Tuesday, June 25, 2013

ટેક ઓફ : જ્યારે કાચની બારી પર વરસાદ આંગળીનાં ટેરવાંથી સંદેશા લખી જતો હતો....


Sandesh - Ardh Saptahik Purti - 26 June 2013

Column: ટેક ઓફ 

પ્રેમનો અભાવ અને આત્મીયતાની ગેરહાજરી ભયાનક એકલતા જન્માવી દે છે. કદાચ જીવી શકાય છે આ અભાવો વચ્ચે. જીવી જવું પડે છે સમાધાનો કરીનેમનને ફોસલાવીનેઅપેક્ષાઓને ઠારીનેઊર્મિઓને બાળીને.



ચોમાસું કેવળ રોમાન્સની ઋતુ છે? વરસતા વરસાદને કારણે આપણાં મસ્તિષ્કમાં ફક્ત 'હેપી હોર્મોન્સ' જ સતેજ થાય છે? કે પછી, આ મોસમમાં એવા 'કેમિકલ લોચા' પેદા થઈ જાય છે જેના લીધે વિષાદ તીવ્રથી તીવ્રતર બનતો જાય છે? કદાચ આ બન્ને વિકલ્પો સાચા છે. આ બન્ને સ્થિતિઓ આપણા મનોભાવ પ્રમાણે આકાર બદલાવ્યા કરે છે.
ગુલઝારે એક ખૂબસૂરત કવિતા લખી છે, જેમાંથી વરસાદનાં ટીપાંની સાથે વિષાદ અને એકલતા પણ ટપકે છે. તાજેતરમાં મૃત્યુ પામેલા સત્ત્વશીલ બંગાળી ફિલ્મમેકર ઋતુપર્ણા ઘોષે પોતાની હિન્દી ફિલ્મ 'રેઇનકોટ'માં આ કવિતાનો અસરકારક ઉપયોગ કર્યો હતો. વરસાદી દિવસ છે. પરિણીત નાયિકાના ઘરે એનો ભૂતપૂર્વ પ્રેમી આવી ચડયો છે. નાયિકા દુખિયારી છે, નાયક પણ ઉદાસ છે. હવામાં તૂટી ગયેલા, અધૂરા રહી ગયેલા પ્રેમસંબંધના અવશેષોનો ભાર છે. બેકગ્રાઉન્ડમાં ગુલઝારના ખુદના મખમલી મર્દાના અવાજમાં આ કવિતા રેલાતી રહે છે.
કિસી મૌસમ કા ઝોંકા થા,
જો એક દીવાર પર લટકી હુઈ
તસવીર તીરછી કર ગયા થા.
ગયે સાવન મેં યે દીવારેં યૂં સીલી નહીં થી,
ન જાને ક્યોં ઈસ દફા ઇન મેં સીલન આ ગઈ હૈ.
દરારેં પડ ગઈ હૈ,
ઔર સીલન ઇસ તરહ બઢતી હૈ જૈસે,
ખુશ્ક રુખસારોં પે ગીલે આંસુ ચલતે હૈં.

દીવાલ પર એક તસવીર લટકી રહી છે, જે હવાને કારણે ત્રાંસી થઈ ગઈ છે. વરસાદના પાણીને કારણે દીવાલોને ભેજ લાગી ગયો છે. એના પર ધાબાં દેખાય છે. કવિ પૂછે છે કે ગયા વરસે તો દીવાલો ઠીકઠાક હતી, તો પછી આ વખતે કેમ તિરાડો પડી ગઈ?કેમ એના પર ભીનાશ છવાઈ ગઈ? આ ભેજ પાછો વધતો જાય છે. ધાબાં મોટાં થતાં જાય છે. કેવી છે દીવાલની ભીનાશ? સુક્કા ચહેરા પર આંસુ રેલાયાં હોય એવી. મન ઉદાસ હોય ત્યારે વીતેલા સમયનું સુખ યાદ આવ્યા કરે છે. અલબત્ત, આ સ્મરણ દર વખતે હોઠ પર સ્મિત નથી લાવતું, એ શૂળ બનીને ચુભ્યા કરે છે મનને. ખરેખર, ગયા ચોમાસાની વાત જ અલગ હતી, કારણ કે ગઈ મોસમમાં તો...
યે બારિશ ગુનગુનાતી થી ઇસ છત કી મુંડેરોં પર,
યે ઘર કી ખિડકિયોં કે કાચ પર ઉંગલી સે
લિખે જાતે થે સંદેશે.



 કેટલી સુંદર કલ્પના. ગયા વર્ષે વરસાદ મીઠું મીઠું ગણગણતો હોય તેમ અગાસીની પાળી પર ઝીણું ઝીણું વરસ્યા કરતો હતો અને કાચની બારી પર આંગળીનાં ટેરવાંથી સંદેશા પણ લખી જતો હતો... અને હવે?
ગિરતી રહતી હૈ બારિશ બૈઠી હુઈ અબ બંદ રોશનદાનોં કે પીછે,
દોપહરેં ઐસી લગતી હૈ,
બિના મુહરોં કે ખાલી ખાને રખે હૈં.
ના કોઈ ખેલને વાલા હૈ બાઝી,
ઔર ના કોઈ ચાલ ચલતા હૈ.

આ વખતે છે તો કેવળ ખાલીપો. ક્યારેય ન ખૂલતી બારીઓની પાછળ વરસાદ એકલો એકલો વરસ્યા કરે છે. નથી કોઈ સ્પંદનો જાગતાં, નથી કોઈ ચેતના પ્રગટતી. રોજ ચોપાટની ખાલી બાજી જેવી અર્થહીન બપોર ઊગે છે. માત્ર બપોર નહીં, બધું જ અર્થહીન અને ઉષ્માહીન બની ગયું છે. સાર્થકતાની સભર લાગણી વગર, પ્રિયજનની હૂંફ વગર જીવન કેટલું ભેંકાર બની જાય. વધારે પીડાદાયી વાસ્તવ ત્યારે સર્જાય છે જ્યારે ઘરમાં પોતાનું માણસ હોય, પણ પ્રિયજન કે સ્વજન બની શકવાની એનામાં ક્ષમતા ન હોય. એની સાથે કોઈ સંવાદ થઈ શકતો ન હોય, એની સાથે કોઈ સંધાન શક્ય ન હોય. એટલેસ્તો હવે એવી પરિસ્થિતિ આવી ગઈ છે કે...
ના દિન હોતા હૈ અબ ના રાત હોતી હૈ,
સબ કુછ રુક ગયા હૈ.
વો ક્યા મૌસમ કા ઝોંકા થા?
જો ઇસ દીવાર પર લટકી હુઈ તસવીર
તીરછી કર ગયા હૈ?

હવે દિવસ ઊગતો નથી, રાત પડતી નથી. બધું જ સ્થગિત થઈ ગયું છે. જીવન એક બિંદુ પર અટકી ગયું છે. ખુદનું હોવાપણું પણ. ગુલઝાર સાશંક થઈને છેલ્લે પ્રશ્ન પૂછી લે છેઃ શું દીવાલ પરની પેલી તસવીર સાચ્ચે જ ખરેખર પવનની લહેરખીને કારણે ત્રાંસી થઈ ગઈ છે? ખરેખર? કે પછી...


પોતાના સંતુલનબિંદુ પરથી હલી ગયેલી તસવીર જીવનનું પ્રતીક છે. આ મઢાવેલા ફોટોગ્રાફની જેમ જિંદગી પણ પોતાની સ્વાભાવિક ભ્રમણકક્ષામાંથી ચલિત થઈ ગઈ છે. પ્રેમનો અભાવ અને આત્મીયતાની ગેરહાજરી ભયાનક એકલતા જન્માવી દે છે. કદાચ જીવી શકાય છે આ અભાવો વચ્ચે. જીવી જવું પડે છે. સમાધાનો કરીને, મનને ફોસલાવીને, અપેક્ષાઓને ઠારીને, ઊર્મિઓને બાળીને. સમયના પ્રવાહમાં જીવનને વહેતું મૂકી દેવું પડે છે. વર્તમાન અને વાસ્તવ સાથે દોસ્તી કરી લેવી પડે છે, પણ અચાનક આકાશમાંથી પાણીની ધારાઓ છૂટે છે અને જેને માંડ માંડ સમજાવવાનો પ્રયત્ન કરતા હતા એ મન પાછું ઉદાસ થઈ જાય છે. વરસાદી મોસમ જીવનમાં જે કંઈ નથી એનો અહેસાસ તીવ્ર બનાવી મૂકે છે.
ચોમાસું આ વખતે શું લાવ્યું તમારા માટે? વરસતો રોમાન્સ કે વીંધી નાખતો વિષાદ?    

0 0 0

4 comments:

  1. Excellent article. The feelings are rightly conveyed in the poem of Gulzar & your article!

    ReplyDelete
  2. kyarek aa be vchhe ni y fellng ave che sirji..

    ReplyDelete
  3. shishirbhai,
    aatmyiata ane abhavni vachheni paristhitima lagnine samajvi ghani mushkel hoy chhe. lekh saras chhe.

    ReplyDelete