Saturday, July 21, 2018

સંજુ, સંબંધ અને પસંદગીપૂર્વકનું સત્ય

સંદેશ – સંસ્કાર પૂર્તિ – 22 જુલાઈ 2018
મલ્ટિપ્લેક્સ
સંજુ ફિલ્મ જોવાની બહુ મજા આવે છે, પણ આખરે તો એ સંજય દત્તની સિલેક્ટિવ સ્મૃતિઓનો સગવડિયો સરવાળો છે. બ્રેઇન ટ્યુમરનો ભોગ બનેલી પ્રથમ પત્ની રિચા શર્માનાં પ્રકરણમાં જબરદસ્ત ઇમોશનલ પંચ છે, પણ તે સંજુના સેલેબસની બહારની વસ્તુ છે.   


સંજય દત્તે ખુદ સામેથી ડિરેક્ટર-રાઇટર રાજકુમાર હિરાણી અને એમના ધરખમ સાથીદાર અભિજાત જોશીને સામેથી બોલાવીને દિવસોના દિવસો સુધી પોતાના જીવનની રામકહાણી સંભળાવી હતી. આ અર્થમાં સંજુ ફિલ્મને તમે ઓથોરાઇઝ્ડ બાયોપિક કહી શકો. સંજયના જીવન પરથી ફિલ્મ બનાવવાનો પ્રસ્તાવ એની પત્ની માન્યતાએ મૂક્યો હતો. આ અર્થમાં આ ફિલ્મને તમે કમિશન્ડ પણ કહી શકો. શું સંજુને એક ઓથેન્ટિક બાયોપિક કહી શકાય? ઓથેન્ટિક એટલે વિશ્ર્વસનીય, સાચુકલું, જેન્યુઇન. આ સવાલ ફિલ્મ રિલીઝ થઈ ત્યારનો ચર્ચાઈ રહ્યો છે. પસંદગીપૂર્વકનું સત્ય સંપૂર્ણ કેવી રીતે હોવાનું? શોભા ડેએ  પ્રામાણિકતાપૂર્વક પોતાની આત્મકથાને સિલેક્ટિવ મેમરીઝ નામ આપ્યું છે. ચુંટેલી યાદો. સ્મૃતિઓનું બયાન ખરું,પણ બધી સ્મૃતિઓનું નહીં, અમુક જ. જે વર્તમાનને અન્કમ્ફર્ટેબલ ન બનાવે અને ભવિષ્ય પર ખતરો પેદા ન કરે માત્ર એવી યાદોના જ લેખાજોખા. સંજુ ફિલ્મ સંજય દત્તની સિલેક્ટિવ સ્મૃતિઓનો સગવડીયો સરવાળો છે.

આતંકવાદના એંગલને હાલ પૂરતો ન સ્પર્શીએ, અંગત જીવનની વાત કરતી વખતેય એની ગર્લફ્રેન્ડ્ઝને બાદ કરી નાખીએ (ફલાણી સાથે અફેર? ના રે, એ તો કેવળ અફવા હતી…ઢીંકણી સાથેનું પ્રેમપ્રકરણ? એ તો  ખાલી મિડીયાના ભેજાની પેદાશ હતી), ફાઇન, પણ કાયદેસર રીતે થયેલાં બબ્બે લગ્નો અને પ્રથમ પત્નીથી થયેલી સગી દીકરી સુધ્ધાંને ફિલ્મમાં કન્વિનીયન્ટલી ભુલી જવામાં આવ્યાં છે. રાજકુમાર હિરાણી કહે છે કે અમે ફિલ્મમાં એકાધિક અસલી પાત્રોને કમ્પ્રેસ કરી નાખ્યાં છે. જેમ કે, સંજય દત્તના ચારેક ખાસ દોસ્તોને ખંડણીમાં દસ્તા વડે ખાંડીને એ દ્વવ્યમાંથી એક દોસ્ત બનાવી નાખવામાં આવ્યો – કમલી. આવું પત્નીઓની બાબતમાં કરવામાં આવ્યું નથી તે સારું છે. માન્યતા દત્ત અહીં કેવળ માન્યતા દત્ત જ છે. એમાં પત્ની નંબર વન રિચા શર્મા અને પત્ની નંબર ટુ રિઆ પિલ્લૈના અંશો ઉમેરવામાં આવ્યા નથી.

ચાલીસીમાં પ્રવેશી ચુકેલા વાચકોને કદાચ રુપકડી રિચા શર્મા ચહેરેમહોરે યાદ હશે. તબુ અને રિચા શર્માએ કરીઅરની શરૂઆત એકસાથે કરી હતી, દેવ આનંદની હમ નૌજવાન (1985) ફિલ્મથી. દેવ આનંદે  દુનિયાભરમાંથી નવી નવી કન્યાઓને શોધીને હિન્દી સિનેમામાં હિરોઈન તરીકે લોન્ચ કરી છે. રિચાને એમણે છેક ન્યુ યોર્કમાંથી શોધી કાઢી હતી. હમ નૌજવાનફિલ્મમાં તો ખાસ કંઈ હરખાઈ જવા જેવું નહોતું, પણ રિચાની ગાડી ચાલી નીકળી. એ વખતે અનિલ કપૂર, જેકી શ્રોફ, સંજય દત્ત વગેરે પૂરા ત્રીસના પણ ન થયેલા હીરોલોગ સામે એને ફિલ્મો ઓફર થવા માંડી. રિચાની બીજી ફિલ્મ અનુભવ એ જમાનાની સેક્સ-કોમેડી હતી, જેમાં શેખર સુમન મુખ્ય હીરો હતા. રિચાની ગણીને પાંચ જ ફિલ્મો રિલીઝ થઈ છે. એની ગણના પ્રતિભાશાળી ન્યુકમર તરીકે ક્યારેય નહોતી થઈ. સંજય દત્ત સાથે એણે એક ફિલ્મ શરૂ કરેલી, પણ એ સંભવતઃ ક્યારેય રિલીઝ ન થઈ. આ ફિલ્મના મુહૂર્ત વખતે સંજયે મલ્ટિકલર્ડ ટોપ પહેરેલી રિચાને પહેલી વાર જોઈ હતી. દિલફેંક સંજયને રિચા ગમી ગઈ. રિચાને સંજય ગમી ગયો. એમની વચ્ચે રોમાન્સ શરૂ થયો. યાસર ઉસ્માન લિખિત સંજય દત્તઃ ધ ક્રેઝી અનટોલ્ડ સ્ટોરી ઓફ બોલિવૂડ્સ બેડ બોયમાં કહેવાયું છે એમ,કોઈ પણ સંબંધની શરૂઆતમાં સંજય સાતમા આસમાનમાં વિહરતો હોય, પણ જેવો થોડો સમય પસાર થાય એટલે ફૂગ્ગામાંથી હવા નીકળી જાય. પછી નવી ઘોડી નવો દાવ. જોકે રિચાના કિસ્સો જરા અલગ હતો. સંજયની અગાઉનીમોટા ભાગની ગર્લફ્રેન્ડ્ઝ, એના હિસાબે, ગણતરીબાજ અને લાલચુ હતી, પણ સરળ સ્વભાવની રિચા પર ભરોસો કરી શકાતો હતો.



રિચા ન્યુ યોર્કમાં વસતા પોતાના પરિવારને છોડીને ખાસ ફિલ્મોમાં કરીઅર બનાવવા માટે જ મુંબઈ આવી હતી. સંજય દત્ત આ હકીકત સારી રીતે જાણતો હતો, છતાંય એ ઇચ્છતો હતો કે જો મારી સાથે લગ્ન કરવાં હોય તો રિચાએ ફિલ્મલાઇનને તિલાંજલિ આપવી પડે. સ્ત્રી કરીઅર અને ઘર એકસાથે સંભાળી ન શકે એવું એનું માનવું હતું. રિચા આમેય ખાસ મહત્ત્વાકાંક્ષી નહોતી. એણે હા પાડી. સંજય તાબડતોબ ન્યુ યોર્ક રવાના થઈને રિચાનાં મા-બાપને મળ્યો. સંજય ડ્રગ્ઝનો મહાબંધાણી રહી ચુક્યો હતો એ હકીકતથી તેઓ વાકેફ હતાં. કયાં મા-બાપ આવા છોકરા સાથે પોતાની દીકરીને પરણાવવા તૈયાર થાય? પણ સંજય એમની સાથેખુલ્લા દિલે ચર્ચા કરી. તેઓ કન્વિન્સ થઈ ગયાં. ઓક્ટોબર 1987માં ન્યુ યોર્કમાં ધામધૂમથી સંજય-રિચાનાં લગ્ન લેવાયાં. એ વખતે સંજય હતો 28 વર્ષનો અને રિચા હતી ચોવીસની. સંજયનો પરિવાર ખૂબ ખુશ હતો કે ચાલો, આ વંઠેલ છોકરો આખરે ઠરીઠામ થયો ખરો.

લગ્નને હજુ વર્ષ પૂરું થાય એ પહેલાં સંજય-રિચા મમ્મી-ડેડી બની ગયાં. દીકરી ત્રિશલાના આગમનથી આનંદનો માહોલ ઔર ઘૂંટાયો. બેબલી ચાર મહિનાની થઈ ત્યાં રિચાને માથામાં ભયંકર સણકા ઉપડવાનું શરૂ થયું. ડોક્ટરી તપાસ કરાવી. નિદાન થયું કે રિચાને બ્રેઇન ટ્યુમર છે. મગજની ગાંઠ. મા નરગીસ કેન્સરનો ભોગ બન્યાં હતાં, તો હવે પત્ની રિચા બ્રેઇન ટ્યુમરનો શિકાર બની. અમેરિકામાં ઇલાજ સારી રીતે થઈ શકે એટલે રિચા નાની ત્રિશલાને લઈને પિયર જતી રહી. રિચા માતા-પિતા પાસે ત્રણ વર્ષ રહી.

લોન્ગ-ડિન્સન્સ મેરેજ યા તો રિલેશનશીપ ટકાવી રાખવા માટે બન્ને પાત્રોમાં ચારિત્ર્યની તાકાત જોઈએ, વફાદારી જોઈએ, સંબંધ પ્રત્યે નિષ્ઠા જોઈએ. સંજય દત્ત પાસેથી આવા બધા ગુણોની અપેક્ષા શી રીતે રાખી શકાય? એક બાજુ રિચા ભયાનક બીમારી સામે ઝઝૂમી રહી હતી અને આ બાજુ સંજય દત્ત અન્ય સ્ત્રી (અથવા સ્ત્રીઓ) પ્રત્યે આકર્ષાવા લાગ્યો. જો ફિલ્મી ગોસિપમાં સચ્ચાઈનો જરાક અમથો પણ અંશ હોય તો, સંજય દત્ત અને માધુરી દીક્ષિત સાથેનું અફેર આ જ અરસામાં શરૂ થયું હતું. આજકાલનાં સ્ટાર્સ નિખાલસપણે બધું કબૂલી લે છે,બાકી અગાઉના સિતારા મગનું નામ મરી નહોતા પાડતા. જોકે સંજય-માધુરીના પ્રેમસંબંધની વાતો એટલી ચગી હતી કે એમના ચાહકો સુધ્ધાં વિચારવા લાગ્યા હતા કે આ તો કેવું સ્વકેન્દ્રીપણું! આ તો કેવી બેજવાબદારી!માંદી પત્ની નાની દીકરીને સંભાળતાં સંભાળતાં મોત સામે જંગ ખેલી રહી છે ત્યારે પતિ કઈ રીતે આટલી હદે સંવેદનહીન બની શકે! અને માધુરીશું પ્રેમમાં એટલી અંધ થઈ ગઈ છે કે સારું-ખોટું સમજી શકતી નથી?

મુંબઈમાં લવની ભવાઈ ચાલતી હોય ત્યારે રિચાનો જીવ ન્યુ યોર્કમાં ન જ ચોંટે. પોતાના લગ્નજીવનને બચાવવા માટે એ દીકરી સાથે મુંબઈ આવી ગઈ. ઘરની ચાર દીવાલો વચ્ચે કોણ જાણે શું થયું કે પંદર દિવસમાં એ પાછી ન્યુ યોર્ક જતી રહી. એ તો સાજી થઈને પતિ અને પુત્રી સાથે સુખી જીવન જીવવા માગતી હતી, પણ એણે જોયું કે પતિદેવ હવે પોતાના નથી રહ્યા. એની જીજીવિષા કદાચ ત્યારે જ ખતમ થઈ ગઈ હતી. 1993માં સંજય દત્તે ડિવોર્સ ફાઇલ કર્યા. દીકરીની કસ્ટડી માટે કાનૂની દાવપેચ ખેલાવાનું શરૂ થયું. તન-મન-હૃદયથી તૂટી ગયેલી રિચાએ 1996માં પ્રાણ ત્યજી દીધા. મુંબઈ બોમ્બ બ્લાસ્ટ કેસમાં સંજય દત્તનું નામ સંડોવાયું હોવાથી શાણી માધુરીએ એની સાથેનો સંબંધ ક્યારનો કાપી નાખ્યો હતો. ત્રિશલા નાના-નાની પાસે મોટી થઈ. રિચાનાં મૃત્યુનાં બે વર્ષ પછી સંજય દત્તે રિયા મોડલ પિલ્લૈ સાથે લગ્ન કર્યાં. દસ વર્ષ બાદ,2008માં, સંજય-રિયાના ઓફિશિયલ ડિવોર્સ થયા. એ જ વર્ષે સંજયે સ્ટ્રગલિંગ એક્ટ્રેસ માન્યતા સાથે ત્રીજાં લગ્ન કર્યાં.

Sanjay Dutt with Richa Shanrma (left), Rhea Pillai (center) and daughter Trishala

આમાંનું કશું જ, અલબત્ત,‘સંજુ ફિલ્મમાં દેખાડવામાં આવ્યું નથી. અઢી-ત્રણ કલાકની ફિલ્મમાં શું લેવું ને શું ન લેવું તે નક્કી કરવાનો લેખક-દિગ્દર્શકને પૂરો હક છે જ, કબૂલ, પણ ઘટનાપ્રચુર જીવનમાંથી પ્રસંગોનું સગવડીયું સિલેક્શન થયું હોવાને કારણેસંજુ એક ઓથેન્ટિક બાયોપિકની ઊંચાઈ સુધી પહોંચવાને બદલે કેવળ ઓથોરાઇઝ્ડ કે કમિશન્ડ બાયોપિક બનીને રહી ગઈ છે.

0 0 0 


No comments:

Post a Comment