Wednesday, October 30, 2013

ટેક ઓફ : ફેસબુક ફ્રેન્ડ સાથે હવાઈયાત્રા

Sandesh - Ardh Saptahik Purti - 30 November 2013

ટેક ઓફ

દુનિયાભરની એરલાઈન કંપનીઓ ફેસબુક અને ટ્વિટર જેવાં સોશિયલ મીડિયાનો શી રીતે અસરકારક ઉપયોગ કરે છે?


દિવાળીના દિવસોમાં યા તો રજાઓમાં લોકોને બહારગામ જવાનું શૂરાતન ચડે છે. છેલ્લી ઘડીએ આઉટસ્ટેશન ટ્રેનોનું રિઝર્વેશન મળવું લગભગ અશક્યવત્ બની જાય છે. લકઝરી બસો પેક જવા માંડે છે. ફ્લાઈટ્સની ટિકિટોના ભાવ પર ફર્ક વર્તાય છે. આપણે ત્યાં ટ્રેનયાત્રા, લકઝરી બસની મુસાફરી અને હવાઈ પ્રવાસ પર સોશિયલ મીડિયાનો પડછાયો ખાસ પડયો નથી, પણ વિદેશમાં ફેસબુક અને ટ્વિટરે એરલાઈન્સ કંપનીઓનો કમ્યુનિકેશન એપ્રોચ બદલી નાખ્યો છે. સોશિયલ મીડિયાનો સૌથી મોટો પ્લસ પોઈન્ટ એ છે કે તે બિલકુલ ફ્રી છે. કંપનીઓએ તેનો ઉપયોગ કરવા માટે, ફોર અ ચેન્જ, તોતિંગ એડવર્ટાઈઝિંગ બજેટ ફાળવવું પડતું નથી! વિશ્વની કેટલીક એરલાઈન્સ કંપનીઓ પોતાની બ્રાન્ડને પ્રમોટ કરવા માટે ફેસબુક-ટ્વિટરનો કેવી રીતે અસરકારક ઉપયોગ કરે છે?  
કેએલએમ નામની ડચ એરલાઈન કંપની ઓનલાઈન પબ્લિક રિલેશનમાં ઉસ્તાદ ગણાય છે. તેણે 'મીટ એન્ડ સીટ' નામની સર્વિસ લોન્ચ કરી છે. ધારો કે તમારે આઠ-દસ-પંદર કલાકની લાંબી ફ્લાઈટ લેવાની છે. આવી સ્થિતિમાં જો સહપ્રવાસી મજાનો (કે મજાની) હોય તો ફ્લાઈટ ઓછી બોરિંગ બને. 'મીટ એન્ડ સીટ' સર્વિસ દ્વારા તમે તમારી આજુબાજુની સીટવાળા હમસફર પસંદ કરી શકો છો. શી રીતે? તેમના ફેસબુક અને લાઇક્ડ-ઈન એકાઉન્ટ ચેક કરીને. જે-તે દિવસની ચોક્કસ ફ્લાઈટમાં પ્રવાસ કરનારાઓનાં નામ અને ડેટા મળી જાય એટલે તમારે માત્ર થોડું ર્સિંફગ કરવાનું રહે. એકસરખા રસ-રુચિવાળા લોકોને અલગ તારવીને તમે એરલાઈનને આગોતરી જાણ કરી દો એટલે તમને અગલબગલની સીટ્સ પર મનગમતા પ્રવાસીઓ મળે. આ સર્વિસ સુપરહિટ પુરવાર થઈ છે. તેના વિશે પ્રવાસીઓએ પુષ્કળ ટ્વિટસ અને રિ-ટ્વિટસ કર્યા છે. કેટલાય લોકો ખાસ આ 'મીટ એન્ડ સીટ' સર્વિસ ટ્રાય કરવા માટે જે કેએલએમ એરલાઈન્સ પસંદ કરે છે.
કેએલએમવાળા આટલેથી અટકી જાય તેમ નથી. તેઓ વચ્ચે વચ્ચે પ્રવાસીઓના સોશિયલ મીડિયા પ્રોફાઈલ ચેક કરીને તેમની રસરુચિ જાણી લે ને પછી સરસ મજાની સરપ્રાઈઝ ગિફ્ટ તૈયાર રાખે. માનો કે તમારા ફેસબુક પ્રોફાઈલ પરથી સ્પષ્ટ વર્તાતું હોય કે તમે બેસ્ટસેલર નવલકથાઓ વાંચવાના શોખીન છો યા તો વિશ્વસિનેમાની ક્લાસિક ફિલ્મો જોવાના રસિયા છો. કેએલએમનો સ્ટાફ તમારા માટે સરસ મજાની કિતાબ કે ડીવીડી ગિફ્ટ-રેપ કરીને રેડી રાખે અને જેવા તમે બોર્ડિંગ પાસ લેવા જાઓ કે તરત મનગમતી ભેટ આપીને તમને સરપ્રાઈઝ કરી દે. આ રીતે ખુશખુશાલ થઈ ગયેલો કસ્ટમર પછી ટ્વિટ કરીને કે ફેસબુક સ્ટેટસ અપડેટ કરીને પોતાનો હરખ આખી દુનિયા સાથે શેર કરવાનો જ છે. સંતુષ્ટ કસ્ટમર દ્વારા સ્વેચ્છાએ કરવામાં આવતું પ્રમોશન હંમેશાં સૌથી અસરકારક હોવાનું.

સ્પાનએર નામની સ્પેનિશ એરલાઈન કંપનીએ ગિફ્ટવાળા આઈડિયાને જુદી રીતે અજમાવ્યો હતો. ફ્લાઈટમાં જાહેરાત કરવામાં આવે કે લેન્ડ થયા પછી ક્ન્વેયર બેલ્ટ પર તમારાં બેગ-બિસ્તરાંની સાથે એક વધારાની આઈટમ પણ હશે, તે કલેક્ટ કરવાનું ન ભૂલતા. આ વધારાની આઈટમ એટલે સરપ્રાઈઝ ગિફટ. પેસેન્જર પોતાના નામવાળી ભેટને ઊંચકે અને ખોલે તે બધું શૂટ કરી લેવામાં આવે. આનંદિત પ્રવાસીઓની પ્રતિક્રિયાઓને પછી યુ-ટયુબ પર અપલોડ કરવામાં આવે!
અમુક લોકો ફેસબુક- ટ્વિટર-વોટ્સપના એટલા બંધાણી થઈ ગયા હોય છે કે ફ્લાઈટ દરમિયાન કલાકો સુધી મોબાઈલ સ્વિચ-ઓફ રાખવાનું તેમને બહુ ભારે પડી જાય છે. આવા મહાનુભાવો માટે જર્મનીની લુફથાન્સા એરલાઈન્સે 'માયસ્કાયસ્ટેટસ' નામની એપ્લિકેશન તૈયાર કરી છે. એના થકી તમે જમીનથી હજારો ફૂટ અધ્ધર હવામાં તરતા હો ત્યારે પણ સોશિયલ નેટવર્કસ અપડેટ કરી શકો છે. તે માટે ફ્લાઈટ ટેક્-ઓફ કરે તે પહેલાં આ એપ્લિકેશન ઓન કરી દેવાની. ડિપાર્ચર ટાઈમ, એરાઈવલ ટાઈમ, તમે હવામાં કેટલી ઊંચાઈ પર છો, એક્ઝેક્ટલી કયા શહેર કે દેશ ઉપરથી પસાર થઈ રહ્યા છો આ બધું જ આપોઆપ તમારા ફેસબુક અને ટ્વિટર એકાઉન્ટમાં અપડેટ થતું રહે. સાથે સાથે લુફથાન્સાને તમારા એકાઉન્ટ્સ થકી મફત પબ્લિસિટી પણ મળતી જાય. માનો કે તમે તમારાં લોકેશન વિશે પળેપળની રનિંગ કોમેન્ટરી લોકોને સંભળાવવા માગતા ન હો તો એપ્લિકેશન ઓફ કરી દેવાની. સિમ્પલ.
અમેરિકન એરલાઈન્સે પોતાની ત્રીસમી એનિવર્સરી નિમિત્તે 'ટ્વિટ ટુ વિન ૩૦કે' નામની ટ્વિટર કોન્ટેસ્ટ રાખી હતી. સ્પર્ધા લોન્ચ થઈ એના એક જ અઠવાડિયામાં કોન્ટેસ્ટની લિન્કને ટ્વિટર થકી ૧૮ હજાર ક્લિક મળી. એસ્ટોનિઅન એર કંપનીએ 'એરસ્કોર'નામનો લોયલ્ટી પ્રોગ્રામ લોન્ચ કર્યો હતો. પ્રવાસી એરલાઈનની ફેસબુક એપ પર જઈને ટિકિટ બુક કરે અને પોતાનો અનુભવ શેર કરે એટલે એને પોઈન્ટ્સ મળતા જાય. અમુક પોઈન્ટ્સ થાય એટલે પ્રવાસી હલવાનું નામ ન લેતી કતારમાં સમય વેડફવાને બદલે રોફપૂર્વક ફાસ્ટ-સિક્યોરિટી લેનનો ઉપયોગ કરી શકે. આમ તો આ સાવ સાદી વસ્તુ ગણાય, પણ આ પ્રોગ્રામ લોન્ચ થયો એના દસ જ દિવસમાં એની લાખો ફેસબુક ઈમ્પ્રેશન નોંધાઈ ગઈ હતી.

કોઈ પણ એરલાઈન નવો રૂટ લોન્ચ કરે ત્યારે એના વિશે હાઈપ પેદા કરવામાં બહુ મહેનત કરવી પડતી હોય છે. ફિનએર કંપનીએ એક લાંબો રૂટ શરૂ કર્યો ત્યારે તેના પ્રમોશન માટે નવતર રસ્તો અપનાવ્યો હતો. શરૂઆતની ફ્લાઈટ એન્ગ્રી બર્ડના અઠંગ ચાહકોથી ભરી દેવામાં આવી. પંદર કલાકની ફ્લાઈટ દરમિયાન તેમણે સતત એન્ગ્રી બર્ડની ગેઇમ રમવાની હતી. મુસાફરોને મજા પડી ગઈ. એક તો ફ્રી સરભરા માણવાની ને વધારામાં પોતાની ફેવરિટ ગેઇમ રમવાની. એરલાઈન્સની આ તરકીબ કામિયાબ થઈ અને નવા રૂટ વિશે ફટાક કરતી ખૂબ બધી પબ્લિસિટી થઈ ગઈ.         
અમેરિકાની ડેલ્ટા એરલાઈને ૨૦૧૦માં ફેસબુક બુકિંગ એન્જિન લોન્ચ કરી નાખ્યું હતું. ત્યાર બાદ મલેશિયા એરલાઈન્સ અને અલાસ્કા એરલાઈન્સે ફેસબુક દ્વારા બુકિંગ કરવાનું શરૂ કર્યું. વિશ્વની સૌથી મોટી લો-કોસ્ટ કરિયર ગણાતી અમેરિકાની સાઉથ વેસ્ટ એરલાઈન્સ છેક ૨૦૦૬થી સોશિયલ મીડિયાનો ઉપયોગ કરી રહી છે. આ કંપનીની સોશિયલ મીડિયા સ્ટ્રેટેજીની દુનિયાભરની કંપનીઓએ નકલ કરી છે. એક અંદાજ પ્રમાણે દર મહિને એક કરોડ ૨૦ લાખ લોકો સાઉથવેસ્ટ એરલાઈન્સની વેબસાઈટની મુલાકાત લે છે. તેના ૧૦ લાખ ટ્વિટર ફોલોઅર્સ છે. કુલ ૧૩ લાખ લોકોએ ફેસબુક પર તેનાં જુદાં જુદાં પેજીસને લાઈક કર્યાં છે. સાઉથવેસ્ટની ફ્લાઈટ્સ સતત મોનિટર થાય છે, પ્રત્યેક કલાકે ફ્લાઈટ્સનાં સ્ટેટસ અપડેટ થાય છે. આટલી બધી ઓનલાઈન એક્ટિવિટી કરવા માટે સાઉથવેસ્ટ એરલાઈન્સે મોટી ફોજ રાખી હશે ખરું? ના, આ સઘળું કામ ફક્ત પાંચ લોકો સંભાળે છે!
લોકો સાથે સીધો પનારો પાડતી કંપનીઓ સોશિયલ મીડિયાનો ભરપૂર ઉપયોગ કરવાની જ છે. આપણી એરલાઈન્સ કંપનીઓ આ મામલામાં પાછળ રહી ગઈ છે. ભારતીય રેલવેએ કમસેકમ રાજધાની અને શતાબ્દી જેવી ટ્રેનો માટે સોશિયલ મીડિયાનો ઈનોવેટિવ ઉપયોગ કરવો જોઈએ. આઈઆરસીટીસી ડોટકોમ પરથી ટિકિટ બુક કર્યા પછી ટ્રેનના એરકન્ડિશન્ડ કંપાર્ટમેન્ટમાં લંચ કે ડિનર સાથે અચાનક તમારી ફેવરિટ કેક પીરસવામાં આવે યા તો તમે જે શહેરની મુલાકાત લીધી હોય ત્યાંની પ્રસિદ્ધ જગ્યાની (ઉદાહરણ તરીકે, તાજમહાલ) પ્રતિકૃતિ સરપ્રાઈઝ ગિફ્ટ તરીકે આપવામાં આવે તો તમારા ચહેરા પર સ્મિત આવે કે નહીં!?
0 0 0

Sunday, October 27, 2013

આપણે શા માટે આપણી નબળાઈનું ઘમંડ કરીએ છીએ?

 ચિત્રલેખા - સપ્ટેમ્બર ૨૦૧૩ 

કોલમ: વાંચવા જેવું



વાત સિંગાપોરની છે. એંસીના દાયકામાં અહીંના એક પ્રધાન પર ભ્રષ્ટાચારનો આરોપ મૂકાયો. તેની સામે પ્રથમદર્શી કેસ દાખલ કરવામાં આવ્યો. પોતે આ આરોપમાંથી બચી શકે એમ છે કે કેમ તેની ચર્ચા કરવા પ્રધાન વડાપ્રધાનને મળ્યો. વડાપ્રધાને સ્પષ્ઠ શબ્દોમાં કહી દીધું કે તમારી પોલિટિકલ કરીઅર હવે લગભગ સમાપ્ત થઈ ગઈ છે. તમને સજા થશે તે નિશ્ર્ચિત છે અને તમે ભવિષ્યમાં કદી ચૂંટણી લડી નહીં શકો. પ્રધાન ઘરે પાછો ફર્યો. પિસ્તોલની ગોળીથી લમણું વીંધીને એણે આત્મહત્યા કરી નાખી. આ ઘટનાથી સિંગાપોરના તમામ રાજકારણીઓને સંદેશ મળ્યો કે ભ્રષ્ટાચારને નહીં જ સાંખી લેવાય.

 સિંગાપોર પ્રકારની સ્થિતિ આપણે ત્યાં કલ્પી શકાય છે? ભ્રષ્ટ નેતા આત્મહત્યા કરી લે એવું આપણે ન ઈચ્છીએ, પણ  કમસેકમ એ પોતાની નફ્ટાઈ અને બેશરમી ઓછી કરે એવી અપેક્ષા પણ આપણે રાખી શકીએ એમ છીએ ખરા? આજે જેની ચર્ચા કરી રહ્યા છીએ તે ‘નહીં માફ નીચું નિશાન’ પુસ્તકમાં એન. આર. નારાયણ મૂર્તિએ સિંગાપોરનો કિસ્સો ટાંક્યો છે. આ પુસ્તક એટલે એમણે છેલ્લાં કેટલાંક વર્ષ દરમિયાન દુનિયાભરમાં આપેલાં ૩૮ ચુનંદા વકતવ્યોનો સંગ્રહ. નારાયણ મૂર્તિ પ્રતિષ્ઠિત આઈટી ઈન્ડસ્ટ્રીઅલિસ્ટ છે, ઈન્ફોસિસ કંપનીના કો-ફાઉન્ડર છે. દેશના સૌથી આદરણીય અને બુદ્ધિમાન વ્યક્તિઓમાં એમનું સ્થાન છે. તેથી જ એ જ્યારે ગંભીરતાપૂર્વક કશુંક કહી રહ્યા હોય ત્યારે કાન દઈને સાંભળવાનું હોય.



ભ્રષ્ટાચારના મામલે નારાયણ મૂર્તિ આશાવાદી છે. એ માને છે કે જો જુદીજુદી કામગીરીમાંથી સરકારની સીધી દરમિયાનગીરી દૂર કરવામાં આવે તો કમસે કમ સરકારી સેવા ક્ષેત્રે ચાલતો ભ્રષ્ટાચાર ઓછો થઈ શકે. દાખલા તરીકે, અગાઉ નાની ઈલેક્ટ્રોનિક કંપનીઓ ભ્રષ્ટાચારનો સૌથી વધુ ભોગ બનતી હતી, પણ સરકારે જેવું કમ્પ્યુટરના આયાત પરથી લાઈસન્સિંગ દૂર કર્યંુ કે તરત ડિપાર્ટમેન્ટ ઓફ ઈલેક્ટ્રોનિક્સમાં ચાલતો ભ્રષ્ટાચાર બંધ થઈ ગયો. પાન નંબર ફાળવવાની પ્રક્રિયા સરકારે યુટીઆઈને સોંપી પછી કામગીરી ઝડપી પણ બની હતી અને ભષ્ટાચાર પણ દૂર થયો હતો. સરકાર અવનવી સ્કીમ બહાર પાડ્યે રાખે છે, જેના કારણે વ્યવસાયો માટે સરકારી મંજૂરીની આવશ્યકતા રહે છે. નારાયણમૂર્તિનું સૂચન છે કે ભ્રષ્ટાચાર પર અંકુશ લગાડવા કેટલીક સેવા સરકારમાંથી ખસેડીને અર્ધસરકારી કે ખાનગી સંગઠનોને સોંપી દેવી જોઈએ.

 નારાયણ મૂર્તિના કેટલાક વિચારો સ્વામી સચ્ચિદાનંદને યાદ અપાવે એવા છે. આંખ-કાન બંધ કરીને ‘મેરા ભારત મહાન... મેરા ભારત મહાન’ના ગીતડાં ગાતાં રહેતા લોકોને નારાયણ મૂર્તિ લપડાક લગાવતા કહે છે:

 ‘મેં ઘણો પ્રવાસ ખેડ્યો છે, પરંતુ મેં એવો એક પણ સમાજ નથી જોયો, જેણે ભારતની માફક આટલી ઓછી પ્રગતિ કરી હોવા છતાં વિકસિત સમાજોની નિંદા કરતો હોય. વર્તમાનમાં બહુ ઓછી સિદ્ધિ હાંસી કરી હોવા છતાં આપણે ભવ્ય ભૂતકાળને યાદ કરીકરીને બડાઈ હાંકયા કરીએ છીએ. પ્રગતિશીલ સમાજનું સૌથી અગત્યનું પરિબળ છે, આપણા કરતાં વધારે સફળતા મેળવનાર લોકોને આદરની દષ્ટિથી જોવું તેમ જ તેમની પાસેથી કશુંક શીખવાની અપેક્ષા સેવવી. આપણો બૌદ્ધિક ઘમંડ સમાજ માટે મદદરુપ નથી. આપણે આપણું વલણ બદલવું પડશે. આપણા કરતાં વધારે સારો દેખાવ કરનાર લોકોનું સાંભળવું પડશે, તેમની પાસેથી શીખવું પડશે અને તેના કરતા બહેતર દેખાવ કરવો પડશે. આપણે આપણી નિષ્ફળતા છાવરવા તર્કસંગત દલીલો આપ્યે રાખીએ છીએ. આવું કૌશલ્ય દુનિયાના બીજા કોઈ દેશ પાસે નથી!’ 

સમસ્યાનો ઉકેલ સામે દેખાતો હોવા છતાં આપણે શા માટે એનો અમલ કરતા નથી? આપણી  ઉદાસીનતા પાછળ કયું કારણ જવાબદાર હોઈ શકે? નારાયણ મૂર્તિ કહે છે કે હજાર કરતાં વધારે વર્ષોથી વિદેશીઓએ આપણા પર શાસન કર્યું છે તેથી આપણી કદાચ એવી માનસિકતા બની ગઈ છે કે જાહેર કે સામાજિક પ્રશ્ર્નો બીજા કોઈના છે, તે ઉકેલવાની જવાબદારી આપણી નથી! પ્રશ્ર્નોનો ઉકેલ લાવવાની આપણી જવાબદારીમાંથી છટકવા માટે આપણે નસીબને દોષ દઈએ છીએ. અહમ, દંભ અને ઉપેક્ષા જેવા દુર્ગુણોએ આપણને સેંકડો વર્ષોથી ભીંસમાં લીધા છે.





 નારાયણ મૂર્તિનું એક નિરીક્ષણ ઈન્ટરેસ્ટિંગ છે. એ કહે છે કે ભારતીય સમાજે વર્ષો સુધી પરિવાર પ્રત્યેની નિષ્ઠાને સમાજ પ્રત્યેની નિષ્ઠા કરતાં વધારે પ્રાથમિકતા આપી હતી. બીજી તરફ, પશ્ર્ચિમી સમાજે કુંટુંબ કરતાં સમાજ તરફની નિષ્ઠાને વધારે પ્રાધાન્ય આપ્યું હતું. આ બન્ને સમુદાયોની સારી બાજુઓનું સંયોજન કરવાથી આપણે અપેક્ષિત ઉકેલ સુધી પહોંચી શકીશું. પશ્ર્ચિમમાં તમે ગમે તે હોદ્દા પર હો, પરંતુ તમે જે પ્રવૃત્તિ કરો છો, એ માટે માત્ર તમે જ જવાબદાર ગણાઓ છો. ભારતમાં તો તમે જેટલી  ‘મહત્ત્વની’ વ્યક્તિ હો એટલી તમારી જવાબદારી ઓછી. શ્રમનું મહત્ત્વ એ પશ્ર્ચિમી મૂલ્ય-વ્યવસ્થાનું ઓર મહત્ત્વનું પાસું છે. પશ્ર્ચિમમાં લોકો પોતાનાં કાર્ય પ્રત્યે ગર્વ અનુભવતા હોય છે. ભારતમાં શારીરિક શ્રમને નિમ્ન કક્ષાનું ગણવામાં આવે છે.

નારાયણ મૂર્તિના મૂળિયાં ભારતીય છે અને દષ્ટિકોણ ગ્લોબલ છે. એ આપણા દેશની વાસ્તવિકતાને આંતરરાષ્ટીય પરિમાણોથી ચકાસી શકે છે. આ દેશમાં ગરીબીની સમસ્યાને જડમૂળથી ઉખાડી ફેંકવાનો એકમાત્ર ઉપાય નોકરીની વધુ તકો સર્જવાનો છે અને તે માટે ઉદ્યોગ-સાહસિકતાને ઉત્તેજન આપવું આવશ્યક છે એવું એ દઢપણે માને છે. એમણે કહેલી એક વાત સૌએ ગાંઠે બાંધી લેવા જેવી છે: ‘આપણે જટિલ યુગમાં જીવી રહ્યા છીએ. સફળ થવા માટે એક કરતાં વધારે યોગ્યતા અને ખંતની જરુર પડે છે.’

 નારાયણ મૂર્તિનાં પ્રવચન કરતી વખતે જરુરી આંકડા ટાંકે, મહાપુરુષો-વિચારકોનાં અવતરણો ટાંકે, પોતાના અનુભવોને વણી લે અને એ રીતે ગંભીર વિષયને પણ રસપ્રદ બનાવી દે. દેશવિદેશના વિદ્યાર્થીને કરાયેલાં ઉદબોધન, ગંભીર રાષ્ટ્રીય પ્રશ્રો, શિક્ષણ, નેતૃત્વ સામેના પડકાર વગેરે જેવે કેટલાય વિષયો પણ વ્યક્ત થયેલા એમના મૌલિક તેમજ અભ્યાસપૂર્ણ વિચાર વાંચવા જેવા છે. હેતલ સોંદરવાએ સમજપૂર્વક કરેલો ગુજરાતી અનુવાદ આ પુસ્તકનો પ્લસ પોઈન્ટ છે. સુંદર, વિચારશીલ અને ઉપયોગી પુસ્તક.                                                       0 0 0 

નહીં માફ નીચું નિશાન 

લેખક: એન. આર. નારાયણમૂર્તિ
 અનુવાદક: હેતલ સોંદરવા
 પ્રકાશક: આર.આર. શેઠ એન્ડ કંપની, અમદાવાદ-૧, મુંબઈ-૨
 ફોન: (૦૭૯) ૨૫૫૦ ૬૫૭૩, (૦૨૨) ૨૨૦૧ ૩૪૪૧
 કિંમત:  ૨૨૫ /- # પૃષ્ઠ: 266                                                                       

                                      ૦ ૦ ૦



Saturday, October 26, 2013

સંજય લીલા ભણસાલીની ક્રેડિટ-લીલા : મોરનો થનગાટ અને પનઘટ પર નંદલાલ

Sandesh - Sanskar Purti - 27 October 2013

મલ્ટિપ્લેક્સ 

ઝવેરચંદ મેઘાણીના અમર ગીત સાથે એમનું નામ મૂકવાનું હોય જ. અહીં કોઈ જ તુમાખી કે બૌદ્ધિક બદમાશી કે દલીલબાજી માટે અવકાશ છે જ નહીં. વર્ષો પહેલાં 'મોહે પનઘટ પે નંદલાલ...'ગીતના રચયિતા રસકવિ રઘુનાથ બ્રહ્મભટ્ટને ક્રેડિટ અપાવવા માટે તેમના પૌત્રે લાંબી લડત આપવી પડી હતી.

લાકાર માટે ખુદનો આગવો મિજાજ અને ધૂન હોવાં સારી વસ્તુ છે. પોતાના વિશિષ્ટ માનસિક વાતાવરણમાં રમમાણ હોવાને લીધે,આસપાસના માહોલથી કપાયેલો હોવાને કારણે એનાથી અમુક વસ્તુઓ ધ્યાન બહાર રહી જતી હોય તે બિલકુલ શકય છે. સ્વીકાર્ય પણ છે. આ એક વાત થઈ, પણ તુમાખીમાં રત રહીને મૂળભૂત ગરિમા કે સૌજન્યનો છેદ ઉડાડી દેવો તે તદ્દન જુદી વાત થઈ. સંજય લીલા ભણસાલી પોતાની આગામી ફિલ્મ 'રામ-લીલા'માં 'મન મોર બની થનગાટ કરે' જેવા અદ્ભુત ગીતનો પ્રયોગ કરે તે એમની કલાસૂઝ દર્શાવે છે, પણ આ અમર ગીતના રચયિતા ઝવેરચંદ મેઘાણીને ક્રેડિટ નથી અપાઈ તે સરતચૂક વિશે એકાધિક વખત ધ્યાન દોરવામાં આવ્યા પછી પણ આખી વાતને જો છેક સુધી ધરાર અવગણવામાં આવી હોત તો તે સંજય ભણસાલીની ક્રિયેટિવ બદમાશી ગણાઈ ગઈ હોત.
ઝવેરચંદ મેઘાણી

થેન્ક ગોડ આવું ન થયું. ફિલ્મની ઓપનિંગ ક્રેડિટમાં ઝવેરચંદ મેઘાણીની તસવીર સાથે ઋણસ્વીકાર કરવામાં આવશે તેવી ફિલ્મમેકર તરફથી ખાતરી આપવામાં આવી છે. ફિલ્મની મ્યુઝિક સીડી પર નામ મૂકાવાનું "ભુલ"થી રહી ગયું હશે તેવું માની લેવું પડે. ખરેખર તો ઝવેરચંદના પૌત્ર પિનાકી મેઘાણીએ લખેલો પત્ર છઠ્ઠી ઓકટોબરે મળ્યો તે પછી તરત જ સંજય ભણસાલી તરફથી ખુલાસો અને દિલગીરી બન્ને વ્યકત થઈ જવા જોઈતા હતા. એને બદલે અપેક્ષિત પ્રતિક્રિયા આવતાં બે અઠવાડિયાં વીતી ગયાં. દરમિયાન ગુજરાતી પ્રજા અને ગુજરાતી મિડીયા બન્નેનું પ્રેશર સંજય ભણસાલીએ અનુભવ્યું. ઝવેરચંદ મેઘાણીની ક્રેડિટ ગુપચાવી જવાની ચેષ્ટાનો કોઈ બચાવ ન હોઈ શકે. આ ગીત સાથે મેઘાણીનું નામ મૂકવાનું હોય જ. વાત પૂરી થઈ ગઈ. અહીં કોઈ જ તુમાખી કે બૌદ્ધિક આડોડાઈ કે ચતુરાઈભરી દલીલબાજી ન જોઈએ. સંજય ભણસાલી પોતાની ભુલ સુધારવામાં જેટલું વધારે મોડું કરત એટલા ગુજરાતી પ્રજાની નજરમાં તેઓ વધારે નીચે ઊતરતા જાત. ચાલો, તેમણે બાજી સંભાળી લીધી તે સારું થયું.બેટર લેટ ધેન નેવર.       
 ગીતકારને ક્રેડિટ આપવાની બાબતમાં વિવાદ થયો હોય તેવો આ કંઈ પહેલો કિસ્સો નથી. તે અંતિમ પણ નથી જ હોવાનો.'રોકસ્ટાર' ફિલ્મનાં અફલાતૂન ગીતોની સુપર સફળતાનું કારણ ફકત એ. આર. રહેમાન અને ગાયક મોહિત ચૌહાણ જ નથી, ગીતકાર ઈર્શાદ કામિલની ઉત્તમ લખાવટ પણ એટલી જ યશભાગી છે, પણ 'રોકસ્ટાર'નું મ્યુઝિક આલબમ બહાર પડયું ત્યારે જેકેટ પરથી ઈર્શાદ કામિલનું નામ ગાયબ હતું. ઈર્શાદ રહ્યા માણસ. તળાવમાં રહીને મગર સાથે વેર ન કરાય તે ન્યાયે તેમણે ઊહાપોહ ન કર્યો. ડિરેક્ટર ઈમ્તિયાઝ અલી અને મ્યુઝિક કંપની ટી-સિરીઝે 'આ તો ક્લેરિકલ મિસ્ટેક છે' એમ કહીને હાથ ખંખેરી લીધા, પણ હા, સીડીનો બીજો બેચ બહાર પડયો ત્યારે ઈર્શાદ કામિલનું નામ માનભેર મુકાઈ ગયું હતું.
Mohe Panghat Pe song (Mughal-e-Azam)

'મોગલ-એ-આઝમ'ના અમર ગીત 'મોહે પનઘટ પે નંદલાલ છેડ ગયો રે' નો કિસ્સો જાણીતો છે. આ ગીત રસકવિ રઘુનાથ બ્રહ્મભટ્ટે લખેલું. ૧૯૧૯માં રજૂ થયેલાં જૂના ગુજરાતી નાટક 'છત્ર વિજય'માં આ હિન્દી ગીત મુકાયું હતું. ચાર દાયકા પછી ૧૯૬૦માં રિલીઝ થયેલી 'મોગલ-એ-આઝમ'માં આ આખું ગીત બેઠ્ઠું વપરાયું હતું અને ગીતના રચયિતા તરીકે શકીલ બદાયૂનીનું નામ હતું! રસકવિ રઘુનાથ બ્રહ્મભટ્ટના મુંબઈસ્થિત પૌત્ર ડો. રાજ બ્રહ્મભટ્ટ, જે વિખ્યાત સેક્સોલોજિસ્ટ છે, તેઓ 'સંદેશ' સાથે આ વિશે વિગતે વાત કરતાં કહે છે, "એ જમાનામાં ટીવી-ઇન્ટરનેટ તો હતાં નહીં, માત્ર રેડિયો પર એનાં ગીતો સાંભળી શકાતાં. 'મોગલ-એ-આઝમ' રિલીઝ થઈ તેના થોડા દિવસ પહેલાં પાકિસ્તાનના 'ડોન' અખબારમાં સૌથી પહેલી વાર છપાયું હતું કે શકીલ બદાયૂનીના નામે જે ગીત બોલે છે તે 'મોહે પનઘટ પે...' ગીત ખરેખર રઘુનાથ બહ્મભટ્ટનું છે. દાદા તે વખતે નડિયાદ રહેતા. વાત ઊડતી ઊડતી તેમની પાસે પહોંચી. મુંબઈ આવીને તેમણે ફિલ્મમેકર કે. આસિફનું ધ્યાન દોર્યું. દરમિયાન ફિલ્મ રિલીઝ થઈ ચૂકી હતી. આસિફસાહેબે 'દેખ લેંગે' કહીને વાતને ટાળી દીધી. છ-આઠ મહિના વીતી ગયા. કોઈ નિવેડો આવ્યો નહીં એટલે મામલો ફિલ્મ રાઇટર્સ એસોસિયેશનમાં ગયો. દાદા પાસે પાક્કા પુરાવા હતા. તેમણે પોતાની આત્મકથા 'સ્મરણમંજરી'માં પણ આ ગીત પોતે કેવી રીતે રચ્યું હતું તેનું વિગતે વર્ણન કર્યું હતું. એસોસિયેશનનો ચુકાદો આવ્યો. ગીતના સર્જક રસકવિ રઘુનાથ બ્રહ્મભટ્ટ જ છે તે પુરવાર થઈ ગયું. ફિલ્મની પ્રિન્ટ્સ અને સંગીતની રેકોર્ડ્સ બની ગઈ હોવાથી વધારે કંઈ થઈ શકે તેમ નથી તેમ કહેવામાં આવ્યં. દાદાને ૧૧૦૦ રૂપિયા કોમ્પેન્સેશનરૂપે ચૂકવવામાં આવ્યા, જે તેમણે સ્વીકાર્યા."


ના, વાત અહીં પૂરી થતી નથી. ૨૦૦૪માં 'મોગલ-એ-આઝમ' સંપૂર્ણપણે કલરમાં રૂપાંતરિત કરીને નવેસરથી રિલીઝ કરવાની વાત આવી. નિર્માતા બોની કપૂર આ પ્રોજેક્ટ સાથે સંકળાયા હતા. નવી આવૃત્તિમાં મૂળ કવિની ક્રેડિટ ઉમેરાઈ જવી જોઈએ તેવી અપેક્ષા વંશજોને સ્વાભાવિકપણે રહે જ. ડો. રાજ બ્રહ્મભટ્ટે બોની કપૂરનો સંપર્ક કર્યો ત્યારે ફિલ્મ રિલીઝ થવાના બે-ત્રણ દિવસની જ વાર હતી. ડો. બ્રહ્મભટ્ટે સ્પષ્ટપણે કહ્યું કે હું કંઈ કોર્ટમાંથી સ્ટે ઓર્ડર લાવવાનો નથી, મને આર્થિક વળતરની પણ અપેક્ષા નથી, હું ફક્ત મારા દાદાને ક્રેડિટ મળે એટલું જ ઇચ્છું છું. બોની કપૂરે તરત પારખી લીધું કે ડો. બ્રહ્મભટ્ટનો કોઈ બદઈરાદો નથી. 'ઈરોઝ'માં પ્રીમિયર યોજાયો તેના પાસ પણ ડોક્ટરને મોકલાવ્યા, પણ પ્રિન્ટમાં હવે કોઈ પણ પ્રકારના ફેરફાર માટે બહુ મોડું થઈ ચૂક્યું હતું. ક્રેડિટની સમસ્યા એમની એમ રહી. ઓન-પેપર ગીત હજુ પણ શકીલ બદાયૂનીના નામે જ બોલતું હતું!
Dr. Raj Brhambhatt

પછી શરૂ થઈ દાદાને એમનો જશ અપાવવાની પૌત્રની લડાઈ, જે દોઢેક વર્ષ ચાલી. અત્યારે જેમ ઝવેરચંદ મેઘાણીના કિસ્સામાં બની રહ્યું છે તેમ આ કિસ્સામાં પણ ગુજરાતી-હિન્દી-મરાઠી મીડિયાએ સારું એવું કવરેજ આપ્યું. 'મોગલ-એ-આઝમ'ની ઓરિજિનલ ટીમમાંથી હવે ત્રણ જ લોકો હવે જીવિત હતા - સંગીતકાર નૌશાદ, લતા મંગેશકર અને દિલીપકુમાર. ડો. બ્રહ્મભટ્ટ નૌશાદને મળ્યા. બીમાર અવસ્થાનું કારણ હોય કે બીજું કંઈ પણ કારણ હોય, પણ નૌશાદ તરફથી ધાર્યો પ્રતિસાદ ન મળ્યો. મામલો ફરી પાછો ફિલ્મ રાઇટર્સ એસોસિયેશન પાસે ગયો. એક તરફ ડો. રાજ બ્રહ્મભટ્ટ હતા, સામે શકીલસાહેબના દીકરા હતા. નવી 'મોગલ-એ-આઝમ'ના પ્રોજેક્ટ મેનેજર દીપેશ સાલગિયા પણ આખા કેસમાં ઈન્વોલ્વ્ડ હતા.

"મારી પાસે ૧૯૨૦થી લઈને અત્યાર સુધીનાં છાપાં-મેગેઝિનોનાં કટિંગ્સ, મૂળ ગુજરાતી નાટકમાં વપરાયેલાં ગીતનાં રેકોર્ડિંગની નકલ વગેરે મળીને જે ડોક્યુમેન્ટ્સ હતાં તેનું વજન કમસે કમ વીસ કિલો જેટલું હતું!" ડો. બ્રહ્મભટ્ટ હસી પડે છે, "ફિલ્મ એસોસિયેશનની ટીમમાં ડો. અચલા નાગર હતાં, જે તે વખતે એસોસિયેશનનાં પ્રેસિડન્ટ પણ હતાં. 'બાગબાન' ફિલ્મ એમણે લખી છે. એસોસિયેશનની ટીમમાં કવિ પ્રદીપનાં પુત્રી ઉપરાંત એક ૮૪ વર્ષના સજ્જન પણ હતા. યોગાનુયોગે અગાઉ મારા દાદા ખુદ આ કેસ લડી રહ્યા હતા ત્યારે એસોસિયેશનની જે ટીમ બની હતી તેમાં પણ આ વયોવૃદ્ધ આદમી હિસ્સો હતા. તેમને કિસ્સો યાદ હતો. એમણે તરત કહ્યું કે આ કેસનો ચુકાદો તો એક વાર ઓલરેડી આવી ચૂક્યો છે. એસોસિયેશનના રેકોર્ડમાંથી પણ એની નોંધ નીકળી. 'મોહે પનઘટ પે...'ના રચયિતા રસકવિ રઘુનાથ બ્રહ્મભટ્ટ છે તે ફરી એક વાર પુરવાર થયું. ધારો કે પુરવાર થયું ન હોત તો મારા દાદાના નામ માટે હું આખી જિંદગી લડયો હોત. મારા પછી મારા દીકરાએ અને પૌત્રે લડાઈ આગળ વધારી હોત. મને બરાબર યાદ છે, ડો. અચલા નાગરની આંખોમાં તે દિવસે આંસુ હતાં. તેમણે કહ્યું કે કોઈ માણસે પોતાના દાદાના આત્મસન્માન માટે આટલી મહેનત કરી હોય તેવું મેં અગાઉ જોયું નથી! "

થોડા અરસા પછી નવી 'મોગલ-એ-આઝમ'ની ટીમ તરફથી ફિલ્મના કેલેન્ડર ઉપરાંત એક ખૂબસૂરત સોવેનિયર પ્રકાશિત કરવામાં આવ્યું. તેમાં સાદર નોંધ લેવાઈ કે, 'મોહે પનઘટ પે નંદલાલ...' ગીતના રચયિતા રસકવિ રઘુનાથ બ્રહ્મભટ્ટ છે. ફિલ્મની નવી ડીવીડી તેમજ મ્યુઝિક આલબમના કવર પર કવિનું નામ માનભેર મુકાયં. ૪૫ વર્ષ પછી ગીતને વિધિવત્ ઓળખ મળી. દાદાની ગરિમા માટે શરૂ થયેલી લડાઈમાં આખરે પૌત્રની જીત થઈ!
Sanjay Leela Bhansali

'મન મોર બની થનગાટ કરે...'ના કિસ્સામાં પ્રશ્ન જલદી ઉકેલાઈ ગયો તે સારું થયું. મ્યુઝિક આલબમના જેકેટ પર ગીતના નામ પછી કૌંસમાં જ્યાં 'ટ્રેડિશનલ' લખાયું છે ત્યાં મેઘાણીનાં નામનું સ્ટીકર મૂકવાનો આઈડિયા અવ્યવહારુ લાગતું હોય તો ભવિષ્યમાં બહાર પડનારી સીડીની તમામ બૅચમાં મેઘાણીનું નામ પ્રિન્ટમાં છપાઈ જવું જોઈએ. ફિલ્મ રિલીઝ કરવાનો દિવસ નજીક આવતો જશે તેમ તેમ સંજય ભણસાલી પ્રિન્ટ મીડિયા અને ટીવી ચેનલોને ખૂબ બધા ઈન્ટરવ્યુઝ આપવાના. આમાંની કમ સે કમ અમુક મુલાકાતોમાં જો તેઓ ઝવેરચંદ મેઘાણીનો માનભેર ઉલ્લેખ કરશે તો સમજી લેવાનું કે એક સમયે ઉત્તમ કલાકાર તરીકે આપણે જેમને પોંખેલા એ સંજય લીલા ભણસાલીનો માંહ્યલો હજુ સંપૂર્ણપણે કરપ્ટ થયો નથી. 
                                         0 0 0 

Friday, October 25, 2013

હૉલીવૂડ હન્ડ્રેડ : ‘બ્લ્યુ’-‘વ્હાઈટ’-‘રૅડ’

Mumbai Samachar - Matinee - 25 Oct 2013

હૉલીવૂડ હન્ડ્રેડ - મરતાં પહેલાં જોવી પડે એવી ૧૦૦ વિદેશી ફિલ્મો


ઝિંદગી કે રંગ કઈ રે...

ક્રિઝ્ટોફ કિસ્લોવ્સ્કીની ફિલ્મો પ્રમાણમાં ‘અઘરી’ ખરી, પણ આ માસ્ટર ફિલ્મમેકરે દુનિયાના સૌથી પ્રભાવશાળી ફિલ્મમેકર્સમાંના એક ગણાય છે. એમની ‘બ્લ્યુ’, ‘વ્હાઈટ’ અને ‘રૅડ’ ટ્રાયોલોજીમાં જીવન, મૃત્યુ, સંબંધો, પીડા અને પ્રેમની લાગણીના કેટલાય શેડ્ઝ ઝીલાયા છે. 





                        ૪૫ : ‘બ્લ્યુ’-‘વ્હાઈટ’-‘રૅડ’

જે એક નહીં, પણ ત્રણ ફિલ્મોની કરવાની છે. ‘બ્લુ’, ‘વ્હાઈટ’ અને ‘રેડ’ ત્રણેય અલગ ફિલ્મો છે, પણ તે સાથે મળીને એક ટ્રાયોલોજી બનાવે છે. એક વર્ષના ગાળામાં ક્રમબદ્ધ રિલીઝ થયેલી આ ત્રણેય ફિલ્મોને એકસાથે યાદ કરાય છે. ટ્રાયોલોજી બનાવનાર ક્રિઝ્ટોફ કિસ્લોવ્સ્કી (૧૯૪૧-૧૯૯૬) વિશ્ર્વસિનેમાનું બહુ મોટું નામ છે. આ પોલિશ ફિલ્મમેકરનાં નામનો સ્પેલિંગ ચક્કર આવી જાય તેવો છે - krzysztof kieslowski! ફિલ્મોની મુખ્ય ભાષા ફ્રેન્ચ છે. એમાં પોલિશ લેંગવેજનો પણ સારો એવો ઉપયોગ થયો છે. ફ્રાન્સના રાષ્ટધ્વજમાં બ્લુ, સફેદ અને લાલ રંગના પટ્ટા છે. બ્લુ આઝાદીનું પ્રતીક છે, સફેદ સમાનતાનું પ્રતીક છે અને લાલ રંગનો સંબંધ ભાઈચારાની લાગણી સાથે છે. આ ત્રણેય તત્ત્વો જે-તે ટાઈટલ ધરાવતી ફિલ્મોનો કેન્દ્રીય ભાવ છે. કિસ્લોવ્સ્કીએ જોકે પછી એક ઈન્ટરવ્યુમાં મજાકમાં કહેલું: ‘ફિલ્મો બનાવવામાં ફ્રાન્સનું નાણું વપરાયું હતું એટલે મેં બ્લુ-વ્હાઈટ-રેડ નામ આપ્યાં. જો બીજા કોઈ દેશનો પૈસો લાગ્યો હોત તો ફિલ્મો તો આ જ રહેત, ફક્ત ટાઈટલના કલર બદલી ગયા હોત!’

ફિલ્મોમાં શું છે?

‘બ્લુ’ વિશે વિગતે વાત કરીએ. બ્લુ એટલે આઝાદી. અહીં રાજકીય આઝાદીની નહીં, પણ લાગણીના સ્તરે મુકત થવાની કોશિશની વાત થઈ છે. ફિલ્મની શરુઆતમાં જ પેરિસમાં રહેતા એક વિખ્યાત સંગીતકાર અને તેની નાનકડી દીકરીનું રોડ એક્સિડન્ટમાં મૃત્યુ થઈ જાય છે. પત્ની જુલી (જુલિએટ બિનોશ) પણ કારમાં સાથે હતી, પણ તે બચી જાય છે. એક ઝાટકામાં આખો પરિવાર વીંખાઈ જાય ત્યારે સામાન્ય સંજોગોમાં સ્ત્રી ફાટી પડે, રડી રડીને અધમૂઈ થઈ જાય, પણ જુલીને જાણે ઈમોશિનલ પેરેલિસિસ થઈ ગયો છે. તે રડી શકતી નથી. એની આંખોમાંથી એક આંસુ પણ ટપકતું નથી. હોસ્પિટલમાં એ ખૂબ બધી ગોળીઓ ગળીને આત્મહત્યા કરવાની કોશિશ કરી જુએ છે, પણ એમાંય નિષ્ફળ જાય છે.


હોસ્પિટલથી ડિસ્ચાર્જ મળ્યા પછી એ ઓલિવિયર (બેનોટ રિજન્ટ) નામના ફેમિલી ફ્રેન્ડને ફોન કરીને ઘરે બોલાવે છે. ઓલિવિયર પણ સંગીતકાર છે, એક સમયે પતિનો સહાયક રહી ચુક્યો છે. જુલી જાણે છે કે એ મનોમન એને પ્રેમ કરે છે. તે ઓલિવિયરને ઘરે પૂછે છે: તું મને ખરેખર પ્રેમ કરે છે? પેલો હા પાડે છે. જુલી એની સાથે શરીરસંબંધ બાંધે છે. કદાચ જુલી એ જોવા માગે છે કે સેક્સથી એની થીજેલી લાગણીઓમાં કોઈ સ્પંદન જાગે છે કે કેમ. જુલીને જવાબ મળી જાય છે: સેક્સનું શસ્ત્ર પણ એના માટે હવે નકામું થઈ ગયું છે. તે મોટી હવેલી જેવું ઘર છોડીને કોઈને કશી જાણ કર્યા વગર પેરિસની અજાણી ગલીમાં ઘર ભાડે રાખીને એકલી રહેવા લાગે છે. પતિ એક મહત્ત્વની કોન્સર્ટ માટે સંગીત તૈયાર કરી રહ્યો હતો તેની નોંધો પણ તે ફાડી નાખે છે. આ સંગીત તૈયાર કરવામાં જુલીએ પોતે પણ ઘણો ફાળો આપ્યો હતો. એ તમામ સંંબંધોના જાળાંમાંથી અને અતીતની યાદોમાંથી મુક્ત થવા માગે છે. ભૂતકાળની એક જ યાદ એણે પોતાની પાસે રાખી છે- એક બ્લુ મણકાવાળું ઝુમ્મર, જે કદાચ એની દીકરીને બહુ પ્રિય હતું.





જુલી જે બિલ્ડિંગમાં રહે છે એના ગ્રાઉન્ડ ફ્લોર પર લ્યુસીલ (શાર્લોટ વેરી) નામની એક ચંચળ યુવતી રહે છે. તે કોલગર્લ છે, જે ક્યારેય પેન્ટી પહેરતી નથી. કોઈ ભમરાળી નાઈટક્લબમાં એ સ્ટ્રિપર તરીકે કામ કરે છે. બિલ્ડિંગવાળા એને કાઢી મૂકવા માગે છે અને તે માટે તમામ રહેવાસીઓની સહી જરુરી છે. જુલી કહે છે: મને એ છોકરી સાથે કશી લેવાદેવા નથી, હું સહી નહીં કરું. પછી લ્યુસીલ સાથે એની દોસ્તી થાય છે. જુલી એકવાર પોતાની મા (ઈમેન્યુએલ રિવા)ને મળવા વૃદ્ધાશ્રમ જાય છે. માને અલ્ઝાઈરની બીમારી હોવાથી જુલીને ઓળખી શકતી નથી. જુલીના સ્ટોરરુમમાં ઊંદરડી પાંચસાત બચ્ચાં જણે છે. ઝીણાં ઝીણાં રમકડાં જેવાં માસૂમ બચ્ચાં. ઊંડરડીને પોતાનાં બચ્ચાં સાથે ગેલ કરતાં જોઈને જુલીનું પથ્થર થઈ ગયેલું હૃદય દ્રવી ઉઠવું જોઈતું હતુંં. એને બદલે એ પાડોશીનો પાલતુ બિલાડો એમના પર છોડી મૂકે છે. લાગણીના સ્તરે તે કેટલી હદે કુંઠિત થઈ ચુકી હતી એનું આ ઉદાહરણ છે.

એક વાર ટીવી પર ન્યુઝમાં જુલી જુએ છે કે પોતાના પતિના અધૂરાં રહી ગયેલાં કમ્પોઝિશન પૂરાં કરવાનું બીડું ઓલિવિયરે ઝડપ્યું છે. જુલીને એ પણ ખબર પડે છે કે પતિને સેન્ડ્રીન (ફ્લોરેન્સ પરનેલ)નામની એક રખાત હતી. જુલી એને શોધી કાઢે છે. સેન્ડ્રીન સઘળું કબૂલી લે છે. તેના પેટમાં પતિનું બાળક છે. જુલી પોતાનું ભવ્ય ઘર સેન્ડ્રીનને આપી દે છે. જુલીને કદાચ ધીમે ધીમે એક વાત સમજાઈ રહી છે કે ભૂતકાળથી ભાગી શકવું શક્ય નથી. સંબંધોથી છેડો ફાડી શકાતો નથી. એ ઓલિવિયર સાથે પુન: નિકટતા સ્થાપે છે. પતિના કમ્પોઝિશન પૂરાં કરવાનાં કામમાં હાથ બટાવવાનું શરુ કરે છે. એક દિવસ ઓલિવિયર એને કહે છે: તારી પાસે બે જ વિકલ્પ છે. કાં તો તું મને એકલાને જેવું આવડે એવું કામ કરવા દે અથવા તારા હસબન્ડના સંગીતમાં તારો હંમેશા મોટો હાથ રહ્યો હતો તે દુનિયાને જણાવા દે. જુલી સહમત થાય છે. ફિલ્મ અહીં પૂરી થાય છે. છેલ્લાં દશ્યમાં એની આંખોમાંથી ચોધાર આંસુ વહેતાં દેખાય છે.





‘વ્હાઈટ’ ફિલ્મનો પ્રારંભ એક પોલિશ યુવાન અને ફ્રેન્ચ યુવતીના ડિવોર્સ કેસથી થાય છે. યુવતીએ બધું જ હડપી લીધું છે- એમનું જોઈન્ટ સલૂન, ઘર, બેન્ક બેલેન્સ બધું જ. યુવાન રીતસર રસ્તા પર આવી ગયો છે. કોઈક રીતે એ પોતાના પોલેન્ડના વતનમાં પહોંચે છે. આડાટેઢા રસ્તે ખૂબ બધા પૈસા કમાય છે અને અંતે ચાલાકીથી પોતાની એક્સ-વાઈફને પોતાના જ ખૂનકેસમાં ફસાવીને બદલો લે છે. ‘રેડ’માં એક યુવતી અને રિટાયર્ડ જજની કથા છે. બીજાં પાત્રો પણ છે. આ બધાં વચ્ચે કોમન કહેવાય એવું બહુ ઓછું છે, છતાંય તેઓ એક યા તો બીજા તાંતણે પરસ્પર જોડાયેલાં છે.


કથા પહેલાંની અને પછીની

કિસ્લોવ્સ્કીએ ઘોષિત કર્યું હતું કે આ ટ્રિલોજી બનાવીને હું નિવૃત્ત થઈ જઈશ. એવું જ થયું. ‘રેડ’ રિલીઝ થઈ એના બે વર્ષ પછી ફક્ત પ૬ વર્ષની ઉંમરે તેમનું મૃત્યુ થયું. અગાઉ તેમણે એક-એક કલાકની દસ ફિલ્મો બનાવી હતી. સંયુક્તપણે આ શૃંખલાને ‘ડેકાલોગ’ તરીખે ઓળખાઈ (ડેકા એટલે દસ). ટેન કમાન્ડમેન્ટ્સના પ્રત્યેક કમાન્ડમેન્ટ પર એક-એક ફિલ્મ. તેની પ્રશંસા ઘણી થઈ, પણ કિસ્લોવ્સ્કીને વિશ્ર્વસ્તરે સ્વીકૃતિ આ ટ્રિલોજીએ અપાવી.





કિસ્લોસ્વસ્કી માત્ર ડિરેક્ટર નથી, પોતાની ફિલ્મોના લેખક પણ છે. એમનો નામેરી એક સાથી લેખક હતો, જેને પેન-પેપર કે કમ્પ્યુટર પર લખવાનું ન ફાવતું. એ વાતો કરી શકે, ઊંડી ચર્ચાઓ કરી શકે. બન્ને કિસ્લોવ્સ્કીઓ ભેગા થઈને ખૂબ ડિસ્કસ કરે ને પછી ડિરેક્ટરસાહેબ એને કાગળ પર ઉતારે. કિસ્લોવ્સ્કી એમની ફિલ્મોમાં બધું પ્રગટપણે કહેતા નથી. અમુક વસ્તુઓ ઓડિયન્સપર છોડી દે છે. એક ઈન્ટરવ્યુમાં તેમણે કહેલું કે, ‘મારું કામ ફિલ્મો બનાવવાનું છે. મેં જે કંઈ બનાવ્યું છે તેમાંથી કોઈ વિશેષ અર્થ નીકળે છે કે નહીં તે શોધી કાઢવાનું કામ તમારું (એટલે કે ઓડિયન્સનું) છે. મારા માટે દર્શકોનાં અર્થઘટનો બહુ જ મહત્ત્વનાં હોય છે. ઘણી વાર એવું બને કે હું જે કંઈ કહેવા માગતો હોઉં તેના કરતાં કંઈક જુદું જ તેમણે તારવ્યું હોય. હું હું ફિલ્મ લખતો હોઉં, શૂટ કરતો હોઉં કે એડિટ કરતો હોઉં ત્યારે સતત સભાન હોઉં છું કે ઓડિયન્સ કઈ જગ્યાએ રડવાની કે હસવાની કે સરપ્રાઈઝ થવાની અપેક્ષા રાખશે. હું એને એકદમ ધાર સુધી લઈ જઈશ અને પછી અપેક્ષા કરતાં તદ્ન વિપરિત જ કરીશ! મારા ઓડિયન્સ સાથે આ રીતે હું સતત રમત રમતો હોઉં છું.


                                                              


ધાર્યા કરતાં વિપરીત બનવું આ ટ્રિલોજીમાં કોમન છે. ટ્રિલોજી માટે એક સરસ વાત કહેવાઈ છે કે ‘બ્લુ’ એન્ટી-ટ્રેજેડી છે, ‘વ્હાઈટ’એન્ટી-કોમેડી છે અને ‘રેડ’ એન્ટી-રોમાન્સ છે. ‘બ્લુ’માં સંવાદો બહુ જ ઓછા, જરુર પૂરતાં જ છે. કિસ્લોવ્સ્કી વાર્તાને આગળ વધારવામાં વિઝ્યુઅલ્સનો મહત્તમ સહારો લે છે. સ્ક્રીન પર બ્લુ રંગનું પ્રભુત્વ રહે તે માટે કેટલાંક દષ્યોમાં બ્લુ ફિલ્ટર અને બ્લુ લાઈટિંગ વપરાયાં છે. સ્ક્રીન પર દેખાતી વસ્તુઓનો રંગ પણ બ્લુ છે. એ જ પ્રમાણે ‘વ્હાઈટ’માં પોલેન્ડની બર્ફીલી સફેદી છવાયેલી છે. જોકે ‘વ્હાઈટ’નાં વિઝ્યુઅલ્સ ‘બ્લુ’ જેટલાં પાવરફુલ નથી. કિસ્લોવ્સ્કીની ફિલ્મો ટિપિકલ અર્થમાં મનોરંજક નથી હોતી. વાર્તા બહુ જ ધીમે ધીમે આગળ વધે. દર્શકે ધીરજ રાખવી પડે. હોલિવૂડની રેગ્યુલર બ્લોકબસ્ટર ફિલ્મો યા તો જોવામાં સહેજ પણ કષ્ટ ન પડે એવી ફિલ્મોમાં જ રસ પડતો હોય તેમને કિસ્લોવ્સ્કીની કૃતિઓમાં મજા નહીં આવે. સિનેમાને ગંભીર કળાસ્વરુપ તરીકે જોનારાઓને અન્ય માસ્ટર્સની માફક કિસ્લોવ્સ્કીનાં કામને માણવાની અને તેનો અભ્યાસ કરવાની મોજ પડશે.                                                            0
બ્લ્યુ-વ્હાઈટ-રૅડ’ ફેક્ટ ફાઈલ

ડિરેક્શન : ક્રિઝ્ટોફ કિસ્લોવ્સ્કી 



લેખક : ક્રિઝ્ટોફ કિસ્લોવ્સ્કી, ક્રિઝ્ટોફ પીસીવિક્ઝ

ભાષા : ફ્રેન્ચ, પોલિશ

કલાકાર : જુલિયેટ બિનોશ, બેનોટ રિજન્ટ, ફ્લોરેન્સ પરનેલ, જુલી ડિલ્પી, બિગન્યુ ઝેમચોવ્સ્કી, આઈરેન જેકોબ, જ્યોં-લુઈ ટ્રિન્ટીગ્રાન્ટ

રિલીઝ ડેટ : અનુક્રમે ૮ સપ્ટેમ્બર ૧૯૯૩, ૨૬ જાન્યુઆરી ૧૯૯૪, ૮ સપ્ટેમ્બર ૧૯૯૪

મહત્ત્વના અવોર્ડઝ: જુલિયેટ બિનોશને ‘બ્લુ’ માટે બેસ્ટ એક્ટ્રેસનો ગોલ્ડન ગ્લોબ અવોર્ડ, ‘રેડ’ માટે બેસ્ટ ડિરેક્ટર, સિનેમેટોગ્રાફી અને ઓરિજિનલ સ્ક્રીનપ્લેનાં ઓસ્કર નોમિનેશન્સ                       0 0 0

Wednesday, October 23, 2013

ટેક ઓફ : ૨૮ વર્ષે બૂકર, ૮૨ વર્ષે નોબેલ

Sandesh - Ardh Saptahik Purti - 23 Oct 2013

ટેક ઓફ 

જીવનના અંતિમ બિંદુ તરફ આગળ વધી ગયેલાં વયોવૃદ્ધ નવલિકાકાર અને હજુ ઊગીને ઊભાં થઈ રહેલાં નવલકથાકાર લગભગ એકસાથે વિશ્વસ્તરે પોંખાયાં છે
Alice Munro 

મહિનામાં બે સરસ ઘટના બની. એલિસ મુનરો નામની લેખિકાને ૨૦૧૩નું નોબેલ પ્રાઇઝનું મળ્યું. એના પાંચ દિવસ પછી ઇલિનોર કેટન નામની બીજી લેખિકાને આ વર્ષનું મેન બૂકર પ્રાઇઝ ઘોષિત થયું. નોબેલ અને બૂકર-બન્ને વિશ્વનાં સૌથી હાઇ પ્રોફાઇલ અને તગડાં પારિતોષિકો. નોબલ પ્રાઇઝ ૧.૨ મિલિયન ડોલર એટલે કે લગભગ ૭૩ કરોડ રૂપિયાનું અને બૂકર પ્રાઇઝ પચાસ હજાર પાઉન્ડ એટલે કે આશરે ૪૯ લાખ રૂપિયાનું. એલિસ અને ઇલિનોર બન્ને ગદ્યસ્વામિનીઓ છે. એલિસ મુનરો નવલિકાકાર છે, જ્યારે ઇલિનોર કેટન નવલકથાઓ લખે છે. એલિસને તેમના સમગ્ર સર્જન માટે નોબેલ પ્રાઇઝ મળ્યું છે, જ્યારે ઇલિનોરને એમની બીજી નવલકથા 'ધ લ્યુમિનરીઝ' માટે બૂકર પ્રાઇઝ મળ્યું છે. એલિસ અને ઇલિનોર બન્નેનો જન્મ કેનેડામાં થયો છે. એલિસ કર્મે પણ પૂર્ણતઃ કેનેડિયન છે, જ્યારે ઇલિનોર છ વર્ષની થઈ ત્યારે એનો આખો પરિવાર ન્યૂઝીલેન્ડ શિફ્ટ થઈ ગયો. એલિસ મુનોર ૮૨ વર્ષનાં છે, જ્યારે ઇલિનોરની ઉંમર ફક્ત ૨૮ વર્ષ છે!
જીવનના અંતિમ બિંદુ તરફ આગળ વધી ગયેલી લેખિકા અને હજુ ઊગીને ઊભી થઈ રહેલી લેખિકા લગભગ એકસાથે વિશ્વસ્તરે પોંખાય તે સુંદર સ્થિતિ છે. ઊભરી રહેલી જેન્યુઇન ટેલેન્ટ કારકિર્દીનાં પ્રારંભિક વર્ષોમાં જ સન્માનિત થઈ જાય તે આદર્શ પરિસ્થિતિ છે જ. જો ઇલિનોર કેટનનો માંહ્યલો સાબૂત હશે તો પચાસ હજાર પાઉન્ડનું મસમોટું ઇનામ એના જીવનને ફક્ત સહેજ વધારે અનુકૂળ બનાવશે, તેની ક્રિએટિવિટીને કરપ્ટ નહીં કરે. સાહિત્યનું નોબેલ પ્રાઇઝ એ લાઇફટાઇમ એવોર્ડ હોય છે. સમગ્ર જીવન દરમિયાન કરેલાં સાહિત્યસર્જનની આ અંતિમ અને ઉચ્ચતમ સ્વીકૃતિ છે.
સામાન્યપણે સાહિત્યનું નોબેલ પારિતોષિક વિજેતા પસંદ કરનારી ટીમનો ઝુકાવ કવિ અને નવલકથાકાર તરફ વધારે હોય છે,પણ આ વખતે એક નવલિકાકારની પસંદગી થવાથી ટૂંકી વાર્તાનું સાહિત્ય સ્વરૂપ જાણે એકાએક હોટ એન્ડ હેપનિંગ બની ગયું છે. એલિસ મુનોરના ૧૪ વાર્તાસંગ્રહો પ્રકાશિત થઈ ચૂક્યા છે. તેમની કથાઓમાં મુખ્યત્વે ગ્રામ્ય વાતાવરણ હોય, માનવમનની ગૂંચવણો, માનવીય સંબંધો ને વાર્ધક્ય જેવાં તત્ત્વોની કમાલની વાતો હોય. વિવેચકોને તેમની નવલિકાઓમાં નવલકથાની કક્ષાનું સાહિત્યિક અને ઇમોનશનલ ઊંડાણ દેખાય છે (હવે આ પ્રકારની તુલના સામે ઘણાંને વાંધો પડી શકે એમ છે. નવલકથાની કક્ષા નવલિકાની કક્ષા કરતાં ઊંચી જ હોય એવું શા માટે આગોતરું સ્વીકારી લેવામાં આવ્યું છે? વગેરે).
'માસ્ટર ઓફ કન્ટેમ્પરરી શોર્ટ સ્ટોરીઝ' ગણાતાં એલિસની તુલના ઘણી વાર મહાન રશિયન લેખક ચેખોવ સાથે થાય છે. તેમણે આજીવન ફક્ત ટૂંકી વાર્તાઓ જ લખી છે. લખવાની શરૂઆત તેમણે એવું વિચારીને કરી હતી કે આગળ જતાં હું નવલકથા લખીશ. વર્ષોનાં વર્ષો સુધી ટૂંકી વાર્તાને તેઓ નવલકથા લખવા માટેની 'નેટ પ્રેક્ટિસ' તરીકે જોતાં રહ્યા. વળી, ઘર સંભાળવામાં અને ત્રણ બાળકોને મોટાં કરવાની પળોજણમાં લાંબી નવલકથાને બદલે ટૂંકી ટૂંકી વાર્તાઓ લખવાનું જ ફાવે તેમ હતું. એક સ્થિતિ એવી આવી કે તેમને જે કંઈ કહેવાનું હોય તે સઘળું નવલિકામાં કહેવાઈ જતું.
એલિસ મુનોર ઝપાટાબંધ લખનારાં લેખિકા નથી, ક્યારેય નહોતાં. પહેલો ડ્રાફ્ટ એ જ અંતિમ ડ્રાફ્ટ એવો આગ્રહ તો બિલકુલ નહીં. એક ઇન્ટરવ્યૂમાં તેઓ કહે છે, 'હું વીસ વર્ષની ઉંમરથી નવલિકાઓ લખું છું. હું ત્યારથી જ લખવામાં ધીમી છું. લખવાનું કામ મને લગભગ હંમેશાં કઠિન લાગ્યું છે. મારું રૂટિન કંઈક આવું હોય છે. સવારે ઊઠીને કોફી પીને હું લખવા બેસી જાઉં. થોડી વાર પછી બ્રેકફાસ્ટ જેવું કરી પાછી લખવા માંડું. મારું નક્કર લખવાનું કામ સવારના ભાગમાં જ થતું હોય છે. સમજોને કે સવારે હું કુલ ત્રણેક કલાક લખતી હોઈશ. હું રોજેરોજ લખું છું. અઠવાડિયાના સાતેય દિવસ. રોજ નોટબુકનાં અમુક પાનાં ભરવાં જ એવો મારો નિયમ છે. જો નક્કી કરેલાં પાનાં ન ભરાય તો મારું મન ઉચાટમાં રહે. ધારો કે કોઈ દિવસ ન લખી શકાય તો બીજા દિવસે ઓવર-ટાઇમ કરીને વધારે પાનાં લખી બધું સરભર કરી નાખું. ચાલવાના મામલામાં પણ એવું. રોજ ત્રણ માઈલ વોકિંગ કરવાનું જ. ક્યારેક ઓછું ચલાય તો બીજા દિવસે વધારે ચાલી નાખવાનું.'
શિસ્ત એ ઉત્તમ સર્જકોનો કોમન ગુણ છે. માત્ર ક્રિએટિવિટી, ક્રિએટિવિટીના જાપ કરતાં રહેવાથી ઊંચાઈઓ સર થતી નથી. એલિસ મુનોર રી-રાઇટિંગ પણ પુષ્કળ કરે. ક્યારેક માત્ર બે શબ્દો બદલવા હોય તોપણ છપાવા જઈ રહેલાં પુસ્તકને અટકાવીને પ્રૂફ પાછું મંગાવે. પરફેક્શનનો આવો આગ્રહ જરૂરી હોય છે શ્રેષ્ઠતાની સાધના માટે.
Eleanor Catton 

૨૮ વર્ષનાં ઇલિનોર કેટને બે વિક્રમ બનાવ્યા છે. એક તો, બૂકરના ૪૫ વર્ષના ઇતિહાસમાં આટલી નાની વયની વ્યક્તિને પહેલી વાર પારિતોષિક આપવામાં આવ્યું છે. બીજું, 'ધ લ્યુમિનરીઝ' બૂકર જીતનારી સૌથી તોતિંગ નવલકથા છે - પૂરાં ૮૩૨ પાનાં. માઇક્રોસોફ્ટ વર્ડમાં આખી નવલકથા લખી લીધા પછી ઇલિનોરે 'ધ એન્ડ' ટાઇપ કર્યું ત્યારે શબ્દસંખ્યા થઈ હતી બે લાખ ૭૦ હજાર શબ્દો, ફક્ત. 'ધ લ્યુમિનરીઝ' એક ક્રાઇમ થ્રિલર છે. ગયા સપ્તાહે જેની વાત કરી હતી એ અમેરિકન લેખિકા એલિઝાબેથ ગિલ્બર્ટની લેટેસ્ટ નોવેલ 'ધ સિગ્નેચર ઓફ ઓલ થિંગ્સ'ની માફક 'ધ લ્યુમિનરીઝ'ના કથાનકનો સમયગાળો પણ ઓગણીસમી સદીનો છે. વાર્તા કંઈક એવી છે કે એક નગરમાં એકસાથે ત્રણ વિચિત્ર ઘટનાઓ બને છે. શહેરનો સૌથી ધનિક અને સૌથી'ડિઝાયરેબલ' પુરુષ અચાનક ગાયબ થઈ જાય છે. આત્મહત્યાની કોશિશ કરી ચૂકેલી એક વેશ્યા ક્યાંકથી મૂર્છિત અવસ્થામાં જડી આવે છે અને જેના ઘરની જમીનમાં ખજાનો દટાયેલો છે તેવા એક શરાબીનું ખૂન થઈ જાય છે. દેખીતું છે કે આ કથામાં રહસ્ય,રોમાંચ, ષડયંત્ર અને રોમાન્સ જેવાં તત્ત્વો તો હોવાનાં જ, પણ ઇલિનોરે ખરી કમાલ નવલકથાના સ્વરૂપમાં કરી છે. તેણે જ્યોતિષશાસ્ત્રનો 'સ્ટ્રક્ચરલ એન્કર' તરીકે સરસ ઉપયોગ કર્યા છે. બાર રાશિ પ્રમાણે નવલકથાને બાર પ્રકરણોમાં વિભાજિત કરી દીધી છે. (મધુ રાયે દાયકાઓ પહેલાં 'કિમ્બલ રેવન્સવૂડ'માં રાશિઓનો અફલાતૂન ઉપયોગ કર્યો હતો, યાદ છેને? એનઆરઆઈ નાયક યોગેશ પટેલ એક પછી એક બાર રાશિની કન્યાઓને મળે છે ને તે લયમાં નવલકથા આગળ વધે છે.) ઇલિનોરે ગ્રહો,નક્ષત્રો અને તારાની સ્થિતિને પણ કથારસનો મહત્ત્વનો હિસ્સો બનાવ્યાં છે. પાત્રોનાં વ્યક્તિત્વ તેમની સનસાઇન એટલે કે રાશિ પ્રમાણે ઉપસાવ્યાં છે. 'ધ લ્યુમિનરીઝ'ને ભવિષ્યમાં 'ધ ગ્રેટ ન્યૂઝીલેન્ડ નોવેલ'નો દરજ્જો મળે તેવી પૂરી શક્યતા છે.   
એલિસ મુનોરે જીવનમાં જે સિદ્ધ કરવાનું હતું તે કરી લીધું છે, પણ ઇલિનોરનો સાહિત્યક ગ્રાફ હવે કઈ રીતે આગળ વધે છે તે જોવાની મજા આવશે. આ મજા તો જ આવે જો એનું પુસ્તક વાંચ્યું હોય. મતલબ કે 'ધ સિગ્નેચર ઓફ ઓલ ધ થિંગ્સ'નું રેપર ખોલીને હજુ વાંચવાની શરૂઆત કરીએ તે પહેલાં બીજાં એટલિસ્ટ બે પુસ્તકો ઓનલાઇન ઓર્ડર કરવાનો સમય પાછો આવી ગયો છે. 
0 0 0 

Saturday, October 19, 2013

હૉલીવુડ હન્ડ્રેડ : એરિન બ્રોકોવિચ

Mumbai Samacahar - Matinee Supplement - 18 Oct 2013

હૉલીવુડ હન્ડ્રેડ - મરતાં પહેલાં જોવી પડે એવી ૧૦૦ વિદેશી ફિલ્મો

ફિલ્મ ૪૪ : એરિન બ્રોકોવિચ

સામેવાળો ભલે ગમે તેટલો શક્તિશાળી હોય, પણ જો સત્ય આપણા પક્ષે હોય તો કોઈથી ડરવાની જરૂર હોતી નથી. સત્યઘટના પર આધારિત એરિન બ્રોકોવિચ વારંવાર જોવી ગમે તેવી છે અને દર વખતે આ ફિલ્મ જુસ્સો ચડાવી દે છે.




હિંમત કભી ના હારેંગે 

મુક ફિલ્મોમાં કંઈક એવો જાદુ હોય છે કે જેને લીધે તે વારંવાર જોયા પછીય આપણે કંટાળતા નથી. ફિલ્મ જોઈએ ત્યારે દર વખતે આપણો પાનો ચડે, આપણો જુસ્સો વધે. સામેવાળો ભલે ગમે તેટલો શક્તિશાળી હોય, પણ જો સત્ય આપણા પક્ષે હોય તો કોઈથી ડરવાની જરૂર હોતી નથી. આ વાત એરિન બ્રોકોવિચમાં અસરકારક રીતે કહેવાઈ છે. ફિલ્મ સત્યઘટના અને સાચુકલી વ્યક્તિ પર આધારિત છે. 

ફિલ્મમાં શું છે?

એરિન બ્રોકોવિચ (જુલિયા રોબર્ટ્સ) ભારાડી અમેરિકન મહિલા છે, ડિવોર્સી છે. ત્રણ બચ્ચાંને જેમતેમ કરીને એકલી સંભાળે છે. સ્વભાવે ઉદ્દંડ. બોલવામાં બેફામ. એની કપડાં પહેરવાની સ્ટાઈલ સન્નારીઓને શોભે એવી તો નહીં જ. બિન્દાસ લો-કટ ટૉપ પહેરે, જેમાંથી સ્તનો અને બ્રાની પટ્ટીઓ બહાર ડોકિયાં કરતાં હોય. એની પાસે નથી અનુભવ કે નથી પૂરતી ક્વોલિફિકેશન, છતાં એડ મર્સી (આલ્બર્ટ ફિની) નામના એડવોકેટની લો ફર્મમાં ઓછા પગારે લીગલ આસિસ્ટન્ટની નોકરીએ લાગે છે. 

પેસિફિક ગેસ એન્ડ ઈલેક્ટ્રિક (પીજી એન્ડ ઈ) નામની એક જાયન્ટ કંપનીનો પ્રોપર્ટીનો એક કેસ એડ પાસે આવ્યો છે. તેની ફાઈલો એ એરિનને આપે છે. કંપની ડોના નામની સ્ત્રીનું ઘર ખરીદવા માગે છે. ફાઈલમાં જાતજાતના મેડિકલ રિપોર્ટ્સ પણ છે. એરિનને નવાઈ લાગે છે કે પ્રોપર્ટીની મેટરમાં મેડિકલ રિપોર્ટ્સ શા માટે બીડ્યા છે. એરિન ડોનાને મળવા જાય છે. એ બિચારીને ભયાનક ગાંઠો થઈ છે. એના પતિને પણ કોઈક ગંભીર બીમારી છે. ડોના વાતવાતમાં કહે છે, જોને, આ કંપનીવાળા કેટલા સારા છે. અમારો ટ્રીટમેન્ટનો બધો ખર્ચ કંપનીએ ઉપાડી લીધો છે. એરિન પૂછે છે, પણ તારી બીમારી સાથે કંપનીને શું લાગે વળગે? ડોના જવાબ આપે છે, એ તો ક્રોમિયમનું કંઈક છેને એટલે. 





પત્યું. એ ભોળી મહિલાને કલ્પના નથી કે એનો આ ટૂંકો ને ટચ જવાબ કેટલી મોટી બબાલ ઊભી કરી દેશે. એરિન કેસમાં ઊંડી ઊતરે છે. એને ખબર પડે છે કે ડોના જે વિસ્તારમાં રહે છે એનું પાણી પ્રદૂષિત છે. પીજી એન્ડ ઈ કંપનીએ પૂરતી તકેદારી રાખી ન હોવાથી એની ફેક્ટરીમાંથી ઝરતું હેક્ઝાવેલન્ટ ક્રોમિયમ નામનું ખતરનાક કેમિકલ પીવાના ને અન્ય ઉપયોગમાં લેવાના પાણીના સ્ત્રોતમાં ભળી ગયું છે, જે સ્થાનિક લોકોના શરીરમાં પહોંચીને ભયાનક નુકશાન પહોંચાડી રહ્યું છે. કંપનીએ સ્થાનિક લોકોને આ વિશે તદ્દન ભ્રમમાં રાખ્યા છે ને ખોટી માહિતી આપી છે. વળી, આ બધાંની ટ્રીટમેન્ટ કરવા કંપનીના ડોક્ટરો જ નીમ્યા છે એટલે સચ્ચાઈ ઢંકાઈ ગઈ છે. 

એરિન બોસને કહે છે કે આપણે આ લોકોને એકઠા કરીને કંપની વિરુદ્ધ બેદરકારીનો અને રહેવાસીઓના સ્વાસ્થ્ય સાથે ચેડાં કરવાના મામલે કેસ ઠોકી દેવો જોઈએ. બોસ કહે છે: એરિન, ગાંડી ના થા. આપણે આ કામમાં નાના પડીએ. ક્યાં આ અબજોની અસ્કયામત ધરાવતી મલ્ટિનેશનલ કંપની ને ક્યાં આપણી ટચૂકડી ફર્મ. પણ એરિન બોસને મનાવી લે છે. 

એરિનને એક બોયફ્રેન્ડ પણ છે - જ્યોર્જ (એરોન એકાર્ટ). બાઈક, ફ્રેન્ચકટ દાઢી અને ટચૂકડી પોનીવાળો. એરિનનાં ત્રણેય છોકરાંવને સંભાળવાની જવાબદારી એના પર આવી પડે છે. એરિન સમય આપી શકતી નથી એથી જ્યોર્જને પણ ખૂબ તકલીફ થઈ રહી છે, પણ એરિન પોતાનાં આ નવા કામમાં ગજબના ઝનૂનથી કામ કરી રહી છે. એ કહે છે કે જિંદગીમાં પહેલી વાર મારા કામ બદલ મને આદર મળી રહ્યો છે. પ્લીઝ, તું બધું એકલા હાથે સંભાળી લેેજે. એરિન પાસે પુષ્કળ કામ છે. સૌથી પહેલાં તો એણે કંપની વિરુદ્ધ નક્કર પૂરાવા એકઠા કરવાના છે. એક બારમાં એનો ભેટો પીજી એન્ડ ઈ કંપનીમાં કામ કરી ચુકેલા માણસ સાથે થાય છે. એને અમુક દસ્તાવેજોનો નાશ કરવાનું કામ સોંપાયું હતું. આ માણસે જોયું કે આમાં તો કંપનીના કામદારોની નાજુક તબિયત વિશેના મેડિકલ રિપોર્ટ્સ છે. નાશ કરવાને બદલે આ ડોક્યુમેન્ટ્સ એણે પોતાની પાસે રાખી લીધા. આ તમામ કાગળિયાં એ એરિનને આપે છે. ડોક્યુમેન્ટ્સમાં તે વાતનો પૂરાવો છે કે કંપનીના સાહેબોને પાક્કા પાયે ખબર હતી કે ઝેરી ક્રોમિયમથી પાણી પ્રદૂષિત થઈ રહ્યું છે છતાં તેમણે આ સિલસિલો અટકાવવાની કોઈ જ કોશિશ કરી નથી. ઊલટાનું, આ આખી વાતનો વીંટો વાળી દેવાની કોશિશ કરી. 





એરિન હેક્ઝાવેલન્ટ ક્રોમિયમથી નુક્સાન પામેલા ૬૩૪ લોકોને વિશ્ર્વાસમાં લઈને એકજૂથ કરે છે. કંપની વિરુદ્ધ પૂરક દસ્તાવેજો ગમે તેમ કરીને ભેગા કરવાના છે. ફેમિનાઈન ચાર્મ અજમાવો, લૉ-કટ કપડાં પહેરો, કારકૂનના મોંમાથી મધલાળ ટપકે એવાં નખરાં કરવા પડે તો તે પણ કરો, પણ કામ થવું જોઈએ. તમામ લોકો વતી એરિન અને તેના બોસની કંપનીના હાઈ પ્રોફાઈલ પ્રતિનિધિઓની મીટિંગો થાય છે. વાતને વધારે ખેંચવાને બદલે જલદી માંડવાળ કરવાનો ઉદેશ છે. કંપનીના સાહેબો ચાલાકી કરવા જાય એટલે એરિન બિન્ધાસ્ત ભાષામાં નામ, આંકડા અને રોગની વિગતો મશીનગનની જેમ ફેંકીને તેમને ચુપ કરી દે. આખરે સેટલમેન્ટનો અધધધ આંકડો નક્કી થાય છે,૩૩૩ બિલિયન ડોલર્સ એટલે કે આજના હિસાબે ૨૦૫૯૮ કરોડ રૂપિયા, ફક્ત! આ એક વિક્રમ છે. અગાઉ નક્ક્ી થયા પ્રમાણે ૪૦ ટકા રકમ ફી પેટે એરિનના બોસને મળે છે. બાકીની રકમ ૬૩૪ લોકો વચ્ચે વહેંચાઈ જાય છે. 

ફિલ્મનો છેલ્લો સીન બહુ સરસ છે. બોસ એરિનની ટાંગ ખેંચતા કહે છે, એરિન, આપણે કેસ જીતી ગયા એટલે મેં તને અમુક રકમનું બોનસ આપવાનું નક્કી તો કર્યું હતું, પણ સોરી, છેલ્લી ઘડીએ મારે આંકડો બદલી નાખવો પડ્યો. એરિન વિફરે છે, સર, તમે જોતાં નથી કે આ કેસ માટે મેં દિવસ-રાત એક કર્યા છે, મારાં બચ્ચાંને રીતસર અવગણ્યાં છે, મારો બોયફ્રેન્ડ મને છોડીને જતો રહ્યો ને તમે... અચાનક એનું ધ્યાન ચેક પર લખેલી રકમ પર જાય છે, બે મિલિયન ડોલર્સ! એરિન રાજીનાં રેડ થઈ જાય છે. પોતાને અપેક્ષા હતી તેના કરતાં ઘણું મોટું બોનસ બોસે આપ્યું હતું. એરિન બ્રોકોવિચ અને તેનાં બાળકોનું ભવિષ્ય હવે ઘણે અંશે સુરક્ષિત થઈ ગયું છે.

કથા પહેલાંની અને પછીની

અગાઉ જણાવ્યું તેમ આ એક સત્યકથા છે. અસલી એરિન બ્રોકોવિચે પોતાની કથા યુનિવર્સલ સ્ટુડિયોને ફક્ત એક લાખ ડોલરમાં વેચી હતી. એને ફિલ્મમાં દેખાડાય છે એવો એક બાઈકર બોયફ્રેન્ડ પણ હતો. જોકે બ્રેકઅપ થઈ ગયા પછી પણ બન્ને છુટાં નહોતાં પડ્યાં, કારણ કે એરિનના બોસે એને કાયદેસર એરિનનાં બાળકોના કેરટેકર તરીકે સારા પગારની નોકરી પર રાખી લીધો હતો. અસલી એરિન બ્રોકોવિચની ઈચ્છા હતી કે ફિલ્મમાં પોતાનો રોલ ગોલ્ડી હોન ભજવે. મજા જુઓ. એનો અસલી બોસ કહ્યા કરતો કે તારું કિરદાર કરવા માટે સૌથી ઓછી લાયક કોઈ અભિનેત્રી હોય તો તે જુલિયા રોબર્ટ્સ છે, કારણે કે એ તારી જેમ ગાળો બોલતી જરાય જામે જ નહીં. યોગાનુયોગે આ રોલ જુલિયા રોબર્ટ્સ પાસે જ ગયો અને તે એણે એટલી અદભુત રીતે નિભાવ્યો કે બેસ્ટ એક્ટ્રેસનો ઓસ્કર જીતી લીધો. અસલી એરિન જુલિયાના પર્ફોર્મન્સથી રાજી રાજી હતી. બાય ધ વે, ફિલ્મમાં અસલી એરિન બ્રોકોવિચ પણ એક દશ્યમાં દેખાય છે, વેઈટ્રેસના રૂપમાં. એના કિરદારનું નામ જુલિયા રાખવામાં આવ્યું છે. 



Real Eric Brockovich : The film is based on her life 

ફિલ્મમાં એરિનને ઢગલાબંધ ફોન નંબર, આંકડા તેમજ બીજી વિગતો કડકડાટ બોલતાં બતાવી છે. શું અસલી એરિન ખરેખર તીવ્ર યાદશક્તિ ધરાવે છે? એ કહે છે કે હા. એને તારેં જમીં પર વાળી ડિસ્લેક્સિયાની બીમારી છે. સીધીસાદી રીતે તે વાંચી શકતી નહીં. તેથી એણે નાનપણથી જ બધું જ ગોખી ગોખીને યાદ રાખવાની ટેવ પાડી હતી. આ ટેવ એને પીજી એન્ડ ઈ કેસ વખતે પણ કામ આવી. બીજો મહત્ત્વનો સવાલ. ફિલ્મમાં જુલિયા રોબર્ટ્સ કારકૂન પ્રકારના લોકો પાસેથી પોતાનું કામ કઢાવવા બેધડક સ્તનપ્રદર્શન કરતાં લો-કટ ટી-શર્ટ પહેરે છે. શું અસલી એરિન પણ આવાં ગતકડાં કરતી? અસલી એરિન બ્રોકોવિચ ચોખ્ખી ના પાડે છે. એ કહે છે, મારાં ડ્રેસિંગની સ્ટાઈલ જ એવી છે. હું અંગત જીવનમાં આવાં જ કપડાં પહેરું છું. પેલાં કારકૂન પાસે ડોક્યુમેન્ટ્સ કઢાવવા ગઈ હોઈશ ત્યારે મેં લો-કટ ટી-શર્ટ પહેર્યું હોય તે શક્ય છે, પણ તે વખતે મારા મનમાં એવી કંઈ ગણતરી નહોતી કે થોડુંઘણું અંગપ્રદર્શન કરીશ તો મારું કામ આસાન થઈ જશે! 





પ્રીટિ વુમન જુલિયા રોબર્ટ્સ કેટલી અફલાતૂન એક્ટ્રેસ છે તે આ ફિલ્મે ફરી એક વાર ફરી સાબિત કર્યું. એની કરીઅરની સૌથી દમદાર અને યાદગાર ભૂમિકાઓમાંની આ એક. સિંગલ મધર તરીકેનો સંઘર્ષ, સૂંપર્ણ આત્મવિશ્ર્વાસ સાથે જરાય હિંમત હાર્યા વિના અન્યાય સામે લડતા રહેવાની જીદ, બહારથી જેટલી બરછટ અંદરથી એટલી જ સંવેદનશીલ, નિર્દોષ લોકોને ઉપયોગી થઈ શકાયાનો સંતોષ, આ તમામ પાસાં જુલિયાએ કુનેહપૂર્વક ઉપસાવ્યાં છે. બોસ બનતા આલ્બર્ટ ફિની સહિત નાનાંમોટાં તમામ કિરદારોનાં પર્ફોર્મન્સીસ સુંદર છે. ઉત્તમ ફિલ્મમાં માત્ર બે જ લાઈનનો ડાયલોગ બોલતાં પાત્ર માટે પણ પરફેક્ટ કાસ્ટિંગ કરવાની જહેમત લેવાતી હોય છે. 

આ ફિલ્મે જુલિયા રોબર્ટ્સ તેમજ ડિરેક્ટર સ્ટીવન સોડનબર્ગને ખૂબ પ્રતિષ્ઠા અપાવી. ફિલ્મ હિટ થઈ. વિખ્યાત સમીક્ષક રોજર ઈબર્ટ સાથે સંભવત: પહેલી વાર બિલકુલ સહમત થઈ શકાતું નથી. રોજરસાહેબને ફિલ્મ ન ગમી. માત્ર બે જ સ્ટાર આપ્યા એને. ખાસ કરીને જુલિયાના ડ્રેસિંગ સામે એને બહુ વાંધો પડી ગયો હતો. એની વે. તમે ફિલ્મ હજુ સુધી જોઈ ન હોય તો જરૂર જોજો. ગાળો અને કપડાંથી સુરૂચિનો ભંગ થઈ જતો હોય તો એને અવગણજો ને ફિલ્મની મોટિવેશનલ ક્વોલિટી પર ધ્યાન આપજો. મન પોઝિટિવ-પોઝિટિવ થઈ જશે. 


એરિન બ્રોકોવિચ ફેક્ટ ફાઈલ 


ડિરેક્શન : સ્ટીવન સોડનબર્ગ  



સ્ક્રીનપ્લે : સુઝેના ગ્રાન્ટ

કલાકાર : જુલિયા રોબર્ટ્સ, આલ્બર્ટ ફિની, 

એરોન ઈકર્ટ 

રિલીઝ ડેટ : ૧૭ માર્ચ ૨૦૦૦

મહત્ત્વના એવોર્ડઝ : જુલિયા રોબર્ટ્સને બેસ્ટ એક્ટ્રેસનો ઓસ્કર વત્તા બેસ્ટ પિક્ચર અને બેસ્ટ ડિરેક્ટરનાં નોમિનેશન્સ      0 0 0

મલ્ટિપ્લેક્સ : મુંબઈ ફિલ્મ ફેસ્ટિવલનો ફિલ્મી ખજાનો

Sandesh - Sanskar Purti - 20 Oct 2013

મલ્ટિપ્લેક્સ 

મુંબઈ ફિલ્મ ફેસ્ટિવલ અત્યારે પૂરજોશમાં ચાલી રહ્યો છે. આ વખતે કઈ ફિલ્મો સૌથી વધારે હોટ એન્ડ હેપનિંગ ગણાય છે?


લો, મામી એટલે કે મુંબઈ એકેડેમી ઓફ મૂવિંગ ઇમેજીસ તરીકે ઓળખાતો મુંબઈ ફિલ્મ ફેસ્ટિવલ ગુરુવારે શરૂ થઈ પણ ગયો. આવતો ગુરુવાર એટલે કે ૨૪ ઓક્ટોબર સુધી ચાલનાર આ હાઇ પ્રોફાઇલ ઈવેન્ટમાં અપાર વૈવિધ્ય ધરાવતી દુનિયાભરની ઢગલાબંધ ફિલ્મોનું સ્ક્રીનિંગ થઈ રહ્યું છે. કઈ ફિલ્મો સૌથી વધુ ચર્ચામાં છે? જોઈએ...
અ ટચ ઓફ સીન : 

આ ચાઈનીઝ ફિલ્મ છે, જેણે કાન ફિલ્મ ફેસ્ટિવલમાં આ વખતે બેસ્ટ સ્ક્રીનપ્લેનો એવોર્ડ જીતી લીધો હતો. ફિલ્મમાં ચાર અલગ અલગ વાર્તાઓ એકસાથે આગળ વધે છે અને આજના ચીનના સમાજજીવનનાં એકબીજા કરતાં જુદાં પાસાં એમાં ઊપસતાં રહે છે. ફિલ્મમાં હિંસાનાં દૃશ્યોની ભરમાર છે. જોકે એ છે બહુ જ સ્ટાઇલિશ.
ઇનસાઇડ લેવિન ડેવિસ : 

હોલિવૂડમાં કોએન બ્રધર્સ જાણીતું નામ છે. તેઓ ફિલ્મો લખે, ડિરેક્ટ કરે, પ્રોડયુસ કરે છે અને ઓસ્કર પણ જીતે. આજ સુધીમાં બન્નેએ કુલ ચાર ઓસ્કર જીત્યા છે. 'નો કન્ટ્રી ફોર ઓલ્ડમેન' ફિલ્મે તેમને ઘણી પ્રતિષ્ઠા અપાવી છે. જોએલ કોએન અને ઈથન કોએલે આ વખતે 'ઇનસાઇડ લેવિન ડેવિસ' ફિલ્મમાં સાઠના દાયકાના ન્યૂ યોર્કના એક ગીતકાર-સંગીતકારની વાત કરી છે. એક કલાકારનો સંઘર્ષ, આશા અને નિરાશા ફિલ્મમાં સરસ ઊપસ્યાં છે. કાન ફેસ્ટિવલમાં ઓલરેડી એક મહત્ત્વનો એવોર્ડ તે જીતી ચૂકી છે. આ મ્યુઝિકલ ફિલ્મનાં ગીતો પણ વખણાયાં છે.
ઈલો ઈલો : 

આ ચાઈનીઝ ટાઈટલનો અર્થ છે, મમ્મી અને પપ્પા ઘરે નથી. સિંગાપોરનો એક પરિવાર. સારી લાઇફસ્ટાઇલ જાળવી શકાય તે માટે પતિ-પત્ની બન્ને નોકરી કરે છે. દસ વર્ષના તોફાની ટપુડાને સાચવવા માટે એક આયા રાખી છે. આયા સ્થાનિક નથી, ફિલિપાઈન્સની વતની છે. દેશવ્યાપી તીવ્ર આર્થિક કટોકટીના પગલે આદમીની નોકરી જાય છે, પણ પ્રેગ્નન્ટ પત્નીને આ કહેવાની તેનામાં હિંમત નથી. હૃદયને સ્પર્શી જતી આ ફિલ્મમાં રમૂજ પણ છે અને એક પ્રકારનું હૂંફાળાપણું છે. અમીરો અને ગરીબો વચ્ચેની અસમતુલા તેમજ રંગભેદી સંઘર્ષની વાત અહીં સરસ રીતે થઈ છે. આ પહેલી સિંગાપોરિયન ફિલ્મ છે, જેણે કાન ફિલ્મ ફેસ્ટિવલમાં કોઈ એવોર્ડ જીત્યો હોય. અહેવાલો કહે છે કે કાનમાં આ ફિલ્મ પૂરી થઈ પછી ઓડિયન્સે પંદર મિનિટનું સ્ટેન્ડિંગ ઓવેશન આપ્યું હતું. પંદરનો આંકડો જરાક વધારે પડતો લાગતો હોય તો એટલું સમજીને અટકીને જવાનું કે આ ફિલ્મ ખાસ્સી પ્રશંસા પામી છે.
ઇન ધ નેમ ઓફ : 

આ વર્ષે દુનિયાભરના ફિલ્મ ફેસ્ટિવલ્સમાં પોલેન્ડની આ ફિલ્મ ખાસ્સી ગાજી છે અને એવોર્ડ્ઝ જીત્યા છે. વાત એક મધ્યવયસ્ક ખ્રિસ્તી સાધુની છે. કોઈ અંતરિયાળ ગામડામાં તેઓ અનાથ છોકરાઓની દેખભાળ કરવાનું કામ કરે છે. ખ્રિસ્તી સાધુ હોય એટલે બ્રહ્મચર્ય પાળવાનું જ હોય. તેમને સ્ત્રીઓ તરફ આમેય આકર્ષણ નથી. તેમનું દિલ પ્રેમ ઝંખે છે. પુરુષનો પ્રેમ. તેમની સુષુપ્ત હોમોસેક્સ્યુઆલિટી એક યુવાનને મળ્યા પછી જાગ્રત થઈ ગઈ છે. સજાતીય સંબંધને એનો ધર્મ પાપ ગણે છે. આટલું જાણે ઓછું હોય તેમ તેમની નિગરાનીમાં રહેલો એક ટીનેજ છોકરો આત્મહત્યા કરી લે છે. પાદરીની મુશ્કેલીઓ ઔર ઘૂંટાય છે. ફિલ્મનો વિષય જેટલો નાજુક છે એટલો જ વિવાદાસ્પદ પણ છે. 'ઇન ધ નેમ ઓફ'માં હોમોસેક્સ્યુઆલિટીની વાત છે, તો ફ્રેન્ચ ફિલ્મ 'બ્લૂ ઇઝ ધ વોર્મેસ્ટ કલર' માં લેસ્બિયન રિલેશનશિપની કહાણી છે. એક નવલકથા પર આધારિત ત્રણ કલાક લાંબી આ એવોર્ડવિનિંગ ફિલ્મનાં લાંબાં સેક્સ દૃશ્યોએ ખૂબ ચકચાર જગાવી છે.
Costa Gavras, a noted Greek-French film maker and Kamal Haasan_at the Opening Ceremony_15th Mumbai Film Festival(MAMI) 2013

મુંબઈ ફિલ્મ ફેસ્ટિવલમાં બીજી ઘણી વિદેશી ફિલ્મો છે, જેના પર સિને-લવર્સની નજર છે. જેમ કે, 'ઓન્લી ગોડ ફરગિવ્સ' (જે ક્રાઈમ-થ્રિલર છે), 'ધ રોકેટ' (જેમાં જિંદગીનો અર્થ શોધવા માગતા લાઓસ દેશના છોકરાની વાત છે), 'ધ પાસ્ટ', 'મૂડ ઈન્ડિગો'વગેરે. આ વખતે કોસ્ટા ગેવરેસ નામના ૮૦ વર્ષીય ફિલ્મમેકરની ચુનંદી ફિલ્મોનો અલાયદો વિભાગ રાખવામાં આવ્યો છે. કોસ્ટા ગેવરેસ જન્મે ગ્રીક છે, કર્મે ફ્રેન્ચ. પોલિટિકલ થીમવાળી ફિલ્મો તેમણે વધારે બનાવી છે. 'ઝેડ' નામની થ્રિલર એમની સૌથી સફળ ફિલ્મ છે. હવે જરા ભારતીય કુળની ફિલ્મોની વાત પણ કરી લઈએ. શરૂઆત ઇરફાન ખાનની ફિલ્મથી કરીએ.
Anup Singh , the maker of Qissa

 કિસ્સા : 

ઇરફાન આમાં પાઘડીધારી સરદાર બન્યા છે. નામ એમનું અંબરસિંહ. દેશ આઝાદ થયો ને ભારત-પાકિસ્તાનના ભાગલા પડયા ત્યારે અંબરસિંહે પરિવાર સહિત ઉચાળા ભરીને ભાગવું પડયું હતું. પોતાના સૌથી નાના દીકરાને નીલી નામની નીચલા વર્ણની ગણાતી છોકરી સાથે પરણાવે છે ને બબાલ મચે છે. ટાન્ઝાનિયામાં જન્મેલા ડિરેક્ટર અનુપસિંહના પરિવારે પણ આ રીતે સ્થળાંતર કરવું પડયું હતું. આ તેમની બીજી ફિલ્મ છે. અગાઉ 'ધ નેમ ઓફ અ રિવર' (૨૦૦૨) પછીની આ તેમની બીજી ફિલ્મ.
ફેન્ડ્રી : 

નાગરાજ મંજુલેએ ડિરેક્ટ કરેલી આ મરાઠી ફિલ્મે ખાસ્સો હાઈપ પેદા કર્યો છે. તેમાં પણ ઊંચનીચના ભેદભાવની વાત છે. જબ્યા નામનો એક પછાત વર્ગનો છોકરો છે. એનો પરિવાર અતિ ગરીબ છે. બે ટંક ખાવાનું પામવા એ ગંદકીમાંથી ભૂંડ પકડી લાવવાનું કામ સુધ્ધાં કરે છે. જબ્યા જેના પ્રેમમાં છે તે છોકરી ઉચ્ચ ગણાતા વર્ણની છે. એક બાજુ છોકરીનાં લગ્ન માટે એનાં મા-બાપ ખૂબ મહેનત કરે છે, જ્યારે બીજી બાજુ જબ્યા સારાં કપડાં ખરીદવા પૈસાનો જુગાડ કરી રહ્યો છે. એને સારા વાઘામાં જુએ તો છોકરી ઈમ્પ્રેસ થાયને!
ફેઈથ કનેક્શન્સ : 

'સંસારા' ફિલ્મ યાદ છે? પેન નલિન નામના અમેરિકામાં વસતા પાક્કા ગુજરાતીએ ઓર એક ઈન્ટરેસ્ટિંગ ફિલ્મ બનાવી છે. તેમાં કુંભમેળા ('ધ બિગેસ્ટ ગેધરિંગ ઓન અર્થ')નો બેકડ્રોપ છે, બાબા બજરંગી નામના એક હઠયોગી છે, દેશભરમાંથી ઊમટી પડેલા લાખો લોકો છે, નાગા બાવાઓ છે, પોલીસના માણસો છે અને ખાસ તો કિશન નામનો દસ વર્ષનો છોકરો છે, જે ઘરેથી ભાગી ગયો છે પણ ખુદને અનાથ તરીકે ઓળખાવે છે. શ્રદ્ધા નામની તાકાત શી રીતે સૌને જોડે છે એની વાત આ ફિલ્મમાં કરવામાં આવી છે. 000