Showing posts with label ernest hemingway. Show all posts
Showing posts with label ernest hemingway. Show all posts

Wednesday, January 20, 2016

ટેક ઓફ : ગુજરાતી પુસ્તકોની દુનિયામાં લિટરરી એડિટરો કેમ નથી?

Sandesh - Ardh Saptahik Purti - 20 Jan 2016
ટેક ઓફ 
'લેખક કાચો નથી, એનાં લખાણમાં કયાંક કચાશ રહી ગઈ છે, જો આપણે નવી ટેલેન્ટને પ્રોત્સાહન નહીં આપીએ તો ભવિષ્યમાં ગંભીર પરિણામો આવી શકે. હાલ જે લેખકો લખે છે તે બધા ગુજરી જશે અને નવા લેખકો ઊભા જ નહીં થયા હોય તો આપણે છાપીશું શું?'


ખબાર અને મેગેઝિનની ઓફિસમાં અલગ અલગ એડિટરો હોય એ તો જાણે બરાબર છે પણ પુસ્તકોના એડિટર એટલે ? પ્રકાશકો પાસે લેખક બનવા માગતા ઉત્સાહીઓ પોતાનું લખાણ લઈને પહોંચી જતા હોય છે. લિટરરી એડિટર એટલે, સાદી ભાષામાં કહીએ તો, એવી વ્યક્તિ જે કાચી હસ્તપ્રતો કે પ્રિન્ટઆઉટ્સના ઢગલામાંથી સારાં-નરસાં લખાણ અલગ તારવે, જે છાપવા જેવાં લાગે તેને વારંવાર મઠારે, તેમાં વધુ ને વધુ નિખાર લાવવા માટે લેખક પાસે મહેનત કરાવે અને આ આખી પ્રક્રિયા પૂરી કર્યા પછી જ પુસ્તકને છપાવા માટે મોકલે. અંગ્રેજી પ્રકાશકો પાસે એડિટરોની આખી ફોજ હોય છે. પુસ્તક છપાવાના તબક્કે પહોંચે તે પહેલાં એડિટિંગનાં કેટલાંય રાઉન્ડ્સમાંથી પસાર થાય છે. એડિટિંગની પ્રોસેસને કારણે છપાઈને માર્કેટમાં મુકાતાં પુસ્તકોમાં સામાન્યપણે ગુણવત્તાનું એક મિનિમમ સ્તર જળવાઈ રહે છે. ભાષાની ચોખ્ખાઈ, જોડણી અને ફોર્મેટની દૃષ્ટિએ આ પુસ્તકો શિસ્તબદ્ધ લાગે છે.
તકલીફ થાય એવી વાત એ છે કે ગુજરાતી પ્રકાશનજગતમાં એડિટર નામની પ્રજાતિનું લગભગ અસ્તિત્વ જ નથી. ભાગ્યે જ કોઈક પ્રકાશકસંસ્થામાં કન્ટેન્ટ પર કામ કરવા માટે, લેખકો સાથે લખાણ સંબંધિત ચર્ચા કરવા માટે અલાયદી વ્યક્તિઓની નિમણૂક થાય છે. એડિટરો ન હોવાને લીધે ગુજરાતી પુસ્તકોનાં બજારમાં કાચાં, શિસ્તહીન, ચરબીથી લથપથ અને નકામાં પુસ્તકોના ગંજ ખડાકાતા રહે છે. જોડણી અને ભાષાશુદ્ધિની તો વાત ભૂલી જવાની. છાપાંમાં છપાતી કોલમના લેખોને ભેગા કરીને પુસ્તક બનાવી નાખવાનો આપણે ત્યાં ધમધોકાર ટ્રેન્ડ ચાલે છે. દર અઠવાડિયે લખાતા લેખ અને પુસ્તક સ્વરૂપ બહાર આવતાં લખાણની જરૂરિયાત, શિસ્ત અને અપીલ જુદાં છે. લેખોને સંગ્રહ પ્રગટ કરતાં પહેલાં એકની એક વાતનું વારે વારે થતું પુનરાવર્તન તેમજ બિનજરૂરી ચરબી કાઢી નાખવાનાં હોય, 'ગયા અઠવાડિયે આપણે જોયું કે...' પ્રકારની વાકયરચનાઓ દૂર કરી નાખવાની હોય,જરૂર પડે તો અલગ વિભાગો પાડીને વ્યવસ્થિત ફોર્મેટ કરવાનું હોય, પુસ્તકમાં એક ચોક્કસ રિધમ લાવવાની હોય.
આપણા આળસુ લેખકો છાપાનાં કટિંગ્સના થોકડા અપડેટ કર્યા વિના પ્રકાશકના માથે મારે છે ને પ્રકાશકો તે છાપી નાખે છે. ઘણા લેખકો તો 'વધારાની મહેનત કરવાની જ નહીં, હું તો છાપાંમાં જે છપાયું છે તેમાં એક અક્ષર પણ ફેરફાર કર્યા વગર બેઠું પુસ્તક બનાવી નાખુંં' એવું ગર્વથી કહેતા હોય છે. અશ્વિની ભટ્ટ ધારાવાહિક સ્વરૂપમાં છપાઈ ચૂકેલી તેમની નવલકથાઓને પુસ્તકનાં સ્વરૂપે બહાર પાડતાં પહેલાં એના પર નવેસરથી ખૂબ કામ કરતા, જરૂર લાગે તે પોર્શન રી-રાઇટ કરતા. સૌરભ શાહ એમનાં પુસ્તકોની પહેલી આવૃત્તિ તો ઠીક, નવી આવૃત્તિ થવાની હોય ત્યારે પણ નવેસરથી મઠારવામાં પુષ્કળ મહેનત કરતા હોય છે. આ પ્રકારનો એટિટયૂડ લેખનકળાને ગંભીરતાથી લેતા તમામ લેખકોએ અપનાવવા જેવો છે.
Maxwell Perkins

અંગ્રેજી સાહિત્યની દુનિયામાં લેખક, પ્રકાશક અને વિવેચકની સાથે સાથે લિટરરી એડિટરો પણ મહત્ત્વની ભૂમિકા ભજવે છે. આનું ઉત્તમ ઉદાહરણ મેક્સવેલ પર્કિન્સનું છે. લેખકોનાં જીવન પર અવારનવાર ફિલ્મો બનતી રહે છે પણ પહેલી વાર એવું બની રહ્યું છે કે એક લિટરરી એડિટરનાં જીવન પર હોલિવૂડના ટોચના કલાકારોને લઈને ફિલ્મ બની હોય. આ વર્ષે વિધિવત્ રિલીઝ થનારી જિનિયસ' નામની આ લિટ-ફિક(લિટરરી ફિક્શન)માં કોલિન ફર્થ, જુડ લો અને નિકોલ કિડમેન જેવા ટોચના કલાકારો છે. મેક્સવેલ પર્કિન્સ એ માણસ છે જેણે નોબલ પ્રાઇઝવિનર અર્નેસ્ટ હેમિંગ્વેની ટેલેન્ટ પારખીને એમની નવલકથાઓને નિખારી હતી,જેમણે થોમસ વોફ અને એફ. સ્કોટ ફિટ્ઝજેરલ્ડ જેવા મોટા ગજાના અમેરિકન લેખકોને સફળતાની ઊંચાઈ સુધી લઈ જવામાં મદદ કરી હતી.
હેમિંગ્વે, વોલ્ફે અને ફિટ્ઝજેરલ્ડ ત્રણેય નવલકથાઓ લખતા. માહિતીપ્રધાન અથવા નોનફિક્શન લખાણને મઠારવું એક વાત છે પણ કાબેલ, જેન્યુઇન અને સુસજ્જ એડિટર કોઈએ લખેલી નવલકથાને પણ નિખારી શકે છે. પર્કિન્સે(જન્મ : ૧૮૮૪, મૃત્યુ : ૧૯૪૭) કરિયરની શરૂઆત 'ધ ન્યૂયોર્ક ટાઇમ્સ' અખબારના રિપોર્ટર તરીકે કરી હતી, પછી ચાર્લ્સ સ્ક્રિબનર્સ સન્સ નામની પ્રતિષ્ઠિત પ્રકાશનસંસ્થામાં જોડાયા. એ વખતે ચાર્લ્સ સ્ક્રિબનર્સ સન્સ ઓલરેડી મોટા ગજાના લેખકોનાં પુસ્તકો પ્રકાશિત કરતા હતા. એક વાર પર્કિન્સ પાસે 'ધ રોમેન્ટિક ઇગોઇસ્ટ' નામની નવલકથાની હસ્તપ્રત આવી. કોલેજ પૂરી કરેલા બાવીસ વર્ષના એક છોકરડાએ આ નવલકથા લખી હતી. કંપનીના બીજા એડિટરોને આ નવલકથા જરાય નહોતી ગમી. તેમની નેગેટિવ કોમેન્ટ્સનું કાગળિયું પણ હસ્તપ્રત સાથે બીડેલું હતું. પર્કિન્સે ખુલ્લા દિમાગે વાંચવાનું શરૂ કર્યું. લેખનશૈલી અને કન્ટેન્ટમાં કયાંક કયાંક જે તાકાત વર્તાતી હતી તે જોઈને તેઓ ચકિત થઈ ગયા. તેમણે લેખકનો સંપર્ક કરીને કહ્યું : લખાણ સારુંં છે પણ આટલા ફેરફારો કરવાની જરૂર છે,જો તમને આ સૂચનો યોગ્ય લાગે તો એનો અમલ કરી અમને નવો ડ્રાફ્ટ મોકલી આપજો. એડિટોરિયલ ટીમના બીજા સભ્યોએ પર્કિન્સનો વિરોધ કર્યો : આવા કાચા લેખક પાછળ શા માટે સમય અને શક્તિ વેડફો છો ? પર્કિન્સે કહ્યુંું : લેખક કાચો નથી, એનાં લખાણમાં કયાંક કચાશ રહી ગઈ છે, જો આપણે નવી ટેલેન્ટને પ્રોત્સાહન નહીં આપીએ તો ભવિષ્યમાં ગંભીર પરિણામો આવી શકે. હાલ જે લેખકો લખે છે તે બધા ગુજરી જશે અને નવા લેખકો ઊભા જ નહીં થયા હોય તો આપણે છાપીશું શું ?
પેલો બાવીસ વર્ષનો છોકરડો એટલે એફ. સ્કોટ ફિટ્ઝજેરલ્ડ. પર્કિન્સે એક નહીં પણ બે વાર આખેઆખી નવલકથા ફરીથી લખાવી અને પછી ૧૯૨૦માં શીર્ષક બદલીને 'ધિસ સાઇડ ઓફ પેરેડાઇઝ' નામે છાપી. નવલકથા ખૂબ સફળ થઈ. ફિટ્ઝજેરલ્ડ પહેલા જ પુસ્તકથી સાહિત્યજગતના સ્ટાર બની ગયા. પાંચ વર્ષ પછી એમણે 'ધ ગે્રટ ગેટ્સબાય' નામની નવલકથા લખી, જે આજેય અમેરિકાની ઓલટાઇમ ગે્રટેસ્ટ નોવલ્સમાંની એક ગણાય છે. આ પુસ્તક પરથી હોલિવૂડમાં એક કરતાં વધારે ફિલ્મો બની ચૂકી છે.
Maxwell Perkins and Ernest Hemingway in January 1935

ફિટ્ઝજેરલ્ડે એક વાર પર્કિન્સને વાત કરી : મારો એક દોસ્તાર છે, અમેરિકન છે પણ પેરિસમાં રહે છે અને સરસ લખે છે. મને લાગે છે કે તમને એમાં રસ પડશે. એ છોકરાનું નામ હતું, અર્નેસ્ટ હેમિંગ્વે. પર્કિન્સે હેમિંગ્વેનો કોન્ટેક્ટ કર્યો, એનું લખાણ મગાવ્યું અને તેના પર મહેનત કરી. બે વર્ષ પછી પુસ્તક બહાર પાડયું - 'ધ સન ઓલ્સ રાઇઝિસ'(૧૯૨૬). નવલકથા ખૂબ વખણાઈ અને ફિટ્ઝજેરલ્ડની જેમ ૨૭ વર્ષના હેમિંગ્વેની પણ નામના થઈ ગઈ. આ જ હેમિંગ્વેએ આગળ જતાં સાહિત્યનું નોબલ પ્રાઇઝ જીત્યું. હેમિંગ્વેની મર્દાના શૈલીએ આપણા ચંદ્રકાંત બક્ષી સહિત દુનિયાભરના લેખકોને પ્રભાવિત કર્યા છે. પર્કિન્સ હેમિંગ્વેની કક્ષાના લેખકને કહી શકતા કે ભાઈ, ફલાણા ચેપ્ટરમાં તમે બહુ લાઉડ થઈ ગયા છો, તમારા લખાણને ત્યાં જરા ટોન-ડાઉન કરો તો કેવું !
થોમસ વોફનો કિસ્સો પણ સરસ છે. એમણે 'ઓ લોસ્ટ' નામની ૧,૧૧૪ પાનાંની તોતિંગ નવલકથા લખી હતી. કેટલાય પ્રકાશકો તે રિજેક્ટ કરી ચૂકયા હતા પણ પર્કિન્સે અને વોફે સાથે મળીને મહિનાઓ સુધી કામ કરીને પુસ્તક એડિટ કર્યું, ૯૦,૦૦૦ જેટલા શબ્દો ઓછા કર્યા અને નવલકથાનંુ આખું માળખું બદલી કાઢયું. આ પુસ્તક પછી 'લુક હોમવર્ડ, એન્જલ' ટાઇટલ સાથે ૧૯૨૯માં પ્રકાશિત થયું અને કલાસિક ગણાયું.
આવા ત્રણ ત્રણ જાયન્ટ લેખકો ઉપરાંત બીજા કેટલાય મોડર્ન અમેરિકન સર્જકોની પ્રતિભાને પારખીને, તરાશીને સાહિત્યજગતમાં પ્રવેશ કરાવનારા દીર્ઘદૃષ્ટા મેક્સવેલ પર્કિન્સની પ્રકાશનની દુનિયામાં કેટલી ધાક હશે તે સમજી શકાય એવું છે. અલબત્ત, પર્કિન્સે રાઇટર-એડિટરના સંબંધની ગરિમા અને મર્યાદા હંમેશાં જાળવી, તેઓ કહેતા, 'એડિટર પુસ્તકમાં કશુંય ઉમેરતો નથી, જે કંઈ કરે છે તે લેખક કરે છે. એડિટર બહુ બહુ તો લેખકનો પર્સનલ આસિસ્ટન્ટ બની શકે, આથી એડિટરોએ કયારેય ખોટા ભ્રમમાં ન રહેવું અને ખુદને વધુ પડતું મહત્ત્વ ન આપવું. એડિટર માત્ર લેખકની ક્રિયેટિવ ઊર્જાને દિશા આપી શકે છે. એ ખુદ કશુંય સર્જન કરતો નથી.'
લેખકો સાથે પર્કિન્સની વ્યકિતગત સ્તરે દોસ્તી હતી. તેઓ સાથે ફિશિંગ કરતા, ખાણીપીણી કરતા, બહારગામ ફરવા જતા.ફિટ્ઝજેરલ્ડ એક વાર નાણાભીડમાંથી પસાર થઈ રહ્યા હતા ત્યારે પર્કિન્સે આર્થિક મદદ કરીને તેમનો સમય સાચવી લીધો હતો. હેમિંગ્વે પોતાનાં અંગત જીવનમાં થઈ રહેલી ઊથલપાથલ વિશે પર્કિન્સ સાથે વાતો કરી દિલનો બોજ હળવો કરી શકતા. લેખકો સાથેનો એનો પત્રવ્યવહાર 'એડિટર ટુ ઓથર' નામનાં પુસ્તકમાં સંગ્રહ પામ્યો છે.
અંગ્રેજી સાહિત્યજગતમાં મેક્સવેલ પર્કિન્સ જેવા દીર્ઘદષ્ટિ અને અંતઃસ્ફૂરણાવાળો ક્રિયેટિવ એડિટર પાકયો નથી. તેમની એક સલાહ ઊભરતા લેખકોએ ધ્યાનથી સાંભળવા જેવી છે : 'નવલકથા લખતી વખતે કયારેક હતાશાની લાગણી જાગવી એ કંઈ ખરાબ વસ્તુ નથી. તમને લાગતું હોય કે મજા આવતી નથી, લખાણમાં જોઈએ એવી જમાવટ થતી નથી, તો સમજી લો કે આ લાગણી મહાન લેખકોને પણ જાગતી હોય છે. આજ સુધીમાં મેં એક પણ એવો ઉત્તમ નવલકથાકારને જોયો નથી જે કોઈક ને કોઈક તબક્કે નાહિંમત ન થઈ ગયો હોય, આથી હતાશાને તો ઊલટાનું સારુંં લક્ષણ ગણ્યું છે.'
ગુજરાતી પ્રકાશકો પાસે કાબેલ એડિટરોની વ્યવસ્થિત ટીમ કામ કરતી હોય તેવું સપનું જોવું જોઈએ ? 
0 0 0 

Saturday, September 11, 2010

શેરડીનો સંચો અને લેખકની કલમ

‘અહા! જિંદગી’ મેગેઝિન સપ્ટેમ્બર-૨૦૧૦ના અંકમાં પ્રકાશિત




કોલમઃ ફલક



લેખક અને શેરડીના રસવાળા વચ્ચે ઝાઝો ફર્ક હોતો નથી. લેખક પોતાની અનુભવો, નિરીક્ષણો અને સમજને બરાબર નીચોવી કાઢશે.... પણ અનુભવો-નિરીક્ષણો-વિચારોનો સ્ટોક ખતમ થઈ ગયા પછી?



આમિર ખાને એક ઈન્ટવ્યુમાં કહેલુંઃ ‘એક તબક્કે ‘પીપલી લાઈવ’માં નથ્થાનું મુખ્ય પાત્ર હું ભજવું તેવી શક્યતા ઊભી થઈ હતી. રાઈટરડિરેક્ટર અનુશા રિઝવી મારો વિડીયો ટેસ્ટ પણ લેવાની હતી. અમે જોવા માગતા હતા કે આ કેરેક્ટરમાં હું કેવોક દેખાઉં છું.. પણ ત્યાં જ અમને ઓમકારદાસ માણિકપુરી મળી ગયો. તે નથ્થાના રોલ માટે એટલો પરફેક્ટ હતો કે પછી મારો વિડીયોટેસ્ટ જ ન લેવાયો.’

છત્તીસગઢના દેહાતી કલાકાર ઓમકારદાસના અસલી જીવનના અનુભવોનું વિશ્વ દેખીતી રીતે જ મુંબઈમાં ફાઈવસ્ટાર જીવન જીવેલા કરોડપતિ આમિર ખાન કરતાં જુદું હોવાનું, નથ્થાના કિરદારથી વધારે નિકટ હોવાનું. નથ્થાના પાત્રમાં ઓમકાર જે અસર ઊપજાવી શક્યો છે તે આમિર ક્યારેય પેદા કરી શક્યો ન હોત. અભિનેતા હોય કે લેખક, આખરે તો તેણે ખુદના અનુભવો, અનુભૂતિઓ, નિરીક્ષણોમાંથી અને સમજના ડેમમાંથી પોતાની કલા માટે જરૂરી હોય એટલું પાણી ‘ખેંચવાનું’ છે.

લેખક અને શેરડીના રસવાળા વચ્ચે ઝાઝો ફર્ક હોતો નથી. શેરડીના રસવાળો છેલ્લું ટીપું નીકળી ન જાય ત્યાં સુધી સાઠાને સંચામાં પીલ્યા જ કરશે અને આખરે સાવ કૂચો થઈ જાય તે પછી તેને ફેંકશે. તે જ રીતે લેખક પણ પોતાના અનુભવો, નિરીક્ષણો અને સમજને બરાબર નીચોવી કાઢશે.... પણ અનુભવો-નિરીક્ષણો-વિચારોનો સ્ટોક ખતમ થઈ ગયા પછી? એનો પેલો ડેમ ક્યાં સુધી ભરાયેલો રહેશે? લેખકનું કૌશલ્ય આવી સ્થિતિમાં ઉપયોગી બને છે. લેખક તરીકે સારો એવો સમય સક્રિય રહેવાને લીધે તેનામાં અમુક સ્કિલ્સ વિકસી ચૂકી હોય છે. આ સ્કિલ્સના આધારે તે ‘ઓલરેડી વપરાઈ ચૂકેલા’ માલનું રિપેકેજિંગ તેમજ રિસાઈક્લિંગ શરૂ કરી દેશે. ગાડું ગબડતું રહેશે.

ઠોકઠોક કરીને ગાડું ગબડાવતા રહેવું એક વાત છે અને અને પૂરેપૂરી ગરિમાથી લેખનરથ ચલાવવો તે તદ્દન જુદી વાત છે. લેખકની આંતરિક ગરિમા તો જ જળવાઈ રહે જો તેનો ડેમ પાણીથી છલછલતો રહે... પણ ડેમ કંઈ અક્ષયપાત્ર નથી કે ક્યારેય ખાલી જ ન થાય. એમાં નવું પાણી ક્યાંથી આવશે?

જિંદગીના નવા અનુભવોમાંથી, નવા વળાંકોમાંથી, નવી પીડાઓમાંથી. અનુભવ જેટલો વધારે ઊંડાણભર્યો, વધારે ખળભળાવી દેનારો હશે, લેખક માટે તે એટલો વધારે ‘ઉપયોગી’ પૂરવાર થશે. લેખક અથવા તો કલાકાર પોતાના દુખોને ‘વાપરતો’ હોય છે. જોકે મોટાભાગના સીધાસાદા લેખકોની કમબખ્તી એ હોય છે કે એક તબક્કા પછી તેનું જીવન સ્થિર થઈ જાય છે, મનહ્યદયમાં નવાં સ્પંદનો જાગવાનું લગભગ બંધ થઈ જાય છે, અનુભવોની દુનિયા ખતરનાક રીતે સીમિત થઈ જાય છે. એણે શું કરવાનું?

‘ઘટના વિનાના કોઈ જીવનની કોઈ કલ્પના મારા મગજમાં આવી શકતી નથી,’ ચંદ્રકાંત બક્ષીએ ‘આભંગ’માં લખ્યું છે, ‘...અને સાચા કલાકારે તો ઘટનાની શોધમાં નીકળવું જોઈએ. જે મોમેન્ટે એને થાય કે હી ઈઝ ગેટિંગ સ્ટેલ એન્ડ ફ્લેટ ત્યારે એણે ઘટનાઓ પેદા કરવી જોઈએ. નહિતર હી વિલ વેર આઉટ... ઘસાઈ જશે.’

કે. માની લીધું કે તમે ઘસાઈ ગયા નથી. તમારી પાસે હજુ કહેવાનું ઘણું બધું છે. લેખક હોવાનો કાચો મસાલો ઓલરેડી તમારામાં છે. પણ માત્ર મસાલો પૂરતો છે? સમૃદ્ધ અનુભવો ધરાવનારો માણસ સારો લેખક બને જ તે જરૂરી નથી. તો શું કરવું? ‘ફાઉન્ટનહેડ’ અને ‘એટલાસ શ્રગ્ડ’ જેવી વિશ્વસ્તરે પ્રચંડ અસર ઊભી કરનાર નવલકથાઓની લેખિકા આયન રેન્ડે પ્રમાણમાં બિનઅનુભવી લેખકો માટે ઉત્તમ લખાણ લખવાના પાંચ પગથિયાં સૂચવ્યાં છે.

સ્ટેપ વનઃ સૌથી પહેલાં તો તમારા વિષયને મર્યાદામાં બાંધો. કોઈ પણ લેખ, પુસ્તક કે પ્રોજેક્ટ લખતાં પહેલાં આ ત્રણ સવાલોના જવાબ વિશે સ્પષ્ટ થઈ જાઓ ૧. મારે કોના વિશે લખવું છે? ટોપિકને ડિફાઈન કરો. જેતે પ્રોજેક્ટની પરિસીમાની ભીતર રહીને તમે તે ટોપિક પર પર્યા લખી શકશો તે વાતની ખાતરી કરો. ૨. મારે આ વિષય પર શું કહેવું છે? તમે તમારા લખાણ દ્વારા જે કમ્યુનિકેટ કરવા માગો છો તે વાત, તે દષ્ટિકોણ નક્કી કરો. ૩. શું મારે જે કંઈ કહેવાનું છે તે નવું છે? મૌલિક છે? જવાબ ‘ના’ હોય તો કાગળ પર પેન મૂકવાની તસ્દી જ ન લેશો.

સ્ટેપ ટુઃ તમારા વાચકવર્ગને સમજી લો. આપણામાંના મોટા ભાગના બીજાઓ તેને વાંચી શકે તે માટે લખે છે. આથી તમારો સંભવિત વાચકવર્ગ કેવો છે તે પારખી લો કે જેથી તમે વધુમાં વધુ અસર જન્માવી શકો.

સ્ટેપ થ્રીઃ માળખું તૈયાર કરો. આ માળખું યા તો આઉટલાઈન સંપૂર્ણ છે કે કેમ તે ચકાસવા તમારે બે પ્રશ્નોના ઉત્તર આપવાના છે. પહેલો સવાલ છે, શું તમે તમારા માળખાને એક સંપૂર્ણ એકમ તરીકે જોઈ શકો છો? બીજો સવાલ, શું તમે જે માળખું બનાવ્યું છે તેમાં ‘કોઝ અને ઈફેક્ટ’ની લોજિકલ ચેઈન છે? મતલબ કે તેમાં કોઈ ઘટના યા તો કારણ અને ત્યાર બાદ તેની અસરો આ પ્રકારની તાર્કિક સુરેખતા છે? આખી વાત આખરે વાજતેગાજતે તમે જે તારણ કાઢવા માગો છો ત્યાં સુધી પહોંચે છે? જો જવાબ ‘હા’ હોય તો તમારી આઉટલાઈન પરફેક્ટ છે તેમ જાણવું.

સ્ટેપ ફોરઃ અટક્યા વગર લખો. વાતો, શબ્દો અને વાક્યોને તમારા સબકોન્શિયસ માઈન્ડમાંથી આવવા દો. બને તેટલું વધારે લખો. હવે પછીનું વાક્ય શું આવશે તે વિશે સભાનપણે વિચાર્યા વગર લખો.

સ્ટેપ ફાઈવઃ હવે તમારા ડ્રાફ્ટની બહુ જ તટસ્થપણે કાટછાંટ કરો. એડિટિંગના પણ ત્રણ તબક્કા છેઃ (૧) તમારા લખાણનું સ્ટ્રક્ચર ધ્યાનમાં રાખો. લખાણ તાર્કિક રીતે આગળ વધી રહ્યું હોય અને તે વાચકની બુદ્ધિમત્તાનું અપમાન કરતું ન હોય તે વાતની ખાસ તકેદારી લો. (૨) લખાણ સાફ હોવું જોઈએ, વાચકને ગૂંચવી નાખે તેવું અસ્પષ્ટ કે ગોળગોળ નહીં. એક વાક્યમાં કે એક પેરેગ્રાફમાં બહુ બધી વાતો ઠૂંસી દેવી નહીં. તમે જે કમ્યુનિકેટ કરવા માગો છે એકઝેક્ટલી તે જ વાત બહાર આવી રહી છે કે કેમ તે જુઓ. તમારે કહેવું હોય કંઈક અને વાંચનારને સમજાય કશુંક બીજું જ તો લખવાનો ઉદ્દેશ જ માર્યો જશે.

લેખનશેૈલી એટલે કે લખવાની સ્ટાઈલ પર મહત્ત્વની છે. આ રહી આયન રેન્ડની ‘સ્ટાઈલ ટિપ્સ’ઃ

- સાદા વિચાર કે વાતને ગુંચવી ન નાખો

- ભાષા જેટલી સરળ હશે એટલું વધારે સારું

- કારણ વગર વ્યંગોક્તિ ન કરવી. અપમાનકારક શબ્દો, અભદ્ર વિશેષણો તેમજ નિમ્નસ્તરીય રમૂજથી દૂર રહો

- ચવાઈને ચુથ્થો થઈ ગયેલા શબ્દપ્રયોગો કે અભિવ્યક્તિઓ ટાળો

- કારણ વગર સમાનાર્થી શબ્દો ન વાપરવો

બક્ષી જેને પોતાના હીરો માનતા હતા તે નોબલ પ્રાઈઝવિનર નવલકથાકાર-પત્રકાર અર્નેસ્ટ હેમિંગ્વેએ યુદ્ધનો ફર્સ્ટહેન્ડ અનુભવ લેવા પહેલા વિશ્વયુદ્ધ દરમિયાન ઈટાલિયન મોરચે એમ્બ્યુલન્સ ડ્રાઈવર તરીકે કામ કર્યું હતું. આ અનુભવ તેમની મશહૂર નવલકથા ‘અ ફેરવેલ ટુ આર્મ્સ’નો આધાર બની. તેમણે સ્પેનિશ સિવિલ વોર પણ નજીકથી નિહાળી, એક પત્રકાર તરીકે. હેમિંગ્વેએ ચાર લગને કર્યાં. જીવનના સૌથી પ્રચંડ અનુભવનો જોકે તેઓ ‘ઉપયોગ’ ન કરી શક્યા, કારણ કે તે અનુભવ આત્મહત્યાનો હતો. ‘ધ ઓલ્ડ મેન એન્ડ ધ સી’ લખ્યા પછી નવ વર્ષે, ૬૧ વર્ષની ઉંમરે તેમણે જીવન ટૂંકાવ્યું. કેટલું ઘટનાપ્રચુર જીવન... અને મોત!

અર્નેસ્ટ હેમિંગ્વેએ એક વખત વખત કહેલુંઃ ‘હું ૯૧ પાનાં જેટલો કચરો લખું ત્યારે તેમાંથી માસ્ટરપીસને લાયક હોય તેવું એક પાનું માંડ નીકળે.’ ઈવન હેમિંગ્વેએ પણ ‘કેવી રીતે લખવું’ એના નિયમો આપ્યા છેઃ (૧) ટૂંકાં ટૂંકાં વાક્યો લખો, (૨) શરૂઆતમાં ફકરા નાના હોવા જોઈએ, (૩) ભાષા પાસેથી કસીને કામ લો, (૪) લખતી વખતે પોઝિટિવ અપ્રોચ રાખો, નેગેટિવ નહીં અને (૫) માત્ર ચાર નિયમોથી સંતોષ ન માનો!

હેમિંગ્વેનો અંતિમ નિયમ સૂચક છે. તેઓ કદાચ એમ કહેવા માગે છે કે લેખનકળા યા તો બીજી કોઈ પણ કળા માટે નિયમોની ‘ટૂલ કિટ’ હોઈ ન શકે. સૌએ પોતપોતાના નિયમો પેદા કરી લેવા પડે. ચંદ્રકાંત બક્ષી કદાચ એટલે જ કહે છે કે, ‘મારું એવું માનવું છે કે જો સાચો કલાકાર હોય અને એની પાસે અનુભવ હોય, રિફ્લેકશન એનાલિસિસ હોય અને ડેટા તો જરૂરી છે જ અને સેન્સિટિવિટી હોય, જેને માટે ગુજરાતીઓ ‘માંહ્યલો’ શબ્દ વાપરે છે, બિલ્ટઈન એવું કંઈક...એ જો હોય તો ભાષા પણ પોતાની મેળે આવી જાય છે...’  
 
 0 0 0