Showing posts with label Mukesh Modi. Show all posts
Showing posts with label Mukesh Modi. Show all posts

Wednesday, August 27, 2014

ધ્રુવ ભટ્ટ શી રીતે નવલકથાઓ લખે છે?

Sandesh - Ardh Saprtahik Purti - 27 Aug 2014

ટેક ઓફ 

 ધ્રુવ ભટ્ટની કથાઓને અધ્ધરજીવે વાંચી જવાની હોતી નથી, પણ એની સાથે ધીમે ધીમે વહેવાનું હોય છે. વચ્ચે વચ્ચે અટકીને, ખુદમાં ડૂબકી લગાવતા રહીને, સંપૂર્ણ ગાંભીર્ય સાથે આગળ વધવાનું હોય છે. ધ્રુવ ભટ્ટની કૃતિઓ વાંચતી વખતે ભીતર કશુંક ઊઘડી રહ્યું હોય તેવી અનુભૂતિ થાય, એ ક્ષણમાં ક્યાંય સુધી રમમાણ રહેવાનું મન થાય. ધ્રુવ ભટ્ટની કથાઓ ટાઇમલેસ છે - એને સતત પ્રસ્તુત રહેવાનો આશીર્વાદ મળ્યો છે.



સ્ત. સરળ. સાચુકલાં. પ્રેમાળ. જીવનને ઠીક ઠીક સમજી ચૂકેલાં અથવા સમજવા મથી રહેલાં. સૌમ્ય છતાં મક્કમ. શાંત. આત્મવિશ્વાસ ધરાવતાં. સમગ્ર સજીવસૃષ્ટિ અને પ્રકૃતિ પ્રત્યે અપાર સમસંવેદન અને મજબૂત સંધાન ધરાવતાં. અલગારી. 
ધ્રુવ ભટ્ટની નવલકથાઓનાં પાત્રોની આ કોમન લાક્ષણિકતાઓ છે. એમનું ખુદનું વ્યક્તિત્વ ઘણે અંશે આવું જ છે. વર્તમાન ગુજરાતી નવલકથાજગતનું કોઈ એક નામ રાષ્ટ્રીય સ્તરે છાતી કાઢીને ઊભું હોય તો એ ધ્રુવ ભટ્ટનું છે. છાપાં-સાપ્તાહિકોમાં તેમની ધારાવાહિક નવલકથાઓ કે કોલમોનું બોર્મ્બાિંડગ થતું નથી. તેઓ કદાચ ગુજરાતનાં ઘરેઘરમાં જાણીતા નથી કે જેને આપણે ટિપિકલ અર્થમાં'માસ અપીલ' કહીએ છીએ એ તેઓ ધરાવતા નથી, પણ આ આખો અલગ વિષય થયો. ધ્રુવ ભટ્ટની કથાઓને અધ્ધરજીવે વાંચી જવાની હોતી નથી, પણ એની સાથે ધીમે ધીમે વહેવાનું હોય છે. વચ્ચે વચ્ચે અટકીને, ખુદમાં ડૂબકી લગાવતા રહીને, સંપૂર્ણ ગાંભીર્ય સાથે આગળ વધવાનું હોય છે. ધ્રુવ ભટ્ટની કૃતિઓ વાંચતી વખતે ભીતર કશુંક ઊઘડી રહ્યું હોય તેવી અનુભૂતિ થાય, એ ક્ષણમાં ક્યાંય સુધી રમમાણ રહેવાનું મન થાય. ધ્રુવ ભટ્ટની કથાઓ ટાઇમલેસ છે - એને સતત પ્રસ્તુત રહેવાનો આશીર્વાદ મળ્યો છે.
Dhruv Bhatt
હમણાં એક સુંદર પુસ્તક વાંચવાનું બન્યું- 'યાત્રા ભીતરનીઃ ધ્રુવ ભટ્ટની કથાઓનું રસદર્શન'. મુકેશ મોદીએ લખેલંુ આ પુસ્તક ધ્રુુવ ભટ્ટના ચાહકો માટે મસ્ટ-રીડ છે. એમાંય પુસ્તકના ઉત્તરાર્ધમાં અપાયેલો ૨૮ પાનાંનો અફલાતૂન ઇન્ટરવ્યૂ જોઈને ચાહકોને એવું લાગવાનું છે કે જાણે મીઠાઈના શોખીનને કોઈએ કંદોઈની દુકાનમાં પૂરી દીધા હોય.
'અગ્નિકન્યા', 'સમુદ્રાંતિકે', 'તત્ત્વમસિ', 'અતરાપિ', 'કર્ણલોક', 'અકૂપાર' અને 'લવલી પાન હાઉસ' જેવી નવલકથાઓના આ લેખક સંપૂર્ણ સહજતાથી કહે છે, "વાર્તા કેવી રીતે બને, એના ફોર્મ શું હોય, એના મીટર શું હોય એની બધી મને કાંઈ ખબર નથી. મારો કોઈ એવો અભ્યાસ નથી. નવલકથા વિશે પણ હું કંઈ નથી જાણતો. હું લખું છું એ નવલકથા સ્વરૂપ થાય છે કે શું થાય છે એ મને કાંઈ ખબર પડતી નથી. એટલે પછી જે લખું છું તેની મજા આવે છે."
લેખકો-કવિઓને સૌથી વધારે પુછાતો કોઈ સવાલ હોય તો એ છે, તમને આ બધું લખવાનું કઈ રીતે સૂઝે છેે? ઘણા સાહિત્યકારો આના ભારેખમ જવાબ આપતા હોય છે, પણ ધ્રુવ ભટ્ટ સાવ સહજભાવે કહે છે, "એવું મારા નોંધવામાં નથી આવ્યું કે મને શું કામ લખવાનું મન થાય છે. એવું છે કે નાનકડા બાળકને કેમ ચંદ્ર જોઈ બીજાને બતાવવાનું મન થાય છે કે જો, કેવો સરસ છે! મોટા થયા પછી પણ શુક્ર-ચંદ્રની યુતિ હોય તો બીજાને ફોન કરીને કહીએ, "જો બહાર નીકળીને જો..." એટલે મેં જે કંઈ જોયું તે તરત જ બીજાને બતાવવું એવો આશય લખવા પાછળ હશે."
ધ્રુવ ભટ્ટ નવલકથાનું પ્રકરણ લખવા બેસે ત્યારે ફક્ત પહેલો અને છેલ્લો પેરેગ્રાફ નક્કી હોય. કમ્પ્યૂટર
ઓન કરીને ટાઇપ કરવાનું શરૂ કરે એટલે ફ્લો શરૂ થાય અને શબ્દો-વાક્યો આપોઆપ આવતાં જાય. એવુંય બને કે આગલી રાતે કશુંક વિચારી રાખ્યું હોય,પણ લખવા બેસે ત્યારે કશુંક જુદું જ લખાય. એમની મોટાભાગની નવલકથાઓ નવરાત્રિના ગરબા ગવાતા હોય ત્યારે લખાઈ છે. અવાજ થતો હોય, સામે ટીવી ચાલતું હોય અને એમનું લખવાનું ચાલતું હોય. લખાયેલાં પ્રકરણો મિત્રો સાથે શેર કરવાં એમને બહુ ગમે. મિત્રોનાં સૂચનોને આધારે જરૂર લાગે તો પ્રકરણમાં ફેરફાર પણ થાય ને આખરી ઘાટ મળે.
ધ્રુવ ભટ્ટની કથાઓ અલગ અલગ લોકાલ પર આકાર લે છે, પણ તે વાંચતી વખતે એવું ન લાગે કે લેખક આ સ્થળો પર કેવળ 'રિસર્ચ' કરવા ગયા હશે. તેઓ જે-તે સ્થળ પર ખૂબ ઘૂમે (રખડપટ્ટી તેમનો મુખ્ય શોખ), ત્યાંના લોકોની સાથે એમના જેવા થઈને રહે. સ્થાનિક લોકોની બોલી, આંતરસૂઝ અને સંસ્કૃતિ સમજતા રહે, ભીતર ઉતારતા રહે. નવલકથા તો જાણે આ આખા અનુભવની સાઇડ પ્રોડક્ટ તરીકે યા તો બીજાઓ સાથે શેર કરવાની લાગણીની અભિવ્યક્તિ રૂપે આવે. 'અકૂપાર' લખવા માટે ત્યાં રીતસર પરિવાર સાથે ગીરમાં સ્થાયી થઈ ગયા. ગીર આ કથાનું લોકાલ પણ છે અને મુખ્ય પાત્ર પણ છે. નાયક ચિત્રકાર છે, જેને ગીરના 'પાણાથી માણા' સૌને જાણવા છે.
'અકૂપાર'ના અંત સુધી પહોંચતા આપણને સમજાય કે આ કંઈ કેવળ ગીર-સેન્ટ્રિક કૃતિ નથી. ગીર તો ફક્ત એક પ્રવેશદ્વાર છે. મૂળ વાત છે, પ્રકૃતિ સાથેના અનુસંધાનની. કથાનો નાયક એક જગ્યાએ કહે છે, "હું જે સૂત્રની શોધમાં છું તેનો એક તાંતણો મારા મનમાં કંડારાઈ રહ્યો છે. હું સ્તબ્ધ છું. જગતના જીવો વચ્ચેની એકાત્મકતાના અનેક પુરાવા પામી રહ્યો છું."
કેવળ મનુષ્યો અને પ્રાણીઓ નહીં, પણ સૃષ્ટિનાં સઘળાં તત્ત્વો એકબીજા સાથે કોઈક તંતુ દ્વારા જોડાયેલાં છે. સૌની એકમેક પર અસર પડે છે. આપણે સમષ્ટિ સાથે એકરૂપ છીએ, સમરસ છીએ એવું લેખક સીધેસીધું કહેતા નથી, પણ આ પ્રતીતિ 'અકૂપાર' વાંચતી વખતે આપોઆપ આપણને ક્રમશઃ થતી જાય છે.
'યાત્રા ભીતરની' પુસ્તકમાં ધ્રુવ ભટ્ટની નવલકથાઓના કેટલાંય ઉત્તમ સંવાદો યા વન-લાઇનર્સ સંગ્રહાયા છે. જેમ કે, કેમિકલનાં કારખાનાં નાખવાથી પર્યાવરણને બહુ નુકસાન થઈ જશે એવી 'સમુદ્રાંતિકે'ના નાયકને ચિંતા છે. એક બંગાળી બાવો એને પોલિટિકલી ઇનકરેક્ટ છતાંય સચોટ વાત કહી દે છે, "અપને આપકો ઇતના ઊંચા મત સમજ... પ્રકૃતિ સદાસર્વદા મુક્ત હૈ. કોઈ ઇસે બાંધ નહીં પાતા ઔર ન બિગાડ સકતા હૈ. તૂ ઇસે કુછ નહીં કરેગા તો ભી યે બદલને વાલા હૈ. તૂ ખુદ બદલા નહીં હૈ? જો તેરા કામ હૈ વો તો તુઝે કરના હી હૈ." 
'તત્ત્વમસિ'નો હીરો માણસને માણસ તરીકે નહીં, પણ કશીક પ્રોડક્ટિવિટીના ભાગરૂપે અથવા અર્થશાસ્ત્રના એકમ તરીકે જુએ છે. સુપ્રિયા નામનું પાત્ર એને સ્પષ્ટપણે કહી દે છે, "માણસ સંસાધન (રિસોર્સ) નથી... મધમાખીને પણ સંસાધન ન ગણશો. એ અસ્તિત્વ છે." 'કર્ણલોક'માં એક ધારદાર વાક્ય છેઃ "માણસજાતને માથે હજાર પીડાઓ ભૂલીને પણ આનંદથી જીવવાનો શાપ છે."
 ધ્રુવ ભટ્ટના કથાવિશ્વમાં મસ્તમૌલા થઈને પ્રવાસ કરવા જેવો છે, જો હજુ સુધી ન કર્યો હોય તો... 
0 0 0 

Wednesday, August 21, 2013

વાંચવા જેવું : પપ્પા એટલે ઈશ્ર્વરે આપેલો ઓસ્કર અવોર્ડ!


 ચિત્રલેખા - અંક તા. ૧૪ મે ૨૦૧૨ 

કોલમ: વાંચવા જેવું 




ટેબલની એક તરફ ગુજરાતી પત્રકારત્વના દંતકથારુપ તંત્રી સ્વ. હસમુખ ગાંધી બિરાજમાન છે. સામે ‘સમકાલીન’ દૈનિકમાં જોડાવા માટે અધીરાઈ અનુભવી રહેલો એક ઉત્સાહી નવયુવાન બેઠો છે. ગાંધીભાઈના આકરા ઈન્ટરવ્યુ અને લિખિત પરીક્ષામાંથી એ પસાર થઈ ચુક્યો છે. બસ, હવે અપોઈન્ટમેન્ટ ઓર્ડરની રાહ જોવાઈ રહી છે. અચાનક પર્સોનેલ ડિપાર્ટમેન્ટના ક્લર્કે ફોર્મમાં વિગત ભરવા માટે પૂછે છે: પિતાનો વ્યવસાય? યુવાને જવાબ આપે છે: ‘પિતાજી!’ ગાંધીભાઈ હસી પડે છે: અલ્યા, તારા બાપાનો વ્યવસાય પૂછે છે! યુવાન સ્થિરતાથી કહે છે: ‘ઔપચારિકતા ખાતર ‘અધ્યાપક’ લખી શકો, બાકી હી ઈઝ અ ફુલટાઈમ ફાધર...’ આ યુવાન એટલે અજય દલપતસિંહ ઉમટ, જે આજે છવીસ વર્ષ પછી ટોચના પત્રકાર તરીકે જાણીતા છે. એમને જર્નલિઝમમાં પા-પા પગલી માંડનાર એમના પિતાજી પ્રોફેસર ડી.એસ. ઉમટ જ!

પાર્ટટાઈમ પિતૃત્વ જેવું કશુંય હોય છે? પ્રસિદ્ધ વાર્તાકાર ડો. જયંત ખત્રીએ કહ્યું છે એમ, બાળક ક્યારેય એકલું જન્મતું નથી, સંતાનની સાથે એક પિતાનો જન્મ પણ થતો હોય છે... અને પછી પિતૃત્વ જિંદગીના અંતિમ શ્ર્વાસ સુધી સતત પુરુષની સાથે રહે છે. માતૃત્વનો મહિમા ખૂબ થયો છે, હંમેશાં થતો રહ્યો છે. પિતૃત્વનો મહિમા કરવામાં આપણે પાછળ રહી ન જવાય કદાચ એટલા માટે જ રાજ ભાસ્કર ‘લવ યુ મમ્મી’ પછી ‘લવ યુ પપ્પા’ નામનું દળદાર સંપાદન લઈને આવ્યા છે. અહીં જુદાં જુદાં ક્ષેત્રની વ્યક્તિઓએ પોતાના પિતા વિશે દિલ ખોલીને લખ્યું છે.



આઈએએસ અધિકારી અનિતા કરવલે પંદર વર્ષનાં હતાં ત્યારે એક નિબંધસ્પર્ધામાં ભાગ લીધો હતો. એમણે પપ્પાને કહ્યું કે, તમારું ઈંગ્લિશ ખૂબ જ સરસ છે. મને આ એક નિબંધ લખી દેશો, પ્લીઝ? પપ્પાએ એમને બહુ સરસ જવાબ આપ્યો: ‘બેટા, તું જિંદગીમાં એક જ વખત જીતવા માગે છે કે પછી હંંમેશાં જીતવા માગે છે? જો તારે સ્કૂલમાં આ વર્ષ પૂરતા જ શ્રેષ્ઠ નિબંધલેખક બનવું હશે તો હું જરુર નિબંધ લખી આપીશ, પણ જો તારે જીવનમાં એક ઉત્તમ લેખક બનવું હશે તો એની શરુઆત આજથી જ કરવી પડશે!’

નાના-મોટા પ્રસંગે પિતાએ કહેલી આવી વાત કે એમના વર્તન-વ્યવહારમાંથી ઊપસતાં સત્યો પછી સંસ્કાર બનીને આજીવન આપણી સાથે રહેતાં હોય છે. અનિતા કરવલએ આગળ જઈને પછી પોતાના આઈએએસ અધિકારી પતિની સાથે મળીને ‘થિન્ક એવરેસ્ટ’ નામનું સુંદર પુસ્તક લખ્યું. પુત્રી ભલે પરણીને બીજા ઘરે જતી રહે, પણ પિતા સાથેનો એનો સંંબંધ ક્યારેય ભીનાશ ગુમાવતો નથી. દીકરી ભડભાદર થઈ જાય તોય પપ્પાની લાડલી જ રહે છે. એટલે જ સાહિત્યકાર રઘુવીર ચૌધરીનાં દીકરી દષ્ટિ પટેલે કહ્યું છે કે, પપ્પાની હાજરીમાં ઉંમરની દોરી સડસડાટ ફીરકીમાં પાછી લપેટાઈ જતી અનુભવાય! રેડિયો જોકી અદિતિએ તો પોતાના મોબાઈલની ફોનબુકમાં પપ્પાનું નામ જ ‘લવ યુ’ તરીકે સેવ કરેલું છે. ‘તારક મહેતા કા ઊલટા ચશ્માં’ સિરિયલમાં શ્રીમતીજી અંજલિનું પાત્ર ભજવતી એક્ટ્રેસ નેહા મહેતા છલક-છલક થઈને કહે છે: મારા પપ્પા તો મને ઈશ્ર્વરે આપેલો ઓસ્કર અવોર્ડ છે!

પણ દીકરાની દુનિયા જુદી છે. દીકરા સાથે પિતાનું સમીકરણ પણ જરા જુદું હોય છે. પત્રકાર કાના બાંટવા કહે છે કે હું નાનપણમાં બાપાની આંગળી પકડીને ફર્યો હોઉં એવું પણ મને યાદ નથી. જૂની પેઢીમાં પુરુષોમાં કદાચ સંતાનને ખૂલીને વહાલ નહીં કરવાનો રિવાજ નહીં હોય! પિતા-પુત્ર વચ્ચે લાગણીની અભિવ્યક્તિ બોલકી રીતે પ્રગટ થઈ શકતી નથી. અધ્યાપક-કોલમનિસ્ટ મુકેશ મોદી શબ્દો ચોર્યા વગર કહે છે કે નાનપણમાં એમણે વર્ષો સુધી પોતાના સીધાસાદા પિતાજી અંગે ક્ષોભ અનુભવ્યો છે. એમને થાય કે એ બીજાઓના પપ્પા જેવા મોડર્ન અને સરસ જોબ કરતા સધ્ધર આદમી કેમ નથી? એવો પ્રસંગ જ ઊભો ન થવા દે કે બાપુજીએ સ્કૂલે આવવું પડે. ધોતિયું અને ખમીસ પહરેલા બાપા શાળાએ આવે તો કેવું લાગે! અલબત્ત, સમયની સાથે સમજદારી આવતી ગઈ અને પિતાજીને નિહાળતી દષ્ટિ બદલાતી ગઈ. એ લખે છે: ‘બાપુજી માટે ‘લવ યુ ડેડી’ એવો ભાવ નીકળતો નથી. મમ્મી માટે ‘લવ યુ મમ્મી’ સ્વાભાવિક હશે.પપ્પા માટે મને લવ કરતાં સેલ્યુટ શબ્દ વધુ નજીક અને યોગ્ય લાગે છે.’



હાસ્યકાર જગદીશ ત્રિવેદી બે-અઢી વર્ષના હતા ત્યારે પિતાજીના મોટા ભાઈ-ભાભી એમને પોતાની સાથે લઈ ગયા હતા ને પછી સગા દીકરાની જેમ મોટા કર્યા. એ પાંચ-સાત વર્ષના થયા ત્યારે કોઈ ખણખોદિયા બ્રાહ્મણે એમને કહી દીધું કે તુું જેને બા અને બાપા કહે છે એ તો તારા દાદા ને ભાભુ છે, તારાં સગાં મા-બાપ તો થાનગઢ રહે છે! બાળ જગદીશને પહેલાં આઘાત લાગ્યો અને પછી ડર બેસી ગયો: મને થાનગઢ લઈ જશે તો મારાં આ મા-બાપ વગર હું કેવી રીતે રહી શકીશ?  સદભાગ્યે એવું ન બન્યું. જગદીશ ત્રિવેદીની કુંડળીમાં મા-બાપની બબ્બે જોડીનો પ્રેમ લખાયો હતો. પિતા ક્યારેક બાપ ઉપરાંત પણ બીજું ઘણું બધું હોય છે. જેમ કે, ‘હિપ્નોટિઝમનું બીજું નામ’નું બિરુદ પામેલા ડો. પી.ટી. ભીમાણીને એમના સાઈકોલોજિસ્ટ પુત્ર ડો. પ્રશાંત ભીમાણી ગુરુ તરીકે નિહાળે છે.

તદ્દન ભીમાણી બાપ-બેટાની માફક તો નહીં, પણ સંજય છેલનું ફિલ્ડ એમના પપ્પાના કર્મક્ષેત્રથી નિકટ જરુર છે. એમના પપ્પા એટલે છેલભાઈ વાયડા. રંગભૂમિની વિખ્યાત આર્ટ-ડિરેક્ટર જોડી છેલ-પરેશમાંના એક. સંજય લખે છે કે, ‘એ ભાગ્યે જ મારી ફિલ્મો, સિરિયલો વગેરે જુએ છે અને જુએ છે ત્યારે ભાગ્યે જ એમને ગમે છે. પણ મારે એમનાં નાટકોની ટીકા નહીં કરવાની અને એમણે મારી ફિલ્મોની એવી અમારા વચ્ચે મૂંગી સમજૂતિ છે!’



કહે છેને કે માતા પગ ધરતી છે તો પિતા માથા પરનું આસમાન. શું પિતાનાં મૃત્યુ પછી ઘરનો મોટો દીકરો એમનું સ્થાન લઈ શકતો હોય છે? કદાચ, ના. અંગત અનુભવના આધારે પત્રકાર-લેખક નરેશ શાહનો આ જ નીચોડ છે કે સમજણથી, સાહસથી, નસીબથી કે મહેનતથી તમે ગમે તે બની શકો છો, પણ તમે તમારા ‘બાપ’ બની શકતા નથી! મૃત્યુ પામેલા પિતાનું સ્થાન ઘરમાં હંમેશાં ખાલી જ રહે છે! આટલું કહીને લેખક ઉમેરે છે કે, ‘મા લપાઈ જવા માટે હોય છે પણ લડાઈમાં પિતાથી મોટી પ્રેરણા કે શક્તિ બીજી કોઈ નથી.’

પુસ્તકમાં કુલ ૫૧ લેખો છે, જેમાં પિતા અને સંતાન વચ્ચેના સંબંધના ઘણા શેડ્ઝ આકર્ષક રીતે ઝિલાયા છે. આ પ્રકારના પુસ્તકનાં લખાણ પર મેલોડ્રામેટિક બની જવાનું અને ‘પિતૃ દેવો ભવ... મેરે ડેડી મહાન’ પ્રકારની લાગણીમાં વહી જવાનું મોટું જોખમ તોળાતું હોય છે. આ પુસ્તકની સારી વાત એ છે કે અમુક લેખોને બાદ કરતા ઘણાખરા કિસ્સામાં લેખકો સંયમિત રહી શક્યા છે અને ઈમોશનલ ઓવરડોઝથી બચી શક્યા છે. રિપીટેશન યા તો એકની એક ભાવસ્થિતિનું પુનરાવર્તન એ બીજું ભયસ્થાન છે. ખરેખર તો મા, દીકરી વગેરે સંબંધોને કેન્દ્રમાં રાખીને તૈયાર થતાં આ પ્રકારનાં સંપાદનો સ્વયં રિપીટેશનનો ભોગ બનીને નાવીન્ય ગુમાવી ચુક્યા છે. ખેર, સ્વતંત્રપણે ‘લવ યુ પપ્પા’ એક સુંદર અને ગમી જાય એવું સંપાદન બની શક્યું છે.                                                                                                                 0 0 0


 લવ યુ પપ્પા 


સંપાદક: રાજ ભાસ્કર

પ્રકાશક: બુકશેલ્ફ, અમદાવાદ-૯ અને નવભારત સાહિત્ય મંદિર, મુંબઈ 

ફોન: (૦૭૯) ૨૬પ૬ ૩૭૦૬, (૦૨૨)૨૨૦૧ ૭૨૧૩ 

કિંમત:   ૩૫૦ /

પૃષ્ઠ: ૨૪૨





‘’

Thursday, April 18, 2013

જીવન અંગે વિચારવા સિવાય જીવનમાં ઘણું બધું છે!


ચિત્રલેખા - અંક તા. 8 એપ્રિલ 2013

કોલમ: વાંચવા જેવું 


                                                                                         
મેરિકન લેખક હ્યુ પ્રેથરનું એક પુસ્તક છે - ‘નોટ્સ ટુ માયસેલ્ફ’. વિચારતા કરી મૂકે એવા, ચમકી જવાય એવા વિચારો અને નિરીક્ષણોનો તેમાં સંગ્રહ છે. આ નિરીક્ષણો ઘણું કરીને ખુદની અનુભૂતિઓ અને લાગણીઓનાં છે. આ પુસ્તક દસ ભાષાઓમાં અનૂદિત થયું અને દુનિયાભરમાં તેની પચાસ લાખ કરતાંય વધારે નકલો વેચાઈ. ‘નોટ્સ ટુ માયસેલ્ફ’ને યાદ કરવાનું કારણ એ છે કે આજનું પુસ્તક ‘સમજણનું સુખ’ એના જ કુળનું છે. લેખક મૂકેશ મોદીએ તે ‘લખ્યું’ નથી. એમણે પ્રસ્તાવનામાં કહ્યું છે એમ, પુસ્તકમાં રજૂ થયેલી સમજણ લાંબા સમયગાળામાં, વિવિધ સમયે ક્લિક થયેલી તસવીરો છે.

તસવીરો ખરેખર રુપાળી છે. એમાં જીવન ધબકે છે. લેખક કહે છે:

‘અન્યોની અપેક્ષા પ્રમાણે જીવવું એ નકલી જીવન છે. મજાની વાત એ છે કે પેલો પેલાની અપેક્ષા પ્રમાણે અને પેલો પેલાની અપેક્ષા પ્રમાણે જીવવા મથે છે! આમાં જીવનની ઓથેન્ટિસિટી રહે ખરી?’

જીવનની ઓથેન્ટિસિટી એટલે કે જિંદગીનું સાચુકલાપણું.... કેટલો સુંદર શબ્દપ્રયોગ. આ જ પ્રયોગ લેખકે બીજી એક જગ્યાએ પણ કર્યો છે:

‘માનવ ઈતિહાસમાં આજ સુધી કોઈ કોઈને બદલી શક્યું નથી. હા, મહાપુરુષો અન્યોના જીવનને અસર કરી શકે છે. અને એ અસર તેઓ સ્વનું જીવન સુંદર રીતે જીવીને જ ઉપજાવી શક્યા છે. તમે પણ જો અન્યને બદલવા મથતા હો તો પહેલાં તમારે તમારું જીવન ઓથેન્ટિક રીતે જીવવું રહ્યું.’

જીવન ઓથેન્ટિક કેવી રીતે બને? જીવવામાં સચ્ચાઈ કેવી રીતે આવે? માણસ પોતાના આંતરિક લય પ્રમાણે જીવે ત્યારે. એટલે જ લેખક કહે છે કે, 

‘હું જ્યારે લયબદ્ધ અને લવબદ્ધ જીવ્યો છું ત્યારે મારી આસપાસ ફરિયાદનું કારણ રહ્યું નથી.’ 

લય અને લવ બન્ને મહત્ત્વના. માંહ્યલો કહે એમ જીવવા માટે જાતજાતના બંધનો નડતા હોય છે. જોકે લેખક કહે છે કે,

‘આપણી માની લીધેલી માન્યતાઓ સિવાય બીજું એકેય બંધન છે જ નહીં. લેટ્સ ફ્રી અવરસેલ્વ્સ ફ્રોમ સેલ્ફ!’ 

આ જરુરી છે કેમ કે - 

‘જો અને જ્યારે તમે તમારો સ્વીકાર કરો છો તો અને ત્યારે જ વિશ્વ તમને સ્વીકારશે.’ 




આત્મસ્વીકૃતિથી વધારે ગરિમાપૂર્ણ બીજું કશું ન હોઈ શકે. જીવન ક્રૂરતાપૂર્વક આપણી તરફ જે અણધાર્યાં સત્યો અને પરિસ્થિતિઓ ફેંકે છે તેનો પણ હિંમતભેર સ્વીકાર કરી લેવાનો. કારણ? 

‘જે સ્વીકારથી ડરે છે એણે જખ મારીને સ્વીકારવું પડે છે.’

આ બધી આમ તો ડાહી ડાહી અને પોઝિટિવ-પોઝિટિવ વાતો છે. એ કરવી સહેલી છે, પણ...

‘આપણે જેટલી પોઝિટિવિટીની વાતો કરીએ છીએ એટલા પોઝિટિવ હોઈએ છીએ ખરા? એટલી પોઝિટિવિટી શક્ય છે ખરી? ખાલી ખાલી પોઝિટિવ થવા કરતાં, જે છે તેનો સ્વીકાર કરી, દંભી થવાથી બચીએ તો સારું કે નહીં?’

માણસો મિત્રતાનો અને સ્નેહનો દંભ ખૂબ કરતા હોય છે. આવી સ્થિતિમાં સાચો મિત્ર કોને ગણવો?

‘મારા સુખે ખુશ થાય એ મિત્ર. નહીં કે મારા દુખમાં સાંત્વના આપવા આવે એ!’ અને સાચો સ્નેહી? ‘જે તમારા દુખના સમયે તમને હૂંફ તો આપે, પણ તમે દુખનું મૂલ્ય સમજો એ માટે સ્પેસ પણ આપે.’

જીવનમાં એક તબક્કા પછી માણસ અધ્યાત્મ તરફ આકર્ષાવા લાગે છે. લેખક અધ્યાત્મની સાદી પણ સચાટ વ્યાખ્યા બાંધતા કહે છે કે, 

‘અધ્યાત્મ અઘરી કે અટપટી વાત નથી. અધ્યાત્મ એટલે સુખની ખેવના નહીં, અધ્યાત્મ એટલે સુખ અને દુખની સાચી સમજણ.’ 

સાથે સાથે લેખક લાલ બત્તી પણ ધરે છે:

‘અધ્યાત્મ એ માનવજીવનમાં આવતું અંતિમ અને સૌથી ખતરનાક વિઘ્ન છે. માણસ એની જીવનયાત્રામાં જેટલો ક્યાંય ભ્રાન્ત નથી રહેતો, જેટલો લાંબો સમય ક્યાંય અટવાયેલો અને બંધાયેલો નથી રહેતો એટલો અધ્યાત્મના પ્રદેશમાં રહી પડે છે. અધ્યાત્મ પડાવ તરીકે ઠીક છે. અધ્યાત્મ મંઝિલ તો નથી જ.’ 




અધ્યાત્મિકતા કરતાં પ્રસન્નતા કદાચ વધારે મૂલ્યવાન છે. લેખક કહે છે કે, ‘મજા કરવા આ કે તે કરવું પડે છે, પ્રસન્ન રહેવા એટિટ્યુડ કેળવવો પડે.’ જીવનમાં આ પ્રકારની વૈચારિક સ્પષ્ટતા મહત્ત્વની છે, પણ... ‘આપણે સ્પષ્ટ હોઈએ એ જ પૂરતું નથી. આપણી સ્પષ્ટતા અંગે સામેવાળા પણ સ્પષ્ટ હોય તો મોજ પડે.’ 

લેખકે પુસ્તકમાં પાને પાને આવી વિચારકણિકાઓ વિખરી છે. નાના નાના વાક્યો અથવા તો વાક્યસમૂહો. કોઈ તમ્મર ચડાવી દે એવી ફિલોસોફી નહીં, ઉપદેશનો મારો કરીને વાચકનું જીવન સુધારી નાખવાના મરણિયા પ્રયત્નો નહીં. આ સભાનપણે વિચારાયેલા વિચારો નથી. હોઈ શકે પણ નહીં. વિચારોમાં સાદગી, સહજતા અને હળવાશ છે. પુસ્તકની માતબર પ્રોડક્શન વેલ્યુ એનાં સમૃદ્ધ content સાથે તાલ મિલાવે છે. પાનાં સજાવનાર ડિઝાઈનર રણમલ સિંધવનો વિશેષપણે ઉલ્લેખ કરવો જોઈએ. પુસ્તક આમ તો ‘ગિફ્ટ એડિશન’ છે. સૌથી પહેલાં તો પુસ્તક ગિફ્ટમાં કોઈને આપવાનું તમને મન નહીં થાય. ધારો કે આપ્યું તો સામેનો માણસ એ વાંચીને જીવન વિશે સારા સારા વિચારો કરવા પ્રેરાશે. સવાલ એ છે કે આવા વિચારો કરવાથી શું વળે? કેમ કે લેખક પોતે જ એક જગ્યાએ કહે છે કે:

‘જીવન અંગે વિચાર કરવા સિવાય જીવનમાં ઘણું બધું છે!’          0 0 0



સમજણનું સુખ 

લેખક: મૂકેશ મોદી
પ્રકાશક: ડબલ્યુ.જી.બી. પબ્લિકેશન, અમદાવાદ

ફોન: ૯૧૭૩૪ ૦૪૧૪૨

કિંમત:  ‚. ૨૦૦ /
પૃષ્ઠ: ૧૧૪

                                       ૦ ૦ ૦