Showing posts with label Aisha Chaudhary. Show all posts
Showing posts with label Aisha Chaudhary. Show all posts

Friday, September 27, 2019

કામ અશક્ય લાગે છે? તો તો કરવું જ પડશે!


દિવ્ય ભાસ્કર – કળશ પૂર્તિ – 25 Sept 2019 બુધવાર
ટેક ઓફ 
હું ડિપ્રેસ્ડ કે વ્યથિત હોઉં એનો મતલબ એ થયો કે મારી ભીતર કશુંક સમારકામ ચાલી રહ્યું છે.

મારું સંતાન એક વર્ષ કરતાં વધારે નહીં જીવે.
ડૉક્ટર તરફથી આવું વાક્ય સાંભળવું પડે ત્યારે મા-બાપની છાતી ફાટી પડે. દિલ્હીવાસી અદિતી ચૌધરી અને નરેન ચૌધરીએ આ શબ્દો સાંભળ્યા ત્યારે તેઓ પણ હચમચી ગયાં હતાં. પહેલાં ખોળાની દીકરીને તેઓ ખોઈ ચુક્યાં હતાં. આ બીજી દીકરી આયેશા હતી અને વિધાતા એની હથેળીમાં પણ લાંબી આયુષ્યરેખા દોરવાનું ભુલી ગયા હતા. આયેશાને સિવીયર ઇન્યુનો-ડેફિસીયન્સી નામનો ડિસઑર્ડર હતો. આ બીમારીનો શિકાર બનેલાં બાળકની રોગપ્રતિકારક શક્તિ અત્યંત ક્ષીણ હોય. સાવ સાદી બીમારીમાં પણ એમનું મોત થઈ શકે. જો આયેશાનું બોનમેરો ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવે તો જ પરિસ્થિતિમાં થોડોઘણો ફર્ક પડી શકે એમ હતો. આ ટ્રીટમેન્ટ માટે ખર્ચ દોઢ લાખ પાઉન્ડ (આજના હિસાબે એક કરોડ 33 લાખ રૂપિયા કરતાંય વધારે) ખર્ચ કરવો પડે એમ હતો. ચૌધરી દંપતીના બેન્કખાતામાં તે વખતે બધું મળીને પોણાબે લાખ રૂપિયા માંડ હતાં. છતાંય પતિ-પત્ની દીકરીને લંડન લઈ ગયાં. ત્યાં રેડિયો પર સ્થાનિક લોકોને યથાશક્તિ આર્થિક મદદ કરવા અપીલ કરી. જાણે ચમત્કાર થયો. અજાણ્યા દેશના અજાણ્યા લોકોએ જોતજોતામાં એમની ઝોળી છલકાવી નાખી. મેચિંગ બોનમેરો ન મળ્યો એટલે પિતાનો મિસમેચ્ડ બોનમેરો દીકરીનાં શરીરમાં ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવ્યો. આયેશા જીવી ગઈ.
દુર્ભાગ્યને હજુ સંતોષ નહોતો થયો. આયેશા તેર વર્ષની થઈ ત્યારે એને પલ્મોનરી ફાઇબ્રોસિસ નામની બીજી ગંભીર બીમારી લાગુ પડી. આ રોગમાં માણસના ફેંફસાં કઠણ થવા માંડે, એની કાર્યશક્તિ તદ્દન ઘટી જાય. આયેશા વ્હીલચેર સાથે બંધાઈ ગઈ, પણ ગજબ હતી આ છોકરી. એણે પોતાનો જીવનરસ સૂકાવા ન દીધો. એ ઝઝૂમતી રહી. પંદરમા વર્ષે, કે જ્યારે એનાથી પૂરાં બે વાક્ય પણ બોલી શકાતાં નહોતાં, ત્યારે ઇન્ક નામના પ્લેટફૉર્મ પર એણે જાહેરમાં લાંબું પ્રવચન આપ્યું. પછી તો વિશ્વવિખ્યાત ટેડ ટોક્સમાં પણ એને આમંત્રણ આપવામાં આવ્યું. ક્રમશઃ મોટિવેશનલ સ્પીકર તરીકે એની શાખ બંધાઈ.
એક દિવસ આયેશાની મમ્મીએ એને ડાયરી આપીને કહ્યુઃ હ્યુ પ્રેધર નામના અમેરિકન લેખકે નોટ્સ ટુ માયસેલ્ફ નામનું અદભુત પુસ્તક લખ્યું છે એમ તું પણ તારા વિચારો આ ડાયરીમાં નોંધતી જા. આયેશાએ લખવા માંડ્યું. આમેય એનો એટિટયુડ હંમેશાં આ જ રહ્યો હતોઃ શું આ કામ મને અશક્ય લાગે છે? તો તો એ કરવું જ પડશે! આયેશાના લખાણને પુસ્તકનું સ્વરૂપ આપવાનો નિર્ણય લેવામાં આવ્યો. 2015માં અઢાર વર્ષની આયેશાના હાથમાં તાજું છપાઈને આવેલું એનું માય લિટલ એપિફનીઝ (મારાં નાનકડાં સત્યો) પુસ્તક મુકવામાં આવ્યું ત્યારે એની આંખો કામ કરતી બંધ થઈ ગઈ હતી. એ ખુદનાં પુસ્તક પર માત્ર એક વાર હાથ ફેરવી શકી. થોડા કલાકો પછી એ મૃત્યુ પામી.
    
ભયાનક શારીરિક-માનસિક પીડા હોના છતાં આયેશા પોતાનું અઢાર વર્ષનું જીવન એક ઉત્સવની જેમ જીવી ગઈ. એના જીવન અને મૃત્યુને કેન્દ્રમાં રાખીને ધ સ્કાય ઇઝ પિન્ક નામની હિન્દી ફિલ્મ પણ બની છે, જે આવતા મહિને રિલીઝ થશે. આયેશાનાં નાનકડાં અંગ્રેજી પુસ્તકમાં સળંગ લખાણ નથી, પણ છૂટીછવાઈ વિચારકણિકાઓ છે. પુસ્તકના નોંધાયેલાં કેટલાક દમદાર વિચારબિંદુઓ અહીં પ્રસ્તુત છે. ઓવર ટુ આયેશા ચૌધરી...   
આપણા સૌમાં એક વસ્તુ નિશ્ચિતપણે કોમન છે અને એ છે, મૃત્યુ.
- ડેથ (ડી-ઈ-એ-ટી-એચ) એટલે ડ્રોપ એવરીથિંગ એન્ડ ટ્રસ્ટ હિમ (હિમ એટલે ઈશ્વર).
- મારી ગંભીર બીમારીએ મને નાની નાની વસ્તુઓની કદર કરતાં શીખવી દીધું છે. મારી આંખો સાબૂત છે કે જેના થકી હું લીલાં વૃક્ષો જોઈ શકું છું. મારું નાક સાબૂત છે કે જેના લીધે હું વરસાદ અટકી ગયા પછી હવામાં અનુભવાતો ભેજ સૂંઘી શકું છું. મારા કાન સાબૂત છે કે જેના દ્વારા હું મારી માનું હાસ્ય સાંભળી શકું છું. મારી જીભ અને હોઠ સાબૂત છે કે જેના લીધે હું મારા પ્રિયજનો સાથે વાત કરી શકું છું. મારા હાથ સાબૂત છે કે જેના વડે હું ઇચ્છા થાય ત્યારે ચિત્રો બનાવી શકું છું. મારા પગ સાબૂત છે કે જેના કારણે હું હજુ ધરતી પર ચાલી શકું છું. મારે સતત યાદ રાખવું જોઈએ કે, આઇ એમ બ્લેસ્ડ. મારા પર ઈશ્વરના આર્શીવાદ ઉતર્યા છે.  
- ચાલો જીવીએ અને પ્રેમ કરીએ... કોઈ અફસોસ વિના.
- બીજા એવા કેટલાય લોકો હશે જે મારા કરતાંય ખરાબ હાલતમાંથી પસાર થઈ રહ્યા હશે, પણ આપણે આપણી જાતમાં જ એટલા ગૂંચવાયેલા રહીએ છીએ. તેના લીધે આપણને ફ્કત ખુદની જ કઠણાઈઓ દેખાય છે ને કાયમ દુખી દુખી જ રહીએ છીએ.
- આટલી બધી લાગણીઓની જરૂર હોય છે ખરી?
- હું ડિપ્રેસ્ડ કે વ્યથિત હોઉં એનો મતલબ એ થયો કે મારી ભીતર કશુંક સમારકામ ચાલી રહ્યું છે.
બીજા લોકો બચી જાય તે માટે આપણે રક્તદાન કરીએ છીએ. મને એ સમજાતું નથી કે જો બીજાઓનો જીવ બચાવવા કે એમનું દરદ ઓછું કરવા આપણે ખુદનું લોહી સુધ્ધાં આપી શકતા હોઈએ તો દુનિયામાં આટલી બધી નફરત શા માટે છે!
- મને લાગે છે કે રાત્રે પથારીમાં પડીને સૂવા માટે આંખો બંધ કરીએ એ ક્ષણે આપણે સૌથી સાચુકલા, સૌથી જેન્યુઇન હોઈએ છીએ.  
- કહે છે કે બીજાઓને પ્રેમ કરતાં પહેલાં પોતાની જાતને પ્રેમ કરો. સાથે સાથે એવું ય કહેવાય છે કે સ્વાર્થી ન બનો. તો કરવાનું શું!



- આપણે જેને ચાહતા હોઈએ એને ક્યારેક એટલાં ઊંચા આસન પર શા માટે બેસાડી દઈએ છીએ કે એમના સુધી પહોંચી જ ન શકાય!
- ઉદાસીનો ઉપાય છે, પ્રિયજનો સાથેનું સંધાન. જો આ સંધાન નહીં રહે તો સમજવાનું કે જમે જિંદગીની બાજી હારી રહ્યા છો.
- જ્યારે તમારાં સુખની લગામ બીજી કોઈ વ્યક્તિના હાથમાં આવી જાય ત્યારે સમજી લો કે તમારી વાટ લાગી ગઈ છે. સતર્ક થઈ જાઓ, તમારી જાતને સંભાળી લો.
- ક્યારેક મને કોઈકની સાથે વાતચીત કરવાની ઇચ્છા એટલા માટે થાય છે મારે સામેની વ્યક્તિનો નહીં, પણ મારો પોતાનો અવાજ સાંભળવો હોય છે.
- જો  તમને લાગતું હોય કે બધું ઠપ્પ થઈ ગયું છે તો એનો એક જ ઉપાય છે – સમય. થોડો સમય જવા દો, બધું ઠીક થવા માંડશે.
- નીચે ગયા વગર તમે ઉપર જઈ શકાતું નથી.
- મારે એટલાં પારદર્શક પણ નથી બનવું કે જેથી કે તમે મારાં મનમાં ચાલતા વિચારો વાંચી લો. સાથે સાથે મારે એવા પણ બનવું નથી કે જેથી હું કૃત્રિમ દેખાઉં. આ બન્નેની વચ્ચેની કોઈ સ્થિતિ છે ખરી?
- ક્યારેક મને કોઈના પ્રત્યે નેગેટિવિ ફીલિંગ જાગે તો એને માફ કરી દેવાને બદલે કે જતું કરવાને બદલે હું એ નકારાત્મક લાગણીને વળગી રહેવામાં વધારે આનંદ અનુભવું છું. નકારાત્મક લાગણીને વળગી રહેવાથી જાણે એક વિચિત્ર પ્રકારના પાવરનો અનુભવ થાય છે, જાણે સામેની વ્યક્તિ કરતાં આપણો હાથ ઊંચો હોય એવું આપણને લાગે છે. આ એક પ્રકારની જાળ છે. એમાં સપડાઈ જવું કે નહીં એ આપણે નક્કી કરવાનું છે.
- ઓનેસ્ટી ઇઝ ધ બેસ્ટ પૉલિસી એવું કહેવાય છે, પણ આ કહેવત માત્ર એ લોકો પૂરતી સાચી છે જેમનામાં તમારી પ્રામાણિકતા સહન કરી શકવાની તાકાત હોય,
- મારા વિચારો મારા બેસ્ટ ફ્રેન્ડ્સ બની ગયા છે. મને હવે ખરેખર એમની સાથે બનતું નથી!
- જો તમે ખુદની જિંદગી બદલી શકો એમ ન હો તો પણ બીજાઓની જિંદગી તો બદલી જ શકો છો.
- તમને બધી જ હકીકતો અને વિગતોની જાણ હોય એને કારણે પરિસ્થિતિ કંઈ આસાન બની જતી નથી.
- આરોહણ કરવા માટે ઊંચામાં ઊંચું શિખર પસંદ કરો. ખિલખિલાટ હસવા માટે, પ્રકાશિત થઈને લોકો પર છવાઈ જવા માટે ઉદાસમાં ઉદાસ દિવસ પસંદ કરો.  
- કેટલાક શબ્દો સોના કરતાંય વધારે મૂલ્યવાન છે. એ બોલવામાં સંકોચ ન અનુભવો. કહો કે આઇ એમ સોરી. કહો કે હું તને માફ કરું છું. કહો કે થેન્ક યુ. કહો કે તમારું સ્વાગત છે. કહો કે આઇ લવ યુ. કહો કે આઇ લવ યુ ટુ.
...લોંગ લિવ આયેશા!
0 0 0  

Thursday, September 19, 2019

હંસતે હંસત કટ જાએ રસ્તે


દિવ્ય ભાસ્કર – રસરંગ પૂર્તિ – 15  સપ્ટેમ્બર 2019, રવિવાર
મલ્ટિપ્લેક્સ
મને લાગ્યું કે જાણે મારો ઈશાન ઉપર બેઠો બેઠો મને આર્શીવાદ આપી રહ્યો છે. મારા દીકરાના મૃત્યુની પીડાને મેં મારી તાકાત બનાવી.  


યા શુક્રવારે વિગતવાર નોંધ લેવાનું મન થાય એવી ફિલ્મ આવી - ધ સ્કાય ઇઝ પિન્ક. અહીં ફિલ્મ આવી એટલે ટોરોન્ટો ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલમાં તેનું સ્ક્રીનિંગ થયું, એમ. આપણે ત્યાં વિધિવત આ ફિલ્મ 11 ઑક્ટોબરે રિલીઝ થવાની છે. ટાઇટલ અંગ્રેજી છે, પણ ફિલ્મ છે હિન્દીમાં.

ફિલ્મ જોયા વગર એના વિશે લખવું હંમેશાં જોખમી હોય છે, પણ જો ફિલ્મ સાથે સંકળાયેલી વ્યક્તિઓ ભૂતકાળમાં તગડું કામ કરી ચુકી હોય અને એમના બાયોડેટામાં દમદાર ફિલ્મો બોલતી હોય તો આ જોખમ ઉઠાવવા જેવું ખરું. ધ સ્કાય ઇઝ પિન્કમાં ફરહાન અખ્તર, પ્રિયંકા ચોપડા, દંગલ અને સિક્રેટ સુપરસ્ટાર ફેમ ઝાયરા વસિમ અને નવોદિત રોહિત સરાફ મુખ્ય કલાકારો છે. શોનાલી બોઝે આ ફિલ્મ લખી અને ડિરેક્ટ કરી છે. જુહી ચતુર્વેદી સહલેખિકા છે. શોનાલી બોઝના નામે રાઇટર-ડિરેક્ટર તરીકે બીજી બે ફિલ્મો બોલે છે - અમુ (2005) અને માર્ગારિટા વિથ અ સ્ટ્રૉ (2015), આ સિવાય એમણે ચિત્તાગોંગ (2012) નામની ફિલ્મ ફક્ત લખી છે. અમુને નેશનલ અવૉર્ડ મળી ચુક્યો છે. જો તમે માર્ગારિટા વિથ અ સ્ટ્રૉ જેવી અત્યંત સંવેદનશીલ અને ખાસ્સી બોલ્ડ ફિલ્મ જોઈ હશે તો સેરિબ્રલ પૉલ્સીનો ભોગ બનેલી વ્હીલચેરબદ્ધ યુવતીના રોલમાં કલ્કિ કોચલીનનો અભિનય ભુલી શક્યા નહીં હો.

માર્ગારિટા વિથ અ સ્ટ્રૉ માટે શોનાલીની કઝિન સિસ્ટર માલિની પ્રેરણારૂપ બની હતી. માલિની સેરિબ્રલ પૉલ્સીનો શિકાર છે. ધ સ્કાય ઇઝ પિંકમાં પણ એક બિમારીની વાત છે અને તે પણ આયેશા ચૌધરી નામની અસલી વ્યક્તિના જીવન પર આધારિત છે. દિલ્હીવાસી આયેશા (જન્મઃ 1996, મૃત્યુઃ 2015) છ મહિનાની થઈ ત્યારે ખબર પડી કે એને સિવીયર ઇન્યુનો-ડેફિસીયન્સી (એસસીઆઇડી) નામનો ડિસઑર્ડર છે. આ બીમારીનો શિકાર બનેલાં બાળકોની રોગપ્રતિકારક શક્તિ અત્યંત ક્ષીણ હોય. શરદી જેવી સાદી બીમારીમાં પણ એમનું મોત થઈ શકે. ઇંગ્લેન્ડમાં આયેશાનું બોનમેરો ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવ્યું. એને કારણે એ જીવી તો ગઈ, પણ હંમેશ માટે સાજી સારી ન થઈ. 2010માં એને પલ્મોનરી ફાઇબ્રોસિસ નામની બીજી બીમારી લાગુ પડી. એ રોગના પેશન્ટનાં ફેંફસા વ્યવસ્થિત કામ ન કરી શકે. માણસ ચાર પગથિયાં ચડે તો પણ હાંફી જાય. મજાની વાત એ હતી કે આટઆટલી તકલીફો હોવા છતાં આયેશાનો જિંદગી જીવવાનો જુસ્સો ઢીલો પડતો ન હતો. પંદર વર્ષની ઉંમરે એણે ઇન્ક નામના પ્રતિષ્ઠિત પ્લેટફૉર્મ પર પહેલી વાર મોટિવેશનલ સ્પીચ આપી. એ સતત હસતી રહી, લડતી રહી, જુદી જુદી સભાઓમાં લોકોને પાનો ચડે જાય એવાં પ્રેરણાદાયી વકતવ્યો આપતી રહી. એણે ખુદના સંઘર્ષોને વર્ણવતું માય લિટલ એપિફનીઝ (એટલે કે મારાં નાનાકડાં સત્યો અથવા મારી નાનકડી આત્માનુભૂતિઓ) નામનું પુસ્તક પણ લખ્યું. દુર્ભાગ્યે, પુસ્તક છપાઈને હાથમાં આવે એની થોડી જ કલાકો પહેલાં જ આયેશાનું મૃત્યુ થયું.

Shonali Bose

શોનાલી બોઝને આયેશાની કથા સ્પર્શી જવાનું એક મજબૂત કારણ હતું. એમણે સ્વયં મૃત્યુને ખૂબ નજીકથી નિહાળ્યું છે. પોતાના સોળ વર્ષના સગા દીકરા ઈશાનનું મૃત્યુ. એ ઇલેક્ટ્રિક રેઝરથી શેવિંગ કરી રહ્યો હતો ત્યારે વીજળીનો જબરદસ્ત કરંટ લાગ્યો ને એ મૃત્યુ પામ્યો. શોનાલી એ અરસામાં માર્ગારિટા વિથ અ સ્ટ્રૉ લખવાનું વિચારી રહ્યાં હતાં. એક વિડીયો ઇન્ટરવ્યુમાં તેઓ કહે છે, મને ઈશાનના મૃત્યુના આઘાતમાંથી બહાર આવતાં નવ મહિના લાગ્યા. ઈશાનનો જન્મદિવસ નજીક આવી રહ્યો હતો. મને ડર હતો કે આ દિવસે મારી શી હાલત થશે, પણ મેં નક્કી કર્યું હતું કે હું રડીશ નહીં. મારા ઈશાનનો જન્મ થયો એ તો અત્યંત શુભ દિવસ હતો ને હું એના બર્થડે પર ખુશ રહીશ. એવું જ થયું. હું ધરાર મોઢું હસતી રાખતી હતી કે પરાણે ખુશ દેખાવાનો પ્રયત્ન કરી રહી હતી એમ નહીં, પણ એ દિવસે સવારથી જ મારી અંદર સહજપણે આનંદના ઝરણાં ફૂટી રહ્યાં હતાં. જાણે કે મારો ઈશાન ઉપર બેઠો બેઠો મને આર્શીવાદ આપી રહ્યો હતો. મારા દીકરાના મૃત્યુની પીડાને મેં મારી તાકાત બનાવી. મેં લખવાનું શરૂ કર્યું. ત્રીસ જ દિવસમાં મેં માર્ગારિટા વિથ અ સ્ટ્રૉની સ્ક્રિપ્ટ લખી નાખી.

ધ સ્કાય ઇઝ પિન્કના રિસર્ચ માટે શોનાલી બોઝ પહેલી વાર આયેશાની મમ્મીને મળ્યાં ત્યારે ઘણી બધી વાતો થઈ. આયેશાને એક ભાઈ છે. એનું નામ છે, ઈશાન. આ કેવો અજબ યોગાનુયોગ. મને એવું જ લાગ્યું કે જાણે મારો દીકરો પણ પણ ઇચ્છે છે કે આ ફિલ્મ બને, શોનાલી કહે છે.

ગયા વર્ષે ઓગસ્ટમાં મુંબઈમાં ફિલ્મનું શૂટિંગ શરૂ થયું. લગભગ આઠ મહિના સુધી ટુકડાઓમાં કામ ચાલતું રહ્યું. શૂટિંગ દરમિયાન એક દિવસ અજબ ઘટના બની. એક અસલી હોસ્પિટલમાં અમુક દશ્યો ફિલ્માવાનાં હતાં. હોસ્પિટલમાં ડિસઇન્ફેક્ટન્ટની ચોક્કસ પ્રકારની વાસ આવ્યા કરતી હોય છે. ગંધ સાથે સ્મૃતિઓ પણ સંકળાયેલી હોય છે. હોસ્પિટલનો માહોલ અને પેલી લાક્ષાણિક ગંધને કારણે શોનાલી બોઝની ભીતર દીકરાનું કોઈક એવું સ્મરણ ટ્રિગર થઈ ગયું કે તેઓ ચાલુ શૂટિંગે, સો-સવાસો લોકોના યુનિટની વચ્ચે એકાએક હૈયાફાટ રડી પડ્યાં. શોનાલી કહે છે, હું દોડીને કોઈ ખૂણામાં કે બાથરૂમમાં ન જતી રહી, હું મારી ચેર પર જ બેઠી રહી ને ખૂબ રડી. પછી હું મારી ટીમના એકેએક સભ્યને ભેટી. સૌને સમજાવ્યું કે મારી અંદર શું ચાલતું હતું. મેં એમને એમ પણ કહ્યું કે શૂટિંગની પ્રોસેસ દરમિયાન મને આવો ઊભરો ફરી પાછો આવે ને હું ફરીથી આ જ રીતે રડી પડું એવુંય બને, બટ ઇટ્સ ઓકે. આવું થાય ત્યારે મારે કે તમારે ઑકવર્ડ ફીલ કરવાની બિલકુલ જરૂર નથી. આ પ્રસંગ પછી આખા યુનિટ સાથે મારો સંબંધ વધારે ઘનિષ્ઠ બની ગયો.     



ફિલ્મમાં પ્રિયંકા ચોપડા અને ફરહાન અખ્તરે આયેશાનાં મમ્મી- પપ્પાનો રોલ કર્યો છે. સહેજે સવાલ થાય કે જો આખી ફિલ્મ આયેશા (એટલે ઝાયરા વસિમ)ની આસપાસ ઘુમરાતી હોય તો પ્રિયંકા અને ફરહાન જેવાં એ-ગ્રેડ એક્ટર્સ શા માટે તેમાં કામ કરવા તૈયાર થાય? આનો જવાબ ફિલ્મની સ્ક્રિપ્ટમાં છે. ફિલ્મમાં પ્રિયંકા અને ફરહાનનાં 25 વર્ષના સંબંધને મૃત્યુની ધાર પર ઊભેલી દીકરીના દષ્ટિકોણથી જોવામાં આવ્યો છે. આ રોતલ સ્ક્રિપ્ટ નથી, બલ્કે એમાં જીવનને ઉત્સવને જેમ જીવવાની વાત થઈ છે. 

ફિલ્મ ખરેખર પ્રોમિસિંગ છે, નહીં? 
       
0 0 0