Friday, April 6, 2012

બળકટ બોલી... કસદાર કવિતા


                                                                      ચિત્રલેખા - અંક તા. ૧૬ એપ્રિલ ૨૦૧૨ 
કોલમઃ વાંચવા જેવું 


                                                                                 
થોડા મહિના પહેલા કેરળના શ્રી પદ્મનાભસ્વામી મંદિરમાંથી ગણ્યો ગણાય નહીં અને વીણ્યો વીણાય નહીં એટલો અઢળક ખજાનો જડી આવ્યો હતો, યાદ છે? કોઈને કલ્પના સુધ્ધાં નહોતી કે સોળમી સદીનું આ સાધારણ દેખાતું મંદિર આટલી બધી સમૃદ્ધિ સાચવીને બેઠું હશે.

‘મસ્ત કલંદર’ પાલણપુરીનું આ ‘પાલણપુરી બોલીકા બગીચા’ પુસ્તક વાંચશો તો તમારા મનમાં કંઈક આવી જ લાગણીની સાથે સવાલ પણ જાગશેઃ આપણા જ ગુજરાતની આ  લોકબોલી આટલી બળકટ કવિતા પેદા કરી શકતી હશે એની અત્યાર સુધી ખબર કેમ ન પડી! અહીં મજા એકલી લોકબોલીનો નહીં, કવિના કૌવતની પણ છે. આ પુસ્તક હાથમાં લેશો એટલે જીવન, માનવપ્રકૃતિ, સંબંધો, સામાજિક વિસંગતિ, રાજકીય પરિસ્થિતિ, રમૂજ અને એવા તો કેટલાય ઈલાકામાંથી આપોઆપ પરિભ્રમણ થતું જશે અને પાલનપુરની માટીની ખુશ્બુ મનને તરબતર કરતી જશે.

 કેવો છે આ કળિયુગ? કેવી છે આ દુનિયા? કવિનું એક ઘા ને બે કટકા જેવું વર્ણન સાંભળોઃ


તેજ છુરી   ધાર હે દુનિયોં
ભાઈ! ઘણી મક્કાર હે દુનિયોં.

કોંમ પળે તો કોંમ નો આવે
મતલબ મેં હુંશિયાર હે દુનિયોં.

ભીતર ઈસકે લાઈ બલે હે
બાર સી ઠંડી ગાર હે દુનિયોં.

શું જમાનો બદથી બદતર થઈ રહ્યો છે?

લાજ સરમ કૂં રખદેગા જે નેંવો પર
ખાટેગા એ મોંન આ દુનિયોં દેખેગી

સીધે સાદે મોંણસ મૂરખ વાજીંગે
વિકરીંગે બેઈમોંન આ દુનિયોં દેખેગી 




વિકરીંગે એટલે વકરશે. આવા કપરા સમયમાં એક સીધોસાદો માણસ કેવી રીતે જીવે? કવિ સલાહ આપે છેઃ

જે નિફ્ફટ હેં, હરોંમી હેં, જે ગરજૂ હેં ને જૂઠેં હેં
તેરા તંબૂ ઈનોં સી દૂર તોંણીજે ભલા મોંણસ.

ખરેખર, પૈસા માટેની ઘેલછા આદમીને બરબાદ કરી નાખે છે. જોકે જીંદગી ધૂણધાણી કરવાનું કામ કર્કશા પત્ની પણ સરસ રીતે કરી આપતી હોય છે! સાંભળોઃ

એ ભાઈ! જિસકા નોંમ હેં પૈસોંકી હાયહાય!
દુનિયો મેં નીં હેં કોઈ દવા ઈસકી ખાજકી.

મોલા! તૂં એ ગરીબકે બખ્શીજે સઊ ગુને
જિસકૂં મિલી હૈ બાઈળી ભૂંડે મિજાજકી.



કોઈ અળવીતરી નાર તો પોતાનો આદમી આડાટેઢા રસ્તેથી  પૈસા કમાય તોય ગર્વ અનુભવતી હોય છે!

સટ્ટે જુર સી કે મિલેં લોંચ સી અપણ
રુપિયે મિયોં કમોંય હેં, બીબી કૂ નાજ હેં. 

મોટા ભા થઈએ એટલે સમાજમાં વાહવાહી તો થાય, પણ ખબરદાર ગુમાન કર્યું છે તો! કારણ?

રાવણ કેવા જોરાવર થા દસદસ માથોંવાલા
રોંમને રેતૂમેં રગદોલા કરનાખા મૂં કાલા
સીરા કરનેં ગિયા એ મૂરખ! હો ગઈ ઉસકી થૂલી
તૂ કઈ વાળીકી મૂલી? 

આ ગઝલોમાં પ્રેમના અર્થહીન ટાયલાં નથી, પણ સચોટ નિરીક્ષણો છે, જિંદગીના ખાટામીઠા અનુભવો અને કિસ્મતની કઠણાઈઓમાંથી પસાર થયા પછી જ ખીલી શકે એવી સૂક્ષ્મ જીવનદષ્ટિ છે અને ચાબૂક જેવી અભિવ્યક્તિ છે. મારવાડી, સિંધી, ગુજરાતી અને ફારસીના અપભ્રંશ શબ્દોના મિશ્રણ જેવી આ બરછટ બોલીમાં કવિ સોંસરું લક્ષ્યવેધ કરી શક્યા છે.

‘મસ્ત કલંદર’ પાલણપુરી ઉર્ફ મુસાફિર પાલણપુરી ‘ચિત્રલેખા’ને કહે છે, ‘પાલણપુરી બોલીના આદિકવિ લશ્કરખાન બલોચની રચનાઓ હું નાનપણથી સાંભળું. એનાથી પ્રભાવિત થઈને મેં કવિતા લખવાનું શરૂ કર્યું. ભારતમાં હજારો લોકબોલી છે, પણ જેમાં કવિતા થઈ શકે એવી લોકબોલી જૂજ છે. મજાની વાત એ છે કે ગઝલના પ્રચલિત છંદોને પાલણપુરી બોલીમાં સરસ રીતે ઉતારી શકાય છે.’

ઉંમર ખૈયામની ફારસી રુબાઈઓને પાલણપુરી બોલીમાં ઢાળીને કવિએ સરસ કામ કર્યું છે. કવિ બધું કેવળ વક્રદષ્ટિથી જ જુઌણુ૧ે છે એવું નથી, એ મજાનું હ્યુમર પણ પેદા કરી જાણે છે. ઉદાહરણ તરીકે, આ ઉખાણુંઃ

સીધા હોય તો સુન્નેં જેવા ઊંધા સાવ કસાઈ 
 લાખોં મેં કોઈ રૂડા નિકલે બોલો એ કુંણ ભાઈ?

 સુન્ને જેવા એટલે સોના જેવા. જવાબ છે, જમાઈ!

 પાલણપુરી બોલીના આ બગીચામાં ધરાઈને સમય વ્યતીત કરવા જેવો છે. આ બોલી આમ તો સ્વયંસ્પષ્ટ છે, પણ છતાંય હવે પછીની આવૃત્તિમાં અમુક અઘરા લાગતા શબ્દોના અર્થ ફૂટનોટ તરીકે મૂકાય તો બગીચો ઓર રળિયામણો બનશે.

૦ ૦ ૦


પાલનપુરી બોલીકા બગીચા

કવિઃ ‘મસ્ત કલંદર’ પાલણપુરી

 પ્રકાશકઃ સુકૂન પબ્લિકેશન, ‘સુકૂન, જૂના ડાયરા, સલીમપુરા પાસે, પાલનપુર  ૩૮૫૦૦૧

ફોનઃ (૦૨૭૪૨) ૨૬૩૬૭૭

કિંમતઃ  રૂ. ૧૦૦ /

પૃષ્ઠઃ ૧૭૮


3 comments:

  1. મારું હાળું જોરદાર લાયા હો!.
    Nice & Unique way.

    ReplyDelete
  2. શિશીર ----આંગણાની આમલીના સ્વાદ જેવી કવિતાનાં પરિચય માટે ખૂબ ખૂબ આભાર-

    ReplyDelete