Showing posts with label Zaverchand Meghani. Show all posts
Showing posts with label Zaverchand Meghani. Show all posts

Saturday, January 19, 2019

મેઘાણી જ્યારે ‘દેવદાસ’ ફિલ્મનો રિવ્યુ કરે છે...


દિવ્ય ભાસ્કર – કળશ પૂર્તિ – 16 જાન્યુઆરી 2019 
ટેક ઓફ 
હું લેખક છું. મારી કૃતિઓની તમે બધાં ફાવે તે ખોદણી કર્યા કરો પણ મારા સ્વભાવ અને મારી આદતોમાંથી પણ તમને શો સ્વાદ મળવાનો? હું કમભાગ્યે લેખક થયો એટલે શું તમારી સહુની પાસે મારા જીવનને પ્રગટ કરવાની ય મારા પર ફરજ છે?’
Zaverchand Meghani

ક ઉત્તમ સાહિત્યકાર જ્યારે બીજા ઉત્તમ સાહિત્યકાર વિશે લખે ત્યારે આપણને વાંચકોને મસ્તમજાની સામગ્રી સાંપડતી હોય છે. ઝવેરચંદ મેઘાણી ગુજરાતી ભાષા-સાહિત્યના કોહિનૂર હીરા સમાન છે, તો શરદબાબુ અથવા શરદચંદ્ર અથવા સરતચંદ્ર ચટ્ટોપાધ્યાય બંગાળી સાહિત્યજગતનું અમર નામ છે. શરદબાબુ કરતાં મેઘાણી એકવીસ વર્ષ નાના. શરદબાબુને આખું ભારત ખાસ કરીને એમની આ બે નવલકથા માટે જાણે છે - દેવદાસ (કે જેના પરથી જુદી જુદી ભાષાઓમાં ફિલ્મો સતત બન્યા જ કરે છે) અને શ્રીકાંત (જેના પરથી ઉત્તમ હિંદી ટીવી સિરીયલ બની ચુકી છે). બાય ધ વે, આજે શરદબાબુની પુણ્યતિથિ છે. 16 જાન્યુઆરી 1938ના રોજ 61 વર્ષની ઉંમરે એમનું નિધન થયું હતું.
વિષય ભલે ગમે તે હોય, બંગાળી સાહિત્યની વાત રવીન્દ્રનાથ ટાગોર વગર શરૂ કે પૂરી થઈ શકતી નથી. ટાગોર અને શરદબાબુને સાંકળી લેતો એક સુંદર પ્રસંગ મેઘાણીએ એક જગ્યાએ ટાંક્યો છે. 1907માં બનેલો આ કિસ્સો કંઈક એવો છે કે એક દિવસ રવીન્દ્રનાથ પાસે એક વાર બંગ-દર્શન નામના માસિકના તંત્રી આવી ચડ્યા. આવતાંની સાથે રીતસર ધોખો કર્યો.
-     આવું હોય કે?
-     શું થયું, શૈલેશબાબુ?
-     આવી ઉત્તમ વાર્તા તમે મારા માસિકને આપવાને બદલે ભારતી મેગેઝિનમાં છપાવી? મારા પ્રત્યે આવી નારાજગી? મારાથી એવી તે શી ભુલ થઈ ગઈ?
ટાગોરને નવાઈ લાગી. પૂછે છેઃ
-     મારી કઈ વાર્તાની વાત તમે કરો છો? મેં તો ભારતીમાં કોઈ વાર્તા મોકલી નથી. તમારી ભુલ થતી લાગે છે.
તંત્રીસાહેબે પોતાના થેલામાંથી પેલી વાર્તાનું કટિંગ કાઢ્યું. ટાગોરની સામે તે ધરીને કહેઃ
-     હવે મહેરબાની કરીને એમ ન કહેતા કે આ વાર્તા તમે લખી નથી. લેખક તરીકે ભલે તમે બીજું નામ લખ્યું હોય, પણ એનાથી કંઈ તમારી શૈલી થોડી છૂપી રહી શકે?
ટાગોરે લખાણ હાથમાં લીધું. લેખકના નામની જગ્યાએ બડીદીદી (એટલે કે મોટી બહેન) એવું છદ્મનામ લખાયેલું હતું. કુતૂહલવશ એક-બે પાનાં ઊથલાવ્યાં. એમની ઉત્સુકતા વધતી ગઈ. એમણે એ જ વખતે, તંત્રીની હાજરીમાં આખી વાર્તા વાંચી નાખી. પછી કહેઃ
-     અદભુત લખાણ છે, પણ આ મારું નથી.
તંત્રી નવાઈ પામી ગયા. એમને હજુ માન્યામાં આવતું નહોતું કે આવું સુંદર લખાણ ટાગોરનું નથી. તંત્રીથી રહેવાયું નહીં એટલે એમણે ભારતીના સંપાદકનો સંપર્ક કર્યોઃ
-     બડીદીદી કોણ છે? ઉત્તમ વાર્તા લખી છે એણે. મહેરબાની કરીને એની ખરી ઓળખ જાહેર કરો.
ભારતીના પછીના અંકમાં વાચકોએ એક સાવ નવું નામ જોયું. સામાન્ય વાચકથી માંડીને છેક ટાગોર જેવા સાહિત્યસ્વામીને મુગ્ધ કરી દેનાર બડીદીદીનું ખરું નામ હતુઃ શરદચંદ્ર ચટ્ટોપાધ્યાય! બંગાળી સાહિત્યવિશ્વમાં શરદબાબુનુ આ પહેલું પગલું. કહો કે આ એમની મુંહ-દિખાઈ વિધિ હતી.  
શરદબાબુ ક્રમશઃ મશહૂર થતા ગયા. કેટલાંક વર્ષ પછી યમુના નામના સામયિકમાં એમની ચરિત્રહીન નામની ધારાવાહિક નવલકથા શરૂ થઈ. સમાજમાં પ્રચલિત કેટલાક રીતિ-રિવાજો પર એમણે આ નવલકથામાં આકરા પ્રહાર કર્યા. વાર્તા એટલી બધી બોલ્ડ હતી કે વાચકો કાંપી ઉઠ્યા. ચોખલિયાઓ નગ્ન સત્ય પચાવી ન શક્યા. અત્યારે તો કોઈ પુસ્તક પર વિવાદ થાય તો એનું વેચાણ ધડાધડ વધી જાય છે, કોઈ ફિલ્મ રિલીઝ થતાં પહેલાં કન્ટ્રોવર્સી પેદા થાય તો એના હિટ થવાના ચાન્સ અનેકગણા વધી જાય છે, પણ જૂના જમાનામાં એવું નહોતું. ચરિત્રહીનથી ખળભળી ગયેલા અસંખ્ય વાચકોએ યમુના સામયિક વાંચવાનું જ છોડી દીધું. કેટલાયે લવાજમ પાછાં મગાવી લીધાં. પરિસ્થિતિ એટલી હદે વણસી ગઈ કે યમુના સામયિક બંધ કરવું પડ્યું. અધૂરી રહેલી ગયેલી ચરિત્રહીન નવલકથા પછી ઘણા સમય બાદ પુસ્તક સ્વરૂપે આખેઆખી પ્રગટ થઈ.

Sarat Chandra Chattopadhyay

એક વાર શરદબાબુને કોઈ ફંકશનમાં વિશેષ અતિથિ તરીકે આમંત્રણ આપવા માટે એક માણસ આવ્યો. એણે શરદબાબુને કહ્યું કે, મારા તમારા જીવનની સફર વિશે જાણવું છે. શરદબાબુ રોષે ભરાઈ ગયા. કહેઃ
મારા જીવનની વાતો સાંભળવાથી તમને શો લાભ છે? હું લેખક છું. મારી કૃતિઓની તમે બધાં ફાવે તે ખોદણી કર્યા કરો પણ મારા સ્વભાવ અને મારી આદતોમાંથી પણ તમને શો સ્વાદ મળવાનો? માણસના જીવનમાં તો ઘણી વાતો બનતી હોય છે. પણ હું કમભાગ્યે લેખક થયો એટલે શું તમારી સહુની પાસે મારા જીવનને પ્રગટ કરવાની ય મારા પર ફરજ છે?’
પેલો નિમંત્રણ આપવા આવેલો ભાઈ ડઘાઈ ગયો. કહેઃ
મને ક્ષમા કરજો, પણ જેની કૃતિઓના તસુએ તસુની અંદરથી મહાન સત્યોનો ગુંજારવ ઊઠે છે, એવા પુરુષના પોતાના જીવનના પડછાયા એમાં પડ્યા વગર કેમ રહી શકે? હું દઢપણે માનું છું કે આવી કૃતિ માત્ર કલ્પનામાંથી નથી સજાવી શકાતી. આપના પ્રત્યેક લખાણમાં માર્દવ ભર્યું છે. આપનું દેવદાસ વાંચ્યા પછી બે-ત્રણ દિવસ સુધી મને એનો વળગાડ રહ્યો હતો.
ચરિત્રહીન તો ફિક્શન હતું, બાકી શરદબાબુએ સેક્સ પર મોટો ગ્રંથ લખ્યો હતો. કમનસીબે એમના ઘરને આગ લાગતાં ગ્રંથની હસ્તપ્રત બળીને ખાખ થઈ ગઈ. શરદબાબુના મનોવિજ્ઞાની પિતાજીની કેટલીય અધૂરી હસ્તપ્રતો પણ આગમાં ભસ્મીભૂત થઈ ગઈ. જો આ દુર્ધટના ન બની હોત અને શરદબાબુનું સેક્સ વિષયક પુસ્તક બહાર પડ્યું હોત તો કોણ જાણે કેવો હોબાળો મચી ગયો હોત.  
આ બધી વાતો ઝવેરચંદ મેઘાણીએ પોતાના લખાણમાં નોંધી છે. પેલા નિમંત્રકને શરદબાબુની જે નવલકથા વાચ્યા પછી બે-ત્રણ દિવસ સુધી અસરમુક્ત થઈ શક્યા નહોતા એ દેવદાસનો ગુજરાતી યા હિન્દી અનુવાદ આપણે વાંચ્યો હોય કે ન વાંચ્યો હોય, પણ આ કૃતિ પરથી બનેલી સાયગલવાળી, દિલીપકુમારવાળી અથવા શાહરૂખ ખાનવાળી કે બીજી કોઈ પણ ફિલ્મ આપણે જરૂર જોઈ હશે. દેવદાસનું આવું એકાદ વર્ઝન જોઈને ઝવેરચંદ મેઘાણીએ એનો ફિલ્મ રિવ્યુ લખ્યો હતો. મેઘાણી દેશી-વિદેશી ફિલ્મોના જબરા શોખીન અને જાણકાર હતા એ જાણીતી વાત છે. દેવદાસના કથાવસ્તુએ આખા દેશના ફિલ્મમેકરોની કેટલીય પેઢીઓને સતત આકર્ષ્યા છે, પણ મેઘાણીને દેવદાસનું લૂઝર પાત્ર જરાય નહોતું ગમ્યું. એમનો રિવ્યુ એમના જ શબ્દોમાં વાંચવા જેવો છે. લેખનું શીર્ષક છે - દેવદાસનું ચિત્રપટઃ ખોટી ભાવના. ઓવર ટુ ઝવેરચંદ મેઘાણીઃ  
આજે સાહિત્યના સહોદર સમા વિષય ચિત્રપટને નીરખીએ. બહોશ ફોટોગ્રાફી, સ્વરવાહન અને મર્મગ્રાહી સંયોજન – એ ચિત્રપટની ખૂબીની વાતો છે. એ વાતો સાહિત્યના ક્ષેત્રની નથી. એની  ઓથે ઊભા રહેતા સાહિત્યભાવોને તપાસી જોઈએ, કેમ કે આપણી જવાબદારીનો પ્રદેશ છે.
ભાવના સાચી કઈ? ખોટી કઈ? દેવદાસ નામના ચોટદાર ચિત્રપટની ભાવના જૂઠીઃ મોડર્ન ટાઇમ્સ નામના ચાર્લી ચેપ્લિનના તમાશાની ભાવના સાચી.
દેવદાસના કારીગરોને તો હું વંદન કરું છું. કાબેલ કારીગરી કરી છે. પણ એ વંદન તેની વાર્તાના સર્જકને નથી આપી શકતો. દેવદાસ નામ એ વાર્તાનું નહોતું હોવું જોઈતું. એ વાર્તાનું વીરપાત્ર તો પેલી કન્યા છે (એટલે કે પારો), અમીરજાદો દેવદાસ નહીં.
દેવદાસ ગીતો ગાય છે. દર્દભર્યા શબ્દો બોલે છે, પ્રેમનું પાગલપણું બતાવે છે, પણ તેથી આ પાત્રની નિર્વિર્યતા ઓછી થતી નથી. એ જમીનદારનો જુવાન પુત્ર છે, ગામની એક અકુલિન કન્યા જોડે પ્રેમમાં પડ્યો છે. અભ્યાસ કરવા કરતાં પોતાની ઇચ્છા વિરુદ્ધ કલકત્તે ધકેલાય છે ને ત્યાં વિરહની વેદનાને ઓલવવા, બસ, ઝપાટાભેર કુમિત્રો, સુરાપાન તથા વેશ્યાગમનનું શરણ લે છે. (બેશક, દુરાચાર નથી સેવતો.)
પેલી કન્યા બહાદૂર છે! ઘોર રાત આવે છેઃ દેવદાસ! કાલે મારો વિવાહ થઈ જવાનો. ચાલ, હું તારી જોડે ભાગી જવા તૈયાર છું. ચાલ, સાચા પ્રેમને ખાતર હું જીવનમાંથી ઊખડી જવા તત્પર છું – ને હવે વાર નથી.
કાયર દેવદાસ એ પ્રેયસીનો બત્રીસો ચડી જવા દે છે. પછી બસ, શરાબીમાં ડૂબે છે. હિંદભરની જાત્રાઓ કરવા રેલગાડીમાં કાળી દોડાદોડ મચાવે છે, તાવમાં સળગે છે, મરે છે, વગરે વગેરે...
કારણ કે દેવદાસની ગાંઠે નિર્વિર્ય પ્રણયવેદનાનો વૈભવ માણવાનાં નાણાં હતાં, ગીતો ગાવાની સગવડ હતી, એનો પંથ લીસો અને લપટ હતો, અને એને જવાબદારીનું ભાન નહોતું.
પાંચ કુંટુંબીઓનાં પેટ ફરવાની ફરજ અદા કરતો છૂપી ઉરવ્યથાઓને પોતાના અંતરને ઊંડાણે સંઘરનાર કોઈ દેવદાસ આપણાં ચિત્રપટો પર જે દિવસે સર્જાશે તે દિવસ દૂર છે. એવું સફળ સર્જન પેલી કન્યાના પાત્રમાં થઈ શક્યું છે. દ્વિધા-જીવન જીવી જાણનારી એ યુવતીનો કરૂણ અંજામ જગતની કૈંક આંખોમાં ચિરગુંજન કરશે.
રિવ્યુ સમાપ્ત. મેઘાણીના આ દષ્ટિકોણ સાથે અસહમત થવાનો પ્રશ્ન જ ઉઠતો નથી, ખરું?
0 0 0 


Tuesday, August 30, 2016

‘કવિ' શબ્દ હવેથી અમે જાળવીને વાપરીશું...

સંદૃેશ - અર્ધસાપ્તાહિક પૂર્તિ - બુધવાર  - 3૧ ઓગસ્ટ  ૨૦૧૬ 

ટેક ઓફ

રવીન્દ્રનાથ ટાગોર અને ઝવેરચંદ મેઘાણી ભલે સમકાલીન ગણાય, પણ ઉંમરમાં મેઘાણી કરતાં ટાગોર ૩૫ વર્ષ મોટા. મેઘાણી પર કવિવરનો કેવો પ્રભાવ હતો? આ બન્ને શબ્દસ્વામીઓ વચ્ચે સંબંધ કેવી  રીતે સ્થપાયો અને વિસ્તર્યો હતો? 


ઝવેરચંદ મેઘાણી

ભારતના બે ઉત્તમોત્તમ સાહિત્યપુરુષોનાં જન્મ-મૃત્યુદિન ઓગસ્ટ મહિનામાં પડે છે. રવીન્દ્રનાથ ટાગોરનો મૃત્યુદિન ૭ ઓગસ્ટ હતો, જ્યારે ઝવેરચંદ મેઘાણીનો જન્મદિન હજુ ત્રણ દિૃવસ પહેલાં જ ગયો - ૨૮ ઓગસ્ટ. ટાગોરે ૮૦ વર્ષની ભરપૂર ઉંમરે દૃેહ છોડ્યો હતો.  એમના અવસાન બાદ છ વર્ષે, ૧૯૪૭માં, મેઘાણીનુ નિધન થયું.

(નોંધઃ આજના 'સંદેશ' અખબારમાં છપાયેલા આ લેખમાં હકીકતદોષ રહી ગયો છે. 28 ઓગસ્ટનો ઉલ્લેખ મેઘાણીના જન્મદિનને બદલે મૃત્યુદિન તરીકે થયો છે. સ્લિપ-ઓફ-પેન  (અથવા કી-બોર્ડ) આને જ કહેતા હશે. ક્ષમસ્વ.)  

આ બન્ને શબ્દૃસ્વામીઓ ભલે સમકાલીન ગણાય, પણ ઉંમરમાં મેઘાણી કરતાં ટાગોર ૩૫ વર્ષ મોટા. મેઘાણી પર કવિવરનો કેવો પ્રભાવ હતો? તેમની વચ્ચે કેવી રીતે પ્રત્યક્ષ સંબંધ સ્થપાયેલો અને વિકસેલો? આ સવાલોના જવાબમાં ઝવેરચંદૃના પૌત્ર પિનાકી મેઘાણીએ તારવેલી વિગતો ખરેખર માણવા જેવી છે.
ઝવેરચંદૃ મેઘાણીના મોટા ભાઈ કલકત્તામાં સ્થાયી થયા હતા. તેઓ બીમાર પડતા બાવીસ વર્ષના જુવાનજોધ મેઘાણીએ ૧૯૧૮માં ઓિંચતા કલકત્તા જવું પડેલું. રોકાણ લંબાતા જીવણલાલ એન્ડ કંપની નામની એલ્યુમિનિયમનાં વાસણો બનાવતા કારખાનામાં કામ કરવા લાગ્યા. રસ્તાઓ પર ફરતા હોય ત્યારે એમની આંખો દૃુકાનોના સાઈનબોર્ડ્સ પર સરકતી રહે. બંગાળી અક્ષરો સાથે પરિચય કેળવાતો ગયો. સભાનતાપૂર્વક બંગાળી ભાષા શીખવાનું શરુ કર્યુ. ક્રમશ: બંગાળી સાહિત્યના સીધા સંપર્કમાં આવવાનું થયું. કવિવર રવીન્દ્રનાથ ટાગોર અને તેમના સાહિત્ય પ્રત્યે આદૃરભાવ કેળવાવો સ્વાભાવિક હતો.

મેઘાણીની સર્વપ્રથમ પ્રકાશિત પુસ્તક ‘કુરબાનીની કથાઓ'ના મૂળમાં ટાગોર જ છેને. ૧૯૦૦મા ટાગોરનું ‘કથા ઉ કાહિની' નામનું પુસ્તક પ્રગટ થયેલું. તેમાં એમણે શીખ, રાજપૂત, બૌદ્ધ, મરાઠા નરબંકાઓના સ્વાર્પણ તેમજ ત્યાગને ઉજાગર કરતા કથાગીતો લખ્યાં હતાં. મેઘાણીએ એમાંથી અઢાર ચોટદૃાર ઘટનાઓ પસંદૃ કરી, તેને ગદ્ય સ્વરુપમાં આપી, ‘કુરબાની કથાઓ'માં સંગ્રહિત કરી. ટાગોરનું ઋણ સ્વીકારતાં મેઘાણીએ લખ્યું છે: ‘આ મારું પહેલું પુસ્તક છે એટલું જ કહેવું બસ નથી. આ પુસ્તકે મારા માટે વાચકજગતમાં અજવાળું કરી આપ્યું એ ગુણ હું કેમ ભુલી શકું?'

Meghani with Nandlal Bose


ટાગોર અને મેઘાણીનો સૌથી પહેલો વ્યવસ્થિત મેળાપ કલકત્તામાં નહીં, પણ મુંબઈમાં થયો હતો, ૧૯૩૩માં. કવિવરના અંતરંગ સાથી અને વિખ્યાત ચિત્રકાર નંદૃલાલ બોઝે ખાસ ભલામણ કરેલી: ઝવેરચંદૃ મેઘાણીને મળીને ગુજરાતના લોકસાહિત્યનો આસ્વાદૃ ખાસ માણવા જેવો છેે! ટાગોરના ગુજરાતી શિષ્યો બચુભાઈ શુકલ અને પિનાકીન ત્રિવેદૃીએ મુલાકાત ગોઠવી. નિર્ધારિત દિૃવસે સવારના સાડાસાત વાગે ફોર્ટ સ્થિત સર દૃોરાબજી ટાટા પેલેસમાં ઉતરેલા ટાગોરને મળવા મેઘાણી પહોંચી ગયા. મુલાકાત માટે માંડ અડધો કલાક ફાળવવામાં આવેલો, પણ આટલા ઓછા સમયમાંં મેઘાણીની ધોધમાર પ્રતિભા કેવી રીતે ઝીલાય? ગુજરાતના લોકસાહિત્ય, લોકજીવન અને લોકસંસ્કૃતિની શૌર્ય-શૃંગારથી ભરપૂર વાતો તેમજ લોકગીતોની મેઘાણીએ એવી તો રમઝટ બોલાવી કે ટાગોર પ્રસન્ન થઈ ગયા. મેઘાણીએ ગુજરાત અને બંગાળનાં લોકગીતોની તુલનાત્મક વાતો પણ કરી. ટાગોર ઝુમી ઉઠ્યા. સપાટામાં દૃોઢ કલાક વીતી ગયો.

બે સાચા સાહિત્યસંગીઓનો સંવાદૃ સોળે કળાએ ખીહ્લયો હતો બરાબર તે જ વખતે તેજલિસોટા જેવી એક માનુની  પ્રગટ થઈ. એ હતાં સરોજિની નાયડુ. કવિવરે એમને નવ વાગ્યાનો સમય આપેલો. મુલાકાત-ખંડમાં જે પ્રકારનો માહોલ છવાયેલો હતો તેના પરથી સરોજિની નાયડુ તરત પરિસ્થિતિ કળી ગયાં. એમણે કહ્યું, ‘આવી રસભરી ગોઠડીમાં ભંગ પાડતા મારો જીવ ચાલતો નથી. મારો સમય હું મેઘાણીને ફાળવું છું!' જતાં જતાં તેઓ ભલામણ સુધ્ધાં કરતાં ગયાં કે મેઘાણીને તો ખુદૃ ગાંધીજીએ ‘રાષ્ટ્રીય શાયરનું બિરુદૃ આપ્યું છે એટલે ગુરુદૃેવ, મેઘાણી પાસેથી એમણે રચેલાં દૃેશપ્રેમનાં ગીતો ખાસ સાંભળજો!

બોલપુર રેલવે સ્ટેશન પર ઝવેરચંદ મેઘાણીનું ભાવભીનું સ્વાગત 

વાતવાતમાં ટાગોરે કહ્યું કે હું કાઠિયાવાડ બે વાર આવી ગયો છું. વિરમગામ વટાવતાંની સાથે જ જે રીતે છોગાળી પાઘડીઓ અને હવામાં ઉડ-ઉડ કરતી ઓઢણીઓ દૃેખાવા લાગી હતી ને જોતાં લાગતું હતું કે જાણે હું કોઈક રંગપ્રેમી પ્રદૃેશમાં આવી ગયો છું!  મેઘાણીએ કહેલું: ‘ગુરુદૃેવ, બેય વખતે તમે કાઠિયાવાડી રાજવીઓના મહેમાન બનીને આવ્યા હતા એટલે તળપદૃું લોકજીવન તમારાથી દૃૂર રહી ગયું. હવે ત્રીજી વાર આવો ત્યારે એવી રીતે આવજો કે જેથી આ ભૂમિના લોકસંસ્કાર અને લોકવાણીથી નિકટ રહી શકાય. કાઠિયાવાડ તમને નિતનવાં ગીતો, કાવ્યો અને કથાઓની અખૂટ સામગ્રી આપશે...'

ટાગોરે જવાબ આપ્યો, ‘કાઠિયાવાડ આવવાનું મન તો બહુ છે, પણ હવે તો કોણ જાણે... પણ એમ કર, તું જ શાંતિનિકેતન આવ. આપણે બેઉ ગુજરાતી અને બંગાળી લોકગીતોની મેળવણી કરીશું ને ચૂંટીને અંગ્રેજી અનુવાદૃ સાથે પ્રગટ કરીશું. જરુર આવ તું... પણ હા, શિયાળામાં આવજે. ઉનાળો અમારે ત્યાં બહુ આકરો.'

આ ઠાલી ઔપચારિકતા નહોતી. કલકત્તા પરત ગયા બાદૃ ગુરુદૃેવે નંદૃલાલ બોઝ મારફતે મેઘાણીને શાંતિનિકેતન આવવાનું વિધિસર નિમંત્રણ મોકલ્યું હતું. જોકે ટાગોર-મેઘાણીની પહેલી અને બીજી મુલાકાત વચ્ચે આઠ વર્ષનાં વહાણાં વાઈ ગયાં. ૧૯૪૧માં શાંતિનિકેતનના વિદ્યાર્થી સંગઠન તરફથી ગુજરાતનાં લોકસાહિત્ય અને લોકગીતો પર ચાર વ્યાખ્યાન આપવા માટે મેઘાણીને ફરી આમંત્રણ મળ્યું. મેઘાણી મૂંઝવણમાં મૂકાયા. એક બાજુ તેઓ ગુજરાતના લોકસાહિત્યને આંતરપ્રાંતીય દૃુનિયામાં લઈ જવા માગતા હતા. એમને ખાતરી હતી કે અન્ય પ્રાંતોના લોકસાહિત્યની સરખામણીમાં આપણું સાહિત્ય જરાય ઊતરતું પૂરવાર નહીં થાય. બીજી તરફ તેમના મનમાં સંકોચ મિશ્રિત ડર હતો કે એક વિશ્ર્વકવિના ગાને રસાયેલી ને પોષાયેલી શાંતિનિકેતન જેવી મહાન સંસ્થા સામે હું ખડો રહી શકીશ? છેવટે તેમણે નક્કી કર્યું: ‘હું ટાગોરનો કરજદૃાર છું. આઠ વર્ષનું વ્યાજ ચડ્યું છે. મારા ઈષ્ટ વિષયનું શ્રેય, તેમ મારી પ્રગતિશીલતાની કસોટી પણ ત્યાં જઈ સુવર્ણતુલાએ ચડી તોળાવામાં જ છે.'

મેઘાણી.. રતન-કુટિર પાસે
આખરે નિમંત્રણને નમ્ર સ્વીકાર કરીને મેઘાણીએ ૧૨ માર્ચ ૧૯૪૧ના રોજ ટાગોરની કર્મભૂમિ શાંતિનિકેતનમાં પગ મૂક્યો. બોલપુર એમનું ભાવભીનુ સ્વાગત કરવામાં આવ્યુંં. એકદૃમ ખાસ ગણાતા યુરોપિયન ગેસ્ટહાઉસ ‘રતન-કુટિર'માં એમને માનભેર ઉતારો અપાયો. શાંતિનિકેતનના નવ દિૃવસના રોકાણ દૃરમિયાન  મેઘાણીએ અંગ્રેજીમાં ચાર પ્રવચનો આપ્યાં: ફોક સોંગ્સ ઓફ ગુજરાત, ટેલ્સ ટોલ્ડ ઈન વર્સ (ગરબા-ગીતોમાં નિરુપાયેલી જીવનકથાઓ), ધ બાર્ડિક લોર (ચારણી વાણી) અને ફોકલોર: અ લિિંવગ ફોર્સ (લોકસાહિત્ય: એક જીવંત શકિત).


શાંતિનિકેતનનનાં વિદ્યાર્થીઓ-વિદ્યાર્થિનીઓ  સાથે ઝવેરચંદ મેઘાણી


ઓડિયન્સમાં યુપી અને આંધ્રનાં, હિમાલય અને િંસહલદ્વિપનાં, રાજપુતાના અને પંજાબ-િંસધ-બિહારનાં યુવાન વિદ્યાર્થી-વિદ્યાર્થિનીઓ હતાં. ચીન, જાવા અને સુમાત્રાના સ્ટુડન્ટ્સ પણ હતા. વ્યાખ્યાનોની પૂર્વભૂમિકા બાંધતા મેઘાણીએ કહ્યું, 'મારા ગુજરાતના નવઘડતરમાં જે થોડાં બળો કામ કરી રહેલ છે તે પૈકીનું એક આ લોકસાહિત્ય. મારી જન્મદૃાત્રી ગુજરાતના ભૂતકાળનો પરિચય દૃેનાર આ લોકસાહિત્યે ઈતિહાસને દૃફતરે ન સચવાઈ શકેલી એવી કેટલીક વાતો જનેતાની અદૃાથી ચીંથરીઓમાં સાચવી રાખી છે, પણ ગુજરાતની કોઈ ગર્વિષ્ઠ વિશિષ્ટતા દૃેખાડવા, ગુજરાતના ન્યારાપણાના બણગાં ફૂંકવા હું નથી આવ્યો. લોકવાણીનો ઝોક સહિયારાપણા પર હોય છે. એમાં હુંકાર નથી. હું તો આવું છું ગુરુદૃેવે દૃીધેલ નોતરાના જવાબમાં, લોકવાણીની સમાનતા પકડવા, ટુ કમ્પેર નોટ્સ.'

મેઘાણીના ગાનમિશ્રિત વ્યાખ્યાનોએ ઉપસ્થિત રહેલા દૃેશવિદૃેશના આ સેંકડો વિદ્યાર્થીઓ ઉપરાંત અધ્યાપકોેને પણ મુગ્ધ કર્યા. મેઘાણી પછી એક જગ્યાએ નોંધ્યું છે:

‘...શાંતિથી સહુ સાંભળતા હતા. મારી અને શ્રોતાઓની વચ્ચે એક ભૂમિકા ઊભી થઈ ગઈ ને એ ઝાંખા પ્રકાશમાં મેં નિહાળ્યા અનેક ઉત્કંઠિત, પુલકિત, પારદૃર્શક, પ્રેમલ યુવાન ચહેરાઓ. આસ્થા અને આદૃર તેમના પર પથરાયાં હતાં. એક અજાણ્યા ગુજરાતીની આવડી મોટી ઘૃષ્ટતા પ્રત્યે રંજ માત્ર તુચ્છકાર કે સંકુચિતતા મેં તે ચહેરાઓ પર દૃીઠી નહીં. મારો ડર ગયો.'



શાંતિનિકેતનનનાં વિદ્યાર્થીઓ-વિદ્યાર્થિનીઓ  સાથે ઝવેરચંદ મેઘાણી


મેઘાણી શાંતિનિકેતન હતા એ અરસામાં ગુરુદૃેવ બહુ જ અશકત અને પથારીવશ હતા. ઝાઝું જોઈ કે સાંભળી શકતા નહીં. નંદૃલાલ બોઝે મેઘાણીને કહ્યું, ‘ચાલો, કવિવરને મળવા. અશકિતને કારણે થોડાંને જ મળે છે, પણ તમને મળીને રાજી થશે. મેઘાણીએ કહ્યું, 'મારે એમની શકિત નથી બગાડવી. કોઈક વધારે મહત્ત્વના કાર્યમાં એ ખપ લાગશે. નંદૃલાલ બોઝ સાથે ગુરુદૃયાલ મલ્લિકે પણ અતિ આગ્રહ કર્યો એટલે મેઘાણી ગુરુદૃેવના તે વખતના નિવાસસ્થાન ‘શ્યામલી'ના પગથિયાં સુધી જઈ, ત્યાંથી જ ચરણરજ લઈને પાછા ફર્યા. જતાં જતાં સંદૃેશો છોડતા ગયા: ‘ગુરુદૃેવને કહેજો, મેઘાણી આવેલ ને આપને આપેલ વચન નિભાવીને ગયેલ છે...'

૧૯૪૧ના માર્ચમાં મેઘાણીએ શાંતિનિકેતનની મુલાકાત લીધી ને એના ફકત સાડાચાર મહિના પછી, ૭ ઓગસ્ટ ૧૯૪૧ના રોજ રવીન્દ્રનાથ ટાગોરનું મૃત્યુ થયું. મેઘાણી ખૂબ આઘાત પામ્યા. કવિવરને ભાવપૂર્વ અંજલિ આપતા એમણે લખ્યું હતું: ‘તમે કવિ હતા. ‘કવિ' શબ્દૃ હવેથી અમે જાળવીને વાપરશું.'

૧૯૨૦માં કલકત્તામાં ટાગોરના મુખેથી એમનું લોકપ્રિય કાવ્ય ‘નવવર્ષા સાંભળ્યું હતું. એ કાવ્ય સતત મેઘાણીના મન-હૃદૃયમાં રમતું રહ્યું હતું. આખરે ટાગોરના મૃત્યુનાં ત્રણ વર્ષ બાદૃ, ૧૯૪૪માં, મેઘાણીએ તે કાવ્યનો ગુજરાતીમાં અનુવાદૃ નહીં, પણ અનુસર્જન કર્યું. આ એ જ ગીત છે જે સાંભળીને આપણે આજની તારીખે પણ થનગની ઉઠીએ છીએ: 'મન મોર બની થનગાટ કરે...'  આ ગીત વાસ્તવમાં ટાગોરની ત્રીજી પુુણ્યતિથિએ પ્રગટ કરેલાં ‘રવીન્દ્ર વીણા' પુસ્તકનો અંશ છે. મેઘાણીએ આ પુસ્તકમાં ૬૪ જેટલાં રવીન્દ્ર-કાવ્યોને ગુજરાતીમાં અવતાર્યાં, જેમાં 'મન મોર બની થનગાટ કરે' ઉપરાંત ‘ગાજે ગગને મેહુલિયો રે', ‘આવજો આવજો વાલી બા', ‘કોઈ દૃી સાંભરે નૈ', ‘ગામના લોકો મૂરખા રે એને કાળવી કે'તા રે' જેવી અન્ય જાણીતી રચનાઓ પણ છે.

મેઘાણી પચાસ વર્ષ જીવ્યા હતા. ફકત પચાસ વર્ષ! જે માણસ આટલા ટૂંકા જીવનમાં આટલું વિરાટ કામ કરી શક્યો એ જો ટાગોરની માફક  દૃીર્ઘાયુષ પામ્યો હોત તો આજે ગુજરાતી સાહિત્ય કેટલું વધારે સમૃદ્ધ હોત તે મીઠી કલ્પનાનો વિષય છે.

0 0 0

Wednesday, October 14, 2015

ટેક ઓફ : મેંદી લેશું, મેંદી લેશું, મેંદી મોટાં ઝાડ...

Sandesh - Ardh Saptahik Purti - 14 Oct 2015

ટેક ઓફ 

પોરબંદરના બગવદર ગામના એક મોભાદાર મેરાણીએ 'ફિલ્ડ વર્ક'કરવા નીકળેલા ઝવેરચંદ મેઘાણીને કંઈકેટલાય રાસડા ગાઈ સંભળાવ્યા ત્યારે કલ્પના નહીં કરી હોય કે આ રીતે મેઘાણીના ચિત્તમાં ચંપાઈ ગયેલી લોકગીતપ્રેમની ચિનગારીથી ગુજરાતના લોકસંગીત પર કેટલો મોટો ઉપકાર થઈ જવાનો છે! પરંપરાગત રાસ-ગરબામાં એવી કઈ તાકાત હોય છે જે આપણને આજે પણ ઝુમાવી દે છે?
Jhaverchand Meghani

ગુજરાતની લોકકથાઓ અને લોકસંગીતની વાત આવે ત્યારે ઝવેરચંદ મેઘાણી (જન્મઃ ૧૮૯૭, મૃત્યુઃ ૧૯૪૭) આપણને સૌથી પહેલાં યાદ આવે. મેઘાણીને લોકગીતોનો નાદ શી રીતે લાગ્યો હતો? બહુ રસપ્રદ કહાણી છે. એક વાર તેઓ પોરબંદરના બગવદર ગામે કથાસાહિત્યના સંશોધન માટે ગયા હતા. એ વખતે એમની ઉંમર હશે સત્તાવીસેક વર્ષ. બહુ મહેનત કરી, પણ જોઈતી સામગ્રી હાથ ન લાગી. તેઓ મેરાણીઓના રાસડા પ્રત્યક્ષ સાંભળવા માગતા હતા, પણ એમાંય મેળ ન પડયો. બહુ મહેનતને અંતે એમનો ભેટો ઢેલીબહેન નામની મેરાણી સાથે થઈ ગયો. આ મહિલાએ હાડ ગાળી નાખે એવી ઠંડીમાં, પોણી રાત જાગીને,ઘાસલેટના દીવાની જ્યોતમાં અસંખ્ય ગીતો સંભળાવ્યાં ને મેઘાણીના લોકગીતોના સંશોધનનો શુભારંભ થઈ ગયો!
ઢેલીબહેનને તે પછી મેઘાણી ફરી ક્યારેય મળી ન શક્યા. મેઘાણી બહુ નાની ઉંમરે જતા રહ્યા. કેવળ પચાસ વર્ષનું એમનું આયુષ્ય. એમના મૃત્યના બે દાયકા પછી, ૧૯૬૭માં સર્જક-સંશોધક નરોત્તમ પલાણે ઢેલીબહેનની મુલાકાત લીધી હતી. ઢેલીબહેન તે વખતે ૯૦ વર્ષનાં હતાં, પણ ૪૩ વર્ષ પહેલાં મેઘાણી સાથે થયેલી મુલાકાત એમને યથાતથ યાદ હતી! એ દિવસને સંભારતાં ઢેલીબહેને કહેલું, 'મેઘાણી એક દિવસ મારી પાસે આવ્યા, ધોળા ધોળા લૂગડાંમાં. મોટી મોટી આંખો નીચે ઢાળીને મારે આંગણે ઈ ઊભા'તા. જોતાં જ આવકાર આપવાનું મન થાય એવો માણસ! મેં તો ઓટલીએ ગોદડું પાથરી દીધું ને બેસાડયા. હું હેઠે બેસવા જતી'તી ત્યાં પગે પડીને 'હં... હં... હં... તમે અહીં ઉપર બેસો નહીંતર હુંય નીચે બેસું છું' એમ કહીને મનેય ઉપર બેસાડી. પછી તો એમને જે ગીતો જોતાં'તાં એની અડધી અડધી કડીઓ પોતે બોલે ને હું આખું ગીત પૂરું કરી દઉં. નીચી મૂંડકી રાખીને ઝીણા ઝીણા અક્ષરમાં ટપકાવ્યે જાય. મને ગીત ગાયા વિના બોલતાં નો આવડે એટલે પોતે હસે અને હું તો જેના જેવા રાગ તેમ મન મૂકીને હલકો કાઢીને ગાઉં! આજુબાજુનાંય ભેળાં થઈ ગ્યાં અને છેક બપોર સુધી ગીતો ગાયાં.'
જમવાનો સમય થયો. ગારવાળા ઘરમાં મહેમાનનાં કપડાં ન બગડે તે માટે ઢેલીબહેને પાટલો ઢાળ્યો, પણ મેઘાણી કહે, 'રોટલા ઘડનારી નીચે બેસે અને ખાનારો ઊંચે બેસે એ ક્યાંનો ન્યાય?' એ ધરાર નીચે જ બેઠા. પૂરું જમી લે એ પહેલાં તો આખું ગામ ઓસરીમાં ભેગું થઈ ગયું.
'અમારી કોમમાં ગીતો ગાવાં-સાંભળવાં બઉ ગમે,' ઢેલીબહેને કહેલું, 'જમીને એમણે મેઘાણીએ એક ગીત ગાયું - અસલ અમે ગાઈએ એ જ ઢાળમાં! અમે તો બધાં એના મોઢા સામંુ જોઈ જ રિયાં! ને પછે તો એક પછે એક રોંઢો ઢળ્યા સુધી એની પાસે ગવડાવ્યે રાખ્યું! પછી અમારો વારો આવ્યો. અમે આઠ દસ બાયુંએ ગીત ગાવાં માંડયાં, પણ બધી બાયું ભેળી થાય એટલે બેસીને કેમ ગવાય? થયાં ઊભાં અને ફળિયામાં જ રાસડા માંડયા. પોતે તો હમણાં ઢગલોએક હસી નાખશે એવા થતાં થતાં કાગળિયામાં ટપકાવ્યે જાય. જોણાંને ને રોણાંને તેડું થોડું હોય? ઢગ બાયું ભેળી થઈ અને અંધારું થયા સુધી રાસડા હાલ્યા. વાળુ કરીને પાછાં ભેળાં થ્યાં તે એક પછી એક નવાં નવાં ગીત મધરાત સુધી ગાયાં. છેલ્લે પોતે થોડાક મરકડાં કીધાં ને સઉને હસાવ્યા.'
ના, વાત અહીં પૂરી ન થઈ. થોડાં ગીતો બાકી રહી ગયેલાં તે ઢેલીબહેને બીજા દિવસે સવારે ગાયાં. મેઘાણી એમનાં વખાણ કરતા જાય ને મોઢું નીચું કરીને લખતા જાય. ઢેલીબહેનને આખેઆખાં ગીતો યાદ હોય. સવારોસવાર ગાય તોય એકનું એક ગીત બીજી વાર જીભે ન આવે. બીજા દિવસે મેઘાણીને બગવદરથી બાજુનાં બખરલા ગામે જવું હતું એટલે શિરામણ કરીને ગાડું જોડયું, પણ એ કહે, હું ગાડાંમાં ન બેસું. એક જીવ તાણે અને બીજા જીવથી અમથું અમથું નો બેસાય! 'અમારા સંધાયની આંખમાં પાણી આવી આવી ગ્યાં,' ઢેલીબહેને કહેલું, 'ઓહોહો! આવો માણસ મેં કોઈ દી' જોયો નથી! એની હાજરીનો કોઈ કરતાં કોઈને ભાર જ નો લાગે!'

ઢેલીબહેને કલ્પના સુધ્ધાં નહીં કરી હોય કે એમણે અને ગામની અન્ય મહિલાઓએ એ રાતે મેઘાણીના દિલદિમાગમાં લોકગીતપ્રેમની ચિનગારી ચાંપીને ગુજરાતના લોકસંગીત પર કેટલો મોટો ઉપકાર કરી નાખ્યો હતો! પછી તો ગુજરાતનાં લોકગીતો વિશે સંશોધન કરવા મેઘાણીએ ગજબનાક ઉદ્યમ કર્યો. અગાઉ લોકગીતો કેવળ ગવાતાં હતાં, એનું વ્યવસ્થિત લિખિત દસ્તાવેજીકરણ બિલકુલ થયું નહોતું. કેટલાય લોકગીતો લગભગ નષ્ટ થઈ ચૂક્યાં હતાં. મેઘાણી ગુજરાતભરનાં ગામડાં ખૂંદી વળ્યા. અડધાપડધા, વેરવિખેર ગીતોના ટુકડા એકઠા કર્યા. પોતાની સમજ, તર્કશક્તિ, કલ્પના અને ઇવન ચાતુરીનો ઉપયોગ કરીને ગીતોના આ ટુકડાઓને સાંધ્યા, અખંડિત સ્વરૂપ આપ્યું અને 'રઢિયાળી રાત'ના ચાર સંગ્રહો બહાર પાડીને અમર બનાવી દીધા. 'મારા લોકગીતપ્રેમની પ્રાણની જનેતા' તરીકે ઢેલીબહેનને નવાજીને અને સંગ્રહનો ચોથો ભાગ ઢેલીબહેનને અર્પણ કરીને મેઘાણીએ ઋણસ્વીકાર કર્યો છે.
અત્યારે નવરાત્રી બરાબરની જામી છે ત્યારે આવો, 'રઢિયાળી રાત'માં સંગ્રહાયેલા કેટલાક રાસ-ગરબા માણીએ. ગીતો વાંચતાં વાંચતાં સાથે ગણગણવાનું ફરજિયાત છે! શરૂઆત કરીએ ઝૂલણ મોરલીથી.
ઝૂલણ મોરલી વાગી રે, રાજાના કુંવર!
એ હાલાને જોવા જાયે રે,
મોરલી વાગી રે, રાજાના કુંવર!
બાંયે બાજુબંધ બેરખા રે, રાજાના કુંવર...
દસેય આંગળિયે વેઢ રે
મોરલી વાગી રે, રાજાના કુંવર!
હવે પછીના ગરબામાં એવી દુખિયારી વહુની વાત છે જેનું સાસરું અને પિયર બન્ને એક જ ગામમાં છે. એક વાર સ્ત્રીએ પોતાની મા પાસે જઈને દુઃખો સંભળાવ્યાં. પાછળ જાસૂસ બનીને આવેલી નણંદે આ વાત ઘરે જઈને કહી. 'મોટા આબરુદાર ઘર'ની નિંદા વહુ બહાર કરતી ફરે તે સાસરિયાઓથી શી રીતે સહન થાય? સૌએ વરને ખૂબ ઉશ્કેર્યો. વરે સ્ત્રી સામે ઝેરનો કટોરો ધર્યોઃ કાં તું પી, કાં હું પીઉં. 'મોટા ખોરડા'ની જાજરમાન વહુએ ઝેર પીને જીવ આપી દીધો.
ગામમાં સાસરું ને ગામમાં પી'રિયું રે લોલ
દીકરી કે'જો સખદખની વાત જો.
કવળા સાસરિયામાં જીવવું રે લોલ.
સખના વાયરા તો માડી, વહી ગયા રે લોલ.
દખનાં ઊગ્યાં છે ઝીણાં ઝાડ જો
કવળા સાસરિયામાં જીવવું રે લોલ.
પછવાડે ઊભી નણદી સાંભળે રે લોલ.
વહુ કરે છે આપણા ઘરની વાત જો!
વહુએ વગોવ્યા મોટાં ખોરડાં રે લોલ...

એક બાજુ ગરીબ ગાય જેવી વહુ છે, તો બીજી બાજુ અવળચંડી નાર છે. ઘરનાં કામ કરાવી કરાવીને સાસુ એને થકવી નાખે છે. એ વાત અલગ છે કે આ જોગમાયામાં સાસુએ જે કહ્યું હોય એનાથી ધરાર ઊલટું સમજવાની ગજબની આવડત છે! આ મસ્તીભર્યો ગરબો જુઓ -


મેંદી લેશું, મેંદી લેશું, મેંદી મોટાં ઝાડ
એક હલાવું ડાળ ત્યારે ડાળાં હલે ચાર!
સૈયર મેંદી લેશું રે...
મારી સાસુએ એમ કહ્યું કે વાસીદા વાળી મેલ્ય
મેં ભોળીએ એમ જાણ્યું કે સાવરણી બાળી મેલ્ય!
સૈયર મેંદી લેશું રે...
મારી સાસુએ એમ કહ્યું કે પાણીડાં ભરી મેલ્ય
મેં ભોળીએ એમ માન્યું કે બેડલાં ફોડી મેલ્ય!
સૈયર મેંદી લેશું રે...

 જવાની ચાર દિન કી હોતી હૈ એવું હિન્દી ફિલ્મી ગીતો આપણને વર્ષોથી કહ્યાં કરે છે. અહીં ટીપણી ટીપતા મજૂરો ગાય છે કે હે માનવીઓ! જોબનિયાને સાચવીને રાખો. જોબનિયું એટલે વધારે વ્યાપક અર્થમાં ટકાટક હેલ્થ. જો ફિઝિકલી ફિટ હોઈશું તો જ જીવતરનો ઉલ્લાસ માણી શકીશું. સાંભળોઃ
જોબનિયું આજ આવ્યું ને કાલ્ય જાશે
જોબનિયું કાલ્ય જાતું રે'શે.
જોબનિયાને માથાના અંબોડામાં રાખો જોબનિયું કાલ્ય જાતું રે'શે.
જોબનિયાને આંખ્યુંના ઉલાળામાં રાખો
જોબનિયું કાલ્ય જાતંુ રે'શે...

હવે એક બહુ જ લોકપ્રિય અને મીઠું ગીત, જે ડિસ્કો ડાંડિયાનો જમાનો નહોતો આવ્યો ત્યાં સુધી મહિલાઓ તાળીઓના તાલે ગાતી હતીઃ
સોના ઈંઢોણી રૂપા બેડલું
નાગર ઊભા રો' રંગરસિયા...
પાણીમાં ગઈ'તી તળાવ રે
નાગર, ઊભા રો' રંગરસિયા....
કાંઠે તે કાન ઘોડા ખેલવે રે... નાગર
કાન મુને ઘડુલો ચડાવ્ય રે.... નાગર

રાસ-ગરબાથી રોમાન્સ ક્યાં સુધી દૂર રહી શકે? સાંભળોઃ

સોના વાટકડી રે કેસર ઘોળ્યાં, વાલમિયા
લીલો તે રંગનો છોડ, રંગમાં રોળ્યાં, વાલમિયા.
પગ પરમાણે કડલાં સોઈ રે વાલમિયા
કાંબિયુંની બબ્બે તારે જોડ રંગમાં રોળ્યાં વાલમિયા.
કેડ પરમાણે ઘાઘરો સોઈ રે વાલમિયા
ઓઢળીની બબ્બે તારે જોડ, રંગમાં રોળ્યાં વાલમિયા.

ફરમાઈશ આગળ વધતી જાય છે. હાથ પ્રમાણે ચૂડલા, ડોકપ્રમાણે તુલસી, કાન પ્રમાણે ઠોળિયાં, નાક પ્રમાણે નથણી! રાસ-ગરબા સાથે કાનુડો અભિન્નપણે જોડાયેલો છે. આ સાંભળોઃ
મારી શેરીએથી કાન કંુવર આવતા રે લોલ
મુખેથી મોરલી વગાડતા રે લોલ.
હું તો ઝબકીને જોવા નીસરી રે લોલ
ઓઢયાના અંબર વીસરી રે લોલ.
સાગ રે સીસમની મારી વેલડી રે લોલ
નવલે સુતારે ઘડી પીંજણી રે લોલ
અમરાપરના ચોકમાં દીવા બળે રે લોલ
મેં તો જાણ્યું કે હરિ અહીં વસે રે લોલ.
બીજું એક કૃષ્ણગીતઃ

વા વાયા ને વાદળ ઊમટયાં
ગોકુળમાં ટહુક્યા મોર
મળવા આવો સુંદિરવર શામળિયા
તમે ગોકુળમાં ગૌધન ચારંતા
તમે ગોકુળમાં ગૌધન ચારંતા
તમે છો સદાયના ચોર
મળવા આવો સંુદિરવર શામળિયા

પરંપરાગત રાસ-ગરબામાં પરિવારના તમામ સભ્યોને જબરી મીઠાશ સાથે આવરી લે છે. જેમ કે -
મેંદી તે વાવી માળવે ને એનો રંગ ગયો ગુજરાત રે
મેંદી રંગ લાગ્યો...
નાનો દિયરિયો લાડકો રે, જઈ લાવ્યો મેંદીનો છોડ રે
મેંદી રંગ લાગ્યો...
વાંટી ઘૂંટીને ભર્યો વાટકો ને, ભાભી રંગો તમારા હાથ રે
મેંદી રંગ લાગ્યો...


0 0 0 

Monday, August 31, 2015

ટેક ઓફ : મારે ઘેર આવજે, બેની!

Sandesh - Ardh Saptahik Purti - 26 Aug 2015

ટેક ઓફ 

પોતાને પહાડનું બાળક ગણતા ઝવેરચંદ મેઘાણી પૂરાં ૫૧ વર્ષ પણ ન જીવ્યા. માત્ર સાડાપચાસ વર્ષનાં આયુષ્યમાં મેઘાણીએ ગુજરાતી સાહિત્યજગતને તર-બ-તર કરી દીધુંહંમેશ માટે. એમણે પુરવાર કર્યું કે ટૂંકી જિંદગીમાં પણ પ્રચુર માત્રામાં અમર સર્જન કરવું શક્ય છે! મેઘાણીનો બર્થડે આપણે તો આખો દિવસ એમનું સાહિત્ય વાંચીનેએમણે સર્જેલી દુનિયામાં રમમાણ રહીને સેલિબ્રેટ કરવાના છીએ. તમે?



સૌથી પહેલાં એક કવિતાની થોડી પંક્તિઓ જુઓઃ

મારે ઘેર આવજે, બેની!
નાની તારી ગૂંથવા વેણી.
આપણા દેશમાં નીર ખૂટયાં ને
સળગે કાળ દુકાળ.
ફૂલ વિના મારી બેનડી! તારા
શોભતા નો'તા વાળ.

એક ભાઈ પોતાની વહાલી બહેનને ઉદ્દેશીને કહી રહ્યો છે કે બેની, ભલે દેશમાં કારમો દુકાળ પડયો હોય, નીર ખૂટી પડયાં હોય,ઝાડ સુકાઈને ઠૂંઠાં થઈ ગયાં હોય, પુષ્પો કરમાઈ ગયાં હોય, પણ તેથી તું વાળમાં વેણી નાખવાનું બંધ કરી દે તે ન ચાલે. વેણી તો તને અતિ પ્રિય છે, એના વગર તને એક દિવસ ચાલતું નહોતું. વેણી વગરનું તારું સૂનું માથું મારાથી જોવાતું નથી. તું મારે ઘેર આવી જા. તારી વેણી માટે ફૂલનો પ્રબંધ કોઈ પણ રીતે કરી આપવાનું કામ તારા વીરાનું.
ભાઈ-ભાભી બેય ભેળાં બેસીને -
ગૂંથશું તારે ચૂલ.
થોડી ઘડી પે'રી રાખજે વીરનાં
વીણેલ વેણી! ફૂલ-
મારે ઘેર આવજે બેની
લાંબી તારી ગૂંથવા વેણી...

ભાઈ આગળ કહે છે, તારી માટે ફૂલડાં વીણવા માટે હું પહાડની ઊંચી ટોચે ચડી જઈશ, તળેટી ફરી વળીશ, ખેતરો ખૂંદી વળીશ ને પછી એ ફૂલડાંમાંથી વેણી બનાવવાનું કામ હું અને તારી ભાભી બન્ને ભેગાં મળીને કરીશું. પછી તું ભારે શોખથી તારા ચોટલામાં વેણી ગૂંથજે. ચૂલ એટલે ચોટલાનો છેડો.
અહીં ભાઈ અને ભાભી સાથે વેણી ગૂંથે છે તે મહત્ત્વનું છે. નણંદ પિયરમાં આવે ત્યારે ઘણી વાર ભાભીઓનું મોઢું ચડી જતું હોય છે. એમાંય પોતાનો વર નણંદનો શોખ પૂરો કરવા આકરી જહેમત ઉઠાવે એ તો એનાથી સહેજે સહન ન થાય. ભાભી માન જાળવતી હોય તો જ દીકરીને પિયરમાં રહેવું ગમતું હોય છે, તેથી અહીં ભાઈ કહે છે કે બેનડી, ભાભીની તું જરાય ચિંતા ન કરીશ. તું આવીશ તો હું એકલો નહીં, તારી ભાભી પણ રાજી થશે. એને ખુશ રાખવાની જવાબદારી મારી. અરે, એ તો તારા માટે વેણી બનાવવાના કામમાં મને મદદ પણ કરવાની છે. બસ, તું ફક્ત આવ. વેણી પહેરતી વખતે તારા ચહેરા પર જે પ્રસન્નતા ફેલાશે તે જોવા હું અધીરો થયો છું.
કેટલી મજાની વાત! અહીં વેણી કેવળ એક પ્રતીક છે. બહેનનું દુઃખ દૂર કરવા માટે, બહેનની ખુશાલી અને સુખ માટે ભાઈ કોઈ પણ હદે જઈ શકે છે તેની લાગણીસભર વાત અહીં સુંદર રીતે રજૂ થઈ છે.
આ કૃતિ છે ઝવેરચંદ મેઘાણીની. આજથી બરાબર બે દિવસ પછી એટલે કે ૨૮ ઓગસ્ટના રોજ ઝવેરચંદ મેઘાણીનો ૧૧૯મો જન્મદિવસ છે. પછીના દિવસે એટલે કે ૨૯ ઓગસ્ટે રક્ષાબંધન છે. આ અવસરે મેઘાણી અને એમની કસદાર કલમમાંથી ભાઈ-બહેનના પ્રેમ વિશે જન્મેલી બે ઉત્તમ કૃતિઓની વાત કરવી છે. મેઘાણી પૂરાં ૫૧ વર્ષ પણ ન જીવ્યા. દેશ આઝાદ થાય એના સાડાપાંચ મહિના પહેલાં તેમનું નિધન થઈ ગયું. માત્ર સાડાપચાસ વર્ષનાં આયુષ્યમાં મેઘાણીએ ગુજરાતી સાહિત્યજગતને તર-બ-તર કરી દીધું, હંમેશ માટે. ટૂંકી જિંદગીમાં પણ પ્રચુર માત્રામાં અમર સર્જન કરવું શક્ય છે, જો તમે ઝવેરચંદ મેઘાણી હો તો!
"હું પહાડનું બાળક છું," મેઘાણીએ એક જગ્યાએ લખ્યું છે, "મારા વડવાઓનું વતન ભાયાણીનું બગસરા અને મારું જન્મસ્થાન છે કંકુવરણી પાંચાળ ભોમનું કલેજું ચોટીલા. ચામુંડમાતાના ચોટીલા ડુંગરની લગભગ તળેટીમાં એજન્સી પોલીસના એ વેળાના અઘોરવાસ લેખાતા થાણામાં મારો જન્મ થયેલો. મારા મોટેરા ભાઈઓએ મને એ બચોળિયાની દશામાં છાતીએ તેડી તેડી ડુંગર ફરતા આંટા લેવરાવ્યા છે."
પોલીસ-લાઇનમાં જન્મ થયો હોવાથી મેઘાણીનું એક હુલામણું નામ 'લાઇન બોય' પડી ગયું હતું. સરકાર દ્વારા ચોટીલાસ્થિત ઝવેરચંદ મેઘાણીના જન્મસ્થળ સ્મારકની બાજુમાં આવેલા નવીન પોલીસ સ્ટેશનને 'રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણી ભવન' નામ આપવાનો જે નિર્ણય લેવાયો છે તે અભૂતપૂર્વ છે. ભારતભરમાં પોલીસ સ્ટેશનો સામાન્ય રીતે એરિયાના આધારે ઓળખાય છે. કોઈ પોલીસ સ્ટેશનને એક મહાનુભાવનું અને એમાંય સાહિત્યકારનું નામ આપવામાં આવ્યું હોય એવી સંભવતઃ આ પહેલી ઘટના છે.


હવે ભાઈ-બહેનના પ્રેમને દર્શાવતી બીજી કૃતિની વાત કરીએ, જે ઝવેરચંદ મેઘાણી રચિત 'સૌરાષ્ટ્રની રસધાર'ના ત્રીજા ભાગમાં છે. ઓક્ટોબર ૧૯૨૩માં એટલે કે લગભગ ૯૨ વર્ષ પહેલાં 'સૌરાષ્ટ્રની રસધાર'નો પહેલો ભાગ પ્રગટ થયો હતો. સીમાચિહ્ન બનવા માટે, ચિરંજીવી થવા માટે, સતત રિલેવન્ટ રહેવા માટે કૃતિમાં કેટલું કૌવત હોવું જોઈએ? 'ભાઈ' નામની આ કથા સંક્ષિપ્તમાં જોઈએ.
વાત છે ખાંભા ગામમાં રહેતી એક વિધવા આયરાણીની. દુકાળ પડયો છે. ભૂખથી પીડાતાં એનાં સંતાનો રીડિયારમણ કરી રહ્યાં છે. એક ભાઈને બાદ કરતાં દુખિયારી બાઈને બીજી કોઈ ઓથ નથી. પાડોશીને બે હાથ જોડીને એ વિનવણી કરે છે, "બાપુ, બે દિવસ મારાં ગભરુડાંને ટીપું ટીપું રાબ પાજો. ત્યાં હું મારા ભાઈને ઘરે આંટો જઈને આવતી રહું છું."
બહેન મિતિયાળા ગામ પહોંચી. ઘરના બારણામાં જ ભાઈને ઊભેલો ભાળ્યો, પણ ભાઈને તો કળજુગે ઘેરી લીધો હતો. "આ લેણિયાત ક્યાં આવી?" એટલું બોલીને સગો ભાઈ પાછલી છીંડીએથી પલાયન થઈ ગયો. બહેન દુઃખી થઈ ગઈ. તોય પિયરની ઓસરીએ પહોંચી. ભાભીએ મોંમાંથી 'આવો' પણ ન કહ્યું. બાઈએ પૂછયું, "ભાભી! મારો ભાઈ ક્યાં ગયો?"
"તમારા ભાઈ તો કાલ્યુના ગામતરે ગયા છે."

ધરતી મારગ આપે તો સમાઈ જવાનું બહેનને મન થયું. નિસાસો મૂકીને એ પાછી વળી ગઈ. ભાભી કહે, "રોટલા ખાવા હોય તો રોકાઓ."
"ભાભી! હસીને જો ઝેર દીધું હોત તોય પી જાત" એટલું કહીને બોર બોર જેવાં આંસુડાં પાડતી બહેન ચાલી નીકળી. ગામના ઝાંપા બહાર હરિજનવાસ હતો (મેઘાણીએ અહીં 'હરિજનવાસ'ને બદલે આપણે હવે જે વાપરતા નથી તે શબ્દ પ્રયોજ્યો છે). ઓસરીમાં બેઠા બેઠા હોકો પી રહેલા જોગડા હરિજનની નજર બાઈ પર પડી. જોગડો એને નાની હતી ત્યારથી ઓળખતો હતો. બહેનને જોતાં જ હરખમાં આવી જઈને એ બહાર આવ્યો. પૂછયું:
"કાં, બાપ, આમ રોતી કાં જા?"

"જોગડાભાઈ! મારે માથે દુઃખના ડુંગર થયા છે, પણ મારો માનો જણ્યો સગો ભાઈ મને દેખીને મોઢું સંતાડે છે. ઈ વાતનું મને રોવું આવે છે."
"અરે ગાંડી, એમાં શું રોવા બેઠી? હુંય તારો ભાઈ છું ના! હાલ્ય મારી સાથે."
જોગડો ધરમની માનેલી બહેનને પોતાને ઘેર લઈ ગયો. જુવારથી આખું ગાડું ભરી દીધું, રોકડી ખરચી આપી અને પોતાના દીકરાને કહ્યું, "બેટા, ફુઈને લઈને ખાંભે મૂકી આવ્ય, અને આ દાણા ફુઈને ઘેર ઉતારી મેલજે."
આખા રસ્તે આયરાણી સંસારના સાચજૂઠ પર વિચાર કરતી રહી. સગો ભાઈ મને જોઈને દૂરથી નાઠો, પણ આ પારકા હરિજને મને બહેન ગણી, મારી પીડા સમજીને વહારે ધાયો!
બીજા દિવસે જોગડાનો છોકરો હાથમાં એકલી રાશ ઉલાળતો ઉલાળતો ઘેર આવ્યો. જોગડાએ પૂછયું, "બેટા! ગાડું-બળદ ક્યાં?"
""ફૂઈને દીધાં."

"કાં?"

"બાપા, તમે એના ભાઈ થઈને એને કાપડું દીધું અને હું ફુઈને ફુયારું ન આપી આવું?"

આ સાંભળીને જોગડાની પત્ની રાજી થઈ ગઈ. કહે, "રંગ છે, બેટા! હવે ભગતનો દીકરો સાચો."
દિવસો વીત્યા. એક વાર મિતિયાળા ગામ પર દુશ્મનની ફોજ ચડી આવી. જોગડો પાછળ રહે? એ સામે છાતીએ ધસી ગયો. ધીંગાણું કરીને સહુથી પહેલું એણે પોતાનું લોહી પોતાની જનમભોમને ઝાંપે છાંટયું.
વાત ખાંભા સુધી પહોંચી. આયરાણી ખોરડાના કરા ઉપર નિસરણી માંડીને ગાર કરતી હતી. કોઈએ ખબર આપ્યાઃ "તારો ધરમનો માનેલો વીર જોગડો ધીંગાણામાં કામ આવ્યો."
સાંભળીને બાઈએ નિસરણીની ટોચથી પોતાના શરીરનો ઘા કર્યો. ધબ કરતી નીચે પડી. માથું ઢાંકીને માનવીની અને પશુની છાતી ભેદાઈ જાય તેવા મરશિયા ગાવા લાગીઃ
વણકર અને વણાર, નાતે પણ નેડો નહીં,
(પણ) ગણને રોઉં ગજમાર, તારી જાત ન પૂછું, જોગડા!
અર્થાત્ હે ભાઈ જોગડા! તું લૂગડાં વણવાનું કામ કરનારો હરિજન હતો અને હું તો વણાર શાખની આયરાણી છું. નાતજાતના હિસાબે તો આપણી વચ્ચે કાંઈયે સંબંધ નથી, પણ હું તારી હલકી જાત સામે શું જોઉં? હું તો તારી ખાનદાનીને રડું છું. હે હાથીઓના હણનારા જોદ્ધા!
આગળ ગાય છેઃ

રાંપીનો રાખણહાર, કલબાં લે વેત્રણ કિયા
વીજળી તણો વિચાર, તેં કિં જાણ્યો, જોગડા!
એટલે કે હે વીરા જોગડા! તું તો રાંપી લઈને મરેલાં ઢોરનાં ચામડાં ચીરવામાં કુશળ કહેવાય, એને બદલે તેં તરવાર લઈને શત્રુઓને ચીરી નાખ્યા. તને તલવાર વાપરવાની યુક્તિ આપોઆપ ક્યાંથી સૂઝી ગઈ?
આયરાણીએ ભાઈને સંભારી સંભારીને આંખોનાં આંસુ અને હૈયાના મરશિયા ઠાલવ્યે જ રાખ્યા. એનાં પોપચાં ફૂલી આવ્યાં. સગો ભાઈ તો અજનબી થઈને જીવતો હતો. હવે જોગડાના જવાથી બાઈ સાચેસાચ નોંધારી થઈ ગઈ.

આંખો છલકાવી દે એવી તાકાતવાન આ કથા છે. ઝવેરચંદ મેઘાણીનો બર્થડે આપણે તો આખો દિવસ એમનું સાહિત્ય વાંચીને,એમણે સર્જેલી દુનિયામાં રમમાણ રહીને સેલિબ્રેટ કરવાના છીએ. તમે?

                                            0 0 0 

Saturday, October 26, 2013

સંજય લીલા ભણસાલીની ક્રેડિટ-લીલા : મોરનો થનગાટ અને પનઘટ પર નંદલાલ

Sandesh - Sanskar Purti - 27 October 2013

મલ્ટિપ્લેક્સ 

ઝવેરચંદ મેઘાણીના અમર ગીત સાથે એમનું નામ મૂકવાનું હોય જ. અહીં કોઈ જ તુમાખી કે બૌદ્ધિક બદમાશી કે દલીલબાજી માટે અવકાશ છે જ નહીં. વર્ષો પહેલાં 'મોહે પનઘટ પે નંદલાલ...'ગીતના રચયિતા રસકવિ રઘુનાથ બ્રહ્મભટ્ટને ક્રેડિટ અપાવવા માટે તેમના પૌત્રે લાંબી લડત આપવી પડી હતી.

લાકાર માટે ખુદનો આગવો મિજાજ અને ધૂન હોવાં સારી વસ્તુ છે. પોતાના વિશિષ્ટ માનસિક વાતાવરણમાં રમમાણ હોવાને લીધે,આસપાસના માહોલથી કપાયેલો હોવાને કારણે એનાથી અમુક વસ્તુઓ ધ્યાન બહાર રહી જતી હોય તે બિલકુલ શકય છે. સ્વીકાર્ય પણ છે. આ એક વાત થઈ, પણ તુમાખીમાં રત રહીને મૂળભૂત ગરિમા કે સૌજન્યનો છેદ ઉડાડી દેવો તે તદ્દન જુદી વાત થઈ. સંજય લીલા ભણસાલી પોતાની આગામી ફિલ્મ 'રામ-લીલા'માં 'મન મોર બની થનગાટ કરે' જેવા અદ્ભુત ગીતનો પ્રયોગ કરે તે એમની કલાસૂઝ દર્શાવે છે, પણ આ અમર ગીતના રચયિતા ઝવેરચંદ મેઘાણીને ક્રેડિટ નથી અપાઈ તે સરતચૂક વિશે એકાધિક વખત ધ્યાન દોરવામાં આવ્યા પછી પણ આખી વાતને જો છેક સુધી ધરાર અવગણવામાં આવી હોત તો તે સંજય ભણસાલીની ક્રિયેટિવ બદમાશી ગણાઈ ગઈ હોત.
ઝવેરચંદ મેઘાણી

થેન્ક ગોડ આવું ન થયું. ફિલ્મની ઓપનિંગ ક્રેડિટમાં ઝવેરચંદ મેઘાણીની તસવીર સાથે ઋણસ્વીકાર કરવામાં આવશે તેવી ફિલ્મમેકર તરફથી ખાતરી આપવામાં આવી છે. ફિલ્મની મ્યુઝિક સીડી પર નામ મૂકાવાનું "ભુલ"થી રહી ગયું હશે તેવું માની લેવું પડે. ખરેખર તો ઝવેરચંદના પૌત્ર પિનાકી મેઘાણીએ લખેલો પત્ર છઠ્ઠી ઓકટોબરે મળ્યો તે પછી તરત જ સંજય ભણસાલી તરફથી ખુલાસો અને દિલગીરી બન્ને વ્યકત થઈ જવા જોઈતા હતા. એને બદલે અપેક્ષિત પ્રતિક્રિયા આવતાં બે અઠવાડિયાં વીતી ગયાં. દરમિયાન ગુજરાતી પ્રજા અને ગુજરાતી મિડીયા બન્નેનું પ્રેશર સંજય ભણસાલીએ અનુભવ્યું. ઝવેરચંદ મેઘાણીની ક્રેડિટ ગુપચાવી જવાની ચેષ્ટાનો કોઈ બચાવ ન હોઈ શકે. આ ગીત સાથે મેઘાણીનું નામ મૂકવાનું હોય જ. વાત પૂરી થઈ ગઈ. અહીં કોઈ જ તુમાખી કે બૌદ્ધિક આડોડાઈ કે ચતુરાઈભરી દલીલબાજી ન જોઈએ. સંજય ભણસાલી પોતાની ભુલ સુધારવામાં જેટલું વધારે મોડું કરત એટલા ગુજરાતી પ્રજાની નજરમાં તેઓ વધારે નીચે ઊતરતા જાત. ચાલો, તેમણે બાજી સંભાળી લીધી તે સારું થયું.બેટર લેટ ધેન નેવર.       
 ગીતકારને ક્રેડિટ આપવાની બાબતમાં વિવાદ થયો હોય તેવો આ કંઈ પહેલો કિસ્સો નથી. તે અંતિમ પણ નથી જ હોવાનો.'રોકસ્ટાર' ફિલ્મનાં અફલાતૂન ગીતોની સુપર સફળતાનું કારણ ફકત એ. આર. રહેમાન અને ગાયક મોહિત ચૌહાણ જ નથી, ગીતકાર ઈર્શાદ કામિલની ઉત્તમ લખાવટ પણ એટલી જ યશભાગી છે, પણ 'રોકસ્ટાર'નું મ્યુઝિક આલબમ બહાર પડયું ત્યારે જેકેટ પરથી ઈર્શાદ કામિલનું નામ ગાયબ હતું. ઈર્શાદ રહ્યા માણસ. તળાવમાં રહીને મગર સાથે વેર ન કરાય તે ન્યાયે તેમણે ઊહાપોહ ન કર્યો. ડિરેક્ટર ઈમ્તિયાઝ અલી અને મ્યુઝિક કંપની ટી-સિરીઝે 'આ તો ક્લેરિકલ મિસ્ટેક છે' એમ કહીને હાથ ખંખેરી લીધા, પણ હા, સીડીનો બીજો બેચ બહાર પડયો ત્યારે ઈર્શાદ કામિલનું નામ માનભેર મુકાઈ ગયું હતું.
Mohe Panghat Pe song (Mughal-e-Azam)

'મોગલ-એ-આઝમ'ના અમર ગીત 'મોહે પનઘટ પે નંદલાલ છેડ ગયો રે' નો કિસ્સો જાણીતો છે. આ ગીત રસકવિ રઘુનાથ બ્રહ્મભટ્ટે લખેલું. ૧૯૧૯માં રજૂ થયેલાં જૂના ગુજરાતી નાટક 'છત્ર વિજય'માં આ હિન્દી ગીત મુકાયું હતું. ચાર દાયકા પછી ૧૯૬૦માં રિલીઝ થયેલી 'મોગલ-એ-આઝમ'માં આ આખું ગીત બેઠ્ઠું વપરાયું હતું અને ગીતના રચયિતા તરીકે શકીલ બદાયૂનીનું નામ હતું! રસકવિ રઘુનાથ બ્રહ્મભટ્ટના મુંબઈસ્થિત પૌત્ર ડો. રાજ બ્રહ્મભટ્ટ, જે વિખ્યાત સેક્સોલોજિસ્ટ છે, તેઓ 'સંદેશ' સાથે આ વિશે વિગતે વાત કરતાં કહે છે, "એ જમાનામાં ટીવી-ઇન્ટરનેટ તો હતાં નહીં, માત્ર રેડિયો પર એનાં ગીતો સાંભળી શકાતાં. 'મોગલ-એ-આઝમ' રિલીઝ થઈ તેના થોડા દિવસ પહેલાં પાકિસ્તાનના 'ડોન' અખબારમાં સૌથી પહેલી વાર છપાયું હતું કે શકીલ બદાયૂનીના નામે જે ગીત બોલે છે તે 'મોહે પનઘટ પે...' ગીત ખરેખર રઘુનાથ બહ્મભટ્ટનું છે. દાદા તે વખતે નડિયાદ રહેતા. વાત ઊડતી ઊડતી તેમની પાસે પહોંચી. મુંબઈ આવીને તેમણે ફિલ્મમેકર કે. આસિફનું ધ્યાન દોર્યું. દરમિયાન ફિલ્મ રિલીઝ થઈ ચૂકી હતી. આસિફસાહેબે 'દેખ લેંગે' કહીને વાતને ટાળી દીધી. છ-આઠ મહિના વીતી ગયા. કોઈ નિવેડો આવ્યો નહીં એટલે મામલો ફિલ્મ રાઇટર્સ એસોસિયેશનમાં ગયો. દાદા પાસે પાક્કા પુરાવા હતા. તેમણે પોતાની આત્મકથા 'સ્મરણમંજરી'માં પણ આ ગીત પોતે કેવી રીતે રચ્યું હતું તેનું વિગતે વર્ણન કર્યું હતું. એસોસિયેશનનો ચુકાદો આવ્યો. ગીતના સર્જક રસકવિ રઘુનાથ બ્રહ્મભટ્ટ જ છે તે પુરવાર થઈ ગયું. ફિલ્મની પ્રિન્ટ્સ અને સંગીતની રેકોર્ડ્સ બની ગઈ હોવાથી વધારે કંઈ થઈ શકે તેમ નથી તેમ કહેવામાં આવ્યં. દાદાને ૧૧૦૦ રૂપિયા કોમ્પેન્સેશનરૂપે ચૂકવવામાં આવ્યા, જે તેમણે સ્વીકાર્યા."


ના, વાત અહીં પૂરી થતી નથી. ૨૦૦૪માં 'મોગલ-એ-આઝમ' સંપૂર્ણપણે કલરમાં રૂપાંતરિત કરીને નવેસરથી રિલીઝ કરવાની વાત આવી. નિર્માતા બોની કપૂર આ પ્રોજેક્ટ સાથે સંકળાયા હતા. નવી આવૃત્તિમાં મૂળ કવિની ક્રેડિટ ઉમેરાઈ જવી જોઈએ તેવી અપેક્ષા વંશજોને સ્વાભાવિકપણે રહે જ. ડો. રાજ બ્રહ્મભટ્ટે બોની કપૂરનો સંપર્ક કર્યો ત્યારે ફિલ્મ રિલીઝ થવાના બે-ત્રણ દિવસની જ વાર હતી. ડો. બ્રહ્મભટ્ટે સ્પષ્ટપણે કહ્યું કે હું કંઈ કોર્ટમાંથી સ્ટે ઓર્ડર લાવવાનો નથી, મને આર્થિક વળતરની પણ અપેક્ષા નથી, હું ફક્ત મારા દાદાને ક્રેડિટ મળે એટલું જ ઇચ્છું છું. બોની કપૂરે તરત પારખી લીધું કે ડો. બ્રહ્મભટ્ટનો કોઈ બદઈરાદો નથી. 'ઈરોઝ'માં પ્રીમિયર યોજાયો તેના પાસ પણ ડોક્ટરને મોકલાવ્યા, પણ પ્રિન્ટમાં હવે કોઈ પણ પ્રકારના ફેરફાર માટે બહુ મોડું થઈ ચૂક્યું હતું. ક્રેડિટની સમસ્યા એમની એમ રહી. ઓન-પેપર ગીત હજુ પણ શકીલ બદાયૂનીના નામે જ બોલતું હતું!
Dr. Raj Brhambhatt

પછી શરૂ થઈ દાદાને એમનો જશ અપાવવાની પૌત્રની લડાઈ, જે દોઢેક વર્ષ ચાલી. અત્યારે જેમ ઝવેરચંદ મેઘાણીના કિસ્સામાં બની રહ્યું છે તેમ આ કિસ્સામાં પણ ગુજરાતી-હિન્દી-મરાઠી મીડિયાએ સારું એવું કવરેજ આપ્યું. 'મોગલ-એ-આઝમ'ની ઓરિજિનલ ટીમમાંથી હવે ત્રણ જ લોકો હવે જીવિત હતા - સંગીતકાર નૌશાદ, લતા મંગેશકર અને દિલીપકુમાર. ડો. બ્રહ્મભટ્ટ નૌશાદને મળ્યા. બીમાર અવસ્થાનું કારણ હોય કે બીજું કંઈ પણ કારણ હોય, પણ નૌશાદ તરફથી ધાર્યો પ્રતિસાદ ન મળ્યો. મામલો ફરી પાછો ફિલ્મ રાઇટર્સ એસોસિયેશન પાસે ગયો. એક તરફ ડો. રાજ બ્રહ્મભટ્ટ હતા, સામે શકીલસાહેબના દીકરા હતા. નવી 'મોગલ-એ-આઝમ'ના પ્રોજેક્ટ મેનેજર દીપેશ સાલગિયા પણ આખા કેસમાં ઈન્વોલ્વ્ડ હતા.

"મારી પાસે ૧૯૨૦થી લઈને અત્યાર સુધીનાં છાપાં-મેગેઝિનોનાં કટિંગ્સ, મૂળ ગુજરાતી નાટકમાં વપરાયેલાં ગીતનાં રેકોર્ડિંગની નકલ વગેરે મળીને જે ડોક્યુમેન્ટ્સ હતાં તેનું વજન કમસે કમ વીસ કિલો જેટલું હતું!" ડો. બ્રહ્મભટ્ટ હસી પડે છે, "ફિલ્મ એસોસિયેશનની ટીમમાં ડો. અચલા નાગર હતાં, જે તે વખતે એસોસિયેશનનાં પ્રેસિડન્ટ પણ હતાં. 'બાગબાન' ફિલ્મ એમણે લખી છે. એસોસિયેશનની ટીમમાં કવિ પ્રદીપનાં પુત્રી ઉપરાંત એક ૮૪ વર્ષના સજ્જન પણ હતા. યોગાનુયોગે અગાઉ મારા દાદા ખુદ આ કેસ લડી રહ્યા હતા ત્યારે એસોસિયેશનની જે ટીમ બની હતી તેમાં પણ આ વયોવૃદ્ધ આદમી હિસ્સો હતા. તેમને કિસ્સો યાદ હતો. એમણે તરત કહ્યું કે આ કેસનો ચુકાદો તો એક વાર ઓલરેડી આવી ચૂક્યો છે. એસોસિયેશનના રેકોર્ડમાંથી પણ એની નોંધ નીકળી. 'મોહે પનઘટ પે...'ના રચયિતા રસકવિ રઘુનાથ બ્રહ્મભટ્ટ છે તે ફરી એક વાર પુરવાર થયું. ધારો કે પુરવાર થયું ન હોત તો મારા દાદાના નામ માટે હું આખી જિંદગી લડયો હોત. મારા પછી મારા દીકરાએ અને પૌત્રે લડાઈ આગળ વધારી હોત. મને બરાબર યાદ છે, ડો. અચલા નાગરની આંખોમાં તે દિવસે આંસુ હતાં. તેમણે કહ્યું કે કોઈ માણસે પોતાના દાદાના આત્મસન્માન માટે આટલી મહેનત કરી હોય તેવું મેં અગાઉ જોયું નથી! "

થોડા અરસા પછી નવી 'મોગલ-એ-આઝમ'ની ટીમ તરફથી ફિલ્મના કેલેન્ડર ઉપરાંત એક ખૂબસૂરત સોવેનિયર પ્રકાશિત કરવામાં આવ્યું. તેમાં સાદર નોંધ લેવાઈ કે, 'મોહે પનઘટ પે નંદલાલ...' ગીતના રચયિતા રસકવિ રઘુનાથ બ્રહ્મભટ્ટ છે. ફિલ્મની નવી ડીવીડી તેમજ મ્યુઝિક આલબમના કવર પર કવિનું નામ માનભેર મુકાયં. ૪૫ વર્ષ પછી ગીતને વિધિવત્ ઓળખ મળી. દાદાની ગરિમા માટે શરૂ થયેલી લડાઈમાં આખરે પૌત્રની જીત થઈ!
Sanjay Leela Bhansali

'મન મોર બની થનગાટ કરે...'ના કિસ્સામાં પ્રશ્ન જલદી ઉકેલાઈ ગયો તે સારું થયું. મ્યુઝિક આલબમના જેકેટ પર ગીતના નામ પછી કૌંસમાં જ્યાં 'ટ્રેડિશનલ' લખાયું છે ત્યાં મેઘાણીનાં નામનું સ્ટીકર મૂકવાનો આઈડિયા અવ્યવહારુ લાગતું હોય તો ભવિષ્યમાં બહાર પડનારી સીડીની તમામ બૅચમાં મેઘાણીનું નામ પ્રિન્ટમાં છપાઈ જવું જોઈએ. ફિલ્મ રિલીઝ કરવાનો દિવસ નજીક આવતો જશે તેમ તેમ સંજય ભણસાલી પ્રિન્ટ મીડિયા અને ટીવી ચેનલોને ખૂબ બધા ઈન્ટરવ્યુઝ આપવાના. આમાંની કમ સે કમ અમુક મુલાકાતોમાં જો તેઓ ઝવેરચંદ મેઘાણીનો માનભેર ઉલ્લેખ કરશે તો સમજી લેવાનું કે એક સમયે ઉત્તમ કલાકાર તરીકે આપણે જેમને પોંખેલા એ સંજય લીલા ભણસાલીનો માંહ્યલો હજુ સંપૂર્ણપણે કરપ્ટ થયો નથી. 
                                         0 0 0