Monday, December 24, 2018

ગાંધીજીથી અંબાણીઃ વેવાઈની કક્ષા કેવી હોય?

દિવ્ય ભાસ્કર – કળશ પૂર્તિ – 19 ડિસેમ્બર 2018 
ટેક ઓફ
તમારે પાંચ વર્ષ સુધી એકમેકથી સંપૂર્ણપણે અંતર રાખવું પડશે. પત્રવ્યવહાર પણ કરવાનો નહીં. પાંચ વર્ષ પછી પણ જો તમારી એકબીજા પ્રત્યેની લાગણી અકબંધ હશે તો અમે તમારાં લગ્ન માનભેર કરાવી આપીશું.
Gandhiji and C.Rajagopalachari

ગ્નોની મોસમ પૂરબહારમાં ખીલી છે. માત્ર સેલિબ્રિટી દુલ્હા-દુલ્હનો જ નહીં, પણ એમના પિતાઓ અને વેવાઈઓ પણ એકાએક ન્યુઝમાં આવી ગયા છે. જેમ કે, મુકેશ અંબાણીએ પોતાના કરતાં નાના ઘરમાં દીકરી ઈશાને પરણાવી છે. મુકેશભાઈની મિલકતનો આંકડો 3,71,000 કરોડને સ્પર્શે છે, જ્યારે વેવાઈ અજય પિરામલની મિલકત મુકેશ અંબાણી કરતાં દસમા ભાગની છે - માત્ર   38,900 કરોડ રૂપિયા! ફોર્બ્સ મેગેઝિને તૈયાર કરેલાં ભારતના સૌથી ધનિક લોકોનાં લિસ્ટમાં મુકેશ અંબાણી પહેલા નંબરે છે, વેવાઈ ચોવીસમા નંબરે છે અને નાનો ભાઈ અનિલ અંબાણી 44મા નંબરે છે! 

દીપિકા પદુકોણના પપ્પા પ્રકાશ પદુકોણ ખુદ એક સેલિબ્રિટી છે. 1980માં તેઓ બેડમિન્ટનમાં વર્લ્ડ ચેમ્પિયન હતા. એમના વેવાઈ એટલે કે રણવીર સિંહના હેન્ડસમ પિતા  જગજિતસિંહ ભાવનાની સાદા બિઝનેસમેન છે. પ્રિયંકા ચોપડા ડોક્ટર માતા-પિતાની દીકરી છે. પ્રિયંકાના  સસરા  પૉલ જોનસ એક સમયે ચર્ચમાં સંગીત વગાડતા અને ગીતો પણ લખતા. જમાઈ નિક જોનસમાં પપ્પાના ગુણો આવ્યા છે. એ વાત અલગ છે કે પ્રિયંકાના શ્વસુરજી હાલ રિઅલ એસ્ટેટનું કામકાજ કરે છે અને એક મિલિયન ડોલરનું દેવું કરીને બેઠા છે.

આ તો થયા એકવીસમી સદીના વેવાઈઓ. આજે ગઈ સદીની એક અફલાતૂન વેવાઈ-જોડીની વાત કરવી છે. એ છે ગાંધીજી અને સી. રાજગોપાલાચારી. સ્વાતંત્ર્યસેનાની સી. રાજગોપાલાચારીની જન્મજયંતિ અને પુણ્યતિથિ બન્ને આ મહિનામાં પડે છે (જન્મઃ 10 ડિસેમ્બર 1878, મૃત્યુઃ 25 ડિસેમ્બર 1972). રાજાજી અથવા સી.આર.ના ટૂંકા નામે ઓળખાતા રાજગોપાલાચારીની એક પુત્રી લક્ષ્મી ગાંધીજીના સૌથી નાના દીકરા દેવદાસને પરણી હતી.

ગાંધીજી અને રાજાજી એકમેકના પ્રત્યક્ષ પરિચયમાં શી રીતે આવ્યા? 1919માં રાક્ષસી જલિચાંવાલા બાગ હત્યાકાંડનો ભારતમાં ઠેર ઠેર તેનો વિરોધ થઈ રહ્યો હતો. મદ્રાસમાં આ વિરોધ પ્રદર્શનની જવાબદારી રાજાજીએ લીધી હતી. ગાંધીજી સાથે રાજાજીની પહેલી મુલાકાત આ રીતે થયેલી, 1919માં. ગાંધીજીનું વ્યક્તિત્વ જ એવું પ્રચંડ હતું કે સાવ અદના માણસથી માંડીને પ્રખર બુદ્ધિજીવીઓ સુધીના સૌ કોઈ એમનાથી પ્રભાવિત થઈ જતા. રાજાજી પણ આમાં અપવાદ નહોતા.  રાજાજી પર ગાંધીજીએ એટલી તીવ્ર અસર છોડી કે એમણે વકીલાતને તિલાંજલિ આપી દીધી કે જેથી આઝાદીની લડતમાં  સંપૂર્ણ સમય અને શક્તિ ખર્ચી શકાય. 



રાજાજીએ હોમરૂલ આંદોલન અને અસહકાર આંદોલન એમ બન્નેમાં  ભાગ લીધો હતો. સરકારે ગાધીજીની ધરપકડ કરીને જેલમાં પૂર્યા ત્યારે યંગ ઇન્ડિયા સામયિકનું સંપાદનકાર્ય રાજાજીએ સંભાળી લીધું. અંગ્રેજ સરકારે પછી રાજાજીને પણ જેલમાં પૂર્યા. આ હતી એમને પહેલી જેલયાત્રા. ક્રમશઃ રાજાજીની ગણના ગાંધીજીના નિકટના શિષ્ય તરીકે થવા માંડી. જવાહરલાલ નેહરુ, સરદાર પટેલ અને રાજાજી  - આ ત્રિપુટી ગાંધીજીનાં મસ્તક, હૃદય અને હાથ તરીકે ઓળખાવા લાગી. કોઈપણ ગાંધીપ્રેમી માટે આ સ્તર પર પહોંચવું એ બહુ મોટી વાત ગણાય.

ગાંધીજી સાથેની રાજાજીની નિકટતા હવે અલગ કક્ષાએ પહોંચવાની હતી. ગાંધીપુત્ર દેવદાસની નજરમાં રાજાજીની દીકરી લક્ષ્મી વસી ગયેલી. લક્ષ્મીને પણ દેવદાસ પસંદ હતો. બન્ને પ્રભુતામાં પગલાં પાડવાં માગતાં હતાં. ગાંઘીજી રહ્યા ગુજરાતી વૈષ્ણવ વાણિયા, જ્યારે રાજાજી સાઉથ ઇન્ડિયન બ્રાહ્મણ.  આમ, આ લગ્ન માત્ર આંતરજ્ઞાતીય જ નહીં, આંતરપ્રાંતીય પણ ગણાય. બન્ને સમાજમાંથી વિરોધ થઈ શકે એમ હતો.  યાદ રહે, આ આપણે આજથી નેવું-સો વર્ષ પહેલાંના ભારતની વાત કરી રહ્યા છીએ. પરંતુ ગાંધીજી અને રાજાજી જેવા રાષ્ટ્રીય કક્ષાના નેતા નાત-પ્રાંતના બંધનોમાં થોડા પડે? તેમને સૌથી વધારે ફિકર એ વાતની હતી કે દેવદાસ એ વખતે 28 વર્ષના હતા ને લક્ષ્મી માંડ પંદરની હતી. તે જમાનામાં સગીર વયની દીકરીને પરણાવવી સામાજિક રીતે સ્વીકાર્ય ગણાતું હતું, પણ ગાંધીજી અને રાજાજીએ આવું પગલું ન ભર્યું.  

એમણે દેવદાસ અને લક્ષ્મીને પાસે બેસાડીને કહ્યુંઃ જુઓ, તમે લગ્નસંબંધથી જોડાઓ તેની સામે અમને કશો વાંધો નથી, પણ અમારી એક શરત છે. તમારે પાંચ વર્ષ સુધી એકમેકથી સંપૂર્ણપણે અંતર રાખવું પડશે. પ્રસંગોપાત મળવાનું પણ નહીં અને પત્રવ્યવહાર પણ નહીં. પાંચ વર્ષ પછી પણ જો તમારી એકબીજા પ્રત્યેની લાગણી અકબંધ હશે તો અમે તમારાં લગ્ન માનભેર કરાવી આપીશું. 

0 0 0 

No comments:

Post a Comment