Showing posts with label Atul Dodiya. Show all posts
Showing posts with label Atul Dodiya. Show all posts

Friday, October 21, 2016

મલ્ટિપ્લેક્સ: ગિલ્ટનો રંગ કેવો?

Sandesh - Ardh Saptahik purti - 19 Oct 2016
મલ્ટિપ્લેક્સ
કલાકાર - પછી એ ચિત્રકાર હોય, શિલ્પકાર હોય, લેખક હોય કે એક્ટર હોય - એનો માંહ્યલો કેવી રીતે એની કૃતિઓમાં ઝળકી જતો હોય છે?
Atul Dodiya
વાચન-લેખન જ જેનું જીવન છે એવો લેખક અમુક ચોક્કસ શબ્દ સરખી રીતે’હેન્ડલ’ કરી શકતો ન હોય એવું બને? આંકડાઓની એકધારી પટ્ટાબાજી ખેલવી જેનો ધર્મ છે એવો અકાઉન્ટન્ટ કોઈ ચોક્કસ આંકડાને બરાબર ‘હેન્ડલ’ ન કરી શકે તેમ બને? ચિત્રકળા જેનું પેશન છે એવો ચિત્રકારને કોઈ ચોક્કસ રંગ ‘હેન્ડલ’ કરતી વખતે અસ્થિર થઈ જતો હોય એવું બને?
હા, બને.
આંતરરાષ્ટ્રીય ખ્યાતિપ્રાપ્ત ગુજરાતી ચિત્રકાર અતુલ ડોડિયાએ કહેલી એમના નાનપણની એક વાત સાંભળીને, રાધર, વાંચીને જબરું કૌતુક થયું હતું. આ વાત અતુલ ડોડિયાએ ઉત્તમ લેખક-નાટ્યકાર નૌશિલ મહેતાને કહી હતી, જે તેમણે પછી ‘ફાર્બસ' મેગેઝિનના તાજા અને દૃળદૃાર વિશેષાંક માટે લખેલા પોતાના મસ્તમજાના પ્રલંબ લેખમાં ઉતારી. 
નૌશિલ મહેતાની પહેલાં, એક લેખક-કયુરેટર અને કોલકાતાના જાણીતા અંગ્રેજી અખબારના એક સંપાદૃક સાથે અતુલ ડોડિયાની લંબાણપૂર્વક વાતચીત ચાલી હતી. ચારેક દિૃવસ સુધી બન્ને વચ્ચે ગુફતગૂ થયા કરી. વાતવાતમાં સંપાદૃકસાહેબે એકાએક  ‘સાઈકિયાટ્રિસ્ટ પૂછે એવો' તીરછો સવાલ ફેંક્યો કે અતુલભાઈ, તમે ઘાટકોપરની ચાલીમાં ઉછર્યા છો તો તમારા એ ઘરમાં તે વખતે ફર્નિચર કેવું હતું?
‘આ સવાલના જવાબમાં ભળતો મસાલો બહાર આવ્યો,' અતુલ ડોડિયા કહે છે, 'મેં એમને એક એવી વાત ઘટનાની વાત કરી જે મેં કોઈને નથી કરી, કેમ કે સ્મરણશકિત હોવા છતાં એ ઘટના ક્યાંક અંદૃર ધરબાઈ ગયેલી.'
શું હતી એ ઘટના? આનો જવાબ અતુલ ડોડિયાના શબ્દોમાં જ સાંભળોઃ 
 ‘થયેલું એવું કે અમારે ઘરે રોઝવુડની બનેલી બે સુંદર કેબિનેટ્સ હતી. બાપુજીના બેડરુમમાં. નાનકડી હતી. એમની ઉપર માળિયું આવે. ત્યાં મારાં ચિત્રો, પોર્ટફેલિયો, ઘરવખરીમાં આડો આવતો સામાન, હાર્ડવેરનો સામાન અને ઇનેમલ પેઇન્ટના ડબા રહેતા. પેઇન્ટ લીલો – પ્રોપર ગ્રીન.
માળિયેથી મારી ચીજવસ્તુ લેવા-મૂકવામાં એક દિવસ મારાથી એકાદ દસ લિટરનો ડબો આડો પડી ગયો હશે, આપોઆપ ખૂલી ગયો હશે. તે રંગ રેલાયો, ફેલાયો. જાડો ચમકતો લીલોચટ્ટક રંગે માળિયેથી બહાર નીકળીને કેબિનેટ પર પડયો… એની અંદર પેસ્યો.
મારા બાપુજી કપડાંના શોખીન. ફંકડી ફઉન્ટન પેન વાપરે, વિદેશી ઘડિયાળ, સ્ટાઇલિશ જોડાં પહેરે. કોટ-જેકેટ, સરસ સિલાઈના શર્ટ્સ અને નીચેથી વાળેલા ટ્રાઉઝર્સના રસિયા. એ લીલો ઇનેમલ રંગ બધું પલાળીને ભોંયની લાદી પર ફેલાયો ત્યાર સુધી અમારું કોઈનું ધ્યાન ન ગયું.
આ ઘટના રાતે થઈ હશે અને સવારે ઝાડું કાઢતા છોકરાનું ઝાડું ચોંટી ગયું ત્યારે એણે જોયું કે ત્યાં રંગ પડયો છે અને જામી ગયો છે. એણે મને પૂછયું કે આ રંગ કયાંથી આવ્યો? ત્યારે કબાટ ખોલ્યું અને જોયું કેવા હાલ થયેલા! જે વઢ પડી છે મને! એ યાદ નથી કે બાપુજીએ એકઝેકટલી શું બોલેલા, કદાચ હું બહુ નાનો હતો, પણ નીચી મૂંડી કરીને વઢ ખાધાનું યાદ છે.'

આ આખો કિસ્સો વર્ણવ્યા પછી અતુલ ડોડિયા ઉમેરે છેઃ ‘કમાલની વાત એ છે કે મારાં ચિત્રોમાં આજેય લીલો રંગ હેન્ડલ કરવો મને કપરો પડે છે. એવો લીલો રંગ જવલ્લે જ મારા કામમાં તમને દેખાશે. અલબત્ત, હું લીલો રંગ કયારેક જ વાપરું છું, પણ એમેરાલ્ડ ગ્રીન કે ઘેરા લીલા સ્વરૂપે.’
આં સાંભળીને પેલા સંપાદકે એક સ્ટેટમેન્ટ કરી નાખ્યું: ‘ગ્રીન ઇઝ ધ કલર ઓફ્ ગિલ્ટ ફેર યુ!’ અર્થાત્ લીલા રંગનો સંબંધ નાનપણમાં પેલી ઘટનાને કારણે ચિત્રકારના મનમાં જાગેલા તીવ્ર અપરાધીભાવની લાગણી સાથે હોઈ શકે. એવું બને કે ખુદની બેદરકારી, કપડાં તથા બીજી ચીજવસ્તુઓને થયેલું નુકસાન અને બાપુજીની વઢ – આ સૌની સ્મૃતિઓનું પડીકું પેલા લીલા રંગમાં ઝબોળાઈને એમના ચિત્તના કોઈ પડળમાં લપાઈ ગયું હોય, એક ગિલ્ટ બનીને. શકય છે કે ચિત્ર બનાવતી વખતે તે લીલોતરું ગિલ્ટ અભાનપણે સપાટી પર ડોકિયાં કરી જતું હોય, જેને કારણેે આટલા મોટા ચિત્રકાર હોવા છતાંય અતુલ ડોડિયાને લીલો રંગ હેન્ડલ કરવામાં મુશ્કેલીનો અનુભવ થતો હોય!
આ થિયરીમાં કેટલું તથ્ય છે તે આપણે જાણતા નથી, પણ તે ભારે ઇન્ટરેસ્ટિંગ એ તો નક્કી. સામયિકના લેખમાં અતુલ ડોડિયાએ બીજી કેટલીય ઇન્ટરેસ્ટિંગ વાતો કહી છે. માણસ કલા વિશે બહુ બધું જાણતો હોય, એને બહુ બધી ખબર પડતી હોય, દુનિયાભરના ચિત્રકારોના નામો છાંટી શક્તો હોય અને તેમની ચિત્રશૈલીઓ વિશે એ પટ્ પટ્ પટ્ કરતો અઘરા શબ્દોમાં વર્ણનો કરી શકતો હોય તો તે શું હંમેશાં ઇચ્છનીય બાબત છે? માણસનું જ્ઞાાન કલા-સંગ્રહ માણવામાં એની મદદ કરે છે કે વિઘ્નો ઊભા કરે છે?
 આ સવાલ પૂછીને અતુલ ડોડિયા કહે છે, ‘જાણકારો જ કલા માણી શકે એ ધારણા ભૂલભરેલી હોઈ શકે. તમે જે જાણો છો એ કયારેક તમારી જોવાની પ્રક્રિયામાં દખલ પણ કરી શકે. મારો ઉછેર મુંબઈના પરામાં થયો – ઘાટકોપરની ચાલીમાં. મારા કુટુંબીઓ કે પાડોશીઓને આધુનિક કલાના કક્કાનીય ખબર નહોતી. પણ મારું થતું કામ કે પૂરું થયેલું કામ જોઈને તેમના પ્રતિભાવો મોટા ભાગે સચોટ અને સાચા હતા અને આજેય હોય છે. એથી મને થાય છે, ના, કલા કેવળ કલારસિકોની જાગીર નથી. સામાન્ય માણસો – જેમને કલા વિશે કંઈ જાણકારી નથી – તેઓ આ કલા માણી શકે છે. હા, કયારેક કોઈ કલાકૃતિની ખૂબી ચીંધવી પડે, કયારેક એકાદ ઐતિહાસિક વિગત કહેવી પડે. પણ નજીવી ટિપ્પણીઓના આધારેય તેઓ ઉત્તમ કલા ભરપૂર માણી શકતા હોય છે.’

અતુલ ડોડિયા ભારતના સૌથી સફળ અને સૌથી મોંઘા કન્ટેમ્પરી આર્ટિસ્ટોમાં સ્થાન પામે છે. એમના એક-એક ચિત્રની કિંમત લાખોમાં નહીં, કરોડોમાં પહોંચે છે. તેઓ કહે છે, ‘અહીં ચિત્રકળાની વાત ચાલે ને નક્કી કોઈ બોલી ઊઠે, ‘આપણને તો સીધી લીટી દોરતાં ન આવડે…’ કે ‘મોડર્ન આર્ટમાં આપણું કામ નહીં…’ કે ‘આવું તો મારી ચાર વરસની બેબી પણ ચીતરી શકે…’ ચિત્ર કરવા બેસું ત્યારે આવાય વિચારો મારા માથામાં ભમતા હોય છે!’

આમ કહીને તેઓ ઉમેરે છે, ‘હું દઢપણે માનું છું કે હું કલાકૃતિ મારા માટે નથી બનાવતો. હું જ મારી કૃતિનો પહેલો દર્શક, પહેલો ચાહક, પહેલો વિવેચક… પણ એની રચના પૂરી થયા પછી એ કૃતિ મારે કોઈને દેખાડવી હોય. મારી કૃતિ જોતાં દર્શકના મારે હાવભાવ વાંચવા હોય… એના અંગેઅંગની ભાષા ઉકેલવી હોય! દરેક કૃતિ જોનારને કંઈક આપતી હોય છે… એને નિહાળીને દરેક જોનાર કશુંક પામતો હોય છે… દરેક જોનારને શું પહોંચ્યું એ મારે કળી લેવું હોય છે. આખરે કળા પ્રદર્શનનો હેતુ શું છે? અલબત્ત, કલાની બજાર છે અને અમે અમારું કામ વેચીએ છીએ – એ આર્થિક દુનિયાની ના નહીં – પણ પ્રદર્શનનો મૂળ હેતુ શેરિંગનો છે… કે મેં આ કર્યું છે તો બધા આવો અને માણો પોતપોતાની રીતે! જે આનંદ મને કલાકૃતિની રચના કરતી વખતે થાય છે એવો જ ઉલ્લાસ મને થાય છે જ્યારે લોકો એને નિહાળે છે ત્યારે!’

Jeram Patel
'ફાર્બસ'ના સ્પેશિયલ ઇશ્યુમાં ૮૬ વર્ષની પકવ ઉંમરે મૃત્યુ પામેલા નામાંકિત ચિત્રકાર જેરામ પટેલ વિશે પણ લેખ છે. તેમણે દાયકાઓ પહેલાં પોતાની કેફ્યિત આપતા લખેલું કે –
‘ચિત્ર રચતી વખતે હું હંમેશાં આક્રમણ જ કરતો હોઉં છું… ધારો કે હું લાલ રંગનો પ્રયોગ કરું છું. એનો અર્થ એ થાય છે કે કોઈક ચોક્કસ રંગ ઉપર, કોઈક ચોક્કસ જગા માટે એ કોઈક ચોક્કસ કારણોસર મેં હુમલો કર્યો છે. આ બધું એની મેળે બનતું આવતું હોય છે. કામ શરૂ કરું છું ત્યારે મારા મનમાં કશું સ્પષ્ટ હોતું નથી. એ બધું સ્વાભાવિક ક્રમે અનાયાસે જ આવતું હોય છે. આ જગા માટે લાલ છે, આ પીળા માટે છે કે આ કાળા માટે છે… રંગોને નાટકના પાત્રોની જેમ અભિનય કરતાં જોવામાં રસ છે. મુખ્ય વાત તો એ છે કે હું કશું જ આમ જુઓ તો ચોક્કસપણે કરવા માગતો નથી. મારે તો માત્ર લાલને એની પોતાની ખાસ જગાએ, કાળાને એની જગાએ અને કથ્થઈને એની જગાએ જોવા હોય છે અને એ જ પ્રમાણે બીજા રંગો બાબતે કહી શકું. અહીં કોઈ એવી દલીલ કરી શકે કે આવું તો કોઈપણ કરી શકે. હા, નિશંકપણે જરૂરથી એ કરી જ શકે, જેમ બાળકો પણ કરે છે. કશું જ પણ વિચાર્યા વગર રંગો લઈને એ તો કાગળ પર ચિતરડા કરતાં જ હોય છે ને!’

અતુલ ડોડિયાએ પોતાનાં ચિત્રોને લોકો સામે પ્રદર્શિત કરવાની અને શેરિંગના આનંદની વાત કરી છે, તો જેરામ પટેલ આ સ્થિતિને જરા જુદી રીતે મૂકે છેઃ 
‘એક ચિત્ર કર્યા પછી હું એને અલબત્ત નીરખું છું પણ એ એવી રીતે કે જે રીતે નૈસર્ગિક પદાર્થને જોતો હોઉં. જેમ કે એક લેન્ડસ્કેપને આપણે જોઈએ છીએ કે પછી ઝાડને જોઈએ છીએ કે પછી એક પથ્થરને પણ જોતાં હોઈએ છીએ. મનમાં કોઈ પૂર્વગ્રહ રાખ્યા વિના જોતો હોઉં છું. આ મેં બનાવ્યું છે માટે એના માટે મને મમત હોય કે લાગણી હોય એવું કશું એમાં નથી હોતું… કોઈ અન્યના ચિત્ર વિશે પણ એવું જ કહી શકું. એને કોઈ નૈસર્ગિક પદાર્થ તરીકે જ હું જોવાનું પસંદ કરું છું.’
કલાકારનો માંહૃાલો – પછી એ ચિત્રકાર હોય, શિલ્પકાર હોય કે લેખક હોય કે અભિનેતા – એ કેવી રીતે એની કૃતિઓમાં ઝળકી જતો હોય છે? બહુ રસપ્રદ છે આ સવાલ અને એનો જવાબ ચોક્કપણે બહુરંગી હોવાનો!
0 0 0 

Wednesday, March 19, 2014

ટેક ઓફ: લતા કરતાં બહેતર ગાવું, સચિન કરતાં બહેતર રમવું

Sandesh - Ardh Saptahik Purti - 19 March 2014

ટેક ઓફ 
કોઈ પણ ક્ષેત્રમાં આપણને ચકિત કરી દેભયંકર હદે પ્રભાવિત કરી નાખે એવા બાપ-માણસો ભૂતકાળમાં પેદા થયેલા હોવાના જ. તેનો અર્થ એવો નથી કે એમના કરતાં સવાયા થઈ શકવાની તાકાત કે જડબેસલાક ગેરંટી હોય તો જ જે-તે ક્ષેત્રમાં પગલું માંડવાનું.



ધારો કે કોઈ હોંશીલા યુવાનને બિઝનેસમેન બનવું છે, પણ ધીરુભાઈ અંબાણીની જીવનકથા વાંચીને એ વિચારે કે બોસ,ધીરુભાઈએ જે સિદ્ધિઓ મેળવી છે તે હું આ લાઇફમાં કોઈ રીતે હાંસલ કરી શકું તેમ નથી. આમ વિચારીને એ બિઝનેસમેન બનવાનું માંડી વાળે તો? કોઈને ગાયિકા બનવું છે, પણ લતા મંગેશકરનાં ગીતો સાંભળીને એ વિચારવા માંડે કે લતાબાઈ ઓલરેડી આટલાં અદ્ભુત ગીતો ગાઈ ચૂકી છે તો પછી હું હવે સિંગર બનીને શું કાંદા કાઢી લેવાની છું, તો? હિન્દી સિનેમામાં દિલીપ કુમાર કે અમિતાભ બચ્ચન જેવા અભિનયના બેતાજ બાદશાહ થઈ ગયા એટલે શું તેમના પછી કોઈએ એક્ટિંગ કરવાની જ નહીં?ખબર હોય કે ઝવેરચંદ મેઘાણી, કનૈયાલાલ મુનશી, સુરેશ જોશી, ચંદ્રકાંત બક્ષી જેવું લખવાનું આપણું ગજું નથી, તો શું એમના સમકાલીનોએ કે પછીની પેઢીઓમાંથી કોઈએ કલમ ઉપાડવાની જ નહીં? સચિન તેંડુલકર નામનો ક્રિકેટનો દેવતા થઈ ગયો એટલે શું એના કરતાં વધારે ટેલેન્ટ હોય તો જ હાથમાં બેટ પકડવાની હિંમત કરવાની?
હિંમત કરવાની, જરૃર કરવાની. હાથમાં બેટ લેવાનું, કલમ પકડવાની અને પછી પોતાનાથી બનતા શ્રેષ્ઠ પ્રયત્નો કરવાના. ધીરુભાઈ જે કરી ગયા તે કરી ગયા. જો આપણે બિઝનેસમેન બનવાનું સપનું જોયું હોય તે સાકાર કરવા બનતી મહેનત કરવાની. ગાવાનું પેશન અને પ્રતિભા હોય તો સારા સિંગર બનવા માટે જીવ લગાવી દેવાનો. એવું જ એક્ટિંગનું. કોઈ પણ ક્ષેત્રમાં આપણને ચકિત કરી દે, ભયંકર હદે પ્રભાવિત કરી નાખે એવા બાપ-માણસો ભૂતકાળમાં પેદા થયેલા હોવાના જ. તેનો અર્થ એવો નથી કે એમના કરતાં સવાયા થઈ શકવાની તાકાત કે જડબેસલાક ગેરંટી હોય તો જ જે-તે ક્ષેત્રમાં પગલું માંડવાનું.

Atul Dodiya

આ સંદર્ભમાં ભારતના ઉત્તમ કન્ટેમ્પરરી ચિત્રકારોમાં અધિકારપૂર્વક સ્થાન પામતા અતુલ ડોડિયાનો એક અનુભવ જાણવા જેવો છે. દસ વર્ષની ઉંમરે તેમણે નક્કી કરી નાખ્યું હતું કે મોટા થઈને આપણે ચિત્રકાર બનવું છે. મહાન સ્પેનિશ ચિત્રકાર પાબ્લો પિકાસો એમના હીરો. છાપાંમાં એમના વિશે જે કંઈ છપાતું તે બધું જ કાપીને સાચવી રાખે. પિકાસોનાં ચિત્રની તસવીરવાળાં 'ટાઇમ'મેગેઝિનના અંકો શોધવા રદ્દીવાળાને ત્યાં ફેંદાફેંદ કરી મૂકે. ૧૯૭૩માં પિકાસોના મૃત્યુ થયું તે વખતના સમાચારનું કટિંગ પણ એમણે સાચવી રાખેલું. તે વખતે અતુલ ડોડિયા તેર વર્ષના હતા.
રણજિત હોસકોટે અને નેન્સી અડજાણિયાએ 'ધ ડાયલોગ સિરીઝ' હેઠળ ભારતના કેટલાક ઉત્તમ ચિત્રકારો સાથે થયેલા પ્રલંબ સંવાદોને પુસ્તકકારે પ્રગટ કર્યા છે. પેઇન્ટિંગ અને આર્ટમાં રસ ધરાવનારાઓએ આ શૃંખલા ખાસ વાંચવી જોઈએ. રણજિત હોસકોટેએ તાજેતરમાં 'અતુલ ડોડિયા' નામનું બધા અર્થમાં કીમતી પુસ્તક પણ એડિટ કર્યું છે. ડાયલોગ સિરીઝની અફલાતૂન પુસ્તિકામાં અતુલ ડોડિયા કહે છે, "આપણે નાનપણથી જાણતા હોઈએ છીએ કે ઓરિજિનલ 'મોનાલિસા' ચિત્ર પેરિસમાં છે. નાનો હતો ત્યારે મારે પેઇન્ટર બનવું છે એવું બોલતો ત્યારે મુંબઈની અમારી ઘાટકોપરની ચાલમાં રહેતા લોકો તરત કહેતા, "તારે પેરિસ જવું જોઈએ, પેરિસ કલાકારોનું સ્વર્ગ છે." 'મોનાલિસા'ને કારણે તેઓ લિઓનાર્ડોને ઓળખતા. તેમણે વેન ગોગનું નામ સાંભળેલું. તેઓ પિકાસોના નામથી પણ પરિચિત હતા, કારણ કે આ બધાં ફેમસ ચિત્રકારો હતા. એ દિવસોમાં અમારા મનમાં એવી જ છાપ હતી કે ચિત્રકલા તો બસ, યુરોપની જ."
Pablo Picasso


વૈચારિક સ્પષ્ટતા કિશોર વયમાં જ આવી ગઈ હતી એટલે મુંબઈની જે.જે. સ્કૂલ ઓફ આર્ટ્સમાં એડમિશન લઈને અતુલ ડોડિયા પદ્ધતિસર ચિત્રકળા શીખ્યા. ૩૧ વર્ષની ઉંમરે ફ્રાન્સ સરકારની સ્કોલરશિપ મળી. ચિત્રકાર પત્ની અંજુ ડોડિયા સાથે એક વર્ષ પેરિસમાં રહેવાના યોગ ઊભા થયા. પેરિસના પિકાસો મ્યુઝિયમની નજીકમાં જ એમનું રહેઠાણ. અસલી માસ્ટરપીસને પ્રત્યક્ષ જોવાની તક ઓછા લોકોને મળતી હોય છે. મોટેભાગે આપણે પુસ્તકમાં કે છાપાં, મેગેઝિન, ફિલ્મોમાં વિખ્યાત ચિત્રકૃતિઓની ઇમેજીસ જોઈ હોય છે. પ્રતિકૃતિ જોવી એક વાત છે અને ઓરિજિનલ માસ્ટરપીસ જોવો તદ્દન જુદી અનુભૂતિ છે. જેમના વિશે નાનપણથી પાર વગરનું કુતૂહલ અને આકર્ષણ હતું, જેમને નાનપણથી પોતાના હીરો ગણ્યા હતા એ પિકાસોનાં અસલી ચિત્રો પેરિસની આર્ટ ગેલેરીમાં જોઈને અતુલ ડોડિયા ચકિત ન થાય તો જ આશ્ચર્ય. પેરિસમાં ગાળેલા તે એક વર્ષ દરમિયાન પિકાસોને ખૂબ માણ્યો એમણે. અન્ય માસ્ટર્સનું કામ તેમજ શૈલી પણ નજીકથી નિહાળ્યાં. અતુલ ડોડિયા માટે તે એક વર્ષ આત્યંતિક અનુભૂતિઓનું વર્ષ બની રહ્યું. ક્યારેક નિર્ભેળ આનંદનો પારાવાર છલકાય તો ક્યારેક તીવ્ર ઉદાસીનો અનુભવ થાય.
 અતુલ ડોડિયા કહે છે, "પેરિસમાં યુરોપિયન માસ્ટર્સ અને મારા સમકાલીનોનું કામ જોઈને હું એક વાત સમજ્યો કે કલાકાર તરીકે તેઓ નીડર છે. ભારતના મારા સિનિયરો કરતાં આ લોકો બહુ જુદા હતા. તેઓ ખુદની નિશ્ચિત શૈલી ઊભી કરતા હતા અને પછી એને ક્રમશઃ વિકસાવતા જતા હતા."

Grace, one of Dodiya’s famous shutter paintings 
પેરિસવાસ દરમિયાન અતુલ ડોડિયા કળાની દૃષ્ટિએ ખૂબ સમૃદ્ધ બન્યા, પણ સાથે સાથે નિર્ભ્રાન્ત પણ થતા ગયા. નિર્ભ્રાન્તિ પોતાની જાત વિશેની, પોતાની દિશા વિશેની. તેમને થાય કે માસ્ટરો ઓલરેડી આટલું ઉત્તમ કામ કરી ગયા છે, હવે હું શું નવું કરવાનો? શું મહત્ત્વપૂર્ણ કહી શકાય એવું કરી શકવાનો? એમનું ચિત્રકામ લગભગ બંધ થઈ ગયું. ધુમ્મસ જેવો આ તબક્કો લગભગ ત્રણ વર્ષ સુધી ખેંચાયો. ક્રમશઃ નવેસરથી સ્પષ્ટતા આવવા માંડી.

Grace part 2;  the artwork on display when the shutter opens

"મારાં ચિત્રો વિશે બીજા ચિત્રકારો શું કહેશે, મારા દોસ્તોની પ્રતિક્રિયા કેવી આવશે વગેરે પ્રકારની સભાનતા ઓગળવા માંડી." અતુલ ડોડિયા કહે છે, "અલબત્ત, આ સૌનો પ્રતિભાવ ખૂબ મહત્ત્વનો હોય જ, પણ મને સમજાઈ ગયું હતું કે મારે ડર્યા વિના,કોઈને શું લાગશે તેના વિશે ઝાઝું વિચાર્યા વિના, મુક્ત રીતે વ્યક્ત થવાનું હોય. નવા અનુભવો, નવી અભિવ્યક્તિઓ માટે મેં મારી જાતને ખોલી નાખી. હવે મને નવા નવા વિષયો સ્પર્શવા લાગ્યા. મારાં ચિત્રોમાં 'રિશફલ્ડ રિઅલિઝમ' ઊપસવા માંડયું. અલબત્ત, મેં ફિગરેટિવ શૈલી ક્યારેય સંપૂર્ણપણે ત્યજી નહીં. એટલે મારું પેઇન્ટિંગ ક્યારેક ર્હોિડગ સ્ટાઇલનું હોય તો ક્યારેક ફિલ્મના પોસ્ટર સ્ટાઇલનું હોય. ચિત્રના વિષય અનુસાર એપ્રોચ બદલાતો રહે."
પેરિસના નિવાસ દરમિયાન એમને એ પણ સમજાયું હતું કે ચિત્રની જરૃરિયાત પ્રમાણે તેઓ રિઅલિઝમ પણ સરસ રીતે હેન્ડલ કરી શકે છે અને જો એબ્સ્ટ્રેક્શન તરફ જવું પડે તો તે પણ કરી શકે છે. ટૂંકમાં, એમણે કોઈ સીમાડામાં પુરાઈ રહેવાની જરૃર નહોતી. જુદી જુદી સ્ટાઇલ અને જોનર આ જ અભિગમમાંથી પ્રગટયાં. જે. જે. સ્કૂલ ઓફ આર્ટ્સમાં ભણતા હતા તે વર્ષોમાં વિખ્યાત પેઇન્ટર તૈયબ મહેતાએ કહેલું કે એમની પેઢીના ચિત્રકારોને અલગ અલગ ઘણું કરવાનું મન થતું, પણ તે વખતે સર્વસ્વીકૃત ખ્યાલ એવો હતો કે એ બધી ફીલિંગ્સ આર્ટ તરીકે વ્યક્ત ન થઈ શકે. અતુલ ડોડિયાએ તે જડ થઈ ગયેલી પૂર્વધારણાઓમાંથી બહાર આવીને મુક્ત વિહાર કરવાનું શરૃ કર્યું.

Cover page of Ranjit Hoskote's book 

"હું કોઈ એક જ શૈલી પકડીને કામ કરતો નથી." તેઓ કહે છે, "મારાં ચિત્રોમાં ને શૈલીમાં ઘણાં ડ્રામેટિક શિફ્ટ આવ્યા છે. મેં જે વિષય પસંદ કર્યો હોય તેને શી રીતે ન્યાય આપવો, ધારી અસર શી રીતે ઉપજાવવી, ચિત્રમાં ઇમેજ અને ટેક્સ્ટનો ચોક્કસ ફ્લો કઈ રીતે પેદા કરવો, કઈ ઇમેજીસનો સમાવેશ કરવો - આ બધી પડકારરૃપ બાબતો હોય છે."
જેમને પોતાના હીરો માન્યા હોય તે વ્યક્તિનો પ્રભાવ કલાકારનાં કામ પર પડયા વગર રહેતો નથી. તેમાં કશું ખોટું પણ નથી, પણ હા, આ પ્રભાવમાંથી ધીમે ધીમે બહાર આવી જવાનું હોય. ખુદની શૈલી, આગવી ઓળખ ઊભાં કરવાનાં હોય. અતુલ ડોડિયા તે અસરકારક રીતે કરી શક્યા.
 "પિકાસોમાંથી હું જુદી જુદી ચિત્રશૈલીઓ પ્રત્યેનું ખુલ્લાપણું શીખ્યો છું," અતુલ ડોડિયા કહે છે, "મને ખુદનેય ખબર નહોતી કે મારાં પંદર ચિત્રો પર પિકાસોની સીધી અસર યા તો સંદર્ભ છે. માઇકલ ફિટ્ઝગેરાલ્ડ નામના ક્યુરેટરે ધ્યાન દોર્યું ત્યારે મને આ વાતની ખબર પડી હતી."
સમકાલીન કલાજગત પર પિકાસોનો કેવો પ્રભાવ પડયો છે? બાર્સેલોનામાં આ મહિને એક આંતરરાષ્ટ્રીય એક્ઝિબિશનનું ઓપનિંગ થયું છે. જૂનના અંત સુધી ચાલનારા આ એક્ઝિબિશનનું નામ છે, 'પોસ્ટ-પિકાસોઃ કન્ટેમ્પરરી રિએક્શન્સ.' જેમનાં ચિત્રો પર પિકાસોની અસર ઝિલાઈ હોય એવા દુનિયાભરના ૪૨ ચિત્રકારોને પસંદ કરવામાં આવ્યા છે. આમાંથી બે ભારતીય છે - એક,જેમને ઘણી વાર 'ભારતના પિકાસો' તરીકે નવાજવામાં આવ્યા છે એ જન્નતનશીન એમ.એફ. હુસેન અને બીજા, અતુલ ડોડિયા. અતુલ ડોડિયાનાં ત્રણ ચિત્રો એક્ઝિબિશનમાં મુકાયાં છે.


જેમનાથી પ્રભાવિત થયા હોઈએ તે માસ્ટર માણસ પ્રત્યેનો આદર જિંદગીમાં ક્યારેય ઓછો થતો નથી. પ્રભાવ ઓસરી ગયા પછી પણ નહીં. અતુલ ડોડિયાની આ વાત સૌએ યાદ રાખવા જેવી છે, "લિજેન્ડ્સ પાસેથી શીખવાનું હોય, એમની પાસેથી પ્રેરણા લેવાની હોય. એમના કરતાં બહેતર બનવાની વાત જ અપ્રસ્તુત છે."
                                                            0 0 0 

Thursday, October 6, 2011

ગાંધીબાપુએ બકાને શું કહ્યું?


                                                                 ચિત્રલેખા -  અંક ૧૭ ઓક્ટોબર ૨૦૧૧

ચિત્રકાર અતુલ ડોડિયાનાં લેટેસ્ટ આર્ટ એક્ઝિબિશનમાં સાહિત્યકાર લાભશંકર ઠાકરનાં
લખાણને કમાલની કલાત્મક અભિવ્યક્તિ મળી છે.

                            Atul Dodiya                                                                                   (photograph by Vijayan Raghavan) 

                                                                                 
બીજા દિવસે બાપુ આવીને બેઠા કે મે પૂછ્યું,
 ‘બાપુ બીજાની ઊંઘ તે ઊંઘ જ હોયને?’   
‘હાસ્તો.’
‘બીજાની ઊંઘ ઊંઘ ના હોય?’
‘ઊંઘ જ હોય બકા.’
‘તો બકાની ઊંઘ બકાની ઊંઘ કરીને બકાને પૉલ્શન (એટલે કે માખણ) કેમ મારો છો?’
‘તારી ઊંઘમાં રહેવું ગમે છે બકા એટલે.’
‘એટલે પૉલ્શન મારો છો?’
‘એમ જ હશે બકા.’
‘હશે એટલે? ‘છે’-ની વાત કરોને.’
‘બકા, આમ ધમકાવ નહીં મને.’
‘તો પછી બકાને પૉલ્શન નહીં મારવાનું.’
‘પણ બકા એમાં શું બગડી ગયું તારું?’
‘ઊંઘ.’
‘સારું બકા. સોરી, લાય રબ્બર. પૉલ્શનના ડાઘા ભૂંસી નાખું.’

આ સંવાદ આકાર લે છે, મહાત્મા ગાંધી અને દસબાર વર્ષના એક ઉત્સુક કિશોર વચ્ચે. ૨૦૦૪માં પ્રતિષ્ઠિત સાહિત્યકાર લાભશંકર ઠાકર (લાઠા)નું ‘બકો છે. કલ્પો’ નામનું એક પુસ્તક પ્રકાશિત થયેલું. આ સંવાદ તે પુસ્તકનો એક અંશ છે. પુસ્તકમાં ગાંધીજી અને બકા વચ્ચે આવા ઘણા સંવાદો થાય છે. સાત વર્ષ પછી આ પુસ્તકને યાદ કરવાનું ખાસ કારણ એ છે કે ગાંધીજી, બકો અને આ સંવાદો પુસ્તકના પાનાં પરથી ગતિ કરીને હવે કેન્વાસ પર ઊભર્યા છે. આ કમાલનું સ્વરૂપાંતર કર્યું છે, ભારતના સર્વશ્રેષ્ઠ સમકાલીન ચિત્રકારોમાં અધિકારપૂર્વક સ્થાન પામતા અતુલ ડોડિયાએ. મુંબઈની ‘કેમોલ્ડ’ આર્ટગેલેરીમાં ‘બકો એક્ઝિસ્ટ્સ. ઈમેજિન’ શીર્ષક હેઠળ યોજાઈ ગયેલાં કળાપ્રદર્શનનાં ૧૨ પેઈન્ટિંગ્સમાં અતુલ ડોડિયાની ઓર એક સર્જનાત્મક છટા સુંદર રીતે ઝીલાઈ.



લાકડાના સ્ટેન્ડ પર માઉન્ટ કરવામાં આવેલાં વિશાળ કદનાં આ પેઈન્ટિંગ્સ પહેલી નજરે તો સ્કૂલના બ્લેકબોર્ડ જેવાં લાગે. અતિ વપરાશને કારણે બ્લેકબોર્ડની કાળી સપાટી ક્યાંક ક્યાંકથી ઘસાઈને જાણે ઊખડી ગઈ છે. તેના પર સફેદ ચોકથી અત્યંત સુઘડ અંગ્રજી અક્ષરોમાં બાપુબકાનું લખાણ લખવામાં આવ્યું છે. ડસ્ટરથી લૂછવાને કારણે રહી ગયેલા આછા સફેદ ડાઘ તેમજ અક્ષરોની આસપાસ ચોકના વેરાઈ ગયેલા ઝીણા કણો પણ ચોખ્ખા દેખાય છે. લખાણની આસપાસ અને નીચે જુદી જુદી ઈન્ટરેસ્ટિંગ આકૃતિઓ છે. ક્લાસરૂમનાં કાળા પાટિયાં જેવી આબાદ અસર ઊપજાવતાં બ્લેક કેનવાસ પર અતુલ ડોડિયાએ ઓઈલ, ઓઈલ સ્ટિક, વોટરકલર, એક્રેલિક અને માર્બલ ડસ્ટનો ઉપયોગ કર્યો છે.

બાવન વર્ષીય મુંબઈવાસી અતુલ ડોડિયા ચિત્રલેખાને કહે છે, ‘હું આકાર અને અક્ષરો વચ્ચે ભેદ જોતો નથી. લખાણ પણ દશ્યકળાનો જ એક ભાગ છે. હું જમણેરી છું , પણ આ પેઈન્ટિંગ્સ પરનું લખાણ તૈયાર કરવા માટે મેં ડાબો હાથ વાપર્યો હતો કે જેથી ફોન્ટ્સને સુનિશ્ચિત ઘાટ મળે. અગાઉ પણ મેં લિપિસંબંધિત, ટેક્સ્ટબેઝડ ઘણું કામ કર્યું છે. આ કૃતિઓને જોઈને કલારસિકને સવાલ થવો જોઈએ કે મારે આને જોવાનું કે વાંચવાનું? જોનાર મૂંઝાય, સમજવાની મથામણ કરે, એને અવઢવ થાય, હું જે કહેવા માગું છું તે યથાતથ સાંભળી લેવાને બદલે પોતાની કથા ઘડવાના પ્રયત્ન કરે... આ બધામાં મને બહુ રસ પડે છે.’

અતુલ ડોડિયાને ગુજરાતી સાહિત્ય પ્રત્યેનો લગાવ જાણીતો છે. ૨૦૦૩માં તેમણે ‘એન્ટલર એન્થોલોજી’ શીર્ષક હેઠળ આઠ આધુનિક ગુજરાતી કવિઓની રચનાઓનો વિનિયોગ કરીને વિશાળ કદનાં એક ડઝન ચિત્રો તૈયાર કર્યાં હતાં. લાભશંકર ઠાકર લિખિત ‘બકો છે. કલ્પો’માં તેમના અતિ પ્રિય પાત્ર મહાત્મા ગાંધીજી જુદા જ અંદાજમાં પેશ થાય છે. ભૂતકાળમાં અતુલ ડોડિયાની કૃતિઓમાં ગાંધીજી અનેક વખત પ્રગટ થઈ ચૂક્યા છે. અલબત્ત, આ વખતનાં ચિત્રો ફક્ત ગાંધી વિશેનાં નથી એમ કહીને અતુલ ડોડિયા ઉમેરે છે, ‘લાઠાનાં આ પુસ્તકમાં ગાંધીજી અને બકો બે દોસ્તારોની જેમ સહજપણે વાતો કરે છે. ગાંધીજીની વાતચીતમાં સ્વાતંત્ર્યસંગ્રામ, અહિંસા કે સત્યાગ્રહ આવતાં નથી. આ એબ્સ્ટ્રેક્ટ વાતો છે. પુસ્તકમાં વચ્ચે વચ્ચે આવતા આ કાલ્પનિક ગદ્યખંડોમાં બકાનું વિસ્મય અને ઉત્સુકતા સરસ ઝીલાયાં છે. પુસ્તક વાંચ્યું ત્યારે બકાની માનસિકતા સાથે હું મારી ખુદની કિશોરાવસ્થાને રીલેટ કરી શક્યો. દસબાર વર્ષની ઉંમરે મારા મનમાં ખુદના ગમાઅણગમા વિશે તેમજ કળાપ્રેમ વિશે સ્પષ્ટતાઓ થવાની શરૂઆત થઈ ચૂકી હતી. મારે આ વિષયને લઈને કેનવાસ પર કશુંક ઊતારવું હતું. આખરે આ ટેક્સ્ટ-બેઝડ ફૉર્મ વિશે માનસિક સ્પષ્ટતા થતાં પેઈન્ટિંગ્સ બનાવવાનું શરૂ કર્યું.’


બાપુ બકાના સપનાંમાં નહીં, પણ ઊંઘમાં મળે છે. સપનું બહુરંગી હોઈ શકે, પણ ઊંઘનો શેડ ડાર્ક છે, ઘેરો કાળો છે. તેથી કેનવાસનું  બેકગ્રાઉન્ડ સ્કૂલનાં બ્લેકબોર્ડ જેવું કાળું છે. વળી, કાળા પશ્ચાદભૂને બેઝ યા તો ધરી નથી. ગુરુત્વાકર્ષણવિહીન સ્થિતિમાં વસ્તુઓ તરતી હોય તેમ અહીં જુદાં જુદાં એલીમેન્ટ્સ અને આકૃતિઓ ફ્લોટ કરી રહ્યાં છે. આ કૃતિઓ બહોળા વર્ગ સુધી પહોંચી શકે તે માટે લાઠાની ટેક્સ્ટનું અંગ્રજીમાં ભાષાંતર કરવામાં આવ્યું. આ કામ કર્યું નાટ્યકારલેખક નૌશિલ મહેતા તેમજ કવયિત્રી અરુંધતી સુબ્રમણ્યમે. અલબત્ત, આ ચિત્રોને લાઠાનાં લખાણનું ચિત્રસ્વરૂપ ગણીને મર્યાદિત દષ્ટિકોણથી જોવાની ભૂલ કરવા જેવી નથી. લેખકના લખાણને આત્મસાત કરીને, તેને પોતાના ચિત્તનો એક હિસ્સો બનાવીને ચિત્રકારે પોતાના મિજાજ પ્રમાણે કરેલું આ આત્મકથનાત્મક અર્થઘટન છે.

Installation- Meditation (with open eyes)


 આ એક્ઝિબિશનમાં માત્ર ચિત્રો જ નહોતાં, પણ ‘મેડિટેશન (વિથ ઓપન આઈઝ)’ નામનું બહુ જ રસપ્રદ આર્ટ ઈન્સ્ટોલેશન પણ હતું. ઈન્સ્ટોલેશન એટલે, સાદી ભાષામાં, મ્યુઝિયમના ઓરડામાં કે ખુલ્લામાં અલગ અલગ ચીજવસ્તુઓેની કરવામાં આવતી કલાત્મક ગોઠવણી. અતુલ ડોડિયાએ અહીં નવ જેટલાં લાકડાંના કબાટ લગોલગ ગોઠવ્યા હતા. તેમાં હાથેથી અનાજ દળવાની ઘંટીના તોતિંગ પડ, ગરમ પાણીથી શેક કરવાની કોથળી, વિષ્ણુના દશાવતારમાંથી સાતેક જેટલા અવતારની મૂર્તિઓ, એક પર એક ગોઠવાયેલા ડસ્ટરનો સ્તંભ, જૂના જમાનાની ઘડિયાળ જેવી કંઈકેટલીય વસ્તુઓ છે. તે સિવાય સત્યજિત રાય, ફ્રેન્ચ ફિલ્મમેકર ફ્રાન્સવા ત્રુફો, અમેરિકન પેઈન્ટર જાસ્પર જોન્સ આદિની તસવીરો તેમજ ‘આનંદ’ ફિલ્મનો સ્ટિલ ફોટોગ્રાફ સુદ્ધાં છે. આ બધાની સૂઝપૂર્વક થયેલી ગોઠવણી વિશિષ્ટ અસર ઊપજાવે છે.

 અતુલ ડોડિયા સમાપન કરે છે, ‘આ મારાં બાળપણનાં પ્રતીકો છે અને હું જેમનાથી પ્રભાવિત થયો છ  એવા મારા હીરોઝ છે. આર્ટ એક્ઝિબિશનનો આ મહત્ત્વનો હિસ્સો છે. જો બકો ન હોત તો આ ઈન્સ્ટોલેશન પણ ન હોત.’

 અતુલ ડોડિયાનાં અગાઉનાં પ્રદર્શનોની માફક આ એક્ઝિબિશન પણ કળાજગતમાં સ્પંદનો પેદા કરશે એ તો નક્કી.

0 0 0