Wednesday, March 28, 2012

એક અમેરિકન સ્વામીની સ્પિરિચ્યુઅલ થ્રિલર


                                                                         ચિત્રલેખા  અંક તા. ૨ એપ્રિલ ૨૦૧૨ 


કોલમઃ વાંચવા જેવું 




                                                                               
લ્પના કરો. અમેરિકાના શિકાગો શહેરનો એક છોકરો છે.  રિચાર્ડ સ્લેવિન એનું નામ. સુખી યહૂદી પરિવારનું એ ફરજંદ છે. ઉંમર હશે માંડ ઓગણીસ વર્ષ. એક દિવસ ડાઈનિંગ ટેબલ પર ડિનર કરતાં કરતાં એ શાંતિથી ઘોષણા કરે છેઃ ‘ત્રણ દિવસ પછી હું મારા ફ્રેન્ડ સાથે યુરોપ જઈ રહ્યો છ . ફરવા. સપ્ટેમ્બરમાં કોલેજ ખૂલે એ પહેલાં પાછા આવી જઈશું. મારી ચિંતા ના કરતા.’

છોકરો પહેલેથી જ જરા અલગ સ્વભાવનો. નાનો હતો ત્યારે ધરાર નીચે પલાંઠી વાળીને એકલો જમતો. નવાંનક્કોર કપડાં જૂનાં ન દેખાય ત્યાં સુધી એની માએ વારંવાર ઘસીને ધોવા પડતાં. નવાં જૂતાં પણ પથ્થરથી ઘસી ઘસીને જૂનાં કરી નાખે પછી જ પહેરે. કૂમળી વયથી ઊંડી આધ્યાત્મિક સંવેદન અનુભવતો આ છોકરો કંઈક ગજબની બેચેની અનુભવી રહ્યો છે. એ જાણે કે કશુંક શોધી રહ્યો છે. કદાચ ખુદની સાચી ઓળખ, કદાચ પોતાના જીવનનો સાચો ઉદ્દેશ... પૂરેપૂરી સ્પષ્ટતા આ ઉંમરે તો કેવી રીતે હોય?

ખેર, એ હિપ્પી બનીને હિચહાઈકિંગ કરતો કરતો એટલે કે વાહનોમાં લિફ્ટ માગી માગીને લંડનથી પ્રવાસ આરંભી દે છે. ઈટલી, સ્વિત્ઝરલેન્ડ, ગ્રીસ... એક સાંજે ભૂમધ્ય સમુદ્રના કિનારે, જાણે અંતઃ પ્રેરણા થઈ રહી હોય તેમ, તેના હૃદયમાંથી મધુર આદેશ સંભળાય છેઃ ‘ભારત જા!’ રિચાર્ડ વિચારમાં પડી જાય છે. ભારત શા માટે? આ દેશ કેટલો દૂર છે એની એને કશી ગતાગમ નથી. સ્કૂલમાં ભણ્યો હતો એટલે માત્ર એટલી ખબર છે કે ભારત પૂર્વ દિશામાં છે, બહુ ગરીબ દેશ છે અને ત્યાં ખૂબ બધા મદારીઓ રહે છે! બસ, આટલું જ. નથી એની પાસે નક્શો કે નથી પૈસા, પણ તોય એ ભારત તરફ નીકળી પડે છે. એકલો, પગપાળા!

...અને પછી શરૂ થાય છે શ્વાસ અધ્ધર કરી દે એવી એની આધ્યાત્મિક તલાશ. એક પ્રવાસી તરીકે નહીં, પણ સત્યના શોધક તરીકે આદરેલી યાત્રામાં શું શું બને છે? એને પોતાના પ્રશ્નોના ઉત્તર મળે છે? એની શોધનો તાર્કિક અંત આવે છે? આ સવાલોનો રસપ્રદ જવાબ એટલે ‘પેલે પારનો પ્રવાસ’ નામનું આ આત્મકથનાત્મક પુસ્તક.



રિચાર્ડ ગ્રીસથી તુર્કીમાં પ્રવેશ કરે છે. તુર્કીમાં દાવાનળની જેમ કોલેરા ભડકી રહ્યો છે. એમાંથી જીવતો પસાર થઈને એ ઈરાન પહોંચે છે. ઈરાનથી અફઘાનિસ્તાન અને ત્યાંથી ખૈબર ઘાટ થઈને પાકિસ્તાન. એ દિવસોમાં એટલે કે ૧૯૭૦ના દાયકામાં હિપ્પી કલ્ચરમાં માનતા અલગારી જીવો અત્યંત ઓછા ખર્ચે ભયંકર હાડમારીઓ વેઠીને વિશ્વપ્રવાસો કરતા. એમાંના ઘણાખરા સાહસવૃત્તિથી પ્રેરાઈને આમ કરતા તો કેટલાક આધ્યાત્મિક ઝુકાવને લીધે. રિચાર્ડ ભારત માટે તીવ્ર તલસાટ અનુભવી રહ્યો હતો. હુસૈનીવાલા નામના સરહદી શહેરની ચોકીમાં એક ઉદ્ધત મહિલા અધિકારીએ કહી દીધુંઃ ભારતમાં પ્રવેશ કરવા માટે તારી પાસે ઓછામાં ઓછા ૨૦૦ ડોલર હોવા જોઈએ. ક્યાં છે તારા પૈસા? તને પ્રવેશ નહીં મળે. ભારતમાં શું ભીખારીઓની કમી છે?

ખેર, ભારતની ધરતી પર આખરે રિચાર્ડે પગ મૂક્યા ખરા. પહેલાં જ દિવસે કોઈ એને ભાંગ પીવડાવી દે છે અને તીખા તમતમતા લાલ મરચાને એ મીઠાઈ સમજીને મોંમાં મૂકી દે છે! ભારત આવ્યા પછી એના જીવનમાં જે નાટ્યાત્મક ઘટનાઓ બનવાની છે એનું આ તો નાનકડું ટ્રેલર માત્ર છે! ખેર, એનું સદનસીબ જુઆ. દિલ્હી આવતાવેંત રિચાર્ડની નજર ‘વિશ્વ યોગ સંમેલન’ની જાહેરખબર પર જાય છે. ચાર દિવસ દરમિયાન સેંકડો ગુરુ, સાધુ, લામા અને પંડિત એને એક જ સ્થળે મળી જાય છે. કશાક દિવ્ય ઉઘાડની જાણે કે આ શરૂઆત છે. રિચાર્ડનું ભારતભ્રમણ શરૂ થાય છે. લેખક કહે છેઃ

‘ક્યારેક ગમગીન બનાવે તો ક્યારેક ઉલ્લાસિત કરી મૂકે એવા અનુભવોથી મારો રસ્તો સભર હતો. દરેક અનુભવ મારા માટે એક એવા વિશ્વની બારી ખોલી નાખતો, જ્યાંથી મારા જીવનને આગળ વધવા અમુક નવી દિશા મળતી રહેતી.’

રિચાર્ડ સ્વયં સાધુ બનીને હૃષીકેશ, હરિદ્વાર, કુલુ, બનારસ, કલકત્તા, પશુપતિનાથ, ધરમશાલા, મુંબઈ, ગોવા, મથુરા, વૃંદાવન, નેપાળ જેવા કેટલાય સ્થળે એકધારું ફરે છે. કંઈકેટલાય યોગી, સાધુબાવા અને તપસ્વી સંપર્કમાં આવે છે. એક સ્પોન્જની જેમ રિચાર્ડ પોતાને મળતા મનુષ્યો પાસેથી જ નહીં, કુદરત પાસેથી પણ સતત શીખતો રહે છે, ગ્રહણ કરતો રહે છે. એની આધ્યાત્મિક અનુભૂતિઓ ઘુંટાતી જાય છે. જોકે એક વાતે એ સ્પષ્ટ છે કે કોઈના સ્થાયી શિષ્ય બનવું એ બહુ મોટી જવાબદારીવાળું કામ છે. તેથી જ્યાં સુધી હું બધું જોઈશસમજીશઅનુભવીશ નહીં ત્યાં સુધી ગુરુ બનાવવામાં હું ઉતાવળ નહીં કરું! પ્રલંબ ઘટનાપ્રચુર પ્રવાસને અંતે એ જેને પોતાના આધ્યાત્મિક ગુરુ તરીકે સ્થાપે છે એ છે, શ્રીલ પ્રભુપાદ.

Writer Radhanath Swami (Richard Slewin) garlanding his Guru, Shrila Prabhupada

યુરોપના પ્રવાસથી માંડીને વિસ્મયકારક સાધુસંતોની દુનિયા અને એમની સાથેના પોતાના સહવાસનું લેખકે વર્ણન એટલું અસરકારક અને ચિત્રાત્મક છે કે વાચકની સામે સિનેમાની જેમ સમગ્ર ઘટનાક્રમ ઉઘડતો જાય છે. વાચક રિચાર્ડના સહયાત્રી બનીને સાથે સાથે વહ્યા કરે છે. રિચાર્ડ સાથે આપણે પૂરેપૂરું સમસંવેદન અનુભવીએ છીએ. એની પીડા, ઉદ્વેગ, કરુણા અને ધન્યતા આ બધું જ સંવેદનશીલ વાચક સ્વયં અનુભવતો રહે  છે અને એ લેખકની કલમની તાકાત છે. આ લખાણમાં વાચકને આંજી નાખવાનો ઉદ્દેશ નહીં, પણ પ્રામાણિકતા અને પારદર્શિતા ઝળકે છે. વચ્ચે વચ્ચે થતાં રમૂજના છાંટણાં વાતના પ્રવાહને ઓર મજેદાર બનાવતાં રહે છે. લખાણનાં સ્પંદનો સાચાં સ્વરૂપમાં વાચક સુધી પહોંચતાં રહે છે એ હકીકત સુંદર અનુવાદનો પુરાવો છે. આ પુસ્તક વાંચતી વખતે તમને સ્વામી સચ્ચિદાનંદનાં પુસ્તકો ‘મારા અનુભવો’ અને ‘મારા પૂર્વાશ્રમનાં સંસ્મરણો’ યાદ આવશે. એલિઝાબેથ ગિલ્બર્ટનું બેસ્ટસેલર પુસ્તક ‘ઈટ, પ્રે, લવ’ પણ કદાચ મનમાં ઝબકી જાય, એવુંય બને.

રિચાર્ડના અસાધારણ અને અસામાન્ય પ્રવાસની વાત કરતું આ પુસ્તક વાસ્તવમાં એક સ્પિરિચ્યુઅલ થ્રિલર છે. નિઃશંકપણે માણવા જેવું અતિ સુંદર પુસ્તક.


 પેલે પારનો પ્રવાસ


લેખકઃ રાધાનાથ સ્વામી

અનુવાદઃ ડો. ગિરીશ રાઠોડ (ગિરિરાજ દાસ)

 પ્રકાશકઃ તુલસી બૂક્સ, શ્રી તુલસી ટ્રસ્ટ, ગિરગાંવ ચોપાટી, મુંબઈ

ફોનઃ ૦૯૯૩૦૧ ૪૧૮૨૫

કિંમતઃ  રૂ. ૧૯પ /

પૃષ્ઠઃ ૩૫૦


Sunday, February 26, 2012

ખોવાઈ જવા માટે જ સર્જાતી હોય છે છોકરીઓ?


ચિત્રલેખા - અંક તા. ૫ માર્ચ ૨૦૧૨


કોલમઃ વાંચવા જેવું


                                                                                         
પુસ્તકને એક સ્ત્રીની ડાયરી કહીશું? જીવનકથા કહીશું? કે પછી, નવલકથા? એષા દાદાવાળા રચિત ‘ક્યાં ગઈ એ છોકરી’ કદાચ આ બધું જ છે. એક સંવેદનશીલ માનવજીવ છે. નામ છે એનું આરોહી. એ જન્મે છે, મોટી થાય છે, પરણે છે, સ્વયં મા બને છે, વૃદ્ધ થતી જાય છે. જિંદગીના તમામ આરોહઅવરોહ પૂરી પ્રામાણિકતાથી ડાયરીનાં પાનાં પર ઝીલાતા જાય છે. મજા એ વાતની છે કે ડાયરી કેવળ આરોહી પૂરતી સીમિત રહેતી નથી. એના પર ક્યારેક એની મા, એનો પ્રિયતમ પણ અને પતિ પણ અક્ષરો પાડે છે. આ સઘળાથી કેનવાસ પર ક્રમશઃ એક સુંદર ચિત્ર ઊપસતું જાય છે. વળી, આ ચિત્ર કોઈ એક સ્ત્રીનું નથી. આ સ્ત્રી કોઈ પણ હોઈ શકે. આ સાર્વત્રિકપણું પુસ્તકનો મોટો પ્લસ પોઈન્ટ છે.

આરોહી હજ પોતાની માનાં પેટમાંથી બહાર આવે તે પહેલાં જ એની ડાયરી શરૂ થઈ જાય છે. મા રોજ સવારે જ્યારે અરીસા પાસે ઊભી રહીને એનાં વધેલાં પેટ તરફ જોતી, ત્યારે ગર્ભમાં રહેલી આરોહીને થતુંઃ માનાં પેટને આંખો કેમ નથી? માનાં પેટને આંખો હોત તો, હું પણ માને જોઈ શકત ને?

સંતાન પોતાની સાથે શું લેતું આવે છે? અઢળક સુખ અને સાર્થકતાની લાગણી. માને માથું દુખતું હોય અને આરોહી એના નાના નાના હાથ માથા પર મૂકે એટલે એસ્પિરિન લેવાની જરૂર ન પડે! ધીમે ધીમે આરોહીની રમતો બદલાતી ગઈ. કોણ મોટું થઈ ગયું હતું આરોહી કે એની ઢીંગલીઓ? વાદળોનો તકિયો કરી ઊંઘી જતી સાત વર્ષની છોકરી અચાનક તેર વર્ષની થઈ ગઈ. હવે સ્કૂલેથી આવીને એ પપ્પાને ભેટી પડતી નથી. હવે એને લાલ રંગ ગમતો નથી, કારણ કે એને લાગે છે પોતાની અંદર જે કંઈ પણ બદલાયું છે એ એને કારણે જ બદલાયું છે. હવે મા રોકટોક કરે છે. આરોહી સવાલો કરે અને સામે બોલે એટલે મા ઊંચે અવાજે કહી દેઃ દલીલ બંધ. આરાહીને થાય કે માને જવાબ ન આવડ્યો એટલે મારો સવાલ ખોટો થઈ ગયો? એક વખતે તો આરોહીએ રોષે ભરાઈને માને કાગળમાં લખી નાખ્યુંઃ ‘તું મારી મા કેમ છે? તું મને હવે ગમતી નથી કારણ કે હમણાં હમણાંથી તું બધી જ વાતોમાં ના પાડી દે છે.’


જવાબમાં માએ બહુ પ્રેમથી સરસ લખ્યું કે, ‘તું રજોવૃત્તિમાં પહેલીવાર આવી ત્યારે મારી અંદર રહેલી સ્ત્રીએ ઉત્સવ ઉજવેલો પણ મારી અંદર રહેલી મા થોડી ગભરાઈ ગયેલી... તું નાની હતી અને પપ્પાએ તને રસ્તો ઓળંગતા શીખવેલું ત્યારે ડાબેજમણે જોઈને ઝીબ્રાલાઈન પરથી જ ક્રોસિંગ કરવાનું કહેલું, પણ બચ્ચા, જિંદગીમાં આવી કોઈ ઝીબ્રાલાઈન હોતી નથી, નિર્ણયો લેવાના હોય ત્યારે જિંદગી ડાબી અને જમણી બેઉ બાજ જોવાનો સમય આપતી નથી...’

મા સાથે બુચ્ચા અને બહેનપણાં તો જાણે થઈ ગયાં. એ પણ એટલી હદે કે આરોહી સાથે એક નાટકમાં કામ કરતા ચૈતન્ય નામના યુવાનને દીકરી વતી પ્રપોઝ કરવાનું કામ પણ માએ કરી આપ્યું! આરોહી ભલે ગમે એટલી અહમવાળી છોકરી હોય, પણ સલામતીનો સાચો અર્થ તો એને ચૈતન્ય સાથે હોય ત્યારે જ સમજાતો. કમનસીબે ઈશ્વરે બેઉને ભેગાં કર્યાં, પણ એેમના ગ્રહો મેળવવાનું ચૂકી ગયો!

ખેર, મનહૃદય પર સંઘાતો થતા રહે છે, મનોમન વિચારી રાખેલી ભવિષ્યની ડિઝાઈન ક્ષણભરમાં છિન્નભિન્ન થઈ જાય છે, પણ જીવન પોતાના આગવા લયમાં વહેતું રહે છે. દેખાડેલા વર્ચસ્વ નામના પ્રેમાળ છોકરા સાથે લગ્ન કરતી વખતે આરોહી સાથે શું લઈ જવા માગે છે? સાંભળોઃ ‘મારે મારા અરીસાને સાથે લઈ જવો છે. કારણ કે આ અરીસાએ મને મોટી થતી જોઈ છે, અનુભવી છે. મેં ઈચ્છ્યું એવું મારું પ્રતિબિંબ પાડી આપ્યું છે એણે, મને ગમતું અને નહીં ગમતું પણ... મારાં શરીરમાં થતા એકએક ફેરફારની બાતમી એણે મારાં સુધી પહોંચાડી છે.’

માબાપનું ઘર છોડીને સાસરે જવાની ઘટના એટલે એક જમીનમાં ઊગેલું વૃક્ષ આખેઆખું મૂળિયાસોતું ઊખાડીને બીજી જમીનમાં રોપવું. આરોહી પતિના ઘરે માત્ર રોપાતી નથી, પાંગરે પણ છે. હવે માના ઘરનાં પાણીનો સ્વાદ પણ એને જુદો લાગે છે. એ સ્વયં મા બને છે અને એક ચક્ર જાણે પૂરું થાય છે. ઉત્તરાવસ્થાની ધીમે ધીમે જમાવટ થતી જાય છે. હવે બુઢાપો છે, એકલતા છે... અને આરોહી લખે છેઃ ‘એકલા હોઈએ ત્યારે વીતી ગયેલાં વર્ષોનું વજન બાકી બચેલાં વર્ષો પર હાવી થઈ જાય અને આંખોને ભીની થયાં વગર રડતાં આવડી જાય... અને આવું થાય ત્યારે સમજી લેવાનું કે જિંદગી આનાથી વધારે દર્દ આપી શકે એમ નથી.’

નાની નાની કેટલીય મોમેન્ટ્સમાંથી પસાર થતું થતું પુસ્તક આખરે એક સરસ બિંદુ પર આવીને વિરમે છે. લગભગ શ્વાસ અધ્ધર કરીને વાંચવું પડે એટલું બધું રસાળ આ લખાણ છે. લેખિકાની ભાષા સાદગીભરી છતાં બહુ જ આહલાદક છે. એમાં રમ્યતા પણ છે અને તીવ્રતા પણ છે. વિચારશીલતા પણ છે અને સચ્ચાઈભરી પ્રતીતિ પણ છે. આ પ્રકારનાં લખાણ પર સુષ્ઠુ સુષ્ઠુ અને કૃત્રિમ બની જવાનો ડર સતત ઝળુંબતો હોય છે, પણ આ પુસ્તક એમાંથી આબાદ બચી ગયું છે. અહીં નારીવાદનાં બોરિંગ ઢોલનગારાં કે પરંપરાગત રીતે જીવી નાખવાની નિષ્ક્રિય લાચારી બન્નેમાંથી કશું નથી. અલબત્ત, આરોહીનાં લગ્ન પછીના બીજા ખંડમાં વાત થોડી ઢીલી પડતી લાગે, કન્વિક્શન સહેજ ઓછું પડતું લાગે, કથાપ્રવાહના રસબિંદુ પર અટકી જવાને બદલે લેખિકા જાણે બહુ આગળ નીકળી ગયાં છે તેવું પણ લાગે, પણ પછી લગભગ ચમત્કારિક રીતે પુસ્તક સંતુલન પાછું મેળવી લે છે.

લેખિકા એષા દાદાવાળાએ એક કાર્યક્રમના સંચાલન માટે સ્ત્રીજીવનના જદા જદા રંગોને બાર ટુકડાઓમાં આલેખ્યા હતા, ડાયરીનાં પાનાંના સ્વરુપમાં. આ ટુકડા પછી વિસ્તર્યા અને એનું પરિણામ તે આ પુસ્તક. એષા ‘ચિત્રલેખા’ને કહે છે, ‘સ્ત્રી ડાયરી લખે ત્યારે એમાં રોજિંદા હિસાબની સાથે પોતાની લાગણીઓને પણ મેન્ટેેઈન કરતી હોય છે. મને લાગે છે કે તમામ સ્ત્રીઓનું જીવન સરખું જ હોય છે, ફક્ત એમના અનુભવો જુદા જુદા હોય છે, બસ.’

સૌને અપીલ કરે એવું અને એક કરતાં વધારે વખત વાંચવું ગમે તેવું સુંદર પુસ્તક.

૦ ૦ ૦

ક્યાં ગઈ એ છોકરી


લેખિકાઃ એષા દાદાવાળા

 પ્રકાશકઃ નવભારત સાહિત્ય મંદિર, અમદાવાદ-૧, મુંબઈ-૧

ફોનઃ (૦૭૯) ૨૨૧૩ ૯૨૫૩

કિંમતઃ  રૂ. ૧૫૦ /

પૃષ્ઠઃ ૧૨૦

Saturday, February 11, 2012

ડાન્સ ગુજરાત ડાન્સ


                                           દિવ્ય ભાસ્કર -  રવિવાર પૂર્તિ  - ૧૨ ફ્રેબ્રુઆરી ૨૦૧૨
સ્લગઃ મલ્ટિપ્લેક્સ

‘ડાન્સ ઈન્ડિયા ડાન્સ’નો આજે બીજો વાઈલ્ડ-કાર્ડ એપિસોડ ટેલિકાસ્ટ થઈ રહ્યો છે ત્યારે આવો મળીએ આ હાઈપ્રોફાઈલ ટેલેન્ટ શોના અમદાવાદ, વડાદરા અને મુંબઈના ટેલેન્ટેડ સ્પર્ધકોને... 



મુંબઈના મહાલક્ષ્મી વિસ્તારમાં આવેલા ફેમસ સ્ટુડિયોના એક હિસ્સામાં ખાસ્સી ચહલપહલ છે. ઝી ટીવીના સુપરહિટ ટેલેન્ટ શો ડી.આઈ.ડી. એટલે કે ‘ડાન્સ ઈન્ડિયા ડાન્સ’ સિઝન-થ્રીના સવારથી એકધારા ચાલી રહેલા શૂટિંગમાં મોડી બપોરે લાંબો લંચબ્રેક પડ્યો છે. આજે મંગળવારે વાઈલ્ડ કાર્ડ એન્ટ્રીવાળા બન્ને એપિસોડ્સ બેક-ટુ-બેક શૂટ થઈ રહ્યા છે, જે શનિ-રવિ દરમિયાન ટલિકાસ્ટ થશે. એક બાજુ, જજ ગીતા કપૂર અથવા તો ગીતામા સેટની બહાર રિસેપ્શન એરિયામાં આવીને સિગારેટના કશ પર કશ ખેંચી રહ્યાં છે, તો બીજી બાજુ બાકીના બે નિર્ણાયકો રેમો ડિસૂઝા અને ટેરેન્સ લેવિસ, ગ્રાન્ડ માસ્ટર મિથુનદા, એન્કર જોડી જય-સૌમ્યા પેટપૂજા કરીને પોતપોતાની વેનિટી વેનમાં આરામ ફરમાવી રહ્યાં છે.

Jay Bhanushali, Remo D'Souza, Geeta Kapoor, Saumya Tandon, Terrance Lewis


ફર્સ્ટ ફ્લોર પર કન્ટેસ્ટન્ટ્સ હવે પછીના પર્ફોર્મન્સ માટે કોસ્ચ્યુમ અને મેકઅપ સાથે ઝપાટાબંધ તૈયાર થઈ રહ્યા રહ્યા છે. અમદાવાદનો સ્પર્ધક હાર્દિક રાવલ પોતાના લાંબા લિસ્સા વાળ ઉછાળીને કહે છે, ‘આઈ એમ વેરી હોપફુલ કે વાઈલ્ડ- કાર્ડથી હું પાછો સ્પર્ધામાં સામેલ થઈ જઈશ!’


હાર્દિકે અમદાવાદની જે.જી. કોલેજ ઓફ કોમર્સમાં એમ.કોમ. કર્યુર્ં છે. ડાન્સની ઢગલાબંધ સ્પર્ધાઓ એ જીતી ચૂક્યો છે. ડી.આઈ.ડી.ની પહેલી બન્ને સિઝન માટે એણે ખૂબ મહેનત કરી હતી, પણ બન્ને વખત ટોપ-૧૮માં પહોંચે તે પહેલાં જ, સાવ ધાર પર આવીને, એણે એલિમિનેટ થઈ જવું પડ્યું હતું. પણ એમ આસાનીથી હાર માની લે તે હાર્દિક નહીં. એણે ઓર મહેનત કરી અને સિઝન-થ્રીના ટોપ૧૮માં સ્થાન મેળવીને રહ્યો.

Hardeek Raval
‘ઈન ફેક્ટ, બીજી સિઝનમાં હું આઉટ થઈ ગયો પછી ગીતામાએ મને સામેથી ફેસબુક પર મેસેજ મોકલ્યો હતો,’ હાર્દિક કહે છે, ‘સાવ થોડા પોઈન્ટ્સ માટે હું રહી ગયો હતો તેથી એમને બહુ અફસોસ થયો હતો.’ તેથી જ હાર્દિકને ત્રીજી વખત ઓડિશનમાં જોઈને ગીતામા ખૂબ ઈમોશનલ થઈ ગયાં હતાં. એમણે બાકીના બે નિર્ણાયકોને કહી દીધુંઃ હું હાર્દિકને જજ નહીં કરી શકું, એને આગળ જવા દેવો કે નહીં તેનો નિર્ણય તમે જ લો! હાર્દિકને જ્યારે તકદીર કી ટોપી મળી ત્યારે હાર્દિક કરતાં ગીતામા વધારે રડ્યાં હતાં!

હાર્દિક ચાર્મિંગ માણસ છે. આસપાસના લોકો સાથે તે તરત દિલથી સંધાન કરી લે છે.  જામનગરની રિલાયન્સ ટાઉનશીપમાં તે વર્કશોપ્સ યોજે ત્યારે તેમાં ભાગ લેતા સેંકડો સ્ટુડન્ટ્સ છેલ્લા દિવસે ગીતામાની જેમ જ રીતે ભાવુક બની જતા હોય છે. હાર્દિકના પપ્પા હેડ કોન્સ્ટેબલ છે. દીકરો ડાન્સને કરીઅર બનાવે તેની સામે હવે તેમને જરાય વાંધો નથી. હાર્દિક કહે છે, ‘નવું નવું શીખવા માટે મુંબઈ આવતોજતો રહીશ, પણ હું ગુજરાત ક્યારેય નહીં છોડું. ડી.આઈ.ડી પછી મારી અવયુક્ત ડાન્સ એકેડેમી પૂરજોશમાં સક્રિય થઈ જવાની.’

Nirav Bavelcha
વાઈલ્ડ-કાર્ડ રાઉન્ડમાં અમદાવાદનો એક ઓર યુવાન પણ ઉતર્યો છે - નીરવ. ટેરેન્સ લેવિસનો એ શિષ્ય અને બન્નેનો વર્ષો જૂનો પરિચય, પણ ડી.આઈ.ડી.ના ઓડિશનમાં નીરવ પોતાના ગુરુને જાણ કર્યા વગર પહોંચી ગયો હતો. એને મંચ પર ઊતરેલો જોઈને, નેચરલી, ટેરેન્સને આંચકો લાગ્યો હતો. ખેર, ટેરેન્સની નારાજગી પછી તો ઓગળી ગઈ. ઓલ ઈઝ વેલ નાઉ!

સિઝન-ટુમાં વડોદરાના સુપરસ્પર્ધક ધર્મેશે ખાસ્સી ધમાલ મચાવી હતી. આ વખતે એની સ્ટુડન્ટ લિપ્સા આચાર્ય ઉતરી છે. લિપ્સા ત્વરાથી નવાનવા ડાન્સફોર્મ્સ શીખી રહી છે અને ભારે કુશળતાથી મંચ પર પેશ કરી રહી છે. બહુ જ જોખમી ગણાતું રોપ-મલ્ખમ એણે એટલા પ્રભાવશાળી ઢંગથી પર્ફોર્મ કર્યું હતું કે બધા દંગ થઈ ગયા હતા. અઢાર વર્ષની લિપ્સા પોતાના હાથ પગ પર ચામડી છોલાવાને કારણે પડી ગયેલા મોટા મોટા ચકામા બતાવીને કહે છે, ‘ આ જુઓ! આ બધું રોપ-મલ્ખમને લીધે થયું છે.’

ટોપ-થર્ટીનમાં સ્થાન મેળવવા લિપ્સાએ પોતાના જ શહેર વડોદરાના સુમીત સાથે પણ હરીફાઈ કરવાની છે. સુમીત આજે ગજબનાક રોબો-ડાન્સ પેશ કરવાનો છે. ‘સુમીત ધર્મેશસરનો સ્ટુડન્ટ નથી, પણ હું એને બેત્રણ વર્ષથી ઓળખું છું,’ લિપ્સા કહે છે.

Lipsa Acharya 
Sumit


મુંબઈની ગુજરાતી સ્પર્ધક ઉર્વશી ગાંધીને હવે સૌ ઓળખવા લાગ્યા છે. તે ઓલરેડી ટોપથર્ટીનમાં પહોંચી ગઈ છે એટલે આજે તેણે મંચ પર આરામથી સોફા પર ગોઠવાઈને સ્પર્ધકોને માત્ર ચીઅરઅપ કરવાનાં છે. ડોક્ટરોના પરિવારમાંથી આવતી ઉવર્શી મુંબઈની વોકહાર્ટ હોસ્પિટલમાં સોશ્યલ સાઈકોલોજિસ્ટ તરીકે કામ કરે છે. અત્યંત કોન્ફિડન્ટ છે રૂપકડી ઉવર્શી. એ કહે છે, ‘ડી.આઈ.ડી. પૂરું થયા પછી હું ડાન્સ અને સાઈકોલોજીના ફ્યુઝન જેવા ડાન્સ થેરાપીના ક્ષેત્રમાં કશુંક કરવા માગું છું. માણસ બહુ આનંદિત હોય કે ડાન્સ માટે પેશનેટ હોય યા તો કટિબદ્ધ હોય ત્યારે નાચે છે, તે  એક વાત થઈ. આનાથી ઊલટું પણ શક્ય છે. નાચવાથી હોર્મોનના સ્તરે ફેરફાર થાય છે, જેનાથી માણસનો મૂડ અને માનસિકતામાં પરિવર્તન આવે છે. ડાન્સ થેરાપીનો કોન્સેપ્ટ આપણે ત્યાં પ્રમાણમાં નવો છે, પણ આ દિશામાં ઘણું થઈ શકે તેમ છે.’

Urvashi Gandhi


બુલાવો આવે છે. ડી.આઈ.ડી.નો સેટ મલ્ટિપલ કેમેરા સેટઅપ, એકસરખા બ્લેક જેકેટમાં સજ્જ આસિસ્ટન્ટ ડિરેકટર્સ, ટીશર્ટ-બમ્યુર્ડા ધારણ કરેલા ટેકનિશીયન્સ અને લાઈવ ઓડિયન્સથી ધમધમવા લાગે છે. ભવ્ય પર્પલ-બ્લ્યુ સ્ટેજ અગણિત લાઈટોથી ઝળહળી ઉઠે છે. ગ્રાન્ડ માસ્ટર મિથુનદા સિગારેટ પીતાપીતા પોતાની સીટ પર બેસે છે. એકમાત્ર મિથુનદાને જ આ સેન્ટ્રલી એરકન્ડીશન્ડ સેટ પર સિગારેટ પીવાની છૂટ છે. ડિરેક્ટરનો માઈક પર ગૂંજતો અવાજ,  અણધારી ટેકનિક્લ ગરબડને કારણે ખોરંભે ચડી જતું શૂટિંગ, રીટેક્સ, એક પછી એક રજૂ થતા સોલો ડાન્સ પર્ફોમન્સીસ...

આજના રવિવારના એપિસોડથી પોતપોતાના ઘરે ટીવી જોતા ઓડિયન્સે વોટિંગ કરીને આઠમાંથી કોઈપણ બે સ્પર્ધકને ટોપ-થર્ટીનમાં સ્થાન આપવાનું છે. મજાની વાત એ છે કે વોટ કરવા માટે એસએમએસના પૈસા ખર્ચવાની જરૂર નથી, માત્ર મિસ્ડ કોલ આપવાનો છે!

હાર્દિક, નીરવ, સુમીત, લિપ્સા.... આ ચારેય ગુજરાતવાસી સ્પધર્કોનું આજના એપિસોડમાં શું થવાનું છે? જસ્ટ વેઈટ એન્ડ વોચ!

શો-સ્ટોપર

સૈફે મારા નામનું ટેટૂ ભલે મૂકાવ્યું, પણ હું એના નામનું ટેટૂ મૂકાવવાની નથી. સ્ત્રીનું શરીર ભગવાનની સૌથી પરફેક્ટ રચના છે. ટેટૂ ચિતરાવીને તે શા માટે બગાડવાનું? 

 - કરીના કપૂર


------------------------------------------------------------------------------------------


Click on the link for the published article :  
http://epaper.divyabhaskar.co.in/epapermain.aspx?edcode=57&eddate=2/12/2012&querypage=7




Thursday, February 9, 2012

ધરતીનો છેડો નહીં, મસ્તીનો આરંભ...


                                                                         ચિત્રલેખા - અંક તા. ૧૩ ફેબ્રુઆરી ૨૦૧૨

કોલમઃ વાંચવા જેવું


                                                                                                   
ચાર દીવાલથી એમ ઘર થાતું નથી,
એમને એ કેમ સમજાતું નથી?
રાતના પાછ  ફરે નહીં એક જણ.
ત્યાં સુધી એ કોળિયા ખાતું નથી.
કામ પર નીકળું તો પાછળ જોઈ લઉં
એકલું તો ક્યાંક મૂંઝાતું નથી?

હિતેન આનંદપરાની ઈમોશનલ બનાવી મૂકે એવી કવિતાની આ કેટલીક પંક્તિઓ છે. ઘર વિષય જે એવો છે, મા જેવો, જેના પરિઘમાંથી માણસ આજન્મ બહાર નીકળી શકતો નથી. નિત્ય પ્રવાસીઓની કે અલગારી આત્માઓની વાત અલગ છે. ઘર સાથે સંકળાયેલી કંઈકેટલીય ભાવસ્થિતિઓ આજના ‘ઘર એટલે...’ નામના રૂપકડાં પુસ્તકમાં ઝીલાઈ છે. આપણી ભાષામાં કોફીટેબલ બુકનો પ્રકાર ખાસ ખેડાયો નથી ત્યારે આ પુસ્તક ખાસ ધ્યાન ખેંચે છે. ગદ્ય, પદ્ય અને એને ચિત્ર આ ત્રણેયનું છટાદાર કોમ્બિનેશન થયું છે અહીં. ચાણક્ય-કાલિદાસ-ટાગોરથી માંડીને રમેશ પારેખ-સિતાંશુ યશશ્ચંદ્ર-ગુણવંત શાહથી લઈને  પન્ના નાયક-વિપીન પરીખ સુધીનાં બાવન જેટલાં લેખકો-કવિઓએ ઘર વિશે વ્યક્ત કરેલી લાગણીઓનો અહીં સંગ્રહ થયો છે.

ઘર એટલે?

જય વસાવડાનો મસ્તીભર્યો જવાબ સાંભળોઃ ‘ઘર એટલે દાઢી કર્યા વિના, વાળ ઓળ્યા વિના, કરચલીવાળાં કપડાંમાં ફરી શકવાની નિરાંત. ઘર એટલે મધવારે ફ્રિજ ફંફોસીને મીઠાઈ ઝાપટવાની મોકળાશ. ઘર એટલે વેરવિખેર પુસ્તકો અને થપ્પીબંધ સીડીઝનો ઢગલો. ઘર એટલે ટીવી જોતાજોતા લાંબા થયેલા પગ. ઘર એટલે ભાંડરડાંઓ વચ્ચે રોજ છેડાતો જંગ... ઘર ધરતીનો છેડો નથી, મસ્તીનો આરંભ છે.’


Pictures courtesy : www.squidoo.com

મસ્તી છે કારણ કે માલિકીભાવ છે અને જ્યાં માલિકી હોય ત્યાં આપણું રાજ હોવાનું જ! ગદ્યસ્વામી સુરેશ જોષીએ એટલે જ અક્કડ થઈને અનોખા અંદાજમાં લખ્યું છેઃ ‘સાંજે સાડા સાત પછી સૂર્યનો એમના ઘરનો પ્રવેશાધિકાર રદ કરીને હું પ્રવેશબંદી ફરમાવી દઉં છ . રાત વેળાએ ગમે ત્યારે ગમે તે બારીમાંથી ડોકિયાં કરવાની ચંદ્રની અશિષ્ટતાને હું હરગિજ ચલાવી લેવા તૈયાર નથી. પવનનું ઉડાઉપણું મને પસંદ નથી. મધરાતે ટહુકો કરતા નરકોકિલનું મવાલીપણું મારા ઘરની શિષ્ટતાનો ભંગ કરે છે. ઘરમાંનાં ચકલાચકલીને કુટુંબનિયોજનનો કાર્યક્રમ સમજાવવાનો સમય પાકી ગયો છે...’

સુરેશ દલાલને પોતાનાં ઘરનાં પડદા જોઈને એવું લાગે છે કે બારીએ જાણે બુરખો પહેર્યો હોય. શિયાળામાં ઘરનું એરકન્ડિશનર એમને પસ્તી જેવું લાગે છે!

ગીતાના બારમા અધ્યાયમાં એક શબ્દ છે, ‘અનિકેત’. એનો અર્થ છે, નિશ્ચિત સ્થાન વિનાનો કે નિવાસસ્થાનમાં મમતા રાખતો નથી તે. આટલું નોંધીને સંજય છેલ ઉમેરે છેઃ ‘ઈશ્વરને તે ભક્ત પ્રિય છે,  જેને  ઘર પર માયા નથી, પણ માણસને તો ઘર માટે ઈશ્વરથીય વધુ મમતા હોય છે. ચાર દીવાલો, બે બારી, એક બારણું અને છત. આ છે માણસની દિશાઓનો સરવાળો. તમે એને ઘર કહો છો.’



એક બાજુ ભગવતીકુમાર શર્મા પોતાના સુરતના ઘરના સંદર્ભમાં લખે છે કે, ‘અહીં જ મેં કોડિયે, ખડિયે, ફાનસે અખૂટ વાંચ્યું છે અને આંખોનું નખ્ખોદ કાઢ્યું છે! આ ઘર મને એકસાથે પિતાના પ્રભાવ, માની મમતા, પત્નીની નિસબત અને મારી સકળ હયાતીની અર્થવત્તાના પુંજ જેવું અનુભવાય છે!’ તો બીજી બાજ, આદિલ મન્સૂરીને તો પોતાની કવિતા પણ ઘર જેવી લાગે છે.

નિરાંત એવી અનુભવું  છું ગઝલના ઘરમાં
કે શ્વાસ મુક્તિના લઈ શકું  છું  ગઝલના ઘરમાં.

ભગવતીકુમાર શર્માએ સિત્તેર વર્ષમાં એક જ વખત ઘર બદલાવ્યું, પણ રતિલાલ ‘અનિલે’ ઘણાં ઘર ફેરવ્યાં. એ લખે છેઃ ‘આપણે ઘર બદલીએ છીએ કે આપણું ઘર ફરે છે... ખરેખર ઘર જ ફરે છે. ઘરને અનુકૂળ થવાની વાત પર વિશ્વાસ બેસતો નથી. ઘર જ અનુકૂળ થઈ જતું લાગે છે.’


પણ અનુકૂળતાને અલવિદા કરવી પડે છે, ઘર ત્યજવું પડે છે. ચંદ્રકાંત બક્ષીએ ‘બક્ષીનામા’માં લખ્યું છેઃ ‘...અને એક દિવસ દરેક છોકરાએ મર્દ બનવા માટે ઘર છોડવું પડે છે.એક દિવસ ગુમાન શબ્દનો અર્થ સમજવો પડે છે. દરેક છોકરીએ બીજા ઘરમાં જવાનું છે, દરેક છોકરાએ પહેલું ઘર છોડવાનું છે. ઘર છોડવાનું છે એટલે ઘર બહાર નીકળવાનું છે, નવી હવા, નવા સંજોગો, નવા સંબંધો, નવો પરિવેશ.’

ઘરથી દૂર હોવાની સ્થિતિ ઘરઝુરાપો પેદા કરે છે. વિનોદ ભટ્ટને હૃદયના શૂળ અને ઘરઝુરાપો બન્નેનો અનુભવ છે. એ કહે છેઃ ‘સોર્બિટ્રેટ લેવાથી થોડીક જ મિનિટમાં એન્જાઈના પેઈનમાં રાહત થઈ જાય છે, પણ ઘરઝુરાપા માટે એવી કોઈ પેઈનકિલર હજ સુધી તો શોધાઈ નથી.’

 કેટલા બધા રંગો, કેટલી બધી વાતો. કાન્તિ પટેલે આ સઘળું  સૂઝપૂર્વક આ પુસ્તકમાં સમાવી લીધું છે. મોટી કમાલ તો ચિત્રકારોએ કરી છે. એસ. એમ. ફરીદ, મૌનિષ શાહ, Sanoli મહેતા સહિત કુલ નવ આર્ટિસ્ટોએ પ્રત્યેક લખાણ માટે અલાયદા અને  ખૂબસૂરત ચિત્રો તૈયાર કર્યાં છે. આ પુસ્તક તૈયાર કરવા પાછળ પ્રકાશકે લીધેલી મહેનત અને ચીવટ સ્પષ્ટ વર્તાય છે.

વાંચવું, વંચાવવું અને વસાવવું ગમે તેવું પુસ્તક.                                                                     000






ઘર એટલે...   


સંપાદનઃ કાન્તિ પટેલ

 પ્રકાશકઃ અરુણોદય પ્રકાશન, અમદાવાદ

ફોનઃ (૦૭૯) ૨૨૧૧ ૪૧૦૮, ૬૫૨૩ ૦૧૩૫

કિંમતઃ  રૂ. ૨૦૦ /-

પૃષ્ઠઃ ૮૦


Sunday, February 5, 2012

એન્ડ ઘ ઓસ્કર ગોઝ ટુ...


દિવ્ય ભાસ્કરરવિવાર પૂર્તિ  ૫ ફેબ્રુઆરી ૨૦૧૨ 


  સ્લગઃ મલ્ટિપ્લેક્સ

ઓસ્કર અવોડર્ઝની સિઝન પાછી ગાજવા લાગી છે. કઈ છે આ વખતની હોટેસ્ટ ઓસ્કર મુવીઝ? કઈ ફિલ્મો આ વખતે સપાટો બોલાવી દેવાની છે? 





લો, ઓસ્કરની સિઝન પાછી આવી ગઈ. ભલે ઓસ્કર અવોર્ડઝ દૂધે ધોવાયેલા ન ગણાતા હોય, ભલે ભૂતકાળમાં ઓસ્કર વિજેતાઓની પસંદગીમાં કેટલીય વાર છબરડાઓ થઈ ચૂક્યા હોય, પણ ઓસ્કરનું આકર્ષણ અકબંધ છે. ઓસ્કર અવોર્ડઝનો પરિઘ આંતરરાષ્ટ્રીય છે, પણ વિજેતાઓ પસંદ કરતા નિર્ણાયકોની છ હજાર સભ્યોની પેનલના મોટા ભાગના સદસ્યોની જમઘટ એક જ જગ્યાએ થઈ છે હોલીવૂડના પિયર લોસ એન્જલસમાં. બહુમતી સભ્યોનો વર્તમાન કે ભૂતકાળ ફિલ્મી કનેક્શન ધરાવે છે. નિર્ણાયકોમાં ઘણાખરા કાં તો આધેડ વયના છે યા તો સિનિયર સિટીઝન. વળી, તેમની માનસિકતા અને અપ્રોચ પણ ખાસ્સા જુનવાણી હોવાને કારણે તેઓ હંમેશા ‘સેફ’ ફિલ્મો પર પસંદગી ઉતારે એવો આક્ષેપ થતો રહ્યો છે. આ બધીય વાતોમાં તથ્ય હોય તો પણ દર વર્ષે ઓસ્કર નોમિનેશન્સ ઘોષિત થતાંની સાથે જ કઈ ફિલ્મ કઈ કેટેગરીમાં મેદાન મારી જશે એ વિશેની જોરદાર ચર્ચાઓ તો શરૂ થઈ જ જાય છે.  

ઓકે આ વર્ષની હોટેસ્ટ ઓસ્કર મુવીઝ કઈ છે? કઈ ફિલ્મ યા તો ફિલ્મો ૨૬ ફેબ્રુઆરીએ યોજાનારા અવોર્ડ ફંકશનમાં સપાટો બોલાવી દેશે? નિર્ણાયકોની જ નહીં, ઓડિયન્સની પણ મોસ્ટ ફેવરિટ ગણાતી ફિલ્મો વિશે ટૂંકમાં જાણવા જેવું છે. પાંચ કે એના કરતાંય વધારે કેટેગરીમાં નોમિનેટેશન મેળવી ચૂકેલી ફિલ્મો આ રહી...






હ્યુગોઃ  આ થ્રીડી એડવન્ચર ફિલ્મ છે. સિનેમાની દુનિયામાં મોટું માથું ગણાતા ડિરેક્ટર માર્ટિન સ્કોર્સેઝીએ તે ડિરેક્ટ કરી છે. બાર વર્ષનો હ્યુગો નામનો એક ટાબરિયો છે. એનો બાપ ઘડિયાળ રિપેર કરવામાં માસ્ટર હતો, પણ કમનસીબે એક મ્યુઝિયમમાં લાગેલી આગમાં એ ભડથું થઈ અને છોકરો આવડા મોટા પેરિસ શહેરમાં બિચારો એકલો પડી ગયો. રેલવે સ્ટેશનમાં એ બિચારો એકલો પડ્યો રહે છે અને જેમ તેમ પેટીયું ભરે છે. એનું એક જ સપનું છે. પિતાનો મહત્ત્વાકાંક્ષી પ્રોજેક્ટ પૂરો કરવાનું. આ પ્રોજેક્ટ એટલે તૂટેલા ઓટોમેનને રિપેર કરવું. ઓટોમેન એક મિકેનિકલ મૅન છે, જે પેનથી લખી શકે છે. હ્યુગોનું આ મિશન આખરે પૂરું થાય છે?

 આ ફિલ્મને સૌથી વધારે ઓસ્કર નોમિનેશન્સ મળ્યાં છે  અગિયાર!



ધ આર્ટિસ્ટઃ આ એક અફલાતૂન રોમેન્ટિક કોમેડી છે. એ બ્લેકએન્ડવ્હાઈટ છે ને પાછી જૂના જમાનાની ફિલ્મોની જેમ મૂંગી છે. એનું કારણ છે. ફિલ્મનો વિષય જ એવો છે. તેમાં ૧૯૨૭થી ૧૯૩૨ના સમયગાળાના હોલીવૂડની વાત છે કે જ્યારે મૂંગી ફિલ્મો ધીમે ધીમે બોલતી થઈ રહી હતી. ફિલ્મનો નાયક હોલીવૂડનો એ જમાનાનો સુપરસ્ટાર છે, જે સમય સાથે કદમ મિલાવી શકતો નથી અને ફેંકાઈ જાય છે. ચતુર નાયિકા ફિલ્મોમાં એકસ્ટ્રા તરીકે કામ કરતી હતી, જે પછી મોટી હિરોઈન બની જાય છે. ‘ધ આર્ટિસ્ટ’માં નાયકનાયિકાની લવસ્ટોરી હલકીફૂલકી શૈલીમાં આગળ વધતી રહે છે. આ ફિલ્મ આમદર્શક અને વિવેચક સૌ કોઈને ખુશખુશાલ કરી દે એવી આહલાદક છે.

 આ ફિલ્મને બેસ્ટ પિક્ચર, બેસ્ટ ડિરેક્ટર, બેસ્ટ ઓરિજિનલ સ્ક્રીનપ્લે, બેસ્ટ એક્ટર સહિતના દસ નોમિનેશન્સ મળ્યાં છે.


મનીબૉલઃ આ એક સત્યકથનાત્મક સ્પોટર્સ ડ્રામા છે. ઓકલેન્ડ એથ્લેટિક્સ બેઝબોલ ટીમનો મેનેજર ફિલ્મનો મુખ્ય નાયક છે. આ રોલ બ્રેડ પિટે ભજવ્યો છે.  ન્યુયોર્કની ટીમ સામે હારી જવાથી આખી ટીમનો જુસ્સો તૂટી ગયો છે. વળી, એક સ્ટાર ખેલાડી ટૂંક સમયમાં રિટાયર થઈ જવાનો છે. આ પરિસ્થિતિમાં બ્રેડ પિટે ‘ચક દે...’ સ્ટાઈલથી ટીમની જુની આભા પાછી મેળવવાની છે.

 આ ફિલ્મનું બેસ્ટ પિક્ચર અને બેસ્ટ એક્ટર સહિતની છ કેટેગરીમાં નામાંકન થયું છે.


વોર Horse:  આ સ્ટીવન સ્પીલબર્ગની ફિલ્મ છે. ઇંગ્લેન્ડનો એક છોકરો એક જાતવાન ઘોડો જન્મ્યો ત્યારથી એને વહાલ કરે છે. ઘોડાને એણે પોતાની આંખ સામે ઉછરતો જોયો છે. ગજબની માયા બંધાઈ ગઈ છે છોકરાને આ ઘોડા સાથે. પ્રથમ વિશ્વયુદ્ધ દરમિયાન ઘોડો એક અશ્વદળને વેચાઈ જાય છે. યુવાન બની ગયેલો આ છોકરો પણ લશ્કરનો ભાગ બને છે અને ઘોડાની સાથે સાથે આખા યુરોપમાં ભ્રમણ કરે છે.

 આ ફિલ્મને પણ છ ઓસ્કર નોમિનેશન મળ્યાં છે.



 ડિસેન્ડન્ટ્સઃ આ એક હળવી સોશ્યલ ફિલ્મ છે. ‘ધ સેક્સીએસ્ટ મેન ઓન અર્થ’ની સૂચિમાં સ્થાન પામતો જ્યોર્જ ક્લૂની આ ફિલ્મમાં એની ઈમેજથી હટકે બે દીકરીઓનો નોનગ્લેમરસ બાપ બન્યો છે. એક દીકરી દસ વર્ષની છે, બીજી સત્તરની. પત્ની વર્ષો પહેલાં વિખૂટી પડી ગયેલી અને દીકરીઓ પણ એની સાથે જ રહેતી હતી, પણ પત્નીનો એક્સિડન્ટ થાય છે એટલે દીકરીઓ બાપ પાસે આવી ગઈ છે. જ્યોર્જ એમની સાથે જાણે કે નવેસરથી સંબંધાય છે. આ એક વાત થઈ. ફિલ્મમાં બીજી વાત છે ૨૫,૦૦૦ એકર એરિયા ધરાવતા ખૂબસૂરત ટાપુની, જેના પર જ્યોર્જના ટ્રસ્ટનો અંકુશ છે. એક તરફ સંબંધોની વાત આગળ છે, જ્યારે બીજી તરફ આ પ્રોપર્ટી વેચવાની ભાંગજડ ચાલી રહી છે....

 આ ફિલ્મને બેસ્ટ પિક્ચર, બેસ્ટ ડિરેક્ટર અને બેસ્ટ એક્ટર સહિતના પાંચ ઓસ્કર નોમિનેશન મળ્યાં છે.



ધ ગર્લ વિથ અ ડ્રેગન ટેટૂઃ આ એક થ્રિલર છે. લેટેસ્ટ જેમ્સ બોન્ડ બનેલો ડેનિયલ ક્રેગ આ ફિલ્મનો હીરો છે. ૪૦ વર્ષ પહેલાં એક છોકરી ખોવાઈ ગઈ હતી. કદાચ તેનું ખૂન થઈ ગયું હતું. ડેનિયલ ચારચાર દાયકા પછી આ ઘટનાક્રમનો તાગ મેળવવા માગે છે.

 આ ફિલ્મને બેસ્ટ એક્ટ્રેસ સહિતના પાંચ નોમિનેશન્સ મળ્યાં છે.

મજા જુઓ. ‘ધ આર્ટિસ્ટ’ સિવાયની બાકીની પાંચેય ફિલ્મો  પુસ્તકઆધારિત છે. ચાર ફિલ્મો નવલકથા પરથી બની છે અને એક આત્મકથનાત્મક પુસ્તક પરથી!

શો-સ્ટોપર

દરેક એક્ટર એક હકીકત અવશ્ય જાણતો હોય છે... અને તે એ કે બેસ્ટ એક્ટિંગ જેવું કશું હોતું જ નથી.

 - શૉન પેન  (બે વખત બેસ્ટ એક્ટર માટેનો ઓસ્કર જીતી ચૂકેલો અભિનેતા) 


Friday, January 27, 2012

મારું જીવન અંજલિ થાજો...


ચિત્રલેખા - અંક તા. ૩ ફેબ્રુઆરી ૨૦૧૨

કોલમઃ વાંચવા જેવું 




                                                                                 
માજના કોઈ વર્ગમાં નાના પાયે તો નાના પાયે પણ નક્કર પરિવર્તન લાવવા માટે શાની જરૂર પડે? ખૂબ બધો પૈસાની? સત્તાની? માનવબળની? ના. ‘જીના ઈસી કા નામ હૈ’ નામનું આ નાનકડું પણ મહત્ત્વનુ પુસ્તક વાંચતી વખતે આ સવાલનો સચોટ જવાબ મળી જાય છેઃ કોઈના જીવનને સ્પર્શવા માટે સૌથી જરૂરી તત્ત્વો છે, ભરપૂર સંવેદનશીલતા અને કદીય ઢીલું ન પડતું મનોબળ. જો આ બે બાબત સાબૂત હશે તો બાકીનું બધું આપોઆપ ગોઠવાઈ જશે.

બીજાઓની જિંદગીમાં આશાનું કિરણ બનીને આવેલી પચાસ વ્યક્તિઓની સુંદર વાત અહીં રસાળ શૈલીમાં કહેવાઈ છે. આમાંનું કોઈ સેલિબ્રિટી નથી. એમની તસવીરો અખબારોનાં પેજ-થ્રી પર છપાતી નથી કે ટીવી પર ઉછળી ઉછળી ચર્ચા કરતી પેનલમાં એ ક્યારેય સ્થાન પામતા નથી. પણ એમનું કામ નક્કર છે, આદરણીય છે, ઉદાહરણરૂપ છે.



દાખલા તરીકે, રામુ ઉર્ફ રામ સ્નેહી. એ મધ્યપ્રદેશની બેડિયા જાતિના સદસ્ય છે. આ જાતિના લોકોનું માનવું છે કે એમની સ્ત્રીઓ મૂળ અપ્સરા હતી, એટલે મૃત્યુલોકમાં જન્મીને એમણે પુરુષોને રીઝવવાનું કામ કરવાનું હોય. તેથી બેડિયા જાતિની બધી જ સ્ત્રીઓ વેશ્યા બને અને એમના ભાઈઓ ને બાપાઓ દલાલ. રામુએ કાચી વયે જ આ પોતાના સમાજની બહેનદીકરીઓને આ કીચડમાંથી બહાર કાઢવાનો નિર્ધાર કરી લીધેલો. એને ધમકીઓ મળી, એની મારપીટ થઈ, એને ગામબહાર તગેડી મૂકવામાં આવ્યો, પણ રામુએ તંત ન છોડ્યો. પોતાના ગામથી શહેરમાં ગયેલી વેશ્યાઓનો ભરોસો જીતતા રામુને બે વર્ષ લાગ્યાં. કમનસીબ યુવતીઓને રામુએ સમજાવી કે તમારાં સંતાનો મને સોંપી દો, હું એમને ઉછેરીશ. આજે રામુના આશ્રમમાં ૩૦૦ બાળકો છે. એમને શિક્ષણ અપાય છે, જાતજાતની રમતો રમાડાય છે. આમાંના કોઈકને મોટા થઈને ડોક્ટર બનવું છે, કોઈકને ટીચર. એક બાળકી માનસશાસ્ત્રી બનવા માગે છે. આશ્રમ માટે, આ બાળકો માટે રામુએ અંગત જિંદગી ન્યોચ્છાવર કરી દીધી છે.

આંધ્રપ્રદેશના એક પછાત વર્ગમાં પ્રચલિત જોગણીપ્રથાનો સંબંધ પણ દેહાચાર સાથે છે. આ સમાજમાં દસઅગિયાર વર્ષની ન્કયાઓને ભગવાનની મૂર્તિ સાથે પરણાવી દેવામાં આવે એટલે તે જોગણી બની ગઈ કહેવાય. એવી માન્યતા છે કે આ ધાર્મિકવિધિ કરવાથી ભગવાન પ્રસન્ન થાય છે અને કુટુંબનું દળદર ફીટે છે. જોગણીઓ શ્રીમંત પરિવારોમાં લગ્ન કે મૃત્યુ પ્રસંગે નાચવા જાય. ગામના જે પુરુષની ઈચ્છા થાય તે આ જોગણીને પોતાની સાથે સૂવા માટે બોલાવી શકે. ધર્મના નામે ચાલતા વ્યભિચારના આ ખેલમાં લાચાર સ્ત્રીઓ હોમાતી રહે છે.

હેમલતા લવણમ નામની સમજસેવિકા દાયકાઓથી આ કુરિવાજ સામે લડી રહ્યાં છે. ઘરે ઘરે જઈને એ લોકોને સમજાવે કે ભગવાન કંઈ આ રીતે પ્રસન્ન ન થાય. પૈસાદાર અને ઊંચી જાતિના લોકો સામે એમણે પડકાર ફેક્યોઃ ‘ભગવાનને રિઝવવાની આ પ્રથામાં તમે ખરેખર માનતા હો તો મોકલોને તમારી દીકરીઓને પણ જોગણી બનવા. માત્ર ગરીબોની દીકરીઓને જ શા માટે ભગવાન જોડે પરણવા દો છો?’

હેમલતાના પ્રયત્નો સફળ થતા ગયા. પછાત જાતિના લોકો મોડે મોડે પણ સમજ્યા ખરા કે આ પ્રથા ખોટી છે. હેમલતાએ ‘ચેન્ની નિલયમ’ એટલે કે ભગિની નિવાસ સ્થાપ્યું. બાપ વગરના જોગણીઓનાં સંતાનો માટે શાળા શરૂ કરી. નાચવા જવાનું બંધ કરી ચૂકેલી જોગણીઓએ ધીમે ધીમે સમાજના મુખ્ય પ્રવાહ સાથે ભળવા માંડ્યું છે. એમને સ્વેચ્છાએ સંસાર માંડવાની તક અને સમાજમાં માનપૂર્વક જીવવાનો હક મળી રહ્યા છે.



માણસમાં જો વિત્ત હોય તો એના પર ત્રાટકતું અણધાર્યું કારુણ્ય એને તોડી શકતું નથી, બલકે એનામાં અજબ શક્તિનો સંચાર કરી દે છે. બે કિસ્સા સાંભળવા જેવા છે. ઉત્તર પ્રદેશના ફૈઝાબાદમાં સાઈકલ રિપેરિંગની દુકાન ધરાવતા મોહમ્મદ શરીફનો દીકરો લાપતા થઈ ગયેલો અને એને દફન કરવાનો મોકો સુધ્ધાં નહોતો મળ્યો. આ વેદના ઓછી કરવા મોહમ્મદે રઝળતી બિનવારસી લાશોની સન્માનભેર અંતિમવિધિ કરવાનું કામ શરૂ કરી દીધું. મરનાર મુસ્લિમ હોય તો મૌલવી પાસે વિધિસર દફનવિધિ કરાવે અને હિન્દુ હોય તો બાહ્મણ પાસે સ્મશાનમાં અગ્નિસંસ્કાર કરાવે.

બીજો કિસ્સો પશ્ચિમ બંગાળની સુહાસિની નામની કાછિયણનો છે. એના પતિએ સારવારના અભાવે  ડોક્ટરની ગેરહાજરીમાં જીવ ગુમાવ્યો હતો. સુહાસિનીએ પતિના નિર્જીવ શરીર પર હાથ મૂકીને શપથ લીધા કે હું એવી હોસ્પિટલ બનાવીશ જેમાંથી કોઈ ગરીબજન સારવાર પામ્યા વિના પાછ  નહીં જાય. આ ઘટના પછીનાં ૨૦ વર્ષ સુધી એ શાકભાજી વેચતી રહી. કાળજ  કઠણ કરીને બાળકોને અનાથાશ્રમમાં મૂકી દીધાં કે જેથી એમને સારું શિક્ષણ મળે. દીકરો અજય તેજસ્વી નિકળ્યો અને ડોક્ટર બન્યો. ટીપે ટીપે એકઠી કરેલી બચતમાંથી સુહાસિનીએ શરુઆતમાં નાની ડિસ્પેન્સરી ખોલી. થોડાં વર્ષોમાં 100 કરતાંય વધારે બૅડ તેમજ આધુનિક શસ્ત્રસરંજામ સાથેની હોસ્પિટલ ખડી થઈ ગઈ. અભણ સુહાસિનીએ પોતાની શપથ પાળી બતાવી!

અભણ ગરીબ માણસો જો આટલી હદે સામાજિક દાયિત્વ નિભાવી શકતા હોય તો સંપન્ન શિક્ષિત માણસ ધારે તો આ દિશામાં કેટલું બધું હાંસલ કરી શકે! આ પુસ્તક સહેજ પણ ઉપદેશ આપ્યા વગર વાચકમાં કમાલની પોઝિટિવિટી પેદા કરે છે, એને વિચારતો કરી મૂકે છે.  વાસ્તવમાં ૧૯૯૯૨૦૦૨ દરમિયાન દૂરદર્શન પર ‘કિરણ’ નામનો પાંચ જ મિનિટનો અવોર્ડવિનિંગ કાર્યક્રમ ટેલીકાસ્ટ થયો હતો. તેને ખૂબ સારો પ્રતિસાદ મળેલો. આ શોની સત્યકથાઓનું લિખિત સ્વરૂપ એટલે આ પુસ્તક. શોનું લાઘવ પુસ્તકમાં પણ સુંદર રીતે જળવાઈ રહ્યું છે. લાંબા લાંબા વર્ણનો નહીં, બિનજરૂરી લાગણીવેડા નહીં. સીધી ને સટ વાત અને ચોટદાર અસર. સૌરભ શાહે કરેલું ગુજરાતીકરણ એટલું સુંદર છે કે મૂળ લખાણ વધારે નિખરીને, વધારે પ્રભાવશાળી બનીને બહાર આવ્યું છે.

બજારમાં ઠલવાઈ રહેલાં પ્રેરણા અને ચિંતનનાં અસરહીન પુસ્તકો વચ્ચે ‘જીના ઈસી કા નામ હૈ’ તાજગીનો સુખદ અનુભવ કરાવે છે. બેશક, વાંચવા અને વંચાવવા જેવું પુસ્તક.    ૦૦૦


જીના ઈસી કા નામ હૈ 


લેખકઃ ઉમેશ અગ્રવાલ

 રજૂઆતઃ સૌરભ શાહ

પ્રકાશકઃ આર.આર. શેઠ એન્ડ કંપની
ફોનઃ (૦૭૯) ૨૫૫૦ ૬૫૭૩, (૦૨૨) ૨૨૦૧ ૩૪૪૧

કિંમતઃ  રૂ. ૮પ /

પૃષ્ઠઃ ૧૪૦


Sunday, January 22, 2012

ખ્વોબોં કા પરિંદા


 દિવ્ય ભાસ્કર -  રવિવાર પૂર્તિ - 
૧૫ જાન્યુઆરી ૨૦૧૨


સ્લગઃ મલ્ટિપ્લેક્સ


ટેલેન્ટેડ સિંગર મોહિત ચૌહાણ પહાડો વચ્ચે એક પ્રકારના અવસાદનો અનુભવ કેમ કરે છે? ઝંખનામાં પેદા થતો વિષાદ, કશુંક અગોચર તત્ત્વ જેને તમે જીવનમાં ક્યારેય હાંસલ કરી શકવાના નથી એનો વિષાદ...



સૌથી પહેલાં આ ગીતો મનોમન ગણગણી લો.  વિરહ અનુભવી રહેલા નાયકની લાગણીઓ વ્યક્ત કરતું ‘યે દૂરીયાં...’(લવ આજકલ), પ્રેમિકાને ભૂલવા મથતા પણ ન ભૂલી શકતા નાયકની વેદનાને વાચા આપતુંં ‘તૂઝે ભૂલા દિયા...’ (અંજાના અંજાની), નવા નવા પ્રેમમાં પડેલા હીરોની મીઠી મુંઝવણની વાત કરતું ‘અભી કુછ દિનોં સે’ (દિલ તો બચ્ચા હૈ જી), ભ્રષ્ટ તંત્ર સામે આક્રોશ વ્યક્ત કરતું ‘ખૂન ચલા’ (રંગ દે બસંતી), મુક્ત પંખી જેવા મસ્તીભર્યા મિજાજને ઝીલતું ‘મસકલી’ (દિલ્હી સિક્સ) અને વર્ષો પહેલાં ખૂબ લોકપ્રિય બનેલંું પેલું ઈન્ડિપોપ સોંગ ‘ડૂબા ડૂબા’....

આ તમામ ગીતોમાં એક વાત, રાધર, સૂર કોમન છે. આ બધાં ગીતો મોહિત ચૌહાણે ગાયાં છે. છેલ્લાં કેટલાંક વર્ષોમાં મોહિત હિન્દી ફિલ્મસંગીતમાં એક મહત્ત્વના પ્લેબેક સિંગર તરીકે ઊભર્યા છે. એમાંય એ. આર. રહેમાને કંપોઝ કરેલા ‘રોકસ્ટાર’નાં જબરદસ્ત ગીતો પછી એ એક નવી જ ઊંચાઈ પર પહોંચી ગયા છે. ડિરેક્ટર ઈમ્તિયાઝ અલી અને રહેમાને નક્કી કર્યુ હતું કે ફિલ્મમાં રણબીર કપૂરનો અવાજ એકધારો રહેવો જોઈએ. તેથી ફિલ્મનાં બધાં જ ગીતો એક જ ગાયક પાસે ગવડાવવાં, અલગ અલગ સિંગર પાસે નહીં. તેમણે આ મહત્ત્વાકાંક્ષી પ્રોજેક્ટ માટે મોહિત ચૌહાણ પર પસંદગી ઉતારી. બહુ મોટી જવાબદારી હતી આ, પણ મોહિતે તે બરાબર નિભાવી. ફિલ્મમાં રણબીરનું પાત્ર સંગીતની જન્મજાત પ્રતિભા ધરાવે છે. એ દિલથી ગાય છે, એણે સંગીતની કોઈ પદ્ધતિસર તાલીમ લીધી નથી. મોહિતનું પણ એવું જ છે. રોક્સ્ટરા જોર્ડન સાથે ખુદને એ આઈડેન્ટિફાય કરી શકતા હતા.

૩૮ વર્ષના મોહિતનું ખુદનું મ્યઝિક બેન્ડ હતું, સિલ્ક રુટ, જેનું ૧૯૯૮માં ‘બુંદેં’ નામનું પહેલું  પ્રાઈવેટ આલબમ બહાર પડ્યું હતું. એનું ‘ડૂબા ડૂબા’ ગીત ખાસ્સું ચગ્યું હતું. ૨૦૦૦માં ‘પેહચાન’ આલબમ આવ્યું. તેનાં પાંચ વર્ષ પછી ‘મૈં, મેરી પત્ની અૌર વો’ નામની ફિલ્મનું એક ગીત મોહિત કંપોઝ કર્યુ હતું અને ગાયું હતું. એના અવાજથી પ્રભાવિત થઈને એ. આર. રહેમાને એમને ‘રંગ દે બસંતી’ (૨૦૦૬)માં ચાન્સ આપ્યો અને  ‘ખૂન ચલા’ ગીત ઘણું વખણાયું. ત્યાર બાદ પ્રીતમે  એમની પાસે ‘જબ વી મેટ’ (૨૦૦૭) માટે એક ગીત ગવડાવ્યું જેના શબ્દો હતા ‘તુમ સે હી’. આ ગીત અને ફિલ્મ બન્ને હિટ થયાં અને મોહિતને બોલીવૂડના મેઈનસ્ટ્રીમ  પ્લેબેક સિંગર તરીકે વિધિવત સ્વીકૃતી મળી. તાજેતરમાં ‘પ્લેયર્સ’માં મોહિતે ‘દિલ યે બેકરાર ક્યૂં હૈ’ ગીત ગાયું છે.



‘પ્રીતમનું એવું એ છે કે ઘણી વાર એ ગીતના રેકોર્ડિંગ વખતે ગેરહાજર રહે અને એનો આસિસ્ટન્ટ કામ સંભાળી લે. ગીત રેકોર્ડ થઈ જાય પણી આસિસ્ટન્ટ પ્રીતમને ફોન પર ગીત સંભળાવે. ગીત ધ્યાનપૂર્વક સાંભળી લીધા પછી પ્રીતમ મને ફોન પર જ કહેશેઃ મોહિત, જો, તેં સરસ ગાયું છે, ફક્ત એન્ડમાં જરાક આ રીતે ફેરફાર કરવા જેવો લાગે છે, બાકી સબ સહી હૈ...’ પ્રીતમ સાથેના અનુભવની વાત કર્યા પછી મોહિત એક મુલાકાતમાં રહેમાન વિશે કહે છે, ‘રહેમાનની સેન્સ-ઓફ-હ્યુમર કમાલની છે. જોકે એ છે બહુ ઓછાબોલા. એ તમને ખૂબ મોકળાશ આપશે. ગીતમાં અણધાર્યા આરોહ-અવરોહ લાવશે. મ્યુઝિકના જુદા જુદા ટુકડાઓને એકમેેકમાં ભેળવતા રહેમાનને બહુ સરસ આવડે છે.’

મોહિતે જિંગલ્સ પણ ઘણાં ગાયાં છે.  પેરાશૂટ, વ્હીલ, મારુતિ ઓલ્ટો, નેસ્કેફે, વિક્સ વેપોરબ વગેરેની ટીવી એડ્સમાં હજુય મોહિતનો અવાજ સાંભળવા મળે છે. પાપી પેટ ખાતર ખાતર મોહિતે જિંગલ્સ ગાયાં હોય તે બરાબર છે, બાકી સંગીત પ્રત્યેના એમના અપ્રોચમાં પૂરી ગંભીરતા છે. એ કહે છે, ‘મારા માટે સંગીત સ્વયં એક પ્રકારનું સૂફીઝમ છે. હું બે કલાક સુધી એકધારો જેમિંગ કરતો હોઉં ત્યારે મારા દિમાગમાં સંગીત સિવાય બીજું કશું હોતું નથી (જેમિંગ અથવા તો જેમ સેશન એટલે સંગીતની એવી બેઠક જેમાં એક કરતાં વધારે ગાયકોસાજિંદાઓ વિશેષ પૂર્વતૈયારી વગર, સ્પોન્ટેનીયસલી સંગીત સર્જતા જાય અને ઈમ્પ્રોવાઈઝ કરતા જાય). મારા માટે આવી બેઠકો મેડિટેશનનો જ એક પ્રકાર છે.’

મોહિત હિમાચલ પ્રદેશના વતની છે. એ પહાડી માણસ છે. એ કહે છે, ‘હું પહાડો વચ્ચે હોઉં ત્યારે એક પ્રકારના અવસાદનો અનુભવ કરતો હોઉં છું. પહાડો મારામાં ઝીણો વિષાદભાવ પેદા કરે છે. ઝંખનામાંથી પેદા થતો વિષાદ, કશુંક અગોચર તત્ત્વ જેને તમે જીવનમાં ક્યારેય હાંસલ કરી શકવાના નથી એનો વિષાદ. એવું નથી કે પહાડો વચ્ચે હોઉં ત્યારે સતત મારા મનમાં આ લાગણી ઘૂમરાતી રહે છે, પણ સબ-કોન્શિયસ લેવલ પર ક્યાંક આ સૂક્ષ્મ પીડાનો અહેસાસ થતો હોય છે...’

ગાયકસંગીતકાર માણસને, નેચરલી, સંગીત રચવામાં જ સૌથી વધારે ખુશી મળે. મોહિત ચૌહાણ કહે છે, ‘હું ગાતો હોઉં છું ત્યારે સૌથી સુખી હોઉં છું. તે વખતે હું, હું હોઉં છું. હું કોઈ વાતથી અતિ આનંદિત પણ થતો નથી કે અતિ દુખી પણ થતો નથી. હું પહેલેથી જ આવો છું. ક્યારેક કોઈ વાતનું દુખ થાય પણ પાંચ-દસ મિનિટમાં પાછો નોર્મલ થઈ જાઉં અને કામે ચડી જાઉં.’

‘કમીને’ના ‘પહેલી બાર મહોબ્બત કી હૈ’ ગીત પછી વિશાલ ભારદ્વાજે પોતાની આગામી ફિલ્મ ‘માતૃ કી બીજલી કા મંડોલા’ માટે પણ મોહિત પાસે ગીતો ગવડાવ્યાં છે. આ ગીતો સાંભળવાની પ્રતીક્ષા રહેશે.

શો સ્ટોપર

મારું પેશન સંગીત નહીં, પણ કૂકિંગ છે. સંગીતથી તો હું ઓલરેડી પરિચિત છું. નવી વસ્તુ, અજાણ્યાં ક્ષેત્રો હંમેશાં સહેજ વધારે ઈન્ટરેસ્ટિંગ લાગતાં હોય છે.

- શંકર મહાદેવન (ગાયક - સંગીતકાર)