Friday, September 30, 2011

Eat, Pray, Love, Read!


I just finished Elizabeth Gilbert’s Eat Pray Love few minutes ago with amazing sense of joy and satisfaction. In fact, this has been the constant feeling all along while reading the book - a delicious mix of joy and satisfaction. 

Even though I knew about this book - I have seen it oh-so-many-times at pirated book sellers parked outside Andheri station - somehow I never felt like even picking it up. I was never intrigued by the book. I even remembered newspaper reports when Roberts was shooting for the movie in India. Though I hadn’t watched the film.

But then Oprah did the trick. One night I accidentally happened to watch a joint interview of Gilbert and Julia Roberts in one of Oprah’s shows on Love channel. I kind of liked what I saw and felt like reading the book. Hetal, a good friend of mine, had already read the book and the kind of dispassionate feedback that she gave to me did not help - I already had a very low expectations from the book. 

And then one fine day I started reading this autobiographical book anyway. And the book pulled me in completely! The writing, the flair, the humor, the weaving, the craft, the overall impact... AHA! To top it all, the book has this 'unputdownable' quality to it. I was sucked in Gilbert’s world. I could relate to her totally. I could identify with her quest for love and life.

I never thought I would love this book with such a massive intensity. This is kind of a book that one would possibly go to all over again for selective reading. It is such a rare quality.  Okay, one can dismiss it off as a glamorised-self help-book-disguised-as-a memoir. Though I don't agree with it at all. The literary value? Who cares! Okay, Gilbert is nowhere near likes of, say, Ayn Rand. But then, why compare two totally different people? Some may even find the book 'too American'. Even if it is so, how does that matter? Human emotions are universal - that's the reason the book has seen such an enormously success all over the world. The book, published in 2006, remained on The New York Times Best Seller list for 187 weeks, that is, more than 3 and half years !    

Elizabeth Gilbert

Having said that, well, the account of one-year-of-self discovery-cum-world tour of Gilbert does come across as too good to be true. How can so many interesting events and interesting people can happen to one person in a span of single year? Especially the later part of book does has this fairy tale ring to it.  Nonetheless, it all makes an interesting read.

Julia Roberts in Eat Pray Love
Incidentally, while I was still in the middle of the book, I watched the movie Eat Pray Love on TV with rapt attention. I found it horrible - easily one of the worst adaptions.  Well, less said about it,  better. Few books are just not ‘adaptable’. Eat Pray Love belongs to this category. Period. 

I am going to read Gilbert's other work, one after another. Committed is a sequel to Eat Pray Love. She has also written a novel and few short stories earlier. Well, everything that she has written before or after Eat Pray Love would be invariably compared to it. Quite clearly, it would be difficult for Gilbert to match with that kind of success and may be even quality. This is an usual phenomenon and every successful writer has to carry the excessive weight of his or her most successful work till the moment s/he dies.

So  Go Read... Eat Pray Love! 

Sunday, September 25, 2011

ઘડિયાળ ઊંધી ચાલવા માંડે જો આ પળે...

ચિત્રલેખા - અંક તા. ૩ ઓક્ટોબર ૨૦૧૧


કોલમઃ વાંચવા જેવું






‘આપણે મોટા થઈ ગયા છીએ એની જાણ આપણને બીજાઓ દ્વારા થતી હોય છે.’



અભિનેતા અનુપમ ખેરે એકવાર પત્રકાર-લેખિકા ભાવના સોમૈયાને આ ચોટડૂક વાત કહી હતી. મોટા થઈ જઈએ અને સમયની સાથે પુખ્તતા ઘૂંટાતી જાય પછી પણ પ્રારંભિક જીવન સાથેનું અનુસંધાન જળવાઈ રહેતું હોય છે. બાળપણ સાથેનો માનસિક સેતુ આપણને સુખ આપે, કૌતુક જન્માવે, ઉદાસ કરી મૂકે, અમુક પ્રશ્નોના ઉત્તરો આપે તો ક્યારેક સાવ નવા સવાલો ખડા કરી દે. પ્રસ્તુત પુસ્તકમાં ૬૩ વ્યક્તિઓએ પોતાના બાળપણને સંભાર્યું છે.



રોજ સવારે હજી આંખો પણ ખૂલી ન હોય ત્યાં ઉઠાડી, નવડાવી, દૂધ પીવડાવી જેઠા મહારાજ ખભે બેસાડી ટીંગાટોળી કરી બાળમંદિરે મૂકી આવતા તે દિવસો ‘ગુજરાત સમાચાર’ના ઑનર અને તંત્રી શ્રેયાંસ શાહ હજ ભૂલી શક્યા નથી. તેઓ કહેે છે, ‘ખભે બેસી રડતા રડતા માથા પર કેટકેટલા મુક્કા માર્યા હશે તે યાદ નથી, પરંતુ જેઠા મહારાજે મારેલી બે લપડાકો તો જીવનભર યાદ રહી ગઈ છે અને ત્યારથી સ્કૂલ જતા રડવાનું કે તોફાન કરવાનું ભૂલાઈ જ ગયું!’



વીતેલા જીવનની કઈ વાત ચિત્તના કયા પડળમાં કટલી તીવ્રતાથી નોંધાયેલી રહે, કેટલી ગળાઈ જાય અને કેટલી નાશ પામે તે માટેનું કોઈ ગણિત હશે ખરું? શબ્દસૃષ્ટિ સામયિકના સંપાદક હર્ષદ ત્રિવેદી તો કહે છે કે, ‘મને મારું બચપણ જ યાદ છે. એ પછીનું તો બધું ટેમ્પરરી...’ લેખક મધુ રાય આ વાત આ રીતે મૂકે છેઃ ‘દિમાગમાં પાવરપોઈન્ટ પ્રેઝન્ટેશનની જેમ મનમાં પ્રસંગો ડોકાય છે ને મનવાને અચરજ થાય છે, રે રે? આવું આમ હતું? પેલું નામ શું હતું? અમુકની હોઠની ધાર ઉપર મારી તર્જનીનાં ટેરવાં ફરેલાં? અમુકના શ્વાસ મારી મૂછને અડકેલા? અમુકના અંતર્દેશીય પત્રથી મારા ખૂનનો ચરખો પૂરપાટ ભમ્યો હતો? અમુક પ્રભાતફેરીમાં ‘ભારત માતાકી?’ ‘જૈય!’ બોલતાં ધ્રૂસકું આવ્યું હતું?’



બાળપણને યાદ કરવાથી સમૃદ્ધિ અને ખાલીપો બન્નેનો, ક્યારેક એકસાથે, અહેસાસ થતો હોય છે. આર્કિટેક્ટ-કવિ અવિનાશ પારેખ સીધું જ પૂછી લે છે, ‘કોઈ પળે અવળે હાથે ક્યાંક મૂકાઈ ગયેલી મારી આભલાવાળી કાળી જાદુઈ થેલી તમે કોઈએ જોઈ છે?’ નાનપણને જદા જ અંદાજમાં યાદ કરીને નવલકથાકાર અશ્વિની ભટ્ટ કહે છે, ‘મારી પાસે બધું છે અને તોય મને તેની (એ કિશોર અશ્વિનીની) અદેખાઈ આવે છે. તેનું ઊંટ, તેનાં કબૂતર, તેની કોચમણી... અને સૌથી વધુ કમબખ્તની આંખમાં રમતી મસ્તી અને નિનૈતિક ધીંગામસ્તી... ’



બાળપણ એટલે માત્ર ગુલાબી ગુલાબી અતીત અને મુલાયમ મુલાયમ યાદોનું પોટલું નહીં. હાસ્યલેખક તારક મહેતા, એમના શબ્દોમાં, માંડ દસ દિવસના જંતુ હતા ત્યારે મા એમને પૂછ્યા વગર ગુજરી ગયેલી. હાસ્યકાર વિનોદ ભટ્ટ લખે છે, ‘આ ગરીબી તો મારું આખેઆખું બાળપણ ચાવી ગઈ છે.’ ‘ચિત્રલેખા’ના કાર્યકારી તંત્રી ભરત ઘેલાણીએ નાનપણમાં જાહોજલાલીનું હોવું અને ઓસરવું બન્ને જોયા છે. એમને ત્યાં લાંબીપહોળી પીળાચટ્ટાક રંગની વૈભવી શેવરોલે કાર હતી, જેના ડેશબોર્ડ પરની ચાંપ દબાવતાં જ ઉપરનું હૂડ આસ્તેથી સરકીને, ફોલ્ડ થઈને પાછલી સીટમાં જતું રહેતું અને કાર ઓપરએર બની જતી. આખા કલકત્તામાં આવી ઈમ્પોર્ટેડ શેવરોલે એક ઘેલાણી પરિવાર પાસે જ હતી. તેઓ લખે છેઃ ‘આ ‘દોમ દોમ સાહેબી’નો અર્થ બાળપણમાં બરાબર ખબર નહોતો, કારણ કે એ સહજ હતું. જન્મતાંની સાથે જ એ બધું મળેલું. મોટા થયા, વાંચતા થયા ત્યારે પુસ્તકો-ફિલ્મોમાંથી જે અર્થ સમજાયો હતો ત્યારે જ ખબર પડી કે અમે બાળપણમાં કેવી દોમ દોમ સાહેબી ભોગવી હતી!’



લેખિલા કાજલ ઓઝા-વૈદ્યને લાગે છે કે એમનું બાળપણ એટલું બધું નિર્દોષ કે વહાલસોયું નથી વીત્યું. મુંબઈથી શિફ્ટ થઈને છોકરા-છોકરીઓ એકબીજા સાથે બોલે નહીં એવી અમદાવાદની સ્કૂલમાં તેમણે એડમિશન લીધું હતું. ‘ફ્રી ડ્રેસ’ના પહેલા જ દિવસે એ ટીશર્ટ અને શોટર્સ પહેરીને સ્કૂલે ગયાં અને ત્યારથી જ ‘બીજાથી જદી’ સાબિત થઈ ગયાં. આટલું કહીને લેખિકા ઉમેરે છેઃ ‘એ પછી હું કાયમ ‘જદી’ જ રહી...’ ડોકટર કવિ મુકુલ ચોક્સીની સમસ્યા જોકે જરા અલગ હતી. તેઓ છઠ્ઠા ધોરણમાં કોએજ્યુકેશનવાળી સ્કૂલમાં દાખલ થયા ત્યારે છોકરીઓની બાજમાં બેસવામાં તો ઠીક, છોકરીઓ રક્ષાબંધનના તહેવાર પર રાખડી બાંધે તોય એમને સંકોચ થતો!



બાળપણ પાસે પાછા પહોંચી જવાની ઝંખના હોવી અનિવાર્ય છે? બિલકુલ નહીં. લેખક-પત્રકાર સૌરભ શાહનો એટિટ્યુડ જઓઃ ‘જો કોઈ એમ કહે કે ભઈલા, આ તારી દૌલત-શૌહરતના બદલામાં હું તને તારું બચપન પાછ આપું છ તો હું શું કરું. આ ૨૦૦૯ની સાલમાં (આ પુસ્તક જોકે ૨૦૧૧માં પ્રગટ થયું છે) મારી દૌલત માઈનસમાં છે અને શૌહરત ચીંથરેહાલ છે, પણ આ બધું ટકાટક હોત તો પણ મેં ભગવાનની આ એક્સચેન્જ ઓફર સ્વીકારી ન હોત... કવિઓ-શાયરો માટે આવું બધું બરાબર છે અને કોઈ ગાય તો બે ઘડી મૌજ પણ આપી જાય, પરંતુ આ પ્રકારની રોમેન્ટિસિઝમ મારા મિજાજમાં નથી.’



પત્રકાર ઉર્વિશ કોઠારી કહે છે કે બાળપણ વિશેના ગામ, સીમ, વાડી, વગડો, આંબલીપીપળી કે ‘કાગઝ કી કશ્તી બારીશ કા પાની’ બ્રાન્ડ લખાણોમાં ‘શું હતું’ની સાથે ‘શું હોય તો સારું લાગે’ની ભેળસેળની તીવ્ર સંભાવના રહે છે. આ જોખમસ્થાન તરફ આંગળી ચીંધીને એ ઉમેરે છે, ‘ગાંઘીજીની કડાચોરી કે પરીક્ષામાં ચોરી ન કરવાની ઈમાનદારી, સરદારનું ક્લાસમાં ‘પાડા’ લાવવાનું તોફાન એ બધા ‘પરાક્રમ’નું મોટપણ-મહાનતાના સંદર્ભ વિના, સ્વતંત્ર મૂલ્ય નહીંવત છે.’



ખેર, આ જોખમ સહિત પણ અંકિત ત્રિવેદી સંપાદિત આ લેખો વાંચવા ગમે તેવા છે. આજકાલ આ પ્રકારનાં સંપાદનોનો જબરો ટ્રેન્ડ શરૂ થયો છે. આ પુસ્તકમાં સ્થાન પામેલી મોટા ભાગની વ્યક્તિઓનો સંબંધ કલમ અને શબ્દો સાથે છેે. દેખીતાં નામો ઉપરાંત અન્ય કંઈકેટલાંય ક્ષેત્રોની નોંધપાત્ર વ્યક્તિઓનાં લખાણો પણ જહેમતપૂર્વક મેળવવામાં આવ્યાં હોત તો સંગ્રહ ઓર નિખરી ઉઠત.

સાંભરે રે.. બાળપણનાં સંભારણાં...


સંપાદકઃ અંકિત ત્રિવેદી

પ્રકાશકઃ નવભારત સાહિત્ય મંદિર, અમદાવાદ-૧ અને મુંબઈ-૧

ફોનઃ (૦૭૯) ૨૬૫૮ ૩૭૮૭, (૦૨૨) ૨૨૦૧ ૭૨૧૩

કિંમતઃ રૂ. ૩૫૦ /

પૃષ્ઠઃ ૩૨૬





૦ ૦ ૦



Wednesday, September 21, 2011

માણસની કક્ષા શી રીતે નક્કી થાય?

ચિત્રલેખા -
અંક તા. ૨૨ ઓગસ્ટ ૨૦૧૧


કોલમઃ
વાંચવા જેવું

-----------------


ક્રિયેટિવ મેન ઈઝ મોટિવેટેડ બાય ધ ડિઝાયર ટુ અચીવ, નોટ બાય ધ ડિઝાયર ટુ બીટ અધર્સ.

આ શબ્દો વિશ્વપ્રસિદ્ધ રશિયન-અમેરિકન લેખિકા આયન રેન્ડના છે. તેનો અર્થ છે, સર્જનાત્મક દિમાગ ધરાવતા માણસનું પ્રેરકબળ કશુંક હાંસલ કરવાની ઝંખના હોય છે, બીજાઓથી આગળ નીકળી જવાની કે હરાવી દેવાની વૃત્તિ નહીં. વિચારોની ધાર ઉતારી દેતી આયન રેન્ડની નવલકથાઓ ‘ધ ફાઉન્ટનહેડ’ (૧૯૪૩) અને ‘એટલાસ શ્રગ્ડ’ (૧૯૫૭)થી કેટલીય પેઢીના વાચકોને તીવ્રતાથી પ્રભાવિત થયા છે, હજય થઈ રહ્યા છે. આજે જેની વાત કરવાની છે તે પુસ્તક ‘અંગદનો પગ’ પણ આયન રેન્ડની કૃતિઓની અસર હેઠળ લખાયું છે. લેખક સ્વયં પ્રસ્તાવનામાં કહે છે કે તેમનો ઈરાદો આયન રેન્ડના ‘ફર્સ્ટ રેટર્સ’ અને ‘સેન્કડ રેટર્સ’ વિશેની થિયરીને ગુજરાતીમાં મૂકવાનો હતો અને તે માટે તેમણે નવલકથાનું ફોર્મ પસંદ કર્યું છે. વેલ, લેખકનો ઈરાદો અને અખતરો બન્ને સફળ થયા છે. પાંચ વર્ષના ગાળામાં ‘અંગદનો પગ’ની નવ આવૃત્તિઓ પ્રગટ થઈ છે તે હકીકત તેનું પ્રમાણ છે.


Ayn Rand

‘અંગદનો પગ’ની કથામાં શિક્ષકો, વિદ્યાર્થીઓ, પ્રિન્સિપાલ અને ટ્રસ્ટીઓ મુખ્ય પાત્રસૃષ્ટિ રચે છે. સિદ્ધાંતવાદી શિક્ષક જ્યોતીન્દ્ર શાહ સાચા અર્થમાં માસ્તર છે. ‘ધ ફાઉન્ટનહેડ’ના નાયક હાવર્ડ રોર્કની માફક એ ઓરિજિનલ છે, આત્મસંપન્ન છે. શિક્ષક તરીકે એ જેટલા પ્રતિભાશાળી છે એટલા જ માણસ તરીકે ઉત્તમ છે. એમની આંખોમાં સદાય નિશ્ચયાત્મકતા ચમકતી રહે છે, જે નગુણા લોકોને થથરાવી મૂકે છે. સ્કૂલના વાતાવરણમાં ઓક્સિજનની જેમ છવાયેલા જ્યોતીન્દ્રની ખૂબી એ છે કે તે વિદ્યાર્થીઓને એક સાથે બહિર્મુખી અને અંતરમુખી બનાવી શકવાની તાકાત છે.



‘અંગદનો પગ’માં લેખક એક જગ્યાએ કહે છેઃ ‘વિશ્વમાં બે પ્રકારના લોકો છે. પ્રથમ કક્ષાના (ફર્સ્ટ રેટર્સ) અને દ્વિતીય કક્ષાના (સેન્કડ રેટર્સ). માનવના ઉષઃકાળથી આ વિશ્વનો વિકાસ હંમેશા પ્રથમ કક્ષાના લોકોએ કર્યો છે. કરૂણતા એ રહી છે કે વિશ્વનું નિયંત્રણ, રાજસત્તા, ધનસત્તા માત્ર બીજી કક્ષાના લોકો પાસે રહી છે. પ્રથમ કક્ષાના લોકો પોતાનાં કાર્યોમાં એવા મસ્ત હોય છે કે તેમને આવી સત્તા કે ધનમાં રસ જ નથી હોતો, ને બીજી કક્ષાના લોકો સર્જનાત્મક ન હોવાથી માત્ર આવી જ બાબતોમાં રસ ધરાવે છે. તેઓ હંમેશા પ્રથમ કક્ષાના લોકોનો પોતાના સ્વાર્થ માટે ઉપયોગ કરે છે.’



નવલકથામાં એક બાજ ફર્સ્ટ-રેટર જ્યોતીન્દ્ર છે તો સામા છેડે કિરણ દવે નામના શિક્ષક છે. દવેસાહેબ તરૂણ હતા ત્યારે જ એમની પારખુ માતાએ કહી દીધેલુંઃ ‘તારામાં મહત્ત્વાકાંક્ષા છે, પણ તે પૂરી કરવા માટેની શક્તિ તું નથી ધરાવતો... તું એવરેજ વ્યક્તિ છે. તું તદ્દન સામાન્ય બુદ્ધિ ધરાવે છે. તારી મહત્ત્વાકાંક્ષા ભાગ્યે જ ફળશે.’ આત્મવિશ્વાસનો તીવ્ર અભાવ ધરાવતો છીછરો માણસ સામાન્યપણે તેજોદ્વેષથી પીડાતો હોય છે. જ્યોતીન્દ્રની તેજસ્વિતા દવેસાહેબ સહન કરી શકતા નથી. જ્યોતીન્દ્રને મ્હાત કરવા અને સ્થૂળ લોકપ્રિયતા મેળવવા દવેસાહેબ જાતજાતના કારનામા કરે છે.



જ્યોતીન્દ્ર આ બધું જ જાણે છે, પણ એમની સ્વસ્થતા અકબંધ રહે છે, કારણ કે લેખક કહે છે તેમ, ‘પ્રથમ કક્ષાના લોકોને કદી નુક્સાન નથી પહોંચતું. હા, ભૌતિક સ્તરે કદાચ પહોંચતું દેખાય, પણ બૌદ્ધિક સ્તરે ન પહોંચે. પ્રથમ કક્ષાના લોકો હંમેશા આત્મપ્રતિભા પર મુસ્તાક હોય છે. પ્રતિભાની મસ્તી જ એટલી જબ્બર છે કે બાહ્ય સિદ્ધિઓનું કશું મૂલ્ય નથી હોતું. તેમને બાહ્ય સિદ્ધિઓ સહજ રીતે મળે છે. સૂર્ય સાથે પ્રકાશ હોય તેમ. પણ કદાચ ડગમગતો દેખાય સેન્કડ-રેટરોને.’





પહેલી દષ્ટિએ લાગે કે જ્યોતીન્દ્રે શહાદત વહોરી લીધી, દવેસાહેબે ધાર્યા નિશાન પાર પાડ્યાં, પણ વાસ્તવિકતા જદી છે. ‘ધ ફાઉન્ટનહેડ’ની પરાકાષ્ઠામાં નાયક હાવર્ડ રોર્ક અદાલતમાં સરસ કહે છેઃ ‘શહાદત વહોરી લેવી કે બીજાઓ પર અધિકાર જમાવવો સવાલ આ બન્નેમાંથી કોઈ એકની પસંદગીનો છે જ નહીં. સવાલ આ છેઃ શું પસંદ કરવાનું છે સ્વતંત્રતા કે પરતંત્રતા? ક્રિયેટર (એટલે કે ફર્સ્ટ-રેટ માણસ)ની આચારસંહિતા કે સેન્કડ-હેન્ડરની આચારસંહિતા? માણસના સ્વતંત્ર અહંમાંથી જે કંઈ ઉત્પન્ન થાય છે તે શુભ છે. માણસની પરતંત્રતામાંથી જે કંઈ પેદા થાય છે તે અશુભ છે... માણસની આત્મનિર્ભરતા, પહેલ કરવાની શક્તિ અને પોતાનાં કામ પ્રત્યેના પ્રેમના આધારે જ તેની પ્રતિભા અને મૂલ્ય નક્કી થાય છે.’



‘અંગદનો પગ’માં ખરો વિજય જ્યોતીન્દ્રની પ્રતિભાનો, એમનાં મૂલ્યોનો જ થાય છે. દવેસાહેબની દેખીતી જીત પરાજય કરતાંય વસમી પૂરવાર થાય છે. આ નવલકથાનો એક બહુ મોટો પ્લસ પોઈન્ટ સશક્ત ન્કટેન્ટ ઉપરાંત એની પ્રવાહિતા છે. વાચક તેને સડસડાટ, અટક્યા વગર વાંચી શકે છે. યુનિવર્સિટીમાં ટેકસ્ટબુક તરીકે રહી ચૂકેલી આ નવલકથા પરથી નાટક ભજવાયું છે અને બે વિદ્યાર્થીઓએ પીએચ.ડી. પણ કર્યું છે.

લેખક હરેશ ધોળકિયા ‘ચિત્રલેખા’ને કહે છે, ‘મેં ભુજની શ્રી સ્વામિનારાયણ વિદ્યાલયમાં વીસ વર્ષ ટીચર તરીકે અને તે પછી શ્રી વી. ડી. હાઈસ્કૂલમાં પાંચ વર્ષ પ્રિન્સિપાલ તરીકે કામગીરી બજાવી છે. આ નવલકથામાં મેં શાળાજીવનના મારા અનુભવોને વણી લીધા છે. વાચકોને પુસ્તકમાં વાસ્તવિકતાનું નિરૂપણ દેખાય છે, તેનાં પાત્રો અને પરિસ્થિતિઓ સાથે તેઓ આઈડેન્ટિફાય કરી શકે છે. પુસ્તકને જે પ્રકારનો પ્રચંડ પ્રતિસાદ મળ્યો છે તેથી મારા જેવા ખૂણામાં બેઠેલા માણસને ખૂબ આશ્ચર્ય થયું છે.’



લખાણમાં સાદગી હોવી એક વાત છે અને ભાષામાં સમૃદ્ધિનો અભાવ હોવો તે તદ્દન જદી બાબત છે. ‘અંગદનો પગ’ના સંવાદો અસરકારક છે, પણ કેટલીય જગ્યાએ વર્ણનો બહુ જ પાંખાં અને દરિદ્ર રહી ગયા છે. ‘ઉત્તેજિતતા’ જેવા ખોટા શબ્દપ્રયોગો પણ કઠે છે (સાચો પ્રયોગ છે, ઉત્તેજના). વિવેચકોેને આ નવલકથામાં ‘કલાત્મકતા અને ઉચ્ચ સાહિત્યિક મૂલ્યો’ની ગેરહાજરી વર્તાતી હશે, પણ આ કૃતિ એક વિશાળ વાચકવર્ગના દિલને સ્પર્શી શકે છે તે વાતની સાદર નોંધ લેવાવી જોઈએ. નિકૃષ્ટ પુસ્તકોનો ઢગલો થઈ રહ્યો છે ત્યારે સત્ત્વશીલ કથાવસ્તુ ધરાવતી આ નવલકથા ભાવકોને ગમી જશે. 000


અંગદનો પગ


લેખકઃ હરેશ ધોળકિયા

પ્રકાશકઃ ગૂર્જર ગ્રંથરત્ન કાર્યાલય, અમદાવાદ-૧

ફોનઃ (૦૭૯) ૨૬૫૬ ૪૨૭૯

કિંમતઃ રૂ. ૧૨૦ /
પૃષ્ઠઃ ૨૯૨






Sunday, September 4, 2011

વાત્સલ્ય, વિદ્રોહ અને વિકૃતિ

દિવ્ય ભાસ્કર રવિવાર પૂર્તિ ૪ સપ્ટેમ્બર ૨૦૧૧

સ્લગઃ મલ્ટિપ્લેક્સ

આ અઠવાડિયે રિલીઝ થયેલી બે લેટેસ્ટ ફિલ્મોમાં બાપ-દીકરીના સંબંધો કેન્દ્રમાં છે, પણ એકમાં વહાલને બદલે વિદ્રોહ છે અને બીજીમાં વાત્સલ્યનું સ્થાન વિકૃતિએ લીધું છે.


યોગાનુયોગ જુઓ. આ અઠવાડિયે રિલીઝ થયેલી બે ફિલ્મો ‘બોલ’ અને ‘ધેટ ગર્લ ઈન યલો બૂટ્સ’માં પિતા અને પુત્રીનો સંબંધ કેન્દ્રમાં છે. પહેલી પાકિસ્તાની ફિલ્મ છે અને બીજી, ફિલ્મ ફેસ્ટિવલ્સમાં મહાલતા ઈન્ટરનેશનલ ઓડિયન્સને ધ્યાનમાં રાખીને બનાવવામાં આવી છે. સામાન્ય રીતે આપણે ફિલ્મોમાં બાપદીકરીના જે સંવેદનો જોવા ટેવાયેલા છીએ તેનાથી આ બન્ને ફિલ્મો જોજનો દૂર છે. બેમાંથી એકેયને ‘બાબુલ કી દુવાંએ લેતી જા... ’ પ્રકારની લાગણીઓ સાથે નહાવા-નિચોવાનો સંબંધ નથી. વાત્સલ્યનાં સંવેદનો અને પિતૃપ્રેમની કુમાશ એટલે શું વળી? અહીં તો જ્વાળામુખીની જેમ ફાટતો વિદ્રોહ છે યા તો ત્રાસ થઈ આવે એવી વિકૃતિ છે.



‘બોલ’ એટલે મોઢું ખોલ, વાત કર, મનમાં જે હોય તે વ્યકત કર. ફિલ્મના ડિરેક્ટર છે શોએબ મન્સૂર. તેમણે ૨૦૦૭માં ‘ખુદા કે લિયે’ નામની કરીઅરની સૌથી પહેલી ફિલ્મ બનાવી હતી, જે આતંકવાદના વિષય પર આધારિત હતી. ‘ખુદા કે લિયે’ એટલી
Shoaib Mansoor

અફલાતૂન ફિલ્મ હતી કે શોએબ મન્સૂર જેવો ટેલેન્ટેડ રાઈટર-ડિરેક્ટર પેદા કરનાર પાકિસ્તાનની આપણને ઈર્ષ્યા થઈ આવે. ‘બોલ’ શોએબની બીજી ફિલ્મ છે, જે ‘ખુદા કે લિયે’ કરતાં તદ્દન વેગળી છે અને ખાસ્સી અસરકારક છે. આ બે ફિલ્મો પરથી શોએબ મન્સૂરની એક ફિલ્મમેકર તરીકેની તાસીર સુરેખપણે ઉપસી આવે છે. આ ફિલ્મો સ્પષ્ટ કરી આપે છે કે શોએબ મન્સૂર સિનેમાના માધ્યમને તેઓ પૂરેપૂરી ગંભીરતાથી લે છે. પાવરફુલ સ્ટોરીટેલિંગ, કમર્શિયલ સેટઅપ અને મનોરંજનક તત્ત્વો અકબંધ રાખીને એમને ઓડિયન્સને વિચારતા કરી મૂકે એવી ફિલ્મો બનાવવામાં રસ છે.



‘બોલ’માં દીકરાનું મોઢું જોવાના ધખારાને કારણે સાત-સાત દીકરીઓની લંગાર ખડી કરી દેતા અને એક જડભરત હકીમની વાત છે. આ વિષય શહેરી ભારતીયોને આઉટડેટેડ લાગશે, પણ આપણાં ગામડાંમાં કે ઈવન નાનાં નગરોમાં આજે પણ દીકરો મેળવવાના આશામાં એક પછી એક દીકરીઓ જણ્યા જતા નમૂનાઓ જોવા મળે છે. ‘બોલ’ના હકીમને આખરે દીકરો નસીબ તો થાય છે, પણ એ જન્મજાત હીજડો છે. હકીમ એને ધિક્કારે છે, પણ લાચાર મા અને મોટી બહેનોને એ જેવો છે એવો ખૂબ વહાલો છે. હકીમ આખરે પોતાના આ સ્ત્રૈણ દીકરાના શા હાલહવાલ કરે છે?

Manzar Sehbai : Oh father....


ખેર, આ તો ફિલ્મની અડધી જ વાર્તા થઈ. બાપ પોતાના જૂનવાણી અને સગવડીયા વિચારોનો ગુલામ છે. કંગાલિયતની ખીણમાં ધકેલાઈ ચૂકેલા પરિવારને એ જાણેઅજાણે સહન ન થઈ શકે એવા આઘાતો આપતો જાય છે. મોટી દીકરી ઝૈનબ (અભિનેત્રી હુમૈમા મલિક, બહોત અચ્છે) સમજુ છે, પ્રગતિશીલ છે, પણ બાપને એની આંખોમાં બગાવત દેખાય છે. બાપ-દીકરી વચ્ચે સતત ઘર્ષણ થતું રહે છે અને આખરે....


Iman Ali : Pakistani Umrao Jaan


હિન્દી ફિલ્મો સુપરહિટ ગીતો આપીને તરખાટ મચાવનાર પાકિસ્તાની પ્લેબેક સિંગર આતીફ અસલમે ‘બોલ’માં હીરોગીરી કરી છે. આખી ફિલ્મમાં આતીફનો ચહેરો રંધો મારેલા પાટિયા જેવો સપાટ રહે છે અને અભિનયના મામલામાં એ સૌથી નબળો પૂરવાર થાય છે. શોએબ મન્સૂરને ડિરેક્ટ કરેલી ફિલ્મોમાં આમેય અસલી હીરો એ પોતે જ હોય છે. હકીમ બનતા મંઝર સેહબી અને તવાયફની ભુમિકા અદા કરનાર ઈમાન અલી (જે ‘ખુદા કે લિયે’ની લીડ હિરોઈન હતી) એટલાં ઈન્ટરેસ્ટિંગ અદાકારો છે કે બોલીવૂડે તાત્કાલિક આ બન્નેને ઈમ્પોર્ટ કરી લેવાં જોઈએ. ‘બોલ’માં ભલે ‘ખુદા કે લિયે’ જેવી ઝમક ન હોય (આ બે ફિલ્મોની સરખામણી જ ન કરવી જોઈએ, ખરેખર તો), પણ તોય એ જોવી ગમે તેવી છે. હા, ફિલ્મ લાંબી જરૂર છે.



એમ તો ‘ઘેટ ગર્લ ઈન યલો બૂટ્સ’ માંડ દોઢેક કલાકની હશે, પણ તોય કેટલી લાંબીલચ્ચ લાગે છે. રાઈટર-ડિરેક્ટર-પ્રોડ્યુસર અનુરાગ કશ્યપ ઓડિયન્સને ચોંકાવી દેવામાં માહેર છે. ‘દેવ.ડી’માં એણે દેવદાસપારોચંદ્રમુખીને ને એકવીસમી સદીમાં ઈમ્પ્લાન્ટ કર્યા હતાં અને એટલી ‘હટ કે’ ફિલ્મ બનાવી હતી કે સાહિત્ય કૃતિ ‘દેવદાસ’માં રહેલી માસૂમિયત અને મુગ્ધતાની વાટ લાગી ગઈ હતી.


Anurag Kashyap - Kalki Koechlin


બાપ અને સંતાન વર્ષો પહેલાં વિખૂટાં પડી ગયાં હોય, સંતાન જુવાન થાય એટલે બાપની શોધમાં નીકળે અને આખરે બન્નેનો મેળાપ થાય આ ચવાઈને ચુથ્થો થઈ ગયેલી થીમને કેટલી જુદી રીતે પેશ કરી શકાય? ‘ધેટ ગર્લ ઈન યલો બૂટ્સ’ આ સવાલનો જવાબ છે. આ ફિલ્મમાં બ્રિટીશ યુવતી અર્જુન પટેલ નામના પોતાના પિતાને શોધવા મુંબઈ આવે છે અને એક મસાજપાર્લરમાં કામ કરવા માંડે છે. મસાજ-કમ-સેક્સ પાર્લરનું ફિલ્ડ જ એવું છે કે ભમરાળાં દશ્યો વગર ચાલે નહીં. સ્ક્રિપ્ટ કી ડિમાન્ડ, યુ સી. હિન્દી (આમ તો હિંગ્લીશ) ફિલ્મોમાં ક્યારેય કલ્પના કરી ન હોય એવાં સેક્સના જુગુપ્સાપ્રેરક (સજેસ્ટિવ) દશ્યોની અહીં ભરમાર છે. ફિલ્મનો અંત તો ઓર ઘૃણાસ્પદ છે. આ મેનિપ્યુલેટિવ ફિલ્મમાં જોકે કેટલાંય પાત્રો અને ટ્રેક્સ અર્થહીન પૂરવાર થાય છે.અનુરાગ કશ્યપ પાવરફુલ ફિલ્મમેકર છે, પણ ‘ધેટ ગર્લ ઈન યલો બૂટ્સ’ એમની નબળી ફિલ્મોમાંની એક ગણાશે.



બીબાંઢાળ ફિલ્મોથી કશુંક અલગ અને મજાનું જોવું હોય તો ‘બોલ’ જોઈ શકાય. ફિલ્મ ફેસ્ટિવલ્સમાં દેખાડાતી અતરંગી ફિલ્મોમાં જો તમને મજા પડી જતી હોય તો જ ‘ધેટ ગર્લ...’ હિંમત કરવી. બાકી કોઈ પણ જાતનું જોખમ ન લેવું હોય અને માત્ર મસાલો એન્જોય કરવો હોય તો કરીના કપૂરના ઠુમકા ને ‘બોડીગાર્ડ’ સલમાનના ઝટકા તો છે જ!



શો સ્ટોપર

ઈન્સાન કો મારના ઝુલ્મ હૈ તો પૈદા કરના ક્યૂં નહીં?

- ‘બોલ’નો એક સંવાદ