Wednesday, April 1, 2015

ટેક ઓફ : મૂર્ખોપનિષદ

Sandesh - Ardh Saptahik Purti - 1 April 2015
ટેક ઓફ 
"પુત્ર મૂર્ખ પાકે એના કરતાં એ જન્મતાંની સાથે જ સ્વર્ગે સિધાવી જાય તે વધારે સારું ગણાય, કેમ કે મૃત્યુ પામેલો પુત્ર થોડા સમય માટે જ પીડા આપે છે, જ્યારે મૂર્ખ આખું જીવન બાળતો રહે છે."

પ્રિલ ફૂલ્સ ડેનો સંબંધ નિર્દોષભાવે થતી બેવકૂફી સાથે છે, ગંભીર કક્ષાની મૂર્ખતા સાથે નહીં. કૂટનીતિજ્ઞા ચાણક્યને મૂર્ખતા સામે એટલો બધો વાંધો હતો કે આજે જો તેઓ જીવતા હોત તો કદાચ ફર્સ્ટ એપ્રિલની બિલકુલ નિરુપદ્રવી ઉજવણી પર પણ પ્રતિબંધ મુકાવી દીધો હોત. આશરે ૨૩૦૦ વર્ષ પહેલાં થઈ ગયેલા ચાણક્ય અતિ વિચક્ષણ વ્યક્તિત્વ હતું. એમના જેવો હાઈલી ઓપિનિએટેડ માણસ જડવો મુશ્કેલ છે. અમુક વિષયોમાં તેમનાં મંતવ્યો આજે આપણને આત્યંતિક લાગે છે. ખાસ કરીને સ્ત્રી વિશેના તેમના અમુક વિચારો ખૂબ આકરા લાગે એવા છે. આપણને થાય કે ચાણક્યને સ્ત્રીઓના એવા તો કેવા અનુભવો થયા હશે અથવા તો એમણે એવાં તો કેવાં નિરીક્ષણો કર્યાં હશે કે સ્ત્રીને એ આટલી નિમ્ન દૃષ્ટિએ જુએ છે. ખેર, ચાણક્યના જે વિચારો સાથે સહમત થઈ શકાતું ન હોય તેને બાજુ પર મૂકીને સિલેક્ટિવ રીડિંગ કરતાં જઈએ તો ચાણક્યનું નીતિશાસ્ત્ર આજે પણ પ્રસ્તુત લાગે છે. આવતી કાલે પણ લાગવાનું. વિરાટ પ્રતિભા ધરાવતા ઇતિહાસપુરુષના ડહાપણનું આ જ તો પ્રમુખ લક્ષણ છે. 
વાત મૂર્ખતા વિશે થઈ રહી હતી. ચાણક્યનીતિમાં મૂર્ખ વ્યક્તિ અને મૂર્ખતા વિશે કેટલાંય શ્લોક અથવા સૂત્ર છે. મૂળ સંસ્કૃત ઉક્તિ ટાંકવાને બદલે સીધા ભાવાનુવાદ જ જોઈએ. એક જગ્યાએ ચાણક્ય કહે છેઃ
"સાપ, રાજા, સિંહ, કીડા, બાળક, બીજાનાં કૂતરાં અને મૂર્ખ - આ સાત સૂતાં જ સારાં."
જેમ સાવજ, સાપ, અજાણ્યાં કૂતરાં અને જીવજંતુથી દૂર રહેવું જોઈએ તેમ રાજા (અથવા આધુનિક જમાનામાં બોસ) અને મૂર્ખ માણસથી પણ જેટલાં આઘા રહેવાય એટલું સારું. આ બધાં સૂતા હોય ત્યાં સુધી શાંતિ રહે છે, પણ જેવાં એ જાગીને સક્રિય થયાં કે માર્યા ઠાર. આ બધાં ટેમ્પરામેન્ટલ જીવ છે. ક્યારે શું કરી બેસે તે નક્કી નહીં. કજિયા કરી કરીને આખું ઘર માથે લેતું નાનું બાળક સૂતું હોય ત્યારે જ સ્વીટ લાગે છે!
"અગ્નિ, પાણી, સ્ત્રી, મૂર્ખ, સાપ અને રાજા સાથે નિકટતા ધરાવનારા સાથે સંબંધ બાંધતી વખતે સાવધાની રાખવી, કેમ કે આ છ તરત પ્રાણ હરી લઈ શકે છે."
કહે છેને કે આગ સાથે રમત ન કરાય. અજાણ્યા પાણીમાં ધુબાકો ન મરાય. ચાણક્ય કહે છે કે રાજા યા તો બોસના ખાસ માણસ સાથે દોસ્તી ટકી રહે ત્યાં સુધી બધું બરાબર છે, પણ જો એની સાથે વાંકું પડયું તો બોસ પાસે તમારા વિરુદ્ધ કાનભંભેરણી થઈ જ સમજો. મૂર્ખ માણસની મૂર્ખાઈ બીજા માટે જીવલેણ નીવડી શકે છે. ચાણક્ય આ લિસ્ટમાં સ્ત્રીને પણ ઉમેરે છે. અહીં સ્ત્રી એટલે કુટિલ અને તમારું સત્ત્વ હણી નાખે એવી હાર્મફુલ સ્ત્રી. કુટિલ અને હાર્મફુલ પુરુષથી પણ દૂર જ રહેવાનું હોય.
"માંસ ખાનારા, શરાબ પીનારા અને અભણ મૂર્ખાઓ જેવાં માનવ રૂપધારી પશુઓના ભારથી પૃથ્વી દુઃખી રહે છે."
માંસ-મદિરાના સખત વિરોધી ચાણક્યના મતે સ્વયં ધરતીમાતાને પણ મૂર્ખ માણસનો ભાર વેંઢારવામાં તકલીફ પડે છે! ઊંચા અને મહત્ત્વના પદે બુદ્ધિમાન વ્યક્તિ જ બેઠી હોય તે જરૂરી નથી. ક્યારેક નસીબનો બળિયો મૂરખો પણ સારી પોઝિશન પર ગોઠવાઈ જાય છે. એ તો ઠીક, એને સાચુંખોટું માનપાન પણ મળવા લાગે છે. તેથી જ ચાણક્ય કહે છે કે-
"જ્યાં મૂર્ખાઓનું સન્માન થતું નથી, ત્યાં અન્નના ભંડારને સુરક્ષિત રાખવામાં આવે છે અને જ્યાં સ્ત્રી-પુરુષ વચ્ચે ઝઘડા થતા નથી ત્યાં લક્ષ્મી સ્વયં પગલાં પાડે છે."
વ્યવસ્થિત ગોડાઉન ન હોવાને કારણે યા તો સંગ્રહ કરવાની પૂરતી વ્યવસ્થાના અભાવે અનાજ સડી જવાના કિસ્સા આપણે ત્યાં સતત બનતા રહે છે. આવી સ્થિતિમાં રિદ્ધિ-સિદ્ધિ કેવી રીતે આવે. પતિ-પત્ની એકબીજાને કમ્પેટિબલ હોય, એકબીજા પ્રત્યે જેન્યુઈન પ્રેમ અને આદર હોય તેમજ હૂંફાળી મિત્રતા જળવાઈ રહી હોય તો ઘર સુખ સમૃદ્ધિથી છલકાઈ જાય છે. અરે, સ્વર્ગ સ્વયં એડ્રેસ પૂછતંુ ઘરે પહોંચી જાય છે. સ્વર્ગમાં મૂર્ખનું કોઈ સ્થાન નથી. ચાણક્યને તો સ્વર્ગમાં તો ઠીક ઘરમાં પણ મૂર્ખની હાજરી મંજૂર નથી. કહે છે-
"એવી ગાયથી શો લાભ જે ન દૂધ આપે કે ન વાછડાં જણે. એવા પુત્રનો શો ફાયદો જે ન બુદ્ધિશાળી હોય કે ન ઈશ્વરનો ભક્ત હોય."
ચાણક્ય આગળ વધીને આકરું વિધાન કરી નાખે છે-
"પુત્ર મૂર્ખ પાકે એના કરતાં એ જન્મતાંની સાથે જ સ્વર્ગે સિધાવી જાય તે વધારે સારું ગણાય, કેમ કે મૃત્યુ પામેલો પુત્ર થોડા સમય માટે જ પીડા આપે છે, જ્યારે મૂર્ખ આખું જીવન બાળતો રહે છે."
કેવળ બીમારી નહીં, બીજી એવી ઘણી બાબતો છે જે ખબર ન પડે તેમ શરીરને અંદરથી ધીમે ધીમે ખતમ કરી નાખે છે. કઈ બાબતો?
"ખરાબ ગામમાં વાસ, નીચ કુળની સેવા, ખરાબ ભોજન, ઝઘડાળુ પત્ની, મૂર્ખ પુત્ર અને વિધવા પુત્રી - આ છ વગર આગે શરીરને બાળી નાખે છે."
અહીં ખરાબ ગામ એટલે ખરાબ લોકાલિટી. યાદ રહે, આ સૂત્રો સદીઓ પહેલાં લખાયાં છે કે જ્યારે વર્ણવ્યવસ્થા સજ્જડ હતી,ઊંચ-નીચના ભેદભાવ સંપૂર્ણ હતા અને સ્ત્રી-સ્વાતંત્ર્ય કે વિધવાવિવાહનો વિચાર પણ કરી શકાતો નહોતો. વિધવા પુત્રીની માફક મૂર્ખ પુત્રની ફિકર કરી કરીને બાપ અડધો થઈ જાય છે. અલબત્ત, સાવ એવુંય નથી કે મૂર્ખ માણસ સાથે ડીલ કરી જ ન શકાય.
"લોભીને ધનથી, ઘમંડીને હાથ જોડીને, મૂર્ખ સાથે એને અનુકૂળ વર્તન કરીને અને પંડિતને સચ્ચાઈથી વશમાં કરી શકાય છે."

આદર્શ સ્થિતિ તો એ છે કે મૂર્ખ સાથે ડીલ કરવી જ ન પડે. આવા માણસને છેટેથી જ નમસ્કાર કરી દેવા.
"મૂર્ખથી બચવું જોઈએ, કેમ કે ઉપરવાળાએ ભલે એને માણસનું શરીર આપ્યું, પણ મૂળ એ છે તો બે પગવાળું જનાવર જ. જેમ કાંટા અંધ વ્યક્તિના પગમાં ખૂંચે છે તેમ મૂર્ખ વ્યક્તિનાં વેણ પણ સામેની વ્યક્તિને ખૂંચી જાય છે."
સ્વામી સચ્ચિદાનંદે 'ચાણક્યની રાજનીતિ' નામનું સુંદર પુસ્તક લખ્યું છે. શાસકે અથવા રાષ્ટ્રનેતાએ કઈ રીતે શાસન ચલાવવું એ મુદ્દો તેના કેન્દ્રમાં છે. (આ પુસ્તક સ્વામીજીએ નરેન્દ્ર મોદીને અર્પણ કર્યું છે!) અહીં પણ ચાણક્યના આ જ ઢાળનાં કેટલાંક સૂત્ર નોંધાયાં છે. જેમ કે-
"મૂર્ખાઓ ન કહેવા જેવી વાતને ગમે ત્યારે ગમે તેની પાસે બોલી નાખે છે."
મૂર્ખ માણસને બોલવાનું ભાન હોતું નથી. કોઈએ એના પર ભરોસો મૂકીને બહુ જ અંગત વાત કહી હોય તો પણ એ બીજાઓ સામે બકી નાખે છે. મૂર્ખ માણસમાં સંવેદનશીલતાની પણ કમી હોય છે. એના કડવાં વેણ સામેવાળાને ખૂંચી જાય છે. સાચી વાત કડવી લાગે તે એક વાત છે, જ્યારે મૂર્ખ માણસ દ્વારા અણઘડ રીતે ફેંકવામાં આવેલી સાવ ખોટી વાતોથી આકળવિકળ થઈ જવું તદ્દન જુદી બાબત છે. તેથી જ ચાણક્યે કહ્યું છે કે નાસ્ત્યધીમતઃ સખા. અર્થાત્ મૂર્ખને કોઈ મિત્ર નથી હોતો. એની સાથે દલીલબાજી કરવાનો પણ કોઈ મતલબ નથી.
"જ્ઞાાની, મૂર્ખ, મિત્ર, ગુરુ અને સ્વામી સાથે વિવાદ કરવો નહીં." 
જ્ઞાાની માણસ અને આપણને જ્ઞાાન આપનાર ગુરુ સાથે ચર્ચા કરી શકાય,પણ જો વિવાદ કરવા બેસીએ તો આપણે જ નાદાન દેખાઈએ. દલીલબાજી ક્યારેક અતિ ઉગ્ર સ્વરૂપ ધારણ કરી લે છે. એનાથી મૈત્રીમાં તિરાડ પણ પડી શકે છે. મૂર્ખ સામે ગમે તેટલી આર્ગ્યુમેન્ટ કરીશું, હાર તો આપણી જ થવાની છે. હવે આજનું છેલ્લું ચાણક્ય સૂત્રઃ
"મૂર્ખાઓ દાન પણ કકળીને આપે છે."
આવા દાનનો શો મતલબ? પોતાનો ને સામેના માણસનો જીવ બાળીને દાન આપવા કરતાં દાન ન દેવું સારું. એનાથી કોઈનું ભલું થતું નથી. આવા મહામૂર્ખ લોકો સાથે ક્યારેય પનારો ન પડે એવી પ્રાર્થના અને આજનો એપ્રિલ ફૂલનો આખો દિવસ હસતાંરમતાં વીતે એવી કામના!
0 0 0 

1 comment: