Showing posts with label Bhagwatikumar Sharma. Show all posts
Showing posts with label Bhagwatikumar Sharma. Show all posts

Tuesday, July 29, 2014

ટેક ઓફ : અઢી અક્ષરનું ચોમાસું ને બે અક્ષરના અમે

Sandesh - Ardh Saptahik Purty - 30 July 2014

ટેક ઓફ 

આકાશ વરસી રહ્યું હોય ત્યારે પહેલાં પલળવાની અને કોરા થયા પછી એક હાથમાં ગરમાગરમ ચાનો કપ (અથવા બિયરનો મગ, જેવી સગવડ) અને બીજા હાથમાં મનગમતું પુસ્તક લઈને પલંગ પર પહોળા થવાની કેવી મજા આવે. સાચ્ચે, ચોમાસુ પોતાની સાથે પ્રમાદ પણ ખેંચતું લાવે છે. આવા માહોલમાં ઓફિસ જવાનું કોને ગમે. તેથી જ વેણીભાઈ પુરોહિત સ્પષ્ટપણે કહી દે છે કે,આજ નથી જાવું બસ કોઈનાય કામ પર... અલ્યા ધીંગા વરસાદ! તારા નામ પર! 


સ્ત ચોમાસું જામ્યું હોય ત્યારે વરસાદી કાવ્યોથી ન ભીંજાઈએ તે કેમ ચાલે. સુરેશ દલાલે 'ગીતવર્ષા' નામનું વર્ષાકાવ્યોનું સુંદર સંપાદન કર્યું છે. વર્ષો પછી હિતેન આનંદપરાએ આ અન્ય કવિઓ અને કવિતાઓને સમાવતું ઔર એક સંપાદન કર્યું, જે 'મોન્સૂન મસ્તી' નામે પ્રકાશિત થયું. તે પણ મસ્તમજાનું છે.
શરૂઆત કરીએ ચોમાસા સાથે સંકળાયેલી પીંગળશી ગઢવીની આ પંક્તિઓથી, જે એટલી હદે પ્રચલિત થઈ ચૂકી છે કે તેને લગભગ લોકસાહિત્યનો દરજ્જો મળી ગયો છેઃ 
આષાઢ ઉચારં, મેઘ મલારં
બની બહારં જલધારં,
દાદૂર ડકારં, મયૂર પુકારં
તડિતા તારં વિસ્તારં.
નાં લહી સંભારં, પ્યાસ અપારં
નંદકુમાર નિરખ્યારી
કહે રાધે પ્યારી, હું બલિહારી
ગોકુલ આવો ગિરધારી રે જી રે
ગોકુલ આવો ગિરધારી!

પ્રત્યેક ગુજરાતી આ પંક્તિઓ, એના રાગ અને લયથી પરિચિત છે, પણ એટલું પૂરતું નથી, અર્થની પણ ખબર હોવી જાઈએ! કવિ સુરેન ઠાકર 'મેહુલ' સમજાવે છે, 'દાદૂર ડકારં એટલે દેડકાનું ડ્રાંઉં ડ્રાંઉં. તડિતા તારં વિસ્તારં એટલે વીજળીના તાર વિસ્તરતા જાય છે. ના લહીં સંભારં અર્થાત, મારી સંભાળ ન લીધી!' બાકીની પંક્તિઓ સ્વયં સ્પષ્ટ છે.
ચોમાસું જો ડાહ્યુંડમરું થઈને સમયસર હાજર થઈ ગયું હોય તો મોન્સૂન મસ્તી કરવાની મજા બમણી થઈ જાય, પણ આ વખતની જેમ વર્ષાઋતુ જો મોડી બેસે તો સંદીપ ભાટિયાની જેમ આપણા મનમાંય સવાલ થાયઃ કુદરતે તો વરસાદ મોકલી આપ્યો હતો, એ ક્યાંક ગેરવલ્લે તો નહીં ગયો હોયને?
આખું ચોમાસું તેં મોકલ્યું ટપાલમાં ને પરબીડિયું ગયું ગેરવલ્લે
હવે મારું ભીંજાવું ચડયું ટલ્લે.
છત્રીને થાય, એક નળિયાને થાય, કોઈ નેવાને થાય એવું થાતું
ખુલ્લા થયાં તોય કોરા રહ્યાનું શૂળ છાતીમાં ઊંડે ભોંકાતું
વાદળાંની વચ્ચોવચ હોવું ને તોય કદી છાંટા ન પામવા જવલ્લે
હવે મારું ભીંજાવું ચડયું ટલ્લે.
ચોમાસું ખેંચાઈ જાય એટલે આકાશ ઘેરાયેલું રહે, આપણને ટગવતું રહે, પણ વરસવાનું નામ ન લે. આપણે અકળાવા લાગીએ,ધીરજ ખૂટવા લાગે. આખરે કંટાળીને કૃષ્ણ દવેની માફક વાદળ પર ગુસ્સો કરી નાખીએ, પણ વાદળ પાસે ક્યાં પ્રતિપ્રશ્નો અને પ્રતિદલીલોની કમી છે. જુઓ કવિ અને વાદળ વચ્ચેની તડાફડીઃ
છેવટે કંટાળીને મેં વાદળાંને કીધું
કે વરસ્યા વિનાનાં શું જાવ છો!
વાદળ કહે કે ભાઈ વરસી તો પડીએ
પણ આપશ્રી ક્યાં કોઈ'દી ભીંજાવ છો?
મેં કીધું શું ક્યો છો? ગ્યા વરસે ક્યાં ર્યો'તો
છત્રી ઉઘાડવાનો વેંત?
વાદળ ક્યે, રહેવા દ્યો પલળી જે જાય
ઈ તો અંદરથી ઉઘાડે હેત
વરસી વરસીને અમે થાકી ગયાને
તોય તમે ક્યાં લીલાછમ થાવ છો?
મેં કીધું આ રીતે શું કામે નાખો છો
માણસની જાત માથે આળ?
વાદળ ક્યે ચાલ મને તારામાં ગોતી દે
એકાદી લીલીછમ ડાળ
મૂળનું તો સરનામું મળતું નથી
ને પાછા કૂંપળનાં ગીતો શું ગાવ છો?
મેં કીધું આ રીતે તરસ્યે મારીને
તમે સારું તો કરતા નથી જ
વાદળ ક્યે બસ ભાઈ આ રીતે અમને પણ
થોડીક ચડી ગઈ ખીજ
અબઘડીએ ઘોઘમારી વરસી પડું છું
બોલો બાળકની જેમ તમે ન્હાવ છો?



ખેર, મોડું તો મોડું, ચોમાસું આવ્યું એટલે ભયો ભયો. ચડો માળિયા પર, ઉતારો છત્રી, શોધો રેઈનકોટ. વરસાદને ગમે તેટલો મિસ કરતા હોઈએ તો પણ આખી સીઝન થોડા પલળતા રહીશું? છત્રીની જરૂર ક્યારેક તો પડવાની જ છે. ઉદયન ઠક્કર શું કહે છે તે સાંભળોઃ
ભીંજાવામાં નડતર જેવું લાગે છે
શરીર સુધ્ધાં બખ્તર જેવું લાગે છે
મને કાનમાં કહ્યું પુરાણી છત્રીએ
ઊઘડી જઈએ, અવસર જેવું લાગે છે.
આકાશ વરસી રહ્યું હોય ત્યારે પહેલાં પલળવાની અને કોરા થયા પછી એક હાથમાં ગરમાગરમ ચાનો કપ (અથવા બિયરનો મગ, જેવી સગવડ) અને બીજા હાથમાં મનગમતું પુસ્તક લઈને પલંગ પર પહોળા થવાની કેવી મજા આવે. સાચ્ચે, ચોમાસુ પોતાની સાથે પ્રમાદ પણ ખેંચતું લાવે છે. આવા માહોલમાં ઓફિસ જવાનું કોને ગમે. તેથી જ વેણીભાઈ પુરોહિત સ્પષ્ટપણે કહી દે છે કે -
આજ નથી જાવું બસ કોઈનાય કામ પર -
અલ્યા ધીંગા વરસાદ! તારા નામ પર!
ચોમાસું આવે ને યાદ આવો તમે,
દિલને ગુલાબી આ ગમગીની ગમે
જિંદગીના ચોપડામાં જિંદગી છે જમે
આજ મને આવી છે ઊલટ આરામ પર
આજ નથી જાવું બસ કોઈનાય કામ પર.
વરસાદમાં અલસાતા પડયા હોઈએ ત્યારે વિચારતાં વિચારતાં કશુંક લખવાની બહુ મજા આવે. ધારો કે કાગળ પર કવિતા કે નવા વિચારો ન ઊતરે તો પણ સવારનું છાપું લઈને આડાઊભા ખાનાંની શબ્દરમત તો રમી જ શકાય છે. ભગવતીકુમાર શર્મા વરસાદી ક્રોસવર્ડ પઝલ કેવી રીતે ઉકેલે છે તે જુઓઃ
અઢી અક્ષરનું ચોમાસું ને બે અક્ષરના અમે
ખોટ પડી અડધા અક્ષરની, સજન, પૂરજો તમે!
ત્રણ અક્ષરના આકાશે બે અક્ષરની વીજ,
બે અક્ષરનો મોર છેડતો સાત અક્ષરની ચીજ.
ચાર અક્ષરની ઝરમર ઝીલતાં રૃંવાડાં સમસમે,
ખોટ પડી અડધા અક્ષરની, સજન, પૂરજો તમે!
ચાર અક્ષરના બાર મેઘમાં છલબલ આપણાં ફળિયાં,
આંખમાં આવ્યાં પાંચ અક્ષરનાં ગળાડૂબ ઝળઝળિયાં!
ત્રણ અક્ષરનું કાળજું કહો ને, ઘાવ કેટલા ખમે?
ખોટ પડી અડધા અક્ષરની, સજન, પૂરજો તમે!



તમે કહેશો કે ચો-મા-સું તો ત્રણ અક્ષરનું થયું, એને અઢી અક્ષરનું કેવી રીતે ગણી શકાય? વેલ, કવિતામાં બધી છૂટ છે! કવિતા ભાવ અને સ્પંદન સમજે છે, ગણિત નહીં! એ જ રીતે વરસાદ પણ માત્ર વરસવાનું સમજે છે, પક્ષપાત નહીં. એ તો સૌના પર એકસરખો વરસે. વરસાદમાં તારું-મારું થોડું હોય. અલબત્ત, જો તમારી પાસે મનોજ્ઞા દેસાઈ જેવી સંવેદનશીલતા હોય તો વરસાદના પણ ભાગલા પાડી શકો છો ને પ્રેમપૂર્વક હક જમાવી શકો છો! જુઓઃ
એક મારો વરસાદ એક તારો વરસાદ
અને પેલો વરસાદ જરા નોખો
આ સૌનાં હૈયાંમાં સૌનો વરસાદ લઈ
જોને વહેતાં જાય લોકો.
મારા વરસાદને લાગે જો એકલું
તો તારો વરસાદ જરી આપશે?
પાછો દેતાં એને રાખી લઉં થોડો
તો કેટલો લીધો તે કેમ માપશે?        
વરસાદી આપ-લેના ભીના સંબંધનો
જોજે વહી ન જાય મોકો...

બધાં કંઈ વર્ષાઋતુના પ્રેમમાં ન પણ હોય. દિવસોના દિવસો સુધી ખેંચાયા કરતો સૂર્યપ્રકાશ વગરનો ધાબળિયો માહોલ વિપિન પરીખને તો સાડાસાતી જેવો લાગે છે! સાંભળોઃ
માથા પર તોળાઈ રહેલું ગમગીન વાતાવરણ-
સાડાસાતી જેવું.
ગલી અને રસ્તા ઉપર ગંદા પાણીનાં વિશાળ સરોવર,
ટાયરમાં નકશો ભરીને કાદવ ઉડાડતી
દોડી જાય મોટર
ખાબોચિયાંમાંથી.
ભીનાં ભીનાં વસ્ત્રોની હાર
દિવસોના તાર ઉપર એમની એમ.
હવાઈ ગયેલા મિત્રો...
પોતાના જ ઘરમાં પોલીસ વિનાની નજરકેદ.
એક દિવસ, બે દિવસ, ત્રણ દિવસ...
વરુણનું એકધારું સામ્રાજ્ય આ નધણિયાતા નગર ઉપર.
હવે આ ધોધમાર પાણીના પૂરમાં
સૂરજ પણ તણાઈ ગયો શું?
અમારાં મકાનોની જેમ...

તમે શાની રાહ જોઈ રહ્યા છો - વરસાદને ઔર માણવાના અવસરોની કે પછી વર્ષાઋતુની વિદાયની?  
0 0 0 

Monday, July 4, 2011

હસમુખ ગાંધીએ અણ્ણા હઝારે - બાબા રામદેવ વિશે શું લખ્યું હોત?

ચિત્રલેખા - અંક તા. ૧૧ જલાઈ ૨૦૧૧


કોલમઃ વાંચવા જેવું


Hasmukh Gandhi (Photographs courtesy: Saurabh Shah)

એબનોર્મલ દૈનિક.

પોતે જણેલા અને પોષેલા અખબાર ‘સમકાલીન’ માટે હસમુખ ગાંધી સ્વયં આ શબ્દપ્રયોગ કરતા. અખબાર અથવા સામયિક જો એના તંત્રીના વ્યક્તિત્ત્વનું પ્રતિબિંબ ગણાતું હોય તો એ ન્યાયે સ્વ. હસમુખ ચીમનલાલ ગાંધી (જન્મઃ૧૯૩૨, મૃત્યુઃ ૧૯૯૯) પણ એબનોર્મલ માણસ ગણાય. તંત્રી હસમુખ ગાંધી માટે, અલબત્ત, ‘એબનોર્મલ’ કરતાં ‘એક્સ્ટ્રા ઓર્ડિનરી’ શબ્દ વાપરવો પડે. તે સિવાય ‘ગાંધીભાઈના આગમન પહેલાંનું ગુજરાતી પત્રકારત્વ’ અને ‘ગાંધીભાઈના ‘સમકાલીન’ પછીનું આધુનિક ગુજરાતી પત્રકારત્વ’ એવા જે બે સ્પષ્ટ ભાગ પડ્યા છે તે ન પડ્યા હોત.



ગાંધીભાઈના ગાંધીત્વનો આબાદ પરિચય કરાવતું એક સુંદર પુસ્તક, એટલા જ મજાનાં અન્ય ચાર પુસ્તકો સાથે, તાજેતરમાં બહાર પડ્યું છે. સંપુટનું નામ છે, ‘મારા મનગમતા તંત્રીલેખો’. બાકીનાં ચાર પુસ્તકોમાં ભગવતીકુમાર શર્મા (‘ગુજરાત મિત્ર’), શાંતિલાલ શાહ (‘ગુજરાત સમાચાર’), કુંદન વ્યાસ (‘જન્મભૂમિ’) અને અજય ઉમટ (‘દિવ્ય ભાસ્કર’) લિખિત ચુનંદા તંત્રીલેખોનો સંગ્રહ છે. સીમિત જગ્યાને કારણે આપણે અત્યારે હસમુખ ગાંધીના તંત્રીલેખો પર જ ધ્યાન કેન્દ્રિત કરીશું.



હસમુખ ગાંધી કલમથી પટ્ટાબાજી ખેલતા અને કોઈને ન બક્ષતા. ૧૪ જાન્યુઆરી ૧૯૮૪ના રોજ પ્રકાશિત થયેલા ‘સમકાલીન’ના સૌથી પહેલા અંકના તંત્રીલેખમાં ગાંધીભાઈએ ગર્વિષ્ઠ ઘોષણા કરી હતીઃ ‘છાપાળવી ભાષા, પ્રાદેશિક બોલી, ચીલાચાલુ પ્રયોગો, વ્યાકરણના ગ્રાઉન્ડ રૂલ્સનો ભંગ કરતાં લખાણો, ન સમજાય એવાં વાક્યો, જોડણીને કૂટી મારતા શબ્દોઃ આ બધાને ચાતરી જવાની ‘સમકાલીન’ની નેમ છે.’ આ ઠાલા શબ્દો નહોતા, ગાંધીભાઈએ આ પ્રમાણે કરી બતાવ્યું.



માહિતીની સમૃદ્ધિ, વૈચારિક સ્પષ્ટતા અને તીખીતમતી ભાષા - ગાંધીભાઈના લખાણમાં આ ત્રણેયનું ડેડલી કોમ્બિનેશન થતું. એમની ચીડ અને અણગમો હંમેશા તીવ્રતાથી વ્યક્ત થતાં. મધર ટેરેસા વિશે બીબીસીએ એક ડોક્યુમેન્ટરી બનાવેલી. એના સંદર્ભમાં ‘નરકની દેવીનો ભાંડો ફૂટે છે’ એવું શીર્ષક ફટકારીને ગાંધીભાઈએ લખ્યું હતુંઃ ‘મધર ટેરેસાની અસ્કયામતો ત્રીજા વિશ્વના અનેક દેશોની એસેટ્સ કરતાં ચડી જાય એટલી વિરાટ છે. મધર ટેરેસાની પ્રવૃત્તિઓથી કોને લાભ થાય છે? તો કે હીણા ડિટેક્ટરોને, વેટિકનને અને ભ્રષ્ટ લોકોને. સેવા? ક્રાઈસ્ટ, ક્રાઈસ્ટ કરો.’ ઘોંઘાટ વિશેના એક તંત્રીલેખમાં તેમણે ત્રસ્ત થઈને લખ્યું હતુંઃ ‘સૌથી દુષ્ટ પેલા હરેરામકૃષ્ણવાળા છેઃ ઝાંઝપખાજ વડે પિક અવર વખતે ચર્ચગેટ સ્ટેશનમાં તેઓ નાચે છે અને બહાર પુસ્તકો વેચવા માટે માઈકનો ઉપયોગ કરે છે.’



હસમુખ ગાંધી વિશેના એક લેખમાં પત્રકાર-લેખક સૌરભ શાહે લખ્યું છેઃ ‘ગુજરાતી ભાષામાં છપાઈને પડી રહેલું શબ્દનું રૌદ્ર સ્વરૂપ બહાર લાવવાની તેમનામાં જબરદસ્ત ફાવટ. કોઈ નીતિ, વ્યક્તિ કે ઘટના, વિચારની સાથે તેઓ સહમત ન થતા હોય ત્યારે એમની ભાષા સત્તરે કળાએ ખીલી ઊઠતી, સત્તરમી કળા પેપરવેઈટ ઉછાળવાની.’



સહેજે વિચાર આવે કે ગાંધીભાઈ અત્યારે જીવતા હોત તો અણ્ણા હઝારે અને બાબા રામદેવે ઘટનાઓનો જે વંટોળ ઊભો કર્યો છે તેના વિશે કેવું કચકચાવીને લખતા હોત! લંપટ સ્વામી કેશવાનંદનો કિસ્સો બહુ ચગ્યો હતો તે વખતે ગાંધીભાઈએ અંધશ્રદ્ધાળુઓને તો ઠીક, ગુજરાતી અખબારોની પણ બરાબરની ખબર લઈ નાખી હતીઃ ‘ગુજરાતી અખબારોએ વર્ષો સુધી દોરાધાગા, મૂઠમાદળિયાં, વળગાડઉતાર, વહેમ અને અંધશ્રદ્ધાને પોષ્યાં છે. આ અખબારોએ વાંઝિયણ સ્ત્રીને બાળક અવતરે એવો મંત્ર અને એ માટેનું યંત્ર આપનાર ધુતારાઓની ચિક્કાર જાહેરખબરો છાપી છે. હવે આ જ દૈનિકો દિવસો સુધી કેશવાનંદને ટપલી મારતા અગ્રલેખો બહાદુરીપૂર્વક છાપશે. કેવી છલના. કેવી આત્મવંચના. કેવાં બેવડાં ધોરણો.’



પત્રકારત્વ ગાંધીભાઈનું પેશન હતું. ગુજરાતી જર્નલિઝમના તેઓ ‘બિગ ડેડી’ હતા. ગુજરાતી છાપાંમેગેઝિનો, તેમાં કામ કરતા માનવપ્રાણીઓ અને ઈવન વાચકો વિશે વાત કરતી વખતે તમની કલમ જબરી ઉત્તેજિત થઈ જતી. એક લેખમાં તેઓ આકળવિકળ થઈને લખે છેઃ ‘૨૫ ઈન્કમ્બન્ટ તંત્રીઓ અને ૨૫ ભૂતપૂર્વ તંત્રીઓને રાખીને તમે ગુજરાતી પેપર કાઢો તોય એ પેપર ખરાબમાં ખરાબ અંગ્રેજી દેનિક કરતાંય ઊતરતું હશે. આમ કહેવાથી આપણી ગુજરાતી અસ્મિતા ઘવાતી હોય તો તમે, મિસ્ટર નૌતમલાલ ઠક્કર, બે કેરીના રસની સાથે રોટલી વધુ ખાજો. ગુજરાતીમાં (ફોર ધેટ મેટર, વર્નાક્યુલર ભાષાઓમાં) પત્રકારત્વ હતું જ નહીં, છે જ નહીં અને હશે જ નહીં.’



નોતમલાલ ઠક્કર એટલે ગાંધીભાઈએ પેદા કરેલું પોતાના ઓલ્ટર ઈગો જેવું એક કાલ્પનિક પાત્ર. ગાંધીભાઈની અતિશયોક્તિ કરવાની અદા પણ આકર્ષક હતી. ગાંધીભાઈના નિધન પછી મધુ રાયે અંજલિલેખમાં કહ્યું હતુંઃ ‘‘સમકાલીન’ની ભાષામાં એક પર્વર્સ વાઈટાસિટી યાને વકરેલી જવાની હતી. હસમુખભાઈ ગુજરાતી લિપિ સામે સિરજોરી કરતા હતા, ગલોફામાં ભાંગની પકોડી મૂકીને, સાથળ પર થાપા મારીને, આખી ગુજરાતી ભાષાનું આવાહન કરતા હતા... એડિટરસાહેબ પોતાના ‘સબ’લોકો પાસે ભાષાની વ્યાયામશાળામાં લેજિમનૃત્ય કરાવતા, પત્રકારત્વનાં તત્ત્વ શીખવવાની મદરેસા ચલાવતા, અને ખૂનખાર પત્રકાર તરીકેની ખ્યાતિ ઉપાર્જિત કરતા હતા.’



આ પુસ્તકના સંપાદક દિવ્યાંગ શુક્લે ગાંધીભાઈ સાથે વર્ષો સુધી કામ કર્યું છે. તેઓ કહે છે, ‘હું પત્રકારત્વમાં પ્રવેશ્યો એની પહેલાંથી ગાંઘીભાઈના લેખોનાં કટિંગ્સ કરતો અને પછી વર્ષો સુધી કરતો રહ્યો. તેમના મૃત્યુ પછી ‘સમકાલીન’માં અમે નામની પૂર્તિ બે ભાગમાં બહાર પાડી હતી. મને ખૂબ ગમેલા અને સાચવી રાખેલા ગાંઘીભાઈના લેખોમાંથી આ પુસ્તક તૈયાર થયું છે. ગાંધીભાઈને આપેલી આ મારી ગુરૂદક્ષિણા છે...’



કહે છે ને કે સ્વિટ્ઝર્લેન્ડ જેવા સ્થળે કોઈ પણ જગ્યાએ કેમેરા ધરીને ક્લિક ક્લિક કરી દો તો પણ તસવીર અફલાતૂન જ આવે. ગાંધીભાઈનાં લખાણોનું પણ એવું જ. જલસો કરાવે એવું આ પુસ્તક મિસ કરવા જેવું નથી.                                                                   000


(મારા મનગમતા તંત્રીલેખો - હસમુખ ગાંધી
સંપાદકઃ દિવ્યાંગ શુક્લ

પ્રકાશકઃ ઈમેજ પબ્લિકેશન્સ, મુંબઈ-૧

ફોનઃ (૦૨૨) ૨૨૦૦ ૨૬૯૧
કિંમતઃ રૂ. ૧૫૦ /

પૃષ્ઠઃ ૧૩૮)