્ત્વનું પરિબળ છે રિસ્પેકટ, એકમેક પ્રત્યેનો આદર. બીજા નંબર પર આવે છે ટ્રસ્ટ, ભરોસો. ટ્રસ્ટના મામલાને ઘણી વાર વફાદારી અને ઈર્ષાના સંદર્ભમાં જોવાતી હોય છે. સંબંધની શરૂઆતમાં એકબીજા પર ભરોસો હોવો આસાન હોય છે. સમયની સાથે જિંદગીના તાણાવાણા એકબીજા સાથે વધુને વધુ ગૂંથાતા જાય તેમ તેમ જીવનસાથી પર વધારેને વધારે ભરોસો મૂકતા જવું પડે છે. કોઈપણ સંજોગોમાં જીવનસાથી મારું હિત સાચવશે જ એવો વિશ્વાસ ઊભો થવો જોઈએ. ન કરે નારાયણ, પણ ધારો કે અકસ્માત થાય ને કાયમ માટે અપંગ થઈ જવું પડે, કમાણી હંમેશ માટે બંધ થઈ જાય, તમે નકામા થઈ જાઓ તો શું તમને ભરોસો છે કે બાકીની આખી જિંદગી તમારો (કે તમારી) જીવનસાથી તમને પ્રેમપૂર્વક સાચવશે, તમારી અત્યારે લે છે એના કરતાંય વધારે કાળજી રાખશે? શું તમે આંધળો વિશ્વાસ મૂકીને તમારો પૂરેપૂરો નાણાકીય વ્યવહાર એના હાથમાં સોંપી શકશો? તમને ભરોસો છો કે તમે ગંભીર ભૂલ કરી બેસશો તો એ તીવ્ર પ્રતિક્રિયા જરૂર આપશે, પણ ક્રોધ શમી ગયા પછી તમને સ્વીકારી લેશે, સંભાળી લેશે, પહેલાં જેટલો જ પ્રેમ કરશે? આ કઠિન સવાલો છે. પતિ-પત્નીને એકબીજા પર સંપૂર્ણ વિશ્વાસ તો જ બેસે છે જો બંને પક્ષે પારદર્શકતા હોય, હું કેવો (કે કેવી લાગીશ) એવો ડર રાખ્યા વિના, દુખતી નસ દબાવાનો ભય હોય, બહુ જ નાજુક અને તકલીફ્દાયક વિષય હોય તોય વિશ્વાસપૂર્વક બધી જ વાત કરી શકાતી હોય તે તંદુરસ્ત લગ્નસંબંધની નિશાની છે.
પતિ કે પત્ની લગ્નબાહૃા સંબંધ યા લફરું કરે અથવા આ પ્રકારની બીજી કોઈ ગંભીર ભૂલ કરી બેસે ત્યારે સંબંધનો પાયો હચમચી જાય, વિશ્વાસ પર ભયંકર ઘા પડે, પણ આવું થાય એટલે જરૂર નથી કે લગ્નસંબંધ તૂટી જ જાય. સંબંધ પર ઘા કરનાર પુરુષ કે સ્ત્રી જો સંવેદનશીલ હોય, એને ખરેખર અફ્સોસ થયો હોય અને એ દિલપૂર્વક પ્રયત્નો કરે તો એ જીવનસાથીનો વિશ્વાસ ફરી સંપાદિત કરી શકે છે. એવુંય બને કે છમકલાં પછી લગ્નસંબંધ ઊલટાનો પહેલાં કરતાં વધારે મજબૂત બને. પણ જો માણસ સંવેદનહીન અને સ્વકેન્દ્રી હોય, ઘવાયેલા સંબંધ પર મલમ લગાવવાની કે જીવનસાથીના વિશ્વાસ પુનઃ જીતવાની એ તસદી સુદ્ધાં ન લે, લગ્નમાં તનાવ પેદા થાય તેવું અસ્વીકાર્ય વર્તન વારે વારે કર્યા કરે તો ઘા કયારેય રુઝાતા નથી. આવો સંબંધ લોહીલુહાણ હાલતમાં આખરે નિષ્પ્રાણ બની જાય છે. એકવીસમી સદીના કેટલાય સગવડિયાં લગ્નસંબંધોમાં લફરાં જોકે ‘ડીલ-બ્રેકર’ ગણાતાં નથી, પણ તે અલગ વાત થઈ!
બે તંદુરસ્ત વ્યકિત, એક તંદુરસ્ત સંબંધ
સર્વેમાં ભાગ લેનાર એક મહિલાએ સરસ વાત કરી કે પોતાની જાતને ખુશ રાખવાની જવાબદારી પોતે જ ઉપાડવાની હોય. તમને સુખી કરી નાખવાની જવાબદારીનો ભાર કંઈ તમારા જીવનસાથીએ વેંઢારવાની જરૂર નથી. પતિ-પત્ની બંનેએ પોતપોતાના કામ, વ્યક્તિત્વ અને વર્તુળથી સ્વતંત્રપણે ખુશ રહેતા શીખવાનું છે અને પછી આ ખુશાલી લગ્નસંબંધમાં ઉમેરવાની છે. વાત સ્વકેન્દ્રી નહીં, સભર બનવાની છે. લગ્નસંબંધમાં પતિ અને પત્ની બંનેએ એડજસ્ટમેન્ટ કરવું પડે, નાના-મોટા બલિદાનો આપવા પડે તે બરાબર છે, પણ માનસિક શાંતિ માત્ર જીવનસાથીના બલિદાન પર જ ટકેલી હોય તે ન ચાલે. લગ્ન નિભાવવા માટે પતિ-પત્ની બંનેએ સતત બાંધછોડની સ્થિતિમાં જ મૂકાતાં રહેવું પડે તે પણ યોગ્ય નથી.
અમુક લગ્નસંબંધ વાસ્તવમાં અસ્થિર અને માંદલા જ હોય છે છતાંય એટલા માટે ટકી ગયા હોય છે કે પતિ-પત્ની બંને એકમેકનું ભયંકર વર્તન ચલાવી લેતા હોય છે. બંને અસલામતીની ગ્રંથિથી પીડાતા હોય છે. બંનેના મનમાં એકબીજા માટે નફરત અથવા અભાવ પેદા થઈ ચૂકયો હોય છે. તેમની વચ્ચે એક પ્રકારની ઝેરીલી કો-ડિપેન્ડન્સી વિકસી ગઈ હોય છે. બંનેમાંથી કોઈ છૂટા પડીને એકલા જીવવા તૈયાર ન હોવાથી ગાડું ગબડાવ્યા કરે છે!
અણધાર્યા પરિવર્તનોને સ્વીકારો
લગ્ન કરતી વખતે અથવા પ્રેમમાં પડતી વખતે ખબર નથી હોતી કે આવનારા પાંચ વર્ષ કે દસ વર્ષ કે પંદર વર્ષ પછી સામેની વ્યકિત કેવી બની જવાની છે. આ વ્યકિત આજે જેવી છે એવીને એવી ભવિષ્યમાં નહીં જ હોય અને એનામાં તદ્દન અણધાર્યા અને કયારેક અણગમતાં પરિવર્તનો આવવાના છે એવું મનોમન સ્વીકારી લેવાનું. એનો દેખાવ, સામાજિક સ્ટેટસને એવી બધી બાહૃા ચીજો તો બદલાશે જ, પણ ખાસ તો એનો સ્વભાવ, વિચારવાની રીત, રસના વિષયો, માન્યતાઓ, ઇવન નીતિમૂલ્યો પણ બદલાશે. પોતાની જાતને પ્રામાણિકતાથી પૂછવાનું: શું મને આ વ્યકિત પ્રત્યે ખરેખર એટલા પ્રમાણમાં આદરભાવ છે ખરો કે સમયની સાથે એનું વ્યકિતત્વ બદલાય તો પણ એની સાથે જોડાયેલા રહેવાનું મને ગમે? 
વખત વીતતાં પતિ અને પત્ની બંને અલગ-અલગ રીતે બદલાય છે. આ બદલાવ દર વખતે પસંદ પડે તેવો ન પણ હોય. આવી સ્થિતિમાં કમ્યુનિકેશન મહત્ત્વનું બની જાય. પોતાના વ્યકિતત્વમાં આવી રહેલા પરિવર્તનો વિશે એકબીજાને ખબર હોવી જોઈએ. પતિ-પત્ની વચ્ચે જો સરસ ફાઈન ટયુનિંગ થયેલું હશે તો એકબીજાના બદલાયેલા વ્યકિતત્વનો સ્વીકાર અને આદર કરવાનું સરળ બને છે તથા પ્રેમ અકબંધ રહે છે.
ઝઘડો કરો, પણ સાચા મુદ્દે
પચાસ વર્ષનાં સુખી લગ્નજીવનનો અનુભવ ધરાવનારા એક મહાશય કહે છેઃ ચૂઝ યોર બેટલ્સ! ઝઘડો કરો, પણ ફાલતુ કારણો માટે નહીં. રોજિંદા જીવનમાં અકળામણ થાય એવી નાનીમોટી ઘટનાઓ બન્યા જ કરશે, પણ એમાંની મોટા ભાગની ઘટનાઓ સાવ મામૂલી હોવાની. જો નાની નાની વાતોમાં ઝઘડયા કરશો તો એનો અંત જ નહીં આવે અને સંબંધ થાકી જશે, મૂરઝાવા લાગશે. મામલો ખરેખર ગંભીર હોય, તેનો સીધો સંબંધ તમારી અથવા ઘરની આંતરિક શાંતિ સાથે હોય તો જરૂર વિરોધ નોંધાવો. ટૂંકમાં, કોઈક વાતે મન ઊંચું થઈ ગયું હોય ત્યારે વિચારવાનું કે શું આ ખરેખર જીવનમરણનો સવાલ છે? ના? તો પછી શું કામ નાહકની દલીલબાજી કરીને લોહી બાળો છો? જતું કરવાનું. ભૂલી જવાનું. વાંક ગમે એનો હોય, ગણીને ગાંઠે નહીં બાંધવાનું. સિમ્પલ.
હથિયાર હેઠાં ન મૂકો
૮૫ વર્ષના એક દાદાજી પોતાનો સ્વાનુભવ વર્ણવતા કહે છે કે લગ્નજીવનમાં સારી-માઠી લાગણીઓના મોજાં ઉઠતા જ રહેશે. કોઈ મોજું થોડી કલાકો ટકશે, કોઈ થોડા અઠવાડિયા, કોઈ થોડા મહિના તો કોઈ થોડાં વર્ષો. આ ઉછળતા મોજાં વચ્ચે પણ તમારે જીવનસાથીનો હાથ ઝાલીને તરતાં રહેવાનું છે, કારણ કે એકપણ મોજું કાયમી નથી. કાયમી છે તમારા બંનેનો સાથ. આ મહાશય આગળ કહે છે, ‘વચ્ચે એક તબક્કો એવો આવેલો કે મારું મન લગ્ન પરથી બિલકુલ ઊઠી ગયું હતું. અમારી વચ્ચે જાણે કોઈ કનેકશન જ નહોતું રહૃાું. મને ડિવોર્સ લેવાની તીવ્ર ઇચ્છા થવા લાગી હતી, પણ પછી મેં વિચાર્યું કે મારે ખરેખર શું કામ ડિવોર્સ જોઈએ છે? એવી તો શી ખરાબી આવી ગઈ છે મારી પત્નીમાં? સાચું કહું, મને એક પણ નકકર કારણ ન મળ્યું. થોડા સમયમાં મારું દિમાગ ઠેકાણે આવી ગયું. મારી પત્નીને હું પહેલાં કરતાંય વધારે ચાહવા લાગ્યો. ટૂંકમાં, બધું બદલાતું રહે છે. લગ્નજીવનમાં ખરાબ તબકકો ચાલી રહૃાો હોય તો તે પણ સમયની સાથે બદલાય છે. બસ, હથિયાર હેઠા નહીં મૂકવાના. મજબૂત બનીને ટકી રહેવાનું. આજકાલની પેઢી બહુ જલદી અલગ થવાના નિર્ણય પર પહોંચી જાય છે. તમારા લગ્નને વધુ એક તક આપો. ધીરજ રાખો. તમારા જીવનસાથી સાથે માયાળુ વર્તન કરો. એને બેનિફ્ટિ ઓફ ડાઉટ આપો. જો તમે આમ કરી શકશો તો આખી જિંદગી ખુશહાલ બની જશે.’
માર્ક મેન્સને તારવેલી ટકાઉ લગ્નજીવનની ટિપ્સ અહીં પૂરી થઈ. આ બધી સલાહોમાંથી એ ખુદ કેટલી પાળી શકશે? બીજાઓને સલાહ આપવી, આ પ્રકારના લેખો લખવા કે  ડાહી વાતો કરવી સહેલી છે, પણ પોતાના જીવનમાં ઊતારવી અઘરી છે, રાઈટ?
0 0 0 

Saturday, February 18, 2017

ઓળખ અને ઓસ્કરઃ ‘મૂનલાઈટ’ અપસેટ સર્જશે?

Sandesh - Sanskar purti - 19 Feb 2017


Multiplex 

માણસ બ્લેક હોવા ઉપરાંત ગરીબ હોય, બાપ વગરનો હોય, દિશાહીન હોય અને પાછો ગે હોય તો સમાજમાં એનું સ્થાન શું? સમાજનો પ્રશ્ન તો પછી આવે છે, સૌથી પહેલાં તો એની ખુદની નજરમાં પોતાની ઓળખ શી? 



સ્કર સિઝન પૂરબહારમાં ખીલી છે. ચૌદ-ચૌદ ઓસ્કર નોમિનેશન ઉસરડી જનાર ‘લા લા લેન્ડ’ આ વખતની મોસ્ટ હેપનિંગ ફ્લ્મિ છે, જેના વિશે આપણે વિસ્તારપૂર્વક વાત કરી ચૂકયા છીએ. છ કેટેગરીમાં નોમિનેટ થયેલી ‘લાયન’ વિશે ગયા રવિવારે વાત કરી. આજે ‘મૂનલાઈટ’નો વારો. ‘મૂનલાઈટ’ ઉપરાંત ‘અરાઈવલ’ નામની ફ્લ્મિને સેકન્ડ હાઈએસ્ટ એટલે કે આઠ-આઠ નોમિનેશન મળ્યા છે. (નોંધઃ આજના સંદેશમાં થપાયેલા આ લેખમાં એક હકીકતદોષ રહી ગયો છે. ઓસ્કર નાઈટ લાઈવ કવરેજ આપણને આવતા સોમવારે સવારે જોવા મળશે, આવતી કાલે નહીં. ક્ષમસ્વ.)  
ભલું થજો મુંબઈ એકેડેમી ઓફ્ મૂવિંગ ઔઇમેજિસ (મામી) ફ્લ્મિ કલ્બનું કે જેના લીધે થોડા દિવસો પહેલાં ‘મૂનલાઈટ’ જોવાની તક મળી. ગયા વર્ષે ઓસ્કરમાં યોગાનુયોગે એક પણ બ્લેક કલાકારને નોમિનેશન નહોતું મળ્યું. ઠીક ઠીક હોબાળો થયો હતો તેને કારણે. ‘મૂનલાઈટ’ ઓલ-બ્લેક ફ્લ્મિ છે અર્થાત્ ફ્લ્મિમાં બધ્ધેબધ્ધા બ્લેક યાને કે આફ્રિકન-અમેરિકન પાત્રો-અદાકારો છે. કોઈક સીનમાં બેકગ્રાઉન્ડમાં દૂર કશેક રડયાંખડયાં ગોરા ચહેરા સ્ક્રીન પર ડોકાઈ જાય એટલું જ. અમેરિકામાં આજની તારીખેય બ્લેક હોવું એટલે શું? એમાંય માણસ બ્લેક હોવા ઉપરાંત ગરીબ હોય, બાપ વગરનો હોય, દિશાહીન હોય અને પાછો ગે હોય તો સમાજમાં એનું સ્થાન શું? સમાજનો પ્રશ્ન તો પછી આવે છે, સૌથી પહેલાં તો એની ખુદની નજરમાં પોતાની ઓળખ શી? ઓળખ, આઈડેન્ટિટી – આ ‘મૂનલાઈટ’ની આ કેન્દ્રીય થીમ છે. ફ્લ્મિમાં સોશિયલ આઇડેન્ટિટી, સેકસ્યુઅલ આઇડેન્ટિટી અને ઇમોશનલ આઇડેન્ટિટીની વાત થઈ છે.
ફ્લ્મિ ત્રણ હિસ્સામાં વહેંચાયેલી છે. પ્રત્યેક હિસ્સો શાઈરોન નામના પાત્રના જીવનનાં ત્રણ અલગ-અલગ તબક્કાઓની વાત કરે છે. પહેલા હિસ્સામાં શાઈરોન નવ-દસ વર્ષનો છોકરો છે. માયામી શહેરની ગરીબ આફ્રિકન-અમેરિકન વસાહતમાં પોતાની મા સાથે રહે છે. માને નશીલી ડ્રગ્ઝની લત લાગી ગઈ છે. સ્કૂલમાં તોફની છોકરાઓ એને ચીડવ્યા કરે છે, હેરાન કરતા રહે છે. આ બધાને કારણે શાઈરોન કરમાઈ ગયો છે, કુંઠિત થઈ ગયો છે. એ બહુ જ ઓછું બોલે, ઓછું હસે. મોટી મોટી ઉદાસ આંખોથી એ બધું જોયા કરતો હોય.
એક વાર જુઆન નામના માણસ સાથે એનો ભેટો થાય છે. જુઆન (મહેર્શલા અલી, જે બેસ્ટ સપોર્ટિંગ એક્ટરનું નોમિનેશન મેળવીને દેવ ‘લાયન’ પટેલ સાથે સ્પર્ધામાં છે) સસ્તી નશીલી દવાઓ વેચવાનો ધંધો કરે છે. શાઈરોનની માને એ જ ડ્રગ્ઝ સપ્લાય કરે છે, પણ એ દુષ્ટ માણસ નથી. ઊલટાનો, એ એટલો માયાળુ છે કે શાઈરોન માટે લગભગ ફધરફ્ગિર જેવો બની જાય છે. એક વાર શિરોન એને પૂછે છે, ‘તમે ડ્રગ્ઝ વેચો છો?’ જુઆન માથું નીચું ઢાળીને હા પડે છે. શિરોન બીજો સવાલ કરે છે, ‘ફેગટ એટલે શું?’ ફેગટ બોલચાલમાં વપરાતો અમેરિકન શબ્દ છે, જે હોમોસેકસ્યુઅલ લોકો માટે ગાળ તરીકે વપરાય છે. ફેગટનો મતલબ સ્ત્રૈણ થાય. નાનકડા શાઈરોનના કાને આ શબ્દ કેટલીય વાર પડયો છે, કેમ કે સ્કૂલના છોકરાઓ એને કાયમ આ નામથી ચિડાવ્યા કરતા.

ફ્લ્મિના બીજા હિસ્સામાં શાઈરોન લાંબો-પાતળો ટીનેજર બની ગયો છે. બોલચાલમાં એ બિલકુલ નોર્મલ છે, ચાલઢાલમાં સ્ત્રૈણ તો એ કયારેય નહોતો ને અત્યારેય નથી, પણ હજુય એ પહેલાં જેવો ઓકવર્ડ જરૂર છે. એની માનું ડ્રગ્ઝનું બંધાણ હદ બહાર વધી ગયું છે. દીકરાનો વ્યવસ્થિત ઉછેર કરી શકે એવી એની હાલત જ રહી નથી. શાઈરોનને કેવિન નામનો એક હમઉમ્ર દોસ્તાર છે. બંને વચ્ચે દોસ્તી તો છે જ, પણ એ સિવાય પણ કશુંક છે જે શાઈરોનને બહુ સમજાતું નથી. એક રાતે દરિયાકિનારે શાઈરોનને સેકસનો પહેલો અનુભવ થાય છે, કેવિન સાથે. થોડા દિવસો પછી આ જ કેવિન સ્કૂલના ગુંડાઓના કહેવાથી શાઈરોનને ધીબેડે છે. શાઈરોન આ વખતે ચૂપ રહેતો નથી. સ્કૂલના એક ટપોરીને એટલો ધીબેડે છે કે શાઈરોનને પકડી જવા પોલીસે આવવું પડે છે. વૈચારિક સ્પષ્ટતા ન હોય, સમજ પડતી ન હોય, સહનશકિતની હદ આવી ગઈ હોય ત્યારે કદાચ હિંસા જ એકમાત્ર પ્રતિક્રિયા બચતી હોય છે.
હવે ત્રીજો તબક્કો. શાઈરોન જુવાન બની ગયો છે. કસરત કરી કરીને એણે ગેંડા જેવું શરીર બનાવ્યું છે. પૈસા કમાવવા માટે હવે એ ખુદ ડ્રગ સપ્લાયર તરીકે કામ કરે છે. ફ્કકડ ગિરધારી છે. એ પહેલાં કરતાં હવે વધારે રિલેકસ્ડ લાગે છે, એના ચહેરા પર હવે પહેલાં કરતાં વધારે સ્મિત આવે છે, પણ એની આંખોમાંથી હજુય પેલો વિષાદભાવ દૂર થયો નથી. એની મા રિહેબિલટેશન સેન્ટર – કમ – ઘરડાઘર પ્રકારની જગ્યામાં રહે છે. શાઈરોન એકવાર માને મળવા જાય છે. માને એ વાતની ભરપૂર પીડા છે કે પોતે દીકરાને સરખી રીતે ઉછેરી ન શકી. મા-દીકરો એકમેકને વળગીને ખૂબ રડે છે. શાઈરોનને મા પ્રત્યે ખૂબ ગસ્સો હતો, પણ એ એને માફ્ કરી દે છે.
એક રાતે શાઈરોનનો ફોન રણકે છે. સામે છેડે કેવિન છે, એનો બાળપણનો મિત્ર. વર્ષો પછી બંને મળે છે. કેવિન હવે એક રસ્ટોરાંમાં કામ કરે છે. એ પણ એકલરામ છે. રાત્રે રસ્ટોરાં બંધ કરીને કેવિન શાઈરોનને પોતાને ઘેર લઈ જાય છે. લગભગ આખી જિંદગી જાતજાતના કરણોસર અંદરઅંદર ઘૂંટાઈને જીવેલો શાઈરોન દોસ્તાર સમક્ષ પોતાની લાગણી વ્યકત કરે છેઃ તારા સિવાય આજ સુધી બીજા કોઈએ મારા શરીરને સ્પર્શ કર્યો નથી. બસ, આ સૂચક ડાયલોગ પર ફ્લ્મિ પૂરી થાય છે.
‘મૂનલાઈટ’ ફ્લ્મિમાં દુનિયાભરમાં અઢળક વખાણ થઈ રહૃાા છે. રિવ્યૂઅરો તો એના પર ઓળઘોળ થઈ ગયા છે. બહુ જ પર્સનલ અને છતાંય યુનિવર્સલ અપીલ ધરાવતી આ આર્ટહાઉસ ફ્લ્મિનું બજેટ કેટલું હતું, જાણો છો? માત્ર પાંચ મિલિયન ડોલર એટલે કે પૂરા ચોત્રીસ કરોડ રૂપિયા પણ નહીં. આપણા બોલિવૂડની બી-ગ્રેડ ફ્લ્મિોનું બજેટ આજકાલ આના કરતાં વધારે હોય છે. ફ્લ્મિના ડિરેકટર બેરી જેનકિન્સ ખુદ આફ્રિકન-અમેરિકન છે. તમામ એકટરો પાસેથી એમણે ગજબના નેચરલ પરફેર્મન્સીસ એમણે કઢાવ્યા છે. એક જ કિરદાર જ્યારે અલગ-અલગ ઉંમરના ત્રણ એકટરો ભજવતા હોય ત્યારે પાત્રાલેખનનું સાતત્ય જાળવી રાખવું ખૂબ પડકારજનક પુરવાર જાય. આ મામલામાં આ ફ્લ્મિને પૂરેપૂરા માર્ક્સ આપવા પડે. સ્થળકાળ અને એકટરો બદલાતા રહે છે, પણ પાત્રનો ગ્રાફ્ સતત સુરેખ રહે છે, બલકે, વધારે વેલ-ડિફઈન્ડ બનતો જાય છે. સ્કૂલની મારામારી, દીકરા પર ક્રોધે ભરાતી મા, ડાઈનિંગ ટેબલ પર ત્રુટક-ત્રુટક વાકયોમાં થતી વાતો, રેસ્ટોરાંમાં ખાણીપીણી કરતાં દોસ્તારો… ફ્લ્મિમાં જે ઘટનાઓ દેખાડી છે એમાંની આવી મોટા ભાગની પહેલી નજરે સાવ મામૂલી લાગે, પણ હકીકત એ છે કે આ તમામ દશ્યો ‘લોડેડ’ છે. રોજિંદા જીવનની ઘટનાઓ જ આખરે અનુભવોમાં પરિવર્તિત થતી હોય છેને.
‘મૂનલાઈટ’ કોઈ ચુકાદો તોળતી નથી, કોઈ તારણ પર આવતી નથી. ડિરેક્ટર પાત્રોના સુખ-દુખ-પીડા-વિષાદની ક્ષણોને યથાતથ આપણી સામે મૂકી દે છે. સાચું શું, ખોટું શું, નૈતિક કોને કહેવું, અનૈતિક કોને કહેવું એવી બધી ભાંગજડમાં ફ્લ્મિ પડતી નથી. કુદરતના દરબારમાં આમેય કયાં કોઈ ખુલાસા કરવા આવતું હોય છે? કયાં બધું ન્યાયપૂર્ણ હોય છે?
વેલ, આ બધું બરાબર છે, સુંદર છે, વખાણવાલાયક છે, પણ ફ્રેન્કલી, ખૂબ બધી અપેક્ષાઓ લઈને (‘ખૂબ બધી અપેક્ષાઓ’ નીચે અન્ડરલાઈન) ગયેલા આ લખનારાને ફ્લ્મિ જોઈએ એવી ‘અડી’ નહીં. એ તર-બ-તર થયો નહીં. ‘લા લા લેન્ડ’ જેવી ફ્લ્મિો એવી હોય છે જે પહેલી જ વારમાં તમને પુલકિત કરી નાખે, પણ ‘મૂનલાઈટ’ કદાચ એવી ફ્લ્મિ છે, જેના સૌંદર્યને પૂરેપૂરા અંદર ઉતારવા માટે બીજી વાર જોવી પડે. ભલે, જોઈશું. બાકી ઓસ્કરના સંદર્ભમાં વાત કરીએ તો ‘મૂનલાઈટ’ એક પોલિટિકલી કરેકટ ફ્લ્મિ છે. આ વખતના ઓસ્કર સમારોહમાં ‘મૂનલાઈટ’ અપસેટ સર્જે તો જરાય નવાઈ ન પામવી.
0 0 0 

Friday, February 17, 2017

હું લખું છું ત્યારે જ સાચું જીવું છું, સવાયું જીવું છું

ચિત્રલેખા -  ડિસેમ્બર ૨૦૧૬

વાંચવા જેવું 

'મેડિકલ સાયન્સમાં ઘણું બધું શીખવા-સમજવાનું બાકી છે. આજે જેને બ્રહ્મવાક્ય કે ચમત્કારિક ઉપચાર કે બ્રેકથ્રૂ ગણતા હોઈએ એ આવતી કાલે ભયંકર ભુલ સાબિત થાય  એ શક્ય છે.  જેમ કે, એસ્પિરિનની દવા સોએક વર્ષથી વપરાય છે, પણ છેલ્લાં થોડાં વર્ષોેમાં જ આપણને ખબર પડી કે બાર વર્ષ કરતાં ઓછી વયના બાળકો પર તેની ગંભીર આડઅસર પેદા થઈ શકે છે.'
                                                       


જુદા જુદા ક્ષેત્રમાં માનભર્યું સ્થાન પામેલા ગુજરાતી મહાનુભાવો સહેજ અટકીને, પાછું વળીને, જીવાયેલા જીવનનું સિંહાવલોકન કરે અને પોતાનાં સત્યોને પ્રવચનમાં પરોવીને લોકો સામે પેશ કરે.... આ આખી વાત જ કેવી રોમાંચક છે! કોફી મેટ્સ અને વિકલ્પ જેવી સંસ્થા તેમજ મુબંઈ સ્થિત ભવન્સ કલ્ચરલ સેન્ટરના સહિયારા પ્રયાસથી ૨૦૧૦થી ૨૦૧૨ દરમિયાન આ પ્રવચનશ્રેણીને આકાર આપવામાં આવ્યો હતો. એ એટલી અદભુત પૂરવાર થઈ કે એનું લિખિત શબ્દોમાં અવતરવું અનિવાર્ય બની ગયું હતું. ચિક્કાર જહેમતને અંતે તૈયાર થયેલું આ રુપકડું પુસ્તક પ્રવચનશ્રેણી જેવું જ અફલાતૂન છે.

 કેટલી સરસ વ્યક્તિઓ ને કેવી મજાની વાતો. એક યા બીજા મુદ્દે અદાલતમાં થતી જાહેર હિતની અરજી (પબ્લિક ઇન્ટરેસ્ટ લિટીગેશન) વિશે આજે સમાચારોમાં અવારનવાર સાંભળતા-વાંચતા રહીએ છીએ. ભારતીય ન્યાયતંત્રમાં આ વ્યવસ્થાને ઇન્ટ્રોડ્યુસ કરાવનાર હસ્તી એટલે ભૂતપૂર્વ ચીફ જસ્ટિસ પ્રફુલ્લ એન. ભગવતી. ગરીબ યા સાધારણ માણસને વકીલની મોંઘીદાટ ફી પરવડે એટલે એ ન્યાયતંત્ર પાસે જઈ ન શકે એ કેવી રીતે ચાલે? આજે કોઈ વ્યક્તિ કે જૂથને એમ લાગતું હોય કે એમના અધિકારોનો ભંગ થઈ રહ્યો છે તો એ પોતાની સમસ્યાનો ઉકેલ શોધવા માટે પગલાં ભરવાની માગણી કરવા જાહેર હિતની અરજી કરી શકે છે. આ કાર્યપ્રણાલીનું બાંગ્લાદેશ અને નેપાળમાં અનુસરણ કરવામાં આવ્યું. દક્ષિણ આફ્રિકામાં તો બંધારણીય કાયદામાં એનો સમાવેશ કરવામાં આવ્યોે.

 ભારત સરકાર દ્વારા પદ્મવિભૂષણથી સન્માનિત થઈ ચુકેલા પ્રફુલ્લ એન. ભગવતીની આધ્યાત્મિકતા તરફની ગતિ પણ ધ્યાન ખેંચે છે. ક્ેટલાય સંત-સ્વામીનો સત્સંગ કરી ચુકેલા આ ભૂતપૂર્વ કાયદાવિદ છે કે આધ્યાત્મિક જીવન માણસનો અંતિમ આત્મોદ્ધાર છે.

 જીવનના છેડો સામે દેખાતો હોય ત્યારે સામાન્યપણે લોકો પોતાની સિદ્ધિઓના લેખાજોખા કરતા હોય છે, પણ વિખ્યાત કથાકાર મોરારિબાપુને ‘સિદ્ધિ’ શબ્દ ગમતો નથી. એ કહે છે, આ દેશને સિદ્ધોની નહીં, શુદ્ધોની જરુર છે. એ જ પ્રમાણે બાપુને ‘સત્યનો જ જય થાય’ એ સૂત્ર પણ ગમતું નથી. સત્યને વળી જય અને પરાજય સાથે શું લેવાદેવા?


 હૃદયરોગ નિષ્ણાત ડો. તુષાર શાહનું વકતવ્ય જેટલુ હૃદયસ્પર્શી છે એટલું જ વિચરતા કરી મૂકે એવું છે. એ કહે છે:

 ‘હૃદયની શસ્ત્રક્રિયાને હું મહાભારત સાથે સરખાવું છું. જે અહીંયા છે તે જ જિંદગીમાં છે અને જે જિંદગીમાં નથી એ અહીંયા નથી. વિસ્મય, ચમત્કાર, પ્રેમ, લાગણી, આનંદ અને દુખ - બધાંની પરિસીમા, શક્તિનો અહેસાસ અને સાથે સાથે નિ:સહાયતાનો વારંવાર થતો અનુભવ... અહીં પેશન છે તો સંપૂર્ણ વ્યાપારીકરણ પણ છે... એક બાજુ સંપૂર્ણ વ્યવસ્થા અને બીજી બાજુ અંધાધૂંધી, કટોકટી અને સંપૂર્ણ અવ્યવસ્થા જેમાંથી સંપૂર્ણ વ્યવસ્થા શોધવાના પ્રયત્નો કરવાના. આ બધાએ મને ઘણું બધું શીખવ્યું. ૩૦ વર્ષની અંદર હજારો દર્દીઓની સારવાર કરી મેં એમનાં ભવિષ્ય બદલ્યાં અને એમણે મારું ભવિષ્ય બદલ્યું.’  


 માનવશરીર એટલે કુદરતના લાખા વર્ષોના પ્રયોગને અંતે તૈયાર થયેલું એક જીવંત યંત્ર. એની સામે માંડ ત્રણસો-ચારસો વર્ષની ઉંમર ધરાવતા આધુનિક તબીબીશાસ્ત્રની શી વિસાત? આમ છતાંય હું મેડિકલ સાયન્સને કંઈ ઊતરતું ગણતો નથી એમ કહીને ડો. તુષાર શાહ કહે છે કે હજુ ઘણું બધું શીખવા-સમજવાનું બાકી છે. આજે જેને બ્રહ્મવાક્ય કે ચમત્કારિક ઉપચાર કે બ્રેકથ્રૂ ગણતા હોઈએ એ આવતી કાલે ભયંકર ભુલ સાબિત થાય  એ શક્ય છે.  જેમ કે, એસ્પિરિનની દવા સોએક વર્ષથી વપરાય છે, પણ છેલ્લાં થોડાં વર્ષોેમાં જ આપણને ખબર પડી કે બાર વર્ષ કરતાં ઓછી વયના બાળકો પર તેની ગંભીર આડઅસર પેદા થઈ શકે છે. ડોક્ટર કહે છે:

 ‘ ધીરે ધીરે હું સમજ્યો કે કોઈ પણ વસ્તુ નવી આવે તો તેને જલદી સ્વીકારવી નહીં અને છેક છેલ્લી છોડવી નહીં. ડહાપણ કરતાં વિજ્ઞાનને, આર્ટ કરતાં સાયન્સને અને કોમન સેન્સ કરતાં ચતુરાઈને વધારે મહત્ત્વ આપવું નહીં.’

 સાહિત્યકાર મધુ રાયનું વકતવ્ય એમના લખાણ જેટલું જ ચટાકેદાર છે. કહે છે:

 ‘અનેક ઇનસિક્યોરિટીઝ, ઘેલછાઓ ને વિરોધાભાસથી ખખડતી મારી ખોપરી, મારું ખોળિયું, જીવનના રસ્તે કદી રેવાલ ચાલે ચાલ્યું નથી...આ જૈફ વયે પણ હજુ સ્પષ્ટ નથી કે હું કયા પેશામાં પાવરધો છું... મેં જિદગીની અસહ્ય, અક્ષમ્ય ને કરપીણ ભૂલો કરી છે, અને અનેક વાર દગાનાં ખંજર ખાધાં છે, અને દુખના ગોવર્ધન વેંઢાર્યા છે... જીવનનો મોટો ધોખો છે કે, મને સંતાન નથી. મારા રક્તની રેખા મારા ખોળિયા પાસે આવીને અટકી જાય છે... લેખક તરીકે યથેચ્છ આદર પામ્યા બાદ હું શું શું નથી તેનો સતત અણસાર છે, પણ મને સહેજ પણ ખ્યાલ નથી કે મૈં કૌન હૂં, કે હજાર હાથવાળા દ્વારા આ પૃથ્વી ઉપર શાથી મોકલવામાં આવ્યો છું. એટલી જાણ છે કે હું લખું છું ત્યારે જ સાચેસાચ જીવું છું, સાચું જીવું છું, સવાયું જીવું છું.’

 નારાયણ દેસાઈ,  અશ્ર્વિની ભટ્ટ, ડો. મનુભાઈ કોઠારી, સિતાંશુ યશશ્ર્ચંદ્ર, ગુણવંત શાહ સહિતના પચ્ચીસ ઉત્તમ વક્તાઓનો આખો અન્નકોટ સામે હોય ત્યારે એમાંથી કઈ વાનગી પેશ કરવી ને કઈ ન કરવી. બોલાયેલા પ્રવચનને જ્યારે છપાયેલા લેખનું સ્વરુપ  આપવાનું હોય ત્યારે એને ભાષાકીય શિસ્તની ગળણીમાંથી એકથી વધારે વખત ગાળવું પડે. અત્યંત કડાકૂટભર્યું કામ છે આ. અલકેશ પટેલના સહયોગથી કાન્તિ પટેલે આ કામ અત્યંત સુંદર રીતે કરી શક્યા છે. વર્ષો પહેલાં કાન્તિ પટેલ દ્વારા સંપાદિત ‘દીકરી વહાલનો દરિયો’ એક સીમાચિહ્નરુપ પુસ્તક સાબિત થયું છે. એમના આ સંપાદનમાં પણ એવરગ્રીન પૂરવાર થવાનું એવું જ કૌવત છે. અ મસ્ટ રીડ.

0 0 0  

 અલ્પવિરામ- જો આ હોય મારું અંતિમ પ્રવચન   
સંપાદક: કાન્તિ પટેલ
પ્રકાશન: અરુણોદય પ્રકાશન ગાંધીરોડ, અમદાવાદ-૧ 
 ફોન: (૦૭૯) ૨૨૧૧ ૪૧૦૮
 કિંમત:  Rs. ૩૭૫ /
  પૃષ્ઠ: ૨૫૮
 ૦ ૦ ૦ 

Thursday, February 16, 2017

સમયના દર્પણમાં...

ચિત્રલેખા - ફેબ્રુઆરી ૨૦૧7

વાંચવા જેવું 

‘અભાગણી છપ્પરપગી! હજી તો મીંઢળ માથેથી છોડ્યું નથી ને અમારા દીકરાને ભરખી ગઈ! હવે રડી રડીને ગામ ગજાવી દેખાડો કરશ? બધીયું જોઈ શું રઈ છો? પકડો કભારજાને. અરજણ, ઝટ મૂંડવા માંડ રાંડને.’


                                                                                                                                       Painting courtesy: Amrita Sher-ઉil

જે વર્ષા અડાલજાની અત્યંત શક્તિશાળી નવલકથાની વાત કરવી છે. નામ છે એનું ‘ક્રોસરોડ’. શીર્ષકની સાથે ટેગલાઈનછે - ‘બદલાતા સમાજનું પ્રતિબિંબ’. પુસ્તકનાં આવરણ પર ૧૯૩૦, ૧૯૪૦, ૧૯૭૦ જેવા દાયકાસૂચક આંકડા વંચાય છે. આ ટેગલાઈન અને સમયખંડના આંકડા આખી કથાનું પશ્ર્ચાદભૂ સ્પષ્ટ કરી આપે છે.

 ૧૯૨૨થી શરુ થતી આ કથાના કેન્દ્રમાં જયાબાનો પરિવાર છે. કરમે રંડાપો અને ચાર બાળકો લખીને વિધાતાએ જયાબાના જીવતર પર ધગધગતો ડામ ચાંપી દીધો છે. જયાબાનો સૌથી મોટો દીકરો વિષ્ણુ સત્તરનો થયો છે. મોટી દીકરી સાસરે છે. પછી મોગરાના ફુલના ઢગલા જેવી આઠ-નવ વર્ષની કુમુદ જેને આ કથાની નાયિકા કહી શકો. સૌથી નાની ઉષા. જયાબાના પાડોશમાં રહેતાં સમુકાકી પણ વિધવા છે. એ આખા લખતર ગામની સ્ત્રીઓની પ્રસૂતિ પણ કરી આપે છે અને જરુર પડ્યે ગર્ભપાત પણ. ગામના કેટલાંય રહસ્યો એમની બંધ મુઠ્ઠીમાં કેદ થઈને પડ્યા છે. સમુકાકીને પોતાની દીકરી વાસંતીની ચિંતા છે, પણ એમને ખબર નથી કે વાસંતીના દિલ પર વિષ્ણુએ કબ્જો જમાવી દીધો છે.

 ગામના અભિમાની શ્રીમંત ભવાનીશંકરના ઘરેથી કિશોરી કુમુદનું માગું આવે છે અને એ સાથે ઘટનાઓનો જબરદસ્ત ચક્રવાત ઉઠે છે. ખોબા જેવડા ગામમાં વિષ્ણુનો જીવ મૂંઝાય છે એટલે એ ભાઈબંધની સાથે જીદ કરીને કલકત્તા ઉપડી જાય છે. અહીં એની સામે સાવ અલગ જ દુનિયા ખૂલે છે. ગુલામ દેશને આઝાદી ખાતર ફના થવા માથે કફન બાંધીને ફરતા ક્રાંતિકારીઓની ધધખતી દુનિયા!

 આ બાજુ નાનકડી કુમુદનો વર કેશવ મોટે ઉપાડે આફ્રિકા રવાના થાય છે, પણ થોડા સમયમાં મોકાણના સમાચાર આવે છે કે એ જેમાં સવાર થયો હતો એ લીલાવંતી નામનું વહાણ દરિયાઈ તોફાનમાં ડૂબી ગયું છે. બાલિકાવધૂ કુમુદ બાળવિધવા બની જાય છે. ગામનાં બૈરાંઓની વચ્ચે કુમુદની માથાભારે કાકીસાસુ રુક્ષ્મણી બરાડે છે:

 ‘અભાગણી છપ્પરપગી! હજી તો મીંઢળ માથેથી છોડ્યું નથી ને અમારા દીકરાને ભરખી ગઈ! હવે રડી રડીને ગામ ગજાવી દેખાડો કરશ? બધીયું જોઈ શું રઈ છો? પકડો કભારજાને. અરજણ, ઝટ મૂંડવા માંડ રાંડને.’


 દીકરી વાસંતીનો હાથ બીજવરના હાથમાં સોંપતી વખતે સમુકાકીને કલ્પનાય ક્યાંથી હોય કે જમાઈ પુરુષમાં નથી ને  નખ્ખોદિયો વેવાઈ પોતાની ફુલ જેવડી દીકરીને પીંખી નાખવાનો છે! વાસંતી બેજીવસોતી થાય છે. આખરે એક દિવસ જગદંબાનું રુપ લઈને, રાક્ષસ જેવા સસરાનો સામનો કરીને એ જેમ તેમ પિયર ભાગી આવે છે. સુયાણી સમુકાકીને દીકરીનો ગર્ભ પાડતાં કેટલી વાર લાગવાની. જક્ષણી ખપ્પર લઈને ઊભાં હોય એમ સમુકાકી છલોછલ તાંસળી લઈને ઊભાં રહી જાય છે. બળજબરીથી દીકરીના મોંમાં કાળો લીલાશ પડતો કાઢાનો રગડો રેડી દે છે. તરફડી રહેલી વાસંતીના પેટમા કાળી બળતરા ઉપડી. આગળનું વર્ણન વર્ષા અડાલજા કેવી રીતે કરે છે એ જુઓ:

 ‘...વાંસતીના પગ વચ્ચેથી ધખધખ કરતો કાળો ભઠ્ઠ લોહીનો રેલો નીકળ્યો. જયાબા ઝટ ઉઠ્યાં અને ભીંતેથી સૂપડું લીધું. સમુકાકીએ બે પગ વચ્ચે સૂપડું ખોસી દીધું. ત્યાં નાનો લોહિયાળ માંસનો લોચો સૂપડામાં ભફ દઈને પડ્યો. સૂપડું હડસેલી દઈ, જયાબા અને સમુકાકીએ વાસંતીની કમ્મર ઊંચી કરી, નીચે ગોદડું નાંખી દીધું.’
                                                                                                                    Painting courtesy Dolls of India Art House


 સ્તબ્ધ થઈ જવાય, શ્ર્વાસ અધ્ધર કરી નાખે અને વાંચતા કાંપી ઉઠાય એવાં આવાં તો કેટલાંય અલ્ટ્રા હાઈ-વોલ્ટેજ શબ્દવર્ણનોની રમઝટ બોલાવીને લેખિકાએ કમાલ કરી છે.

 કથા વેગપૂર્વક આગળ વધતી જાય છે. દેશમાં સ્વાતંત્ર્યસંગ્રામની સાથે સાથે સમાજસુધારણાનો પવન પણ ફૂંકાયો છે. ક્રાંતિના રંગે રંગાઈ ચુકાઈ ચુેકલા વિષ્ણુના આગ્રહથી જયાબા હિંમત કરીને વિધવા થઈ ગયેલી કુુમુદને દુખિયારી સ્ત્રીઓના આશ્રમમાં મોકલી આપે છે. વિષ્ણુના જ પ્રયત્નોથી કુમુદના જીવનમાં પરાશર નામનો જીવનરસ અને આદર્શોેથી હર્યોેભર્યો તેજસ્વી પુરુષ આવે છે. પરાશર લોકપ્રિય પત્રકાર-લેખક છે. એ વિધવા કુમુદનો માત્ર હાથ ઝાલતો નથી, પણ એને અને સાથે સાથે જયાબાને સામાજિક પ્રતિષ્ઠા અપાવે છે. સમયનું ચક્ર એવું ફરે છે કે રાંડીરાંડ બાઈઓનું ખોરડું ગણાતું ઘર ‘શહીદોનું ઘર’ જેવું માનભર્યું બિરુદ પામે છે.

 પછી તો ઘણું બધું બને છે આ સઘળાં પાત્રોના જીવનમાં. અલબત્ત, લેખિકાને કેવળ આ કિરદારોની જીવનના આરોહ-અવરોહ આલેખવામાં રસ નથી. એમનો હેતુ તો આઝાદી પહેલાંના અને પછીના દેશના રાજકીય તેમજ સામાજિક ઇતિહાસને એકસાથે વણી લઈને એક વ્યાપક ચિત્ર ઊપસાવવાનો છે. કથાના વ્યાપમાં આઝાદીની લડાઈનાં કેટલાંય પાનાં, દેશના ભાગલા વખતે થયેલી ખૂનામરકી, પાકિસ્તાન અને ચીન સાથે થયેલાં યુદ્ધોથી લઈને છેક ઇવન બ્લેક-એન્ડ-વ્હાઈટ ટીવીના આગમન સુધીના સાઠ-સિત્તેર વર્ષની ઘટમાળ આવરી લેવાઈ છે. કુમુદ પછી તો નાની ને દાદી બની જાય છે. શું નવી પેઢીને એમના વડીલો-પૂર્વજોએ આપેલાં બલિદાનની કિંમત છે? કે પછી સમયની સાથે આપણું રાષ્ટ્રીય ખમીર ક્ષીણ થતું જાય છે? લેખિકાને આ સવાલોમાં રસ છે.

 ખાસ્સી જહેમત અને રિસર્ચના આધારે લખાયેલી આ નવલકથા ‘જન્મભૂમિ-પ્રવાસી’માં ધારાવાહિક સ્વરુપે છપાઈ હતી. વર્ષા અડાલજાએ ગ્રામ્ય પાત્રો અને તળપદી માહોલને એવાં આબેહૂબ ઊપસાવ્યાં છે કે વાંચતા વાંચતા આપણા મનમાં પ્રશ્ર્ન જાગે:

 સાઉથ બોમ્બે જેવા અત્યાધુનિક વિસ્તારમાં જીવન પસાર કરનારાં લેખિકાના માંહ્યલામાં પન્નાલાલ પટેલ અને ઝવેરચંદ મેઘાણી જેવા લેખકોની સર્જકતાએ પુન:જન્મ લીધો છે કે શું?

 કથાનું ચુંબકીયપણું  જોકે ત્રીજી પેઢીના આલેખન દરમિયાન પાંખું થઈ થઈ જાય છે, પણ નવલકથાની સમગ્ર અસર એવી પ્રચંડ છે કે આ માઇનસ પોઇન્ટને અવગણવાનું મન થાય. બેશક, વર્ષા અડાલજાનાં સર્વશ્રેષ્ઠ સર્જનોમાં સૌથી અગ્રક્રમે મૂકી શકાય એવી માતબર અને યાદગાર કૃતિ. અ મસ્ટ રીડ.          

  ૦ ૦ ૦

ક્રોસરોડ  


 લેખિકા: વર્ષા અડાલજા 
 પ્રકાશક: આર. આર. શેઠ એન્ડ કંપની પ્રા. લિ. 
 પ્રિન્સેસ સ્ટ્રીટ, મુંબઈ અને ખાનપુર, અમદાવાદ 
 ફોન: (૦૨૨) ૨૦૦૧૩૪૪૧, (૦૭૯) ૨૫૫૦૬૫૭૩
 કિંમત:  રૂ. ૪૫૦ /
  પૃષ્ઠ: ૫૬૨ 


                                                                         o o o

Wednesday, February 15, 2017

રાજકીય નેતા અને ઉદ્યોગપતિ વચ્ચેના સંબંધની કક્ષા કેવી હોવી જોઈએ?

Sandesh - Ardh Saptahik Purti - 8 Feb 2017
ટેક ઓફ 
ઘનશ્યામદાસ બિરલા અને જમનાલાલ બજાજ એકાંગી ઉદ્યોગપતિ હોત તો ગાંધીજી સાથે એમનું કોઈ સંધાન શક્ય નહોતું, પણ આ બન્ને તો દેશદાઝથી છલોછલ માનવતાવાદી શ્રીમંતો હતા. તેથી જ તેઓ ગાંધીજીના આર્થિક મહાબાહુ હોવાનું સન્માન મેળવી શક્યા. 
જમનાલાલ બજાજ  (ઉપર) અને ઘનશ્યામદાસ બિરલા  
ત્તાધારી રાજકારણી અને ધનાઢય ઉદ્યોગપતિ વચ્ચેની હૂંફળી નિકટતાને આજે આપણે વક્ર દષ્ટિએ જોઈએ છીએ, પણ એક જમાનામાં ઘનશ્યામદાસ બિરલા અને જમનાલાલ બજાજ જેવા અતિશ્રીમંતો મહાત્મા ગાંધીથી ખૂબ નજીક હતા. ખેર, એ જમાનો જુદો હતો, એ માણસો જુદા હતા, એમની માટી જુદી હતી અને અને એમના ઈરાદા જુદા હતા. બિરલા ગ્રૂપને ઊંચાઈ પર લઈ જનાર હસ્તી એટલે ઘનશ્યામદાસ બિરલા (જન્મઃ ૧૮૯૪, મૃત્યુઃ ૧૯૮૩). ટાટા અને બિરલા – આ બે અટકો આપણા દેશમાં રૂઢિપ્રયોગ બની ગઈ છે, પુષ્કળ ધનસંપત્તિના માલિક્ હોવાના અર્થમાં. અંબાણી તો પછી આવ્યા. ૧૯૨૬માં સ્થપાયેલા બજાજ ગ્રૂપનું નામ ભલે ટાટા-બિરલા-અંબાણીની સાથે એક શ્વાસમાં ન લઈ શકય, પણ તે ભારતીય ઉદ્યોગજગતનું એક મહત્ત્વનું નામ છે.
ઘનશ્યામદાસ બિરલા અને જમનાલાલ બજાજ એકાંગી ઉદ્યોગપતિ હોત તો ગાંધીજી સાથે એમનું કોઈ સંધાન શકય નહોતું, પણ આ બંને તો દેશદાઝથી છલોછલ માનવતાવાદી શ્રીમંતો હતા. દેશની આઝાદી માટે તેમણે શબ્દશઃ લોહી નહીં પણ ધન વહાવ્યું હતું, જેનું મહત્ત્વ ઓછું આંકવા જેવું નથી. બિરલા અને બજાજ ગાંધીજીના આર્થિક મહાબાહુ હતા. એક અંદાજ પ્રમાણે ઘનશ્યામદાસ બિરલાએ આઝાદી પહેલાં તત્કાલીન કોંગ્રેસ અને ગાંધીજીને એ જમાનાના કુલ વીસ કરોડ રૂપિયા જેટલી આર્થિક સહાય કરી હતી. એવું કહેનારાય હતા કે બિરલાએ ખરેખર તો દેશપ્રેમના નામે કોંગ્રેસ કનેક્શનનો ઉપયોગ કરીને પોતાનો બિઝનેસ વધાર્યો હતો. આ થિયરીનો છેદ ઉડાડી દેતી દલીલ એ છે કે જો ફેવર જ જોઈતી હોત તો ઘનશ્યામદાસ બિરલાએ જવાહરલાલ નહેરુ સાથે પનારો પાડયો હોત, ગાંધી સાથે નહીં. હકીકત એ હતી કે ૧૯૪૭થી ૧૯૬૪ દરમિયાન દેશના વડાપ્રધાન રહેલા નહેરુજી ટાટાથી વિશેષ નિકટ હતા, બિરલાઝ સામાન્યપણે નહેરુથી અંતર જાળવતા.
ગાંઘીજી સાથે ઘનશ્યામદાસ બિરલા વચ્ચે પુષ્કળ પત્રવ્યવહાર થયો હતો. બાપુએ જાતે લખેલા પહેલાં જ પત્રમાં, બિરલાએ સ્વાતંત્ર્ય સંગ્રામની જુદી જુદી ગતિવિધિઓ માટે મોકલાવેલા પાંચ હજાર રૂપિયા બદલ આભાર માન્યો છે. બાપુએ આ જ પત્રમાં ઘનશ્યામદાસ બિરલાને તબિયત જાળવવાનું અને ‘મારે તમારી પાસેથી ઘણું વધારે કામ લેવું છે’ એવા મતલબનું લખાણ પણ લખ્યું છે. ગાંધીજી સાથે થયેલા પત્રવ્યવહારને ઘનશ્યામદાસ બિરલાએ પછી ‘બાપુઃ અ યુનિક એસોસિયેશન’ શીર્ષક હેઠળ ચાર ભાગમાં પ્રકાશિત કર્યો હતો. બિરલાએ લખેલા ‘બાપુ’ નામના ઓર એક સુંદર પુસ્તક વિશે આપણે ગયા બુધવારે વિગતે વાત કરી ગયા. મોહન દાંડીકરે ગુજરાતીમાં તેનો સુંદર અનુવાદ કર્યો છે.
Ghanshyamdas Birla with Gandhiji (exptreme right)  

જમનાલાલ બજાજ (જન્મઃ ૧૮૮૯, મૃત્યુઃ ૧૯૪૨) તો ગાંધીજીનો પાંચમો દીકરો કહેવાયા છે. ગાંધીજી આફ્રિકાથી ભારત પાછા ર્ફ્યા તે પહેલાં જ જમનાલાલના મનમાં એમના પ્રત્યે આદરભાવ પેદા થઈ ચૂકયો હતો. બાપુએ સ્વદેશાગમન કર્યા બાદ કોચરબ આશ્રમમાં નિવાસ કર્યો એ અરસામાં જમનાલાલ એમના નિકટના પરિચયમાં આવ્યા. એક દિવસ જમનાલાલે માગણી કરીઃ બાપુ, મને તમારા પાંચમા પુત્ર તરીકે સ્વીકારો! બાપુએ ઉલટભેર એમના પ્રેમભાવનો સ્વીકાર કર્યો.
જમનાલાલની ઇચ્છા હતી કે ગાંધીજી વર્ધામાં આશ્રમ સ્થાપીને ત્યાં જ નિવાસ કરે, કેમ કે ભૌગોલિક રીતે વર્ધા ભારતની મધ્યમાં પડે અને અમદાવાદની તુલનામાં વર્ધાથી દેશના કોઈપણ હિસ્સામાં આવવું-જવું આસાન સાબિત થાય. ગાંધીજી જોકે તે વખતે અમદાવાદનો આશ્રમ છોડી શકે તેમ નહોતા, પણ એમણે વિનોબાને આશ્રમ વિકસાવવાનું કામ જરૂર સોંપ્યું હતું. ૮ એપ્રિલ ૧૯૨૧માં વિનોબા છ સાથીઓ સાથે વર્ધા આવ્યા અને વિધિવત આશ્રમનું ઉદઘાટન કરેલું.
૧૯૩૦માં દાંડીકૂચ વખતે ગાંધીજીએ પ્રતિજ્ઞાા લીધી હતી કે કાગડા-કૂતરાના મોતે મરીશ, પણ સ્વરાજ લીધા વિના અમદાવાદ આશ્રમમાં પાછો નહીં ફરું. વર્ધા પાસે સેવાંગ નામના ગામમાં જમનાલાલ બજાજની જમીન હતી, જે તેમણે ગાંધીજીને દાનમાં આપી દીધી હતી. દાંડીકૂચ પછી ગાંધીજી આ ગામમાં સેવાગ્રામ આશ્રમની સ્થાપના કરીને રહૃાા. ગાંધીજીની ઉપસ્થિતિને લીધે વર્ધા રાષ્ટ્રીય ગતિવિધિઓનું કેન્દ્ર બની ગયું હતું. ગાંધીજીને મળવા આવતા દેશભરના નેતાઓનો ઉતારો વર્ધામાં જમનાલાલની ઘરે રહેતો. વર્ધાના સંકુલમાં ગોપુરીની વસાહતમાં જ જમનાલાલનું ઘર હતું. આઝાદીના જંગનું કોઈપણ આંદોલન કે રચનાત્મક પ્રવૃત્તિનો શુભારંભ વર્ધાથી થવા લાગ્યો. જમનાલાલ બજાજ આ પ્રવૃત્તિઓ માટે છૂટથી ધન ખરચતા. સમજોને કે જમનાલાલ બાપુના ભામાશા બની ગયેલા. એમનાં પત્ની જાનકીદેવીએ પણ ગાંધીજીના સુધારાવાદી વિચારો અપનાવ્યા હતા. જમનાલાલ બજાજ એટલી હદે ગાંધીમય બની ગયા હતા કે ગૌસેવા, નઈ તાલીમ, ગ્રામોદ્યોગ, મહિલાશ્રમ, હરિજનસેવા, અસ્પૃશ્યતા-નિવારણ વગેરે જેવાં કાર્યોમાં એમનું ઇન્વોલ્વમેન્ટ ખૂબ મહત્ત્વનું સાબિત થતું.
Jamnadas Bajaj with Gandhi, Satyagraha Ashram, Wardha, 1934.

વર્ધામાં લક્ષ્મીનારાયણ મંદિરનું નિર્માણ કરીને તેમાં એમણે હરિજનોનો પ્રવેશ કરાવ્યો હતો. ગાંઘીબાપુને ‘નવજીવન’ સામયિક હિન્દીમાં પ્રકાશિત કરવાનો આગ્રહ કરનારા પણ જમનાલાલ જ હતા. ગાંધીજીએ એમની વાત માની પણ ખરી. ભારત ગૌસેવા સંઘના પ્રમુખ તરીકે જમનાલાલ વર્ષો સુધી સેવા સક્રિય રહૃાા હતા.
ગાંઘીજી ધનિકોને કહેતા કે તમારું ધન ભલે વારસાગત હોય કે તમારી ખુદની બુદ્ધિ અને મહેનતનું ફ્ળ હોય, એક વાત હંમેશાં યાદ રાખવી કે આ ધન કેવળ તમારા એકલાનું નથી. આ ધનનો એક હિસ્સો દરિદ્રો માટે અને સમાજકલ્યાણનાં કાર્યો માટે વપરાવો જ જોઈએ. તમારે તમારાં ધનના ટ્રસ્ટી બનવાનું છે. જમનાલાલ બજાજે ગાંધીજીની ટ્રસ્ટીશિપની આ સંકલ્પનાને પૂર્ણપણે અપનાવી લીધી હતી. ધનસંપત્તિથી તેઓ આશ્ચર્ય થાય એટલી હદે નિસ્પૃહ રહી શકતા હતા. ખુદ ઘનશ્યામદાસ બિરલાએ એક જગ્યાએ લખ્યું છે કે, ‘જમનાલાલ બજાજના વ્યકિતત્વનું સૌથી મોટી પાસું ધન પ્રત્યેની તેમની ઉદાસીનતા હતી. ખુદને માટે પૈસા ખર્ચવામાં તેઓ અત્યંત કૃપણ હતા. તેમની રહેણીકરણી સાદી અને કરકસરયુકત હતી.’
જમનાલાલ બજાજે માત્ર બાવન વર્ષની વયે દેહ છોડયો. દેશની આઝાદી જોવાનું તેમના નસીબમાં નહોતું. પોતાના વસિયતનામામાં તેઓ લખી ગયા હતા કે મારી સંપત્તિનો ત્રણ ચતુર્થાંશ (એટલે કે પોણો) ભાગ ગાંધીજીના સિદ્ધાંતો મુજબ કામ કરતી પ્રવૃત્તિઓ પાછળ વાપરવો. ગાંધીજીએ જમનાલાલ બજાજને પોણા ત્રણસો જેટલા પત્રો લખ્યા હતા. કાકાસાહેબ કાલેલકરે તેનું સંપાદન કરીને તે પુસ્તક સ્વરૂપે છપાવ્યું હતું. આ પુસ્તકને એમણે નામ આપ્યું -‘પાંચમા પુત્રને બાપુના આશીર્વાદ’.
0 0 0 

Saturday, February 11, 2017

આ વખતે આ ગુજરાતી એકટર ઓસ્કર જીતશે?

Sandesh - Sanskaar purti - 12 Feb 2017
Multiplex
દેવ પટેલને મુખ્ય ભુમિકામાં ચમકાવતી 'લાયન' નામની વિદેશી ફિલ્મની ચર્ચા આજકાલ દુનિયાભરમાં ચાલી રહી છે. ઓસ્કરની છ કેટેગરીમાં નોમિનેટ થયેલી આ સત્યકથનાત્મક ફિલ્મનો વિષય હૃદય વલોવી નાખે એવો છે.
Dev Patel
જી, બિલકુલ. આ વખતે એક ગુજરાતી એક્ટર ઓસ્કરની રેસમાં ધમધમાટ કરતો દોડી રહૃાો છે. નામ છે એનું દેવ પટેલ. ‘લાયન’ નામની અફ્લાતૂન અંગ્રેજી ફ્લ્મિ માટે એને બેસ્ટ સપોર્ટિંગ એકટરનું ઓસ્કર નોમિનેશન મળ્યું છે. એના પપ્પા રાજ પટેલ અને મમ્મી અનિતા પટેલ મૂળ કેનિયાનાં. ૧૯૭૦ના દાયકામાં પ્રેસિડેન્ટ ઈદી અમીને ઉપાડો લીધો હતો ત્યારે કેનિયા-યુગાન્ડામાં વસતાં કેટલાય ભારતીયો સ્થળાંતર કરીને ઈંગ્લેન્ડ જતા રહેલા. એમાં અનિતા અને રાજ પટેલના પરિવારો પણ હતા. દેવ પટેલનો જન્મ અને ઉછેર બંને લંડનમાં થયા છે એટલે એને કેટલું ગુજરાતી આવડતું હશે તે એક સવાલ છે. ખેર, દેવ પટેલ વિશે વધારે વાત કરતાં પહેલાં એની લેટેસ્ટ ફ્લ્મિ ‘લાયન’ વિશે વિગતે વાત કરીએ. આજકાલ દુનિયાભરમાં ‘લાયન’ની ખૂબ ચર્ચા ચાલી છે. આંખો અને હૃદય બંનેને ભીંજવી નાખે એવી આ ફ્લ્મિ સત્યઘટના પર આધારિત છે.
સરુ નામનો એક પાંચ વર્ષનો મુસ્લિમ છોકરો છે. મધ્યપ્રદેશમાં ખંંડવા પાસે આવેલા કોઈ નાનકડા ગામમાં એ રહે છે. એના પિતાજી પરિવારને ત્યજીને જતાં રહૃાા હતા એટલે એની ગરીબડી મા કડિયાકામ કરીને ચાર-ચાર બાળકોનું પેટિયું ભરે છે. સરુથી મોટા બે ભાઈઓ છે – ગુડ્ડુ અને કલ્લુ. એક નાની બહેન છે – શકીલા. ઘરમાં ખાવાના સાંસા છે એટલે મોટા ભાઈઓ રેલવે સ્ટેશને જઈને કાં તો સ્ટોલ્સ પરથી ખાવાનું ચોરી લાવે અથવા ભીખ માગે. સરુ ઘરે રહીને નાની બહેનને સાચવે.   1986ની આ વાત છે. એક દિવસ સરુ જીદ કરીને મોટા ભાઈ ગુડ્ડુની સાથે રેલવે સ્ટેશન ગયો. બંને ભાઈઓ ખંડવાથી સિત્તેર કિલોમીટર દૂર આવેલા બુરહાનપુર નામના ગામે જતી ટ્રેનમાં ચડી ગયા. બુરહાનપુર સ્ટેશને ઉતરીને સરુ પ્લેટફોર્મ પર પેસેન્જરો વધેલા બિસ્કિટ કે બીજું કંઈ ખાવાનું છોડી ગયા હોય તે વીણી વીણીને ખાવા લાગ્યો. થોડી વારમાં થાકી ગયો એટલે એક બેન્ચ પર લાંબો થયો. મોટા ભાઈએ કહૃાું: અહીં જ રહેજે. કયાંય આઘોપાછો થતો નહીં. આટલું કહીને ગુડ્ડુ જતો રહૃાો. સરુને ઊંઘ આવી ગઈ. આંખો ખૂલી ત્યારે રાત થઈ ગઈ હતી. ભાઈ આસપાસ કયાંય દેખાતો નહોતો. પ્લેટફોર્મ પર એક ટ્રેન ઊભી હતી. ભાઈ આ ટ્રેનમાં હશે? સરુ ટ્રેનમાં ચડી ગયો. આખી ટ્રેન ખાલી હતી. સરુ એક સીટ પર આડો પડયો. એને પાછી ઊંઘ આવી ગઈ.

ઊંઘ ઊડી ત્યારે સવાર પડી ગઈ હતી અને ટ્રેન ધડધડાટ કરતી કોણ જાણે કયાંથી પસાર થઈ રહી હતી. આખરે ગાડી ઊભી રહી. સરુ નીચે ઉતર્યો ત્યારે એને ખબર નહોતી કે એ પોતાના ગામથી ૧૫૦૦ કિલોમીટર દૂર છેક કોલકાતા પહોંચી ગયો છે! પાંચ વર્ષના આ ટેણિયાને પોતાના ગામનું શું, પોતાનું આખું નામ બોલતા પણ આવડતું નહોતું. એ ગભરાઈને ભીડથી છલકાતા હાવડા સ્ટેશને આમતેમ દોડતો રહૃાો. હવે ઘરે પાછા કેવી રીતે જવું? એ પ્લેટફેર્મ પર ઊભેલી કોઈપણ ટ્રેનમાં ચડી જાય, પણ આ ટ્રેનો હરીફરીને એને પાછો હાવડા જ લઈ આવે. સરુ પ્લેટફેર્મ પર સીંગદાણા કે એવું કંઈ વેરાયેલું હોય તે ખાઈ લે.
આ રીતે મહિનાઓ વીત્યા. નાનકડો સરુ કોલકાતાની સડકો પર ભટકતો રહૃાો. કોઈ ભલી બાઈએ એને રહેવા માટે આશરો આપ્યો, એને પોલીસ સ્ટેશન લઈ ગઈ, પણ સરુને પોતાનાં નામ-ઠામની કશી ખબર નહોતી એટલે એને કાયદેસર રીતે લાપતા ઘોષિત કરીને બાળસુધાર કેન્દ્રમાં મૂકી દેવામાં આવ્યો. અહીં જ એ બાળકો દત્તક અપાવવાનું કામ કરતી એક સંસ્થાની નજરમાં આવ્યો.

Saroo Brierley  - the real life hero of Lion

આ સંસ્થા પાસે એક યુવાન ઓસ્ટ્રેલિયન દંપતી આવ્યું. જોન બ્રાયર્લી અને સૂ બ્રાયર્લી એમનું નામ. મહિલાને એકવાર સપનાંમાં એક ઘઉંવર્ણા રંગનું બાળક દેખાયું હતું. બસ, ત્યારથી એના મનમાં વાત બેસી ગઈ હતી કે મારે ભારતમાંથી એક ઘઉંવર્ણા અનાથ બાળકને દત્તક લેવો છે. દંપતીએ સરુને કાયદેસર રીતે અડોપ્ટ કર્યો અને તેને પોતાની સાથે ઓસ્ટ્રેલિયા લઈ ગયા. એને સ્કૂલમાં બેસાડવામાં આવ્યો. હજુ હમણાં સુધી રેલવે પ્લેટફોર્મ પર કે રસ્તાઓ પર ભૂખ્યોતરસ્યો રખડ્યા કરતો સરુ ઓસ્ટ્રેલિયામાં વ્યવસ્થિત જીવન જીવવા લાગ્યો.
ઉપરવાળાએ સરુને ફોટોગ્રાફ્કિ મેમરી આપી હતી. એના સ્મરણપટ પરથી એની સગી મા, પરિવાર અને ગામ કદી ભૂસાયા નહીં. મોટા થયા પછી પણ એ પોતાના મૂળિયાં ભૂલ્યો નહીં. એને હંમેશાં થયા કરતું કે મારી સગી મા અને ભાઈ-બહેન શું કરતાં હશે? કયાં હશે? એમને મારે કઈ રીતે શોધવા? સરુને આનો જવાબ ગૂગલ અર્થમાંથી મળ્યો. ગૂગલ અર્થ એ કમ્પ્યૂટર પ્રોગ્રામ છે, જેમાં દુનિયાભરના ઠેકાણાંની સેટેલાઈટ તસવીરો તેમજ ભૌગોલિક માહિતી સંગ્રહાયેલા છે.
Saroo with his Australian parents - Sue Brierley and John Brierley

૨૦૧૧ની એક રાત્રે સરુ ગૂગલ અર્થ ખોલીને બેઠો હતો. એને પાણીની ઊંચી ટાંકી યાદ હતી. એક રિંગ રોડ હતો, એક ફુવારો હતો, એક નદી અને એની ઉપર પુલ હતો… અને મારા ગામનું નામ ગિનેસ્ટલે કે એવું કંઈક હતું. ગિનેસ્ટલે? આવું કંઈ નામ હોય? સરુ ભારતના નકશા પર રેન્ડમ સર્ચ કરતો રહૃાો. બંગાળ, ઝારખંડ, ઓરિસા, યુપી, એમપી… અચાનક એની નજરે ‘બુરહાનપુર’ નામ પડયું. બુરહાનપુર? નામ તો પરિચિત લાગે છે. ભાઈ જે રેલવે સ્ટેશન પરથી ગાયબ થઈ ગયો હતો એ સ્ટેશનનું નામ બુરહારપુર હતું? કે પછી બ્રાહમપુર, બહારામપુર, બિરામપુર, બેરામપુર… શું હતું? એણે વધારે સર્ચ કર્યું. બુરહાનપુરમાં પાણીનો ઊંચો ટાંકો દેખાય છે, રિંગ રોડ, ફ્ુવારો, નદી અને પુલ પણ દેખાય છે. શું આ જ એ ગામ હશે? બાજુમાં ખંડવા નામનું સ્ટેશન પણ દેખાય છે, પણ મારા ગામનું નામ તો ગિનેસ્ટલે કે એવું કશુંક હતુંને?
સરુની મદદે હવે ફેસબુક આવ્યું. એણે જોયું કે ફેસબુક પર ‘ખંડવાઃ માય હોમટાઉન’ નામનું એક પેજ છે. એણે મેસેજ મૂકયોઃ ‘કોઈ મને મદદ કરશે, પ્લીઝ? મારું વતન કદાચ ખંડવાની આસપાસ કયાંક છે, પણ ચોવીસ વર્ષથી હું ત્યાં ગયો નથી. શું ખંડવામાં કોઈ સિનેમાહોલ અને મોટો ફુવારો છે?’ 
કોઈએ જવાબ આપ્યોઃ ‘અહીં એક સિનેમાહોલની નજીકમાં બગીચો છે, પણ એમાં જે ફુવારો છે એ તો નાનો અમથો છે. સિનેમાહોલ પણ વર્ષોથી બંધ પડયો છે. વધારે કંઈક ઇર્ન્ફ્મેશન આપી શકો?’ 
Google Earth played an instrumental role in Saroo's life

સરુએ લખ્યું: ‘ખંડવાની નજીકમાં ‘જી’ અક્ષરથી શરૂ થતું કોઈ ગામ છે? મને એકઝેકટ નામ ખબર નથી, પણ ગિનેસ્ટલે કે એવા ટાઈપનો એનો ઉચ્ચાર થાય છે. તે ગામમાં એક બાજુ મુસ્લિમોની વસાહત હતી અને બીજી બાજુ હિંદુઓની વસાહત હતી. આવું કોઈ ગામ તમારા ધ્યાનમાં છે?’ 
જવાબ આવ્યોઃ ‘શું તમે ગણેશ તલાઈ ગામની વાત કરી રહૃાા છો?’
ગણેશ તલાઈ! યેસ, આ જ હોવું જોઈએ. ગિનેસ્ટલે નહીં પણ ગણેશ તલાઈ…
સરુને લાગ્યું કે એના શરીરમાંથી વીજળી પસાર થઈ ગઈ છે. અગિયાર મહિના પછી સરુ ખંડવામાં હતો. અહીં પગ મૂકતાં જ સઘળું સપાટી પર આવવા લાગ્યું. એ જ ફુવારો, એ જ થાંભલા, એ જ રસ્તા જ્યાં એ રખડયા કરતો. એને પોતાના ઘરનો રસ્તો પણ યાદ આવી ગયો. એણે જોયું કે પોતે જ્યાં રહેતો હતો તે જગ્યા તો ખંડેર બની ગઈ છે. પાડોશમાં પૃચ્છા કરી. સરુ હિંદી સદંતર ભૂલી ચૂકયો હતો, પણ એણે ઓસ્ટ્રેલિયન અંગ્રેજીમાં સમજાવવાની કોશિશ કરવા માંડીઃ ‘હું સરુ. મારાથી મોટા બે ભાઈ હતા, કલ્લુ અને ગુડ્ડુ…’ 
સરુ પાસે ઓસ્ટ્રેલિયન મા-બાપે પાડેલા એના નાનપણના ફોટા હતા. એક માણસ આગળ આવીને કહેઃ ચાલ, મારી સાથે. 
એ સરુને થોડે દૂર એક ઘરમાં લઈ ગયો. સામે એક આધેડ સ્ત્રી ઊભી હતી. એને દેખાડીને કહેઃ 
આ રહી તારી મા!
Saroo with his real mother, Kamla Munshi 

સ્ત્રીએ ફોટો જાયો. એ સ્તબ્ધ થઈ ગઈઃ ‘આ તો મારા શેરુનો ફોટો…!’   મા-દીકરાનું કલ્પનાતીત મિલન થયું. સરુને હવે ખબર પડી કે આટલાં વર્ષોથી એ પોતાનું નામ પણ ખોટું ઉચ્ચારતો આવ્યો છે. એનું સાચું નામ ‘સરુ’ નહીં, પણ ‘શેરુ’ છે. શેરુ મુનશી ખાન! સરુને એ પણ ખબર પડી કે પચ્ચીસ વર્ષ પહેલાં બુરહાનપુર સ્ટેશને મોટો ભાઈ ગુડ્ડુ એને એકલો મૂકીને જતો નહોતો રહૃાો, પણ અકસ્માતે ટ્રેન નીચે આવી જવાથી કપાઈ ગયો હતો. બંને દીકરા લાપતા થઈ ગયા પછી બે દિવસે મા કમલાને ગુડ્ડુની લાશ મળી હતી. સરુ આખા પરિવારને મળ્યો. બીજો ભાઈ કલ્લુ એક ફેકટરીમાં કામ કરતો હતો. એને ત્રણ બચ્ચાં હતા. નાની બહેન શકીલા પણ બે બાળકોની મા બની ગઈ હતી.
આછીપાતળી સ્મૃતિઓ, ગૂગલ અર્થ અને ફેસબુકે ખરેખર કમાલ કરી દેખાડી. સરુનું આ રીતે પોતાના મૂળ પરિવાર સાથે મિલન થવું તે ઘટના કોઈ ચમત્કાર કરતાં સહેજે કમ નહોતી. મીડિયાએ પણ આ ઘટમાળને ખાસ્સું કવરેજ આપેલું. ઓસ્ટ્રેલિયા પાછા જઈને સરુએ પોતાના જીવનની આ અસાધારણ સફર વિશે આત્મકથનાત્મક પુસ્તક લખ્યું. એને નામ આપ્યું, ‘અ લોન્ગ વે હોમ’.
…અને આ પુસ્તક પરથી બનેલી ફ્લ્મિ એટલે ‘લાયન’!  
Dev Patel (right) with Lion's director, Garth Devis and screen mother, Nicole Kidman (below)

‘લાયન’માં નાનકડા સરુના રોલમાં સની પવાર નામના મુંબઈના એક ટેણિયાએ કામ કર્યુંં છે. બે હજાર બચ્ચાઓમાંથી સાવ સાધારણ ઘરના આ છોકરાને પસંદ કરવામાં આવ્યો હતો. છ (હવે આઠ) વર્ષના સનીએ આ ફ્લ્મિમાં એવું સરસ અને નેચરલ પરફેર્મન્સ આપ્યું છે કે એકલા હોલિવૂડનો જ નહીં, પણ ઇન્ટરનેશનલ મીડિયાનો પણ એ લાડકો બની ગયો છે. દુભાષિયો સાથે રાખીને આજકાલ એ અમેરિકન ટીવી ચેનલો પર મોજથી ઇન્ટરવ્યૂઝ આપી રહૃાો છે.
પુખ્ત વયના સરુનું કિરદાર છવીસ વર્ષીય દેવ પટેલે નિભાવ્યું છે. નિકોલ કિડમેન જેવી ટોચની હોલિવૂડ સ્ટાર દેવની ઓસ્ટ્રેલિયન મમ્મી બની છે.  'લાયન'માં નવાઝુદ્દીન સિદ્દીકી, દીપ્તિ નવલ, તનિષ્ઠા ચેટર્જી, પલ્લવી શારદા ('બેશરમ' ફિલ્મમાં રણબીર કપૂરની હિરોઈન બની હતી એ) અને પ્રિયંકા બોઝ જેવાં ભારતીય કલાકારોએ પણ નાના-મોટા રોલ કર્યા છે. 
Saroo with his real mother Kamla and adopter mother, Sue

દેવ પટલેને આપણે ‘સ્લમડોગ મિલિયોનેર’ (૨૦૦૮)માં સૌથી પહેલી વાર જોયો હતો, લીડ રોલમાં. દેવની એ પહેલી જ ફિલ્મ હતી. આ ફ્લ્મિે આઠ-આઠ ઓસ્કર એવોર્ડ્ઝ જીતી લઈને તરખાટ મચાવી દીધો હતો. ત્યાર બાદ દેવ પટેલ ‘ધ લાસ્ટ એરબેન્ડર’, ‘ધ બેસ્ટ એકઝોટિક મેરીગોલ્ડ હોટેલ’, ‘ચેપી’, ‘ધ મેન હુ ન્યુ ઇન્ફિનિટી’ વગેરે ફ્લ્મિોમાં દેખાયો.
Dev Patel with Sunny Pawar who played young Saroo in Lion and real life Saroo

તમને યાદ હોય તો, થોડા અઠવાડિયા પહેલાં ગોલ્ડન ગ્લોબ એવોર્ડ ફ્ંકશનમાં અભિનયસમ્રાજ્ઞાી મેરીલ સ્ટ્રિપે લાઈફ્ટાઈમ એવોર્ડ સ્વીકારતી વખતે ડોનાલ્ડ ટ્રમ્પની વિદેશીઓને અમેરિકામાં પ્રવેશ પર નિયંત્રણ લાવતી નીતિ વિરુદ્ધ મારફાડ સ્પીચ આપી હતી. આ સ્પીચ સાંભળીને ડોનાલ્ડ ટ્રમ્પ રાતાપીળા થઈ ગયા હતા. પોતાના આ વકતવ્યની શરૂઆતમાં મેરીલ સ્ટ્રિપે ખૂબ માનપૂર્વક દેવ પટેલનો ઉલ્લેખ કર્યો હતો. 
દેવ પટેલને ‘લાયન’ માટે ગોલ્ડન ગ્લોબ પછી હવે ઓસ્કર નોમિનેશન મળ્યું છે. હરીફાઈ તગડી છે, પણ નસીબ જોર કરતું હશે તો દેવ પટેલ બેસ્ટ સપોર્ટિંગ એક્ટર તરીકેનો ઓસ્કર જીતી પણ શકે. હુ નોઝ? ખેર, ઓસ્કર નાઈટ આવે તેની પહેલાં, ચોવીસ ફેબ્રુઆરીએ, ગર્થ ડેવિસના ડિરેકશનવાળી ‘લાયન’ ભારતમાં રિલીઝ થઈ જશે. મિસ ન કરતા!
                                        0 0 0 

Thursday, February 9, 2017

મનોજ શાહ: ગુજરાતી રંગભૂમિના ફેવરિટ આઉટસાઈડર

અહા! જિંદગી - ફેબ્રુઆરી 2010 /  દિવ્ય ભાસ્કર - ઉત્સવ - દિવાળી 2011 

મનોજ શાહ એ મુંબઈની ગુજરાતી રંગભૂમિના એક મહત્ત્વના અને બહુ જ ગમતીલા શેડનું નામ છે. કમર્શિયલ રંગભૂમિને સમાંતર જિદપૂર્વક પોતાનો ચોકો બનાવીને તેઓ એક-એકથી ચઢિયાતાં સત્ત્વશીલ નાટકો આપતા જાય છે. આ ખુલ્લા દિલનો એક્ટર-ડિરેક્ટર-પ્રોડ્યુસર ખરેખર મળવા જેવો માણસ છે.

 
 

ત્રીજા માળે આવેલા એમના વન બેડ‚મ-હોલ-કિચનની કાળી પડી ગયેલી દીવાલો પર છેલ્લે કોણ જાણે કેટલાં વર્ષો પહેલાં રંગરોગાન થયા હશે. એમણે પહેરેલાં ચોળાયેલાં ટીશર્ટમાં દેખાતું છિદ્ર દીવાલોની દશા સાથે જાણે જુગલબંદી કરે છે. ના, આ છિદ્ર કોઈ ફેશન-સ્ટેટમેન્ટનો હિસ્સો નથી, બલકે એ ખરેખરુ જેન્યુઈન છિદ્ર જ છે. હૉલની મોટી બારી અને પુસ્તકોના વિશાળ કબાટ વચ્ચે બનતો ખૂણો એમની પ્રિય જગ્યા છે. અહીં આરામખુરશીમાં  પગ પર પગ ચડાવીને પુસ્તક વાંચતા વાંચતા તેઓ એકધારા કલાકો પસાર કરી શકે છે. બાજુમાં લેન્ડલાઈન ફોન બેઠો હોય અને એક તરફ સાદો મોબાઈલ ફોન ચાર્જ થતો પડ્યો હોય. પોતાની કરીઅરમાં તેઓ સતત સક્રિય છે એટલે બેઠાડુ જીવન જીવી રહ્યા છે એમ તો કેમ કહેવાય, છતાંય એમના પગના સાંધાનો દુખાવો લાંબા સમયથી શ‚ થઈ ગયો છે  જ. ‘ખાસ કરીને પણ દાદરા ઊતરતી વખતે તકલીફ થઈ જાય છે,’ તેઓ કહે છે, ‘જોકે રોજ જિમમાં જવાનું નિયમિત રાખ્યું છે.’

 અહીં ‘નિયમિત’ શબ્દના પ્રયોગ વિશે જરા શંકા કરવા જેવી ખરી! એ જે હોય તે, પણ તેઓ શરીર સાચવે તે જરૂરી છે. માત્ર પોતાની તબિયત માટે જ નહીં, ગુજરાતી રંગભૂમિના સ્વાસ્થ્ય માટે પણ.

 એ મનોજ સાકરચંદ શાહ છે. મુંબઈની ગુજરાતી રંગભૂમિના ફેવરિટ આઉટસાઈડર.

 હેય મુંબઈની ગુજરાતી રંગભૂમિ મરવા પડી છે.... હેય ગુજરાતી નાટકોમાં ક્વોલિટીના નામે મોટું મીંડું છે... હેય જાતજાતના જ્ઞાતિમંડળો સાથે આડા સંબંધો બાંધતી ફરતી ગુજરાતી રંગભૂમિ પાસે કેરેક્ટર જેવું કશું રહ્યું નથી... આ પ્રકારના આક્ષેપોના એકધારા વરસાદ વચ્ચે મનોજ શાહ નામનો આ માણસ જાણે કે જીદપૂર્વક પોતાની છત્રી ગુજરાતી તખ્તાની આબરુ પર ધરી રાખીને એને ધોવાઈ જતાં બચાવી રહ્યો છે. આઈડિયાઝ અનલિમિટેડ નામનું પોતાનું બેનર ઊભું કરીને એમણે છેલ્લાં 14 વર્ષોથી કમર્શિયલ રંગભૂમિને સમાંતર પોતાનો ચોકો ધરાર ધમધમતો રાખ્યો છે. ‘માસ્ટર ફૂલમણિ’, ‘મરીઝ’ અને ‘અપૂર્વ અવસર’ જેવાં કેટલાંય બેનમૂન નાટકો આપનાર આ નિર્માતા-નિર્દેશકે દર્શકોને ચકિત કરી નાખે એવા સુપર ટેલેન્ટેડ કલાકારો અભિનયની દુનિયાને સતત આપ્યા છે અને પોષ્યા છે.

 પ્રલોભનોને વશ ન થવું, મુખ્ય પ્રવાહ સાથે સડસડાટ વહેતા જતાં મનુષ્યપ્રાણીઓનાં મહેણાં-ટોણાં-અવગણનાને ગણકાર્યા વગર  ખુદના કન્વિક્શન પ્રમાણે કામ કરતાં રહેવું અને પોતે સર્જેલા વાતાવરણનું ઝનૂનપૂર્વક રક્ષણ કરવું... બહુ કઠિન હોય છે આ બધું.

 ‘હવે મારા ઓડિયન્સમાં સોલ્ડઆઉટ શો ખરીદનારા મંડળવાળા આવતા બંધ થઈ ગયા છે...’ મનોજ શાહ હસે છે, ‘હવે મારાં ઓડિયન્સમાં સાધુઓ, સ્વામીઓ, સંતો-મહંતો અને ટ્રસ્ટીઓ વધારે હોય છે!’

 વેલ, આ એક સારી નિશાની પણ છે અને કદાચ ચિંતાજનક સંજ્ઞા પણ છે. સાધુ-સંતો-મહંતો-સ્વામીઓને મનોજ શાહનાં નાટકો ઉપરાંત એમની ફકીરી પણ આકર્ષતી હશે? હોઈ શકે. મનોજ શાહ પોતાની ફકીરી સાથે, પોતાના ઘરની કાળી પડી ગયેલી દીવાલો સાથે, પોતાના ટીશર્ટમાં પડી ગયેલાં છિદ્ર સાથે મસ્ત થઈને જીવે છે. અલબત્ત, તેઓ પોતાની ફકીરીને નથી બહાદૂરીનું મેડલ બનાવીને છાતીએ લગાડતા કે નથી તેને ઢાલ તરીકે વાપરતા.

1955માં જન્મેલા મનોજ શાહની ફકીરી ઊકેલવા માટે એમની અમીરીની ઈતિહાસ જરા જોઈ લેવો જોઈએ.
 
‘મારો જન્મ ચોપાટીના દરિયાકાંઠે ઊભેલી એક હોસ્પિટલમાં થયો હતો,’ મુંબઈવાસી મનોજ શાહ કહે છે,  ‘મારાં મધર હંમેશા કહ્યા કરતાં કે તું દરિયાની સામે જન્મ્યો છે એટલે જ દરિયાના મોજાં જેવો થયો છે - કંટ્રોલ કરી ન શકાય એવો!’

 પિતાજી શિપિંગના ક્લીઅરિંગ ફોરવર્ડીંગ એજન્ટ હતા.  પહેલાં માટુંગામાં અને પછી લોઅર પરેલ-ચીંચપોકલી વચ્ચે ડિલાઈ રોડવાળા મકાનમાં મનોજ શાહનું બાળપણ અને જુવાની વીત્યાં. લોકાલિટીમાં એમનું ઘર સૌથી સમૃદ્ધ ગણાતું. ‘આખા એરિયાનો સૌથી પહેલો રેડિયો અને ટેલિફોન અમારે ત્યાં આવેલા. અમને ભાઈબહેનોને સાચવવા બે બાઈઓ રાખવામાં આવેલી. ત્રણ ગાડીઓ હતી. આજે તમારે કઈ ગાડીમાં સ્કૂલે જવું છે એવું પૂછવામાં આવતું,’ તેઓ કહે છે.

 સાકરચંદ શાહ અને સવિતા શાહનાં પાંચ સંતાનોમાં મનોજ શાહનો ક્રમ છેલ્લો. તેમનું હુલામણું નામ ‘રાજીયો’ હતું. રાજીયો અેટલે રાજા શબ્દનું અપભ્રંશ. દોમ દોમ સાહ્યબી રુઢિપ્રયોગનો અર્થ સમજવા માટે પાંચેય ભાઈબહેનોને સ્વાનુભાવ કાફી હતો તેમ અણધારી આપત્તિ કોને કહેવાય તે જાણવા માટે પણ દૂર જવું પડે તેમ નહોતું. મનોજ શાહ હજુ માંડ નવ વર્ષના હતા ત્યાં પિતાજીનું અવસાન થઈ ગયું. ઊકળતા પાણી ભરેલાં પાત્ર પરથી ઢાંકણું ખસેડતાં જ જેમ બાષ્પ હવામાં ભળવા માંડે તેમ શાહ પરિવારની સાહ્યબી ઝપાટાભેર વરાળ બનીને ઉડવા માંડી. યમદેવ જાણે ઘર ભાળી ગયું હોય તેમ મૃત્યની ઘટના સમયાંતરે પુનરાવર્તન પામવા માંડી.

 ‘મારી એક બહેન પણ હું નવ વર્ષનો હતો ત્યારે ગુજરી ગઈ હતી,’ મનોજ શાહ કહે છે, ‘હું તેર વર્ષનો થયો ત્યારે મારા કરતાં મોટો ભાઈ મૃત્યુ પામ્યો અને ઓગણીસ વર્ષની ઉંમરે મેં સૌથી મોટા ભાઈનું અવસાન જોયું...’

 સ્વજનોનાં આટલાં બધાં મૃત્યુઓએ કુમળા કિશોર મન પર તીવ્ર પીડા જન્માવી હશે, નહીં?

 ‘ના!’ મનોજ શાહ નવાઈ લાગે એવી વાત કરે છે, ‘કોણ જાણે કેમ મને ઘરનાઓના મોતથી બહુ દુખ કે અફસોસ નહોતા થતાં. મને કેમ આઘાત નહોતો લાગતો એ હજુય સમજાતું નથી. અમુક યાદો જ‚ર છે. જેમ કે, વચલો ભાઈ ડિટેક્ટિવ ચોપડીઓ બહુ વાંચતો. એ નવી ફિલ્મો હંમેશા ફર્સ્ટ ડે ફસ્ટ શો જોતો. મને સિનેમાનું ખાસ આકર્ષણ ન હતું. મને ડ્રોઈંગ ગમતું અેટલે મોટો ભાઈ મને આર્ટગેલેરીઓમાં લઈ જતો, ચિત્રકારો સાથે ઓળખાણ કરાવતો. એક વાર ગાયક-સંગીતકાર પુરુષોત્તમ ઉપાધ્યાયના કાર્યક્રમ વખતે મને બેકસ્ટેજ લઈ ગયો હતો. ’

 આટલું કહીને તેઓ ઉમેરે છે, ‘...પણ તેમના અવસાન પછી ઊંડું  દુખ અનુભવાયું નહીં એનું કારણ કદાચ એ હતું કે મારામાં ઈમોશનલ સ્પેસ બહુ ડેવલપ નહીં થઈ હોય, કદાચ સમજણ ઓછી હશે. 14 વર્ષની ઉંમરથી કમાવાની જવાબદારી આવી પડી હતી તે કારણ પણ હોય. મારી પાસે કોઈને યાદ કરીને રડવાનો સમય જ નહોતો. આઈ હેડ ટુ ગો ઓન! સ્વજનોના મોતથી મને કેવું ફીલ થયું હતું તે હું અત્યારે યાદ કરી શકતો નથી. પણ આ બધું, સ્વજનોને ગુમાવવાની પીડા, હજુય મારી ભીતર ક્યાંક ધરબાયેલી પડી હશે કદાચ...’



 માત્ર પરિવારજનોનાં મોત જ નહી, અમીરીમાંથી ગરીબીમાં થઈ ગયેલું પરિવર્તન પણ મનોજ શાહના સંવેદનતંત્ર પર, કોણ જાણે કેમ, ખાસ નોંધાયું નહીં. ઘર ચલાવવાની જવાબદારી આવી પડી એટલે તેમણે જાતજાતનાં કામધંધા કરી જોયાં. રસ્તા પર ઊભા રહીને ડુપ્લિકેટ બ્લાઉઝ પીસ વેચ્યા, ફિનાઈલની ગોળીઓ સુધ્ધાં વેચી.

 ‘આવું બધું કરાય કે ન કરાય એવું વિચારવાનો અવકાશ જ નહોતો. સર્વાઈવલ ઈન્સટિંક્ટ્સ મારી પાસે આપોઆપ આ બધાં કામ કરાવતી હતી... પણ આ બધાં કામધંધાના અનુભવ મને આજે પણ કામ લાગે છે. આજે મને કોઈ પણ કામ કરવામાં શરમ કે નાનપની લાગણી થતી નથી.’

 મનોજ શાહને સ્કૂલની ચાર દીવાલો વચ્ચે અપાતું ભણતર ક્યારેય ચડ્યું નહીં. કોઈ સ્કૂલમાં તેઓ ઝાઝું ટકી શકતા જ નહીં. એમણે કુલ 14 સ્કૂલો બદલી, જેમાં નાઈટ-સ્કૂલ પણ આવી ગઈ અને અમદાવાદનું સી.એન. વિદ્યાલય પણ આવી ગયું. તે પછીય એસએસસી સુધી પણ પહોંચી શકાયું નહીં. કમાવાનું શ‚ કયુર્ર્ં પછી તો આમેય ન ભણવાનું સજ્જડ બહાનું હાથમાં આવી ગયું હતું.  અલબત્ત, વાંચનનો શોખ શ‚આતથી જ રહ્યો જે માતા તરફથી વારસામાં મળ્યો છે.
 
 ‘મારી બા ખૂબ વાંચતી. એને રોજ એક નવું પુસ્તક જોઈએ. મસ્જિદ બંદર વિસ્તારમાં આવેલી પાર્વતીબાઈ લાઈબ્રેરીમાંથી એ જાતજાતની ચોપડીઓ લઈ આવતી. એકવાર હું માતા-પિતા સાથે ઘોડાગાડીમાં બેસીને ભાંગવાડીમાં નાટક જોવા ગયેલો. સામાજિક નાટક હતું. મને એટલુ યાદ છે કે મંચ પર બે માળની બસ હતી, એક છોકરો તેની નીચે કચડાઈ ગયો હતો, લાકડીવાળી ડોસી કકળાટ કરે અને પછી એક કરુણ ગીત આવે...’

 મનોજ શાહના ચિત્ત પર થયેલો રંગભૂમિનો આ પહેલો નક્કર સ્પર્શ.

 ‘સાત-આઠ વર્ષનો હતો ત્યારે ગણેશોત્સવ વખતે જોયેલું એક મરાઠી નાટક પણ મને યાદ રહી ગયું છે. રાક્ષસનો વિશાળ ચહેરો હોય અને તેની જીભમાંથી એક પછી એક પાત્રો બહાર આવે, તલવારો વીંઝાય, લાઈવ મ્યુઝિક વાગે વગેરે. નવરાત્રિમાં અમારી લોકાલિટીમાં ભવાયા બહુ આવતા. વીસ-પચ્ચીસ ફૂટનો કાપડનો વિશાળ અજગર હોય, તેના પર દેવતાઓ બેઠા હોય... અને પછી ખેલ પૂરો થાય એટલે દેવતા બનેલા કલાકારો ઝોળી લઈને ઓડિયન્સમાં ફરે અને પૈસા માગે!’

 તરૂણાવસ્થા વીતી અને યુવાવસ્થાની શ‚આત થતાં જ ભાવજગતમાં નક્કર સ્પંદનો ઉઠવાના શ‚ થયાં. મનોજ શાહ કહે છે, ‘લોકોએ અમારી અમીરી જોયેલી અને પછી દરિદ્રતા પણ જોઈ. લોકોના મોઢે હું સાંભળતો કે અરેરે, બિચારા કેવા હતા ને કેવા થઈ ગયા... તે વખતે મને થતું કે ના, વી આર ધ બેસ્ટ! મારામાં એક વિદ્રોહી અટિટ્યુડ પેદા થઈ ગયો હતો. અઢાર-વીસ વર્ષની વયે મને થવા માંડ્યું કે મારે બીજાઓ કરતાં અલગ હોવું જ પડે. અલગ હોવું એટલે? કલાકાર હોવું! એટલે બીજા છોકરાઓ સામાન્યપણે ન કરે એવાં કામ હું કરતો. હું સરસ મહેંદી મૂકી આપું. રંગોળી કરી આપું. આ કામ માટે મને ખાસ બોલાવવામાં આવે એટલે મને બહુ ગમે, મારો અહમ્ સંતોષાય!’

 મનોજ શાહની ‘કલાકારીગીરી’ નવાં નવાં રંગ‚પ લેવા માંડી, જેમ કે પર્યૂષણ વખતે દેરાસરમાં ધાર્મિક ડાન્સ બેસાડી આપવો, પિક્ચરનાં ગીતો પરથી ધાર્મિક ગીતો લખવાં! ‘નદીયાં ચલે ચલે હૈ ધારા’ ગીતનાં શબ્દો બદલાઈને ‘મહાવીર ચલે ચલે હૈ દ્વારે’ થઈ જાય. આવાં ગીતો ભયાનક બેસૂરા અવાજે ગવાય. આ ગીતોની ચોપડીઓ છપાય અને ધૂમ વેચાય પણ ખરી!

 ‘મારો એક નાગીન ડાન્સ બહુ પોપ્યુલર થઈ ગયેલો. તે કદાચ મારું પહેલું પબ્લિક પર્ફોર્મન્સ!’ મનોજ શાહ આજે આ બધું યાદ કરીને ખડખડાટ હસી પડે છે, ‘મને યાદ છે, ‘નીલકમલ’ ફિલ્મ જોઈને હું ગાંડો ગાંડો થઈ ગયેલો. પછી ગણપતિ વખતે હું સ્ટેજ પરથી એક્ટર રાજકુમારની સ્ટાઈલમાં ડાયલોગ બોલું ને બધા તાળીઓ પાડે. હું રાજકુમારને ખાસ ફોલો કરતો. એક વાર વકતૃત્વ સ્પર્ધામાં  ‘કલમ ઔર તલવાર’  વિષય પર બોલવાનું હતું. એમાંય મેં રાજકુમારની નકલ કરી. ‘હીરરાંઝા’ ફિલ્મમાં એક ડાયલોગ હતો કે તુઝકો પાના જિંદગી હૈ મેરી... અહીં પણ મેં કલમ શબ્દ ફિટ કરી નાખ્યો: કલમ કો પાના જિંદગી હૈ મેરી! આખું ભાષણ આ રીતે ચલાવ્યું અને લોકોએ મોહિત થઈને ગડગડાટ કરી મૂક્યો. તાળીઓનો અવાજ કાનમાં ગૂંજવાથી આપણને થઈ ગયેલું કે આ કામ બેસ્ટ છે, આ જ કરાય, રેકગ્નિશન આમ જ મળે! પોપ્યુલર ક્લીશે એટલે કે વપરાઈને ચૂથ્થો થઈ ગયેલી છતાંય લોકપ્રિય હોય તેવી આઈટમોને કેવી રીતે પર્ફોર્મન્સમાં વણી લેવાય અને ઓડિયન્સની વાહ વાહ કેવી રીતે મેળવાય તેની સૂઝ મારામાં આવી ગઈ હતી... અને આ બધું ફ્રોડ છે, બનાવટી છે, નિમ્ન કક્ષાનું છે તે પણ અંદરખાને મને સમજાતું હતું.’

 મનોજ શાહ જ્યાં રહેતા તે ડિલાઈ રોડ પર મિલો હતી. મિલના કારીગરો દર શનિવારની રાતે ભેગા થઈને અભંગ ગાતા. એકસાથે મંજીરા વાગતા હોય અને સૂર રેલાતા હોય.

 ‘મને સમજાય કે આ સંગીત સાચું છે, જેન્યુઈન છે અને હું દેરાસરમાં જે કરું છું તે ખોટું છે, પણ મને પર્ફોર્મ કરવાનો ચાન્સ દેરાસરમાં જ મળતો. પેલાં ફ્રોડ ગીતો અને ડાન્સથી મને તાત્કાલિક વાહવાહી મળતી અને હું જાણે કે બીજાઓ કરતાં ચડિયાતો છું એવો સંતોષ થઈ જતો... મારી સ્ટ્રગલ તો ચાલુ જ હતી, પણ ધીમે ધીમે જિંદગીને જોવાની દષ્ટિ બદલાતી ગઈ. અભાનપણે મારી અંદર કશુંક બદલાતું જતું હતું. એ શું હતું તે જોકે મને સમજાતું નહોતું...’

 ધીમે ધીમે નવી ‘શોધો’ થતી જતી હતી. મનોજ શાહ તે અરસામાં કાંદા એક્સપોર્ટ કરવાનું કામ કરતા. કાંદા ખરીદવા તેઓ નાસિક નજીક પીંપળ ગામે જતા. તેઓ જે કથ્થાઈ રંગના કાંદા પસંદ કરતા તે છેક પેરિસ જતા.

 ‘ત્યાં મારી ઓળખાણ રામલિંગમ નામના એક મદ્રાસી સાથે થઈ,’ મનોજ શાહ વાત આગળ વધારે છે, ‘સવારના ચાર વાગ્યામાં તે કંઈક મંત્રોચ્ચાર કરતો. મને કશું સમજાય નહીં, પણ એનો ધ્વનિ બહુ ગમે. પછી મને ખબર પડી કે તે સુબ્બાલક્ષ્મીનું કર્ણાટક સંગીત હતું. સુબ્બાલક્ષ્મીને મેં આ રીતે ડિસ્કવર કર્યાં. તે જ રીતે પછી ભીમસેન જોષી મળ્યા.’

 મનોજ શાહ નાના હતા ત્યારે સ્કૂલ જવાના રસ્તે એક હનુમાન મંદિર આવે. ત્યાં રાત્રે ભજન મળે અને પ્રસાદમાં સ્વાદિષ્ટ શીરો મળે. આ પ્રસાદ  સાૌથી પહેલા લેવા માટે છોકરાઓ પડાપડી કરી મૂકે.

 ‘હું ગયો હોઉં શીરા માટે, પણ મળે ભજન... અને સાથે ગાંજા-ચરસ પણ મળે,’ કહીને મનોજ શાહ હસી પડે છે, ‘મેં કશું જ છોડ્યું નથી. ગાંજો, ચરસ, એલએસડી નામનો નશીલો પદાર્થ... 21 થી 25 વર્ષની વચ્ચે દેસી દારુ પણ આવી ગયેલો!’

 મનોજ શાહની છાપ ભલે ‘સિરિયસ નાટ્યકર્મી’ની હોય, પણ તેમની વાતોમાં એકધારા હાસ્ય-મજાક છલકતાં રહે છે. પોતાની જાતને ગંભીરતાથી લેવાની વાત તો જોજનો દૂર રહી, તેઓ સતત ખુદને હળવાશથી લેતા રહે છે, ખુદની મજાક કરતા રહે છે.

 ‘મારું ડાન્સ-ગીતોનું ફ્રોડ ખૂબ ચાલ્યું. મને જુદી જુદી જ્ઞાતિઓના મંડળો અને પછી કોલેજો તરફથી આમંત્રણો મળવા લાગ્યાં. કોઈકેને હું ગરબો બેસાડી આપતો તો કોઈકને ભાંગડા સેટ કરી આપતો. મને સમજાઈ ગયું હતું કે આ દુકાન ચલાવવી હશે તો મારે ડાન્સમાં આગળ વધવું પડશે. મારે સચીન શંકરના ટ્રુપમાં જોડાવું હતું. સચીન શંકર એટલે પંડિત રવિશંકરના ભાઈ અને ઉદય શંકરના શિષ્ય. વેસ્ટર્ન બેલેમાં સચીન શંકરે ખૂબ નામ કાઢ્યું હતું.’


 સચીન શંકરના ગ્ર્ાુપમાં જો કે મનોજ શાહને એન્ટ્રી ન મળી. એનું કારણ હતું. આખા દિવસ કમાવાની ભાંગજડમાં ડાન્સની તાલીમ માટે સમય ક્યાં મળવાનો હતો! જોકે સચીન શંકરે ઉદાર દિલે કહ્યું કે જુવાન, તું ઓફિશીયલી ભલે ન જોડાય પણ તું અહીં આવીને બેસી શકે છે, અમે જે કરીએ છીએ તે જોઈ શકે છે. મનોજ શાહને ‘ડાન્સની દુકાન’ ચલાવવામાં આ એક્સપોઝર ખૂબ કામ આવ્યું. સૌથી પહેલી વાર, લગભગ 1975-76માં, તેમને કે.સી. કોલેજ તરફથી ડાન્સ કોરિયોગ્ર્ાાફ કરાવવાનું આમંત્રણ મળ્યું. ત્યાં લતેશ શાહ સાથે ઓળખાણ થઈ (જે પછીથી સફળ રંગકર્મી બન્યા) અને ધીમે ધીમે તેમના ગ્ર્ાુપમાં સામેલ થઈને મનોજ શાહ એક્ટિંગ કરવા લાગ્યા.

 ‘મેં સૌથી પહેલી વાર ‘નપુંસક’ નામના એબ્સર્ડ નાટકમાં અભિનય કર્યો. ચાર છોકરાઓ યુનિવર્સિટી વિરુદ્ધ, એજ્યુકેશન સિસ્ટમ વિરુદ્ધ સૂત્રો પોકારતા હોય ને એવું બધું. હું એ ચાર છોકરાઓમાંનો એક હતો. મને મજા આવી આ નાટક કરવામાં. તે પછી બીજું એક નાટક કયુર્ર્ં, ‘ભારત હમારી માતા, બાપ હમારા હિજડા’. દેશમાં લદાયેલી કટોકટીનો વિરોધ કરતું આ સ્ટ્રીટ-પ્લે હતું. અમે એટલા બધા એક્સાઈટેડ અને મૂરખ હતા કે જુદા જુદા એરિયામાં એક દિવસમાં 21 શો કર્યા! અમારે કંઈક રેકોર્ડ-બેકોર્ડ બનાવવો હતો. લોકોને આ નાટકમાં ખૂબ મજા પડી ગઈ. જોકે પછી પોલીસ આવીને અમને પકડી ગયેલી.’

 કે.સી. કોલેજ પછી મનોજ શાહનો અડ્ડો બની ગઈ. રસિક દવે, હોમી વાડિયા, શફી ઈનામદાર અને બીજા ઘણા બધા અહીં બેસતા અને તેઓ અભિનયના પેશન બાબતે વધારે સ્પષ્ટ હતા. દરમિયાન મનોજ શાહે ઈપ્ટા (ઈન્ડિયન થિયેટર પીપલ્સ અસોસિયેશન) દ્વારા આયોજિત ઈન્ટરકોલેજિયેટ ફેસ્ટિવલ જોયું અને જાતજાતના એકાંકીઓ જોઈને ઘેલા ઘેલા થઈ ગયા. તેમને બ્રહ્મજ્ઞાન લાધ્યું: ડાન્સ-બાન્સને મારો ગોળી... લાઈફમાં કામ તો આ જ કરાય, નાટકનું! મહેન્દ્ર જોશીએ નૌશિલ મહેતા લિખિત નાટક ‘નૌશિલ મહેતા આત્મહત્યા કર રહે હૈ’ નામનું એકાંકી ડિરેક્ટ કર્યું. મનોજ શાહે મહેન્દ્ર જોશી સામે કામ કરવાની ઈચ્છા વ્યક્ત કરી. જોશીએ નામ પૂરતો રોલ આપ્યો, જેમાં એમણે એક જ વાક્ય બોલવાનું હતું અને તે પણ કોરસમાં.

 ‘તે વખતે મેં મનોમન ગાંઠ વાળી લીધી હતી કે જોશી આજે ભલે મને ખૂણામાં ખડો કરી દે, પણ એક દિવસ એવો આવશે જ્યારે મારી અભિનયપ્રતિભાથી આખું સ્ટેજ ચીરાઈ જશે!’ મનોજ શાહ ફરી એક વાર ખુદનો ઉપહાસ કરે છે અને ખડખડાટ હસી પડે છે, ‘રિચર્ડ એટનબરોની ‘ગાંધી’ ફિલ્મમાં કામ કયુર્ર્ં હતું ત્યારે સિનેમા માટે પણ મારા મનમાં આવો જ એટિટ્યુડ હતો - એક દિવસ એટલો મોટો ફિલ્મ-એક્ટર બનીશ કે મારી એક્ટિંગની આગથી થિયેટરનો પડદો સળગી જશે! દરેક જોશીલા નવોદિતના મનમાં આવા જ વિચારો રમતા હોય છે...’

 નાગિન ડાન્સ ને એવું બધું કરતી વખતે પબ્લિક પર્ફોર્મન્સનો એકડો તો આપોઆપ ઘૂંટાઈ ગયો હતો. હવે તેના પર પોલિશિંગ થવાનું શ‚ થયું. નૌશિલ મહેતા અને અન્યો સાથે દોસ્તી થઈ, તેમની સાથે સમય પસાર થવા લાગ્યો અને માનસિક વિશ્વ ખૂલવા માંડ્યું.

 ‘મનગમતા મિત્રોનું વર્તુળ આપોઆપ બનવા લાગતું હોય છે,’ મનોજ શાહ કહે છે, ‘મારું વાંચન વધતું ગયું. તમે એકદમ ઉત્સુક અને તૈયાર હો ત્યારે પુસ્તકો આપોઆપ તમારી પાસે આવવા માંડે છે. મને યાદ છે, તે અરસામાં મેં ડી. એચ. લોરેન્સની ‘ધ ફ્લુટ પ્લેયર’ નામની નોવેલ વાંચી હતી. તેમાં વેશ્યાઓ કવિને  કહે છે કે  તમે કમાવાની ચિંતા કર્યા વગર માત્ર કવિતાઓ લખો, અમે તમારો નિભાવ કરીશું. તમે કલાકાર છો તો કલાકાર જ બની રહો. તમે તમારો આત્મા ન વેચો, એ કામ અમારા પર છોડી દો! આ અદભુત મારા મનમાં ચોંટી ગઈ. વાંચનને કારણે મગજમાં બત્તીઓ થવા માંડી હતી. બીજાઓથી અલગ થવાનો જે મોહ હતો તે ઓગળતો ગયો. અત્યાર સુધી કળાના નામે મેં માત્ર બનાવટ કરી હતી તે સમજાતું ગયું.’

 તે પછી આઈએનટીની સ્પર્ધા માટે મનોજ શાહે ‘થિયેટર થિયેટર’ નામનું એક એકાંકી લખ્યું અને ડિરેક્ટ કર્યું. નાટકે ઈનામો તો ખેર ન જીત્યાં, પણ નિર્ણાયકોની પેનલમાં ચંદ્રકાંત બક્ષી હતા, જેમણે વ્યક્તિગત રીતે આ નાટકને ખૂબ વખાણ્યું. તે પછી ઉત્પલ દત્ત અને બાદલ સરકારનાં બંગાળી નાટકો જોવાયાં. ભાષા ન સમજાય, પણ અનુભૂતિ પૂરેપૂરી થાય. અરવિંદ દેશપાંડે અને અમોલ પાલેકરનાં નાટકો પણ માણ્યાં. આ કમાલનું એક્સપોઝર હતું. પ્રવીણ જોશી અને મહેન્દ્ર જોશી કરતાં ઉત્પલ દત્ત અને બાદલ સરકારનાં નાટકોએ ઘણાં વધારે મોહિત કરવા માંડ્યાં હતાં.  કે.સી. કોલેજની લાયબ્રેરીનો ભરપૂર ઉપયોગ થવા માંડયો (મનોજ શાહ કોલેજમાં એટલો બધો સમય વીતાવતા હતા કે સૌને થતું કે આ કોલેજનો જ વિદ્યાર્થી છે!) અને અહીં તેમણે પવનકુમાર જૈનનું ‘પ્રશિષ્ટ જર્મન સાહિત્ય’ જેવાં ઘણાં પુસ્તકો વાચ્યાં. પવનકુમાર જૈન સાથે પછી તો દોસ્તી પણ થઈ જેમના થકી વિશ્વ સાહિત્યનું એક્સપોઝર ખૂબ વધ્યું. પવનકુમાર અને મનોજ શાહ પછી સાથેસાથે સમજતા ગયા  કે સાહિત્યથી આટલા બધા આભા કે મુગ્ધ થવાની જ‚ર નથી, જીવન સ્વયં કોઈ પણ કલાપ્રકાર કરતાં અનેકગણું વધારે અદભુત છે!
 
 દરમિયાન અંજલિ કિચનવેર કંપનીનું માર્કેટિંગનું કામ ચાલતું રહ્યું, જેમાં સમય મેનિપ્યુલેટ થઈ શકતો હતો. 28 વર્ષની ઉંમરે મનોજ શાહનાં લગ્ન થયાં, કલ્પના શાહ સાથે. તેઓ કહે છે, ‘ઈન્ટરકોલેજિયેટમાં મેં ઘણાં નાટકો ડિરેક્ટ કયાર્ર્ં અને આખરે 1983-84માં સૌથી પહેલું ‘દેવકન્યા’ નામનું નાટક પ્રોડ્યુસ તેમજ ડિરેક્ટ કર્યું. શેફાલી શેટ્ટી (હવે શાહ), ચંદ્રકાંત ઠક્કર, કેનિથ દેસાઈએ તેમાં કામ કર્યું. બકુલ ઠક્કરે તે લખ્યું હતું. તેને મેં ફુલલેન્થ કમર્શિયલ નાટક તરીકે ટ્રીટ કયુર્ર્ં હતું પણ ગ્ર્ાાન્ડ રિહર્સલ દરમિયાન જ સમજાઈ ગયું આ ડિઝાસ્ટર છે. પાંચ-સાત શોમાં નાટક બંધ કરી દેવું પડ્યું. ખોટ ખાઈને ચલાવી શકાય એવી તાકાત નહોતી. આ નાટકની નોંધ જ ન લેવાઈ. મિત્રો વઢ્યા. પણ આ અનુભવે મને શીખવ્યું કે પૂરેપૂરી સ્પષ્ટતા હોવી જોઈએ - વિષય વિશેની, ટાર્ગેટ ઓડિયન્સ વિશેની અને જાત વિશેની.  ‘દેવકન્યા’એ મને આર્થિક રીતે અને બીજી બધી રીતે તોડી નાખ્યો. નાટક બનાવવાનો મોહ જાણે કે ખતમ થઈ ગયો. મને થયું કે આપણને હજુ નાટક કેમ બનાવવું એની સમજ પડવાની વાર છે.’

 અલબત્ત, થિયેટર સાથેનો નાતો જોડાયેલો રહ્યો. ‘અશ્વત્થામા’, ‘અત્યારે’, ‘કોઈ એક ફૂલનું નામ બોલો તો’ જેવાં નાટકોમાં ક્યારેક નાના રોલ કરી લેતા. ઈમેજ પબ્લિકેશન્સના કાર્યક્રમો માટે નાટકો તૈયાર કરતા, જે ફક્ત એક શો માટે ભજવવાનું હોય. રવિવારે તેઓ ચડ્ડીમાં જ હોય અને તેમના ખભે એક રેક્ઝિનનો થેલો હોય, જેમાં તમામ થિયેટરોનાનાં નામ અને કોન્ટેક્ટ નંબર્સ મોટા અક્ષરે લખ્યા હોય. તેમને એક ઉપનામ મળી ગયું-‘ચડ્ડી!’ તેઓ રશિયન ડાન્સ બેલે, કન્ટેમ્પરરી ડાન્સ, બંગાળી કે અન્યભાષી નાટકો ને એવું બધું જોવા જાય. બહુ સમજ ન પડે તો પણ જુએ. જોન મેથ્યુ મથાન (જેમણે પછી આમિર ખાનને લઈને ‘સરફરોશ’ ફિલ્મ ડિરેક્ટ કરી) સાથે ‘સ્મોધર્ડ વોઈસ’ નામની ફિલ્મ માટે કામ કર્યું. જાણીતા એનિમેટર ભીમસેન એના પ્રોડ્યુસર હતા અને  શ્યામ બેનેગલ ફિલ્મનું પ્રોડકશન હેન્ડલ કરવાના હતા. તે ફિલ્મ તો ખેર ન બની, પણ શીખવાનું ઘણું મળ્યું, મનની ગ્રંથિઓ ઓગળી ગઈ.

 દરમિયાન એક વાર મનોજ શાહે ‘બેગમ બર્વે’ નામનું એક મરાઠી નાટક જોયું અને તેને ગુજરાતીમાં લાવવાની ઈચ્છા થઈ ગઈ. જૂની રંગભૂમિ પર સ્ત્રીનો વેશ ભજવતા અને ખુદને સ્ત્રી સમજવા માંડેલા કલાકારની હૃદય વિંધી નાખે એવી તેમાં વાત છે. અમેરિકાવાસી કવિ-નાટ્યકાર ચંદ્ર શાહે નાટક લખવું શ‚ કયુર્ર્ં અને તેમની પ્રક્રિયા સાત વર્ષ ચાલી. આ નાટક એટલે ‘માસ્ટર ફૂલમણિ’!

‘માસ્ટર ફૂલમણિ’


 ‘નાટક તો લખાયું, પણ તે પ્રોડ્યુસ અને ડિરેક્ટ કરવા માટે હું હજુ તૈયાર નહોતો,’ મનોજ શાહ યાદ કરે છે, ‘વળી, મારા નાટકમાં એક્ટિંગ કોણ કરે? આઈ વોઝ અ ફેઈલ્યોર! મેં ઘણા નામાંકિત કલાકારોને નાટક સંભળાવ્યું, પણ કશો મેળ પડતો નહોતો. એક વાર (જાણીતા અંગ્ર્ોજી નાટ્યકર્મી) રામુ રામુનાથનના ઘરે હું બેઠો હતો. એને અને તેની પત્ની કિન્નરીને મેં ‘ફૂલમણિ’ સંભળાવ્યું. બન્ને બહુ મજા પડી. કહે, તું આ કર, જલસો પડી જશે!  તેમની આવી પ્રતિક્રિયાથી મારામાં કોન્ફિડન્સ આવ્યો. તે પછી અમે નાટકની માત્ર િરડીંગ સેશન્સ ગોઠવવાની શ‚ કર્યું. પહેલું રીડીંગ પૃથ્વી થિયેટરમાં કર્યું. પૃથ્વીમાં પછી તો નાટકના રિડીંગનો ટ્રેન્ડ શ‚ થઈ ગયો હતો. કલાકારોની ટીમ ઓડિયન્સ સામે ‘માસ્ટર ફૂલમણિ’ના સંવાદોનું માત્ર ભાવવાહી પઠન કરે. આનો રિસ્પોન્સ બહુ જ સારો આવ્યો. લગભગ સાતેક રિડીંગ્સ થયાં હશે. ઓિડયન્સના રિએકશનના આધારે સુધારાવધારા સુઝે, ચંદુ સાથે વાત થાય અને ચંદુ અમેરિકાથી નવાં પાનાં ફેક્સ કરે.’

 મૂળ મનોજ શાહને ‘માસ્ટર ફૂલમણિ’નો ટાઈટલ રોલ કરવાની ઈચ્છા હતી, પણ આ પ્રોસેસ દરમિયાન તેમને સમજાતું ગયું કે આ ભુમિકા માટે જે પ્રકારની પ્રકારની મુગ્ધતા, જે પ્રકારની સમર્પણવૃત્તિ જોઈએ તે પોતાની ભીતર રહી નથી. મુખ્ય રોલ હવે કોને આપવો? ચિરાગ વોરા નામના પરાગ વિજય દત્ત એક્ટિંગ એકેડેમીમાંથી આવેલા એક નવોસવો છોકરાને આ પ્રોજેક્ટમાં બહુ રસ હતો. અગાઉ કાંતિ મડિયાના કોઈ પ્લેમાં એકાદ નાનકડો રોલ પણ કર્યો હતો.

 ‘મેં ચિરાગને હા પાડતા પહેલાં ત્રણ વર્ષ રખડાવ્યો,’ મનોજ શાહ કહે છે, ‘પણ એ છોકરામાં એટલું બધું પેશન હતું કે સતત મને ફોલૉ કરતો રહ્યો. રિડીંગ દરમિયાન હું અને પરાગ ઝવેરી પહેલેથી હતા, જ્યારે ફૂલમણિ અને સુમન ભજવતા કલાકારો બદલાયા કરે. મેં ચિરાગને અમુક વાર ફૂલમણિનુું કિરદાર વાંચવા માટે આપેલું. સુમનના પાત્ર માટે મેં ઘણા કલાકારોને પૂછેલું. આખરે ઉત્કર્ષ મઝુમદાર મળ્યા અને બ-ત્રણ દિવસમાં એમણે હા પાડી. એમને કદાચ મારી કામ કરવાની શૈલી ગમી હશે.’

 મનોજ શાહ નાટકનું ડિરેકશન લતેશ શાહને સોંપવા માગતા હતા, પણ વાત જામી નહીં એટલે આખરે આ જવાબદારી તેમણે જ ઉઠાવવાનું નક્કી કર્યું. ‘માસ્ટર ફૂલમણિ’નો ટાઈટલ રોલ ચિરાગ વોરાને આપવામાં આવ્યો. નાટક મ્યુઝિકલ હતું એટલે ચારેય કલાકારોને ગાવાની તાલીમ આપવામાં આવી. ધીમે ધીમે ટીમ એકઠી થવા માંડી. નાટકમાં ભાંગવાડી એટલે કે જૂની ગુજરાતી રંગભૂમિનો માહોલ હતો એટલે ઊભું વાજું તો જોઈએ જ. ચંદ્ર ચૂડામણિ નામના દેશ-વિદેશમાં પર્ફોર્મ કરી ચૂકેલા એક મરાઠી સજ્જન નાટકમાં લાઈવ વાજું વગાડવા માટે તૈયાર થઈ ગયા. નાટકનું પશ્ચાદભૂ તૈયાર કયુર્ર્ં વિશ્વવિખ્યાત ચિત્રકારમિત્ર ભુપેન ખખ્ખરે. આખરે નાટકના પહેલા પ્રયોગની તારીખ આવી ગઈ - 11 નવેમ્બર, 1999. મતલબ કે ‘દેવકન્યા’ પછી પહેલું નાટક પ્રોડ્યુસ કરવામાં પંદર-સોળ વર્ષ લાગી ગયાં!

 મનોજ શાહ કહે છે, ‘લોકોને નાટક ગમશે કે નહીં તે બાબતે હું ચોક્કસ નહોતો, પણ મને પોતાને આખી પ્રોસેસમાં ખૂબ મજા આવી રહી હતી. પૃથ્વી ફેસ્ટિવલના ભાગ‚પે મુંબઈના હોર્નિમન સર્કલમાં નાટકનો પહેલો શો ભજવાયો. ઓડિયન્સ પાગલ થઈ ગયું. તે ઘડી ને આજનો દી’. લાગલગાટ બાર વર્ષથી ‘માસ્ટર ફૂલમણિ’ના શોઝ થઈ રહ્યા છે.’

 ‘માસ્ટર ફૂલમણિ’એ મનોજ શાહની કારકિર્દીને વેગ આપી દીધો. એમનું આઈડિયાઝ અનલિમિટેડ બેનર પ્રસ્થાપિત થઈ ગયું. ગુજરાતી રંગભૂમિને ચિરાગ વોરા નામનો ટેલેન્ટેડ કલાકાર મળ્યો. ઈવન ઉત્કર્ષ મઝુમદાર, જે અત્યાર સુધી મુખ્યત્ત્વે હિન્દી થિયેટરમાં સક્રિય હતા, તેમના તરફ પણ સૌનું ધ્યાન ખેંચાયું. મનોજ શાહ કહે છે, ‘આ નાટકે મને મારા પોતાના વિશે, મારા ક્રાફ્ટ વિશે દષ્ટિ આપી. મને લાગ્યું કે ભલે એક્ટર તરીકે નહીં તો ડિરેક્ટર-પ્રોડ્યુસર તરીકે હું મારા સપનાંને સાકાર થતાં જોઈ શકું છું.’

 મનોજ શાહનું ડિરેકશન અને પ્રોડકશન બન્ને સમાંતર રંગભૂમિના પરિઘમાં રહ્યાં. ઈન્ટરકોલેજિયેટના દિવસોમાં જ ઉત્પલ દત્ત, બાદલ સરકાર અને વિજયા મહેતાનાં નાટકોનાં એક્સપોઝરને લીધે મનોજ શાહના ચિત્તમાં કમર્શિયલ રંગભૂમિના કિંગ ગણાતા પ્રવીણ જોશી અને ઈવન મહેન્દ્ર જોશી ધીમે ધીમે જોશી પશ્ચાદભૂમાં જતા રહ્યા હતા. ‘માસ્ટર ફૂલમણિ’ની સફળતાએ મનોજ શાહની સફર આર્થિક સમૃદ્ધિની શક્યતાવાળા મુખ્ય પથ પર નહીં પણ એક સાંધે ત્યાં તેર તૂટે એવા એવા સમાંતર રસ્તા પર નિશ્ચિત કરી નાખી. તેઓ કહે છે, ‘મેં નાનપણમાં ભરપૂર સાહ્યેબી પણ જોઈ છે અને પછી પ્રલંબ ગરીબીમાં રસ્તા પર ઊભા રહીને બ્લાઉઝ પીસ અને ઉંદર મારવાની ગોળીઓ પણ વેચી છે. નાણાંનું હોવું અને ન હોવું આ બન્ને અંતિમો મેં જોયાં છે. તેથી જ સવાર-સાંજ ભરપેટ ખાવાનું મળે એટલું પૂરતું છે એવી આડકતરી સમજ કદાચ એ વખતથી મારામાં વિકસી ગઈ હશે અને તેથી જ સમાંતર રંગભૂમિ  તરફ મેં ગતિ કરી હશે.’

‘મરીઝ’


 ‘માસ્ટર ફૂલમણિ’ પછી 2004માં ઓર એક કીર્તિદા નાટક આવ્યું- ‘મરીઝ’. આ નાટક પણ એટલાં જ પેશન, રીચર્સ  અને મહેનતથી બન્યું. ‘મરીઝ’ સાથે પણ ઓર એક વિખ્યાત ચિત્રકાર સંકળાયા-ગુલામ મોહમ્મદ શેખ. આ નાટક સાથે ઓડિયન્સને ચકિત કરી દે તેવી ઓર એક ટેલેન્ટ સ્ફોટ સાથે ઉછળી, જેનું નામ હતું ધર્મેન્દ્ર ગોહિલ. વિનીત શુક્લ લિખિત ‘મરીઝ’ શોઝની ડિમાન્ડ આજે પણ રહે છે.

 તે પછી બીજાં કેટલાય પ્રોડકશન્સ થયા.  અલબત્ત, ‘માસ્ટર ફૂલમણિ’, ‘મરીઝ’ અને ‘અપૂર્વ અવસર’ તો અપવાદ‚પ નાટકો છે,  બાકી મોટા ભાગનાં પ્રોડકશન્સ આંગળીના વેઢે ગણી શકાય એટલા શોઝ પૂરતા સીમિત રહ્યાં. મનોજ શાહ કહે છે,  ‘મારાં પ્રત્યેક પ્રોડકશન પાછળ પુષ્કળ સમય અને શક્તિ ખચાર્ય, ખૂબ રિહર્સલ્સ થાય. તેના ગણ્યાગાંઠ્યા શોઝ જ થવાના છે તેવી સ્પષ્ટતા શ‚આતથી જ સૌના મનમાં હોય છતાંય કોઈના પેશનમાં સહેજ પણ કમી ન આવે. હું આ વાતને આ રીતે જોઉં છું: અમે કેટલા લકી છીએ કે અમારા મનમાં જે નાટકનું સપનું જોયું છે તે બે શો પૂરતું પણ સાકાર થઈ શકે છે! ખરેખરી મજા પ્રોસેસની છે. જો આ પ્રકારનો એટિટ્યુડ જ‚રી છે, કારણ કે એ નહીં હોય તો હું જે કરું છું તે પ્રવૃત્તિ થઈ જ ન શકે.’

 ‘બે શો એનસીપીએમાં કરીશું, બે શો પૃથ્વીમાં કરીશું અને પછી ભુલી જઈશું’ - શ્રીમદ રાજચંદ્ર પર આધારિત ‘અપૂર્વ અવસર’ની શ‚આત  આ જ પૂર્વધારણા સાથે થઈ હતી. ધર્મેન્દ્ર ગોહિલ, પુલકિત સોલંકી અને પ્રતીક ગાંધી - આ ત્રણ જ ટેલેન્ટેડ કલાકારો તેમાં હતા.  રાજુ દવે લિખિત (મનોજ શાહને નવા એક્ટરોની જેમ નવા રાઈટરોની પણ ગંધ આવે છે!) આ નાટકમાં સો-સવાસો વર્ષ પહેલાંની અત્યંત કઠિન ભાષા હતી.  નાટક ઓપન થયું અને તેને અણધારી સફળતા મળી. આઈડિયાઝ અનલિમિટેડના આ સૌથી મોટા હિટ નાટકના શોઝ આજે પણ દેશ-વિદેશમાં યોજાતા રહે છે.

 પછી તો કેટકેટલાં નાટકો -  પ્રાણીઓ પર અત્યાચારની વાત કરતું હૃદયવેધક ‘જીતે હૈં શાન સે’, રવીન્દ્રનાથ ટાગોરનું ‘અચલાયતન’, મણિલાલ નભુભાઈ દ્વિવેદીના વિવાદાસ્પદ જીવનવૃત્તાંત પર આધારિત ‘જલ જલ મરે પતંગ’ (જેમાં, અગેન, ઓર એક વિશ્વવિખ્યાત ચિત્રકાર અતુલ ડોડિયાએ સન્નિવેશ તૈયાર કર્યો હતો અને વેદીશ ઝવેરી નામનો સુપર ટેલેન્ટેડ અેક્ટર રંગભૂમિને પ્રાપ્ત થયો હતો), આચાર્ય હેમચંદ્ર આચાર્યના જીવન અને કાર્ય પર આધારિત ‘સિદ્ધહેમ’, રાજા ભરથરીની વાત વણી લેતું ‘અમર ફળ’, નરસિંહ મહેતાથી લઈને નર્મદ-મેઘાણી સુધીના મધ્યકાલીન મહાનુભાવોને આવરી લેતું ‘ગુજરાતની અસ્મિતા’, જર્મન ગ્ર્ાીપ શૈલીનું ધીરુબહેન પટેલ લિખિત લેટેસ્ટ ‘મમ્મી તું આવી કેવી?’ વગેરે. મનોજ શાહનાં  નાટકો મુંબઈની ગુજરાતી રંગભૂમિને અત્યંત આકષર્ક શેડ્ઝ અને ટેક્સચર આપે છે, મુંબઈની ગુજરાતી થિયેટર સર્કિટને એક-પરિમાણી બનતાં, તેને તસુએ તસુ ધંધાદારી હોવાના મહેણાંમાથી બચાવી લે છે.

 મનોજ શાહનાં ખુદના સૌથી ફેવરિટ ત્રણ નાટકો કયાં? તેઓ વિચારીને જવાબ આપે છે, ‘એક તો ‘અખો આખાબોલો’. તેનું નોન-લિનીઅર મ્યુઝિકલ ફૉર્મ મને ખૂબ ગમે છે. બીજું, ‘ગુજરાતની અસ્મિતા’. કેટકટલી વિભૂતિઓને હું આ નાટક થકી ઓળખી શક્યો, તેમની રચનાઓની નજીક રહી શક્યો અને લોકો સુધી પહોંચાડી શક્યો. ત્રીજું પિ્રય નાટક, અફકોર્સ, ‘માસ્ટર ફૂલમણિ’.’

 મનોજ શાહનાં મોટા ભાગનાં નાટકોમાં સશક્ત ઐતિહાસિક અને સાહિત્યિક આધાર હોય છે, સંગીત હોય છે, સમૃદ્ધ એસ્થેટિક્સ હોય છે, ચોક્કસ લય હોય છે. જો કે તેમના પર આરોપ છે કે તેઓ એક જ ઘરેડના, જૂનવાણી માહોલવાળા, વ્યક્તિવિશેષ આધારિત નાટકો કયર્ે જાય છે અને ટાઈપકાસ્ટ થતા જાય છે. ઈવન તેમના કલાકારો પણ ફરિયાદ કરતા હોય છે કે મનોજભાઈ,   અમારે હજું ક્યાં સુધી ધોતિયાં પહેર્યે રાખવાનાં છે? શું કહેવું છે મનોજ શાહનું આ વિશે?

 ‘જુઓ, ગવૈયાઓ ચોક્કસ રાગના રિયાઝમાં ત્રીસ-ત્રીસ વર્ષ કાઢી નાખતા હોય છે અને છતાં તેમાં પૂરેપૂરી મહારત હાંસલ કરી શકતા નથી,’ આટલું કહીને તેઓ સ્મિતપૂર્વક ઉમરે છે, ‘મને આખી જિંદગી વ્યક્તિવિશેષનો રિયાઝ કરવામાં કશો વાંધો નથી! આ એટલું મોટું કેનવાસ છે કે ચોર્યાસી ભવ પણ ઓછા પડે. નાટક માત્ર વ્યક્તિવિશેષનું નથી હોતું, બલકે એ પોતાની સાથે તે સમયનું કલ્ચર, નીતિમૂલ્યો, માહોલ, ભાષા આ બધું જ લઈને આવે છે. ખરાબ નાટકો કરવા કરતાં ટાઈકાસ્ટ થવું સારું.  હું મારો રસ્તો, મારું એક્સપ્રેશન શોધી જ લઉં છું. મને ટાઈપકાસ્ટ થઈ જવાનો ડર પણ નથી.’

 તેઓ પોતાની વાતને વધારે વિસ્તારપૂર્વક મૂકે છે, ‘આજે આપણા કાને અંગ્ર્ોજી, હિન્દી, મરાઠી અને બીજી કેટલીય ભાષાઓ પડે છે. ટીવી પર ત્રણસો ચેનલો આવે છે. આવી સ્થિતિમાં શ્રીમદ રાજચંદ્ર, અખો, નર્મદ અને મેઘાણીની ગુજરાતી ભાષા મારાં નાટકો થકી જીવંત રહેતી હોય તો મારા માટે ખૂબ ગર્વ વાત છે. આ મહાનુભાવોનાં કામ અને સાહિત્યની નજીક રહેવાનો લહાવો મને આ નાટકો વગર શી રીતે મળવાનો હતો? મને અને મારી આખી ટીમને આ વ્યક્તિવિશેષોની સાથે જીવવા મળે છે તે મોટા સન્માનની વાત છે. હું તો મેળામાં મારું ચકડોળ ચલાવું છું અને તેમાં અખાને પણ બેસાડું ને રાજા ભરથરીને પણ બેસાડું... ને વચ્ચે વચ્ચે ‘હૂતો હૂતી’ જેવાં નાટકોના લોલીપોપ પણ આપતો રહું!’

 સતત સમાંતર રગંભૂમિ પર રમમાણ રહેતા મનોજ શાહને વિશાળ પ્રેક્ષકવર્ગને સમાવી લેતી કમર્શિયલ રંગભૂમિ હજુય આકર્ષતી નથી? કે પછી કમર્શિયલ રંગભૂમિને મનોજ શાહ આકર્ષક લાગતા નથી? મનોજ શાહ જવાબ આપે છે, ‘ભાઈદાસ-તેજપાલના ઓડિયન્સ માટે નાટક કરવાં મને પુષ્કળ ગમે, અઢળક ગમે, પણ એવી કોઈ કૃતિ હાથવગી નથી.  2008-09માં મેં ‘નમી ગયા તે ગમી ગયા’ નામનું બીજા બેનરનું આઉટ-એન્ડ-આઉટ કમર્શિયલ પ્લે ડિરેક્ટ કર્યું હતું જેના દેશવિદેશમાં 350  શો થયા હતા. આ નાટક કરવાનું કારણ એ હતું કે મારે કલ્પના દીવાન જેવાં સિનિયર એકટ્રેસ સાથે કામ કરવું હતું, અેમની પાસેથી શીખવું હતું. બાકી, ‘જુઓ જુઓ... હું કમર્શિયલ નાટકો પણ સરસ કરી શકું છું’ એવું બીજાઓ સામે પૂરવાર કરવામાં મન રસ છે જ નહીં. મને તો વધારે લોકો, નવા લોકો નાટક જોવા આવે તેમાં રસ છે. જુઓ, દાયકા પહેલાં મારી પાસે માત્ર 30 કલાકાર-કસબીઓની ટીમ હતી, આજે 150ની ટીમ છે. હું જે પ્રકારનું કામ કરું છું તેમાં નવા પ્રેક્ષકો જ નહીં, નવા કલાકારો પણ જોડાય છે. આ મોટા આનંદની વાત છે.’

 એક બાજુ મેઈનસ્ટ્રીમ રંગભૂમિનાં નાટકો છે, જે વીસ-પચ્ચીસ દિવસમાં ઓપન થઈ જાય છે, મંડળોના સોલ્ડ-આઉટ શોઝના જોરે ચાલ્યા કરે છે અને આખી ટીમ સારાં અેવાં નાણાં રળી લે છે. તેની સામે મનોજ શાહ પોતાનાં નાટકો પાછળ મહીનાઓ સુધી પુષ્કળ રીસર્ચ કરે અને કરાવે, કલાકારો સાથે ખૂબ રીડીંગ-રિહર્સલ્સ કર્યા પછીય તેમની સામે પુષ્કળ સમય પસાર કરે. તે પછી કલાકાર-કસબીઓને જે મળે છે તે છે માત્ર સંતોષ, આનંદ અને તાલીમ. આર્થિક વળતરનો સંદર્ભ અહીં ખાસ હોતો નથી. છતાંય મેઈનસ્ટ્રીમ રંગભૂમિના કેટલાય કલાકારો મનોજ શાહ સાથે વચ્ચે વચ્ચે કામ કરવા ઉત્સુક રહે છે. તેની સામે એવાય કેટલાય આર્ટિસ્ટ્સ અને સ્ટાર્સ છે, જે મનોજ શાહની સમાંતર રંગભૂમિને ‘નોનસેન્સ એેક્ટિવિટી’ ગણે છે અને તેમના કામની નોંધ પણ લેતા નથી. શું કહેવું છે મનોજ શાહને તેના વિશે?

 ‘હું વધારે પ્રામાણિક છું કે કમર્શિયલ રંગભૂમિવાળા વધારે પ્રામાણિક છે, આ વધારે સારું કે પેલું વધારે સારું તે કોણ નક્કી કરે, દોસ્ત? કોઈની નિષ્ઠા વિશે ચુકાદો આપવો કે કોઈને જજ કરવા જેવું ફ્રોડ બીજું એકેય નથી. સૌનું પોતપોતાનું કન્વિકશન છે અને સૌ તે મુજબ કામ કરે છે. કેમ, હું પણ વચ્ચે વચ્ચે ‘વોટ્સ યોર રાશિ?’ કે ‘મૌસમ’ જેવી હિન્દી કમર્શિયલ ફિલ્મોમાં નાનુંમોટું કામ કરી જ લઉં છું ને! તે વખતે ક્યાં જાય છે મારો આદર્શવાદ? ટૂંકમાં, બધા પોતપોતાની જગ્યા પર સાચા છે. ’

 પણ મનોજ શાહને બીજા નિર્માતાઓની જેમ સરસ કમાવાની ઈચ્છા નથી થતી? સાવ ફકીરી તો નહીં, ચુસ્તપણે મધ્યમ-મધ્યમવર્ગીય અવસ્થામાં સપડાયા છે તેમાંથી બહાર આવવાની અપેક્ષા જાગતી નથી?

 ‘ઓહો, મને આર્થિક અપેક્ષા તો પુષ્કળ છે!’ તેઓ પાછા મોટેથી હસી પડે છે અને મસ્તીપૂર્વક કહે છે, ‘ધારો કે કોઈ શેઠિયો આ લેખ વાંચીને મને મારી રીતે નાટકો કરવા માટે 32 કરોડ ‚પિયા ઓફર કરે અને તેમાંથી એક કરોડ ‚પિયા અંગત રીતે વાપરવાની છૂટ આપે તો સૌથી પહેલાં હું મારા ઘરની દીવાલોને કલર કરાવું!’



 અલબત્ત, લાલચ પેદા કરતી પરિસ્થિતિઓ ઊભી થતી રહે જ છે. જેમ કે, ‘સિદ્ધહેમ’ નાટક પછી એક ધાર્મિક વડાએ પ્રસ્તાવ મૂકેલો: જો તમારે ફંડ જોઈતું હોય તો હું શ્રેષ્ઠીઓને વાત કરું, પાંચેક કરોડ ‚પિયા તો ચપટી વગાડતા ઊભા થઈ જશે. મનોજ શાહે તેમના પ્રસ્તાવ નમ્રતાપૂર્વક નકારી કાઢ્યો હતો. તેઓ કહે છે, ‘કારણ, સૌથી પહેલાં તો તેઓ સાધુ હતા. એ કોઈને કહે અને થર્ડ પર્સન મને ફંડ આપે તે મને માન્ય નથી. આ તો મને દાન મળ્યું કહેવાય. દાનની સાથે શરતો પણ આવે જ. આ શરતો મને બાંધી દેશે, મારી પાસે બાંધછોડ કરાવશે, મને મારા મિજાજ પ્રમાણે કામ કરવા નહીં દે. તે મને સ્વીકાર્ય નથી. મારી પ્રવૃત્તિ અને મારી તાસીર જ મને જીવાડે છે. તેને હું મરવા દઈ ન શકું. હું કંઈ ત્યાગી કે શહીદ નથી. મારા પાળિયાં બંધાય એવી મારી કોઈ ખ્વાહિશ નથી. હું વાણિયાનો દીકરો છું અને જોતજાતના બિઝનેસ કરી ચૂક્યો છું. મારા કેટલાક શુભચિંતકો જ‚ર છે, જે મને કહેતા હોય છે કે મનોજભાઈ, તમે નાટક કરો, તે ચાલે કે ન પણ ચાલે, અમે બેઠા છીએ. પણ આવી સ્થિતિમાં હું બિલકુલ સ્પષ્ટ હોઉં છું.’

 મનોજ શાહનાં પત્ની કલ્પના શાહ અને યુવાન પુત્ર જનમ પણ તેમના પેશન અને મિજાજને સારી રીતે સમજે છે અને સ્વીકારે છે. ફિલ્મો બનાવવી એ મનોજ શાહની પ્રિય ફેન્ટસી છે. એમ તો તેઓ પોતાનું નાનકડું ઓડિટોરિયમ હોય તેવી ખ્વાહિશ પણ ધરાવે છે.

 ‘ઓહ યેસ! હું વર્ષોથી ભારતભરમાં ફરીને ફિલ્મ ફેસ્ટિવલો અટેન્ડ કરું છું. ઈન કેસ, ભવિષ્યમાં ફિલ્મ બનાવવાનો મોકો મળે તો આ મારું હોમવર્ક છે!’ અને પછી ખડખડાટ હસીને મનોજ શાહ વાતચીતનું સમાપન કરે છે, ‘બાકી આપણે 32 કરોડ તો જોઈએ છે જ. ઓકે, 30 કરોડ પણ ચાલશે, બસ?’  

                                                           
                                                                     
                                                                 (સમાપ્ત)

UPDATE




મનોજ શાહનો ઉપરનો ઇન્ટરવ્યુ 2010માં લેવાયો હતો. આજે 2017માં તેમની નાટ્યયાત્રા ક્યાંય આગળ નીકળી ચુકી છે અને તેઓ એકએકથી ચડિયાતા બીજાં કેટલાંય નાટકો આપી ચુક્યા છે. કેટલાય નવા કલાકારો - લેખકો એમના વડે દીક્ષિત થઈ ચુક્યા છે... અને હા, ખુદનું નાનકડું ઓડિટોરિયમ બનાવવાની ખ્વાહિશ હજુય અકબંધ છે!

0 0 0