Tuesday, August 30, 2016

‘કવિ' શબ્દ હવેથી અમે જાળવીને વાપરીશું...

સંદૃેશ - અર્ધસાપ્તાહિક પૂર્તિ - બુધવાર  - 3૧ ઓગસ્ટ  ૨૦૧૬ 

ટેક ઓફ

રવીન્દ્રનાથ ટાગોર અને ઝવેરચંદ મેઘાણી ભલે સમકાલીન ગણાય, પણ ઉંમરમાં મેઘાણી કરતાં ટાગોર ૩૫ વર્ષ મોટા. મેઘાણી પર કવિવરનો કેવો પ્રભાવ હતો? આ બન્ને શબ્દસ્વામીઓ વચ્ચે સંબંધ કેવી  રીતે સ્થપાયો અને વિસ્તર્યો હતો? 


ઝવેરચંદ મેઘાણી

ભારતના બે ઉત્તમોત્તમ સાહિત્યપુરુષોનાં જન્મ-મૃત્યુદિન ઓગસ્ટ મહિનામાં પડે છે. રવીન્દ્રનાથ ટાગોરનો મૃત્યુદિન ૭ ઓગસ્ટ હતો, જ્યારે ઝવેરચંદ મેઘાણીનો જન્મદિન હજુ ત્રણ દિૃવસ પહેલાં જ ગયો - ૨૮ ઓગસ્ટ. ટાગોરે ૮૦ વર્ષની ભરપૂર ઉંમરે દૃેહ છોડ્યો હતો.  એમના અવસાન બાદ છ વર્ષે, ૧૯૪૭માં, મેઘાણીનુ નિધન થયું.

(નોંધઃ આજના 'સંદેશ' અખબારમાં છપાયેલા આ લેખમાં હકીકતદોષ રહી ગયો છે. 28 ઓગસ્ટનો ઉલ્લેખ મેઘાણીના જન્મદિનને બદલે મૃત્યુદિન તરીકે થયો છે. સ્લિપ-ઓફ-પેન  (અથવા કી-બોર્ડ) આને જ કહેતા હશે. ક્ષમસ્વ.)  

આ બન્ને શબ્દૃસ્વામીઓ ભલે સમકાલીન ગણાય, પણ ઉંમરમાં મેઘાણી કરતાં ટાગોર ૩૫ વર્ષ મોટા. મેઘાણી પર કવિવરનો કેવો પ્રભાવ હતો? તેમની વચ્ચે કેવી રીતે પ્રત્યક્ષ સંબંધ સ્થપાયેલો અને વિકસેલો? આ સવાલોના જવાબમાં ઝવેરચંદૃના પૌત્ર પિનાકી મેઘાણીએ તારવેલી વિગતો ખરેખર માણવા જેવી છે.
ઝવેરચંદૃ મેઘાણીના મોટા ભાઈ કલકત્તામાં સ્થાયી થયા હતા. તેઓ બીમાર પડતા બાવીસ વર્ષના જુવાનજોધ મેઘાણીએ ૧૯૧૮માં ઓિંચતા કલકત્તા જવું પડેલું. રોકાણ લંબાતા જીવણલાલ એન્ડ કંપની નામની એલ્યુમિનિયમનાં વાસણો બનાવતા કારખાનામાં કામ કરવા લાગ્યા. રસ્તાઓ પર ફરતા હોય ત્યારે એમની આંખો દૃુકાનોના સાઈનબોર્ડ્સ પર સરકતી રહે. બંગાળી અક્ષરો સાથે પરિચય કેળવાતો ગયો. સભાનતાપૂર્વક બંગાળી ભાષા શીખવાનું શરુ કર્યુ. ક્રમશ: બંગાળી સાહિત્યના સીધા સંપર્કમાં આવવાનું થયું. કવિવર રવીન્દ્રનાથ ટાગોર અને તેમના સાહિત્ય પ્રત્યે આદૃરભાવ કેળવાવો સ્વાભાવિક હતો.

મેઘાણીની સર્વપ્રથમ પ્રકાશિત પુસ્તક ‘કુરબાનીની કથાઓ'ના મૂળમાં ટાગોર જ છેને. ૧૯૦૦મા ટાગોરનું ‘કથા ઉ કાહિની' નામનું પુસ્તક પ્રગટ થયેલું. તેમાં એમણે શીખ, રાજપૂત, બૌદ્ધ, મરાઠા નરબંકાઓના સ્વાર્પણ તેમજ ત્યાગને ઉજાગર કરતા કથાગીતો લખ્યાં હતાં. મેઘાણીએ એમાંથી અઢાર ચોટદૃાર ઘટનાઓ પસંદૃ કરી, તેને ગદ્ય સ્વરુપમાં આપી, ‘કુરબાની કથાઓ'માં સંગ્રહિત કરી. ટાગોરનું ઋણ સ્વીકારતાં મેઘાણીએ લખ્યું છે: ‘આ મારું પહેલું પુસ્તક છે એટલું જ કહેવું બસ નથી. આ પુસ્તકે મારા માટે વાચકજગતમાં અજવાળું કરી આપ્યું એ ગુણ હું કેમ ભુલી શકું?'

Meghani with Nandlal Bose


ટાગોર અને મેઘાણીનો સૌથી પહેલો વ્યવસ્થિત મેળાપ કલકત્તામાં નહીં, પણ મુંબઈમાં થયો હતો, ૧૯૩૩માં. કવિવરના અંતરંગ સાથી અને વિખ્યાત ચિત્રકાર નંદૃલાલ બોઝે ખાસ ભલામણ કરેલી: ઝવેરચંદૃ મેઘાણીને મળીને ગુજરાતના લોકસાહિત્યનો આસ્વાદૃ ખાસ માણવા જેવો છેે! ટાગોરના ગુજરાતી શિષ્યો બચુભાઈ શુકલ અને પિનાકીન ત્રિવેદૃીએ મુલાકાત ગોઠવી. નિર્ધારિત દિૃવસે સવારના સાડાસાત વાગે ફોર્ટ સ્થિત સર દૃોરાબજી ટાટા પેલેસમાં ઉતરેલા ટાગોરને મળવા મેઘાણી પહોંચી ગયા. મુલાકાત માટે માંડ અડધો કલાક ફાળવવામાં આવેલો, પણ આટલા ઓછા સમયમાંં મેઘાણીની ધોધમાર પ્રતિભા કેવી રીતે ઝીલાય? ગુજરાતના લોકસાહિત્ય, લોકજીવન અને લોકસંસ્કૃતિની શૌર્ય-શૃંગારથી ભરપૂર વાતો તેમજ લોકગીતોની મેઘાણીએ એવી તો રમઝટ બોલાવી કે ટાગોર પ્રસન્ન થઈ ગયા. મેઘાણીએ ગુજરાત અને બંગાળનાં લોકગીતોની તુલનાત્મક વાતો પણ કરી. ટાગોર ઝુમી ઉઠ્યા. સપાટામાં દૃોઢ કલાક વીતી ગયો.

બે સાચા સાહિત્યસંગીઓનો સંવાદૃ સોળે કળાએ ખીહ્લયો હતો બરાબર તે જ વખતે તેજલિસોટા જેવી એક માનુની  પ્રગટ થઈ. એ હતાં સરોજિની નાયડુ. કવિવરે એમને નવ વાગ્યાનો સમય આપેલો. મુલાકાત-ખંડમાં જે પ્રકારનો માહોલ છવાયેલો હતો તેના પરથી સરોજિની નાયડુ તરત પરિસ્થિતિ કળી ગયાં. એમણે કહ્યું, ‘આવી રસભરી ગોઠડીમાં ભંગ પાડતા મારો જીવ ચાલતો નથી. મારો સમય હું મેઘાણીને ફાળવું છું!' જતાં જતાં તેઓ ભલામણ સુધ્ધાં કરતાં ગયાં કે મેઘાણીને તો ખુદૃ ગાંધીજીએ ‘રાષ્ટ્રીય શાયરનું બિરુદૃ આપ્યું છે એટલે ગુરુદૃેવ, મેઘાણી પાસેથી એમણે રચેલાં દૃેશપ્રેમનાં ગીતો ખાસ સાંભળજો!

બોલપુર રેલવે સ્ટેશન પર ઝવેરચંદ મેઘાણીનું ભાવભીનું સ્વાગત 

વાતવાતમાં ટાગોરે કહ્યું કે હું કાઠિયાવાડ બે વાર આવી ગયો છું. વિરમગામ વટાવતાંની સાથે જ જે રીતે છોગાળી પાઘડીઓ અને હવામાં ઉડ-ઉડ કરતી ઓઢણીઓ દૃેખાવા લાગી હતી ને જોતાં લાગતું હતું કે જાણે હું કોઈક રંગપ્રેમી પ્રદૃેશમાં આવી ગયો છું!  મેઘાણીએ કહેલું: ‘ગુરુદૃેવ, બેય વખતે તમે કાઠિયાવાડી રાજવીઓના મહેમાન બનીને આવ્યા હતા એટલે તળપદૃું લોકજીવન તમારાથી દૃૂર રહી ગયું. હવે ત્રીજી વાર આવો ત્યારે એવી રીતે આવજો કે જેથી આ ભૂમિના લોકસંસ્કાર અને લોકવાણીથી નિકટ રહી શકાય. કાઠિયાવાડ તમને નિતનવાં ગીતો, કાવ્યો અને કથાઓની અખૂટ સામગ્રી આપશે...'

ટાગોરે જવાબ આપ્યો, ‘કાઠિયાવાડ આવવાનું મન તો બહુ છે, પણ હવે તો કોણ જાણે... પણ એમ કર, તું જ શાંતિનિકેતન આવ. આપણે બેઉ ગુજરાતી અને બંગાળી લોકગીતોની મેળવણી કરીશું ને ચૂંટીને અંગ્રેજી અનુવાદૃ સાથે પ્રગટ કરીશું. જરુર આવ તું... પણ હા, શિયાળામાં આવજે. ઉનાળો અમારે ત્યાં બહુ આકરો.'

આ ઠાલી ઔપચારિકતા નહોતી. કલકત્તા પરત ગયા બાદૃ ગુરુદૃેવે નંદૃલાલ બોઝ મારફતે મેઘાણીને શાંતિનિકેતન આવવાનું વિધિસર નિમંત્રણ મોકલ્યું હતું. જોકે ટાગોર-મેઘાણીની પહેલી અને બીજી મુલાકાત વચ્ચે આઠ વર્ષનાં વહાણાં વાઈ ગયાં. ૧૯૪૧માં શાંતિનિકેતનના વિદ્યાર્થી સંગઠન તરફથી ગુજરાતનાં લોકસાહિત્ય અને લોકગીતો પર ચાર વ્યાખ્યાન આપવા માટે મેઘાણીને ફરી આમંત્રણ મળ્યું. મેઘાણી મૂંઝવણમાં મૂકાયા. એક બાજુ તેઓ ગુજરાતના લોકસાહિત્યને આંતરપ્રાંતીય દૃુનિયામાં લઈ જવા માગતા હતા. એમને ખાતરી હતી કે અન્ય પ્રાંતોના લોકસાહિત્યની સરખામણીમાં આપણું સાહિત્ય જરાય ઊતરતું પૂરવાર નહીં થાય. બીજી તરફ તેમના મનમાં સંકોચ મિશ્રિત ડર હતો કે એક વિશ્ર્વકવિના ગાને રસાયેલી ને પોષાયેલી શાંતિનિકેતન જેવી મહાન સંસ્થા સામે હું ખડો રહી શકીશ? છેવટે તેમણે નક્કી કર્યું: ‘હું ટાગોરનો કરજદૃાર છું. આઠ વર્ષનું વ્યાજ ચડ્યું છે. મારા ઈષ્ટ વિષયનું શ્રેય, તેમ મારી પ્રગતિશીલતાની કસોટી પણ ત્યાં જઈ સુવર્ણતુલાએ ચડી તોળાવામાં જ છે.'

મેઘાણી.. રતન-કુટિર પાસે
આખરે નિમંત્રણને નમ્ર સ્વીકાર કરીને મેઘાણીએ ૧૨ માર્ચ ૧૯૪૧ના રોજ ટાગોરની કર્મભૂમિ શાંતિનિકેતનમાં પગ મૂક્યો. બોલપુર એમનું ભાવભીનુ સ્વાગત કરવામાં આવ્યુંં. એકદૃમ ખાસ ગણાતા યુરોપિયન ગેસ્ટહાઉસ ‘રતન-કુટિર'માં એમને માનભેર ઉતારો અપાયો. શાંતિનિકેતનના નવ દિૃવસના રોકાણ દૃરમિયાન  મેઘાણીએ અંગ્રેજીમાં ચાર પ્રવચનો આપ્યાં: ફોક સોંગ્સ ઓફ ગુજરાત, ટેલ્સ ટોલ્ડ ઈન વર્સ (ગરબા-ગીતોમાં નિરુપાયેલી જીવનકથાઓ), ધ બાર્ડિક લોર (ચારણી વાણી) અને ફોકલોર: અ લિિંવગ ફોર્સ (લોકસાહિત્ય: એક જીવંત શકિત).


શાંતિનિકેતનનનાં વિદ્યાર્થીઓ-વિદ્યાર્થિનીઓ  સાથે ઝવેરચંદ મેઘાણી


ઓડિયન્સમાં યુપી અને આંધ્રનાં, હિમાલય અને િંસહલદ્વિપનાં, રાજપુતાના અને પંજાબ-િંસધ-બિહારનાં યુવાન વિદ્યાર્થી-વિદ્યાર્થિનીઓ હતાં. ચીન, જાવા અને સુમાત્રાના સ્ટુડન્ટ્સ પણ હતા. વ્યાખ્યાનોની પૂર્વભૂમિકા બાંધતા મેઘાણીએ કહ્યું, 'મારા ગુજરાતના નવઘડતરમાં જે થોડાં બળો કામ કરી રહેલ છે તે પૈકીનું એક આ લોકસાહિત્ય. મારી જન્મદૃાત્રી ગુજરાતના ભૂતકાળનો પરિચય દૃેનાર આ લોકસાહિત્યે ઈતિહાસને દૃફતરે ન સચવાઈ શકેલી એવી કેટલીક વાતો જનેતાની અદૃાથી ચીંથરીઓમાં સાચવી રાખી છે, પણ ગુજરાતની કોઈ ગર્વિષ્ઠ વિશિષ્ટતા દૃેખાડવા, ગુજરાતના ન્યારાપણાના બણગાં ફૂંકવા હું નથી આવ્યો. લોકવાણીનો ઝોક સહિયારાપણા પર હોય છે. એમાં હુંકાર નથી. હું તો આવું છું ગુરુદૃેવે દૃીધેલ નોતરાના જવાબમાં, લોકવાણીની સમાનતા પકડવા, ટુ કમ્પેર નોટ્સ.'

મેઘાણીના ગાનમિશ્રિત વ્યાખ્યાનોએ ઉપસ્થિત રહેલા દૃેશવિદૃેશના આ સેંકડો વિદ્યાર્થીઓ ઉપરાંત અધ્યાપકોેને પણ મુગ્ધ કર્યા. મેઘાણી પછી એક જગ્યાએ નોંધ્યું છે:

‘...શાંતિથી સહુ સાંભળતા હતા. મારી અને શ્રોતાઓની વચ્ચે એક ભૂમિકા ઊભી થઈ ગઈ ને એ ઝાંખા પ્રકાશમાં મેં નિહાળ્યા અનેક ઉત્કંઠિત, પુલકિત, પારદૃર્શક, પ્રેમલ યુવાન ચહેરાઓ. આસ્થા અને આદૃર તેમના પર પથરાયાં હતાં. એક અજાણ્યા ગુજરાતીની આવડી મોટી ઘૃષ્ટતા પ્રત્યે રંજ માત્ર તુચ્છકાર કે સંકુચિતતા મેં તે ચહેરાઓ પર દૃીઠી નહીં. મારો ડર ગયો.'



શાંતિનિકેતનનનાં વિદ્યાર્થીઓ-વિદ્યાર્થિનીઓ  સાથે ઝવેરચંદ મેઘાણી


મેઘાણી શાંતિનિકેતન હતા એ અરસામાં ગુરુદૃેવ બહુ જ અશકત અને પથારીવશ હતા. ઝાઝું જોઈ કે સાંભળી શકતા નહીં. નંદૃલાલ બોઝે મેઘાણીને કહ્યું, ‘ચાલો, કવિવરને મળવા. અશકિતને કારણે થોડાંને જ મળે છે, પણ તમને મળીને રાજી થશે. મેઘાણીએ કહ્યું, 'મારે એમની શકિત નથી બગાડવી. કોઈક વધારે મહત્ત્વના કાર્યમાં એ ખપ લાગશે. નંદૃલાલ બોઝ સાથે ગુરુદૃયાલ મલ્લિકે પણ અતિ આગ્રહ કર્યો એટલે મેઘાણી ગુરુદૃેવના તે વખતના નિવાસસ્થાન ‘શ્યામલી'ના પગથિયાં સુધી જઈ, ત્યાંથી જ ચરણરજ લઈને પાછા ફર્યા. જતાં જતાં સંદૃેશો છોડતા ગયા: ‘ગુરુદૃેવને કહેજો, મેઘાણી આવેલ ને આપને આપેલ વચન નિભાવીને ગયેલ છે...'

૧૯૪૧ના માર્ચમાં મેઘાણીએ શાંતિનિકેતનની મુલાકાત લીધી ને એના ફકત સાડાચાર મહિના પછી, ૭ ઓગસ્ટ ૧૯૪૧ના રોજ રવીન્દ્રનાથ ટાગોરનું મૃત્યુ થયું. મેઘાણી ખૂબ આઘાત પામ્યા. કવિવરને ભાવપૂર્વ અંજલિ આપતા એમણે લખ્યું હતું: ‘તમે કવિ હતા. ‘કવિ' શબ્દૃ હવેથી અમે જાળવીને વાપરશું.'

૧૯૨૦માં કલકત્તામાં ટાગોરના મુખેથી એમનું લોકપ્રિય કાવ્ય ‘નવવર્ષા સાંભળ્યું હતું. એ કાવ્ય સતત મેઘાણીના મન-હૃદૃયમાં રમતું રહ્યું હતું. આખરે ટાગોરના મૃત્યુનાં ત્રણ વર્ષ બાદૃ, ૧૯૪૪માં, મેઘાણીએ તે કાવ્યનો ગુજરાતીમાં અનુવાદૃ નહીં, પણ અનુસર્જન કર્યું. આ એ જ ગીત છે જે સાંભળીને આપણે આજની તારીખે પણ થનગની ઉઠીએ છીએ: 'મન મોર બની થનગાટ કરે...'  આ ગીત વાસ્તવમાં ટાગોરની ત્રીજી પુુણ્યતિથિએ પ્રગટ કરેલાં ‘રવીન્દ્ર વીણા' પુસ્તકનો અંશ છે. મેઘાણીએ આ પુસ્તકમાં ૬૪ જેટલાં રવીન્દ્ર-કાવ્યોને ગુજરાતીમાં અવતાર્યાં, જેમાં 'મન મોર બની થનગાટ કરે' ઉપરાંત ‘ગાજે ગગને મેહુલિયો રે', ‘આવજો આવજો વાલી બા', ‘કોઈ દૃી સાંભરે નૈ', ‘ગામના લોકો મૂરખા રે એને કાળવી કે'તા રે' જેવી અન્ય જાણીતી રચનાઓ પણ છે.

મેઘાણી પચાસ વર્ષ જીવ્યા હતા. ફકત પચાસ વર્ષ! જે માણસ આટલા ટૂંકા જીવનમાં આટલું વિરાટ કામ કરી શક્યો એ જો ટાગોરની માફક  દૃીર્ઘાયુષ પામ્યો હોત તો આજે ગુજરાતી સાહિત્ય કેટલું વધારે સમૃદ્ધ હોત તે મીઠી કલ્પનાનો વિષય છે.

0 0 0

2 comments: